રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન આગામી ૪થી અને ૫મી ડિસેમ્બરે બે દિવસ માટે ભારતના પ્રવાસે આવશે. રશિયા-ભારત વચ્ચે વાર્ષિક સમિટ યોજાવાની છે તેમાં પુતિન ભાગ લેશે. આ બેઠકમાં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર, ડિફેન્સ, ઉર્જા સહિતના ક્ષેત્રોના કરારો થાય તેવી શક્યતા છે. બંને દેશો વચ્ચે લોકલ કરન્સીમાં આદાન-પ્રદાન અંગે પણ ચર્ચા થશે. પુતિન સમક્ષ ભારત વધુ એક વખત યુક્રેન-રશિયા યુદ્ધમાં શાંતિ સ્થપાય તે માટે રજૂઆત કરશે.
ભારત રશિયા પાસેથી એસ-૩૦૦ રશિયન મિસાઈલ્સ ખરીદવાનું છે : તેમજ જૂની થઈ ગયેલી એસ-૪૦૦ એર ડીફેન્સ સિસ્ટમના સ્થાને નવી એસ-૪૦૦ ડીફેન્સ સિસ્ટમ ખરીદશે. તે ઉપરાંત બીજી પાંચ એસ-૪૦૦ સ્કવોડ્રન્સ પણ ખરીદવાનું છે. આ પ્રકારના કરારો થાય તેવી પ્રબળ શક્યતા છે.મીડિયા રિપોર્ટ પ્રમાણે ભારત રશિયાને રીકવેસ્ટ ફોર પ્રપોઝલ (આરએફપી) મોકલવાનું છે. આ એસ-૪૦૦ વિમાનોની ૩ સ્કવોડ્રન્સ તો ભારત પાસે છે જ, જે ઓપરેશન સિન્દૂર સમયે કાર્યરત હતી. તે ઉપરાંત બીજી પાંચ સ્કવોડ્રન્સ માટે રશિયાના પ્રમુખ પુતિનભારત આવે ત્યારે સોદો પાકો કરવામાં આવશે. આ ફીફથ જનરેશન ફાયટર્સ વાસ્તવમાં ભારત પોતાના જ એએમસીએ (એડવાન્સ્ડ મીડીયમ કોમ્બેટ એરક્રાફટસ ૨૦૩૫ માં કાર્યરત થાય તે પહેલાની વચગાળાની વ્યવસ્થા સમાન છે. બીજી તરફ સુખોઈ-૫૭, કે એફ-૩૫ બેમાંથી એક અંગે હજી કોઈ નિર્ણય લેવાયો નથી.રશિયન પાનસ્ટર મિસાઈલ્સ સશસ્ત્ર તેવા કામીકાઝે ડ્રોન્સનો સામનો કરવા માટે છે.એસ-૪૦૦ ને ભારતમાં સુદર્શન ચક્ર કહેવાય છે. કારણ કે રશિયન બનાવટના આ એસ-૪૦૦ ટ્રાયમ્ફ એર ડીફેન્સ મિસાઈલ, દુનિયાની કોઈપણ એર ડીફેન્સ સિસ્ટીમની બરાબર કરી શકે તેમ છે. તે નામ ભગવાન વિષ્ણુનાં સુદર્શન ચક્ર ઉપરથી અપાયું છે. રશિયાની અલ્માઝ- એન્તે (સરકારી) કંપની દ્વારા બનાવવામાં આવેલા એસ-૪૦૦ મિસાઈલ્સ વિમાનો ડ્રોન તેમજ મિસાઈલ્સને ૬૦૦ કિ.મી. દૂરથી પકડી પાડે છે અને ૪૦૦ કિલોમીટરે તેને તોડી પાડી શકે છે. ટૂંકમાં ભારત કોઈ મહાયુદ્ધ આવી પડેતો તે સામે સજ્જ બની રહ્યું છે.
વિશ્વના સૌથી વધુ વેચાતા વિમાન, એરબસ A320 ફેમિલીના હજારો વિમાનોને આ સપ્તાહના અંતે મોટા પાયે ગ્રાઉન્ડેડ કરવામાં આવી રહ્યા છે, જેના કારણે ભારત સહિત સમગ્ર વિશ્વમાં હવાઈ મુસાફરી પર ગંભીર અસર પડવાની છે. તાજેતરમાં સામે આવેલા એક મોટા તકનીકી જોખમને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેના નિવારણ માટે વ્યાપક સોફ્ટવેર અને કેટલાક જૂના વિમાનોમાં હાર્ડવેર અપગ્રેડ ફરજિયાત કરવામાં આવ્યું છે.
ભારતમાં ઈન્ડિગો અને એર ઈન્ડિયા ગ્રુપના 350થી વધુ A320 ફેમિલી વિમાનો આ પ્રક્રિયાનો ભાગ બનશે. ઈન્ડિગોના કાફલામાં 350થી વધુ A320 વિમાનો છે, જેમાંથી લગભગ 250ને અપગ્રેડની જરૂર છે. તેવી જ રીતે, એર ઈન્ડિયાના 120-125 A320 વિમાનોમાંથી 100થી વધુ વિમાનો પ્રભાવિત થશે. આ અપગ્રેડમાં 2-3 દિવસનો સમય લાગવાની ધારણા છે, અને વિમાનો સોમવાર કે મંગળવારથી ફરી ઉડાન ભરી શકે છે. આને કારણે સપ્તાહના અંતે અને સોમવાર સુધી ઘણી ફ્લાઇટ્સ મોડી પડવાની કે રદ થવાની પ્રબળ આશંકા છે.
