આજકાલ દરેક વ્યક્તિ બેંકમાં જાય છે અને રોજબરોજના અનેક બેંક સંબંધિત કામ કરવા માટે આપણને બેંક જવું જ પડે છે. ડિજિટલ ઈન્ડિયાના જમાનામાં અનેક કામ એવા પણ હોય છે કે જે ઘરે બેઠા ઓનલાઈન જ થઈ જાય છે તો કેટલાક કામ એવા પણ હોય છે કે જેના માટે ફરજિયાત બેંક જવું જ પડે એમ હોય છે.
જુલાઈ મહિનો અડધો પૂરો થઈ ગયો છે અને થોડા જ દિવસોમાં ઓગસ્ટ મહિનો શરૂ થઈ જશે. જો તમે પણ ઓગસ્ટ મહિનામાં બેંક સંબંધિત કામ પતાવવાનું વિચારી રહ્યા હોવ તો આ સમાચાર તમારા માટે જ છે. ઓગસ્ટ મહિનામાં આવી રહેલાં બેન્ક હોલીડે (Bank Holiday In August)ની યાદી વાંચી લો, જેથી તમારે ધક્કો ના ખાવો પડે-
આ દિવસે બેંકોમાં હશે રજા (Bank Holiday)
ચોથી ઓગસ્ટના રવિવારની રજાને કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે
10મી ઓગસ્ટના મહિનાનો બીજો શનિવાર હોવાથી દેશભરમાં બેંકોમાં રજા રહેશે
11મી ઓગસ્ટના રવિવારની રજાને કારણે બેંકો બંધ રહેશે
15મી ઓગસ્ટના સ્વતંત્રતા દિવસ હોવાથી દેશભરની બેંકોમાં રજા આપવામાં આવી છે
18મી ઓગસ્ટના પણ રવિવારની રજા નિમિત્તે બેંકો બંધ રહેશે
19મી ઓગસ્ટના રક્ષાબંધનના તહેવાર નિમિત્તે ઉત્તરાખંડ, દમણ, દીવ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, હરિયાણા, ગુજરાત, ચંદીગઢ અને ઉત્તર પ્રદેશમાં બેંક હોલીડે રહેશે
24મી ઓગસ્ટના ચોછો શનિવાર હોવાથી દેશભરમાં બેંકોમાં રજા રહેશે
25મી ઓગસ્ટના રવિવારની રજાને કારણે બેંકો બંધ રહેશે
26મી ઓગસ્ટના જન્માષ્ટમી હોવાને કારણે આંદામાન અને નિકોબાર, પંજાબ, ઝારખંડ, જમ્મુ-કાશ્મીર, મધ્ય પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, બિહાર, હરિયાણાસ હિમાચલ પ્રદેશ, તેલંગણા, ઉત્તર પ્રદેશ, દમણ અને દીવ, નાગાલેન્ડ, ચંદીગઢ, તમિલનાડુ, ઉત્તરાખંડ, ઓડિશા, સિક્કીમ, ગુજરાત, મેઘાલય, છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ અને ત્રિપુરાની બેંકો બંધ રહેશે.
એર ઈન્ડિયા એરપોર્ટ સર્વિસીસ લિમિટેડ દ્વારા આયોજિત વોક-ઈન ઈન્ટરવ્યુ માટે મુંબઈના કાલીનામાં હજારો લોકો ઉમટી પડ્યા હતા. પરિસ્થિતિ કાબૂ બહાર જવાથી, અરજદારોને તેમના બાયોડેટા સબમિટ કરવા અને જવા માટે કહેવામાં આવ્યું હતું.
મંગળવારે મુંબઈના કાલીનામાં હજારો નોકરી શોધનારાઓ એર ઈન્ડિયા એરપોર્ટ સર્વિસીસ લિમિટેડ દ્વારા આયોજિત વોક-ઈન ઈન્ટરવ્યુ માટે આવ્યા હતા. આ પદો માટેની લઘુત્તમ લાયકાત SSC પાસ અને વધુમાં વધુ 23 વર્ષની હતી. પગાર રૂ. 22,530 પ્રતિ માસ નક્કી કરવામાં આવ્યો હતો. આ પદ 3 વર્ષના ફિક્સ્ડ-ટર્મ કોન્ટ્રાક્ટના આધારે હતું. વિવિધ સમારકામ અને જાળવણી કાર્યો કરવા માટે હેન્ડીમેન અને યુટિલિટી એજન્ટની પોસ્ટ માટે 1,800 જગ્યાઓ માટે લગભગ પચાસ હજારથી વધુ લોકો આવ્યા હતા. લિમિટેડ વેકેન્સી હોવા છતાં ભરતી કચેરીની બહાર ભારે ભીડ ઉમટી પડતા નાસભાગની સ્થિતિ સર્જાઇ હતી.
