CIA ALERT

ગુજરાત Archives - Page 48 of 155 - CIA Live

November 27, 2020
rajkot-hospital.jpg
1min428

ગુજરાતના રાજકોટમાં શુક્રવારે એક કોવિડ-19 હૉસ્પિટલમાં ભીષણ આગ લાગી હતી, જેમાં પાંચ કોરોના વાયરસ દર્દીઓના નિધન થઈ ગયા છે.

માવડી વિસ્તારના શિવાનંદ હૉસ્પિટલના આઇસીયૂમાં લગભગ રાતે એક વાગ્યે આગ લાગી હતી, જ્યાં 33 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા. આમાંથી સાત દર્દીઓને આઇસીયૂમાં દાખલ કરવામાં આવ્યા હતા. જણાવવાનું કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઘટનામાં તપાસના આદેશ આપ્યા છે.

તેમણે આગળ જણાવ્યું કે આગની સૂચના મળતા જ ઘટના સ્થળે પહોંચ્યા અને ત્રીસ દર્દીઓને બચાવીને બહાર લાવ્યા. જ્યારે આઇસીયૂમાં ત્રણ દર્દીઓના નિધન થઈ ગયા. તેમણે જણાવ્યું કે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને આગ લાગવાના કારણનો તાગ મેળવી શકાયો નથી. તો, સમાચાર એજન્સી એએનઆઇએ સૂચના આપી કે મૃત્યુ પામનારની સંખ્યા પાંચ પર પહોંચી ગઈ છે.

રેસ્ક્યૂ કરવામાં આવેલા દર્દીઓને બીજા કોવિડ-19 હૉસ્પિટલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર થઈ રહી છે. જણાવવાનું કે આ પહેલા ઑગસ્ટમાં અમદાવાદમાં ચાર માળના પ્રાઇવેટ હૉસ્પિટલમાં આગ લાગવાથી આઠ કોરોના દર્દીઓના નિધન થયા હતા.

કહેવામાં આવી રહ્યું છે કે કોવિડ-19 હૉસ્પિટલના આઇસીયૂમાં આ આગ લાગી હતી. ફાયર બ્રિગેડ અધિકારીએ જણાવ્યું કે આગ લાગ્યા પછી હૉસ્પિટલમાંથી અન્ય ત્રીસ કોરોના વાયરસના દર્દીઓને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે, જેમની સારવાર થઈ રહી છે. જો કે, પછી તેમાંથી બેના નિધન થઈ ગયા છે.

November 25, 2020
ram-nath-kovind.jpg
1min420
Image

આજે ૨૫મીએ કેવડિયા કોલોની ખાતેના સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક ટેન્ટ સિટી-૨ ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની ઉપસ્થિતિમાં દેશના રાજ્યોની વિધાનસભા અધ્યક્ષો, લોકસભા, રાજ્યસભાના સ્પીકરો અને તેમની સાથે જોડાયેલા અધિકારીઓની કોન્ફરન્સ યોજાય રહી છે

Image

સ્ટેચ્યૂ ઓફ યુનિટી એક અતિ વિશિષ્ઠ સ્થળ છે. દેશની એકતાના ઘડવૈયા સરદાર સાહેબનું આ સ્મારક છે. આ અંગે રાજેન્દ્ર ત્રિવેદીએ આ અતિ વિશિષ્ઠ સ્થળની આ પરિષદ માટે પસંદગી કરવા બદલ લોકસભાના અધ્યક્ષને સાભાર ધન્યવાદ આપ્યા હતા.

૨૫મી અને ૨૬ નવેમ્બરના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા છે. રાજ્યમાં યોજાનારી સ્પીકર કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેવા માટે રાષ્ટ્રપતિ ગુજરાત આવશે. આ કોન્ફરન્સમાં દેશના તમામ વિધાનસભા સ્પીકર હાજર રહેશે. ૨૬ નવેમ્બરના રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સ્પીકર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કોન્ફરન્સ લોકસભા સ્પીકરના અધ્યક્ષસ્થાને યોજાઈ રહી છે અને તેમાં દેશની તમામ વિધાનસભાના અધ્યક્ષો હાજરી આપી રહ્યા છે.