એર ઈન્ડિયાએ ‘X’ પર જણાવ્યું, “અમે એરબસ દ્વારા જારી કરાયેલા નિર્દેશથી વાકેફ છીએ. આના કારણે અમારા કાફલાના એક ભાગમાં સોફ્ટવેર/હાર્ડવેર રિકેલિબ્રેશનની જરૂર પડશે, જેનાથી ફ્લાઇટ્સમાં વિલંબ થવાની સંભાવના છે. અસુવિધા માટે ખેદ છે.”
જેટબ્લુની ઘટના બની કારણ
આ મોટા નિર્ણય પાછળ 30 ઓક્ટોબર, 2025ના રોજ અમેરિકન એરલાઇન જેટબ્લુની A320 ફ્લાઇટમાં બનેલી ગંભીર ઘટના જવાબદાર છે. કેનકુનથી નેવાર્ક જતી ફ્લાઇટ દરમિયાન, પાઇલટના ઇનપુટ વિના જ વિમાન અચાનક નીચેની તરફ નમી ગયું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ ઘટના ELAC (એલિવેટર એલેરોન કમ્પ્યુટર)માં ખામીને કારણે બની હતી. વિમાનને તાત્કાલિક તાંપામાં ઉતારવામાં આવ્યું હતું, જ્યાં કેટલાક મુસાફરોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.
આ ઘટના બાદ, યુરોપિયન યુનિયન એવિએશન સેફ્ટી એજન્સી (EASA) એ ‘ઇમરજન્સી એરવર્ધીનેસ ડાયરેક્ટિવ’ જારી કર્યો. ત્યારબાદ એરબસે જણાવ્યું કે તકનીકી તપાસમાં જાણવા મળ્યું છે કે તીવ્ર સૌર વિકિરણ (Solar Radiation) ફ્લાઇટ કંટ્રોલ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ ડેટાને કરપ્ટ કરી શકે છે. આ જ કારણોસર, વિમાનોમાં સોફ્ટવેર અને હાર્ડવેર પ્રોટેક્શન ફરજિયાત કરવામાં આવ્યું છે. એરબસે આનાથી થનારી અસુવિધા બદલ મુસાફરો અને ગ્રાહકોની માફી માંગી છે અને કહ્યું છે કે “સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.”
ભારતીય શેરબજારે આજે 27/11/25 ગુરુવારે ઇતિહાસ રચી દીધો છે. લગભગ 14 મહિનાની લાંબી રાહ જોયા બાદ, નિફ્ટી 50 ઇન્ડેક્સ તેના સર્વકાલીન ઉચ્ચ સ્તરને પાર કરી ગયો છે, જેના કારણે રોકાણકારોમાં ખુશીનો માહોલ છે. બજારમાં આવેલી આ તેજીને પગલે રોકાણકારોની સંપત્તિમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે.
27/11/2025 સવારના કારોબારમાં નિફ્ટી લગભગ 90 પોઈન્ટના ઉછાળા સાથે 26,295.55ની નવી ઐતિહાસિક સપાટી પર પહોંચી ગયો હતો. આ પહેલા, ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં નિફ્ટીએ 26,277.35નો ઓલ-ટાઇમ હાઈ બનાવ્યો હતો, જેની નીચે તે છેલ્લા 14 મહિનાથી ટ્રેડ કરી રહ્યો હતો. જોકે, સેન્સેક્સ હજુ તેના રેકોર્ડ હાઈથી થોડો દૂર છે. સેન્સેક્સ 300 પોઈન્ટના વધારા સાથે 85,912.94 પર ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે તેનો ઓલ-ટાઇમ હાઈ 85,978.25 છે.
BSEના ટોપ 30 શેરોમાંથી 19 શેરોમાં તેજી જોવા મળી રહી છે, જ્યારે 11 શેરો ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા છે. બજાજ ફાઇનાન્સ અને બજાજ ફિનસર્વના શેર ટોપ પર્ફોર્મર રહ્યા છે, જ્યારે ઝોમેટો અને કોટક મહિન્દ્રા બેન્કના શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે. સેક્ટરની વાત કરીએ તો, પીએસયુ બેંક, કન્ઝ્યુમર્સ અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટરને બાદ કરતાં બાકીના તમામ સેક્ટરમાં સારી ખરીદી જોવા મળી રહી છે.
આ શેરોમાં જોવા મળી શાનદાર તેજી:
ગણેશ હાઉસિંગ અને પટેલ એન્જિનિયરિંગના શેરમાં 10%થી વધુનો ઉછાળો છે.