ગુજરાતમાં 9 જુલાઈના રોજ આવી જ નાસભાગ જેવી સ્થિતિ જોવા મળી હતી. અંકલેશ્વર ખાતે 40 જગ્યાઓ માટે એક પેઢી દ્વારા લેવામાં આવેલા વોક-ઈન ઈન્ટરવ્યુ માટે લગભગ 1,000 લોકો આવ્યા હતા. ભીડ એટલી વધી ગઇ હતી કે તેને કાબૂમાં રાખવું મુશ્કેલ બની ગયું હતું. ત્યાર બાદ બેકાબૂ યુવાનોનું ટોળું હોટલની બહારની રેલિંગ પર ચઢી ગયું હતું. જેના કારણે રેલિંગ તૂટી ગઈ હતી અને અનેક યુવકો નીચે પડી ગયા હતા. ઉપરાંત રેલીંગની સામે પાર્ક કરાયેલા વાહનોને પણ નુકસાન થયું હતું. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
૨૬ જુલાઈથી શરૂ થનાર પૅરિસ ઑલિમ્પિક્સ માટે વિરાટ કોહલીએ લગભગ એક મિનિટનો વિડિયો શૅર કરીને ભારતીય ખેલાડીઓને મોટિવેટ કર્યા છે. તેણે ભારતના રમતપ્રેમીઓને ૧૧૮ સભ્યોની ભારતીય ઑલિમ્પિક્સ ટીમને સમર્થન આપવાની હાકલ કરી છે, કારણ કે તેઓ ટોક્યો ઑલિમ્પિક્સના તેમના શ્રેષ્ઠ પ્રદર્શન (સાત મેડલ) કરતાં વધુ સારું પ્રદર્શન કરવા જઈ રહ્યા છે.
કિંગ કોહલીએ કહ્યું હતું કે ‘એક સમય હતો જ્યારે દુનિયા ભારતને સાપ અને હાથીઓના દેશ તરીકે જાણતી હતી, પરંતુ હવે એવું નથી. હવે આપણે વિશ્વની સૌથી મોટી લોકશાહી અને ડેટા ટેક્નૉલૉજીનું કેન્દ્ર છીએ. અમે ક્રિકેટ અને બૉલીવુડ, સ્ટાર્ટઅપ યુનિકૉર્ન અને ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા માટે જાણીતા છીએ. હવે આ મહાન દેશ માટે આગળ શું થશે? મહત્તમ ગોલ્ડ, સિલ્વર અને બ્રૉન્ઝ મેડલ. આપણાં ભાઈ-બહેનો મેડલ જીતવા પૅરિસ જઈ રહ્યાં છે. જ્યારે તેઓ ટ્રૅક ઍન્ડ ફીલ્ડ, કોર્ટ અથવા રિંગમાં ઊતરશે ત્યારે એક અબજથી વધુ ભારતીયો તેમને ઉત્સાહથી જોતા હશે. મારી સાથે તમે પણ એવા લોકોના ચહેરા યાદ કરજો જેઓ ગર્વથી તિરંગો ધ્વજ લહેરાવવાના દૃઢ નિશ્ચય સાથે પોડિયમની નજીક જશે. જય હિન્દ અને ભારતીય ટીમને શુભેચ્છાઓ.’
આજે મુકેશ અંબાણી અને નીતા અંબાણી (Mukesh Ambani-Nita Ambani)ના નાના દીકરા અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના (Anant Ambani-Radhika Merchant)ના લગ્નની વિધિઓની શરુઆત થઈ ગઈ છે. મુંબઈના બીકેસી ખાતે આવેલા જિયો વર્લ્ડ સેન્ટરમાં વીવીઆઈપી મહેમાનોનું આગમન શરુ થઈ ગયું છે અને આ બધા વચ્ચે જાન પણ વેન્યુ જવા માટે રવાના થઈ ગઈ છે.
અનંત અંબાણીની જાન એટલી ધામધૂમથી નીકળી હતી કે જોનારાઓની આંખો પહોળી થઈ ગઈ હતી. એન્ટિલિયાથી જેવી ફૂલોથી સજેલી કાર રવાના થઈ ત્યારે આ કાર અને વરરાજાની શાન જોઈને ઉપસ્થિત તમામ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સોશિયલ મીડિયા પર અનંત અંબાણીની જાનના ફોટા અને ફૂલોથી સજાવવામાં આવેલી કારના ફોટા વાઈરલ થઈ રહ્યા છે. વરરાજા સાથે આખો અંબાણી પરિવાર વેડિંગ વેન્યુ જવા રવાના થયા હતા.
આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર નીતા અંબાણી (Nita Ambani Dance Video Viral) નો એક વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે જેમાં તેઓ જાન નીકળતાં પહેલાં ઢોલના તાલે ડાન્સ કરતાં જોવા મળી રહ્યા છે. આ સમયે નીતા અંબાણીના ચહેરા પર વહુ લાવવાની, દીકરાને પરણાવવાની ખુશી સ્પષ્ટપણે જોઈ શકાય છે.
અનંત અંબાણીના લગ્ન સમયે અંબાણી પરિવારે પરિવારના વડીલોને યાદ કર્યા છે અને એની સાબિતી મળે છે વેડિંગ વેન્યુ પર જોવા મળેલા બે ફોટો પરથી. મળી રહેલી માહિતી પ્રમાણે વેડિંગ વેન્યુ પર મુકેશ અંબાણીના પિતા ધીરુભાઈ અંબાણી (Mukesh Ambani’s Father Dhirubhai Ambani) અને નીતા અંબાણીના પિતા રવિન્દ્રભાઈ દલાલ (Nita Ambani’s Father Ravindra Dalal)ના ફોટો લગાવવામાં આવ્યા છે. બંનેની ફોટોફ્રેમને સુંદર રીતે ફૂલોથી સજાવવામાં આવી છે.
