આયુષ્યમાન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના (એબી-પીએમજેએવાય) હેઠળ 70 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના તમામ નાગરિકો માટે વડાપ્રધાન મોદી દ્વારા આરોગ્ય વીમાની શરૂઆત 29 ઓક્ટોબરે થવાની સંભાવના છે તેમ સત્તાવાર સૂત્રોએ આ માહિતી આપી હતી.નિયમિત ટીકાકરણનું ઇલેકટ્રોનિક રજિસ્ટર બનાવી રાખવા માટે વિકસિત યુ-વિન પોેર્ટલને પણ તે જ દિવસે વડાપ્રધાન દ્વારા શરૂ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બે ઉપરાંત મંગળવારે કેટલાક અન્ય પ્રોજેક્ટ્સ પણ શરૂ કરવામાં આવશે.
70 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકોને તેમની આવક ધ્યાનમાં લીધા વગર આયુષ્યમાન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજનામાં આવરી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સરકારના આ નિર્ણયથી 6 કરોડ વરિષ્ઠ નાગરિકોને ફાયદો થશે. આ સ્કીમ હેઠળ 70 વર્ષથી વધુ ઉંમરની વ્યકિત પછી ભલે તે ગરીબ હોય કે ધનવાન તમામને મફતમાં પાંચ લાખ રૂપિયાની મફત સારવાર આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે 1 સપ્ટેમ્બર, 2024 સુધીમાં 12696 ખાનગી હોસ્પિટલો સહિત 29648 હોસ્પિટલોમાં એબી-પીએમજેએવાયના લાભાર્થીઓને મફત સારવાર આપવામાં આવે છે.
દિલ્હી, ઓડિશા અને પશ્ચિમ બંગાળને છોડીને દેશના 33 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આ યોજના અમલી છે. આધાર કાર્ડ અનુસાર જે વ્યકિતની ઉંમર 70 કે તેથી વધારે હોય તે આ સ્કીમ માટે અરજી કરી શકે છે તેમ સૂત્રોએ જણાવ્યું છે.
15 લાખથી વધુનું સ્થળાંતર : બંગાળમાં ત્રણ હોડી ડૂબતા 16 માછીમાર લાપતા પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ સહિત પૂર્વોત્તરના રાજ્યોમાં ભારે વરસાદ પડયો : ઓડિશામાં સ્કૂલ-કોલેજો, જગન્નાથ, કોણાર્ક મંદિર બંધ કરાયા ચક્રવાતી તોફાન દાના ‘દાનવ’ બનીને ગુરુવારે મોડી રાત પછી ઓડિશા અને પશ્ચિમ બંગાળ પર ત્રાટક્યું હતું. વાવાઝોડું ત્રાટકે તે પહેલાં તકેદારીના ભાગરૂપે ગુરુવારે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં 300થી વધુ ફ્લાઈટ્સ અને 552 ટ્રેનો રદ કરી દેવાઈ હતી. આ સિવાય ઓડિશામાં 10લાખથી વધુ જ્યારે બંગાળમાં ઓડિશા અને પશ્ચિમ બંગાળ સહિત સાત રાજ્યો પર વાવાઝોડાંની અસર થઈ હતી. વાવાઝોડાના કારણે ઝારખંડ, બિહાર, છત્તીસગઢ, મધ્ય-પ્રદેશમાં પણ ભારે વરસાદ ખાબક્યો હતો. ભારે પવન સાથે વરસાદ પણ જોરદાર પડી રહ્યું છે.
વાવાઝોડું દાના ઓડિશામાં પ્રતિ કલાક 120 કિ.મી.ની ઝડપે ભિતરકનિકા નેશનલ પાર્ક અને ધામરા પોર્ટના દરિયા કિનારાના વિસ્તારમાં ટકરાયું હતું. આ સમયે સમુદ્રના મોજા બે મીટર ઊંચા ઉછળ્યા હતા. વાવાઝોડના કારણે ઓડિશામાં ભારે વરસાદ પડયો હતો. ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માંઝીએ ક્હયું હતું કે, તેમની સરકાર ‘ઝીરો કેઝ્યુલિટી’ માટે કટિબદ્ધ છે. આ માટે દરેક પ્રકારની વ્યવસ્થા કરી દેવાઈ છે. પીએમ મોદી સતત વાવાઝોડા દાના અંગે માહિતી મેળવી રહ્યા છે.
