CIA ALERT

ઇન્ડીયા Archives - Page 26 of 217 - CIA Live

December 27, 2024
manmohan-singh.png
2min359

પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડૉ.મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન થયું છે. આજે (26 ડિસેમ્બર) તેમની તબીયત લથડી હતી, ત્યારબાદ તુરંત દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન નિધન થયું છે. દિવંગત ડૉ. મનમોહન સિંહના પરિવારજનો હોસ્પિટલમાં હાજર છે. જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કર્ણાટકના બેલગામથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ નેતા અને વાયનાડ બેઠક પરના સાંસદ પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓ હોસ્પિટલ પહોંચી ગયા છે. વડાપ્રધાન મોદી પણ એમ્સ જશે. તો કોંગ્રેસ, ભાજપ, આપના નેતાઓ શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. દેશમાં શોકની લહેર પ્રસરી છે. કોંગ્રેસે આવતીકાલના તમામ કાર્યક્રમ રદ કર્યા. એઈમ્સની આસપાસની સુરક્ષામાં વધારો કરાયો.

કોંગ્રેસ, ભાજપ, આપના નેતાઓ શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. ત્યારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન પર ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, વડાપ્રધાન મોદી, અમિત શાહ, જે.પી.નડ્ડા, મલ્લિકાર્જુન ખડગે, પ્રિયંકા ગાંધી, અખિલેશ યાદવ, ચંદ્રાબાબુ નાયડૂ, કિરેન રિજીજૂ, મહેબૂબા મુફ્તિ, ભૂપિન્દર સિંહ હુડ્ડા, સલમાન ખુર્શીદ, મમતા બેનર્જી, આતિશી, કેજરીવાલ, રાજનાથ સિંહ, સી.આર. પાટીલ, ભુપેન્દ્ર પટેલ, અશ્વિની વૈષ્ણવ, માયાવતી, યોગી આદિત્યનાથ, હેમંત સોરેન, પિનારાઈ વિજયન, નવીન પટનાયક, અજિત પવાર, સ્મૃતિ ઈરાની, નીતિન ગડકરી, શરદ પવાર, સુખબીર બાદલ, જયરામ રમેશ, સચિન પાયલટ, પી ચિદંબરમ, તેજસ્વી યાદવ, નીતિશ કુમાર સહિતના નેતાઓએ શ્રદ્ધાંજલિ પાઠવીને દુઃખ વ્યક્ત કર્યું છે.

રાજકીય સન્માન સાથે થશે અંતિમ સંસ્કાર, 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર

સૂત્રોના જણાવ્યા અનુસાર, આવતીકાલે થનારા તમામ સરકારી કાર્યક્રમ રદ રહેશે. 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર. કાલે સવારે 11 વાગ્યે કેબિનેટની બેઠક યોજાશે. ડૉ. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરાશે.

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન થયું છે. દિલ્હી AIIMS તરફથી એક સ્ટેટમેન્ટ જાહેર કરાયું છે. જેમાં કહેવાયું છે કે, અત્યંત દુઃખ સાથે અમે ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહન સિંહના 92 વર્ષની ઉંમરે નિધનની માહિતી આપી રહ્યા છીએ. ઉંમર સંબંધિત બીમારીઓના કારણે તેમની સારવાર ચાલી રહી હતી. તેઓ 26 ડિસેમ્બર 2024એ ઘર પર અચાનક બેભાન થઈ ગયા હતા. ઘર પર જ તેમણે હોશમાં લાવવાના પ્રયાસ કર્યા. તેમણે રાત્રે 8:06 વાગ્યે દિલ્હી AIIMSના મેડિકલ ઇમરજન્સીમાં લવાયા હતા. તમામ પ્રયાસો છતાં તેમને બચાવી ન શકાયા અને રાત્રે 9:51 વાગ્યે તેમનું નિધન થઈ ગયું.

રાહુલ ગાંધીએ દુઃખ વ્યક્ત કર્યું

મનમોહન સિંહજીએ અપાર વિદ્વતા અને અખંડિતતા સાથે ભારતનું નેતૃત્વ કર્યું. તેમની નમ્રતા અને અર્થશાસ્ત્રની ઊંડી સમજથી રાષ્ટ્રને પ્રેરણા મળી. શ્રીમતી કૌર અને પરિવાર પ્રત્યે મારી દિલથી સંવેદના. મેં એક માર્ગદર્શક ગુમાવ્યા છે. આપણામાંના લાખો લોકો જેમણે તેમની પ્રશંસા કરી છે તેઓ તેમને ખૂબ જ ગર્વ સાથે યાદ કરશે.

વડાપ્રધાન મોદીએ મનમોહન સિંહને આપી શ્રદ્ધાંજલિ

પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે કહ્યું કે, ‘ભારત પોતાના સૌથી પ્રતિષ્ઠિત નેતાઓમાંથી એક ડૉક્ટર મનમોહન સિંહજીના નિધન પર શોખમાં છે. સાધારણ પૃષ્ઠભૂમિથી ઉભરીને તેઓ એક પ્રતિષ્ઠિત અર્થશાસ્ત્રી બન્યા. તેઓ નાણામંત્રી સહિત વિવિધ સરકારી હોદ્દા પર રહ્યા અને વર્ષો સુધી આપણી આર્થિક નીતિ પર ઊંડી છાપ છોડી. સંસદમાં તેમના હસ્તક્ષેપ પણ ખૂબ વ્યવહારુ હતા. આપણા વડાપ્રધાન તરીકે, તેમણે લોકોના જીવનને સુધારવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા.’

