CIA ALERT

ઇન્ડીયા Archives - Page 26 of 215 - CIA Live

October 23, 2024
1min223

વૈશ્વિક સ્તરના પ્રતિકૂળ અહેવાલો પાછળ વૈશ્વિક બજારોમાં સેન્ટીમેન્ટ ડહોળાવાની સાથોસાથ વિદેશી રોકાણકારોની જંગી વેચવાલી સહિતના અન્ય અહેવાલો પાછળ આજે ભારતીય શેરબજારમાં કડાકો બોલી જવા પામ્યો હતો. જેના પગલે કામકાજના અંતે રોકાણકારોની

સંપત્તિમાં (બીએસઇ માર્કેટકેપ.) રૂ.૯.૨૦ લાખ કરોડનું ધોવાણ થવા પામ્યું હતું.
ચીન દ્વારા રાહત પેકેજો જાહેર કરાતા વિદેશી રોકાણકારો ભારત છોડીને ચીન તરફ વળ્યાના અહેવાલોની સાથોસાથ વિદેશી શેરબજારોમાં પણ મોટા પાયે વેચવાલીના અહેવાલોની ભારતીય બજાર પર પ્રતિકૂળ અસર થવા પામી હતી. આ ઉપરાંત ઘર આંગણે અત્યાર સુધી કંપનીઓ દ્વારા જાહેર કરાયેલ પરિણામોમાં નફા વૃદ્ધિમાં રૂકાવટ આવ્યાના અહેવાલોની પણ બજાર પર પ્રતિકૂળ અસર થઇ હતી. આ ઉપરાંત ઉંચા વેલ્યુએશનની પણ બજાર પર પ્રતિકૂળ અસર થઈ હતી. આજે લાર્જકેપની સાથે સ્મોલકેપ અને મીડકેપ શેરોમાં પણ મોટા પાયે ગાબડા નોંધાયા હતા.

આ અહેવાલો પાછળ આજે વિદેશી રોકાણકારોની આગેવાની હેઠળ ફંડો તેમજ ઓપરેટરો સહિત ચોમેરથી આવેલ વેચવાલીના ભારે દબાણે આજે સેન્સેક્સમાં છેલ્લા કલાકમાં ભારે પેનિંક આવતા કામકાજના અંતે ૯૩૦ પોઈન્ટ તૂટીને ૮૦૨૨૦ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૩૦૯ પોઈન્ટ તૂટીને ૨૪૪૭૨ની સપાટીએ ઉતરી આવ્યો હતો.

સેન્સેક્સની નરમાઈ પાછળ આજે રોકાણકારોની સંપત્તિ પણ રૂ. ૯.૨૦ લાખ કરોડ ઘટીને રૂ. ૪૪૪.૪૫ લાખ કરોડ રહી હતી. વિદેશી રોકાણકારોએ આજે રૂ. ૩૯૭૯ કરોડની વેચવાલી હાથ ધરી હતી. આજે બીએસઈ સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૨૧૧૮ અને મીડકેપ ઇન્ડેક્સમાં ૧૧૯૦ પોઈન્ટનું ગાબડું નોંધાયું હતું.

October 17, 2024
bomb-threat.png
1min275

ત્રણ દિવસમાં 19 જેટલી વિવિધ ફ્લાઈટસમાં બોમ્બ હોવાની ધમકીઓ મળતા ચોંકી ઉઠેલ દિલ્હી અને મુંબઈ પોલીસે આ મામલે અલગ-અલગ એફઆઇઆર નોંધી તપાસ હાથ ધરતાં છત્તીસગઢના રાજનાંદગાંવથી એક કિશોરની ધરપકડ કરી હતી. આ કિશોરે તેના બાકી પૈસા નહીં ચૂકવતા મિત્રને ફસાવવા માટે તેના નામે ડમી સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવી તેના પરથી ધમકીઓ પોસ્ટ કરવાનું શરુ કર્યું હોવાનો પર્દાફાશ થયો હતો.

