CIA ALERT

ઇન્ડીયા Archives - Page 2 of 211 - CIA Live

January 30, 2026
nirbhayasuprem.png
1min33

  • શૈક્ષણિક સંસ્થાઓમાં સમાનતાની માર્ગદર્શિકામાં જ સવર્ણો વિરુદ્ધ ભેદભાવ
  • નવા નિયમોમાં સંસ્થાકીય રક્ષણમાંથી સામાન્ય વર્ગ બાકાત, માત્ર એસસી-એસટી-ઓબીસી સામે ભેદભાવ થતો હોવાનો દાવો
  • નિયમો અસ્પષ્ટ, દુરુપયોગ થવાની પૂરી સંભાવના, ભાષા સ્પષ્ટ કરવા નિષ્ણાતોની નવી સમિતિ બનાવો : મુખ્ય ન્યાયાધીશ

UGC યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા દેશની કોલેજો અને યુનિવર્સિટીઓમાં રજૂ કરાયેલા નવા નિયમોને ભેદભાવપૂર્ણ ગણાવતા સુપ્રીમ કોર્ટે તેના અમલ પર Dated 29/01/2026 સ્ટે મુકી દીધો છે. યુજીસીના ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સમાનતાને પ્રોત્સાહન નિયમ, ૨૦૨૬નો દેશભરના અનેક રાજ્યોમાં સવર્ણોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. આ નિયમોના અમલને સુપ્રીમ કોર્ટમાં પણ પડકારવામાં આવ્યો હતો. આ મામલે થયેલી અરજીઓ પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે ગુરુવારે યુજીસીના નવા નિયમો પર સ્ટે મૂકવાની સાથે કેન્દ્ર અને યુજીસીને નોટિસ ફટકારી હતી. સાથે જ આ મામલે વધુ સુનાવણી ૧૯ માર્ચ પર મુલતવી રાખી હતી. આથી હાલમાં ૨૦૧૨નો નિયમ લાગુ રહેશે.

મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે નવા નિયમોમાં અલગ અલગ જાતિઓના વિદ્યાર્થીઓ માટે અલગ અલગ હોસ્ટેલની જોગવાઈનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, ભગવાન માટે આવું ના કરશો. સુપ્રીમે આકરી ટીપ્પણી કરતા કહ્યું કે, યુજીસીના નવા નિયમના ૩(સી) (જે જાતિ આધારિત ભેદભાવને વ્યાખ્યાઈત કરે છે)ને સંપૂર્ણપણે અસ્પષ્ટ ગણાવ્યો અને તેનો દુરુપયોગ થઈ શકે છે તેવી આશંકા વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે કેન્દ્ર અને યુજીસી પાસેથી જવાબ માગ્યો.

બેન્ચે ઉમેર્યું કે, નવા નિયમો સમાજનું વિભાજન કરતા જોખમી પરિણામો લાવી શકે છે. નવા નિયમોમાં ૩(સી) હેઠળની જોગવાઈમાં સંસ્થાકીય રક્ષણમાંથી સામાન્ય વર્ગને બાકાત રાખતી જાતિ-આધારિત ભેદભાવની બિનસમાવેશક વ્યાખ્યાને સમાજ માટે જોખમી ગણાવી હતી. બેન્ચે સવાલ કર્યો કે, ૩(ઈ) હેઠળ ભેદભાવની વ્યાખ્યા તમામ પ્રકારના ભેદભાવપૂર્ણ વર્તનની કાળજી લે છે ત્યારે નવા નિયમોમાં જાતિ આધારિત ભેદભાવોને અલગથી શા માટે વ્યાખ્યાઇત કરવામાં આવ્યો? અને રેગિંગ પર બિલકુલ ધ્યાન શા માટે આપવામાં આવ્યું નથી? સુપ્રીમે કહ્યું કે આ નિયમની ભાષા ફરીથી બદલવાની જરૂર છે.

યુજીસીના નવા નિયમોને સવર્ણો માટે ભેદભાવ પેદા કરનારા ગણાવી સોશિયલ મીડિયા પર વ્યાપક સ્તર પર વિરોધ શરૂ થયો હતો, જેને પગલે શાસક પક્ષ ભાજપની અંદરથી પણ નવા નિયમો સામે અવાજ ઉઠવા લાગ્યા હતા. સાથે નવી દિલ્હીથી લઈને રાજસ્થાનથી દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહાર સુધી સવર્ણોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. તેમણે છેલ્લા કેટલાક દિવસોથી સરકાર અને યુજીસી સામે ઉગ્ર દેખાવો કર્યા હતા. આ દેખાવોના કારણે ભાજપના કેટલાક સ્થાનિક નેતાઓએ પક્ષમાંથી રાજીનામાં પણ આપી દીધા હતા.

મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતના અધ્યક્ષપદે એક બેન્ચે આ કેસની સુનાવણી હાથ ધરી હતી. સુપ્રીમે કહ્યું કે, જાતિવિહિન સમાજ બનાવવાની બાબતમાં આપણે જે પણ કંઈ મેળવ્યું છે તેને આપણે શું પાછળ છોડી રહ્યા છીએ? તેમણે નવા નિયમોમાં અલગ અલગ જાતિઓ માટે અલગ અલગ હોસ્ટેલની સૂચિત જોગવાઈ સામે પણ સવાલ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું ભગવાન માટે આવું ના કરશો. આપણે બધા એક સાથે રહીએ છીએ. આંતર જાતીય લગ્નો પણ થતા હતા. ન્યાયાધીશ બાગચીએ પણ કહ્યું કે, ભારતમાં એકતા શિક્ષણ સંસ્થાઓમાં દેખાવી જોઈએ.

