CIA ALERT

સૌરાષ્ટ્ર Archives - Page 28 of 59 - CIA Live

October 15, 2020
prasad.jpg
1min5400

રાજ્યના મંદિરોમાં પ્રસાદ વિતરણને લઇને રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામા ંઆવ્યો છે. રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જાહેર કર્યું હતું કે, રાજ્યમાં મંદિરોમાં હવેથી બંધ પેકેટમાં પ્રસાદી આપી શકશે અને જે મંદિરો આ પ્રમાણે ભક્તોને પ્રસાદ આપવા માગતા હોય તે પ્રસાદ આપી શકે છે. પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, 7 જૂન 2020થી રાજ્ય સરકાર’ નક્કી કર્યું હતું કે, નિશ્ચિત માર્ગદર્શક સૂચનાના આધાર પર રાજ્યના મંદિરો દર્શન માટે ખોલવામાં આવે. રાજ્ય સરકારે કોઇ પણ મંદિર દર્શન માટે બંધ કર્યા નથી. કેટલી જગ્યા પર નવરાત્રિના સમયમાં લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ અને દર્શનાર્થીઓ આવતા હોવાથી તેમજ કેટલીક જગ્યાએ ધર્મસ્થાનોમાં પૂરતી જગ્યા ન હોવાના કારણે અને કેટલાક મંદિર પર્વતની ટોચ પર હોવાના કારણે લાખો લોકો આવે તો ત્યાં સંક્રમણની શક્યતા વધી શકે છે. તેવા સંજોગોમાં જે તે ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા આ અંગેનો જરૂરી નિર્ણય લેવામાં આવ્યા છે. મંદિરમાં પરંપરાગત પૂજા, અર્ચના, આરતી અને હવનની પરંપરાઓ ચાલુ રહેવાની છે પરંતુ મંદિર સુધીના માર્ગ પર ઓછામાં ઓછા લોકો દાખલ થઇ શકે તેવી વ્યવસ્થા આ પરિસ્થિતિ વચ્ચે કરવામાં આવી છે અને રસ્તાની વચ્ચેના ભાગમાં એલઇડીની વ્યવસ્થા કરીને દર્શનાર્થીઓને દર્શન થાય તેના માટેની સુવિધા ઊભી કરી છે.

તેમણે કહ્યું હતું કે, જ્યારથી અનલોક 1 થયું ત્યારથી ગુજરાતના તમામે તમામ મંદિરોમાં નિશ્ચિત માર્ગદર્શક સૂચનાઓનું પાલન કરીને તમામ જગ્યાએ દર્શન ખુલ્લા કરવામાં આવ્યા છે. નવરાત્રિ દરમિયાન અલગ-અલગ ટ્રસ્ટોએ પોતાની સગવડ અનુસાર અને સામાજિક અંતર જાળવીને જે નિર્ણયો લીધા છે. ટ્રસ્ટીઓએ પોતાની સ્થળ પરની પરિસ્થિતિ અને કોરોના સંક્રમણ વધે નહીં તેના માટે નિર્ણયો લીધા છે. સાથે-સાથે રાજ્ય સરકારે આ નવરાત્રિના સમય દરમિયાન તમામ ધર્મસ્થાનો અને મંદિરોમાં તમામ જગ્યાઓ પર કોરોના સંક્રમણ ન વધે તે ધ્યાને રાખીને ધાર્મિક શ્રધ્ધાળુઓ આસ્થા કેન્દ્રમાં આવતા લોકોને આપવામાં આવતો પ્રસાદ બંધ પેકેટમાં આપવાનો નિર્ણય લીધો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મંદિરોમાં ક્ષમતા કરતા વધારે લોકો દર્શન કરવા આવે છે. પાવાગઢના મંદિરોમાં આશરે પાંચ લાખ જેટલા લોકો દર્શન કરવા આવે છે અને તેમાં પણ નિશ્ચિત દિવસે મોટી સંખ્યામાં ભીડ હોય એટલા માટે વ્યવસ્થાના ભાગરૂપે જે તે ટ્રસ્ટના લોકોએ વ્યક્તિગત રૂપે પોતે વ્યવસ્થાની જાળવણી માટે આ નિર્ણય કર્યા છે.