તેમની બુદ્ધિમતા અને વિનમ્રતા હંમેશા જોવા મળતી હતી: વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘ડૉ. મનમોહન સિંહજી અને હું ત્યારે નિયમિત રીતે વાત કરતા હતા જ્યારે તેઓ વડાપ્રધાન હતા અને હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો. અમે શાસનને લગતા વિવિધ વિષયો પર ઊંડી ચર્ચા કરતા હતા. તેમની બુદ્ધિમત્તા અને નમ્રતા હંમેશા જોવા મળતી હતી. ડૉ. મનમોહન સિંહ જીના પરિવાર, તેમના અસંખ્ય ચાહકોની સાથે મારી સંવેદના છે. ઓમ શાંતિ.’

આર્થિક સુધારાનાં સૂત્રધાર માનવામાં આવતા પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનો જન્મ 26 સપ્ટેમ્બરના રોજ 1932માં અવિભાજિત ભારતનાં પંજાબ પ્રાંતમાં થયો હતો. મનમોહન સિંહ વર્ષ 2004 થી 2014 સુધી ભારતનાં વડાપ્રધાન રહ્યા હતા. તેમના 10 વર્ષનાં કાર્યકાળ સુધી મૌન રહેવા તેમના પર ગણા સવાલ ઉઠ્યા હતા. જોકે તેમની આ સાદગી જ મોટી વિશેષતા રહી. મનમોહન સિંહ વર્ષ 1971માં વાણિજ્ય મંત્રાલયમાં આર્થિક સલાહકાર રૂપમાં ભારત સરકારમાં સામેલ થયા હતા. ત્યારબાદ 1972માં તેમને નાણા મંત્રાલયનાં આર્થિક સલાહકાર રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા. મનમોહન સિંહ પહેલીવાર 1991માં રાજ્યસભા માટે પસંદ કરવામાં આવ્યા હતા. તેઓએ રાજ્યસભામાં પાંચ વાર અસમ અને 2019માં રાજસ્થાનનું પ્રતિનિધિત્વ કર્યું હતું. મનમોહન સિંહ 1991થી 1996 વચ્ચે ભારતમાં નાણા મંત્રી પણ રહ્યાં. આર્થિક સુધારાની વ્યાપક નિતી શરૂ કરવામાં તેની ભૂમિકાને દુનિયાભરમાં સરાહના મળી. 1991માં જ્યારે ભારતને દુનિયાના બજાર તરીકે ખોલવામાં આવ્યુ ત્યારે મનમોહન સિંહ નાણામંત્રી હતા. મનમોહન સિંહ ભારતના વડાપ્રધાન હતા ત્યારે મનરેગા યોજનાની પણ શરૂઆત કરી હતી. જેને લઇ ગણા ગરીબ લોકોને રોજગાર મળ્યો હતો.

1998થી 2004 સુધી, જ્યારે ભારતીય જનતા પાર્ટી સત્તામાં હતી, મનમોહન સિંહ રાજ્યસભામાં વિપક્ષ નેતા હતા.

1999માં, તેઓએ દક્ષિણ દિલ્હીથી લોકસભાની ચૂંટણી લડી પણ તેને જીત મળી નહીં. ડો. મનમોહન સિંહે 2004ની સામાન્ય ચૂંટણી પછી 22 મેના રોજ વડાપ્રધાન તરીકે શપથ લીધા અને 22 મે 2009માં બીજા કાર્યકાળ માટે શપથ ગ્રહણ કર્યાં. તે 2004 થી 2014 સુધી દેશના વડાપ્રધાન રહ્યાં.

મૃદુભાષી, વિદ્વાન અને વિનમ્ર મનમોહન સિંહે કોંગ્રેસના શાસન દરમિયાન ભારતના અર્થતંત્રમાં તેજીનો પવન ફૂંક્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક વિપક્ષી નેતાઓ પણ તેમના કામની પ્રશંસા કરતા રહ્યા છે. આ ઉપરાંત 1990ના દાયકાની શરૂઆતમાં પૂર્વ વડાપ્રધાન નરસિંહરાવ અને મનમોહન સિંહની જોડીએ આર્થિક ઉદારીકરણનાં પગલાં લઇને વિશ્વનું ધ્યાન ખેચ્યું હતું. સૌથી મહત્ત્વની વાત એ છે કે, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ જાહેરમાં કહ્યું હતું કે, મનમોહન સિંહ બોલે છે, ત્યારે વિશ્વ સાંભળે છે.

ઉલ્લેખનીય છે કે, ભારતના અર્થતંત્રમાં તેજીનો પવન ફૂંકનાર પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ 33 વર્ષ સુધી રાજ્યસભાના સાંસદ રહ્યા હતા. દેશના અર્થતંત્રના વિકાસ માટે મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેનારા મનમોહન સિંહ પ્રથમ વખત 1991માં રાજ્યસભાના સાંસદ બન્યા હતાં. તેઓ 1991થી 1996 સુધી દેશના નાણામંત્રી અને 2004થી 2014 સુધી દેશના વડાપ્રધાન રહ્યાં હતાં. 2019માં બે મહિનાના ગેપ સિવાય તેઓ સતત છ ટર્મ સુધી રાજ્યસભાના સભ્ય રહ્યા હતા. 1 ઓક્ટોબર 1991થી 14 જૂન 2019 સુધી સતત તેઓ આસામમાંથી રાજ્યસભામાં ચૂંટાયા હતા. ત્યારબાદ બે મહિનાની ગેપ બાદ રાજસ્થાનથી રાજ્યસભામાં ચૂંટાયા હતા. ત્રીજી એપ્રિલે તેમની રાજ્યસભાની ટર્મ પુરી થઇ હતી.

