ગુજરાત Archives - Page 60 of 158 - CIA Live

September 2, 2020
coronavirus.jpg
1min7220

19 માર્ચે ગુજરાતમાં પહેલો કેસ મળ્યો હતો, 2 સપ્ટેમ્બરે રાત્રે 8 વાગ્યે ગુજરાતમાં કોરોનાના એક્ટીવ કેસોની સંખ્યા 15948 થઈ હતી

ગુજરાતમાં કોરોના કેસોની કુલ સંખ્યા આવતીકાલ તા.3 સપ્ટેમ્બરે એક લાખની સંખ્યાને આંબી જશે. ગુજરાતમાં કોરોનાનો પહેલો કેસ તા.19મી સપ્ટેમ્બરે નોંધાયો હતો. એ પછી સતત કેસો વધી રહ્યા છે. આજરોજ તા.2 સપ્ટેમ્બરે રાત્રે 8 કલાકે રાજ્ય સરકારની સત્તાવાર માહિતી મુજબ ગુજરાતમાં કોરોનાના કુલ કેસ 99,050 થયા હતા. હાલ છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતમાં દૈનિક 1300 પ્લસ નવા કેસો મળી રહ્યા છે, એ પ્રોજેકશનના આધારે તા.3 સપ્ટેમ્બરને ગુરુવારે ગુજરાતમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 1 લાખને આંબી જશે. તા.2જી સપ્ટેમ્બરની સંખ્યામાં નવા 950 કેસો ઉમેરાશે એટલે ગુજરાતમાં કોરોનાના કેસોની સંખ્યા એક લાખની સંખ્યાને પાર કરી જશે.

ગુજરાતમાં કોરોના પીક પસાર થયો નથી. જોકે, ગુજરાતમાં કોરોના રીકવરી રેટ 80 ટકાની આસપાસ હોઇ, થોડી રાહત જણાય રહી છે. કોરોનાથી મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા 3048 થઇ છે. જ્યારે તા.2 સપ્ટેમ્બરની રાત્રે જ ગુજરાતમાં કોરોનાના કુલ એક્ટીવ કેસોની સંખ્યા 16000 થઇ હતી.

તા.2જી સપ્ટેમ્બરે રાત્રે 8 કલાકે પૂરા થયેલા છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ગુજરાતમાં કોરોનાના કુલ 74,523 ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. આ સંખ્યા ઉમેરાત હવે ગુજરાતમાં કોરોના ટેસ્ટસની સંખ્યા 24,84,429 થઇ છે.

2જી સપ્ટેમ્બરના દિવસ દરમિયાન રાજ્યમાં 1305 નવા દર્દીઓ સામે 1141 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેથી સ્વસ્થ દર્દીઓનો આંકડો પણ 80,054 એ પહોંચ્યો છે. રાજ્યની વસ્તીને ધ્યાનમાં લેતા દસ લાખની વસ્તી સામે પ્રતિ દિવસે 1146.50 ટેસ્ટ થાય છે.

તા.2 સપ્ટેમ્બરે રાત્રે 8 કલાકે દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં કોરોનાની સ્થિતિ

corona

September 2, 2020
24x7-1280x1281.jpg
1min10860

રાજ્ય સરકારે અનલોક-4ની ગાઈડલાઈન્સ જાહેર કરી દીધી છે. રાજ્યના ગૃહ વિભાગે સત્તાવાર જાહેરનામું બહાર પાડયું છે. આ જાહેરનામા મુજબ ગુજરાતમાં કન્ટેન્ટમેન્ટ ઝોનમાં 30 સપ્ટેમ્બર સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં સ્થાનિક સ્તરે લોકડાઉન જાહેર કરી શકાશે નહીં. રાજ્યમાં આજથી હોટેલ અને રેસ્ટોરન્ટ 10 વાગ્યાના બદલે 11 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. તેમજ હવે પબ્લિક ગાર્ડન પણ ખુલશે અને ધાર્મિક સ્થળો પણ સંપૂર્ણ ખુલ્લા રાખી શકાશે. આ સાથે જ 8 વાગ્યા સુધી ખુલ્લી રહેતી દુકાનો હવે 24 કલાક સુધી ખુલ્લી રાખી શકાશે. જોકે સ્કૂલ સહિતની શૈક્ષણિક સંસ્થાઓ 30 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે.
આ ગાઈડલાઈન્સ મુજબ હવે લારી-ગલ્લા અને શેરી ફેરિયાઓ પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં. જ્યારે 60 ટકા કેપેસિટી સાથે લાઈબ્રેરીઓ પણ ખુલશે. જો કે’ સિનેમાગૃહો-મલ્ટિપ્લેક્સ હજી પણ બંધ રહેશે જ્યારે ઓપન એર થિએટર 21મીથી ખોલી શકાશે તથા ઓનલાઇન લર્નિંગ અને ડિસ્ટન્સ લર્નિંગ યથાવત રહેશે.

24 7 clock arrow icon, customer support, delivery and open symbol. Vector 24 7 round clock open supermarket or shop sign

મહત્ત્વનું છે કે, સ્કૂલો નહીં ખુલે પણ અન્ય શૈક્ષણિક કાર્યોમાં રાહત આપવામાં આવી છે. 21 સપ્ટેમ્બરથી શૈક્ષણિક સંસ્થાઓમાં 50 ટકા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફને ઓનલાઈન શિક્ષણ-ટેલિ કાઉન્સાલિંગ માટે બોલાવી શકાશે. આ બાબતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી જઘઙનું પાલન કરવું પડશે.

21 સપ્ટેમ્બરથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી જઘઙ અનુસાર કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં ધો.9થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સ્વૈચ્છિ ધોરણે શિક્ષકોના માર્ગદર્શન અર્થે વાલીની લેખીતિપૂર્વ મંજૂરી મેળવી સ્કૂલે જઈ શકશે.
સ્કિલ ડેવલપમેન્ટ ટ્રાનિંગ ઈન્સ્ટિટયૂટ 21 સપ્ટેમ્બરથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી SOP અનુસાર શરૂ કરી શકશે.