સુપ્રીમ કોર્ટે યુજીસીના નવા નિયમોને અસ્પષ્ટ ગણાવ્યા હતા. બેન્ચે કહ્યું, પહેલી નજરે જ આ નિયમોની ભાષા સંપૂર્ણપણે અસ્પષ્ટ છે. તેનો દુરુપયોગ થઈ શકે છે. કોઈ એક્સપર્ટ રીમોડેલિંગની સલાહ આપી શકે છે. કેન્દ્ર અને યુજીસીને નોટિસ પાઠવતા મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે સૂચન કર્યું કે, આ નિયમો પર જાણિતા કાયદાકીય નિષ્ણાતોની એક સમિતિ મારફત ફરીથી વિચાર કરવો જોઈએ. સુપ્રીમ કોર્ટે આ કેસની આગામી સુનાવણી ૧૯ માર્ચ પર મુલતવી રાખી હતી. સુપ્રીમ કોર્ટે કલમ ૧૪૨ હેઠળ તેની સત્તાઓનો ઉપયોગ કરી નવા આદેશો ના થાય ત્યાં સુધી યુજીસીના ૨૦૧૨ના નિયમોનો અમલ ચાલુ રાખવા જણાવ્યું હતું.

યુજીસીના વિવાદાસ્પદ નિયમમાં શું છે?

કોલેજ અને યુનિવર્સિટીમાં જાતિના આધારે થતા ભેદભાવ રોકવા માટે લવાયેલા નવા નિયમો હેઠળ સંસ્થાઓને એસસી-એસટી અને ઓબીસી વર્ગની ફરિયાદો સાંભળળા માટે વિશેષ સમિતિઓ અને હેલ્પલાઈન બનાવવાં પડશે. વિશેષરૂપે એસસી (અનુસૂચિત જનજાતિ), અનુસૂચિત જનજાતિ (આદિવાસી) કેટેગરી અને અન્ય પછાત વર્ગના વિદ્યાર્થીઓની ફરિયાદો માટે ઉકેલ લાવવાની માગ કરાઈ હતી. યુજીસીએ ૧૩ જાન્યુઆરીએ આ નિયમોને નોટિફાઈ કર્યા હતા. જોકે, આ નવા નિયમોમાંથી શૈક્ષણિક સંસ્થાઓમાં ભેદભાવ મુદ્દે સવર્ણોને બાકાત રખાયા અને માત્ર એસસી, એસટી, ઓબીસી વર્ગ પર જ ભેદભાવ થતો હોવાનું ચિત્ર ઉપસાવ્યું.

January 29, 2026
image-21.png
1min30

પશ્ર્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીને સ્પષ્ટપણે નારાજ કરતાં એનસીપી (એસપી)ના પ્રમુખ શરદ પવારે 28/01/2026 બુધવારે કહ્યું હતું કે તેમના ભત્રીજા અજિત પવાર અને અન્ય ચાર લોકોનો વિમાન તૂટી પડવામાં નિધન થયું તે હોનારત એક અકસ્માત જ હતો જેનું રાજકારણ ન કરવું જોઈએ.

પત્રકારોને સંબોધતા, તેમણે કહ્યું હતું કે અજિત પવારનું મૃત્યુ મહારાષ્ટ્ર માટે એક મોટો આઘાત હતો, જેણે એક મહેનતુ અને કાર્યક્ષમ નેતા ગુમાવ્યો છે અને આ નુકસાન ભરપાઈ ન થઈ શકે તેવું છે. ‘બધી બાબતો આપણા હાથમાં નથી હોતી,’ એમ તેમણે ઉમેર્યું હતું.

‘કોલકાતાથી એવી થિયરી સામે આવી હતી કે આ ઘટનામાં થોડું રાજકારણ સામેલ છે, પરંતુ આવું કંઈ નથી. તેમાં કોઈ રાજકારણ નથી. તે એક અકસ્માત હતો. હું આ પ્રકરણમાં રાજકારણ ન લાવવાની વિનંતી કરું છું,’ એમ તેમણે જણાવ્યું હતું.

મમતા બેનર્જીએ અજિત પવારના મૃત્યુની સુપ્રીમ કોર્ટ દ્વારા દેખરેખ હેઠળ તપાસની માગણી કરતાં એવો આરોપ લગાવ્યો હતો કે ‘અન્ય બધી એજન્સીઓ’ ‘સંપૂર્ણપણે સધાઈ ગયેલી’ છે.

January 28, 2026
image-18.png
1min25

28/01/2026મહારાષ્ટ્રમાં એક મોટી દુર્ઘટના સર્જાયાની માહિતી સામે આવી છે. અહીં બારામતીમાં ઉપમુખ્યમંત્રી અજિત પવારનું વિમાન ક્રેશ થઇ ગયું છે. આ દુર્ઘટના લેન્ડિંગ સમયે સર્જાઈ હોવાની જાણકારી છે. મળતી માહિતી અનુસાર આ વિમાનમાં અજિત પવાર હાજર પણ હાજર હતા. ડીજીસીએના અહેવાલો અનુસાર અજિત પવાર સહિત 5 લોકોનું નિધન થઈ ગયું છે. વિમાનમાં અજિત પવાર સહિત બે પાઇલટ, 1 ક્રૂ મેમ્બર અને 1 અન્ય વ્યક્તિનું મોત નીપજ્યું છે.

બારામતીમાં કોઈ કાર્યક્રમમાં હાજરી આપવા માટે અજિત પવાર ત્યાં જઇ રહ્યા હોવાની જાણકારી મળી રહી છે. જોકે હજુ સુધી વિમાન ક્રેશ થવાનું કોઈ કારણ સામે આવ્યું નથી. ઘટનાસ્થળેથી સામે આવેલી તસવીરોમાં જોઈ શકાય છે કે વિમાન આગમાં લપેટાઈ ગયું છે. ધૂમાડાના ગોટેગોટા ઉડી રહ્યા છે. અહેવાલોમાં અનુસાર આ વિમાનમાં મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અને એનસીપીના લીડર અજિત પવાર હાજર હતા. વિમાન ક્રેશ થયા બાદ આખો કાટમાળમાં ફેરવાઈ ગયો હતો.