ઓડિશામાં 14 જિલ્લામાં 10 લાખથી વધુ, પશ્ચિમ બંગાળમાં 3.50 લાખથી વધુ અને અન્ય રાજ્યોમાંથી પણ હજારો લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું છે. વાવાઝોડાના પગલે સર્જાનારી કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે એનડીઆરએફની 19 ટીમો, ઓડિશા આરએએફની 51, ફાયર સર્વિસની 220 અને વન વિભાગની 95 ટીમો સહિત 385 રેસ્ક્યુ ટીમો તૈનાત કરાઈ છે. આ સિવાય ઓડિશા પોલીસના જવાનોની 150 પ્લાટૂન્સને પણ બચાવ કામગીરી માટે તૈનાત રખાઈ છે.
ભુવેશ્વર એરપોર્ટ ગુરુવારે સાંજથી આગામી 16 કલાક માટે બંધ કરી દેવાયું હતું, જેને પગલે 300થી વધુ ફ્લાઈટ્સ રદ કરી દેવાઈ હતી. ઓડિશામાં સ્કૂલ અને કોલેજો બે દિવસ માટે બંધ કરી દેવાયા છે. ભારતીય રેલવેએ પણ ઓડિશા અને બંગાળમાં ૫૫૨થી વધુ ટ્રેનોનું સંચાલન રદ કર્યું હતું. પુરી જગન્નાથ મંદિર પરિસરમાંથી બધા જ અસ્થાયી ટેન્ટ હટાવી દેવાયા છે જ્યારે વિશ્વવિખ્યાત કોણાર્ક મંદિર બે દિવસ માટે બંધ કરી દેવાયું છે.
વાવાઝોડા દાનાની અસરના પગલે માત્ર ઓડિશા જ નહીં પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, છત્તિસગઢ સહિત પૂર્વોત્તરના રાજ્યો પર અસર જોવા મળી હતી. દાના ઓડિશામાં ત્રાટકે તે પહેલાં પશ્ચિમ બંગાળમાં શમશેરગંજ અને ફરક્કા વિસ્તારમાં આંધી-તોફાન જોવા મળ્યા હતા. તેની ઝપેટમાં આવતા ત્રણ હોડી ડૂબી ગઈ હતી અને 16 માછીમાર લાપતા થઈ ગયા હતા. તેમની શોધ ચાલુ છે. માછીમારો સાથે 10થી 12 વર્ષના અનેક બાળકો પણ હોડીઓમાં સવાર હતા.
ઝારખંડમાં પણ વાવાઝોડાની અસરના કારણે ગુરુવારે આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. હવામાન વિભાગે પશ્ચિમી સિંહભૂમ, સરાયકેલા-ખરસાવાં અને પૂર્વીય સિંહભૂમ જિલ્લામાં ભારે વરસાદના પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાઈ હતી.
સુપ્રીમ કોર્ટે ગુરુવારે Date 24/10/2024 પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના નિર્ણયને રદ્દ કર્યો હતો. આ નિર્ણયમાં પીડિતાની ઉંમર નિર્ધારિત કરવા માટે આધાર કાર્ડમાં લખેલી જન્મતારીખને સ્વીકારવાનું કહેવામાં આવ્યું હતું.
જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ ઉજ્જલ ભુયાનની બેન્ચે ઉંમરના પુરાવા તરીકે આધાર કાર્ડનો ઉપયોગ અયોગ્ય ગણાવ્યો હતો. તેમણે નોંધ્યું કે, મૃતકની ઉંમર નક્કી કરવા માટે આધાર કાર્ડમાં નોંધાયેલી જન્મતારીખનો ઉલ્લેખ કરવાને બદલે મૃતકની ઉંમર જુવેનાઈલ જસ્ટિસ અધિનિયમ ૨૦૧૫ની કલમ ૯૪ હેઠળ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટના આધારે નક્કી કરી શકાય છે.