મુંબઈ પોલીસે એરલાઈન્સને મળેલી બોમ્બની ખોટી ધમકીના મામલે એક સગીર આરોપીને છત્તીસગઢના રાજનાંદગાવથ અટકાયતમાં લીધો હતો. પોલીસ આ પ્રકરણે સગીરના પિતાની પણ પૂછપરછ કરી રહી છે. મુંબઈ પોલીસના જણાવ્યાનુસાર બોમ્બની ધમકીભર્યામેસેદ છત્તીસગઢ રાજ્યના રાજનાંદગાવથી મોકલવામાં આવ્યા હતા.

પોલીસ સૂત્રોનુસાર આરોપી સગીરનો તેના એક મિત્ર સાથે પૈસાની લેવડદેવડને લઈ ઝઘડો થયો હતો. મિત્ર ઉધારી ચૂકવવામાં આનાકાની કરી રહ્યો હોવાથી બદલો લેવાના આશયથી સગીરે તેના મિત્રતા નામે બનાવટી સોશિયલ મીડિયા એકાઉન્ટ તૈયાર કર્યું હતું અને તેને ફસાવવા વિમાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ આપી હતી.

મુંબઈથી ઉપડનારી ચાર ફ્લાઈટને સોમવારે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી હતી હતી જેમાં ઈન્ડિગોની મુંબઈ-મસ્કત, મુંબઈ-જેદ્દાહ અને એર ઈન્ડિયાની મુંબઈ-ન્યુયોર્ક ફ્લાઈટનો સમાવેશ થતો હતો. આ બોમ્બ મુકવાની ધમકીઓ આપનાર 17 વર્ષનો છોકરો એક બિઝનેસમેનનો દીકરો છે. તેને જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ સમક્ષ હાજર કરાતાં ચાર દિવસની કસ્ટડી આપવામાં આવી છે. પોલીસના સૂત્રો અનુસાર તેણે 12 ફેક કોલ અને મેસેજ કર્યા હતા.

October 13, 2024
baba-siddiqui.png
1min357

મહારાષ્ટ્રના મુંબઈમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP – અજીત પવાર)ના નેતા બાબા સિદ્દિકીની હત્યા થઈ છે. સિદ્દિકી તેમના દીકરા જીશાન સિદ્દિકીની ઓફિસની બહાર ઊભા હતા ત્યારે ત્રણ લોકોએ તેમના પર અચાનક ફાયરિંગ કર્યું હતું. જેમાં તેમને બે છાતી-પેટના ભાગમાં અને એક પગમાં ગોળી વાગી હતી. જ્યારબાદ ગંભીર હાલતમાં તેમને તાત્કાલિક લીલાવતી હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં તેેમનું સારવાર દરમિયાન મોત થયું છે. હાલ, પોલીસે બે શંકાસ્પદ લોકોની ધરપકડ કરી છે અને એક આરોપી ફરાર છે જેની પોલીસ શોધખોળ કરી રહી છે. શંકાસ્પદ આરોપીઓમાં એક ઉત્તરપ્રદેશ અને બીજો હરિયાણાનો છે. આ ઘટના બાંદ્રા ખેરવાડી સિગ્નલ નજીક બની છે. ક્રાઈમ બ્રાંચે કેસની તપાસ શરૂ કરી છે. જણાવી દઈએ કે, બાબા સિદ્દિકી મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટું નામ હતું. તેઓ ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા હતા.

આ ઘટનામાં તાત્કાલિક કાર્યવાહી કરતા પોલીસે બે શંકાસ્પદ લોકોની ધરપકડ કરી લીધી છે. હાલ તેમની પૂછપરછ ચાલી રહી છે. બાંદ્રા ઈસ્ટમાં બાબા સિદ્દિકી પર ફાયરિંગની ઘટના બની છે, જે નિર્મલ નગર પોલીસ સ્ટેશન હેઠળની ઘટના ગણાવાય રહી છે. ઘટનાની માહિતી મળતાની સાથે જ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમો સ્પોટ પર પહોંચી ગઈ છે. મુંબઈ પોલીસે હાલ આસપાસના વિસ્તારમાં સુરક્ષા વધારી છે, તેની સાથે સાથે CCTV ફૂટેજની તપાસ શરૂ કરી છે.