ટેકનિકલ એન્ડ પ્રોફેશનલ પ્રોગ્રામ્સ ફોર PH.D અને અન્ય પોસ્ટ ગ્રેજ્યુએટ્સ કે જેમાં લેબ કે પ્રાયોગિક કાર્ય જરૂરી હોય તે અંગે ઉચ્ચ શૈક્ષણિક વિભાગ દ્વારા ગૃહમંત્રાલયના પરામર્શમાં નિર્ણય લેવામાં આવશે.

આ ઉપરાંત 100 લોકોની મર્યાદા સાથે ધાર્મિક-રાજકીય કાર્યક્રમોને છૂટ આપવામાં આવી છે. જે મુજબ, સામાજિક, શૈક્ષણિક, રમત ગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ધાર્મિક-રાજકીય સમારોહ તથા અન્ય સમૂહમાં 21 સપ્ટેમ્બરથી 2020થી 100 વ્યક્તિની મર્યાદામાં એકઠા થવાની છૂટ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિગ. થર્મલ સ્કાનિંગ અને સેનેટાઈઝની સુવિધા સાથે આપવામાં આવશે. પરંતુ એક છત નીચે 100થી વધુ લોકોને મંજૂરી મળશે નહીં. જ્યારે’ લગ્ન સમારોહમાં 50 વ્યક્તિ જ્યારે અંતિમ ક્રિયા કે અંતિમવિધિ માટે 20 વ્યક્તિની મર્યાદા 20 સપ્ટેમ્બર સુધી યથાવત રહેશે.’ મેટ્રો શરૂ કરવાના રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. જો કે ગુજરાતમાં ક્યાંય પણ મેટ્રો નથી. માત્ર અમદાવાદમાં કહેવા પુરતા એક રૂટ પર મેટ્રોનું સંચાલન થાય છે.

September 2, 2020
corona-gujarat.jpg
1min4970

ગુજરાતમાં કોરોનાના ચેપની સ્થિતિ મહાનગરોમાં જ બેદરકારીના કારણે ગંભીર બનેલી રહી હોય તેમ છેલ્લા ચોવીસ કલાકમાં અત્યાર સુધીના વિક્રમી ૧૩૧૦ કેસની નવી સપાટી રચાઇ છે. આ ગતિ જળવાશે તો ગુરુવાર સુધીમાં રાજ્યના કુલ કેસ ૯૭,૭૪૫થી આગળ વધીને એક લાખને પાર થઇ જશે. એની સાથોસાથ સુરતમાં છેલ્લા એક સપ્તાહથી વધતાં જતાં કેસ આજે એકાએક એક મહિના પહેલાની સ્થિતિએ પહોંચી ગયા છે. ૨૯ જુલાઇ પછી પહેલી વખત કુલ કેસની સંખ્યા ૨૮૯ કેસ સુધી પહોંચી છે જ્યારે શહેરમાંથી બે અને ગ્રામ્યના ચાર મળી કુલ છ દર્દીના મૃત્યુ થયા છે. રાજ્યમાં નવા ૧૪ દર્દીના મૃત્યુ થયા છે એમાં અમદાવાદમાં ચાર, વડોદરામાં બે, જામનગર અને ગીર સોમનાથમાં એક એક દર્દીના મૃત્યુ નોંધાયા છે.

છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધારે કેસ સુરત મહાનગર કરતાં ગ્રામ્ય વિસ્તારામાંથી નોંધાયા છે. શહેરમાંથી ૧૭૪ કેસ અને ગ્રામ્યના ૧૧૫ કેસ બહાર આવ્યા છે. રાજ્યમાં પોઝિટિવ કેસ શોધવા માટે એક સાથે સઘન ટેસ્ટીંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, પરંતુ આને લીધે કેસ પણ વધી રહ્યા છે. સુરત પછી સૌથી વધારે હોટ સ્પોટ બનેલા રાજકોટમાં કુલ ૧૨૫ કેસ નોંધાયા છે એમાં શહેરમાંથી ૮૯ કેસનો સમાવેશ થાય છે. એક એક મૃત્યુ પણ રાજકોટ શહેર જિલ્લામાં નોંધાયા છે. જ્યારે જામનગરમાંથી કુલ ૧૧૩ કેસ નોંધાયા છે એમાં શહેરના જ ૯૭ કેસ છે. એક મૃત્યુ પણ કોવિડના કારણે થયું છે.

વડોદરા શહેરમાં સ્થિર ગતિએ કુલ એક સોથી વધારે કેસ નોંધાય છે. શહેરમાંથી નવા ૮૫ અને ગ્રામ્યના ૩૬ મળી કુલ ૧૨૧ કેસ અને એક એક દર્દીના મૃત્યુ પણ નોંધાયા છે. આ સિવાય મોટાભાગના શહેરો, જિલ્લાઓમાં સ્થિતિ નિયંત્રણમાં હોય એવી રીતે ભાવનગરમાંથી ૫૩ કેસ નોંધાયા છે એમાં શહેરના ૩૭ કેસ છે જ્યારે ગાંધીનગરમાં કુલ ૩૭ કેસમાં શહેરના ૧૯ કેસનો સમાવેશ થાય છે. જૂનાગઢમાં ૨૫ કેસમાં શહેરના ૧૪ કેસ છે.