ઉલ્લેખનીય છે કે પાંચ દિવસ પહેલા રાજ્ય સરકારે રાજ્યમાં કોઇપણ ગરબાનું જાહેરમાં આયોજન કરવા પ્રતિબંધ મુક્યો હતો. જેની ગાઈડલાઈન્સમાં નવરાત્રિ દરમિયાન પ્રસાદ વિતરણ ન કરવાની માટેના નિર્દેશો આપવામાં આવ્યા હતા. જો કે પ્રસાદ પરના પ્રતિબંધ સામે ભાવિક ભક્તોમાં અસંતોષની લાગણી જોવા મળી હતી. જેને પગલે આજે મળેલી રાજ્ય પ્રધાનમંડળની બેઠકમાં પ્રસાદને છૂટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે મુજબ, નવરાત્રિમાં પ્રસાદ માટેની ગાઈડલાઈનમાં ફેરફાર કરી પેકેટમાં પ્રસાદની છૂટ આપવામાં આવી છે. સરકારના આ નિર્ણયને કારણે મીઠાઈનાં વેપારીઓને હવે નુકશાન વેઠવું નહીં પડે.

October 14, 2020
Raghavji.jpg
1min11910

ધ્રોળની સરકારી હોસ્પિટલમાં તોડફોડ કરવાના આરોપસરના કેસમાં’ જામનગર ગ્રામ્યના ભાજપના વર્તમાન ધારાસભ્ય રાઘવજી પટેલ, ત્રણ પત્રકાર સહિત પાંચને મેજીસ્ટ્રેટ એમ.જે. ઝાલાએ છ માસની કેદ અને રૂ. દસ હજારના દંડની સજા કરી હતી. બનાવના સમયે ધ્રોળના મીત્રી પરિવારના યુવાનોને અકસ્માતમાં ઇજા થઇ હતી. તેને પૂરતી સારવાર આપવામાં આવતી ન હોવાની અને જામનગર રીફર કરતી વખતે યુવાનનું રસ્તામાં મૃત્યુ થયું હોય તે બાબતે તે સમયના કોંગ્રેસના ધારાસભ્ય રાઘવજી પટેલ સહિતના લોકો હોસ્પિટલ ખાતે રજૂઆત કરવા ગયા હતાં ત્યારે પથ્થરમારો અને તોડફોડનો બનાવ બન્યો હતો.

13 વર્ષ પહેલા તા.16-7-2007ના રોજ કોંગ્રેસના તત્કાલીન ધારાસભ્ય રાઘવજી પટેલ સહિતના લોકો પ્રજાકિય પ્રશ્નો અંગે ધ્રોળની સરકારી હોસ્પિટલે ગયા હતાં. આ સમયે ઉશ્કેરાયેલા લોકોએ પથ્થરમારો કરીને હોસ્પિટલમાં તોડફોડ કરી હતી.આ અંગે પોલીસમાં ગુનો નોંધાયો હતો. પોલીસે ધારાસભ્ય રાઘવજી પટેલ, તેના ટેકેદાર નરેન્દ્રસિંહ જાડેજા, પત્રકારો જયેશ ભટ્ટ, જીતુ શ્રીમાળી, કરણસિંહ જાડેજા તથા શબ્બીર ચાવડા, પાંચા વરૂ અને લખધીરસિંહ જાડેજાની ધરપકડ કરી હતી. સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટની ગાઇડ લાઇન પ્રમાણે ધારાસભ્ય સામેનો કેસ ઝડપથી ચલાવવામાં આવ્યો હતો. આ કેસની સુનાવણી થઇ જતાં મેજીસ્ટ્રેટ એમ.જે.ઝાલાએ જામનગર ગ્રામ્યના ભાજપના વર્તમાન ધારાસભ્ય રાઘવજી પટેલ,’ તેના ટેકેદાર અને ત્રણ પત્રકારને છ માસની કેદ અને રૂ. દસ હજારના દંડની સજા કરી હતી. જ્યારે શબ્બીર, પાંચા અને લખધીરસિંહને નિર્દોષ ઠરાવીને છોડી મૂકવા હુકમ કર્યો હતો. અદાલતે કેદ અને દંડના હુકમ સામેની કાર્યવાહી કરવા માટે એક માસની મુદ્દત આપીને પાંચેયને જામીન પર છોડવા આદેશ કર્યો હતો.