ટાટા ટેલિસર્વિસિસ (મહારાષ્ટ્ર) અને જિલેટ ઈન્ડિયાના શેરમાં 5%ની તેજી છે.
તેજસ નેટવર્ક્સ 4%થી વધુ, જ્યારે સ્વાન કોર્પોરેશન 2% વધ્યો છે.
આ સિવાય ટાટા પાવર, બજાજ ફાઇનાન્સ અને શ્રીરામ ફાઇનાન્સના શેરમાં 1.5%નો ઉછાળો જોવા મળી રહ્યો છે.
બજારની એકંદરે સ્થિતિ
બીએસઈ પર કુલ 3,321 શેરોમાંથી 1,853 શેરો તેજી સાથે અને 1,262 શેરો ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા. 85 શેરોમાં અપર સર્કિટ લાગી છે, જ્યારે 60 શેરોમાં લોઅર સર્કિટ લાગી છે. 60 શેરોએ તેમની 52-સપ્તાહની નવી ટોચ બનાવી છે.
T20 World Cup Schedule: T20 વર્લ્ડ કપ 2026ની શરૂઆત 7 ફેબ્રુઆરીથી થશે. ટુર્નામેન્ટની પહેલી મેચ પાકિસ્તાન અને નેધરલેન્ડ્સ વચ્ચે રમાશે. બંને સેમિફાઇનલ માટેના સ્થળો પણ નક્કી કરવામાં આવ્યા છે. પહેલી સેમિફાઇનલ કોલકાતામાં અને બીજી કોલંબોમાં રમાશે. ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે T20 વર્લ્ડ કપનું આયોજન કરશે. ફાઇનલ 8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જો પાકિસ્તાન ફાઇનલમાં પહોંચે છે, તો ટાઇટલ મેચ કોલંબોમાં રમાશે.
T20 વર્લ્ડ કપ 2024ની જેમ, આગામી વર્લ્ડ કપમાં 20 ટીમો ભાગ લેશે. ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. ભારત-પાકિસ્તાન મેચ 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં રમાશે. ગત વખતની જેમ, આઠ ટીમો સુપર 8 સ્ટેજમાંથી સેમિફાઇનલ અને પછી ફાઇનલમાં જશે.
ભારતના ગ્રુપમાં કોણ છે?
ભારત, પાકિસ્તાન, યુએસએ, નેધરલેન્ડ અને નામીબિયા એક જ ગ્રુપમાં ડ્રો થયા છે. ભારત તેની પહેલી મેચ 7 ફેબ્રુઆરીએ મુંબઈમાં યુએસએ સામે રમશે. જણાવી દઈએ કે, રોહિત શર્મા ભારત અને શ્રીલંકામાં આગામી T20 વર્લ્ડ કપ માટે ટુર્નામેન્ટ એમ્બેસેડર છે.
T20 વર્લ્ડ કપની પહેલી મેચ 7 ફેબ્રુઆરીએ રમાશે
ICCએ T20 વર્લ્ડ કપ 2026નું શેડ્યૂલ કર્યું જાહેર, ભારત-પાકિસ્તાન વચ્ચે 15 ફેબ્રુઆરીએ રમાશે મેચ 2 – image
ઇથિયોપિયામાં જ્વાળામુખી ફાટવાની સીધી અસર ભારત પર પણ જોવા મળી રહી છે. તેની રાખ આકાશમાં ઊંચે સુધી ફેલાઇ ગઈ છે, જેના કારણે અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનો રૂટ બદલવો પડ્યો હતો. અમુક ફ્લાઇટમાં મોડું થઈ રહ્યું છે અને અમુકને બીજા રસ્તેથી મોકલવામાં આવી રહી છે જેથી વિમાન રાખના વાદળોથી દૂર રહે.
ઇથિયોપિયાના જ્વાળામુખીની રાખના કારણે સોમવારે અનેક એરલાઇન્સે પોતાની ફ્લાઇટ રદ કરી દીધી હતી. જેમાં અકાસા એર, ઇન્ડિગો અને KLM જેવી કંપનીનો સમાવેશ થાય છે.
ઇથિયોપિયાના હાયલી દુબ્બી જ્વાળામુખી ફાટ્યા બાદ ઉત્પન્ન થયેલો વિશાળ રાખનો ગોટો તા.24મી નવેમ્બરને સોમવારે રાત્રે 11 વાગ્યા સુધીમાં દિલ્હી પહોંચી ગયો. હવામાનના જાણકારો છેલ્લાં એક દિવસથી આ રાખના વાદળને જોઈ રહ્યા હતા. આ રાખનું વાદળ લાલ સાગર પાર કરીને આશરે 130 કિ.મી પ્રતિ કલાકની ઝડપે ભારત તરફ વધી રહ્યું હતું. સૌથી પહેલાં આ રાખનું વાદળ ભારતમાં પશ્ચિમી રાજસ્થાનના જોધપુર અને જેસલમેરની ઉપરથી આવ્યું. બાદમાં ધીમે-ધીમે આ રાખનું વાદળ દિલ્હી, હરિયાણા અને રાજસ્થાનના મોટા ભાગોમાં ફેલાઇ ગયું.