આ કેસમાં મોટર એક્સિડેન્ટસ ક્લેમ ટ્રિબ્યુનલ દ્વારા નક્કી કરવામાં આવેલા રૂ. ૧૯,૩૫,૪૦૦ના વળતરને હાઈકોર્ટે ઘટાડીને રૂ. ૯,૨૨,૩૩૬ કર્યું હતું કારણકે, મૃતકના આધાર કાર્ડમાં નોંધવામાં આવેલી જન્મ તારીખ પર આધાર રાખીને તેની ઉંમર ૪૭ વર્ષની ગણીને ૧૩નો ગુણાંક લાગુ કરવામાં આવ્યો હતો.
અપીલકર્તાએ હાઈકોર્ટના નિર્ણયને સર્વોચ્ચ અદાલતમાં પડકાર્યો હતો. તેમણે અરજીમાં કહ્યું કે, મૃતકની ઉંમરની ગણતરી કરવા માટે આધાર કાર્ડનો ઉલ્લેખ કરવામાં ભૂલ થઈહતી. તેમની દલીલ હતી કે, મૃતકના સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ મુજબ તેની ઉંમર ૪૫ વર્ષની હતી અને તે મુજબ ૧૪નો ગુણાંક લાગુ થવો જોઈએ.
રેલ્વે મંત્રી અશ્વીની વૈષ્ણવે પ્રેસ મીટમાં જણાવ્યું હતું કે આ વર્ષે દિવાળી અને છઠ્ઠ પૂજા નિમિત્તે દૈનિક બે લાખ વધારાના મુસાફરોની સુવિધા માટે સાત હજાર વિશેષ ટ્રેન દોડાવશે. રેલવે અધિકારીએ જણાવ્યું હતું કે તહેવારોની ભીડને પહોચી વળવા ગત વર્ષે દિવાળી અને છઠ્ઠ પૂજા નિમિત્તે ૪૫૦૦ વિશેષ ટ્રેનો દોડાવી હતી મુસાફરોની સંખ્યામાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને મંત્રાલયે આ વર્ષે સેવાઓમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આ સમયગાળા દરમિયાન દેશના પૂર્વીય ભાગોમાં મોટી સંખ્યામાં મુસાફરો મુસાફરી કરતા હોવાથી આ ભાગમાં ઉત્તર રેલવે વધુ સંખ્યામાં ટ્રેનો દોડાવશે. ઉત્તર રેલવેએ એક યાદીમાં જણાવ્યું હતું કે મુસાફરોને તેમના ગંતવ્ય સુધી પહોચાડવા માટે ૩૦૫૦ વિશેષ ટ્રેનો દોડાવવામાં આવશે. ભારતીય રેલવેએ વર્ષ ૨૦૨૩માં ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડાવી હતી જેમાં ઉત્તર રેલવેએ ૧,૦૮૨ ટ્રેનો દોડાવી હતી જેમાં આ વર્ષે ૩૦૫૦ ટ્રેનોની ટ્રીપ્સ દોડાવશે. સ્પેશિયલ ટ્રેનો ઉપરાંત રૂટીન ્રટ્રેેનોમાં મુસાફરોનો રસ જોઇને કોચમાં વધારો કરવામાં આવી રહ્યો છે.
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન કે. રામ મોહન નાયડુએ આજે જણાવ્યું હતું કે ભારતે સ્થાનિક પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવા માટે ડ્રોનની આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. આંધ્ર પ્રદેશના અમરાવતી ખાતે બે દિવસીય રાષ્ટ્રીય ડ્રોન શિખર સંમેલનને સંબોધતા નાગરિક ઉડ્ડયન મંત્રીએ કહ્યું હતું કે સરકારે ડ્રોનની આયાત પર પ્રતિબંધ એટલા માટે મુક્યો છે, કારણ કે તે ઇચ્છતી નથી કે ભારતની કિંમત પર કોઇ અન્ય દેશ અથવા કંપનીને ફાયદો થાય.