October 13, 2020
girlion.jpg
1min4460

એશિયાટીક લાયનના નિવાસસ્થાન ગીર જંગલમાં વસતા વનરાજોનું ત્રણ દિ’ બાદ વેકેશન પૂરૂ થઇ રહ્યું છે. તા.16ને શુક્રવારથી સિંહ દર્શનનો પ્રારંભ થનાર છે. ત્યારે કોવિડ-19ને ધ્યાને લઇ કડક નિયમો તૈયાર કરાયા છે તેમાં 10 વર્ષથી નીચે અને 65 વર્ષથી ઉપરનાને પ્રવેશ અપાશે નહીં. જીપ્સીમાં માત્ર 3 પ્રવાસીઓ જ બેસી શકશે.

આ અંગે વિગતો સીસીએફ દુષ્યંત વસાવડાએ જણાવ્યું કે, આગામી તા.16થી  સિંહ દર્શનનો પ્રારંભ થઇ રહ્યો છે તે પૂર્વે વન કર્મચારીઓ, જીપ્સીના ચાલકો, ગાઇડોનો કોરોના ટેસ્ટ કરાવાયો છે. વાહનોને સેનેટાઇઝ કરવામાં આવ્યા છે. કોરોના કાળમાં વન્ય પ્રાણીઓની સુરક્ષાને ધ્યાને લઇ, જંગલમાં જનાર પ્રવાસીઓને ક્યાંય ઉતરવા દેવાશે નહીં, એટલું જ નહીં સિંહ દર્શન રૂટના માર્ગોને ‘ટાયર બાફ’ કરાયા છે. જેથી કોરોનાના જીવાણુ વાહનોના ટાયર દ્વારા પણ જંગલમાં પ્રવેશી ન શકે તેમજ દરેક પ્રવાસીની થર્મલ ગનથી તપાસ  કરાશે.

તેમણે ઉમેર્યુ કે, જીપ્સીની સંખ્યામાં કોઇ ઘટાડો કરાયો નથી. જે દર  કલાકે 150 પ્રવાસીઓને લઇ જવાતા હતા તે જ રીતે દોડાવાશે માત્ર જીપ્સીમાં પ્રવાસીઓની સંખ્યા ઘટાડવામાં આવી છે. બાળકો અને વૃધ્ધો ઉપર પ્રતિબંધ લદાયો છે.

શ્રી વસાવડાએ જણાવ્યું કે કોરોનાને કારણે પ્રવાસીઓમાં સિંહ દર્શનનો ઉત્સાહ ઓસર્યો છે. અત્યાર સુધીમાં માત્ર 39 પ્રવાસીઓએ ઓનલાઇન બુકીંગ કરાવ્યું છે, આમ મહામારીની અસર પ્રવાસીઓ ઉપર પણ પડી રહી છે.