કેન્દ્ર સરકારે 25 જૂનને બંધારણ હત્યા દિવસ તરીકે જાહેર કર્યો છે. કેન્દ્ર સરકારે આ અંગે નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે. જેમાં કેન્દ્રએ કહ્યું છે કે દેશમાં 25 જૂન 1975ના રોજ ઈમરજન્સી લાગુ કરવામાં આવી હતી, તેથી હવે ભારત સરકારે દર વર્ષે 25 જૂનને ‘સંવિધાન હત્યા દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. આ દિવસ 1975ની કટોકટીની અમાનવીય પીડા સહન કરનારા તમામ લોકોના અપાર યોગદાનને યાદ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આ અંગે ટ્વીટ કર્યું છે.
25 जून 1975 को तत्कालीन प्रधानमंत्री इंदिरा गाँधी ने अपनी तानाशाही मानसिकता को दर्शाते हुए देश में आपातकाल लगाकर भारतीय लोकतंत्र की आत्मा का गला घोंट दिया था। लाखों लोगों को अकारण जेल में डाल दिया गया और मीडिया की आवाज को दबा दिया गया। भारत सरकार ने हर साल 25 जून को 'संविधान… pic.twitter.com/KQ9wpIfUTg
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ટ્વિટર પર આ માહિતી આપી હતી. તેમણે પોસ્ટ કર્યું હતું કે, “25 જૂન, 1975ના રોજ, તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ દેશ પર ઈમરજન્સી લાદીને, એક સરમુખત્યારશાહી માનસિકતા દર્શાવીને આપણી લોકશાહીની આત્માનું ગળું દબાવી દીધું હતું.
લાખો લોકોને કોઈપણ ભૂલ વગર જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા અને મીડિયાનો અવાજ દબાવી દેવામાં આવ્યો હતો. 1975ની અમાનવીય પીડા સહન કરનારા તમામ લોકોના મહાન યોગદાનને યાદ કરવા માટે ભારત સરકારે દર વર્ષે 25મી જૂનને ‘સંવિધાન હત્યા દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે.
અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયનો ઉદ્દેશ્ય એવા લાખો લોકોના સંઘર્ષનું સન્માન કરવાનો છે, જેઓ સરમુખત્યારશાહી સરકારના અસંખ્ય ત્રાસ અને જુલમનો સામનો કરવા છતાં લોકશાહીને જીવિત રાખવા માટે પ્રયત્નશીલ રહ્યા અને તેને બચાવવાનો સંઘર્ષ કર્યો ‘સંવિધાન હત્યા દિવસ’ દરેક ભારતીયમાં વ્યક્તિગત સ્વતંત્રતાની અમર જ્યોતનું રક્ષણ કરવાનું કામ કરશે, જેથી ભવિષ્યમાં કોંગ્રેસ જેવી કોઈ સરમુખત્યારશાહી માનસિકતાનું પુનરાવર્તન ન કરી શકે.
અગ્નિવીર સ્કીમને લઈ કેન્દ્ર સરકારે આજે સૌથી મોટી જાહેરાત કરી છે. આ યોજના અંગે વિપક્ષ દ્વારા તેને રદ કરવાની માગણી પણ કરી હતી, ત્યારે આજે કેન્દ્ર સરકારે સીઆઈએસએફ (CISF)ની ભરતીમાં 10 ટકા અનામત રાખવાનો નિર્ણય લીધો છે.
સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆઈએસએફ)માં 10 ટકા અનામત પૂર્વ અગ્નિવીર માટે રાખવામાં આવી છે. એની સાથે અગ્નિવીરોની શારીરિક પરીક્ષામાં પણ છૂટ આપવામાં આવી છે. કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆઈએસએફ)ના વડા નીના સિંહે કહ્યું છે કે એના અંગે તમામ તૈયારીઓ કરી લીધી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે કોંગ્રેસ સત્તામાં આવશે તો આ યોજનાને ખતમ કરવામાં આવશે.
ગૃહ મંત્રાલય વતી આજે જણાવવામાં આવ્યું છે કે અગ્નિવીરોને સીઆઈએસએફમાં નોકરી મળશે તેમ જ અગ્નિવીરો માટે દસ ટકા અનામત રાખવામાં આવશે. ફિઝિકલ ટેસ્ટમાં પૂર્વ અગ્નિવીરોને છૂટ મળશે, જ્યારે સીઆઈએસએફમાં દસ ટકા રિઝર્વેશન રહેશે.
14 જૂન, 2022માં આ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. અગ્નિપથ યોજનામાં 17થી 21 વર્ષના યુવાનોને ફક્ત ચાર વર્ષ માટે ભરતી કરવાની જોગવાઈ છે, જેમાં 25 ટકા અગ્નિવીરોને આગામી પંદર વર્ષ સુધી રાખવાની જોગવાઈ છે. જોકે, એમાં સુધારો કરીને સરકારે ઉંમર મર્યાદા વધારીને 23 વર્ષ કર્યા હતા. યોજના અન્વયે પૂર્વ અગ્નિવીરોની પહેલી બેચ માટે અપર એજ લિમિટમાં પાંચ વર્ષની છૂટ આપી હતી અને પછી બાકીની બેચ માટે ત્રણ વર્ષની છૂટ આપી છે. અગ્નિવીર યોજના અન્વયે ચાર વર્ષના કોન્ટ્રકાટ પર યુવાનોને આર્મીમાં ભરતી કરવામાં આવે છે. ભરતી કર્યા પછી યુવાનોને સેલેરી પણ નિશ્ચિત હોય છે. ચાર વર્ષના સમયગાળા માટે સૈનિક તરીકે નિયમિત નોકરી રહે છે.