પંચમહાલ જિલ્લામાં નવા ૩૭ કેસ, અમરેલીમાં ૩૧, મહેસાણામાં ૩૦, પાટણમાં ૨૬, ભરૂચમાં ૨૫ નવા કેસ નોંધાયા છે. આ વિસ્તારોમાં હવે વરસાદી જોર ઘટતાં સઘન ટેસ્ટીંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. મોરબામાં ૨૩, કચ્છ, નવસારીમાં ૨૦-૨૦ કેસ, દેવભૂમિ દ્વારકામાં ૧૯, દાહોદમાં ૧૬, બનાસકાંઠામાં ૧૫ કેસનો ઉમેરો થયો છે.

આ ઉપરાંત ગીર સોમનાથમાં નવા ૧૪ કેસ સાથે એક દર્દીનું મૃત્યુ પણ થયું છે. છોટાઉદેપુરમાં ૧૧, મહી સાગર અને બોટાદમાં ૧૦-૧૦ કેસ, સાબરકાંઠા અને તાપામં ૯-૯ કેસ નવા નોંધાયા છે. ખોડા, નર્મદા અને પોરબંદરમાં ૮-૮ કેસ, વલસાડમાં ૭, અરવલ્લામં ૬, આણંદ તથા ડાંગમાં ૩-૩ કેસ નોંધાયા છે.

આમ, છેલ્લા ચોવીસ કલાકમાં ૭૮,૦૭૦ ટેસ્ટ સાથે કુલ ટેસ્ટનો આંક ૨૪,૦૯,૯૦૬ થયો છે. અત્યાર સુધીમાં કુલ પોઝિટિવ કેસનો આંક ૯૭,૭૪૫ થયો છે. આ પૈકી ચોવીસ કલાકામં ૧૧૩૧ દર્દીઓને ડિસ્ચાર્જ કરાતા કુલ સાજા થનારાની સંખ્યા ૭૮,૯૧૩ સુધી પહોંચી છે એને પગલે રિવકરી રેટ ૮૦.૭૩ ટકા થઇ છે. અત્યાર સુધીમાં ૩૦૩૬ દર્દીના મૃત્યુ થયા છે. હાલ એક્ટિવ કેસનો આંક વધીને ૧૫૭૯૬ થયો છે એમાંથી ૯૨ વેન્ટીલેટર ઉપર છે અને ૧૫૭૦૪ સ્ટેબલ છે.

September 1, 2020
ausi-flood6.jpg
1min5610

સુરત નજીક આવેલા ભરૂચ મધ્યેથી પસાર થતી નર્મદા નદીમાં આજે પાણી સપાટી વધીને 35.24 ફૂટ થવાની સંભાવના છે. આ સપાટી ભયજનક હોવાથી કલેક્ટરે ટ્વીટ કરીને લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે. ભરૂચ કલેક્ટરે ટ્વિટ કરીને કહ્યું છે કે, ‘આજરોજ બપોરના 12 કલાકે ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીનું જળસ્તર 34.76 ફૂટ નોંધાયુ છે. ઉપરવાસમાંથી પાણીની આવક સતત ચાલુ છે. CWCના ફોરકાસ્ટ અનુસાર બપોરે 4 કલાકે જળસ્તર 35 ફૂટની સપાટી વટાવી 35.24 ફૂટ થવાની સંભાવના છે. લોકોને સાવચેત રહેવા અનુરોધ છે.’

વડોદરાની વિશ્વામિત્રી નદીમાં પણ પૂરજનક સ્થિતિ

મળતી માહિતી અનુસાર વડોદરા મધ્યેથી પસાર થતી વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. વિશ્વામિત્રી નદી તેની ભયજનક સપાટીએ પહોંચી ગઈ છે. પૂરની સ્થિતિને પગલે વડસર અને કોટેશ્વર ગામ સંપર્ક વિહોણા બની ગયા છે. વડસર ગામમાં કેટલાય મકાનોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે. જેના પગલે 50 જેટલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. વિશ્વામિત્રી ભયજનક સપાટીએ પહોંચતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જેના કારણે સ્થાનિકો પોતાનો સામાના બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

September 1, 2020
Saurastra.png
1min8220

24 ચોવિસ કલાકમાં સૌરાષ્ટ્રમાં ચોવિસ કલાકમાં 420 નવા કેસ નોંધાયા હતા અને 15ના મૃત્યુ નિપજ્યા હતા. સૌરાષ્ટ્રમાં આઠ જિલ્લામાં 294 દરદી કોરોના મુક્ત થયા હતા. જેમાં રાજકોટ જિલ્લામાં નવા 115 વ્યક્તિ કોરોના સંક્રમિત થયા હતા અને 6 દરદીના મૃત્યુ નિપજ્યા હતા. જામનગરમાં 110 કેસ અને 5 દરદીનો ભોગ લેવાયો હતો. 7 જિલ્લામાં 40 કે તેથી ઓછા કેસ નોંધાયા હતા. જેમાં ભાવનગરમાં 40 કેસ અને બે મૃત્યુ તેમજ પોરબંદરમાં પાંચ કેસ અને 2 મૃત્યુ નોંધાયા હતા.

રાજકોટ શહેરમાં છેલ્લા ચોવિસ કલાકમાં 81 નવા કેસ આવતા કુલ આંકડો 3220 સુધી પહોંચ્યો હતો. જ્યારે ગ્રામ્યમાં નવા 34 કેસ આવતા શહેર અને જિલ્લાના મળીને કુલ કેસનો આંક 4781 થયો હતો. જેમાંથી આજે શહેરના 3 દરદીના મૃત્યુ નિપજ્યા હતા અને 38 સાજા થયા હતા. તો ગ્રામ્યના 1 દરદીનુ મૃત્યુ નિપજ્યુ હતુ અને 32 સાજા થયા હતા. જ્યારે અન્ય જિલ્લાના નવા 9 કેસ સામે 5 સાજા થયા હતા અને 2 દરદીએ દમ તોડયો હતો. અત્યારે રાજકોટ સિવિલમાં 363 અને ખાનગી હોસ્પિટલમાં 408 મળીને કુલ 771 દરદી સારવારમાં છે.