બાબા સિદ્દિકીની હત્યા પર મુંબઈ પોલીસનું નિવેદન આપ્યું છે કે, ‘સોપારી કિલિંગનો મામલો હોય શકે છે, તેથી તે એન્ગલથી પણ કેસની તપાસ ચાલી રહી છે.’ મળતી માહિતી અનુસાર, બાબા સિદ્દિકીની સાથે હાજર એક વ્યક્તિને પણ પગમાં ગોળી વાગી છે. જેની સારવાર પણ લિલાવતી હોસ્પિટલમાં ચાલી રહી છે.

બાબા સિદ્દિકી પર શૂટર્સે 9.9 MM પિસ્તોલથી ફાયરિંગ કર્યું હતું. પોલીસે આ પિસ્તોલ જપ્ત કરી લીધી છે. આરોપીઓએ પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાંથી ત્રણ ગોળી બાબા સિદ્દિકીને વાગી, જેનાથી તેમનું મોત થઈ ગયું.

ગુનેગારો વિરૂદ્ધ કડક કાર્યવાહી થશે : એકનાથ શિંદે

ઘટના અંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે, ‘પોલીસને આકરી કાર્યવાહીના આદેશ અપાયા છે. ગુનેગારો વિરૂદ્ધ કડક કાર્યવાહી થશે. બે આરોપીની ધરપકડ કરાઈ ચૂકી છે. એક આરોપી હજુ ફરાર છે.’

નાયબ મુખ્યમંત્રી અજીત પવારે આવતીકાલના તમામ કાર્યક્રમ રદ્દ કર્યા છે. તેઓ આજે જ મુંબઈ પરત ફરશે. બાબા સિદ્દિકીની હત્યા બાદ અજિત પવારે કહ્યું કે, NCP નેતા, પૂર્વ રાજ્ય મંત્રી, મારા સહયોગી બાબા સિદ્દિકી જે લાંબા સમય સુધી ધારાસભ્ય રહ્યા છે તેના પર ફાયરિંગની ઘટના અત્યંત દુર્ભાગ્યપૂર્ણ, નિંદનીય અને દર્દનાક છે. મને આ જાણીને આઘાત લાગ્યો કે આ ઘટનામાં તેમનું મૃત્યુ થઈ ગયું. મેં પોતાના સારા સહકર્મી, મિત્ર ગુમાવી દીધા છે. હું આ કાયરતાપૂર્ણ હુમલાની કડક શબ્દોમાં નિંદા કરું છું. ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરાવવામાં આવશે અને હુમલાખોરો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરાશે.

જ્યારે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને વરિષ્ઠ પોલિસ અધિકારીઓ લિલાવતી હોસ્પિટલ પહોંચ્યા છે. તો બાબા સિદ્દિકીના મોતના સમાચાર બાદ બોલિવૂડ એક્ટર સલમાન ખાન પણ લિલાવતી હોસ્પિટલ પહોંચી રહ્યા છે. જણાવી દઈએ કે, સલમાન ખાન અને બાબા સિદ્દિકી નજીકના મિત્ર હતા.

બાબા સિદ્દિકીને ગોળી મારવાના સમાચાર બાદ એક્ટર સંજય દત્ત પણ લિલાવતી હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમને હોસ્પિટલથી નીકળીને પોતાની કારમાં બેસીને જતા જોઈ શકાય છે. સલમાન ખાનની જેમ સંજયદત્ત પણ બાબા સિદ્દિકીના નજીકના મિત્ર રહ્યા છે.

અસદુદ્દીન ઓવૈસીએ એનસીપી નેતાના મોત પર કહ્યું કે, બાબા સિદ્દિકીની હત્યા ખુબ જ નિંદનીય છે. આ મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થાની બગડતી સ્થિતિને દર્શાવે છે. અલ્લાહ તેમને માફ કરે. તેમના પરિવાર, મિત્રો અને સહકર્મીઓ પ્રત્યે મારી સંવેદનાઓ.