નાયડુએ કહ્યું હતું કે “અમે ડ્રોનની કુલ આયાત પર પ્રતિબંધ મુક્યો છે, અમે તે શા માટે કર્યું? અમે આ ડ્રોન સેક્ટરમાં વધુ સ્ટાર્ટઅપ્સને આવવા માટે પ્રોત્સાહિત કરવા માંગીએ છીએ. અમે ઇચ્છીએ છીએ કે આ દેશના લોકો ડ્રોનનું ઉત્પાદન કરે. અમે ડ્રોનની આયાત કરવા માંગતા નથી. આ અંગેનો લાભ કોઈ અન્ય દેશ અથવા કોઈ અન્ય કંપનીને આપવા માંગતા નથી. કેન્દ્રીય મંત્રીના જણાવ્યા અનુસાર સરકાર ઈચ્છે છે કે દેશના યુવા અને પ્રતિભાશાળી લોકો દેશના સ્વદેશી સમાધાનો પુરા કરવા માટે નવા પ્રકારના ડ્રોન વિકસિત કરે, તેથી આ માનસિકતા સાથે અમે આયાત પર પ્રતિબંધ મૂક્યો છે.
ઉડ્ડયન મંત્રીએ એ વાત પર પ્રકાશ પાડ્યો હતો કે કેન્દ્ર સરકારે ડ્રોન ઇકોસિસ્ટમ માટે નિયમોને ઉદાર બનાવ્યા છે અને 27 કંપનીઓને પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ (પીએલઆઇ) યોજનાનો લાભ મેળવવા સક્ષમ બનાવી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત ડ્રોન હબ તરીકે ઉભરી આવ્યું છે. તેમણે કહ્યું કે સરકાર આ ઉદ્યોગને વધુ આગળ વધારવા માંગે છે.
તેમણે કહ્યું હતું કે ભવિષ્યમાં આંધ્ર પ્રદેશમાં એક ડ્રોન હબની સંભાવના છે. અમે એ સુનિશ્વિત કરવા માંગીએ છીએ કે આંધ્રપ્રદેશ પોતાની ક્ષમતા અનુસાર વિકાસ કરે. સરકાર ખાતરી કરવા માંગે છે કે દક્ષિણનું રાજ્ય વિશ્વમાં ડ્રોન હબ તરીકે ઉભરી આવે. આ મેગા-ડ્રોન સમિટમાં ડ્રોન હેકાથોન, પ્રદર્શનો અને ઉદ્યોગ નિષ્ણાતો ભાગીદારી કરશે. સમિટમાં 1,711 પ્રતિનિધિ અને 1,306 મુલાકાતી ભાગ લે તેવી અપેક્ષા છે.
વૈશ્વિક સ્તરના પ્રતિકૂળ અહેવાલો પાછળ વૈશ્વિક બજારોમાં સેન્ટીમેન્ટ ડહોળાવાની સાથોસાથ વિદેશી રોકાણકારોની જંગી વેચવાલી સહિતના અન્ય અહેવાલો પાછળ આજે ભારતીય શેરબજારમાં કડાકો બોલી જવા પામ્યો હતો. જેના પગલે કામકાજના અંતે રોકાણકારોની
સંપત્તિમાં (બીએસઇ માર્કેટકેપ.) રૂ.૯.૨૦ લાખ કરોડનું ધોવાણ થવા પામ્યું હતું. ચીન દ્વારા રાહત પેકેજો જાહેર કરાતા વિદેશી રોકાણકારો ભારત છોડીને ચીન તરફ વળ્યાના અહેવાલોની સાથોસાથ વિદેશી શેરબજારોમાં પણ મોટા પાયે વેચવાલીના અહેવાલોની ભારતીય બજાર પર પ્રતિકૂળ અસર થવા પામી હતી. આ ઉપરાંત ઘર આંગણે અત્યાર સુધી કંપનીઓ દ્વારા જાહેર કરાયેલ પરિણામોમાં નફા વૃદ્ધિમાં રૂકાવટ આવ્યાના અહેવાલોની પણ બજાર પર પ્રતિકૂળ અસર થઇ હતી. આ ઉપરાંત ઉંચા વેલ્યુએશનની પણ બજાર પર પ્રતિકૂળ અસર થઈ હતી. આજે લાર્જકેપની સાથે સ્મોલકેપ અને મીડકેપ શેરોમાં પણ મોટા પાયે ગાબડા નોંધાયા હતા.