October 12, 2020
m2.jpg
1min4880
Peanut

સૌરાષ્ટ્રમાં આ વર્ષે મગફળીના તમામ વર્ષોના ઉત્પાદનોનો વિક્રમ તૂટશે. આ વર્ષે મબલખ ઉત્પાદનને પગલે ધીંગી આવક પણ શરૂ થઇ ચૂકી છે. સૌરાષ્ટ્રના અગ્રણી ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે રવિવારે મગફળીની આવક ફરી શરૂ કરવામાં આવી હતી. બપોર સુધીમાં એક લાખ ગૂણી મગફળીની ગુણીની આવક થઈ હતી. મગફળીના ૨૦ કિલોના ૬૦૦થી ૧૦૦૧ સુધીના ભાવ બોલાય રહ્યાં છે. મગફળીની આવકમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. આજે ૧ લાખ ગુણીની આવક થતા યાર્ડે મગફળીની આવક બંધ કરવાની ફરજ પડી હતી. ગોંડલ માર્કેટ યાર્ડના સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે, મગફળીને સૂકવીને લાવવાથી ભાવ પણ સારા મળશે. મગફળીનો સારો ભાવ મેળવવા ઈચ્છતા ખેડૂતોએ મગફળીને પૂરેપૂરી સૂકવીને લાવવી જોઈએ. યાર્ડ દ્વારા ખેડુતભાઈઓનો માલ બગડે નહીં, સમયસર તોલ થઇ જાય અને માલનો વધારેમાં વધારે નિકાલ થાય તેની પૂરતી તકેદારી રાખવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રમાં આ વર્ષે સારા વરસાદના કારણે મગફળીના પાકનું પુષ્કળ ઉત્પાદન થયું છે. મગફળીના વેચાણ માટે સૌરાષ્ટ્રભરના ખેડૂતો ગોંડલ યાર્ડ આવી રહ્યા છે. ગોંડલ યાર્ડમાં સૌરાષ્ટ્રના અન્ય યાર્ડો કરતા ભાવ પણ સારા મળી રહે છે.

October 11, 2020
Morari_Bapu.jpg
1min6770

સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ ગિરનાર પર્વતની ટોચ પર આવેલા કમંડળ કુંડ ખાતે આગામી સપ્તાહથી શરૂ થઇ રહેલા શારદીય નવરાત્રિના પહેલા નોરતાથી રામાયણી સંત પૂ.શ્રી મોરારિબાપુની રામકથા શરૂ થશે. મોરારીબાપૂની આ રામકથા હાલ ભારે ચર્ચાસ્પદ બની છે કેમકે મોરારિબાપુની આ પહેલી એવી રામકથા હશે જેમાં એક પણ શ્રોતાજન હાજર નહીં રહે. કોવીડ-19ની સ્થિતિને કારણે પૂ. બાપૂની આ કથાનું ટીવી પ્રસારણ, વેબકાસ્ટ થશે.

મોરારિબાપુએ કહ્યું કે ‘કોરોનાકાળમાં આ ચીવટ રાખવી અનિવાર્ય છે. કથામાં માત્ર વાદ્યકારો અને ટેક્નિશ્યન જ ઉપસ્થિત રહેશે, એક પણ શ્રોતાને હાજર રહેવા દેવામાં નહીં આવે.’

ગત માર્ચ માસમાં લાગૂ કરાયેલા લૉકડાઉન પછી પહેલી વાર મોરારિબાપુ ઘરની બહાર નીકળીને કથા કરી રહ્યા છે. શ્રોતાગણ વિના તેમણે આ સમયકાળમાં અન્ય પાંચ કથા કરી હતી, પણ એ રામકથા તેમના નિવાસસ્થાનેથી થઈ હતી અને આ રામકથા માટે બાપુ તલગાજરડામાંથી પહેલી વાર બહાર આવશે.

October 9, 2020
jalarambapa.jpg
1min4950

રાજકોટ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતા વીરપુરનું જલારામ મંદિર આઠ દિવસ માટે બંધ કરવામાં આવ્યું હતું. જે બાદ ગુરૂવારથી ભાવિકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.

સરકારી ગાઈડલાઈનનું ચૂસ્તપણે પાલન સાથે ભાવિકોના જલારામ બાપાનાં દર્શન શરૂ થયાં હતાં. ભાવિકોએ જલારામ બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું ચૂસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે.