નિષ્ણાતોએ જણાવ્યું કે, આ રાખનું વાદળ જમીનથી 25,000થી 45,000 ફૂટ ઊંચાઈ પર છે. તેથી, હાલ લોકોના સ્વાસ્થ્યને જોખમ નથી. પરંતુ, એવું બની શકે કે, અનેક જગ્યાએ થોડી-થોડી રાખની પરત નીચે પડે.
હવામાન વિભાગનું માનવું છે કે, મંગળવારે (25 નવેમ્બર) સવારનો સૂરજ અલગ અને ચમકીલા રંગમાં જોવા મળ્યો. રાખના કારણે પ્રકાશ પર આવી અસર પડી હતી.
CPCB (સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ)ના જણાવ્યા અનુસાર, અહીં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) સિવિયર એટલે ગંભીર શ્રેણીમાં રેકોર્ડ થયો છે. આ સ્તરે હવા ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે અને શ્વાસ લેવામાં સ્વાસ્થ્ય પર તેની તુરંત અસર જોવા મળી શકે છે.
આ સિવાય દિલ્હીની એમ્સ અને સફદરજંગ હોસ્પિટલ પાસે પણ ઝેરી ધુમ્મસ જોવા મળી રહ્યું છે. આખા વિસ્તારમાં ઝેરી ધુમ્મસના કારણે હવામાં બળતરા અનુભવાઇ રહી છે. CPCB અનુસાર, અહીં AQI 323 નોંધાયો છે. જે ખૂબ જ ખરાબ શ્રેણીમાં આવે છે. આવા સ્તરમાં હવા શ્વાસ લેવા લાક નથી હોતી અને ખાસ કરીને વડીલ, બાળકો તેમજ અસ્થમાના દર્દીને વધુ જોખમ હોય છે.
અમેરિકાની હવમાનાની આગાહી વિશે જાણકારી આપનારી વેબસાઇટ એક્યૂવેધર અનુસાર, દિલ્હી અને તેની આસપાસના મોટા ભાગના વિસ્તારોમાં સવારે 6 વાગ્યે AQI 300ની આસપાસ રહ્યો.
CPCB અનુસાર, રાત્રે બે વાગ્યે દિલ્હી-એનસીઆરના મોટાભાગના વિસ્તારમાં AQI 350 પાર રહ્યો છે.
મળતી માહિતી મુજબ. ઇથિયોપિયાના જ્વાળામુખીથી નીકળેલું રાખનું વાધળ મોટાભાગે સલ્ફર ડાયોક્સાઇડથી બનેલું છે. આ વાદળમાં જ્વાળામુખીની રાખની માત્રા ઓછાથી મધ્યમ છે. આ રાખનું વાદળ હવે ઓમાન-અરબ સસાગરના રસ્તેથી મધ્ય ગુજરાતના મેદાની વિસ્તારો સુધી ફેલાઇ ગયું છે.
નોંધનીય છે કે, આ વાદળની AQI પર કોઈ અસર થશે નહીં. જોકે, નેપાળ, હિમાલયના વિસ્તાર અને ઉત્તર પ્રદેશના તરાઈ પ્રદેશમાં સલ્ફર ડાયોક્સાઇડનું સ્તર થોડું વધી શકે છે, કારણ કે રાખના કેટલાક વાદળ પર્વતો સાથે અથડાઈને ચીન તરફ આગળ વધશે. મેદાનોમાં રાખ પડવાની શક્યતા ખૂબ ઓછી છે, જોકે કેટલાક વિસ્તારોમાં થોડી અસર થઈ શકે છે. આ આખું રાખનું વાદળ વાતાવરણના મધ્ય-સ્તરમાં છે, તેથી જમીન પર હવાની ગુણવત્તા પર કોઈ અસર થશે નહીં. રાખનું વાદળ ધીમે ધીમે દિલ્હી, હરિયાણા અને રાજસ્થાન તરફ પણ જશે, પરંતુ સપાટી પર કોઈ પ્રતિકૂળ અસર નહીં થાય. ફક્ત ફ્લાઇટ રિરુટિંગ અથવા વિલંબ થવાની સંભાવના છે, કારણ કે આ વાદળ વિમાનની સલામતીને અસર કરી શકે છે. સપાટી પર કણો પડવાની શક્યતા ખૂબ ઓછી છે.
DGCAની એડવાઇઝરી
રવિવારે ઇથોપિયાના હેઇલ ગબ્બિન જ્વાળામુખીના વિસ્ફોટ બાદ, ભારતના નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ બધી એરલાઇન્સને એક એડવાઇઝરી જાહેર કરી હતી, જેમાં તેમને ઊંચાઈ પર અને જ્વાળામુખીની રાખ ફેલાતી હોય તેવા વિસ્તારો પર ઉડાન ટાળવાની સલાહ આપવામાં આવી હતી. રાખના વાદળ વિમાનના એન્જિન અને ફ્લાઇટ સલામતી માટે જોખમ ઊભો કરી શકે છે, તેથી એરલાઇન્સને તેમના રૂટ અને ઊંચાઈ બદલવાની સલાહ આપવામાં આવી છે. આ પરિસ્થિતિ ભારત માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કારણ કે, રાખના સૂક્ષ્મ કણો વિમાનના એન્જિનને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. તેથી, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ તમામ ભારતીય એરલાઇન્સને તાત્કાલિક ચેતવણી જારી કરી છે.