મૃદુભાષી, વિદ્વાન અને વિનમ્ર મનમોહન સિંહની પ્રશંસા તો વિરોધ પક્ષો પણ કરે છે. તેમને મૈાની બાબા કહીને વિપક્ષોએ મશ્કરી પણ ખૂબ કરી છે, પરંતુ ભારતમાં આર્થિક ઉદારીકરણ લાવનાર મનોમહન સિંહને જશ પણ ભરપૂર મળ્યો છે. ભારતમાં ઉદારીકરણ પવન ફૂંકાવો શરૂ થયો તત્કાલીન વડાપ્રધાન પી.વી. નરસિંહરાવના શાસનકાળમાં, કે જ્યારે મનમોહન સિંહ નાણાપ્રધાન હતા. 33 વર્ષની રાજકીય કારકિર્દી ધરાવનાર મનમોહન સિંહનું સૌથી મહત્ત્વનું યોગદાન દેશના આર્થિક તંત્રને વિકાસના ટ્રેક પર મુકવાનું હતું.

1990ના દાયકાની શરૂઆતમાં પીએમ નરસિંહરાવ અને એમએમ મનમોહન સિંહની જોડીએ આર્થિક ઉદારીકરણનાં પગલાં લઇને વિશ્વનું ધ્યાન ખેચ્યું હતું. ઓક્ટોબર 1991માં મનમોહન સિંહ પ્રથમ વાર રાજ્યસભાના સભ્ય બન્યા હતા. રાજ્યસભાના સભ્ય તરીકે છ ટર્મ સુધી રહેનાર મનોહન સિંહ 1999માં દક્ષિણ દિલ્હીની બેઠક પરથી લોકસભાનો જંગ લડયો હતો, પરંતુ તેમાં નિષ્ફળતા મળી હતી. ભાજપના વિજયકુમાર મલ્હોત્રાએ તેમને હરાવ્યા હતા. સોનિયા ગાંધીએ ‘આત્માના અવાજ’ને અનુસરીને વડાંપ્રધાન બનવાની ના પાડી એટલે 2004થી 2014 સુધી મનમોહન સિંહ દેશના વડાપ્રધાન તરીકે કાર્યરત રહ્યા. પોતાની નજર સામે ચાલતા ભ્રષ્ટાચારને તેઓ અટકાવી શક્યા નહોતા તે બાબતે તેમની ટીકા પણ થઈ છે.

કેરોસીનના દીવાના ઝાંખા પ્રકાશમાં ભણી ભણીને વડાપ્રધાનપદ સુધી પહોંચનાર મનમોહન સિંહમાં જોકે રાજકીય કુટિલતા નહોતી. એમની શૈક્ષણિક લાયકાત ખૂબ તેજસ્વી રહી છે. વિશ્વભરના આર્થિક નિષ્ણાતો તેમને માન આપતા હતા. અમેરિકાના ભતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ જાહેરમાં કહ્યું હતું કે, મનમોહન સિંહ બોલે છે, ત્યારે વિશ્વ સાંભળે છે. એ વાત અલગ છે કે ભારતના રાજકારણમાં તેમના ખુદના પક્ષના લોકો પણ તેમનું સાંભળતા નહોતા. ભાજપે તેમના મૌન રહેવાના સ્વભાવનો ભરપૂર લાભ ઉઠાવ્યો છે.

રાજ્યસભામાંથી નિવૃત્ત થતા સભ્યોને વિદાય આપતા કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ મનમોહન સિંહની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. મોદીએ કહ્યું હતું કે મનમોહનસિંહની કામગીરી ક્યારેય નહીં ભૂલાય. મોદીએ મતદાનના દિવસને યાદ કરતાં કહ્યું હતું કે મનમોહન સિંહે વ્હીલચેરમાં મતદાન કરવા આવીને લોકોને વોટિંગ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ તેમની પત્ની સાથે મનમોહન સિંહના ઘેર જઇને મળ્યા, તેમની લાંબી રાજકીય કારકિર્દીની પ્રશંસા કરીને અભિનંદન આપ્યા હતા. કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે પણ મનોહનસિંહના ઘેર ગયા હતા અને તેમને મધ્યમવર્ગના હીરો કહીને પ્રશંસા કરી હતી.

આપણે ત્યાં રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટનો ભરપૂર ઉપયાગ થાય છે. આ કાયદો મનમોહન સિંહના શાસનકાળ દરમિયાન અસ્તિત્ત્વમાં આવ્યો હતો. એવી જ રીતે રાઇટ ટુ ફૂડ, રાઇટ ટુ એજ્યુકેશન પણ મનમોહન સિંહના વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમ્યાન પસાર થયેલા કાયદા છે. ભારતના 14મા વડાપ્રધાન તરીકે એક દાયકા સુધી કાર્યરત રહેનાર મનમોહન સિંહ ભારતની વર્તમાન ગ્રોથ સ્ટોરીનાં મૂળિયાંમાં છે તે ભૂલવું ના જોઇએ.

December 25, 2024
merry-christmas.jpg
1min306

દેશભરમાં નાતાલની(Christmas 2025)ઉજવણી જોવા મળી હતી. જેમાં ક્રિસમસ નિમિત્તે અનેક સ્થળોએ રોશનીથી અદ્ભુત શણગાર કરવામાં આવ્યો છે અને તેના કારણે શહેરોની સુંદરતામાં પણ વધારો થયો છે. આ દરમિયાન વિવિધ સ્થળોએ ચર્ચ અને બજારો પણ શણગારેલા જોવા મળ્યા હતા અને તેના કારણે લોકોમાં નાતાલનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જ્યારે ચર્ચમાં સમૂહ પ્રાર્થના સભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

જેમાં રાંચીમાં પણ ચર્ચને ક્રિસમસના ખાસ અવસર પર રોશનીથી શણગારવામાં આવ્યું છે. તેમજ ક્રિસમસ પર આયોજિત સમૂહ સભા માટે આ ચર્ચને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું.