દર્શનાર્થીઓને સૌ પ્રથમ વીરપુરમાં આવેલા માનકેશ્ર્વર મંદિરની બાજુમાં રજિસ્ટ્રેશન કાર્યાલય પર પોતાનું રજિસ્ટ્રેશન કરાવી ટોકન મેળવવાનું રહે છે. જે બાદ સેનિટાઈઝ ચેમ્બરમાં સેનિટાઇઝ થયા બાદ જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આ સાથે મંદિરમાં માસ્ક બાંધવું ફરજિયાત કરવામાં આવ્યું છે. પૂજ્ય બાપાના દર્શન સવારે ૭થી બપોરના ૧ વાગ્યા સુધી અને બપોરે ૩ વાગ્યાથી સાંજના ૭ વાગ્યા સુધી થઈ શકશે.

કોરોના સંક્રમણને કારણે મોટી સંખ્યામાં ભાવિકો એકત્ર થાય નહીં તે માટે મંદિર દ્વારા અગાઉ પણ ૩૦ ઓગસ્ટથી ૧ સપ્ટેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ હાલ કોરોનાની પરિસ્થિતિ વધુ વણસી હોવાથી ફરી આઠ દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

October 9, 2020
corona_testing1.jpg
1min4700

રાજ્યમાં યોગ્યતા ધરાવતી લેબોરેટરીઓને કોવિડ-૧૯ માટેનો રેપિડ એન્ટિબોડી ટેસ્ટ કરવા માટે મંજૂરી આપવાનો રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. આ માટે જે-તે જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને કોર્પોરેશનના આરોગ્ય અધિકારીને મંજૂરી આપવા માટે અધિકૃત કરાયા છે, એન્ટિબોડી ટેસ્ટ દર્દી લેબોરેટરીમાં જઈને ટેસ્ટ કરાવે તો રૂપિયા ૪૫૦ અને દર્દીના ઘરે કે હોસ્પિટલમા જઈ સેમ્પલ કલેકટ કરે તો રૂપિયા ૫૫૦નો ખર્ચ થશે.

રાજ્યના આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયા મુજબ, રાજ્યમાં હાલના તબક્કે વિવિધ લેબોરેટરીઓને આરટી-પીસીઆર ટેસ્ટ માટે રાજ્યકક્ષાએથી માન્યતા આપવામાં આવેલી છે. વિવિધ ખાનગી લેબોરેટરીઓ તરફથી રેપિડ એન્ટિબોડી ટેસ્ટ કરવા માટે રાજ્ય સરકાર પાસે મંજૂરી માગવામાં આવી હતી, જે અન્વયે રાજ્યમાં વિવિધ શરતોને આધીન યોગ્યતા ધરાવતી લેબોરેટરીઓને કોવિડ-૧૯ માટેનો રેપિડ એન્ટિબોડી ટેસ્ટ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. આમાં જે-તે લેબોરેટરીમાં એમ.ડી. પેથોલોજિસ્ટ કે એમ. ડી. માઈક્રોબાયોલોજિસ્ટ ફરજિયાત ઉપલબ્ધ હોવા જોઈએ, જે-તે લેબોરેટરી પાસે જરૂરી માનવસંસાધન તેમજ સાધનો પણ પૂરતાં પ્રમાણમાં ઉપલબ્ધ હોવાં જોઈએ, લેબોરેટરીએ રેપિડ એન્ટિબોડી ટેસ્ટ કરવા માટે જે-તે જિલ્લા/કોર્પોરેશનના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કે આરોગ્ય અધિકારી, મહાનગરપાલિકા પાસે મંજૂરી મેળવવાની રહેશે. મંજૂરી મેળવ્યા બાદ જ જે-તે લેબોરેટરી રેપિડ એન્ટિબોડી ટેસ્ટ કરી શકશે.

October 8, 2020
government_gujarat_gandhinagar.jpg
1min4960

ગુજરાતમાં મગફળી ઉપરાંત ડાંગર, મકાઈ, બાજરી, મગ, અડદ અને સોયાબીનની પણ ટેકાના ભાવે ખરીદી થશે. કૃષિ મંત્રી આર.સી. ફળદુએ આ અંગે જાહેરાત કરી હતી.