સાઉથ આફ્રિકા સામેની વન-ડે સિરીઝ માટે ભારતની ટીમ જાહેર : લાંબા સમયની આતુરતા પછી વિરાટ કોહલી અને રોહિત શર્મા ઘરઆંગણે રમતા જોવા મળશે : રવીન્દ્ર જાડેજા અને ઋતુરાજ ગાયકવાડનું કમબૅક : અક્ષર પટેલ આઉટ : જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજને આરામ
સાઉથ આફ્રિકા સામે ૩ મેચની વન-ડે સિરીઝ માટે કે. એલ. રાહુલને ભારતીય ટીમનો કૅપ્ટન જાહેર કરવામાં આવ્યો છે. ટીમ ઇન્ડિયાનો રેગ્યુલર કૅપ્ટન શુભમન ગિલ અને વાઇસ કૅપ્ટન શ્રેયસ ઐયર બન્ને ઈજાને કારણે રમી શકે એમ ન હોવાથી સિલેક્ટર્સે રાહુલની પસંદગી કરી છે. આ સિરીઝ માટે જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજને આરામ આપવામાં આવ્યો છે, જ્યારે મોહમ્મદ શમીને ટીમમાં સ્થાન મળ્યું નહોતું.
રોહિત શર્મા, વિરાટ કોહલી, તિલક વર્મા, રિષભ પંત, રવીન્દ્ર જાડેજા અને ઋતુરાજ ગાયકવાડને પણ ટીમમાં સમાવી લેવામાં આવ્યા છે; જ્યારે અક્ષર પટેલને સ્થાન નહોતું મળ્યું. ટીમમાં ધ્રુવ જુરેલે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. હાર્દિક પંડ્યા અવેલેબલ ન હોવાને લીધે નીતીશ કુમાર રેડ્ડીએ પણ તેનું સ્થાન જાળવી રાખ્યું છે. ૩૦ નવેમ્બરે રાંચીમાં પહેલી વન-ડેથી આ સિરીઝની શરૂઆત થશે.
ગુજરાતમાં ખાદ્યતેલના ભાવ આસમાને પહોંચ્યા છે. સીંગતેલ ઉપરાંત કપાસીયા તેલ, પામોલીન, વનસ્પતિ ઘીના ભાવ પણ બેફામ વધારો થયો છે. ખાદ્યતેલના વધતા ભાવ લોકોથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. અમદાવાદ ખાતે સીંગતેલ (નવો ડબ્બો)નો ભાવ અમદાવાદ ખાતે 15 કિલો સીંગતેલ નવા ડબ્બાનો ભાવ નીચામાં રૂપિયા 2600, ઉપરમાં રૂપિયા 2650 રહ્યા હતા. જ્યારે સીંગતેલ નવો ડબ્બો 15 લીટરમાં રૂપિયા 2400 રહ્યા હતા.
સીંગતેલ સહિત અન્ય ખાદ્યતેલના ભાવમાં વધારો
અમદાવાદ તેલ બજારમાં કપાસીયા તેલ 15 કિલો નવા ડબ્બાનો ભાવ નીચામાં રૂપિયા 2250 અને ઊંચામાં રૂપિયા 2350 રહ્યાં હતા. જ્યારે સોયાબીન 15 કિલોમાં નવો ડબ્બો રૂપિયા 2280 હતો. દિવેલનો ભાવ રૂપિયા 2250 રહ્યો હતો.
પામોલીન નવા ડબ્બાનો ભાવ રૂપિયા 2150
અન્ય ખાદ્ય તેલોની જાતોમાં પામોલીન નવા ડબ્બાનો ભાવ રૂપિયા 2150, કોપરેટ રૂપિયા 5800, સરસીયુ મોળું રૂપિયા 2470, સરસીયુ તીખુ રૂપિયા 2600 રહ્યા હતા. 15 લીટરમાં સનફ્લાવર તેલ રૂપિયા 2280, મકાઈ તેલ 15 લીટરમાં રૂપિયા 2100, કપાસીયા તેલ પાંચ લીટર રૂપિયા 700થી રૂપિયા 730 રેન્જમાં કામકાજ ધરાવતા હતા. જ્યારે સીંગતેલ 5 લીટરનો ભાવ રૂપિયા 750થી રૂપિયા 790 વચ્ચે રહ્યો હતો.