બાબા સિદ્દિકીની હત્યા પર શરદ પવારે કહ્યું કે, રાજ્યની ધ્વસ્ત થયેલી કાયદો વ્યવસ્થા ચિંતાનો વિષય છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પૂર્વ રાજ્ય મંત્રી બાબા સિદ્દિકીની ગોળી મારીને હત્યા કરવી દુઃખદ છે. જો ગૃહમંત્રી અને શાસક રાજ્યને આટલી બેદરકારીથી આગળ વધારશે તો આ સામાન્ય લોકો માટે ખતરાની ઘંટી હોય શકે છે. તેમની ન માત્ર તપાસ કરવાની જરૂર છે પરંતુ જવાબદારી સ્વીકર કરીને સત્તામાં બેઠેલા લોકોને પદ છોડવાની પણ જરૂર છે. બાબા સિદ્દિકીને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ. તેમના પરિવાર પ્રત્યે સંવેદનાઓ.

બાબા સિદ્દિકીના મોત પર ભાજપ નેતા શાહનવાઝ હુસૈને પણ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે પોતાના X હેન્ડલ પર લખ્યું કે, NCP નેતા બાબા સિદ્દિકીની દુઃખદ હત્યા અંગે સાંભળીને ખુબ દુઃખ થયું. ભગવાન તેમના પરિવારને આ દુઃખને સહન કરવાની શક્તિ આપે. મારી સંવેદનાઓ અને પ્રાર્થનાઓ તેમની સાથે છે.

October 10, 2024
ratan-tata.png
1min321

દિગ્ગજ બિઝનેસમેન રતન ટાટાનું 86 વર્ષની વયે નિધન થઇ ગયું છે. આ માહિતી ટાટા ગ્રૂપે જ આપી હતી. ટાટા સમૂહે કહ્યું છે કે અપાર દુઃખ સામે અમે પ્રિય રતનના શાંતિપૂર્ણ નિધનની જાહેરાત કરીએ છીએ. અમે તેમના ભાઈ, બહેન અને સ્વજન તથા તેમની પ્રશંસા કરનારા તમામ લોકોના પ્રેમ અને સન્માનથી સાંત્વના મહેસૂસ કરીએ છીએ.

મહારાષ્ટ્રના મંત્રી દીપક કેસરકરે કહ્યું કે ઉદ્યોગપતિ રતન ટાટાના નિધનને કારણે મુંબઈમાં રાજ્ય સરકારના તમામ કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે.

રતન ટાટાને રાજકીય સન્માન સાથે વિદાય આપવામાં આવશે. મુંબઈમાં 10 વાગ્યાથી લોકો તેમના અંતિમ દર્શન કરી શકશે.

મુંબઈ પોલીસના દક્ષિણ ઝોનના એડિશનલ કમિશનર અભિનવ દેશમુખે જણાવ્યું હતું કે તેમના પાર્થિવ દેહને સવારે 10 થી બપોરે 3:30 વાગ્યા સુધી દર્શન માટે NCPA ખાતે રાખવામાં આવશે. દર્શન માટે આવનાર તમામ લોકોને અપીલ છે કે ત્યાં પાર્કિંગની સુવિધા ન હોવાથી તેઓએ પોલીસની સૂચનાનું પાલન કરવું પડશે અને આવતા પહેલા તેમની પાર્કિંગની વ્યવસ્થા કરવી પડશે. પોલીસનો સંપૂર્ણ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કરતા વિદેશ મંત્રી એસ જયશંકરે લખ્યું, “રતન ટાટાનું નિધન એક યુગનો અંત છે. તેઓ ભારતીય ઉદ્યોગના આધુનિકીકરણ અને તેનાથી પણ વધુ તેના વૈશ્વિકીકરણ સાથે ઊંડે સુધી સંકળાયેલા હતા. હું તેમને મળ્યો છું. ઘણા પ્રસંગોએ તેમની સાથે વાર્તાલાપ કરવાનો આનંદ મળ્યો અને તેમની દૂરંદેશી અને સૂઝબુઝનો લાભ મળ્યો. ઓમ શાંતિ! તેમના નિધનના શોકમાં સમગ્ર રાષ્ટ્ર સાથે જોડાઈએ.