જામનગર જિલ્લામાં પણ કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે આજે શહેરમાં 91 અને ગ્રામ્યમાં 19 મળીને નવા 110 કેસ નોંધાયા હતા. જ્યારે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 5 દરદીઓના મૃત્યુ નિપજ્યા હતા. જો કે, સત્તાવાર રીતે કોરોનાથી એક જ દરદીનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કરાયું છે. બીજી તરફ આજે શહેરના 96 અને ગ્રામ્યના 10 મળીને કુલ 106 દરદી કોરોનામુક્ત થયા હતા.

ભાવનગર શહેરમાં 19 પુરુષ અને 7 સ્ત્રી મળીને 26 તેમજ ઘોઘા, મહુવા, પાલીતાણા, તળાજા, સિહોર અને વલ્લભીપુર તાલુકાઓમાંથી 14 મળીને જિલ્લામાં નવા 40 કેસ નોંધાતા કુલ પોઝિટિવ આંક 2838 થયો હતો. જ્યારે ભાવનગર શહેરના બે દરદીના કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થયું હતુ અને શહેરના 26 તેમજ તાલુકાઓના 9 એમ 35 દરદી ડિસ્ચાર્જ થયા હતા. અત્યારે જિલ્લાના 570 દરદી સારવાર હેઠળ છે.

જૂનાગઢ શહેરમાં 18, ગ્રામ્યમાં 5 તેમજ કેશોદમાં 3, માળીયા-વિસાવદરમાં 2-2 તથા ભેંસાણ, વંથલી, માંગરોળ, મેંદરડા અને માણાવદરમાં 1-1 સહિત જિલ્લામાં નવા 35 કેસ નોંધાયા હતા. જ્યારે 47 દરદીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરાયા હતા.

મોરબી શહેરમાં 12 અને તાલુકામાં 4 તેમજ વાંકાનેરમાં 3, હળવદમાં 5 સહિત જિલ્લામાં નવા 24 કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 978 પર પહોચી હતી. જેમાંથી આજે 15 દરદી ડિસ્ચાર્જ થતા અત્યારે 195 એક્ટિવ કેસ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નવા નોંધાયેલા 21 કેસમાં 9 દ્વારકાના તેમજ ખંભાળિયા અને ભાણવડના 6-6 કેસનો સમાવેશ થાય છે. આ સાથે કુલ કેસનો આંકડો 361 થયો હતો. જેમાંથી આજે 5 દરદી ડિસ્ચાર્જ થતા હાલ 147 એક્ટિવ કેસ છે.

ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળમાં 5, તાલાલામાં 4, ઉનામાં 3 તેમજ કોડીનારમાં 2 સહિત જિલ્લામાં નવા 14 કેસ નોંધાતા કુલ પોઝિટિવ આંક 1048 થયો હતો. જેમાંથી આજે 11 દરદી ડિસ્ચાર્જ થયા હતા.

બોટાદ શહેરમાં 3 તેમજ ગઢડા અને પાળીયાદમાં 1-1 મળીને નવા 5 કેસ નોંધાયા હતા અને 9 દરદી કોરોનામુક્ત થતા હાલ 67 એક્ટિવ કેસ છે. તેવીજ રીતે પોરબંદર શહેર-જિલ્લામાં પણ નવા 5 કેસ નોંધાતા કુલ કેસનો આંકડો 455 થયો હતો. જેમાંથી આજે 2 દરદીએ દમ તોડતા હાલ 46 એક્ટિવ કેસ છે. જિલ્લાના અત્યારસુધીમાં 372 દરદી ડિસ્ચાર્જ થયા છે.

અમરેલી જિલ્લામાં નવા 30 કેસ નોંધાતા કુલ પોઝિટિવ આંક 1267 થયા હતા. જેમાંથી અત્યારે 295 દરદી સારવારમાં છે. રાજ્ય સરકારની યાદી મુજબ છેલ્લા ચોવિસ કલાકમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પણ 21 નવા કેસ નોંધાયા હતા.

September 1, 2020
corona-gujarat.jpg
1min5300

ગુજરાતમાં કોરોનાના સંક્રમણના નવા હોટ સ્પોટ તરીકે સુરત અને વડોદરા પછી સૌરાષ્ટ્રના રાજકોટ અને જામનગર શહેર-જિલ્લાએ આગેકૂચ આદરી છે. છેલ્લા એક મહિનાથી સૌરાષ્ટ્રમાં કોરોનાના સંક્રમિત કેસનો આંક એકસોથી વધુ કેસ સાથે આગળ રહેતા રાજકોટને પાછળ રાખી એક સપ્તાહથી જામનગરે આગેકૂચ જાળવી છે. સોમવારે સાંજે પૂરાં થતાં ચોવીસ કલાકમાં રાજ્યમાં નવા ૧૨૮૦ કેસ અને ૧૪ દર્દીના મૃત્યુ કોરોનાથી થયા છે એમાં જામનગર શહેરમાંથી ૯૧ કેસ અને જિલ્લાના ૨૩ મળી કુલ ૧૧૪ કેસ ઉમેરાયા છે જ્યારે એક દર્દીનું મૃત્યુ પણ થયું છે. રાજકોટમાં નવા ૧૧૮ કેસ તથા વધુ ત્રણ દર્દીના મૃત્યુ નોંધાયા છે.