દેશમાં આજથી ચાર નવા લેબર કોડ લાગુ કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. નવા કાયદામાં શ્રમિકો અને નોકરીદાતાના હિતમાં અનેક બાબતો સામે કરાઈ છે. કાયદા મુજબ હવે નવા શ્રમિકોને ફરજિયાત નિમણૂક પત્ર આપવા પડશે. આ ઉપરાંત સમયસર પગાર અને લઘુતમ વેચન પણ આપવું પડશે. કેન્દ્ર સરકારે જૂના 29 શ્રમ કાયદાઓ ખતમ કરીને ચાર નવા કાયદા લાગુ કર્યા છે. સરકારે કહ્યું છે કે, નવા કાયદાના કારણે શ્રમિકોની સુરક્ષા વધશે, ઉદ્યોગો માટે પણ સ્પર્ધાત્મક વાતાવરણ બનશે. શ્રમ મંત્રાલયે જણાવ્યું છે કે, નવા કાયદા દ્વારા તમામ શ્રમિકોને, ખાસ કરીને અનૌપચારિક ક્ષેત્રના કામદારો, ગિગ વર્કર્સ, પ્રવાસી મજૂરો અને મહિલાઓ માટે શ્રેષ્ઠ વેતન, સામાજિક સુરક્ષા અને સ્વાસ્થ્ય-સુરક્ષાની ખાતરી આપવામાં આવશે.
ચાર નવા કાયદા
(1) Code on Wages (2019)
(2) Industrial Relations Code (2020)
(3) Code on Social Security (2020)
(4) Occupational Safety, Health & Working Conditions (OSHWC) Code (2020)
ચાર નવા કાયદાઓની મુખ્ય બાબતો…
1… નિમણૂંક પત્ર : હવે તમામ શ્રમિકોની નોકરી શરુ થાય તે સમયે નિમણૂક પત્ર આપવાનું ફરજિયાત કરાયું છે. આનાથી રોજગાર અને શરતોમાં પારદર્શિતા વધશે.
2… લઘુતમ વેતન : દેશભરમાં લઘુતમ વેતન લાગુ કરવામાં આવશે, જેથી કોઈ પણ પગાર એટલો ઓછો ન હોય કે જીવન નિર્વાહ મુશ્કેલ બની જાય.
4… સ્વાસ્થ્ય અને સુરક્ષા : 40 વર્ષથી વધુ ઉંમરના તમામ શ્રમિકો માટે વાર્ષિક મફત આરોગ્ય તપાસ (Health Checkup) ફરજિયાત કરવામાં આવશે. આ ઉપરાંત, એક રાષ્ટ્રીય OSH બોર્ડ દ્વારા ઉદ્યોગોમાં સુરક્ષા ધોરણોને એકસમાન (સમાનરૂપ) બનાવવામાં આવશે.
5… મહિલાઓ માટે સમાનતા : મહિલાઓ હવે રાતની શિફ્ટમાં કામ કરી શકશે, જેની અગાઉ ઘણા સેક્ટરોમાં મંજૂરી નહોતી. જોકે આ માટે નોકરી દાતાએ સુરક્ષાનાં પગલાં અને તેમની મંજૂરી સુનિશ્ચિત કરવી પડશે.
6… અનૌપચારિક શ્રમિકોને સુરક્ષા : ગિગ વર્કર્સ અને પ્લેટફોર્મ વર્કર્સને પ્રથમ વખત કાનૂની ઓળખ મળશે. તેમને પીએફ, વીમો અને પેન્શન જેવા સામાજિક સુરક્ષા લાભો મળી શકશે અને પ્લેટફોર્મ કંપનીઓએ તેમના માટે યોગદાન આપવું પડશે.
7… કાનૂની અનુપાલન સરળ : હવે અનેક રજિસ્ટ્રેશન અને રિપોર્ટિંગ પ્રક્રિયાઓને બદલે સિંગલ લાઇસન્સ અને સિંગલ રિટર્ન મોડેલ આવશે, જેનાથી કંપનીઓ પરનો અનુપાલન બોજ ઘટશે.
વિવાદોનું સમાધાન કરવા માટે બે સભ્યનું ટ્રિબ્યુનલ
આ ઉપરાંત નવી વ્યવસ્થામાં ‘ઇન્સ્પેક્ટર-કમ-ફેસિલિટેટર’ હશે, જેઓ મોટાભાગે માર્ગદર્શન આપશે અને દંડાત્મક કાર્યવાહી નહીં કરે. ઔદ્યોગિક વિવાદોનું સમાધાન કરવા માટે બે સભ્યનું ટ્રિબ્યુનલ હશે, જ્યાં કર્મચારીઓ સીધી રીતે જઈ શકે છે. સરકારનો દાવો છે કે, આ સંહિતાઓના કારણે શ્રમિકોને વ્યાપક સામાજિક સુરક્ષા અને સન્માન મળશે, જ્યારે ઉદ્યોગોને ઓછી જટિલતા અને શ્રેષ્ઠ મૂડી રોકાણ માટેની તક મળશે.
Date 21/11/25 વિદેશી હુંડીયામણ બજારમાં આજે અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો ૮૯.૪૯ના નવા તળીયે પટકાયો હતો. જોકે, કામકાજના અંતે તે ૮૯.૪૨ના મથારે બંધ રહ્યો હતો. ડોલરના ભાવ આજે રૂપિયા સામે ઝડપી ૭૧ પૈસા વધી જતાં ડોલર સામે રૂપિયો ૦.૭૯ ટકા ગબડયો હતોે.