October 9, 2024
rbi.png
1min289

ભારતીય રિઝર્વ બૅંકની 51મી MPC બેઠકમાં (RBI MPC Meeting Results) મોટો નિર્ણય લેવામાં આવ્યો. બે દિવસીય મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં જાહેરાત કરતાં RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે આ વખતે પણ પોલિસી રેટ(રેપો રેટ)માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે તમારી લોનની EMI યથાવત્ જ રહેશે. રિઝર્વ બૅંકે પોલિસી રેટને 6.5 ટકા પર યથાવત્ રાખવાનો નિર્ણય કર્યો છે. આ સતત 10મી વખત છે જ્યારે રિઝર્વ બૅંકે રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી.

RBI ગવર્નરે 7મી ઑક્ટોબરથી શરુ થયેલી એમપીસી બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે જણાવ્યું હતું કે, આ વખતે એમપીસીમાં ત્રણ નવા સભ્યો જોડાયા છે. વૈશ્વિક પરિબળોને ધ્યાનમાં રાખતાં બેઠકમાં છમાંથી પાંચ સભ્યોએ વ્યાજના દરો યથાવત્ રાખવા સહમતિ આપી હતી. પોલિસીનું વલણ વિડ્રોલ ઑફ અકમોન્ડેશનમાંથી બદલી ન્યુટ્રલ કરવામાં આવ્યું છે. વૈશ્વિક સ્તરે જિઓ-પોલિટિકલ ક્રાઇસિસ હોવા છતાં દેશમાં ફુગાવાને કાબૂમાં કરવામાં સફળ રહ્યા છે. આર્થિક વિકાસ થઈ રહ્યો છે. પરંતુ સાવચેતીના ભાગરૂપે હાલ પૂરતા વ્યાજના દરોમાં કોઈ ફેરફાર કરાશે નહીં.

RBI દ્વારા રેપો રેટ 6.5 ટકાના સ્તરે જાળવી રાખતાં લોન ઈએમઆઇમાં કોઈ ખાસ ફેરફાર થશે નહીં. એમસીએલઆર પર આપવામાં આવતી લોનના વ્યાજદરોમાં હાલ કોઈ વધ-ઘટ નહીં થાય. બૅન્કો RBI પાસેથી રેપો રેટના આધારે લોન લે છે. જેથી તેમાં થતાં ફેરફારની અસર ગ્રાહકોને મળતી લોન પર થાય છે.

October 6, 2024
ICC_Womens_T20_World_Cup.jpg
1min295

મહિલા વર્લ્ડ કપમાં ભારત માટે રવિવારે દુબઈમાં પાકિસ્તાન સામે ‘કરો યા મરો’

હેડ-ટુ-હેડ મુકાબલામાં ભારત 12-3થી આગળ, બન્ને ટીમમાં કોણ-કોણ છે?

મહિલાઓના ટી-20 વર્લ્ડ કપમાં ભારતનો શુક્રવારે ન્યૂ ઝીલૅન્ડ સામે પરાજય થયો એ સાથે સેમિ ફાઇનલમાં પહોંચવાનું ભારતીય ટીમ માટે અત્યારથી મુશ્કેલ તો થઈ જ ગયું, ન્યૂ ઝીલૅન્ડને લાગલગાટ 10 ટી-20માં પરાજય જોયા બાદ 11મી મૅચમાં વિજય માણવા મળી ગયો. હવે રવિવાર, 6ઠ્ઠી ઑક્ટોબરે (બપોરે 3.30 વાગ્યાથી) ભારતનો કટ્ટર હરીફ પાકિસ્તાન સામે મુકાબલો છે. આ મૅચ ભારતે જીતવી જ પડશે અને ત્યાર બાદ 9મી ઑક્ટોબરે એશિયન ચૅમ્પિયન શ્રીલંકાને પણ હરાવવું પડશે, કારણકે ત્યાર બાદ 13મી ઑક્ટોબરે ભારતે ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા સામે લોઢાના ચણા ચાવવાના છે એટલે એમાં વિજયની સંભાવના નહીંવત કહેવાય.

