
કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રોનિક, ટુરિસ્ટ અને મેડિકલ કૅટેગરી સિવાયના બધા વર્તમાન વિઝાને પૂર્વવત્ સ્થિતિમાં લાવવાનો ગુરુવારે નિર્ણય લીધો હતો. કોવિડ-૧૯ની મહામારીને કારણે રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન લાગુ કરાયું એને પગલે લગભગ આઠ મહિના સુધી તમામ વિઝા પર સસ્પેન્શન લાગુ કરાયું હતું.
મિનિસ્ટ્રી ઑફ હોમ અફેર્સ (એમએચએ)એ એવી પણ જાહેરાત કરાઈ હતી કે તમામ ઓવરસીઝ સિટિઝન ઑફ ઇન્ડિયા (ઓસીઆઇ) અને પર્સન ઑફ ઇન્ડિયન
ઑરિજિન (પીઆઇઓ) કાર્ડધારકો તથા તમામ અન્ય વિદેશી નાગરિકોને (ટુરિસ્ટ વિઝા સિવાય) કોઈ પણ હેતુસર ભારતનો પ્રવાસ કરવાની પરવાનગી અપાશે. સરકારના આ નિર્ણયથી વિદેશી નાગરિકો ધંધા-વેપાર ઉપરાંત મિટિંગ-કૉન્ફરન્સ, રોજગાર, અભ્યાસ અને સંશોધન માટે ભારત આવી શકશે.
ગૃહ ખાતાએ નિવેદનમાં જણાવ્યું હતું કે ‘કોવિડ-૧૯ની મહામારીને લક્ષમાં રાખીને સરકારે ફેબ્રુઆરી, ૨૦૨૦થી વિદેશી મુસાફરોના ભારત આવવા તથા જવા પર નિયંત્રણ મૂકવા સહિતના શ્રેણીબદ્ધ પગલાં ભર્યા હતા. જોકે, હવે સરકારે વિઝા ફાળવવા સંદર્ભમાં ગ્રેડ પ્રમાણે છૂટછાટ મૂકી છે. જે પ્રકારના વિઝાની છૂટ અપાઈ છે એની કાયદેસરતા પૂરી થઈ ગઈ હશે તો ભારતીય મિશનમાંથી કે સંબંધિત વિભાગમાંથી નવેસરથી વિઝા મેળવી શકાશે.
તબીબી સારવાર માટે ભારત આવવા માગતા વિદેશી નાગરિકો મેડિકલ વિઝા માટે નવેસરથી અરજી કરી શકશે.
‘વંદે ભારત’ મિશન હેઠળ અમુક કૅટેગરીના ઓસીઆઇ તથા પીઆઇઓ કાર્ડધારકોની કૅટેગરી માટે ઍર ઇન્ડિયાની ફ્લાઇટ કાર્યરત્ છે.