શેરબજાર તૂટતાં કરન્સી બજારમાં આજે રૂપિયા પર દબાણ વધ્યું હતું સામે રૂપિયાને તૂટતો અટકાવવા માટે રિઝર્વ બેન્કના પ્રયત્નો પણ આજે અપેક્ષા કરતાં ધીમા રહ્યા હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. ડોલરના ભાવ રૂ.૮૮.૭૧ વાળા આજે સવારેે રૂ.૮૮.૬૯ ખુલી નીચામાં ભાવ રૂ.૮૮.૬૦ સુધી ઉતર્યા પછી ભાવ ઝડપી ઉછળી ઉંચામાં રૂ.૮૯ની સપાટી પાર કરી રૂ.૮૯.૪૯ની નવી ટોચ બતાવી છેલ્લે રૂ.૮૯.૪૨ બંધ રહ્યા હતા.
વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ તૂટતાં ઘરઆંગણે કરન્સી બજારમાં આજે આરંભના સોદાઓમાં ડોલર સામે રૂપિયો ઉંચો રહ્યો હતો પરંતુ ત્યારબાદ શેરબજાર તૂટતાં રૂપિયો બપોર પછી ઝડપી ગબડતો જોવા મળ્યો હતો. દરમિયાન, કરન્સી બજારમાં ચર્ચાતી વાતો મુજબ ઈરાનના ક્રૂડ ઓઈલના ટ્રેડના સંદતર્ભમાં અમેરિકાએ ભારતની અમુક કંપનીઓ સામે વિવિધ અંકુશો લાદતાં કરન્સી બજારમાં રૂપિયામાં તીવ્ર પીછેહટ દેખાઈ હતી.
આ પૂર્વે રૂપિયામાં રૂ.૮૮.૮૦ના તળિયાના ભાવ સપ્ટેમ્બરમાં દેખાયા હતા અને આજે રૂપિયો ઝડપી તૂટી રૂ.૮૯ના નવા તળિયાને તોડી રૂ.૮૯.૪૯ સુધી ઉતરી જતાં કરન્સી બજારના ખેલાડીઓ સ્તબ્ધ બની ગયા હતા. રૂપિયો તૂટતાં તથા ડોલરના ભાવ ઉછળતાં દેશમાં આયાત થતી વિવિધ ચીજોની ઈમ્પોર્ટ કોસ્ટ હવે વધી જશે તથા તેના પગલે ફુગાવો તથા મોંઘવારી વધી જવાની ભીતિ બજારના જાણકારો બતાવી રહ્યા હતા.
ભારતમાં વેપાર ખાધ વધતાં તથા નિકાસમાં ઘટાડો નોંધાતાં તેની અસર પણ રૂપિયા પર નેગેટીવ જોવા મળી હતી. સોનાની આયાત વધતાં તેની અસર પણ કરન્સી બજાર પર દેખાઈ હતી. દરમિયાન, ભારત તથા અમેરિકા વચ્ચે વેપાર કરારમાં થઈ રહેલા વિલંબના પગલે પણ રૂપિયા પર દબાણ વધ્યું હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા.
વિશ્વ બજારના સૂત્રોના જણાવ્યા મુજબ અમેરિકામાં આગળ ઉપર વ્યાજના દરમાં વધુ ઘટાડો થવાની શક્યતા ઘટતાં તેની અસર ડોલર પર પોઝીટીવ તથા રૂપિયા પર નેગેટીવ જોવા મળી હતી. આગળ ઉપર ડોલરના ભાવ વધુ વધી રૂ.૯૦ થઈ જવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. વિશ્વ બજારમાં ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ વધી ઉંચામાં ૧૦૨થી ૧૦૩ સુધી જવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. દેશમાંથી ડોલરનો આઉટફલો પણ વધ્યાની ચર્ચા બજારમાં આજે સંભળાઈ હતી.
ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ આજે ઉંચામાં ૧૦૦.૧૯ થઈ ૧૦૦.૦૭ રહ્યાના સમાચાર મળ્યા હતા. દરમિયાન, રૂપિયા સામે આજે બ્રિટીશ પાઉન્ડના ભાવ ૧૧ પૈસા વધી ૧૧૬.૧૩ રહ્યા હતા જ્યારે યુરોપીયન કરન્સી યુરોના ભાવ ૧૯ પૈસા વધી રૂ.૧૦૨.૪૫ રહ્યા હતા. જાપાનની કરન્સી આજે ૦.૩૩ ટકા ઘટી હતી.ચીનની કરન્સી રૂપિયા સામે ૦.૦૭ ટકા ઉંચકાઈ હતી.