અમદાવાદ પછી સૌથી વધારે ગંભીર સ્થિતિનો સામનો કરતાં સુરતમાં નવા ૨૫૪ કેસ નોંધાયા છે એમાં શહેરના ૧૭૧ કેસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વધુ ત્રણ દર્દીના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે. સુરત પછી વડોદરામાં કુલ ૧૨૮ કેસ નોંધાયા છે એમાં શહેરમાંથી ૯૩ નવા કેસનો સમાવેશ થાય છે જ્યારે એક દર્દીનું મૃત્યુ પણ થયું છે. ભાવનગર શહેરમાંથી નવા ૨૬ કેસ અને બે દર્દીના મૃત્યુ થયા છે જ્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી ૧૪ કેસ નોંધાયા છે. જૂનાગઢ શહેરમાંથી ૧૮ કેસ અને ગ્રામ્યના ૧૭ મળી ૩૫ કેસ નવા નોંધાયા છે. જ્યારે પાટનગર ગાંધીનગરમાંથી નવા ૨૦ કેસ આવ્યા છે. એક દર્દીનું મૃત્યુ પણ થયું છે. ગ્રામ્ય વિસ્તારમાંથી ૧૬ નવા કેસ ઉમેરાયા છે.

રાજ્યના અન્ય જિલ્લાઓની સ્થિતિ જોઇએ તો ચોમાસાના ભારેથી અતિભારે વરસાદ વચ્ચે પણ પંચમહાલ જિલ્લામાંથી નવા ૩૯ કેસ નોંધાયા છે. આ કેસ ગોધરા, હાલોલ, કાલોલ જેવા નગરો, ગ્રામ્ય વિસ્તારમાંથી ઉમેરાયા છે. આ જ રીતે અમરેલી જિલ્લામાં લાઠી લીલીયા, ધારી, સાવરકુંડલા જેવા વિસ્તારોમાંથી નવા ૩૦ કેસ નોંધાયા છે. મહેસાણાના કડી, ઊંઝા, બેચરાજી, વિજાપુર, વીસનગર જેવા વિસ્તારોમાંથી વધુ ૨૯ કેસ નોંધાયા છે.

મોરબી જિલ્લામંથી નવા ૨૮, પાટણ શહેર, સિદ્ધપુર, શંખેશ્વર સહિતના સંક્રમિત વિસ્તારોમાંથી નવા ૨૫ કેસ મળ્યા છે. સુરેન્દ્રનગરમાં મુળી, ધાંગધ્રા, વઢવાણમાંથી ૨૧ કેસ નોંધાયા છે. જ્યારે આણંદ, ભરૂચ અને કચ્છ જિલ્લામાંથી વધુ ૨૦-૨૦ કેસ ઉમેરાયા છે. સરહદી જિલ્લા બનાસકાંઠામાંથી નવા ૧૮ કેસ, ગીર સોમનાથમાંથી ૧૪ કેસ નોંધાયા છે. દાહોદ અને ખેડામાંથી ૧૩-૧૩ કેસ, દેવભૂમિ દ્વારકા અને નવસારીમાંથી ૧૨-૧૨ કેસ નવા નોંધાયા છે.

સાબરકાંઠાના હિંમતનગર, પ્રાંતિજ, ઇડરમાંથી ૧૧, છોટાઉદેપુર અને મહીસાગરમાંથી ૧૦-૧૦ કેસ, પોરબંદરમાંથી ૯, વલસાડમાંથી ૬, અરવલ્લી, બોટાદ, નર્મદામાંથી ૫-૫ તથા તાપીમાંથી ૪ નવા કેસ નોંધાયા છે

August 31, 2020
coronavirus-children.jpg
3min1001

બાળકો માં કોરોના અને એમ આઈ એસ સી કોરોના બીમારી સંબંધિત પ્રશ્નો અને તેના જવાબો

MIS-C શું છે ? સમજો પહેલા

Multisystem inflammatory syndrome in children (MISC), also called pediatric multi-system inflammatory syndrome (PMIS or PIMS), is a newly recognized, potentially serious illness in children that seems to be related to COVID-19.

એમ.આઇ.એસ. સી એટલે મલ્ટીસિસ્ટમ ઇન્ફ્લેમેટ્રી સિન્ડ્રોમ ઇન ચિલ્ડ્રન. આ એક પ્રકારની ગંભીર બિમારીના બહુવિધ લક્ષણો છે જેને ખાસ કરીને કોવીડ-19 ડાયગ્નોસિસ શોધ તારણ તરીકે પ્રચલિત કરવામાં આવી રહ્યા છે.

(સુરત પેડિયાટ્રિક એસોસિએશન ચેરીટેબલ ટ્રસ્ટ SPACT) સુરતના ખ્યાતનામ પિડીયાટ્રીશ્યન ડૉ. પ્રશાંત કારીયાની ફેસબુક વોલ પરથી

  • 1) શું બાળકો અને નવજાત બાળકોમાં કોરોના ચેપ લાગી શકે છે? • હા, કોરોના ચેપ કોઈપણ વયના બાળકોમાં અથવા નવજાત બાળકોમાં પણ થઈ શકે છે.
  • 2) કોરોના બાળકોને કેવી રીતે અસર કરે છે? • કોરોના બાળકોને 2 રીતે અસર કરી શકે છે a. કોરોના 19 ચેપ – સામાન્ય રીતે મોટાભાગના જે બાળકો ને ચેપ થાય છે તે પુખ્ત વયના લોકોની જેમ બીમાર બનતા નથી તથા કેટલાકમાં કોઈ લક્ષણો દેખાતા નથી. b. એમ.આઈ.એસ. સી કોરોના – જે રોગ કોરોના ચેપ સામેની પ્રતિરક્ષાને કારણે થાય છે.
  • 3) MIS-C એટલે શું? • એમ આઈ એસ સી નું પૂરું નામ મલ્ટી સિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ in children With COVID 19.• એટલે કે કોરોના ના કારણે બાળકો મા જોવા મળતી શરીરના વિવિધ અંગોને અસર કરતી બીમારી.
  • 4) MIS-C શેનાથી થાય છે? • આ બીમારી કોરોના વાયરસ ના ચેપ સાથે સંકળાયેલી છે. • મોટાભાગના કેસમાં કોરોના થઈ ગયા પછી ૩ થી ૬ અઠવાડિયા ના ગાળામાં આ બીમારી જોવા મળે છે. એટલે એવું કહી શકાય કે જેને જેને કોરોના થાય છે તેને તેને MI S-C થવાની શક્યતા છે.
  • 5) કોરોના થયા હોય એવા બાળકોમાં કેટલા ટકા બાળકોને એમએસસી થવાની શક્યતા છે? • પશ્ચિમી દેશોના ડેટા પ્રમાણે કોરોના થઈ ગયો તેવા બાળકોમાંથી 100 માંથી 2 એટલે કે બે ટકા ( 2 %) બાળકોને MIS – C થવાની શક્યતા છે.• આપણા દેશમાં હજુ રિસર્ચ ચાલે છે થોડા સમય પછી આપણને ખ્યાલ આવશે કે ઇન્ડિયામાં કેટલા ટકા બાળકોને થાય છે.
  • 6) શું આ MIS-C રોગ ચેપી છે? • એમએસસી નામની બીમારી મોટાભાગના કેસમાં ચેપી હોતી નથી .• કારણ કે MIS- C નાં દર્દી માં કોરોના વાઈરસ નાં બદલે વાઈરસ ના સામે બનેલ એન્ટી બોડી બીમારી માટે જવાબદાર હોય છે.