Image

આ કાર્યક્રમમાં મુખ્ય આકર્ષણ એ પણ હશે કે કાર્યક્રમના સમાપનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમાપન સ્પીચ વર્ચ્યુઅલી કરશે. આમ એક સાથે બધા વડા ભેગા થાય એ પ્રથમ અને ઐતિહાસિક ઘટના બની રહેશે. અન્ય આકર્ષણની વાત એ છે કે, આ કાર્યક્રમમાં સરદાર પ્રતિમાના સાનિધ્યમાં બંધારણના આમુખની સાક્ષી હેઠળ રાષ્ટ્રીય એકતાના શપથગ્રહણ કાર્યક્રમ થશે. જેમાં આ પરિષદને અવિસ્મરણીય અને યાદગાર બનાવશે. લોકસભા અને રાજ્યસભાના નેતા પ્રતિપક્ષને પણ આમંત્રિત કરાયા છે. આ પરિષદના આયોજનમાં રાજ્ય સરકારે સંપૂર્ણ પીઠબળ આપ્યું છે.

Image

આ બેઠક માટે ૫૦૦ થી વધુ વહીવટી અધિકારીઓ અને કર્મચારીઓને હાજર રાખવામાં આવશે. આ સાથે પોલીસ બંદોબસ્ત માટે પણ ચાર જિલ્લાના પોલીસના ૨૦૦૦ સુરક્ષા જવાનો સ્ટેન્ડબાય કરવામાં આવશે.

November 25, 2020
Ahmed_Patel_PTI.jpg
1min517

કોંગ્રેસના સિનિયર નેતા અને ગુજરાતના રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલનું ગુરુગ્રામની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં અવસાન થયું છે. 71 વર્ષીય અહેમદ પટેલને એક મહિના પહેલા કોરોનાનો ચેપ લાગ્યો હતો, અને ત્યારથી તેમની સ્થિતિ સતત વણસી રહી હતી. એક પછી એક ઓર્ગન ફેલ્યોર થવા માંડતા આખરે તા.25મી નવેમ્બર 2020ના રોજ બુધવારે સવારે 3.30 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

અહેમદ પટેલ એવા લોકનેતા હતા, જેઓ સૌના મિત્ર હતા. અજાતશત્રુ હોય એવા બહુ જૂજ રાજનેતાઓ ભારતમાં થયા છે જે યાદીમાં અહેમદ પટેલ સ્થાન પામી શક્યા છે. તેમણે તેમનું સમગ્ર જીવન કોંગ્રેસને સમર્પત કરી દીધું. કોંગ્રેસને બેઠી કરવા માટે તેમણે પોતાનું જીવન ધરી દીધું હતું.

અહેમદ પટેલ કોંગ્રેસના ખજાનચી પણ હતા, તેમજ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર પણ. 1 ઓક્ટોબરના રોજ તેમને કોરોનાનો ચેપ લાગ્યો હતો, અને 15 નવેમ્બરે તેમને મેદાંતા હોસ્પિટલના આઈસીયુમાં એડમિટ કરાયા હતા.

પીએમ મોદીએ શ્રદ્ધાંજલિ પાઠવી

November 23, 2020
mbbs.jpg
1min567

Jayesh Brahmbhatt 98253 44944

ગુજરાતની મેડીકલ અને ડેન્ટલ કોલેજોના પહેલા વર્ષમાં પ્રવેશ માટે મોક રાઉન્ડનું રિઝલ્ટ બહાર પડ્યા પછી અનેક પ્રવેશાર્થી પરિવારોમાં ભારે હતાશા છવાઇ ગઇ છે કેમકે નીટ કટઓફ માર્કસ 2020માં ગત વર્ષ 2019 કરતા 40થી 63 માર્કસ ઉંચા ગયા છે. એનો મતલબ ગયા વર્ષ કરતા અત્યંત ઉંચા મેરીટ કટઓફને કારણે અનેક વિદ્યાર્થીઓ પ્રવેશ વંચિત તો રહેશે પરંતુ, તેજસ્વી વિદ્યાર્થીઓએ પણ સરકારી મેડીકલ કોલેજમાં સસ્તામાં મેડીકલ ભણવાની તક ગુમાવવી પડશે અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની મોંઘીદાટ ફીમાં અભ્યાસ કરવો પડશે.

નીચેના કોષ્ટક પરથી પરિસ્થિતિ પામી શકાશે કે ગુજરાતની સરકારી મેડીકલ કોલેજોમાં પ્રવેશ કેટલા ઉંચા ગયા છે. જેમકે અમદાવાદની બીજે મેડીકલ કોલેજ કે જે ગુજરાતની નંબર વન મેડીકલ કોલેજ ગણાય છે, જ્યાં પહેલું એડમિશન ક્લોઝ થાય છે એ બીજે મેડીકલ કોલેજમાં 2019માં ઓપન કેટેગરીનું કટઓફ 610 નીટ માર્કસ હતું જે આ વખતે 2020માં મોક રાઉન્ડમાં વધીને 650 થયું છે. એવી જ રીતે સુરત મેડીકલ કોલેજમાં 2019માં નીટ માર્કસનું કટઓફ 557 હતું જે વધીને 609 થયું છે.