અજિત પવાર ચૂંટણી પ્રચાર માટે જઈ રહ્યા હોવાની ચર્ચા છે ત્યારે જ અધવચ્ચે રસ્તામાં આ અકસ્માત સર્જાયો હતો. જોકે એનસીપી નેતા માજિદ મેમણે જણાવ્યું કે અજિત પવાર આજે બારામતી આવવાના હતા. વિમાનમાં કુલ 5 લોકો સવાર હતા. સવારે 8:45 વાગ્યાની આજુબાજુમાં જ આ વિમાન રન વે પર લેન્ડ થતી વખતે ક્રેશ થઇ ગયું હતું. ડીજીસીએ દ્વારા આ વિમાન દુર્ઘટનાની પુષ્ટી કરવામાં આવી છે.

અજિત પવારના નિધન પર રાજકારણમાં શોકની લહેર દોડી ગઈ છે. પીએમ મોદીએ મહારાષ્ટ્રના સીએમ ફડણવીસ સાથે આ મામલે ચર્ચા કરી ઘટનાની જાણકારી મેળવી હતી. આ સાથે સુપ્રિયા સુલે પણ બારામતી જવા રવાના થયા હતા. બીજી બાજુ વિપક્ષના નેતાઓ સંજય રાઉત, મહેબુબા મુફ્તી સહિત અનેક લોકોએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

January 28, 2026
image-17.png
1min29

સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે, જે આગામી સમયમાં ભારતીય રાજનીતિ અને અર્થતંત્ર માટે અત્યંત મહત્વનું સાબિત થશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંયુક્ત અભિભાષણ સાથે આ સત્રના પ્રથમ તબક્કાનો પ્રારંભ થશે.

સંસદનું બજેટ સત્ર બે તબક્કામાં ચાલશે. પ્રથમ તબક્કો આજથી શરૂ થઈને 13 ફેબ્રુઆરી સુધી ચાલશે, જ્યારે બીજો તબક્કો 9 માર્ચથી 2 એપ્રિલ સુધી ચાલશે. ઇતિહાસમાં પ્રથમવાર 1 ફેબ્રુઆરીએ રવિવાર હોવા છતાં નાણામંત્રી નિર્મલા સીતારમણ કેન્દ્રીય બજેટ રજૂ કરશે.

સત્રની શરૂઆત પહેલા થયેલી સર્વદળીય બેઠકમાં સરકારે વિપક્ષની મહત્વની માંગણીઓ ફગાવી દીધી છે. વિપક્ષ ‘વીબી-જીરામજી’ કાયદા પર ચર્ચા ઈચ્છતો હતો. આ કાયદો મનરેગા (MGNREGA) ની જગ્યા લઈ રહ્યો છે અને ગ્રામીણ પરિવારોને 100 ને બદલે 125 દિવસની રોજગારીની ગેરંટી આપે છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ કાયદો શિયાળુ સત્રમાં પસાર થઈ ગયો છે અને હવે તે અમલી છે, તેથી તેના પર ફરી ચર્ચા થઈ શકે નહીં.

‘SIR’ એટલે કે ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (મતદારી યાદીના વિશેષ સુધારણા) ને લઈને છે. પશ્ચિમ બંગાળ અને આસામ જેવા રાજ્યોમાં મતદારોના નામ હટાવવા અંગે વિપક્ષે આશંકા વ્યક્ત કરી છે. જોકે, સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ જણાવ્યું કે આ અંગે અગાઉ ચર્ચા થઈ ચૂકી છે અને સત્રને સુચારૂ ચલાવવા માટે વિપક્ષ સહયોગ આપે.

આ સત્ર એવા સમયે યોજાઈ રહ્યું છે જ્યારે પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ અને કેરળ જેવા પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. આથી બજેટમાં કરવામાં આવતી જાહેરાતો અને વિપક્ષનો હંગામો બંને રાજકીય દ્રષ્ટિએ ખૂબ જ મહત્વના રહેશે.

January 28, 2026
image-15.png
3min23

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુરોપિયન યુનિયનના નેતાઓએ 27/01/2026 આજે નવી દિલ્હીમાં ભારત-યુરોપની ઐતિહાસિક ફ્રી ટ્રેડ ડીલને અંતિમ રૂપ આપ્યું. આશરે 18 વર્ષ લાંબી વાટાઘાટો બાદ આજે આખરે આ ડીલ પર મહોર વાગી. આ ડીલને ‘મધર ઓફ ઑલ ડીલ્સ’ કહેવામાં આવે છે, જે દુનિયાની 25 ટકા GDPનું પ્રતિનિધિત્વ કરે છે. ફ્રી ટ્રેડ ડીલમાં સૌથી મોટી જાહેરાત ઓટોમોબાઈલ ક્ષેત્રને લગતી છે, જે અંતર્ગત યુરોપથી ભારત આવતી કાર પર ટેક્સ ઘટાડીને 10 ટકા કરાશે.

તમને જણાવી દઈએ કે, યુરોપિયન યુનિયનના પ્રેસિડેન્ટ ઉર્સુલા વોન ડેર લેયેન અને યુરોપિયન કાઉન્સિલના પ્રેસિડેન્ટ એન્ટોનિયો કોસ્ટા હાલ ભારતના પ્રવાસે છે. આ બંને નેતા ગઇકાલે પ્રજાસત્તાક દિવસની પરેડમાં ચીફ ગેસ્ટ તરીકે જ ભારત આવી ગયા હતા. આ મુદ્દે બંને પક્ષે 26 જાન્યુઆરીએ જ ફ્રી ટ્રેડ ડીલ અંગે વાટાઘાટો શરૂ કરી હતી, જેને 27 જાન્યુઆરીએ આયોજિત 16માં શિખર સંમેલનમાં અંતિમ રૂપ અપાયું હતું. યુરોપ આ ડીલને ‘મધર ઓફ ઑલ ડીલ્સ’ કહે છે.