વિસ્તારમાં સમજ

જ્યારે પણ આપણા શરીરમાં કોઈપણ વાઈરસ બેક્ટેરિયા કે અન્ય વિષાણુ પ્રવેશે છે ત્યારે આપણું શરીર આપણી રક્ષા કરવા સૈનિકો તૈયાર કરે છે જેને આપણે એન્ટીબોડી કહીએ છીએ. આ એન્ટીબોડી નું કામ છે કે શરીરમાં આવતા વાઈરસને ઓળખી અને તેને શરીરમાંથી નિકાલ કરવાનું હોય છે.

પરંતુ એમએસસી નામની બીમારી માં આજ સૈનિકો એટલે કે એન્ટીબોડી આપણા શરીરના વિવિધ અંગો જેમકે હદય, લીવર, કિડની, આતરડું તેમજ અન્ય અંગોને વાયરસ તરીકે સમજી વિવિધ અંગો પર હુમલો કરે છે જેથી શરીરના વિવિધ અંગોને નુકસાન થાય છે.

બીમારીના લક્ષણો શું છે?

  • બધા જ બાળકોને તાવ આવતો હોય છે.
  • આ ઉપરાંત ઝાડા-ઉલ્ટી થવી
  • આંખો લાલ થવી
  • શરીર પર ચકામા આવવા
  • નબળાઇ લાગવી
  • નવજાત શિશુઓ ધાવણ ઓછું લેવું
  • ચીડિયો સ્વભાવ થવો
  • શરીરના ભાગમાં દુખાવો થવો
  • જો આ બીમારી વધારે પ્રમાણમાં ફેલાઈ તો શરીરમાં સોજો આવવો ધબકારા વધી જવા બ્લડપ્રેશર ઘટી જવું વધારે બાળક સૂઈ ને જ રહે તેવા લક્ષણો જોવા મળે છે.

માતા-પિતા તરીકે અમારે ક્યારે એવું સમજવું જોઈએ કે મારા બાળકને MIS-C છે? • જો તમારા બાળક માં ઉપરોક્ત જણાવ્યા મુજબ ના લક્ષણો જણાય તો તાત્કાલિક તમારા બાળરોગ નિષ્ણાંત ડોક્ટર નો સંપર્ક કરવો. 9) નિદાન કરવા માટે શું કરવું જોઈએ?

• નિદાન કરવા માટે બાળકની સંપૂર્ણ તપાસ બાળક ના ડોક્ટર દ્વારા થવી જરૂરી છે તેમજ વિવિધ લોહીની તપાસ અને હૃદયની તપાસ( ઇકો-કાર્ડિયોગ્રામ )દ્વારા થઈ શકે છે. 10) સારવાર કઈ રીતે કરી શકાય?

• એમ આઈ એસ સી ની સારવાર માટે મુખ્યત્વે સમયસર નિદાન જરૂરી છે. હોસ્પિટલમાં દાખલ કરી અને ખાસ પ્રકારના ઇન્જેક્શનો( IVIG/ Steroids) દ્વારા સારવાર કરવામાં આવે છે.

11) સુરતમાં આ બીમારીના કેટલા કેસો અત્યાર સુધી જોવા મળ્યા છે? • સુરતની તમામ હોસ્પિટલ ના મળી અંદાજીત 35 જેટલા કેસો નોંધાયા છે.

12) શું આ રોગ જીવલેણ છે કે કોઈ લાંબાગાળાની તકલીફ થવાની શક્યતા છે? • અમેરિકાની CDC સંસ્થાના સર્વે મુજબ MIS C નું નિદાન થયેલ દર્દીઓમાં 2 % જેટલા દર્દીઓ માં આ બીમારી જીવલેણ પુરવાર થઈ છે• એમએસસી નામની બીમારી છેલ્લા ચાર થી પાંચ મહિનાથી દુનિયામાં જોવા મળી છે અત્યાર સુધીના જે પણ બાળકોને આ બીમારીથી સારવાર અપાય છે તેમાં મોટાભાગના બાળકોને કોઈ લાંબા ગાળે તકલીફ રહેવાની શક્યતા ઓછી છે. પરંતુ કોઈ લાંબાગાળાની કોમ્પ્લિકેશન વિશે અત્યારે કહેવું ખૂબ જ અઘરું છે.

13) શું માતા-પિતાએ વર્તમાન પરિસ્થિતિમાં બાળકોનું નિયમિત રસીકરણ ચાલુ રાખવું જોઈએ? • હા ચોક્ક્સ , કારણ કે રસી દ્વારા બાળકોમાં થતા અન્ય ચેપને રોકવાનું પણ એટલું જ મહત્વનું છે.• તેથી તમારા બાળ ચિકિત્સકની સલાહ લો અને તમારા બાળકોની રસી ચાલુ રાખો. સુરત પિડિયાટ્રિક એસોસિએશન દ્વારા જનજાગૃતિ માટે જારી.