જ્યારે બીજી તરફ મુંબઈમાં પણ નાતાલના આગલા દિવસે કોલાબા સ્થિત એક ચર્ચમાં ક્રિસમસ માસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તસવીરમાં લોકો ચર્ચમાં મીણબત્તીઓ પ્રગટાવતા અને પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા.

પુડુચેરીમાં પણ નાતાલના અવસર પર હાર્ટ બેસિલિકા ચર્ચમાં મધ્યરાત્રિની પ્રાર્થના માટે લોકો એકઠા થયા હતા.ઓડિશાના કટકમાં પણ નાતાલના અવસર પર અવર લેડી ઓફ મોસ્ટ હોલી રોઝરી કેથેડ્રલ ખાતે મધ્યરાત્રિના સમૂહ માટે લોકો પ્રાથર્ના માટે એકત્ર થયા હતા. જ્યારે મધ્યપ્રદેશના જબલપુરમાં સ્થિત હોલી ટ્રિનિટી ચર્ચને પણ નાતાલના આગલા દિવસે સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું.

December 16, 2024
Zakir-Hussain.jpg
1min463

જગપ્રસિદ્ધ તબલા વાદક ઝાકિર હુસૈનનું સાન ફ્રાન્સિસ્કોની હોસ્પિટલમાં અવસાન થયું છે, એમ તેમના પરિવારે 16/12/24 સોમવારે જણાવ્યું હતું. તેમના પરિવારના જણાવ્યા અનુસાર, હુસૈનનું મૃત્યુ આઇડિયોપેથિક પલ્મોનરી ફાઇબ્રોસિસથી ઉદ્ભવેલી જટિલતાઓને કારણે થયું હતું. તેઓ 73 વર્ષના હતા. તેઓ છેલ્લા બે અઠવાડિયાથી હોસ્પિટલમાં દાખલ હતા. બાદમાં તેમની તબિયત બગડતાં તેમને આઈસીયુમાં લઈ જવામાં આવ્યા હતા.

હુસૈનને તેમની કારકિર્દીમાં ચાર ગ્રેમી એવોર્ડ મળ્યા છે, જેમાં આ વર્ષની શરૂઆતમાં 66મા ગ્રેમી એવોર્ડમાં જ તેમને ત્રણ ગ્રેમી એવોર્ડ્સનો સમાવેશ થાય છે. છ દાયકાની સુદીર્ઘ કારકિર્દીમાં, હુસૈને ઘણા પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય અને ભારતીય કલાકારો સાથે કામ કર્યું હતું, પરંતુ અંગ્રેજી ગિટારવાદક જ્હોન મેકલોફલિન, વાયોલિનવાદક એલ શંકર અને પર્ક્યુશનિસ્ટ ટી એચ ‘વિક્કુ’ વિનાયક્રમ સાથેના તેમના 1973ના મ્યુઝિકલ પ્રોજેક્ટમાં તેઓ ભારતીય શાસ્ત્રીય સંગીત અને સંગીતના ઘટકોને તેઓ સાથે લાવ્યા હતા.

ભારતના સૌથી પ્રખ્યાત શાસ્ત્રીય સંગીતકારોમાંના એક તબલાવાદક હુસૈનને 1988માં પદ્મશ્રી, 2002માં પદ્મ ભૂષણ અને 2023માં પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મહાન તબલાવાદક અલ્લારખાના મોટા પુત્ર ઝાકિર હુસૈન તેમના પિતાના પગલે ચાલ્યા અને ભારત અને સમગ્ર વિશ્વમાં પોતાનું નામ બનાવ્યું હતું. હુસૈનને તેની કારકિર્દીમાં પાંચ ગ્રેમી એવોર્ડ મળ્યા છે, જેમાંથી ત્રણ આ વર્ષની શરૂઆતમાં 66મા ગ્રેમી એવોર્ડમાં આવ્યા હતા.

મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાક્રિષ્નને તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે દેશે તેની સૌથી પ્રિય સાંસ્કૃતિક ધરોહરમાંથી એક ગુમાવી છે. તેમના શોક સંદેશમાં, રાજ્યપાલે સંગીતકારને એક સમર્પિત શિષ્ય અને મહાન ઉસ્તાદ અલ્લારખાના પુત્ર તરીકે વર્ણવ્યા હતા, જેમણે તબલાને વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધિ અપાવી હતી.

તેમના અસાધારણ પ્રદર્શને તેમને શાસ્ત્રીય સંગીતમાં અને પ્રેક્ષકોમાં લોકપ્રિય બનાવ્યા હતા. ગવર્નરે જણાવ્યું હતું કે, તેમણે તેમના રમતિયાળ અને મોહક પ્રદર્શનથી દરેકને મંત્રમુગ્ધ કરી દીધા હતા અને ભારતીય શાસ્ત્રીય સંગીતમાં ઘર-ઘરનું નામ બની ગયા હતા.

હુસૈનના નિધન પર શોક વ્યક્ત કરતા એનસીપીના વડા શરદ પવારે તેમને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે, “પ્રખ્યાત તબલા વાદક પદ્મભૂષણ ઉસ્તાદ ઝાકિર હુસૈનના નિધનના સમાચાર હૃદયદ્રાવક છે.” ઝાકિર હુસૈન ભારતના સૌથી પ્રખ્યાત તબલાવાદક હતા અને બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. પવારે કહ્યું હતું કે, તેમણે ભારતીય સંગીતના સાધન તબલાને વિશ્વ મંચ પર સ્થાપિત કર્યું… કલા જગતના એક મહાન વ્યક્તિનું આજે નિધન થયું છે.