નીટ પરીક્ષા-2024માં પેપર લીક મુદ્દે આવતીકાલે (11 જુલાઈ) સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. જોકે તે પહેલા કેન્દ્ર સરકારે આજે (10 જુલાઈ) સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે. કેન્દ્રએ તેમાં કહ્યું છે કે, NEET પરીક્ષા ફરી યોજવાની જરૂર નથી, તેમાં મોટા પાયે ચોરી થઈ નથી. ભારત સરકાર નીટ પરીક્ષા આપનારા તમામ વિદ્યાર્થીઓની ચિંતા દૂર કરવા માટે બંધાયેલું છે.
સરકાર સમાધાન શોધવાના તમામ પ્રયાસો કરી રહી છે સરકાર
સોગંદનામામાં કહેવાયું છે કે, સરકાર સમાધાન શોધવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. આ ઉપરાંત સરકાર દોષી ઉમેદવારોને કોઈપણ લાભ ન મળે, તે પણ સુનિશ્ચિત કરી રહી છે. સરકાર પ્રયાસ કરી રહી છે કે, માત્ર આશંકાઓના કારણે 23 લાખ વિદ્યાર્થીઓ પર નવી પરીક્ષાનો બોજ નાખવામાં ન આવે.
તેમાં એમ પણ કહ્યું છે કે, સરકાર તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ નિષ્પક્ષ અને પારદર્શી રીતે યોજાય, તે માટે એક મજબૂત પરીક્ષા પ્રક્રિયા બનાવવા માટે પ્રતિબદ્ધ છે. સરકાર પરીક્ષાઓની અખંડિતતા સુનિશ્ચિત કરવા અને વિદ્યાર્થીઓના હિતોનું રક્ષણ કરવા પ્રતિબદ્ધ છે. જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા, નિષ્પક્ષતા અને વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવા માટે તેમજ પેપર લીક અટકાવવા માટે કડક કાયદો બનાવાયો છે. આ માટે સંસદમાં પબ્લિક એક્ઝામિનેશન્સ (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) એક્ટ, 2024 કાયદો ઘડવામાં આવ્યો છે.
સીબીઆઈએ વધુ બે લોકોની ધરપકડ કરી
દરમિયાન કેન્દ્રી તપાસ એજન્સી સીબીઆઈએ NEET UG પેપર લીક અને ગેરરીતિના કેસમાં બિહારથી વધુ બે લોકોની ધરપકડ કરી છે. એજન્સીએ નીટ ઉમેદવાર સની કુમાર અને એક અન્ય નીટ ઉમેદવારના પિતાને પટનાથી ઝડપી લીધા છે. એવા અહેવાલો સામે આવ્યા છે કે, રંજીતે પરીક્ષા માટે પોતાના પુત્રનું સેટિંગ કરાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, નીટ પરીક્ષા પેપર લીકની તપાસ કરી રહેલી સીબીઆઈએ અત્યાર સુધીમાં પટણા, ગોધરા અને હજારીબાગમાંથી ઘણા આરોપીઓની ધરપકડ કરી અને પેપર લીકનો ભેદ ઉકેલવાનો પ્રયાસ કરી રહી છે.
ગત મંગળવારે સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં નીટ પેપર લીક કેસની સુનાવણી દરમિયાન CBI તપાસના રિપોર્ટનો ઉલ્લેખ કરાયો હતો. સીજેઆઈ ડીવાય ચંદ્રચૂડે કહ્યું કે, સીબીઆઈએ આગામી સુનાવણીમાં તપાસ રિપોર્ટ કોર્ટમાં સબિદ કરવાનો રહેશે. આવી સ્થિતિમાં સીબીઆઈએ અત્યાર સુધીની ધરપકડોમાંથી એકત્ર કરાયેલા તમામ પુરાવાઓ વિશે કોર્ટને જાણ કરવી પડશે.
ઓડિશાના પુરીમાં ચાલી રહેલી પ્રસિદ્ધ ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રામાં ફરી મોટી દુર્ઘટના બની છે. અહીં રથમાંથી ભગવાન બલભદ્રની મૂર્તિને ઉતારતી વખતે ભક્તો પડી જવાની પ્રથમવાર ઘટના બની છે, જેમાં આઠ સેવકો ઈજાગ્રસ્ત થયા છે. હાલ તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા છે, જેમાંથી પાંચને ગંભીર ઈજા પહોંચી છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ભગવાન બલભદ્ર રથમાંથી પડી જતા જોવા મળી રહ્યા છે.