આ અહેવાલો પાછળ આજે વિદેશી રોકાણકારોની આગેવાની હેઠળ ફંડો તેમજ ઓપરેટરો સહિત ચોમેરથી આવેલ વેચવાલીના ભારે દબાણે આજે સેન્સેક્સમાં છેલ્લા કલાકમાં ભારે પેનિંક આવતા કામકાજના અંતે ૯૩૦ પોઈન્ટ તૂટીને ૮૦૨૨૦ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૩૦૯ પોઈન્ટ તૂટીને ૨૪૪૭૨ની સપાટીએ ઉતરી આવ્યો હતો.
સેન્સેક્સની નરમાઈ પાછળ આજે રોકાણકારોની સંપત્તિ પણ રૂ. ૯.૨૦ લાખ કરોડ ઘટીને રૂ. ૪૪૪.૪૫ લાખ કરોડ રહી હતી. વિદેશી રોકાણકારોએ આજે રૂ. ૩૯૭૯ કરોડની વેચવાલી હાથ ધરી હતી. આજે બીએસઈ સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૨૧૧૮ અને મીડકેપ ઇન્ડેક્સમાં ૧૧૯૦ પોઈન્ટનું ગાબડું નોંધાયું હતું.
ત્રણ દિવસમાં 19 જેટલી વિવિધ ફ્લાઈટસમાં બોમ્બ હોવાની ધમકીઓ મળતા ચોંકી ઉઠેલ દિલ્હી અને મુંબઈ પોલીસે આ મામલે અલગ-અલગ એફઆઇઆર નોંધી તપાસ હાથ ધરતાં છત્તીસગઢના રાજનાંદગાંવથી એક કિશોરની ધરપકડ કરી હતી. આ કિશોરે તેના બાકી પૈસા નહીં ચૂકવતા મિત્રને ફસાવવા માટે તેના નામે ડમી સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવી તેના પરથી ધમકીઓ પોસ્ટ કરવાનું શરુ કર્યું હોવાનો પર્દાફાશ થયો હતો.
મુંબઈ પોલીસે એરલાઈન્સને મળેલી બોમ્બની ખોટી ધમકીના મામલે એક સગીર આરોપીને છત્તીસગઢના રાજનાંદગાવથ અટકાયતમાં લીધો હતો. પોલીસ આ પ્રકરણે સગીરના પિતાની પણ પૂછપરછ કરી રહી છે. મુંબઈ પોલીસના જણાવ્યાનુસાર બોમ્બની ધમકીભર્યામેસેદ છત્તીસગઢ રાજ્યના રાજનાંદગાવથી મોકલવામાં આવ્યા હતા.
પોલીસ સૂત્રોનુસાર આરોપી સગીરનો તેના એક મિત્ર સાથે પૈસાની લેવડદેવડને લઈ ઝઘડો થયો હતો. મિત્ર ઉધારી ચૂકવવામાં આનાકાની કરી રહ્યો હોવાથી બદલો લેવાના આશયથી સગીરે તેના મિત્રતા નામે બનાવટી સોશિયલ મીડિયા એકાઉન્ટ તૈયાર કર્યું હતું અને તેને ફસાવવા વિમાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ આપી હતી.
મુંબઈથી ઉપડનારી ચાર ફ્લાઈટને સોમવારે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી હતી હતી જેમાં ઈન્ડિગોની મુંબઈ-મસ્કત, મુંબઈ-જેદ્દાહ અને એર ઈન્ડિયાની મુંબઈ-ન્યુયોર્ક ફ્લાઈટનો સમાવેશ થતો હતો. આ બોમ્બ મુકવાની ધમકીઓ આપનાર 17 વર્ષનો છોકરો એક બિઝનેસમેનનો દીકરો છે. તેને જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ સમક્ષ હાજર કરાતાં ચાર દિવસની કસ્ટડી આપવામાં આવી છે. પોલીસના સૂત્રો અનુસાર તેણે 12 ફેક કોલ અને મેસેજ કર્યા હતા.