December 14, 2024
1min395

એક રાત જેલમાં વિતાવ્યા બાદ આખરે તેલુગુ સુપરસ્ટાર અભિનેતા અલ્લુ અર્જુનને આજે વહેલી સવારે જેલમાંથી છોડવામાં આવ્યો છે. અલ્લુ અર્જુનના પિતા અલ્લુ અરવિંદ તથા સસરા કંચરલા ચંદ્રશેખર પણ વહેલી સવારે હૈદરાબાદની ચંચલગુડા સેન્ટ્રલ જેલ પહોંચી ગયા હતા. નોંધનીય છે કે 13મી ડિસેમ્બરે હૈદરાબાદ પોલીસે સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં અલ્લુ અર્જુનની ધરપકડ કરી હતી. જોકે બાદ હાઇકોર્ટે જામીન આપ્યા હતા.

અલ્લુ અર્જુનને ગઇકાલે સાંજે જ તેલંગાણા હાઇકોર્ટે જામીન આપી દીધા હતા. જોકે જામીનનો આદેશ ઓનલાઈન અપલોડ થઈ શક્યો નહીં જેના કારણે અભિનેતાએ એક રાત જેલમાં જ વિતાવવી પડી. અલ્લુ અર્જુનના વકીલોનું માનવું છે કે અલ્લુ અર્જુનને પરેશાન કરવા માટે જાણી જોઈને આવું કરવામાં આવ્યું છે.

આટલું જ નહીં અલ્લુ અર્જુનના ચાહકો પણ આ કારણે ગુસ્સે ભરાયા હતા અને ગઈ કાલે ચંચલગુડા સેન્ટ્રલ જેલ બહાર દેખાવો શરૂ થઈ ગયા હતા.

અલ્લુ અર્જુનની તેના ઘરેથી જ પોલીસે ધરપકડ કરી હતી. બાદમાં સાંજે ચાર વાગ્યે લોકલ કોર્ટ સામે હાજર કરવામાં આવ્યો, કોર્ટે અલ્લુ અર્જુનને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો હતો. જોકે અભિનેતાએ હાઇકોર્ટમાં અપીલ કરતાં. સાંજે પાંચ વાગ્યે તેલંગાણા હાઇકોર્ટે જામીન મંજૂર કર્યા હતા.

નોંધનીય છે કે ચોથી ડિસેમ્બરે હૈદરાબાદના સનધ્યા થિયેટરમાં મોટી સંખ્યામાં લોકો અલ્લુ અર્જુનની પુષ્પા 2 મૂવી જોવા ભેગા થયા હતા. એવામાં અલ્લુ અર્જુન પણ ચાહકોને મળવા ત્યાં પહોંચી ગયો. એવામાં નાસભાગ મચી જતાં એક મહિલાનું નિધન થયું હતું.

December 12, 2024
પીએ-એટીએમ.png
1min320

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના 7 કરોડ મેમ્બર્સ માટે સારા સમાચાર છે. શ્રમ સચિવ સુમિતા ડાવરાએ કરેલી જાહેરાત મુજબ, શ્રમ તથા રોજગાર મંત્રાલય વર્તમાનમાં ભારતના કાર્યબળને શ્રેષ્ઠ સેવા આપવા માટે આઈટી સિસ્ટમને શાનદાર બનાવવાની પ્રક્રિયામાં છે. ઈપીએફઓ મેમ્બર્સને 2025માં કેટલીક શાનદાર સુવિધા મળી શકે છે. તેઓ એટીએમ દ્વારા પૈસા ઉપાડી શકશે.

શ્રમ તથા રોજગાર મંત્રાલયના સચિવ સુમિત્રા ડાવરાએ કહ્યું, અમે પીએફની આઈટી સિસ્ટમને સુધારી રહ્યા છીએ. આ પહેલા પણ અમે અનેક સુધારા કર્યા હતા. જેનાથી ક્લેમમાં તેજી આવી છે અને સેલ્ફ ક્લેમમાં વધારો થયો છે. પીએફમાંથી બિનજરૂરી પ્રક્રિયાઓને હટાવી દેવામાં આવી છે. અમારી મહત્ત્વકાંક્ષા અમારા ઈપીએફઓના આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અમારા બેંકિંગ સિસ્ટમને સમાન સ્તર પર લાવવાની છે. જાન્યુઆરી 2025માં તમને મોટા સુધારા જોવા મળશે. જ્યારે અમારી પાસે ઈપીએફઓમાં આઈટી 2.1 એડિશન હશે ત્યારે દાવેદાર, લાભાર્થી સીધા એટીએમના માધ્યમથી દાવો કરી શકશે. સિસ્ટમ વધુ એડવાન્સ થવાથી તમે કેટલાક અન્ય સુધારા જોઈ શકશો.

જાણકારી મુજબ, ઈપીએફઓ પીએફના પૈસા ઉપાડવા માટે એક નવું કાર્ડ જાહેર કરશે. જેનાથી એટીએમના માધ્યમથી સરળતાથી પૈસા ઉપાડી શકાશે. જોકે કુલ જમા રકમના 50 ટકા રૂપિયા જ ઉપાડી શકાશે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના સક્રિય સબ્સ્ક્રાઈબર્સની સંખ્યા 7 કરોડથી વધારે છે.

નોકરી દરમિયાન તમે પીએફ ફંડ આંશિક કે પૂર્ણ રીતે ઉપાડવાની મંજૂરી નથી. જો તમે ઓછામાં ઓછા એક મહિનાથી બેકાર હો તો તમે પીએફ બેલેન્સના 75 ટકા સુધીની રકમ ઉપાડી શકો છો. બે મહિનાની બેરોજગારી બાદ તમે પૂરી રકમ ઉપાડી શકો છો.