ભગવાન બલભદ્રને ફરી રથ પર બિરાજમાન કરાયા : જિલ્લા મેજિસ્ટ્રેટ
જિલ્લા મેજિસ્ટ્રેટ સિદ્ધાર્થ શંકરે ઘટના અંગે માહિતી આપતા કહ્યું કે, ભગવાન બલભદ્રના રથ પર એક નાની ઘટના બની છે, જેમાં આઠ લોકો ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સ્થિતિ સ્થિર છે. કોઈએ પણ ગભરાવાની જરૂર નથી. ભગવાન બલભદ્રને ફરી રથ પર બિરાજમાન કરાયા છે. તમામ સેવકોએ સ્થિતિને કાબુમાં કરી લીધી છે.
પુરીમાં પ્રથમવાર બે દિવસની રથયાત્રા
ઉલ્લેખનીય છે કે, પુરીમાં 1971થી એક દિવસની રથયાત્રા યોજાતી રહી છે, ત્યારે આ વખતે બે દિવસ રથયાત્રા યોજવાનો નિર્ણય કરાયો છે. અહીં દર વર્ષે ઓડિશા તેમજ અન્ય રાજ્યોના અસંખ્ય શ્રદ્ધાળુઓ રથયાત્રામાં જોડાતા હોય છે.
સાતમી જુલાઈએ રથયાત્રામાં નાસભાગ મચી હતી
આ પહેલા સાતમી જુલાઈએ રથ ખેંચતી વખતે નાસભાગ મચી હતી, જેમાં 400થી વધુ શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત થયા હતા, જ્યારે એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. આ ઘટના બન્યા બાદ રથયાત્રા અટકાવી દેવાઈ હતી અને બીજા દિવસે એટલે કે આઠમી જુલાઈએ સવારે 9.00 કલાકે ફરી શરૂ કરવાનો નિર્ણય કરાયો હતો. ઈજાગ્રસ્ત થયેલા કેટલાક શ્રદ્ધાળુઓને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી.
પેરિસ જતી ભારતીય ઓલિમ્પિક ટીમના હોંસલાની બુલંદીના પ્રચંડ સમર્થનના ભાગરુપે દેશકા ગીત એટ ઓલિમ્પિક્સ મુહિમ ફિલ્મ અંતર્ગત અગ્ર પ્રયોજક તરીકે અદાણી ગ્રૂપનું વચન
પેરિસ ઓલિમ્પિક્સમાં ભારતના રાષ્ટ્રગાન સાંભળવાના સન્માનનું લક્ષ્ય સેવતા ભારતના ટોચના ચુનંદા એથ્લેટ્સને આ ફિલ્મ ઉજાગર કરે છે
અદાણી ગૃપ 2016થી અવિરત આંતરરાષ્ટ્રીય ખેલકૂદ રમતોત્સવની વિવિધ રમતોમાં રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરનારા 28થી વધુ એથ્લેટ્સને પ્રોત્સાહનના પોરસ પુરુ પાડતું આવ્યું છે.
રસજ્ઞો અદાણીની આ મુહિમ સોશ્યલ મીડિઆના વિવિધ પ્લેટફોર્મ
As we get ready for the 2024 Paris Olympics, I wish the very best to the exceptional athletes who will represent our nation on the world’s grandest sporting stage. Their relentless riyaaz and unwavering dedication truly embody the new indomitable spirit of India. I am confident… pic.twitter.com/Oi7GsSj8Zb
અમદાવાદ, ૦૮ જુલાઇ ૨૦૨૪: 2024 ઓલિમ્પિક માટે ભારતીય ટીમ પેરિસ માટે ઉડાન ભરતા અગાઉ જીત મેળવવાના જુસ્સા સાથે સખ્ત પરિશ્રમ કરતા રહે છે, ત્યારે તેના મુખ્ય પ્રણેતા અદાણી ગૃપએ દેશકા ગીત એટ ઓલિમ્પિક્સ થીમ સાથેની મુહિમ દ્વારા રાષ્ટ્રના ચેમ્પિયનને તેહદીલથી સમર્થન આપવાનું વચન અભિવ્યક્ત કર્યું છે. જીત મેળવવા અને જીતનો જશ્ન મનાવવા રાષ્ટ્રગીત સાંભળવાના લક્ષ્યને હાંસલ કરવા સાથે તાલીમમાં કલાકો અને વર્ષો ગાળ્યા છે એવા એથ્લેટ્સની આસપાસ આ મુહિમ કેન્દ્રિત છે.
ભારતીય રમતવીરોના અવિરત સમર્પણ ભાવને આવરી લેતી પ્રેરણાદાયી ફિલ્મ દ્વારા સમર્થિત આ મુહિમ ફરી એકવાર મેદાને જંગમાં પ્રવેશી રહેલા ભારતના શ્રેષ્ઠ રમતવીરોને કેન્દ્રમાં રાખે છે ત્યારે રમત ગમતના ચાહકોમાં દેશદાઝની લાગણીને ફરી પ્રજ્વલિત કરે છે. પેરિસ જવાની તૈયારી કરી રહેલા ભારતની શિરમોર રમતવીરોની પ્રતિભા આ ફિલ્મમાં દર્શાવવામાં આવી છે. આ ખેલાડીઓનું લક્ષ્ય ટોક્યો ઓલિમ્પિક્સના મેડલ જીતવા અને સૌથી વધુ અપેક્ષિત વિશ્વના ખેલકૂદ રમતોત્સવમાં રાષ્ટ્રગીત લલકારવાનું સન્માન હાંસલ કરવાનું છે. ઉલ્લેખનીય છે કે ગત ઓલિમ્પિકમાં ભારતે રેકોર્ડ 7 મેડલ જીત્યા હતા.