ભારત-યુરોપની સંયુક્ત પત્રકાર પરિષદમાં PM મોદીએ કહ્યું હતું કે, વિશ્વની બે સૌથી મોટી લોકશાહી શક્તિઓએ આજે નવો અધ્યાય સ્થાપિત કર્યો. છેલ્લા ઘણાં વર્ષોથી ભારત અને યુરોપ વચ્ચેના સંબંધો મજબૂત થઈ રહ્યા હતા. આજે આ સંબંધોને નવી ઊંચાઈ પ્રાપ્ત થઈ. ભારતે આજે વિશ્વના સૌથી મોટા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે. આ એગ્રીમેન્ટ સમૃદ્ધિની નવી બ્લૂપ્રિન્ટ છે. ભારત અને યુરોપની આ ડીલ ઈન્ટરનેશનલ સિસ્ટમને સ્થિરતા અને મજબૂતાઈ આપશે. આ સિવાય અમે યુક્રેન, પશ્ચિમ એશિયા, ઈન્ડો-પેસિફિક સહિતના વૈશ્વિક મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી.

ભારત-યુરોપ ટ્રેડ ડીલની સૌથી મોટી જાહેરાતો

  • મેડિકલ અને સર્જીકલ ઉપકરણોમાં 90 ટકા પ્રોડક્ટ્સ પર કોઈ ટેક્સ નહીં લેવાય.
  • યુરોપના ફ્રૂટ જ્યૂસ પર 100%, મશીનરી પર 44% અને કેમિકલ પર 22% ટેરિફ નાબૂદ
  • યુરોપથી આવતી દવાઓ પર 44 ટકા સુધીનો ટેક્સ લેવાય છે, જે નાબૂદ કરાશે.
  • યુરોપના બિયર પર 50%, લિકર પર 40% અને વાઈન પર 30% ટેરિફ નાબૂદ કરાશે
  • આગામી બે વર્ષમાં કાર્બન ઉત્સર્જન ઓછું કરવા માટે યુરોપ ભારતને 500 મિલિયન યુરો આપશે.
  • યુરોપની ફાઈનાન્શિયલ કંપનીઓમાં ભારતીયોને સરળતાથી એન્ટ્રી મળશે.
  • મેરિટાઈમ, બેન્કિંગ, શિપિંગ સેવાઓ સસ્તી થશે.
  • 2032 સુધીમાં ભારત-યુરોપ વેપાર બમણો કરવાનું લક્ષ્ય.
  • ભારતમાં ગ્રીન ટેકનોલોજી અને ક્લિન એનર્જીમાં પ્રોત્સાહન આપવામાં યુરોપ મદદ કરશે.

યુરોપથી આવતી કાર પર માત્ર 10 ટકા ટેક્સ

સૌથી મોટી અસર કાર બજાર પર પડશે. ભારત હાલમાં યુરોપિયન કાર પર લગભગ 70 ટકા જેટલો ટેક્સ વસૂલે છે, જેને તબક્કાવાર ઘટાડીને માત્ર 10 ટકા કરી દેવામાં આવશે. ટ્રાન્ઝિશન પીરિયડ દરમિયાન દર વર્ષે અઢી લાખ વાહનોના ક્વોટાની મર્યાદા રહેશે. આનાથી ભારતમાં લક્ઝરી કારોના ભાવમાં ધરખમ ઘટાડો થશે.

એવિયેશન સેક્ટરમાં પણ ટેરિફ નાબૂદીની જાહેરાત

એરક્રાફ્ટ અને સ્પેસક્રાફ્ટ સેક્ટરમાં લગભગ તમામ ટેરિફ નાબૂદ કરવામાં આવશે, જે ભારતના એવિયેશન સેક્ટર માટે ફાયદાકારક સાબિત થશે.

ભારતમાં યુરોપની વાઈન અને બિયર સસ્તી થશે

ઓલિવ ઓઈલ અને અન્ય વનસ્પતિ તેલ કોઈ ટેક્સ વસૂલવામાં આવશે. યુરોપથી આવતી વાઈન પર વસૂલાતો ટેક્સ 150 ટકાથી ઘટાડીને 20થી 30 ટકા, બિયર પરનો ટેક્સ 110 ટકાથી ઘટાડીને 50 ટકા તથા સ્પિરિટ પરનો ટેક્સ ઘટાડીને 40 ટકા કરાયો છે. જેથી ભારતીય પ્રીમિયમ આલ્કોહોલ બજારમાં પ્રતિસ્પર્ધા વધશે. ફ્રૂટ જ્યુસ પર પણ 100 ટકા ટેક્સનો ઘટાડો કરાશે.

આ ડીલથી રોકાણ અને વેપારને પ્રોત્સાહન મળશે

આ ડીલથી ભારત અને યુરોપના અર્થતંત્રમાં રોકાણ અને વેપારને પ્રોત્સાહન મળશે. આજે સત્તાવાર જાહેરાત બાદ તબક્કાવાર ડીલ લાગુ કરાશે.

આ ડીલ બાદ ભારત અને યુરોપ વચ્ચેના વેપારમાં ધરખમ વધારો થશે. ઓટોમોબાઈલ, વાઈન, સ્પિરિટ્સ સહિતના સેક્ટર્સમાં પણ ડીલ કરાશે. જેમાં ભારતમાં યુરોપિયન વાહનો પર ટેરિફ ઘટાડવામાં આવી શકે છે. જ્યારે યુરોપ ભારતીય ટેક્સટાઈલ, ફાર્માસ્યુટિકલ, જ્વેલરી, બિયર-વાઈન, સ્પિરિટ સહિતની વસ્તુઓ પર ટેરિફમાં રાહત આપશે.