એર શોના અંતિમ દિવસે હવાઈ કરતબ કરતાં અચાનક ફાઈટર જેટમાંથી ધૂમાડો નીકળતા બંધ થયા પછી અકસ્માત સર્જાયો
તેજસના અકસ્માતનું કારણ જાણવા એરફોર્સે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપ્યો
દુબઈ : દુનિયાના સૌથી મોટા એર શોમાંના એક દુબઈ એર શોમાં શુક્રવારે ભારતનું સ્વદેશી મલ્ટી-રોલ લાઈટ કોમ્બેટ ફાઈટર જેટ તેજસ હવામાં કરતબ બતાવતા અચાનક તૂટી પડયું હતું. આ વિમાન અકસ્માતમાં ભારતીય એરફોર્સના પાઈલટ નયન સ્યાલનું પણ મોત નીપજ્યું હતું. ભારતીય કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સના ફાઈટર વિમાનના અકસ્માત અંગે ભારતીય એરફોર્સેે તપાસનો આદેશ આપી દીધો છે. આ પહેલાં માર્ચ ૨૦૨૪માં જેસલમેરમાં તેજસ ફાઈટર જેટનો પહેલો અકસ્માત થયો હતો.
દુબઈમાં પાંચ દિવસના એર શોનો શુક્રવારે અંતિમ દિવસ હતો. દુનિયાના ૨૦૦ જેટલા ફાઈટર જેટ અહીં આવ્યા હતા. અલ મક્તૂમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ભારતનું સ્વદેશી તેજસ ફાઈટર જેટ હવાઈ કરતબ કરતું હતું ત્યારે અચાનક જ બપોરે ૨.૧૦ કલાકે વિમાન તૂટી પડયું હતું. આ દુર્ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે તેજસ વિમાન ઉપર જાય છે અને હવામાં કરતબ કરતું નીચે આવે છે. પછી ફરીથી ઉડ્ડયન કરતા ઉપર જાય છે. ત્યાં સુધી તેજસ જેટમાંથી ધૂમાડો નીકળતો રહે છે. પછી અચાનક તેમાંથી ધૂમાડો નીકળતો બંધ થઈ જાય છે. ત્યાર પછી અચાનક ફાઈટર જેટ નીચે પડવા લાગે છે અને થોડીક જ સેકન્ડમાં તૂટી પડે છે. આ સમયમાં પાયલટને બહાર નીકળવાનો પણ સમય મળતો નથી. જમીન પર પડતાં જ તેજસ આગના ગોળામાં ફેરવાઈ ગયું અને થોડીક જ વારમાં ત્યાં માત્ર રાખનો ઢગલો બચ્યો હતો. મીડિયા અહેવાલ મુજબ તેજસના અકસ્માતના લગભગ દોઢ કલાક પછી એર શો માં રશિયન નાઈટ ફ્લાઈગ સાથે ફ્લાઈટ ડેમોસ્ટ્રેશન્સ ફરી શરૂ થયું હતું. આ વિમાન અકસ્માતમાં હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના પાયલટ નયન સ્યાલનું મોત નીપજ્યું હતું તેમ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. તેમણે પાયલટના નિધન બદલ ખેદ વ્યક્ત કર્યો હતો. ભારતીય એરફોર્સના પ્રવક્તાએ કહ્યંર કે, દુબઈ એર શોમાં એરફોર્સનું એક તેજસ ફાઈટર જેટ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે. એરફોર્સ પાયલટના મૃત્યુ પર ખેદ વ્યક્ત કરે છે અને આ દુ:ખના સમયમાં સંપૂર્ણ રીતે પાયલટના શોકગ્રસ્ત પરિવારની સાથે છે. દુર્ઘટનાનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીના આદેશ આપી દેવાયા છે. અકસ્માતનું કારણ વ્યાપક તપાસ પછી સામે આવશે.
પાયલટ એર શો જોવા આવેલા લોકો માટે ડેમોસ્ટ્રેશન ફ્લાઈટ ઉડાવી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. વિમાન અકસ્માતની જાણ થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, સીડીએસ જન. અનિલ ચૌહાણ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પાયલટના મોત અંગે ખેદ વ્યક્ત કર્યો હતો અને પાયલટના પરિવારને સાંત્વના પાઠવી હતી તેમજ આ મુશ્કેલ સમયમાં સમગ્ર રાષ્ટ્ર તેમની સાથે છે તેમ કહ્યું હતું.
વર્ષ ૨૦૦૧માં પહેલી ટેસ્ટ ફ્લાઈટથી લઈને ૨૪ વર્ષના ઈતિહાસમાં સિંગલ સીટર ફાઈટર જેટ તેજસના માત્ર બે જ અકસ્માત થયા છે, જેમાં પહેલો અકસ્માત ગયા વર્ષે માર્ચમાં રાજસ્થાનના જેસલમેરમાં થયો હતો. તે સમયે પોખરણના રણમાં ત્રણેય સૈન્યના સૈન્ય અભ્યાસ ‘ભારત શક્તિ’માં ભાગ લઈને તેજસ પાછં ફરતું હતું ત્યારે અકસ્માત થયો હતો. તેજસનો બીજો અકસ્માત શુક્રવારે દુબઈમાં થયો હતો. જોકે, કોઈ આંતરરાષ્ટ્રી એર શોમાં તેજસનો આ પહેલો અકસ્માત હતો. તેજસ ફાઈટર જેટે ૨૦૦૧માં પહેલું ઉડ્ડયન કર્યા પછી ૨૩ વર્ષ સુધી તેના અકસ્માતનો એક પણ કેસ નોંધાયો નહોતો.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.