સરકારી મેડીકલ કોલેજોમાં ઓપન કેટગરીના કટઓફની ડિટેઇલ

ઉપરોક્ત ડેટા ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓના કટઓફ માર્કનો છે. આ જ પ્રકારે ઓપન ઇડબલ્યુએસ, એસ.સી., એસ.ટી., ઓબીસી વગેરે કેટેગરીમાં પણ નીટ માર્કસના કટઓફ 2019 કરતા ઉંચા ગયા છે પરીણામે ઓછા માર્કસ ધરાવતા વિદ્યાર્થીઓમાં હતાશાનું મોજુ ફરી વળ્યું છે.

2020માં ગુજરાતમાં મેડીકલ બેઠકોની સંખ્યા વધીને 5508 થઇ

November 23, 2020
bjp_logo.png
1min466

કોરોનાની મહામારી વચ્ચે પણ ભાજપના નેતાઓ રેલી અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરી રહ્યાં છે. સુરતમાં પણ આત્મારામ પરમારે કરંજ ખાતે રેલી યોજી હતી જેમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતાં.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ભાજપના નેતાઓને તમામ જાહેર કાર્યક્રમો મોકૂફ રાખવાનો આદેશ આપ્યો છે. જાહેર કાર્યક્રમોમાં કોરોના ગાઈડલાઈનનો ભંગ થતો હોવાને કારણે ભાજપ પ્રદેશ અધ્યક્ષે આ નિર્ણય લીધો છે. હાલ આ સૂચના પછી હવે જ્યાં સુધી કોઈ નવી સૂચના નહીં મળે ત્યાં સુધી કોઈપણ કાર્યક્રમ યોજવામાં નહીં આવે.

November 23, 2020
covid_cia.jpg
1min499

દિવાળીના તહેવારોમાં બજારોમાં થયેલા ફિઝિકલ ડિસ્ટન્સિંગના ભંગને કારણે ગુજરાતમાં વકરી રહેલી કોરોનાની પરિસ્થિતિ વચ્ચે અમદાવાદ શહેરમાં ખાનગી હોસ્પિટલ્સ દ્વારા બેડની કુત્રિમ અછત ઉભી કરવાના થયેલા પ્રયાસ સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લાલઆંખ કરીને આવી હોસ્પિટલ્સ સામે પગલાં ભરવાની ચીમકી ઉચ્ચારી છે. અમદાવાદ કોર્પોરેશને ખાનગી ક્ષેત્રની ડેઝિગ્નેટેડ કોવિડ 19 હોસ્પિટલ્સને પથારીની કૃત્રિમ અછત ઉભી નહીં કરવા તાકીદ કરી છે.

આ રીતે કુત્રિમ અછત ઉભી થાય છે

છેલ્લા કેટલાક દિવસો દરમિયાન એવું જોવા જાણવા મળ્યું કે અમદાવાદની કેટલીક હોસ્પિટલો કોરોનાના દર્દીઓને હોસ્પિટલાઈઝેશનની જરૂર ના હોવા છતા તેમને એડમિટ કરી દીધા છે, જ્યારે ખરેખર જરૂરીયાતવાળા દર્દીના સગાઓ પૂછપરછ કરે ત્યારે પહેલા બેડ નથી એમ કહી દેવામાં આવે. જે સગાઓ હોસ્પિટલ્સ પર પહોંચે તેમને ખૂબ મુશ્કેલીથી બેડ મળે તેમ છે, એનો રેટ પણ ઉંચો જણાવે છે અને ગરજવાન સગાઓ છેવટે પ્રાઇવેટ હોસ્પિટલ્સની ચુંગાલમાં ફસાય જાય છે અને આ રીતે બેડની કૃત્રિમ અછત સર્જાય છે.

કપરી સ્થિતિ વચ્ચે નફાખોરી પર ઉતરી આવેલી હોસ્પિટલ્સને ચેતવણી

ગયા અઠવાડીયે અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાના નેતૃત્વમાં હાથ ધરાયેલી રીવ્યૂ બેઠકમાં ખાનગી હોસ્પિટલોને ચેતવણી આપતા આ પ્રકારની ગેરકાયદે પ્રવૃતિને બંધ કરવા અને બેડની કૃત્રિમ અછતને ટાળવા સ્પષ્ટપણે જણઆવી દીધું છે. અમદાવાદમાં કોરોનાની સ્થિતિ પર દેખરેખ રાખવા અને યોગ્ય પગલાં લેવા માટે ડો. રાજીવ ગુપ્તાની સ્પેશ્યલ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે. એએમસીની બેઠક બાદ અમદાવાદ હોસ્પિટલ અને નર્સિંગ હોમ એસોસિએશનને આ અંગે જાણ  પણ કરવામાં આવી છે.