મહારાષ્ટ્રના મુંબઈમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP – અજીત પવાર)ના નેતા બાબા સિદ્દિકીની હત્યા થઈ છે. સિદ્દિકી તેમના દીકરા જીશાન સિદ્દિકીની ઓફિસની બહાર ઊભા હતા ત્યારે ત્રણ લોકોએ તેમના પર અચાનક ફાયરિંગ કર્યું હતું. જેમાં તેમને બે છાતી-પેટના ભાગમાં અને એક પગમાં ગોળી વાગી હતી. જ્યારબાદ ગંભીર હાલતમાં તેમને તાત્કાલિક લીલાવતી હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં તેેમનું સારવાર દરમિયાન મોત થયું છે. હાલ, પોલીસે બે શંકાસ્પદ લોકોની ધરપકડ કરી છે અને એક આરોપી ફરાર છે જેની પોલીસ શોધખોળ કરી રહી છે. શંકાસ્પદ આરોપીઓમાં એક ઉત્તરપ્રદેશ અને બીજો હરિયાણાનો છે. આ ઘટના બાંદ્રા ખેરવાડી સિગ્નલ નજીક બની છે. ક્રાઈમ બ્રાંચે કેસની તપાસ શરૂ કરી છે. જણાવી દઈએ કે, બાબા સિદ્દિકી મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટું નામ હતું. તેઓ ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા હતા.
આ ઘટનામાં તાત્કાલિક કાર્યવાહી કરતા પોલીસે બે શંકાસ્પદ લોકોની ધરપકડ કરી લીધી છે. હાલ તેમની પૂછપરછ ચાલી રહી છે. બાંદ્રા ઈસ્ટમાં બાબા સિદ્દિકી પર ફાયરિંગની ઘટના બની છે, જે નિર્મલ નગર પોલીસ સ્ટેશન હેઠળની ઘટના ગણાવાય રહી છે. ઘટનાની માહિતી મળતાની સાથે જ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમો સ્પોટ પર પહોંચી ગઈ છે. મુંબઈ પોલીસે હાલ આસપાસના વિસ્તારમાં સુરક્ષા વધારી છે, તેની સાથે સાથે CCTV ફૂટેજની તપાસ શરૂ કરી છે.
બાબા સિદ્દિકીની હત્યા પર મુંબઈ પોલીસનું નિવેદન આપ્યું છે કે, ‘સોપારી કિલિંગનો મામલો હોય શકે છે, તેથી તે એન્ગલથી પણ કેસની તપાસ ચાલી રહી છે.’ મળતી માહિતી અનુસાર, બાબા સિદ્દિકીની સાથે હાજર એક વ્યક્તિને પણ પગમાં ગોળી વાગી છે. જેની સારવાર પણ લિલાવતી હોસ્પિટલમાં ચાલી રહી છે.
બાબા સિદ્દિકી પર શૂટર્સે 9.9 MM પિસ્તોલથી ફાયરિંગ કર્યું હતું. પોલીસે આ પિસ્તોલ જપ્ત કરી લીધી છે. આરોપીઓએ પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાંથી ત્રણ ગોળી બાબા સિદ્દિકીને વાગી, જેનાથી તેમનું મોત થઈ ગયું.
ગુનેગારો વિરૂદ્ધ કડક કાર્યવાહી થશે : એકનાથ શિંદે
ઘટના અંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે, ‘પોલીસને આકરી કાર્યવાહીના આદેશ અપાયા છે. ગુનેગારો વિરૂદ્ધ કડક કાર્યવાહી થશે. બે આરોપીની ધરપકડ કરાઈ ચૂકી છે. એક આરોપી હજુ ફરાર છે.’
નાયબ મુખ્યમંત્રી અજીત પવારે આવતીકાલના તમામ કાર્યક્રમ રદ્દ કર્યા છે. તેઓ આજે જ મુંબઈ પરત ફરશે. બાબા સિદ્દિકીની હત્યા બાદ અજિત પવારે કહ્યું કે, NCP નેતા, પૂર્વ રાજ્ય મંત્રી, મારા સહયોગી બાબા સિદ્દિકી જે લાંબા સમય સુધી ધારાસભ્ય રહ્યા છે તેના પર ફાયરિંગની ઘટના અત્યંત દુર્ભાગ્યપૂર્ણ, નિંદનીય અને દર્દનાક છે. મને આ જાણીને આઘાત લાગ્યો કે આ ઘટનામાં તેમનું મૃત્યુ થઈ ગયું. મેં પોતાના સારા સહકર્મી, મિત્ર ગુમાવી દીધા છે. હું આ કાયરતાપૂર્ણ હુમલાની કડક શબ્દોમાં નિંદા કરું છું. ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરાવવામાં આવશે અને હુમલાખોરો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરાશે.