પાકિસ્તાન સામેનો રવિવારનો મુકાબલો જીતવો અત્યંત જરૂરી એ માટે છે કે કિવી ટીમ સામેની 58 રનના માર્જિનથી થયેલી હાર બાદ હવે વિમેન ઇન બ્લ્યૂને એક પરાજય પણ પરવડશે નહીં. ભારતનો રન રેટ -2.99 છે એટલે હરમનપ્રીત કૌર ઍન્ડ કંપનીએ સેમિ ફાઇનલની આશા જીવંત રાખવા મોટા માર્જિનથી પાકિસ્તાન, શ્રીલંકા તથા ઑસ્ટ્રેલિયા સામે વિજય મેળવવો પડશે.

ન્યૂ ઝીલૅન્ડ સામે ભારતીય ટીમ બૅટિંગ, બોલિંગ અને ફીલ્ડિંગ ત્રણેયમાં નબળી પુરવાર થઈ હતી. બીજી બાજુ, ફાતિમા સનાના સુકાનમાં પાકિસ્તાનની ટીમે શ્રીલંકા સામે ગુરુવારે વિજય મેળવ્યો હતો. પાકિસ્તાનની ટીમ બે-અઢી દિવસના આરામ બાદ ભારત સામે રમવા આવી રહી છે, જ્યારે ભારતીય ટીમને શુક્રવારના પરાજય બાદ એક જ દિવસનો આરામ મળ્યો છે.

જોકે પાકિસ્તાન સામેની ટી-20માં ઇતિહાસ ભારતની તરફેણમાં છે એટલે હરમનપ્રીતની ટીમ જીતીને ફરી ટૂર્નામેન્ટના મુખ્ય પ્રવાહમાં આવી શકશે. ભારતે પાકિસ્તાનને 15માંથી 12 ટી-20માં હરાવ્યું છે અને ફક્ત ત્રણમાં જ પરાજય જોયો છે.

પાકિસ્તાનની બોલિંગ લાઇન-અપ મજબૂત છે. એમાં નિદા દર, ફાતિમા સના અને સાદિયા ઇકબાલનો સમાવેશ છે. તેમની સામે શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, હરમનપ્રીત, રિચા ઘોષ, જેમાઇમા રૉડ્રિગ્સ વગેરે બૅટર્સે સારું પર્ફોર્મ કરવું જ પડશે.

બન્ને દેશની ટીમ

ભારત:
હરમનપ્રીત કૌર (કૅપ્ટન), સ્મૃતિ મંધાના (વાઇસ-કૅપ્ટન), રિચા ઘોષ (વિકેટકીપર), યસ્તિકા ભાટિયા (વિકેટકીપર), શેફાલી વર્મા, જેમાઇમા રૉડ્રિગ્સ, દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર, અરુંધતી રેડ્ડી, રેણુકા સિંહ ઠાકુર, દયાલન હેમલતા, આશા શોભના, રાધા યાદવ, શ્રેયંકા પાટીલ અને સજીવન સજના.

પાકિસ્તાન:
ફાતિમા સના (કૅપ્ટન), ગુલ ફિરોઝા (વિકેટકીપર), આલિયા રિયાઝ, ડાયના બેગ, ઇરમ જાવેદ, મુનીબા અલી, નશરા સંધુ, નિદા દર, ઓમઇમા સોહેલ, સદફ શમાસ, સાદિયા ઇકબાલ, સિદરા અમીન, સઇદા શાહ, તસ્મિઆ રુબાબ, તુબા હસન.

October 5, 2024
mumbai-airport.png
1min393

મુંબઈ એરપોર્ટ (Mumbai Airport)પર અવર જવર કરતાં હવાઈ મુસાફરો માટે મહત્વના સમાચાર છે. જેમાં 17 ઓક્ટોબર ગુરુવારે મુંબઈ એરપોર્ટ બંધ રહેશે. તેથી આ સમયગાળા દરમિયાન ફ્લાઈટ ઓપરેશન પણ બંધ રહેશે. આ અંગે માહિતી આપતાં મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (MIAL)એ શુક્રવાર તા.4 ઓક્ટોબર 2024ના રોજ જણાવ્યું હતું કે બે ક્રોસ રનવે પર ચોમાસા પછીના મેઇન્ટેનન્સ કાર્ય માટે મુંબઈ એરપોર્ટ પર ફ્લાઇટ ઑપરેશન ગુરુવાર 17 ઑક્ટોબરે 6 કલાક માટે બંધ રહેશે.