ભારત-યુરોપ વચ્ચે 2025માં 136.53 અબજ ડૉલરનો વેપાર

વર્ષ 2025માં ભારત અને યુરોપ વચ્ચે કુલ 136.53 અબજ ડોલરનો વેપાર થયો. ભારતે 60.7 અબજ ડોલરનો સામાન આયાત કર્યો જ્યારે 75.9 અબજ ડોલરના સામાનની નિકાસ કરી. એવામાં ટ્રેડ ડીલમાં ટેરિફમાં ઘટાડો થતાં ઉપભોક્તા અને ઉત્પાદક બંનેને લાભ થશે.

ભારત યુરોપથી હાઈ કેટેગરી મશીનરી, ઈલેક્ટ્રોનિક્સ, વિમાન, મેડિકલ ઉપકરણ વગેરે આયાત કરે છે. જ્યારે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, સ્માર્ટફોન, કાપડ, ફાર્મા પ્રોડક્ટ્સ, જ્વેલરી, લોખંડની નિકાસ કરવામાં આવે છે. એવામાં આ ડીલમાં 90 ટકા સામાન પર ટેરિફ ઓછો અથવા નહિવત થઈ શકે છે. આ સેક્ટરમાં કામ કરતાં ઉદ્યોગો અને બિઝનેસમેનને તેનો મોટો લાભ મળશે.

યુરોપના કુલ 27 દેશના બજારમાં ભારતની પહોંચ વધશે

  • યુરોપના 45 કરોડ લોકોના બજારમાં ભારતીય કંપનીઓની સીધી એન્ટ્રી થશે
  • ટેક્સ ઓછો થવાના કારણે ભારતની નિકાસ વધશે
  • યુરોપની કંપનીઓ ભારતમાં રોકાણ વધારશે, FDI વધશે
  • નિકાસ અને રોકાણના કારણે રોજગાર વધશે
  • સપ્લાય ચેઈનમાં સુધારો થતાં ચીન પરની નિર્ભરતા ઘટશે
January 27, 2026
image-14.png
1min57

UGCના નિયમોને લઈને સવર્ણોમાં આક્રોશ સતત વધી રહ્યો છે. અત્યાર સુધી સોશિયલ મીડિયામાં વિરોધ નોંધાવવામાં આવી રહ્યો હતો. પરંતુ હવે દિલ્હીથી લઈને યુપી સુધી લોકો રસ્તા પર ઉતરીને વિરોધ નોંધાવી રહ્યા છે. આજે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના હેડક્વાર્ટર બહાર વિદ્યાર્થીઓ વિરોધ માટે એકત્રિત થયા હતા. આ સિવાય ઉત્તર પ્રદેશમાં પણ ઠેર ઠેર દેખાવોનું આયોજન કરાયું છે.

દેશભરની યુનિવર્સિટીઓમાં જ્ઞાતિ આધારિત ભેદભાવ દૂર કરવા માટે સરકારે નવા નિયમ બનાવ્યા હતા. જેને લઈને વિરોધ થઈ રહ્યો છે. સવર્ણ સમાજનું કહેવું છે કે આ નિયમો એકતરફી અને અસ્પષ્ટ છે જેના કારણે તેનો દુરુપયોગ થવાની આશંકા છે.

UGCએ આદેશ આપ્યા છે કે જ્ઞાતિ આધારિત ભેદભાવ રોકવા માટે SC, ST અને OBCના વિદ્યાર્થીઓ માટે 24/7 હેલ્પલાઈન નંબર, ઈક્વિટી સેન્ટર બનાવવામાં આવશે.

ભેદભાવની વ્યાખ્યા:

નવા નિયમ મુજબ, જ્ઞાતિ આધારિત ભેદભાવમાં માત્ર SC, ST અને OBC વર્ગના સભ્યો સામેલ થયેલા ભેદભાવ જ ગણવામાં આવશે. જનરલ કેટેગરી સાથે કોઈ ભેદભાવ થાય તો કોઈ કાયદાકીય રક્ષણ નહીં મળે.

જો કોઈ જાણીજોઇને ખોટી ફરિયાદ કરે તેના સામે દંડ કે સજાની કોઈ જોગવાઈ નથી. એવામાં અંગત અદાવત કાઢવા નિર્દોષ વિદ્યાર્થીઓ અથવા પ્રોફેસરોને નિશાનો બનાવાશે.

કોલેજોમાં સમાનતા સમિતિ બનાવવામાં આવશે. તેમાં SC, ST, OBC, મહિલા અનિવાર્ય છે પરંતુ જનરલ કેટેગરીના પ્રતિનિધિત્વ માટે કોઈ જોગવાઈ નથી.

સમગ્ર મામલે ભાજપમાં જ વિરોધ શરૂ થઈ ગયો છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉક્ટર સંજય સિંહે કહ્યું છે કે, સંતુલિત પ્રતિનિધિત્વ ન હોય તેવી સમિતિઓ કેવી રીતે ન્યાય કરી શકે? આવી સમિતિઓથી સમસ્યાનું સમાધાન ન થાય. દરેક નાગરિકના સન્માન અને સુરક્ષાની રક્ષા થવી જોઈએ. તમામ વર્ગની ભાગીદારી જરૂરી છે.

ભાજપ નેતા બૃજ ભૂષણ શરણ સિંહના પુત્ર અને ધારાસભ્ય પ્રતિક ભૂષણે કહ્યું છે કે, આ બેવડા વલણની ગહન સમીક્ષા થવી જોઈએ. ભારતીય સમાજના એક વર્ગને ઐતિહાસિક ગુનેગાર બતાવી બદલો લેવા માટે નિશાનો બનાવવામાં આવે છે.

ખેડૂત આગેવાન રાકેશ ટિકેતે કહ્યું છે કે, આ કાયદાથી ભારતમાં જ્ઞાતિગત તણાવ અને વિવાદ વધશે. સરકાર જ ઈચ્છે છે કે દેશ જ્ઞાતિવાદ, ધર્મવાદમાં ફસાયેલો રહે. સમાજમાં અંદરોઅંદર દુશ્મનાવટ વધે. આવા નિણર્ય દેશ માટે સારા નથી.