ફળદુએ  જણાવ્યું હતું કે મગફળીની 13,66,000 મેટ્રિક ટન ખરીદવા માટે દરખાસ્ત કરાઈ હતી. મગફળીની ખરીદી રૂ. 1055માં થશે. ડાંગરની ટેકાના ભાવે ખરીદી પ્રતિ ક્વિન્ટલ રૂ. 1868/-ના ભાવે, મકાઇ રૂ.1850/-ના ભાવે, બાજરી રૂ.2150/-ના ભાવે, મગ રૂ. 7196/-ના ભાવે, અડદ રૂ.6000/- અને સોયાબીનની રૂ. 3880/- પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદી કરવામાં આવશે.

આગામી દિવસોમાં આ ખરીદી માટે નાફેડના સંકલનમાં રહીને ગુજરાત અન્ન નાગરિક પુરવઠા નિગમ દ્વારા સંપૂર્ણ કાર્યક્રમ ઘડી કાઢીને ખરીદી પ્રક્રિયા હાથ ધરાશે. તેમણે ઉમેર્યું કે, વરસાદને કારણે જે ખેડૂતોને નુકસાન થયું છે એ માટે રૂ. 3700/- કરોડના આર્થિક પેકેજની જાહેરાત કરી છે અને સહાય ચૂકવવાનું શરૂ કરી દેવાયું છે. અન્ન નાગરિક પુરવઠા પ્રધાન જયેશ રાદડિયાએ કહ્યું કે, રાજ્યમાં ડાંગર માટે 92, મકાઈ માટે 61, બાજરી માટે 57, મગ માટે 71, અડદ માટે 80 અને સોયાબીન માટે 60 કેન્દ્ર કાર્યરત કરીને ખરીદી પ્રક્રિયા હાથ ધરાશે.

રાદડિયાએ ઉમેર્યું કે ડાંગર, મકાઇ અને બાજરી માટે ઓનલાઇન નોંધણી પ્રક્રિયા તારીખ 1લી ઓક્ટોબર 2020થી શરૂ કરી દેવામાં આવી છે. 29મી ઓક્ટોબર-2020 સુધી ચાલશે. ખરીદી 16મી ઓક્ટોબરથી 31મી ડિસેમ્બર સુધી ચાલશે જ્યારે મગ, અડદ અને સોયાબીન માટે ઓનલાઇન નોંધણી પ્રક્રિયા તા. 12મીથી શરૂ થશે. ખરીદી 2જી નવેમ્બરથી 30 જાન્યુઆરી – 2021 સુધી ચાલશે. રાજ્યમાં અત્યાર સુધીમાં 2.80 લાખ જેટલા ખેડૂતોએ મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશન કરાવી દીધું છે.

October 6, 2020
gseb-1280x720.jpg
1min5990

કોરોના પેન્ડેમિકની પરિસ્થિતિમાં 2020-21ના શૈક્ષણિક વર્ષનું પહેલું સત્ર સાવ જ ધોવાય જતા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.9થી 12માં 30 ટકા જેટલો અભ્યાસક્રમ ચાલુ શૈક્ષણિક વર્ષમાંથી કાઢી નાંખવામાં આવ્યો હોવાની જાહેરાત કરવામાં આવી છે.

કોરોના પેન્ડેમિકને કારણે શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ બિલકુલ સંભવી ન શકવાની પરિસ્થિતિમાં શૈક્ષણિક વર્ષ 2020-21 માટે શાળાઓમાં શૈક્ષણિક કાર્યના દિવસો અને અભ્યાસક્રમમાં ઘટાડો કરવા માટે શ્રેણીબદ્ધ બેઠકો યોજાઈ હતી. શિક્ષણમંત્રીના અધ્યક્ષ સ્થાને 27 જૂલાઈ, 20 ઓગસ્ટ અને 11 સપ્ટેમ્બરે બેઠક યોજાઈ હતી જેમાં ઉપસ્થિત રહેલા શિક્ષણ વિદો અને અધિકારીઓની ચર્ચાના નિષ્કર્ષ રૂપે કોર્સમાં ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે.