ભારતમાં રમતગમતની ઇકોસિસ્ટમના સ્તરને ઉંચે લઇ જવા અને વિકસિત કરવા માટે પ્રતિબદ્ધ અદાણી ગ્રૂપ સમગ્ર દેશમાં ખેલ જગતની સંસ્કૃતિને ઉત્તેજીત કરવા અને આગળ વધારવામાં યત્કિંચિત યોગદાન આપી રહ્યું છે. અદાણી ગ્રૂપનો ઉદ્દેશ્ય પોતાના યોગદાન મારફત ભારતની આગામી પેઢીમાં રમતગમતના સંસ્કારોનું ઘડતર કરી તેઓમાં ચેમ્પિયન બનવાની જીંદાદીલી વિકસાવવાનો છે અને કોમનવેલ્થ ગેમ્સ, એશિયન ગેમ્સ અને ઓલિમ્પિક્સ જેવા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર ભારતનું પ્રતિનિધિત્વ કરવા તરફની તેઓની સફરમાં તેમને જૂસ્સો પુરો પાડવાનો છે.
2016 થી અદાણી ગૃપએ બોક્સિંગ, કુસ્તી, ટેનિસ, ભાલા ફેંક, શૂટિંગ, દોડ, શોટપુટ, ઝડપી ચાલવું, તીરંદાજી જેવી અનેક રમતોમાં 28 થી વધુ રમતવીરોને પ્રોત્સાહિત કરી રહ્યું છે. તેની ફળશ્રુતિરુપે કોમનવેલ્થ ગેમ્સના સુવર્ણ ચંદ્રક વિજેતા કુસ્તીબાજો રવિ કુમાર દહિયા અને દીપક પુનિયા અને બોક્સર અમિત પંઘાલની પ્રતિભાઓ ઉભરી આવી છે. દહિયા અને પુનિયાએ 2020 ટોક્યો ઓલિમ્પિક તેમજ 2020 અને 2023 એશિયન ગેમ્સમાં પણ સિલ્વર મેડલ મેળવ્યા હતા. અદાણી ગ્રુપએ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય ટીમને પણ સ્પોન્સર કરી હતી. આ ગૃપ બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022 અને હેંગઝોઉ એશિયન ગેમ્સ 2022ની ટીમ સાથે ઓફિશ્યલ પાર્ટનર તરીકે પણ સંકળાયેલું હતું.
અદાણી સ્પોર્ટ્સલાઇન ખાતે આ ફિલ્મના લોન્ચિંગ પ્રસંગે સ્પોન્સર્ડ એથ્લેટ્સને શુભેચ્છાઓ પાઠવતા અદાણી સ્પોર્ટ્સલાઇનના CBO સંજય આદેસરાએ જણાવ્યું હતું કે અમને આશા છે કે પેેરીસ ઓલિમ્પિક્સમાં અગાઉ કરતાં પણ વધુ સફળતા મળશે. અમારા કાર્યક્રમો થકી અમે અમારા રમતવીરોને રમતગમતમાં સર્વોચ્ચ સ્તરે શ્રેષ્ઠતાની શોધમાં તમામ રીતે સમર્થન આપવા માટે કૃતનિશ્ચયી છીએ. અને જ્યારે તેઓ ટોચના પુરસ્કાર માટે સંઘર્ષ કરી રહ્યા હોય ત્યારે આપણે તેમનું નૈતિક સમર્થન કરી તેમને ઉત્સાહિત અને પ્રોત્સાહિત કરવા જોઈએ.એમ તેમણે કહ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 અને 9 જુલાઈ એમ બે દિવસ માટે રશિયાની યાત્રા પર છે. 2014માં મોદી પહેલીવાર વડાપ્રધાન બન્યા ત્યારથી લઈને આજ સુધીમાં તેઓ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને 16 વખત મળ્યા છે. પણ એ તમામ મુલાકાત ફેબ્રુઆરી 2022 માં રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું એ અગાઉ થઈ હતી. મોદી છેલ્લે સપ્ટેમ્બર 2019માં વ્લાદિવોસ્ટોકમાં ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમની બેઠક માટે રશિયા ગયા હતા, તો પુતિન છેલ્લે ડિસેમ્બર 2021માં વાર્ષિક દ્વિપક્ષીય સમિટ માટે ભારત આવ્યા હતા. રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયું એ પછી બંને નેતાઓ આ પહેલીવાર મળી રહ્યા છે. પશ્ચિમી દેશોએ રશિયા પર વ્યાપક પ્રતિબંધો લાદેલા હોવાથી ભારતની આ મુલાકાત પર આખી દુનિયા ડોળા જમાવીને બેઠી છે.