January 27, 2026
gold-and-silver.jpg
1min19

વૈશ્વિક બજારમાં વધતી અસ્થિરતા અને સુરક્ષિત રોકાણની વધતી માંગને કારણે આજે ભારતીય બુલિયન માર્કેટમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે. સોના અને ચાંદીના ભાવે આજે તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે અને એક નવી ઐતિહાસિક સપાટીને સ્પર્શી ગયા છે. ગ્લોબલ ઇકોનોમીમાં ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે રોકાણકારો સોના તરફ વળ્યા હોવાથી કિંમતોમાં આ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે.

ચાંદીની કિંમતમાં 25 હજાર રૂપિયાનો વધારો!

Dated 27/01/26 સોમવારે ભારતીય કોમોડિટી માર્કેટ બંધ હતું. પરંતુ ઈન્ટરનેશનલ માર્કેટમાં સોનાના ભાવમાં ભયંકર તેજી જોવા મળી અને પહેલીવાર સોનાનો ભાવ 5000 ડોલર પ્રતિ ઔંસ પહોંચી ગયો. જે બાદ આજે ભારતીય બજાર ખૂલતાંની સાથે જ સોનું અને ચાંદી બંનેમાં ભારે તેજી જોવા મળી. એક કિલો ચાંદીની કિંમતમાં 25000 રૂપિયાનો વધારો થયો છે. સોનું પણ 3700 રૂપિયા મોંઘું થયું છે.

સોનું-ચાંદી બંને ઑલ ટાઈમ હાઈ

ચાંદીની કિંમતો છેલ્લા 3 મહિનાથી બેકાબૂ થઈ ગઈ છે. આજે MCX પર બજાર ખૂલતાં જ ચાંદીનો ભાવ 3,59,800 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયો. સોનાની વાત કરીએ તો 10 ગ્રામ સોનાનો ભાવ 1,59,820 રૂપિયા પહોંચી ગયો છે. આમ સોનું અને ચાંદી બંનેએ આજે ઈતિહાસના તમામ રેકોર્ડ તોડ્યા છે અને ઑલ ટાઈમ હાઈ પર ટ્રેડ કરી રહ્યા છે. 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં સોનાના વાયદા ભાવમાં 24 હજાર રૂપિયાનો વધારો થયો છે.

સોના-ચાંદીના ભાવમાં વધારાના કારણ

વૈશ્વિક અસ્થિરતા:
અમેરિકા અને મિડલ ઈસ્ટ વચ્ચે યુદ્ધની પ્રબળ આશંકા

ઔદ્યોગિક માંગ:
AI ડેટા સેન્ટર્સ અને સોલાર પેનલ્સમાં ચાંદીના વધી રહેલા વપરાશને કારણે સપ્લાય ચેઈન ખોરવાઈ

January 27, 2026
image-13.png
1min21

બેંક કર્મચારી યુનિયનોએ 5 વર્કિંગ ડેની માંગ કરી લાંબા સમયથી પડતર માંગણીનો નિવેડો આવે તે માટે 27 જાન્યુઆરીએ દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. આ હડતાળનું આહ્વાન યુનાઇટેડ ફોરમ ઓફ બૅન્ક યુનિયન્સ (UFBU) દ્વારા કરવામાં આવ્યું છે. જેથી 27 જાન્યુઆરી 2026ને મંગળવારે દેશભરમાં બેંકિંગ સેવાઓ પ્રભાવિત થવાના સંકેત છે. છેલ્લા ત્રણ દિવસ 24,25,26 જાન્યુઆરી બેન્કમાં સત્તાવાર રજા હતી ત્યારે વધુ એક દિવસ 27 જાન્યુઆરીએ બેન્કનું કામકાજ ઠપ રહે તો ગ્રાહકોને મોટી હાલાકીનો સામનો કરવો પડી શકે તેવી શક્યતાઓ છે.

કઈ કઈ બેન્કના કામકાજ પર પડશે અસર?

યુનાઇટેડ ફોરમ ઑફ બૅન્ક યુનિયન્સ (UFBU)એ જાહેર કરેલી આ હડતાળમાં દેશભરની તમામ સરકારી બેન્કના કર્મચારીઓ જોડાઈ શકે છે. જેમાં ખાસ કરીને આમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), પંજાબ નેશનલ બેંક (PNB), બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઈન્ડિયા, કેનેરા બેંક, ઈન્ડિયન બેંક અને અન્ય જાહેર ક્ષેત્રની બેંકના કર્મચારીઓ જોડાઈ શકે છે. જેના ભાગરૂપે ઘણા બેંક કર્મચારીઓએ પહેલાથી જ ઘણા શહેરોમાં વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધા છે. અને ચેતવણી આપી છે જો માગ સ્વીકારવામાં નહીં આવે તો વધુ પ્રચંડ આંદોલન થશે.

અનેક કાર્યો પ્રભાવિત થશે

જેથી મંગળવારે 27 જાન્યુઆરી બેન્ક જતાં પહેલા ખરાઈ કરી લેજો કે બેન્કનું કામકાજ ચાલુ છે કે સંભવિત હડતાળના કારણે બંધ? ત્રણ દિવસથી સત્તાવાર રજાઓને કારણે બૅન્કનું કામ રોકાયેલું છે તેવામાં વધુ એક દિવસ વિરોધના ભાગરૂપે જો બેન્ક કર્મચારીઓ કામથી અળગા રહેશે તો કેશ, ચેક ક્લીયરન્સ, ડ્રાફ્ટ, પાસબુક, લોન સંબંધિત સહિત અનેક કાર્યો પ્રભાવિત થઈ શકે છે.

શું છે બૅન્ક કર્મચારી યુનિયનની માંગ?