જ્યારે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને વરિષ્ઠ પોલિસ અધિકારીઓ લિલાવતી હોસ્પિટલ પહોંચ્યા છે. તો બાબા સિદ્દિકીના મોતના સમાચાર બાદ બોલિવૂડ એક્ટર સલમાન ખાન પણ લિલાવતી હોસ્પિટલ પહોંચી રહ્યા છે. જણાવી દઈએ કે, સલમાન ખાન અને બાબા સિદ્દિકી નજીકના મિત્ર હતા.
બાબા સિદ્દિકીને ગોળી મારવાના સમાચાર બાદ એક્ટર સંજય દત્ત પણ લિલાવતી હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમને હોસ્પિટલથી નીકળીને પોતાની કારમાં બેસીને જતા જોઈ શકાય છે. સલમાન ખાનની જેમ સંજયદત્ત પણ બાબા સિદ્દિકીના નજીકના મિત્ર રહ્યા છે.
અસદુદ્દીન ઓવૈસીએ એનસીપી નેતાના મોત પર કહ્યું કે, બાબા સિદ્દિકીની હત્યા ખુબ જ નિંદનીય છે. આ મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થાની બગડતી સ્થિતિને દર્શાવે છે. અલ્લાહ તેમને માફ કરે. તેમના પરિવાર, મિત્રો અને સહકર્મીઓ પ્રત્યે મારી સંવેદનાઓ.
બાબા સિદ્દિકીની હત્યા પર શરદ પવારે કહ્યું કે, રાજ્યની ધ્વસ્ત થયેલી કાયદો વ્યવસ્થા ચિંતાનો વિષય છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પૂર્વ રાજ્ય મંત્રી બાબા સિદ્દિકીની ગોળી મારીને હત્યા કરવી દુઃખદ છે. જો ગૃહમંત્રી અને શાસક રાજ્યને આટલી બેદરકારીથી આગળ વધારશે તો આ સામાન્ય લોકો માટે ખતરાની ઘંટી હોય શકે છે. તેમની ન માત્ર તપાસ કરવાની જરૂર છે પરંતુ જવાબદારી સ્વીકર કરીને સત્તામાં બેઠેલા લોકોને પદ છોડવાની પણ જરૂર છે. બાબા સિદ્દિકીને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ. તેમના પરિવાર પ્રત્યે સંવેદનાઓ.
બાબા સિદ્દિકીના મોત પર ભાજપ નેતા શાહનવાઝ હુસૈને પણ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે પોતાના X હેન્ડલ પર લખ્યું કે, NCP નેતા બાબા સિદ્દિકીની દુઃખદ હત્યા અંગે સાંભળીને ખુબ દુઃખ થયું. ભગવાન તેમના પરિવારને આ દુઃખને સહન કરવાની શક્તિ આપે. મારી સંવેદનાઓ અને પ્રાર્થનાઓ તેમની સાથે છે.
દિગ્ગજ બિઝનેસમેન રતન ટાટાનું 86 વર્ષની વયે નિધન થઇ ગયું છે. આ માહિતી ટાટા ગ્રૂપે જ આપી હતી. ટાટા સમૂહે કહ્યું છે કે અપાર દુઃખ સામે અમે પ્રિય રતનના શાંતિપૂર્ણ નિધનની જાહેરાત કરીએ છીએ. અમે તેમના ભાઈ, બહેન અને સ્વજન તથા તેમની પ્રશંસા કરનારા તમામ લોકોના પ્રેમ અને સન્માનથી સાંત્વના મહેસૂસ કરીએ છીએ.
મહારાષ્ટ્રના મંત્રી દીપક કેસરકરે કહ્યું કે ઉદ્યોગપતિ રતન ટાટાના નિધનને કારણે મુંબઈમાં રાજ્ય સરકારના તમામ કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે.