MIAL એ જણાવ્યું હતું કે આ સુનિશ્ચિત કામચલાઉ બંધ મુંબઈ એરપોર્ટના વાર્ષિક પોસ્ટ-મોનસૂન જાળવણી કાર્યક્રમનો એક ભાગ છે અને છ મહિના પહેલા આ બાબતે એરમેનને નોટિસ પણ જાહેર કરવામાં આવી છે.

“ક્રોસ રનવે – RWY 09/27 અને RWY 14/32, છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ (CSMIA),મુંબઈ ખાતે 17 ઓક્ટોબર, 2024 ના રોજ ચોમાસા પછીના રનવે જાળવણી કાર્યક્રમના ભાગ રૂપે મુંબઇ એરપોર્ટ ફ્લાઇટ ઓપરેશન્સ સવારે 11 થી સાંજના 5 વાગ્યા સુધી અસ્થાયી રૂપે બંધ રહેશે.

મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ બં રહેવા અંગે એરપોર્ટ સેવાઓ સાથે સંકળાયેલા મુખ્ય હિતધારકો સાથે મળીને ફ્લાઈટ્સનું સમયપત્રક પૂર્વ સંકલન કરવામાં આવ્યું છે.

October 5, 2024
stock-down.jpeg
1min262

ભારતીય શેરબજારમાં(Stock Market) First Week October 2024 દરમ્યાન રોકાણકારોમાં ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો. જેમાં 30 સપ્ટેમ્બરે જ્યારે શેરબજાર ખુલ્યું ત્યારે રોકાણકારોએ અંદાજ પણ નહીં લગાવ્યો હોય કે આ અઠવાડિયું તેમના માટે નુકશાનકારક સાબિત થશે. ગયા સપ્તાહે શુક્રવારથી શરૂ થયેલો શેરબજારમાં ઘટાડાનો ટ્રેન્ડ આજે 4/10/2024 સતત 5માં દિવસે પણ ચાલુ રહ્યો હતો. શેરબજારમાં ચાલી રહેલા વિક્રમી ઘટાડા વચ્ચે રોકાણકારોના કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.

નિષ્ણાતોનું માનવું છે કે પશ્ચિમ એશિયામાં વધતા તણાવની સીધી અસર શેરબજાર પર જોવા મળી રહી છે. માર્કેટમાં 5 દિવસથી ચાલી રહેલા ઘટાડાથી શેરબજારના રોકાણકારોને 16.26 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ 5 દિવસના ઘટાડા પછી BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂપિયા 16,26,691.48 કરોડ ઘટીને રૂપિયા 4,60,89,598.54 કરોડ થયું હતું.

સપ્તાહના છેલ્લા દિવસે એટલે કે આજે 4/10/2024 સેન્સેક્સ 808.65 પોઈન્ટ ઘટીને 81,688.45 પોઈન્ટ પર બંધ થયો હતો. બીજી તરફ નિફ્ટી 50 પણ 200.25 પોઈન્ટ ઘટીને 25,049.85 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. આ અઠવાડિયું ભારતીય બજાર માટે ઘણું ખરાબ રહ્યું. આ અઠવાડિયે સેન્સેક્સમાં કુલ 3883.40 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે બીજી તરફ આ સપ્તાહે નિફ્ટી 50માં કુલ 1129.10 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો.

આજે સેન્સેક્સ કંપનીઓમાં ભારતની અગ્રણી ઓટોમોબાઈલ કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં 3.58 ટકાનો સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. જોકે, શેરબજારમાં અરાજકતા સર્જનાર આ ઘટાડામાં ઈન્ફોસિસના શેરમાં સૌથી વધુ 1.33 ટકાનો વધારો નોંધાયો હતો.