યુનાઇટેડ ફોરમ ઑફ બૅંક યુનિયન્સ (UFBU) દ્વારા જાહેર 27 જાન્યુઆરી 2026એ સંભવિત બૅન્ક હડતાળના નિર્ણયનું મુખ્ય કારણ સપ્તાહમાં 5 દિવસ જ કામકાજ બે દિવસ રજા(ફાઇવ ડે વર્કિંગ)નો નિયમ લાગુ કરવાનું છે. UFBUએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે હાલ બૅન્ક કર્મચારીઓને દરેક મહિનામાં બીજા અને ચોથા શનિવારે રજા મળે છે, બાકીના બે શનિવારે રજા જાહેર કરવા માર્ચ 2024માં વેતન સંશોધન કરાર મુજબ ઇન્ડિયન બૅન્ક ઍસોસિએશન(IBA) અને યુનાઇટેડ ફોરમ ઑફ બૅંક યુનિયન્સ (UFBU) વચ્ચે સહમતિ સધાઈ હતી. જેમાં સોમવાર થી શુક્રવાર સુધી પ્રત્યેક દિવસ 40 મિનિટ વધારાના કામ કરવા પણ સહમતી બની હતી જેથી કામકાજના સમયમાં કોઈ કાપ મૂકવામાં આવ્યો નથી, પણ દુભાગ્યપૂર્ણ છે કે સરકારે વાસ્તવિક માંગ પર હજુ સુધી કોઈ ધ્યાન આપ્યું નથી.

બૅન્ક યુનિયનોનું કહેવું છે કે, અઠવાડિયામાં પાંચ દિવસના કામકાજથી કર્મચારીઓ પરનું માનસિક દબાણ ઘટશે અને તેમની કાર્યક્ષમતામાં વધારો થશે. હાલમાં ભારત સરકારના મોટાભાગના વિભાગો, RBI, LIC, શેરબજાર અને ફોરેક્સ માર્કેટમાં પાંચ દિવસનું જ કામકાજ હોય છે. બૅન્ક કર્મચારીઓ પણ આ જ ધોરણે તમામ શનિવારની રજાની માંગ કરી રહ્યા છે. નોંધનીય છે કે, આ હડતાળનું આહ્વાન ‘યુનાઇટેડ ફોરમ ઑફ બૅન્ક યુનિયન્સ’ (UFBU) દ્વારા કરાયું છે. જો કે, આ માંગણીને અમલમાં મૂકવા માટે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI) અને સરકારની મંજૂરી મેળવવી અત્યંત જરૂરી છે.

બે રવિવાર અને બે શનિવારની રજા હવે કર્મચારીઓ માટે અપૂરતી

બેન્ક કર્મચારીઓને વર્ષ 2013થી દર મહિનાના ચાર રવિવાર ઉપરાંત બે શનિવારની રજા આપવામાં આવે છે. જોકે, હવે મહિનાના તમામ શનિવારોએ રજા જાહેર કરવાની લાંબા સમયની માંગણી પર કેન્દ્ર સરકાર દ્વારા કોઈ જ સકારાત્મક પગલાં લેવામાં આવ્યા નથી. સરકારના આ ઉદાસીન વલણને કારણે બેન્ક કર્મચારીઓ અને તેમના વિવિધ એસોસિયેશનોમાં નારાજગી સતત વધી રહી છે.

9 બૅન્ક યુનિયનનું સામૂહિક સંગઠન છે UFBU

યુનાઇટેડ ફોરમ ઑફ બૅન્ક યુનિયન્સ (UFBU)એ ભારતના 9 પ્રમુખ બૅન્ક યુનિયનનું સામૂહિક સંગઠન છે, જે સાર્વજનિક ક્ષેત્રે બૅન્ક અને તેના અધિકારીઓ અને કર્મચારીઓના હિતોનું પ્રતિનિધિત્વ કરે છે. યુએફબીયુના સભ્યોમાં ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન (AIBEA), ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ કોન્ફેડરેશન (AIBOC), નેશનલ કોન્ફેડરેશન ઓફ બેંક એમ્પ્લોઈઝ (NCBE), ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ એસોસિએશન (AIBOA) અને બેંક એમ્પ્લોઈઝ ફેડરેશન ઓફ ઈન્ડિયા (BEFI) નો સમાવેશ થાય છે.

January 22, 2026
gold-silver.jpeg
1min42

સોના અને ચાંદીની કિંમતોમાં સતત વધારો થયા બાદ આજે મોટો કડાકો નોંધાયો છે. આજે ચાંદીના ભાવ 3.25 લાખ રૂપિયા પર પહોંચ્યા બાદ હવે તેના ભાવ 3.10 લાખ રૂપિયા પર આવી ગયા છે. જ્યારે સોનાનો ભાવ 1.53 લાખ રૂપિયા પર પહોંચ્યા બાદ 1.51 લાખ રૂપિયા પર આવી ગયા છે.

ચાંદીના ભાવની વાત કરીએ તો, 5.00 વાગ્યા સુધીમાં તેનો ભાવ 3,09,095 રૂપિયા પહોંચી ગયો છે. આજે તેનો ભાવ ઊંચામાં 3,25,602 રૂપિયા પર પહોંચી ગયો હતો, જ્યારે નીચામાં ભાવ 3,05,449 સુધી પહોંચ્યો હતો. એટલે કે, આજે તેના ભાવમાં 20,153 રૂપિયાથી ઉથલપાથલ જોવા મળી હતી. ગઈકાલે ચાંદીનો ભાવ 3,18,492 રૂપિયા પર બંધ થયા બાદ આજે પાંચ વાગ્યા સુધીમાં 3,09,095 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે.

સોનાના ભાવની વાત કરીએ તો, 5.00 વાગ્યા સુધીમાં તેનો ભાવ 1,51,566 રૂપિયા પહોંચી ગયો છે. આજે તેનો ભાવ ઊંચામાં 1,53,784 રૂપિયા પર પહોંચી ગયો હતો, જ્યારે નીચામાં ભાવ 1,48,777 સુધી પહોંચ્યો હતો. એટલે કે, આજે તેના ભાવમાં 5.007 રૂપિયાથી ઉથલપાથલ જોવા મળી હતી. ગઈકાલે સોનાનો ભાવ 1,52,862 રૂપિયા પર બંધ થયા બાદ આજે પાંચ વાગ્યા સુધીમાં 1,51,566 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે.