વડાપ્રધાન મોદીએ તોડી પરંપરા
ભારતના વડાપ્રધાનો એવી વણલખી પરંપરા પાળતા આવ્યા છે કે વડાપ્રધાન બન્યા બાદ સૌપ્રથમ પડોશી દેશની મુલાકાત લેવી. અગાઉ બે વખત સત્તારૂઢ થયા બાદ મોદીએ પણ એ પરંપરા જાળવી હતી. 2014 માં એમણે ભુતાન અને 2019 માં માલદીવ તથા શ્રીલંકાની મુલાકાત લીધી હતી. આ વર્ષે એમણે એ પરંપરા તોડી છે. વડાપ્રધાન પદની શપથ લીધા પછી પડોશી દેશની યાત્રાએ જવાને બદલે એમણે રશિયા પર પસંદગી ઉતારી છે, જે કેન્દ્ર સરકારની નીતિઓ બાબતે ઘણુંબધું કહી જાય છે. અલબત્ત, ગયા મહિને મોદીએ ઇટાલીનો પ્રવાસ કર્યો હતો, પરંતુ તે G7 નેતાઓની બહુપક્ષીય બેઠક માટે હતો. પહેલી દ્વિપક્ષીય યાત્રા તો આ રશિયાની મુલાકાત જ ગણાય.
પુતિન દ્વારા અપાયેલા આમંત્રણને સ્વીકારીને પીએમ મોદી રશિયા ગયા છે. બંને નેતા 22મા ‘ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન’માં સામેલ થશે, જે દરમિયાન બંને દેશોના હિત સંબંધે દ્વિપક્ષીય ચર્ચાઓ કરાશે. છેલ્લા ઘણાં દાયકાઓથી રશિયા ઘણાબધા મોરચે ભારતનું મહત્ત્વપૂર્ણ ભાગીદાર રહ્યું છે. એમાંય છેલ્લા દસ વર્ષમાં તો બંને દેશો વચ્ચે અભૂતપૂર્વ કહી શકાય એ હદે વ્યૂહાત્મક ભાગીદારીઓ નોંધાઈ છે. એક નજર નાંખીએ ચર્ચાના મુખ્ય મુદ્દાઓ પર.
1. બંને દેશો વચ્ચે મુખ્ય ચર્ચા વ્યાપારને વધારવા બાબતે થશે. રશિયા તેમજ અન્ય યુરોપિયન અને આરબ દેશો સાથેના વ્યાપારને ઓછો ખર્ચાળ કરવા માટે ભારતે નવો રુટ વિકસાવવો છે. એ રુટ ઈરાન સોંસરવો જતો હોવાથી ભારતે દસ વર્ષ માટે ઈરાનના ચાબહાર બંદરને ભાડાપટ્ટે લીધું છે. સમગ્ર રુટના ઝડપી વિકાસ બાબતે બંને નેતાઓ ચર્ચા કરી શકે છે.
2. ઊર્જા, સંરક્ષણ, વેપાર, રોકાણ, રેલવે, આરોગ્ય, શિક્ષણ, સંસ્કૃતિ, પર્યટન જેવા ઘણાં બધા ક્ષેત્રે બંને દેશો વચ્ચે આદાન-પ્રદાન થયું છે. આ તમામ ક્ષેત્રે ફરી એકવાર મોસ્કોમાં દ્વિપક્ષીય સહકાર સધાશે.
3. એક સંવેદનશીલ મુદ્દો છે યુક્રેન યુદ્ધમાં લડવા માટે રશિયાની સેનામાં બળજબરીપૂર્વક ભરતી કરાયેલા ભારતીયોનો. ગેરમાર્ગે દોરાયેલા એ ભારતીયોને મુક્ત કરાવવાનો મુદ્દો પણ મોદી પુતિન સામે છેડશે, એવી આશા છે.
સરંક્ષણ ક્ષેત્રે મહત્ત્વના સોદા
1. ભારતે 2018 માં રશિયા પાસેથી એસ-400 એર ડિફેન્સ સિસ્ટમ ખરીદવાનો સોદો કર્યો હતો, જે ભારતને 2023માં મળી જવાનો હતો. પણ, રશિયા-યુક્રેન યુદ્ધને કારણે એ હથિયાર મેળવવામાં મોડું થયું છે. મોદી પુતિન સાથે આ મુદ્દે પણ ચર્ચા કરી શકે છે.
2. રશિયાની ડિફેન્સ કંપની રોસ્ટેક દ્વારા ભારતમાં મેંગો મિસાઇલના મેન્યુફેક્ચરિંગનું કામ શરૂ કરી દેવાયું છે. મેંગો મિસાઇલ એક પ્રકારના તોપગોળા છે જેને ટેન્કની મદદથી ફાયર કરવામાં આવે છે. આ ગોળા દુશ્મનની મજબૂતમાં મજબૂત ટેન્ક અને ભલભલાં બખ્તરબંધ સૈન્ય વાહનોના પડખા ચીરી નાંખવા સક્ષમ છે. આ મિસાઇલને લીધે ભારતની લશ્કરી શક્તિમાં ખૂબ વધારો થશે. રોસ્ટેક કંપની દ્વારા ભારતમાં અન્ય પ્રકારના દારૂગોળાના ઉત્પાદનની યોજના પણ છે. મોદી-પુતિન વચ્ચે એ મુદ્દે પણ સહમતી સધાય એવું બની શકે.
ભારત-રશિયા વ્યાપાર- કોનો કેટલો ફાયદો?