ધોરણ 9થી 12ના અભ્યાસક્રમમાંથી ઘટાડેલા મુદ્દાઓ પરીક્ષાના હેતુંથી ઘટાડવામાં આવ્યા છે અને તે પરીક્ષામાં પૂછાશે નહીં. જોકે, વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતમાં શિક્ષકોએ તે મુદ્દાઓનું જ્ઞાન વિદ્યાર્થીઓને આપવાનું રહેશે. આ અંગે વિગતવાર પરિપત્ર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવશે. કયા મુદ્દાઓ અને પ્રકરણ અભ્યાસક્રમમાંથી રદ્દ કરવામાં આવશે તેની માહિત જિલ્લા શિક્ષણ અધિકારીઓના માધ્યમથી તમામ શાળાઓને મોકલી આપવામાં આવશે. આ ઉપરાંત બોર્ડની વેબસાઈટ પર પણ તેને મૂકવામાં આવશે.

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે અભ્યાસક્રમમાં ઘટાડો કરવાના કારણે ધોરણ 10 અને 12ની પરીક્ષા જે દર વર્ષે માર્ચ મહિનામાં લેવામાં આવે છે તે કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા આ વર્ષે મે મહિનામાં લેવાઈ શકે છે. આ ઉપરાંત ધોરણ 9 અને 11ની પરીક્ષા જૂનમાં યોજાઈ શકે છે જેથી કરીને સ્કૂલોમાં અભ્યાસક્રમ પૂરો થઈ શકે, તેમ શિક્ષણ મંત્રીએ કમલમ ભાજપની ઓફિસ ખાતે જણાવ્યું હતું.

September 30, 2020
corona-gujarat.jpg
1min4420

કોરોનાગ્રસ્ત રાજ્યના સૌથી સંક્રમિત મહાનગરોમાં સુરત, અમદાવાદ અને રાજકોટમાં પરિસ્થિતિ હજુ નિયંત્રણમાં આવતી નથી. રાજ્યમાં કુલ કેસ વધીને ૧,૩૬,૦૦૪ સુધી પહોંચ્યા છે જ્યારે નવા ૧૩૮૩ મળી કુલ ૧,૧૫,૮૫૯ ડિસ્ચાર્જ થયા છે એટલે રાજ્યનો રિવકરી રેટ ૮૫.૧૯ ટકા સુધી પહોંચી ગયો છે. અલબત્ત, મૃત્યુની સંખ્યા ૩૪૪૨ સુધી પહોંચી છે. હાલ એક્ટિવ કેસ વધીને ૧૬૭૦૩ થઇ છે એમાં ૮૯ વેન્ટીલેટર ઉપર છે અને ૧૬૬૧૪ સ્ટેબલ છે.

સુરતમાં કુલ ૩૧૧ નવા કેસ, અમદાવાદમાં ૧૯૫, રાજકોટમાં ૧૪૮, વડોદરા ૧૨૯ અને જામનગરમાંથી નવા ૮૧ મળી કુલ ૧૩૮૧ કેસ નોંધાયા છે. જોકે, દૈનિક કેસમાં છ દિવસ પછી ઘટાડો નોંધાયો છે. બીજી તરફ કોરોના સંક્રમણથી ઝઝૂમી રહેલા દર્દીઓ પૈકી વધુ ૧૧ના મૃત્યુ થયા છે એમાં સૌથી વધુ સુરતમાં ૪, અમદાવાદમાં ૩, વડોદરામાં ૨ અને રાજકોટ તથા ગાંધીનગરમાં ૧-૧ મૃત્યુનો સમાવેશ થાય છે.