રતન ટાટાને રાજકીય સન્માન સાથે વિદાય આપવામાં આવશે. મુંબઈમાં 10 વાગ્યાથી લોકો તેમના અંતિમ દર્શન કરી શકશે.
મુંબઈ પોલીસના દક્ષિણ ઝોનના એડિશનલ કમિશનર અભિનવ દેશમુખે જણાવ્યું હતું કે તેમના પાર્થિવ દેહને સવારે 10 થી બપોરે 3:30 વાગ્યા સુધી દર્શન માટે NCPA ખાતે રાખવામાં આવશે. દર્શન માટે આવનાર તમામ લોકોને અપીલ છે કે ત્યાં પાર્કિંગની સુવિધા ન હોવાથી તેઓએ પોલીસની સૂચનાનું પાલન કરવું પડશે અને આવતા પહેલા તેમની પાર્કિંગની વ્યવસ્થા કરવી પડશે. પોલીસનો સંપૂર્ણ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.
રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કરતા વિદેશ મંત્રી એસ જયશંકરે લખ્યું, “રતન ટાટાનું નિધન એક યુગનો અંત છે. તેઓ ભારતીય ઉદ્યોગના આધુનિકીકરણ અને તેનાથી પણ વધુ તેના વૈશ્વિકીકરણ સાથે ઊંડે સુધી સંકળાયેલા હતા. હું તેમને મળ્યો છું. ઘણા પ્રસંગોએ તેમની સાથે વાર્તાલાપ કરવાનો આનંદ મળ્યો અને તેમની દૂરંદેશી અને સૂઝબુઝનો લાભ મળ્યો. ઓમ શાંતિ! તેમના નિધનના શોકમાં સમગ્ર રાષ્ટ્ર સાથે જોડાઈએ.
ભારતીય રિઝર્વ બૅંકની 51મી MPC બેઠકમાં (RBI MPC Meeting Results) મોટો નિર્ણય લેવામાં આવ્યો. બે દિવસીય મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં જાહેરાત કરતાં RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે આ વખતે પણ પોલિસી રેટ(રેપો રેટ)માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે તમારી લોનની EMI યથાવત્ જ રહેશે. રિઝર્વ બૅંકે પોલિસી રેટને 6.5 ટકા પર યથાવત્ રાખવાનો નિર્ણય કર્યો છે. આ સતત 10મી વખત છે જ્યારે રિઝર્વ બૅંકે રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી.
RBI ગવર્નરે 7મી ઑક્ટોબરથી શરુ થયેલી એમપીસી બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે જણાવ્યું હતું કે, આ વખતે એમપીસીમાં ત્રણ નવા સભ્યો જોડાયા છે. વૈશ્વિક પરિબળોને ધ્યાનમાં રાખતાં બેઠકમાં છમાંથી પાંચ સભ્યોએ વ્યાજના દરો યથાવત્ રાખવા સહમતિ આપી હતી. પોલિસીનું વલણ વિડ્રોલ ઑફ અકમોન્ડેશનમાંથી બદલી ન્યુટ્રલ કરવામાં આવ્યું છે. વૈશ્વિક સ્તરે જિઓ-પોલિટિકલ ક્રાઇસિસ હોવા છતાં દેશમાં ફુગાવાને કાબૂમાં કરવામાં સફળ રહ્યા છે. આર્થિક વિકાસ થઈ રહ્યો છે. પરંતુ સાવચેતીના ભાગરૂપે હાલ પૂરતા વ્યાજના દરોમાં કોઈ ફેરફાર કરાશે નહીં.
RBI દ્વારા રેપો રેટ 6.5 ટકાના સ્તરે જાળવી રાખતાં લોન ઈએમઆઇમાં કોઈ ખાસ ફેરફાર થશે નહીં. એમસીએલઆર પર આપવામાં આવતી લોનના વ્યાજદરોમાં હાલ કોઈ વધ-ઘટ નહીં થાય. બૅન્કો RBI પાસેથી રેપો રેટના આધારે લોન લે છે. જેથી તેમાં થતાં ફેરફારની અસર ગ્રાહકોને મળતી લોન પર થાય છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.