રશિયાના વિરોધમાં અમેરિકાએ આડકતરી રીતે જાણે કે કહી દીધું હતું કે, રશિયા સાથે હશે એ અમારા દુશ્મન! પણ એવી ધમકીને ગણકાર્યા વિના ભારતે યુદ્ધ પછી પણ રશિયા સાથેનો વ્યાપાર જારી રાખ્યો છે. રશિયા પાસેથી ભારત મબલખ માત્રામાં ખનીજ તેલ ખરીદે છે અને એ માટેની ચૂકવણી રશિયા રૂપિયામાં સ્વીકારે છે, એ ભારતનો મોટો ફાયદો. વર્ષ 2023-24માં બંને દેશો વચ્ચે 54 લાખ કરોડ રૂપિયાનો વેપાર થયો છે, પણ એમાંથી ભારતે રશિયામાં ફક્ત 3.3 લાખ કરોડની નિકાસ કરી છે. એટલે દેખીતું છે કે બંને વચ્ચેના વ્યાપારમાં રશિયાને બહુ મોટો ફાયદો થાય છે. ભારતનો ફાયદો વધે, એ બાબતની ચર્ચા પણ મોદી-પુતિન વચ્ચે થશે.
ભારતની ચાણક્યનીતિ
યુક્રેન યુદ્ધને કારણે અમેરિકા અને યુરોપે રશિયા પર જાતભાતના આર્થિક પ્રતિબંધો ઠોકી બેસાડ્યા હતા. અમેરિકા ઈચ્છતું હતું કે દુનિયાના અન્ય અગ્રણી દેશો પણ એમના પક્ષે રહે અને રશિયાને એકલું પાડી દેવાય. ચીન અને ઉત્તર કોરિયા જેવા અમેરિકાના જાનીદુશ્મન દેશોએ તો ખુલ્લેઆમ રશિયા સાથે દોસ્તી જાળવી રાખી છે. ભારતે અંગત લાભને કેન્દ્રસ્થાને રાખીને આ મુદ્દે ચતુરાઈપૂર્વકનો પ્રતિભાવ દાખવ્યો છે. યુક્રેન પર હુમલો કરવાના રશિયાના પગલાને વખોડવાના બદલે ભારતે ‘બંને દેશોએ વાતચીત દ્વારા આ સંઘર્ષનો ઉકેલ લાવવો જોઈએ’ એવું નિવેદન આપીને ‘માસ્તર મારેય નહીં ને ભણાવેય નહીં’ પ્રકારની મુત્સદ્દીગીરી દર્શાવી છે, જે ભારતના હિતમાં છે. પારકા કંકાસમાં આપણે શું કામ આપણું નુકસાન કરવું?
અમેરિકાના પેટમાં રેડાયું તેલ
‘પહેલો સગો પડોશી’ એ ઉક્તિને ખોટી ઠેરવતા મોદીએ ગાદીધારણ કરતાં જ રશિયાની વાટ પકડી એનાથી સૌથી વધારે તકલીફ અમેરિકાને જ થશે. આમેય રશિયા પાસેથી ખનીજ તેલ ખરીદવાની ભારતની નીતિથી અમેરિકાના પેટમાં તેલ રેડાતું જ હતું, એમાં આ મુલાકાત બળતામાં ઘી ઉમેરવાનું કામ કરશે. રશિયાના પ્રતિનિધિએ તો બેધડક કહ્યું છે કે, પીએમ મોદીની મોસ્કો મુલાકાતને પશ્ચિમી દેશો ‘ઈર્ષ્યા’થી જોઈ રહ્યા છે.
ભારતનો દુનિયાને સંદેશ- રશિયા મિત્ર હતું, છે અને રહેશે
ભારત સરકારનો એજેન્ડા દેશના ઇન્ફ્રાસ્ટ્રકચરનો વિકાસ કરીને પ્રગતિની ગાડી પાંચમા ગિયરમાં દોડાવવાનો છે. આ મુદ્દાને લક્ષ્યમાં લઈને ભારતે રશિયાને મહત્ત્વ આપીને દુનિયાને આડકતરો ઈશારો આપી દીધો છે કે કેન્દ્ર સરકારની નીતિ પારકી પંચાતમાં પડ્યા વિના અંગત લાભ પ્રત્યે વધુ રહેશે. રશિયા જેવો અન્યોને મતે યુદ્ધખોર દેશ પણ જો ભારત સાથે સારાસારી રાખશે તો ભારત એના તરફ ઢળશે. ભૂતકાળમાં અમેરિકાથી લઈને ચીન જેવા દેશો અંગત ફાયદા માટે આવું કરી ચૂક્યા હોવાથી ભારત આવું પગલું ભરે એમાં કશું ખોટું પણ નથી. ખનીજતેલની આયાત માટે ભારતે અન્ય દેશો પર નિર્ભર રહેવું પડતું હોવાથી અર્થવ્યવસ્થાને ચાલતી રાખવા માટે રશિયા સાથેની ભાઈબંધી જરૂરી પણ છે. પશ્ચિમના દબાણ સામે ન ઝૂકીને ભારતે ધરાર રશિયાનો હાથ ઝાલી રાખ્યો છે, એ બાબત સૂચક છે કે વૈશ્વિક સ્તરે ભારતનું વજન વધી રહ્યું છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.