સુરત મહાનગરમાંથી નવા ૧૭૬ કેસ નોંધાયા છે, પરંતુ સુરતના જુદા જુદા તાલુકાઓમાંથી વિક્રમી ૧૩૨ ચેપગ્રસ્તો મળી આવ્યા છે. આને લીધે જિલ્લાનો આંક ૩૧૧ સુધી પહોંચ્યો છે. જોકે, હવે કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓના મૃત્યુ આંકમાં નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હોય તેમ ગ્રામ્યમાંથી ત્રણ અને શહેરના એક મળી કુલ ચાર મૃત્યુ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં સતત વધતાં જતાં કેસને પગલે પશ્ચિમ વિસ્તારમાં રાત્રે આડેધડ ખુલ્લાં રહેતાં ખાણી પીણી સહિતના બજારોને હવે ૧૦ વાગ્યા પછી બંધ કરાવી દેવાના સ્થાનિક તંત્રના પગલાંની અસર થતાં થોડો સમય લાગશે. એમ છતાંય શહેરમાંથી નવા ૧૭૬ કેસ ઉમેરાયા છે જ્યારે ત્રણ દર્દીએ કોરોના સામે હાર સ્વીકારી છે. આ સિવાય ગ્રામ્યમાંથી નવા ૧૯ કેસ નોંધાયા છે.

રાજકોટ શહેરમાંથી નવા ૧૦૪ કેસ નોંધાયા છે જ્યારે ગ્રામ્યમાંથી વધુ ૪૪ કેસ આવ્યા છે. એક દર્દીનું મૃત્યુ પણ થયું છે. વડોદરામાં કેસ ઘટીને નવા ૯૫ નોંધાયા છે જ્યારે ગ્રામ્યના નવા ૩૯ કેસનો સમાવેશ થાય છે. એક એક દર્દીના મૃત્યુ પણ થયા છે. જામનગર શહેરમાં સતત બીજા દિવસે ઘટાડો થયો છે. જામનગરમાંથી નવા ૬૯ કેસ આવ્યા છે જ્યારે ગ્રામ્યના ૨૨ કેસ છે. ગાંધીનગર શહેરના ૨૧ અને ગ્રામ્યના ૧૯ મળી ચાળીસ કેસ નવા નોંધાયા છે. શહેરના એક દર્દીનું મૃત્યુ થયું છે.

ભાવનગર જિલ્લામાંથી કુલ ચાળીસ કેસ નોંધાયા છે એમાં શહેરના ૧૮ કેસ છે. જૂનાગઢમાં સ્થિતિ નિયંત્રણમાં આવી જતાં હવે કુલ ૩૨ કેસ નોંધાયા છે એમાં શહેરના ૧૭નો સમાવેશ થાય છે.

ઉત્તર ગુજરાતમાં છેલ્લા દસ દિવસથી વધેલા કેસમાં હવે આંશિક ઘટાડો થઇ રહ્યો હોય તેમ બનાસકાંઠામાંથી નવા ૩૯, મહેસાણા અને પાટણમાંથી ૩૪-૩૪ કેસ, સાબરકાંઠામાંથી ૧૧ અને અરવલ્લીના ૬ કેસનો સમાવેશ થાય છે. બીજી તરફ ભરૂચમાંથી નવા ૨૯, સુરેન્દ્રનગરના ૨૭, અમરેલી અને કચ્છમાંથી ૨૪-૨૪ કેસ નવા નોંધાયા છે. પંચમહાલમાંથી વધુ ૨૩, તાપીમાંથી ૨૧, મહીસાગરમાંથી ૧૯, મોરબી ૧૭, ગીર સોમનાથના ૧૫ કેસ નવા નોંધાયા છે. આણંદમાં ૧૨, નર્મદામાંથી ૧૧, દેવભૂમિ દ્વારકા, ખેડા અને નવસારીમાંથી ૮-૮, છોટાઉદેપુર અને બોટાદમાંથી ૬-૬, પોરબંદર, દાહોદ અને વલસાડમાંથી ૪-૪ કેસ અને ડાંગમાંથી એક કેસ નવો નોંધાયો છે.