December 12, 2024
thailand-flag-1280x829.jpg
1min450
Thailand country profile -

નવી દિલ્હીમાં રોયલ થાઈ એમ્બેસીએ 11/12/24, બુધવારે જાહેરાત કરી છે કે ભારતના વિઝીટર્સ માટે થાઈલેન્ડના ઈ-વિઝા ભારતમાં 1 જાન્યુઆરી, 2025થી ઉપલબ્ધ કરાવવા આવશે. થાઇલેન્ડ દૂતાવાસે એ બાબતે પણ માર્ગદર્શિત કર્યા કે ભારતીય પાસપોર્ટ ધારકો ઈ-વિઝા લઈને થાઈલેન્ડમાં 60 દિવસ સુધી રોકાણ કરી શકશે.

થાઇ એમ્બેસીના જણાવ્યા મુજબ, બિન-થાઈ નાગરિકોએ તમામ પ્રકારના વિઝા માટે https://www.thaievisa.go.th વેબસાઇટ પર અરજી કરવાની રહેશે. અરજદાર પોતે અથવા અન્ય પ્રતિનિધિઓ દ્વારા અરજી કરી શકે છે. જો કે એક વાતનું ધ્યાન રાખવું કે જો કોઈ પ્રતિનિધિ દ્વારા સબમિટ કરવામાં આવેલી અરજી અધૂરી હશે તો તેના માટે એમ્બેસી અને કોન્સ્યુલેટ જનરલ જવાબદાર રહેશે નહીં. અરજી કઈ રીતે કરવી તેની પ્રક્રિયા ઉપરની વેબસાઇટ પર જોઈ શકાય છે.

એમ્બેસીની નવી માર્ગદર્શિકામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ઑફલાઇન પેમેન્ટ વિકલ્પ દ્વારા અરજી કરનારાઓએ વિઝા ફી ચૂકવવી પડશે. આ માટે સંબંધિત એમ્બેસી અને કોન્સ્યુલેટ જનરલના ઓફલાઈન પેમેન્ટ ઓપ્શન પર વિગતો આપવાની રહેશે. જો કે એ બાબત સ્પષ્ટ છે કે વિઝા ફી કોઈપણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહીં. વિઝા પ્રક્રિયામાં ફી મળ્યાની તારીખથી લગભગ 14 કાર્યકારી દિવસો લાગી શકે છે.

થાઈલેન્ડ ભારતીય પ્રવાસીઓ માટે ખૂબ આકર્ષણનું કેન્દ્ર છે. બેંગકોક, પટાયા, ફૂકેટ, ચિયાંગ માઈ અને કોહ સમુઈ સહિતના સ્થળોએ ભારતીય પ્રવાસીઓનો ઘસારો જોવા મળે છે. વર્ષ 2019માં 20 લાખથી વધુ ભારતીય પ્રવાસીઓએ થાઈલેન્ડની મુલાકાત લીધી હતી. માત્ર કોવિડ-19ના ગાળામાં જ પ્રવાસીઓનો ધસારો ઘટ્યો હતો. પરંતુ ત્યારબાદ ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો. જો કે તેનો સીધો ફાયદો થાઈલેન્ડને થાય છે.

December 10, 2024
sanjay-malhotra.png
1min342

  • શકિતકાંત દાસનો કાર્યકાળ આજે પૂર્ણ
  • 1990 બેન્ચના રાજસ્થાન કેડરના આઇએએસ મલ્હોત્રાની ત્રણ વર્ષ માટે નિમણૂક કરાઇ
    નવી દિલ્હી : મહેસૂલ સચિવ (રેવન્યુ સેક્રેટરી) સંજય મલ્હોત્રાની આરબીઆઇના નવા ગવર્નર તરીકે પસંદગી કરવામાં આવી છે. મલ્હોત્રા હાલના આરબીઆઇ ગવર્નર શકિતકાંત દાસની જગ્યા લેશે.

૧૦ ડિસેમ્બરે આરબીઆઇ ગવર્નર શકિતકાંત દાસનું કાર્યકાળ પૂર્ણ થઇ રહ્યું છે. સંજય મલ્હોત્રા આરબીઆઇના ૨૬મા ગવર્નર હશે. સંજય મલ્હોત્રા ૧૯૯૦ બેન્ચના રાજસ્થાન કેડરના આઇએએસ અધિકારી છે. તેઓ નવેમ્બર ૨૦૨૦માં આરઇસીના ચેરમેન અને એમડી બન્યા હતાં. આ અગાઉ તે ઉર્જા મંત્રાલયમાં એડિશનલ સેક્રેટરીના પદ પર તૈનાત હતાં.

સંજય મલ્હોત્રા ૧૧ ડિસેમ્બરે આરબીઆઇના નવા ગવર્નર તરીકે કાર્યભાર સંભાળશે. તેમનો કાર્યકાળ આગામી ૩ વર્ષ માટે હશે. ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેંકનું કામકાજ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ સંભાળે છે. સંજય મલ્હોત્રાને આ કામકાજનો લાંબો અનુભવ છે. તેથી આરબીઆઇના ગવર્નરની રેસમાં તે સૌથી આગળ છે. તેમની પાસે રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને સ્તરો પર નાણા અને ટેક્સનો લાંબો અનુભવ છે.

પોતાના વર્તમાન કાર્યકાળમાં તે પ્રત્યક્ષ અને પરોક્ષ ટેક્સ સંબધિત નીતિઓ બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યાં હતાં.

સંજય મલ્હોત્રાએ પોતાની એન્જિનિયરિંગની ડિગ્રી આઇઆઇટી, કાનપુરથી લીધી છે. પ્રિંસટન યુનિવર્સિટીમાંથી તેમણે માસ્ટર્સ ડિગ્રી મેળવી છે. છેલ્લા ૩૦ વર્ષોમાં મલ્હોત્રા વીજળી, ફાઇનાન્સ, ટેક્સેશન, આઇટી અને માઇન્સ જેવા વિભાગોમાં પોતાની સેવા આપી છે.