સોના અને ચાંદીના ભાવમાં તાજેતરમાં જોવા મળેલી મોટી તેજી બાદ હવે નફો બુક કરવાની પ્રક્રિયા (પ્રોફિટ બુકિંગ) શરૂ થતા કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. શેરબજારમાં આવેલી તેજીને કારણે સુરક્ષિત રોકાણ તરીકે સોના-ચાંદીની માંગમાં ઘટાડો થયો છે અને સાથે જ ભૌગોલિક રાજકીય તણાવ ઓછો થવાને લીધે પણ કિંમતો નીચે આવી છે.

નિષ્ણાતો માને છે કે જેઓ નવું રોકાણ કે ખરીદી કરવા માંગે છે તેમણે થોડી રાહ જોવી જોઈએ, કારણ કે હજુ ભાવમાં વધુ ઘટાડાની શક્યતા છે. આ ઉપરાંત જેમણે ઊંચા ભાવે ચાંદી ખરીદી છે તેમને ગભરાવાને બદલે લાંબા ગાળા માટે હોલ્ડ કરવાની સલાહ આપવામાં આવી છે કારણ કે તેના ફંડામેન્ટલ્સ હજુ પણ મજબૂત છે.

એક વર્ષમાં સોનાના ભાવમાં 75 ટકાનો જંગી વધારો થયો છે, જેમાં પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનું 57,033 રૂપિયા મોંઘું થયું છે. 31 ડિસેમ્બર 2024ના રોજ સોનાનો ભાવ 76,162 રૂપિયા હતો જે 31 ડિસેમ્બર 2025 સુધીમાં વધીને 1,33,195 રૂપિયા પર પહોંચી ગયો હતો.

ચાંદીમાં પણ આ સમયગાળા દરમિયાન 167 ટકાનો અભૂતપૂર્વ ઉછાળો જોવા મળ્યો છે. એક કિલો ચાંદી જે વર્ષ 2024ના અંતે 86,017 રૂપિયા હતી, તે વર્ષ 2025ના અંત સુધીમાં 1,44,403 રૂપિયા વધીને 2,30,420 રૂપિયાના સ્તરે પહોંચી ગઈ છે.

January 18, 2026
chardham.jpg
1min51

ઉત્તરાખંડની પવિત્ર ચારધામ યાત્રા પર જનારા શ્રદ્ધાળુ માટે આ વર્ષે મોટા સમાચાર સામે આવ્યા છે. બદ્રીનાથ, કેદારીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામની પવિત્રતા અને મર્યાદા જાળવી રાખવા માટે ઉત્તરાખંડ સરકાર અને વહીવટી તંત્રએ એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. હવેથી મંદિર પરિસરમાં મોબાઈલ ફોન અને કેમેરા લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો છે. આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ મંદિરોમાં વધતા જતા ‘રીલ’ કલ્ચર અને સોશિયલ મીડિયા બ્લોગિંગ પર લગામ કસવાનો છે.

આ અંગે ગઢવાલ કમિશનર વિનય શંકર પાંડેની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં નિર્ણય લેવાયો હતો. વહીવટીતંત્રના જણાવ્યાનુસાર, છેલ્લા કેટલાક વર્ષોમાં જોવા મળ્યું છે કે શ્રદ્ધાળુઓ દર્શન કરવાને બદલે મંદિરની અંદર ફોટા પાડવામાં અને વીડિયો કે રીલ બનાવવામાં વધુ સમય વિતાવે છે. આ કારણસર માત્ર મંદિરની ગરિમા તો જોખમાય જ છે, પરંતુ ત્યાં દર્શન માટે ઉભેલા અન્ય શ્રદ્ધાળુઓને પણ મુશ્કેલી પડે છે. ભીડનું વ્યવસ્થાપન કરવું પણ કઠિન બને છે. વળી, આ મુદ્દે અન્ય લોકો પણ વારંવાર ફરિયાદ કરે છે, જેથી પવિત્ર ધામોમાં કોઈ પણ વિવાદોને રોકવા માટે આ પગલું લેવાયું છે.

નવા નિયમ મુજબ, બદ્રીનાથમાં સિંહદ્વારથી આગળ અને કેદારીનાથ, ગંગોત્રી તેમજ યમુનોત્રીના મંદિર પરિસરમાં મોબાઈલ લઈ જવાની મનાઈ રહેશે. શ્રદ્ધાળુઓએ દર્શન કરતા પહેલા જ પોતાના મોબાઈલ ફોન અને કેમેરા નક્કી કરેલા કાઉન્ટર પર જમા કરાવવાના રહેશે. બદ્રીનાથ-કેદારીનાથ મંદિર સમિતિ (BKTC) દ્વારા ફોન સુરક્ષિત રાખવા માટે અલગ વ્યવસ્થા કરાશે. જો કે, મંદિરની બહારથી બેકગ્રાઉન્ડમાં જવાબદારીપૂર્વક અને કોઈને ખલેલ ના પહોંચે તે રીતે ફોટો અને વીડિયોગ્રાફી કરવાની છૂટ રહેશે.

આ વર્ષે પણ યાત્રા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત રહેશે, જેમાં 60% ઓનલાઇન અને 40% ઓફલાઇન પદ્ધતિ રખાઈ છે. ગત વર્ષે 50 લાખથી વધુ પ્રવાસીએ ચારધામના દર્શન કર્યા હતા, જેને ધ્યાનમાં રાખીને આ વર્ષે રસ્તા, આરોગ્ય અને સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવાઈ રહી છે. શ્રદ્ધાળુઓ શાંતિપૂર્ણ અને ભક્તિમય વાતાવરણમાં દર્શન કરી શકે તે તંત્રની પ્રાથમિકતા છે.