August 31, 2020
Narmada_dam_cialive2-1280x960.jpg
1min6410

નર્મદા નદી પરના તમામ મોટા ડેમ ભરાતા છોડાતા પાણીથી સરદાર સરોવરની સપાટી વધી છે. નર્મદા ડેમની સપાટી ૧૩૧.૧૩ મીટર થઈ હતી હાલ ડેમના ૨૩ ગેટ ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમમાં અત્યારે ૧૦.૧૬ લાખ ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. જેની સામે ૯.૨૨ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરી લોકોનું સ્થળાંતર કરાયું છે. જ્યારે ભરૂચ ખાતે નર્મદા નદીની સપાટીમાં વધારો થતા પૂરનું સંકટ સર્જાયું છે. જ્યારે કડાણા ડેમમાંથી ૪.૨૦ લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. સતત બીજા વર્ષે નર્મદા નદીએ ૩૦ ફૂટથી વધુની સપાટીએ વહેવા લાગી છે તેમ જ પૂરને પગલે ભરૂચ, અને નર્મદા જિલ્લાના નદી કાંઠાના વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યાં છે.

નર્મદા નદીમાં પૂરની શરૂઆત થતાં જ ડભોઇ તાલુકાના ૩, શિનોર તાલુકાના ૧૧ અને કરજણ તાલુકાના ૧૧ ગામ મળી કુલ્લે ૨૫ ગામના લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યાં હતાં. અને નદી કિનારાના લોકોને સ્થળાંતર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. ચાંદોદમાં મલ્હાર ઘાટ રાત્રે જ ડૂબી ગયો હતો. તે બાદ સવારે કરનાળી ગામમાં બસ સ્ટેન્ડ અને પોલીસ ચોકી સુધી પાણી આવી ગયાં હતાં. નદી કિનારાના ગામોમાં પાણી આવવાની શરૂઆત થતાં તંત્ર દ્વારા ચાંદોદમાં સાઇરન વગાડીને એલર્ટ કરવામાં આવ્યા હતા.

મધ્ય પ્રદેશના ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં પાણીની આવક થતાં ૮.૧૩ લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ભરૂચ જિલ્લા કલેક્ટર ડો. એમ.ડી. મોડિયાએ તાકીદની બેઠક બોલાવી નર્મદા કિનારાના ભરૂચના ૧૨, અંકલેશ્ર્વરના ૧૪ અને ઝઘડિયાના ૧૩ ગામોના ૧૩૮૭ લોકોનું તાકીદે સ્થળાંતર કરાવ્યું હતું. કલેક્ટરે અધિકારીઓને ગોલ્ડન બ્રિજની સપાટી પર ચાંપતી નજર રાખવા સૂચના આપી હતી. એનડીઆરએફની એક ટીમને પણ તહેનાત કરી દેવામાં આવી હતી. બીજી તરફ તવરા ગામના લોકોને એલર્ટ જાહેર કરતા સ્થાનિકો જ હોડીમાં લોકોને સ્થળાંતર કરી રહ્યા છે. ભરૂચ તાલુકા મામલતદાર પી.ડી પટેલે જણાવ્યું હતું કે, પશુપાલન અને માછીમારી માટે નદીની બીજે પાર વરસાદ તવરા, મંગલેશ્ર્વર, નિકોરા, શુક્લતીર્થ સહિતના ગામ લોકોને ગામમાં પરત લવાયા છે. વહીવટી તંત્રએ નદી કિનારાના ગામોને એલર્ટ કર્યા છે.

નર્મદા નદીમાં ડેમમાંથી પાણીની આવક થતા ગોલ્ડન બ્રિજ ખાતે સપાટી ૨૭ ફૂટે પહોંચી છે. ૮ લાખ ક્યૂસેક પાણી છોડાતું હોવાથી નદીની સપાટી ૩૦ ફૂટ સુધી પહોંચવાની સંભાવના છે. ભરૂચમાં સતત બીજા વર્ષે પણ નર્મદા નદી ભયજનક સપાટી વટાવી છે. નદીની ભયજનક સપાટી ૨૪ ફૂટની છે.

August 30, 2020
ambaji.jpg
1min6210

કોરોનાના કારણે આ વખતે ભાદરવી પૂનમ મહોત્સવમાં વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં દર્શનાર્થીઓ માટે પ્રવેશબંધી છે

કોરોનાના કારણે આ વખતે ભાદરવી પૂનમ મહોત્સવમાં વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં દર્શનાર્થીઓ માટે પ્રવેશબંધી લાદવામાં આવી છે. કોરોનાના કારણે ભલે ભાવિકો મંદિરમાં દર્શન કરવા આવી શક્યા નથી, પરંતુ માતાજી પ્રત્યેની શ્રદ્ધા અને આસ્થા ઓછી થઈ નથી; ઉપરથી વધી ગઈ છે અને એટલે જ પ્રથમ બે જ દિવસમાં વિશ્વના ૫૭ દેશોના ૧૩.૧૦ લાખ માઈભક્તોએ ડિજિટલ માધ્યમથી અંબે માતાજીના ચરણે શીશ ઝુકાવીને ધન્યતા અનુભવી છે. એમાં પણ સવારની આરતીમાં અને બપોરે રાજભોગનાં દર્શન સમયે વિશ્વભરના ભાવિકોનો ડિજિટલ પ્લૅટફૉર્મ પર ભારે ધસારો રહે છે.