October 5, 2024
voting.jpg
1min253

હરિયાણાની 90 બેઠકો પર આજે મતદાન, 1031 ઉમેદવારે ચૂંટણી મેદાને, ભાજપની નજર હેટ્રિક પર
હરિયાણાના મુખ્યપ્રદાન નાયબસિંઘ સૈની, ભુપિન્દર હૂડા અને વિનેશ ફોગાટ ઉપરાંત જેજેપીના દુષ્યંત ચૌટાલા અને અન્ય 1031 ઉમેદવારોનું ભાવિ આજે મતદાન પેટીમાં સીલ થઈ જશે. હરિયાણાની 90 બેઠકોની ચૂંટણી માટે પાંચમી ઓક્ટોબરે મતદાન છે.

હરિયાણાની વિધાનસભા ચૂંટણીમાં શાસક પક્ષ ભાજપની નજર હેટ્રિક પર છે, જ્યારે કોંગ્રેસને દાયકા પછી સત્તામાં પરત ફરવાની આશા છે. મતગણતરી 8મી ઓક્ટોબરના રોજ થશે.

હરિયાણાના મુખ્ય ચૂંટણી અધિકારી પંકજ અગ્રવાલે જણાવ્યું હતું કે રાજ્યમાં કુલ 2,03,54,350 મતદાતા છે. તેમા 8821 મતદાતા તો સદી ફટકારી ચૂક્યા છે અને તે મતદાન કરશે.

90 વિધાનસભા બેઠકો પર કુલ 1031 ઉમેદવારો ઊભા છે અને તેમાથી 101 મહિલા છે તો 464 ઉમેદવારો અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે. મતદાન માટે કુલ 20632 બૂથ રાખવામાં આવ્યા છે.

હરિયાણાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, આપ, આઇએનએલડી-બીએસપી અને જેજેપી-આઝાદ સમાજ પાર્ટી મુખ્ય પક્ષો છે.

October 3, 2024
sensex.jpg
1min283


ઈરાન દ્વારા ઈઝરાયલ પર કરાયેલા હુમલાને પગલે યુદ્ધ છંછેડાવાની ભીતિને પગલે ભારતીય શેરબજારમાં હડકંપ મચી ગયું છે. આજે 3/10/24 સ્ટોક માર્કેટ પ્રી ઓપન સેશનમાં સેન્સેક્સમાં એકઝાટકે 1264 પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો. જ્યારે નિફ્ટી 50માં પણ 345 પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો.

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધતી તંગદિલીથી બજારનો મૂડ બગડ્યો છે. જોકે સૌથી મોટી ડરની વાત એ છે કે ઈરાને તો 500 જેટલી મિસાઈલો ઝિંકીને ઈઝરાયલમાં હાહાકારની સ્થિતિ સર્જી દીધી પરંતુ હવે ઈઝરાયલ આ હુમલાનો જવાબ કેવી રીતે આપે છે તેના પર સૌની મોટી મંડાઈ છે. જો ઈઝરાયલ વધારે તબાહી સર્જશે તો એક મોટા યુદ્ધની આશંકા સેવાઈ રહી છે જેની અસર સીધી રીતે વેપાર અને શેરબજાર પર થવાની છે.

શેરબજારમાં કડાકા પાછળ હાલમાં ઈરાન દ્વારા ઈઝરાયલ પર કરાયેલા હુમલા બાદ યુદ્ધ થવાની આશંકાને મોટું કારણ ગણવામાં આવી રહ્યું છે. આ દરમિયાન ભારતીય શેરબજારમાં સૌથી વધુ ઓટો સ્ટોક્સમાં નુકસાન દેખાયું. નિફ્ટી ઓટો ઈન્ડેક્સ 2.07 ટકા તૂટ્યો. એફએમસીજીમાં પણ 1.52 ટકાનો કડાકો બોલાયો છે. જ્યારે નિફ્ટી આઈટી ઈન્ડેક્સ, પીએસયુ બેન્ક, હેલ્થકેરમાં એક-એક ટકાનો ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત નિફ્ટી રિયલ્ટી ઈન્ડેક્સ, કન્ઝ્યૂમર ડ્યુરેબલ્સ, ઓઈલ એન્ડ ગેસ સહિત મોટાભાગના ઈન્ડેક્સ લાલ નિશાનમાં ખુલ્યા હતા.