શક્તિકાંત દાસ છ વર્ષ સુધી આરબીઆઇના ગવર્નર રહ્યાં છ.ે ઉર્જિત પટેલના અચાનક રાજીનામા પછી શકિતકાંત દાસને આરબીઆઇના ગવર્નર બનાવવામાં આવ્યા હતાં.

December 5, 2024
fadanvis.jpg
1min280

મહારાષ્ટ્રના આગામી મુખ્ય પ્રધાન તરીકે દેવેન્દ્ર ફડણવીસ ગુરુવારે શપથગ્રહણ કરશે, રાજ્યપાલ સી. પી. રાધાકૃષ્ણને તેમને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું છે. દેવેન્દ્ર ફડણવીસ 10 વર્ષમાં ત્રીજી વખત મુખ્ય પ્રધાન તરીકેના શપથ ગ્રહણ કરશે જ્યારે આ વિશેષ સમારંભમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. 2014માં પહેલી વખત મુખ્ય પ્રધાન બનેલા દેવેન્દ્ર ફડણવીસે પાંચ વર્ષની પૂરી મુદત સરકાર ચલાવી હતી. 2019માં તેઓ ફક્ત ત્રણ દિવસ માટે મુખ્ય પ્રધાન બન્યા હતા.

અજિત પવાર સહિત બે નાયબ મુખ્ય પ્રધાન પણ આઝાદ મેદાનમાં આયોજિત ભવ્ય કાર્યક્રમમાં શપથ ગ્રહણ કરશે. વિદાયમાન મુખ્ય પ્રધાન એકનાથ શિંદે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લેશે કે નહીં તેની હજી સુધી સ્પષ્ટતા કરવામાં આવી નથી, પરંતુ ફડણવીસે એમ જણાવ્યું હતું કે તેમણે શિંદેને સરકારમાં જોડાવા માટે વિનંતી કરી છે. શિંદેએ કહ્યું હતું કે તેમની પાર્ટીમાંથી કોણ નાયબ મુખ્ય પ્રધાન બનશે તેની જાહેરાત બાદમાં કરવામાં આવશે.

મહાયુતિના ઘટક પક્ષોનું એક પ્રતિનિધિમંડળ રાજ્યપાલને મળવા રાજભવન પર પહોંચ્યું હતું અને સરકાર રચવાનો દાવો કર્યો હતો.

આ પહેલાં વિધાનભવનમાં ભાજપના વિધાનસભ્યોની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં કેન્દ્રીય નિરીક્ષકો વિજય રૂપાણી અને નિર્મલા સીતારમણની હાજરીમાં દેવેન્દ્ર ફડણવીસને વિધાનમંડળ પક્ષના અધ્યક્ષ ચૂંટી કાઢવામાં આવ્યા હતા. ભાજપના નેતા ચંદ્રકાંત પાટિલે ફડણવીસના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો.

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કેન્દ્રીય નિરીક્ષક વિજય રૂપાણીએ ફડણવીસ ભાજપ વિધાનમંડળ પક્ષના નેતા ચૂંટાઈ આવ્યા હોવાની જાહેરાત કરી હતી.

અન્ય કેન્દ્રીય નિરીક્ષક નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી કે ડબલ એન્જિનની સરકાર વિકાસને ગતિ આપશે. ફડણવીસે ભાજપના વિધાનસભ્યોનો તેમનામાં વિશ્ર્વાસ રાખવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

આઝાદ મેદાનમાં શપથ ગ્રહણ કાર્યક્રમ માટે ભાજપના 40,000 સમર્થકો અને 2,000 વીવીઆઈપીઓ માટે બેઠકની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને સુરક્ષા માટે 4,000 પોલીસ જવાનોને બંદોબસ્ત માટે ગોઠવી દેવામાં આવ્યા છે, જેમાં 520 અધિકારીઓનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત એસઆરપીએફ, ક્યુઆરટી (ક્વિક રિસ્પોન્સ ટીમ), રાયટ ક્ધટ્રોલ ટીમ, ડેલ્ટા, કોમ્બેટ ટીમ અને બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વૉડને પણ ફરજ પર ગોઠવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત ટ્રાફિકની વ્યવસ્થા સંભાળવા માટે ટ્રાફિક પોલીસના 280 જવાનો ખડેપગે ફરજ બજાવશે. રાજ્યના મુખ્ય સચિવ સુજાતા સૌનિક દ્વારા આ સમારંભની આમંત્રણ પત્રિકાઓ વિતરિત કરવામાં આવી હતી, જેમાં દેવેન્દ્ર ફડણવીસના નામમાં પહેલાં માતા સરિતા અને પછી પિતા ગંગાધર લખવામાં આવ્યું હતું. આમ દેવેન્દ્ર સરિતા ગંગાધર ફડણવીસના મુખ્ય પ્રધાન તરીકેના શપથ ગ્રહણનું આમંત્રણ અપાયું છે.

December 4, 2024
maharastra-politics.png
1min310

મહારાષ્ટ્રમાં સરકારની સ્થાપનાની તૈયારીઓ ચાલી રહી છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતે હાજર રહેવાના હોવાથી આઝાદ મેદાનમાં શપથગ્રહણ સમારોહની તૈયારીઓ જોરશોરથી થઈ રહી છે. આ બધાની વચ્ચે હજી સુધી રાજ્યના આગામી મુખ્ય પ્રધાનના નામને લઈને સસ્પેન્સ અકબંધ છે. દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય પ્રધાન બનશે એવું માનવામાં આવી રહ્યું છે, પરંતુ આ સસ્પેન્સનો બુધવારે અંત આવશે. બુધવારે 04/12/24 સાંજ સુધીમાં મુખ્ય પ્રધાનનું નામ જાહેર કરવામાં આવે એવી શક્યતા જોવાઈ રહી છે.