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર એસ. જે. ચાવડાએ કહ્યું હતું કે ‘અંબાજી મંદિરની વેબસાઇટ, ફેસબુક, ટ્વ‌િટર, યુટ્યુબ, લાઇવ વેબકાસ્ટિંગ જેવા ડિજિટલ માધ્યમથી માઈભક્તો ઘરે બેઠાં દર્શન કરી શકે એ માટે વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં પહેલા બે દિવસમાં જ ભારત ઉપરાંત દુનિયાના ૫૭ જેટલા દેશોના ૧૩.૧૦ લાખથી વધુ ભાવિકોએ ઘરે બેઠાં ટેક્નૉલૉજીના માધ્યમથી દર્શન કર્યાં હતાં.’ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના મીડિયા કો-ઑર્ડિનેટર આશિષ રાવલે કહ્યું હતું કે ‘ભારત ઉપરાંત શ્રીલંકા, ઑસ્ટ્રેલયા, અમેરિકા, ઇંગ્લૅન્ડ, થાઇલૅન્ડ, યુરોપ‌િયન દેશો સહ‌િત દેશોના ભાવિકોએ અંબે માતાજીનાં ડિજિટલ દર્શન કર્યાં હતાં.

August 30, 2020
government_gujarat.jpg
1min6460

ગુજરાતમાં હવે આગામી દિવસોમાં મહિલાઓની છેડતી કરનારાં, વ્યાજખોરો, જુગારીયાં અને સાયબર આરોપીઓ સામે પાસ હેઠળ કાર્યવાહી કરીને જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવશે.

રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતની શાંત, સલામત અને સુરક્ષિત રાજ્યની આગવી ઓળખને વધુ સુદ્રઢતાથી આગળ ધપાવવાની નેમ સાથે પાસા’ કાયદામાં મહત્વપૂર્ણ સુધારાઓ કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્ય પ્રધાને પાસા કાયદાનો વ્યાપ વધુ વિસ્તારીને હવે સાયબર ક્રાઇમ આચરનારા, નાણાં ધીરધાર સામે ગેરકાયદે વ્યાજના હપ્તા વસૂલવા સહિત શારીરિક હિંસા તેમજ ધમકી આપવી, જાતિય ગુનાઓ-જાતિય સતામણી જેવી અસાસાજિક પ્રવૃત્તિઓને પણ આવરી લઇ આવા ગુનેગારોને કડક સજા માટે પાસા એકટમાં સુધારાઓ કરવાનું શસ્ત્ર અપનાવવા નો નિર્ધાર કર્યો છે.

રૂપાણી પ્રવર્તમાન સાયબર ટેકનોલોજીને લગતા ગૂનાઓ સહિત જાતિય સતામણી જેવા ગુનાઓના વધતા પ્રમાણને કડક હાથે ડામી દેવા પાસા’ એકટમાં સુધારાના વટહુકમની દરખાસ્ત રાજ્ય પ્રધાન મંડળની આગામી બેઠકમાં લાવવાના છે. અત્યારે ગુજરાત રાજ્યમાં અસામાજિક તત્વોની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા ૧૯૮પથી ગુજરાત અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા બાબત અધિનિયમ (પાસા) ૧૯૮પ અમલી છે.

આ અધિનિયમ અંતર્ગત પાસાના કાયદામાં જે જોગવાઇઓ છે તે મુજબ આઈપીસી તથા આર્મ્સ એકટ હેઠળના ગુનાઓ આચરનારી વ્યકિત, ભયજનક હોય તેવી વ્યકિત, ખાનગી અને સરકારી મિલકત પચાવી પાડે તેવા પ્રોપર્ટી ગ્રેબર વ્યકિત તેમજ કેફી દ્રવ્યોની હેરાફેરીમાં સંડોવાયેલા તેવા ડ્રગ ઓફન્ડર્સ, જુગારનો અડ્ડો ચલાવનારા, દેહવિક્રય જેવા અનૈતિક વેપાર સાથે જોડાયેલ ગૂનેગાર વ્યકિતઓ, ગૌવંશની હત્યા અને ગૌ માસની હેરાફેરી કે વેચાણ કરનારા લોકો તથા દારૂનો ગેરકાયદે ધંધો કરનારા બૂટલેગર વ્યકિતઓ વિરૂદ્ધ પાસા કાયદાની જોગવાઇનો ઉપયોગ કરી અટકાયત કરી શકાય છે..

હવે, આધુનિક બદલાતી ટેકનોલોજીમાં વિશ્વ સાથે ગૂનાખોરીની પ્રવૃત્તિઓમાં પણ ટેકનોલોજી આધારિત ગૂનાઓ-સાયબર ક્રાઇમનું પ્રમાણ વધ્યું છે તેમજ જાતિય સતામણીના ગૂનાઓ પણ વધ્યા છે ત્યારે આ ગૂનાઓ સહિતના ગૂનાઓ ડામવામાં પાસા’ કાયદાની જોગવાઇઓમાં આ સુધારો શસ્ત્ર બનશે. રાજ્યમાં જાતીય ગુનાઓનું પ્રમાણ ઘટે અને મહિલાઓને વધુ સુરક્ષીત કરી શકાય તે આશયથી પાસાના કાયદામાં જે જોગવાઇઓ હતી તેને વધુ વિસ્તારવામાં આવી છે.

ભારતીય ફોજદારી અધિનિયમ ૧૮૬૦ની વિવિધ કલમો તેમજ પોક્સોના કાયદા હેઠળના શિક્ષાપાત્ર ગુનો કરે, કે એવો પ્રયાસ કરે, કે તેમાં મદદગારી કરે તેવી વ્યક્તિઓનો હવે પાસા કાયદાની સજા પાત્ર વ્યકિતમાં અલગથી સમાવેશ કરવામાં આવ્યો છે. આ અધિનિયમમાં સુધારો થવાથી જુગારની પ્રવૃતિ આચરનાર, સાયબર ગુનેગારો, વ્યાજખોરી તથા જાતીય સતામણીના ગુના જેવા ગુનેગારો સામે પાસાની કાર્યવાહી થઇ શકશે.