મહારાષ્ટ્રના આગામી મુખ્ય પ્રધાન ભાજપના જ હશે એમાં હવે કોઈ શંકા નથી. ભાજપના વિધિમંડળ પક્ષના નેતા હજી સુધી નક્કી કરવામાં આવ્યા નથી. આ બધી બાબતોને કારણે વિપક્ષની થઈ રહેલી ટીકાથી કંટાળેલા ભાજપે મંગળવારે બે કેન્દ્રીય નિરીક્ષકોને મુંબઈ મોકલ્યા હતા. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ મંગળવારે મુંબઈ આવી પહોંચ્યા હતા.

આ બંને કેન્દ્રીય નિરીક્ષકોની હાજરીમાં બુધવારે 04/12/24 ભાજપના વિધિમંડળ પક્ષની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાજપના બધા જ વિધાનસભ્યો હાજર રહેશે અને તેઓ પોતાના નેતાને ચૂંટી કાઢશે. આ સંપૂર્ણ પ્રક્રિયા પર કેન્દ્રીય નિરીક્ષકો નજર રાખશે અને ભાજપ વિધિમંડળ પક્ષની પસંદગી અંગે તેઓ કેન્દ્રીય નેતૃત્વને જાણકારી આપશે. આને પગલે કેન્દ્રીય નેતૃત્વ મહારાષ્ટ્રના આગામી મુખ્ય પ્રધાનની જાહેરાત કરશે. આ બધું સાંજ પહેલાં પૂરી થવાની અપેક્ષા છે અને તેથી જ સાંજ સુધીમાં આગામી મુખ્ય પ્રધાનનું નામ જાહેર થતાં 10 દિવસથી ચાલી રહેલી રાજ્યના લોકોની ઈંતેજારીનો અંત આવશે.

November 26, 2024
bankholiday.jpg
2min251

નવેમ્બર મહિનામાં દિવાળી, ભાઈબીજ સહિતના અનેક તહેવારોને કારણે અનેક રજાઓ આવી હતી. હવે ચાર દિવસ બાદ 2024નો છેલ્લો મહિનો પણ શરૂ થવા જઈ રહ્યો છે. નવેમ્બર મહિનાની જેમ જ ડિસેમ્બરમાં પણ બેન્ક હોલિડેઝની ભરમાર રહેશે. જોકે, નવેમ્બરની જેમ ભલે ડિસેમ્બરમાં તહેવારોની ભરમાર નહીં હોય પણ કેટલાક સ્પેશિયલ દિવસ ચોક્કસ હશે કે જેને કારણે સ્કુલ, કોલેજ અને બેંકોમાં રજા રહેશે. આજે અમે અહીં તમને ડિસેમ્બર મહિનામાં કેટલા દિવસ બેંકો બંધ રહેશે. મળી રહેલી માહિતી પ્રમાણે ડિસેમ્બરમાં સાત-આઠ નહીં પૂરા 15 દિવસ સુધી બેંકોમાં રજા રહેશે. આ 15 રજાઓમાં બીજા અને ચોથા શનિવાર તેમ જ રવિવારની રજાનો સમાવેશ થાય છે. આવો જોઈએ ક્યારે ક્યારે દેશના કયા રાજ્યમાં બેંક હોલિડે રહેશે.

  1. 8મી ડિસેમ્બર, 2024ના રવિવારે વીકલી રજા
  2. 10મી ડિસેમ્બર, 2024ના મંગળવારે, હ્યુમન રાઈટ્સ ડે નિમિત્તે બેંકો બંધ રહેશે
  3. 11મી ડિસેમ્બર, 2024ના બુધવારે યુનિસેફના સ્થાપના દિવસ
  4. 14મી ડિસેમ્બર, 2024ના બીજા શનિવાર નિમિત્તે બેંકોમાં રજા રહેશે
  5. 15મી ડિસેમ્બ, 2024ના બેંકોમાં રવિવારની રજા રહેશે
  6. 18મી ડિસેમ્બર, 2024ના બુધવારે ગુરુ ઘાસીદાસ જયંતિ નિમિત્તે બેંકો બંધ રહેશે
  7. 19મી ડિસેમ્બર, 2024ના ગુરુવારે ગોવા મુક્તિ દિવસ નિમિત્તે ગોવામાં બેંકો બંધ રહેશે
  8. 22મી ડિસેમ્બર, 2024ના રવિવારે વીકલી છુટ્ટીને કારણે બેંકો બંધ રહેશે
  9. 24મી ડિસેમ્બર, 2024ના મંગળવારના દિવસે શહીદ દિવસ તેમ ક્રિસમસ ઈવને કારણએ મિઝોરમ, મેઘાલય, પંજાબ અને ચંદીગઢમાં બેંકો બંધ રહેશે
  10. 25મી ડિસેમ્બર, 2024ના બુધવારે ક્રિસમસ નિમિત્તે બેંકોમાં રજા રહેશે
  11. 26મી ડિસેમ્બર, 2024ના ગુરુવારના દિવસે બોક્સિંગ ડે/ક્વાન્ઝા નિમિત્તે બેંકો બંધ રહેશે
  12. 28મી ડિસેમ્બર, 2024ના ચોથા શનિવાર નિમિત્તે બેંકોમાં રજા રહેશે
  13. 29મી ડિસેમ્બર, 2024ના રવિવારે બેંકોમાં સાપ્તાહિક રજા રહેશે
  14. 30મી ડિસેમ્બર, 2024ના સોમવારે તમુ લોસર નિમિત્તે સિક્કિમમાં બેંકો બંધ રહેશે
  15. 31મી ડિસેમ્બર, 2024ના મંગળવારના દિવસે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ મિઝોરમમાં તમામ બેંકો બંધ રહેશે