November 22, 2020
girnar_parikrama.jpg
1min445

ગિરિવર ગિરનારની ગોદમાં પરંપરાગત રીતે યોજાતી ગિરનારની લીલી પરિક્રમાને કોરોનાનું ગ્રહણ નડતા, પરિક્રમાના ઇતિહાસમાં સૌ પ્રથમવાર મોકૂફ રાખવાની કલેક્ટર ડો. સૌરભ પારઘીએ જાહેરાત કરી છે. ડો. પારઘીએ પત્રકાર પરિષદમાં ગિરનાર પરિક્રમા મોકૂફ રખાયાની જાહેરાત કરી ઉમેર્યું કે, પરિક્રમાની પરંપરા જાળવવા માટે આગામી દિવસોમાં સાધુ-સંતો સાથે બેઠક યોજી શુકનરૂપી 10થી 15 લોકો પરિક્રમા કરી પરંપરા જળવાશે.

ગિરનારની ગોદમાં 36 કિ.મી.ની પરંપરાગત રીતે યોજાતી લીલી પરિક્રમાના પ્રારંભનો કોઇ ચોક્કસ ઇતિહાસમાં ઉલ્લેખ નથી પણ લોકવાયકા મુજબ પાંડવોએ ગિરનારની પરિક્રમા કરી હતી. ત્યારથી વિવિધ સંઘો દ્વારા કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી એટલે કે પાંચ દી’ની પરિક્રમા યોજાતી રહે છે.

બીજી બાજુ વિવિધ સમાજોના ઉતારા મંડળોએ દિવાળી પહેલા પત્રકાર પરિષદ યોજી, લોકોની સુરક્ષાને ધ્યાને લઇ પરિક્રમામાં ઉતારા, અન્નક્ષેત્રો તથા ચા-પાણીના પરબોના સંચાલકોને પરિક્રમામાં ન આવવા અનુરોધ કર્યો હતો, એટલે કે સેવાભાવી સંસ્થાઓને પરિક્રમાથી દૂર રહેવા અનુરોધ કર્યો હતો.

જિલ્લા વહીવટી તંત્રની કોર કમિટીની બેઠક આજે યોજાઈ હતી. તેમાં વર્તમાન સ્થિતિને ધ્યાને લઈ તેમજ જંગલમાં સરકારની ગાઇડલાઇનનો અમલ અશક્ય હોય તેથી અંતે કલેક્ટરે પરિક્રમા બંધ રાખવાની જાહેરાત કરી હતી.

ગિરનાર પરિક્રમામાં દર વર્ષે 10થી 12 લાખ ભાવિકો ઉમટે છે. આ માનવભીડ અને જંગલ વિસ્તાર હોવાથી સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અશક્ય છે તેમજ સરકારના જાહેરનામા મુજબ 200થી વધુ માણસો એકત્ર થવા ઉપર પ્રતિબંધ હોવાથી પરિક્રમા બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.

November 19, 2020
MBBS-BDS.jpg
1min880

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ગુજરાતમાં આવેલી મેડીકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમીયોપેથી કોલેજના પહેલા વર્ષની પ્રવેશ કાર્યવાહીના ભાગરૂપે એડમિશન કમિટીએ આજરોજ તા.19મી નવેમ્બર 2020થી જ મોક રાઉન્ડનું ચોઇશ ફિલિંગ શરૂ કરી દીધું છે. કોઇપણ પ્રકારની આગોતરી જાણ કર્યા વગર તા.19થી 21 સુધી મોકરાઉન્ડનું ચોઇશ ફિલિંગ કરવા માટે વેબસાઇટમાં વિકલ્પને ઇનેબલ કરવામાં આવ્યા છે.

આ પૂર્વે એડમિશન કમિટીએ બિલકુલ હંગામી ધોરણે (પ્રોવિઝનલ) મેરીટ લિસ્ટ જાહેર કર્યું છે. આ મેરીટ લિસ્ટને ફાઇનલ ન ગણવા માટે એડમિશન કમિટીએ તમામ વિદ્યાર્થીઓને જણાવ્યું છે. ડોક્યુમેન્ટ્સની ખરાઇ બાદ ફાઇનલ મેરીટ લિસ્ટ જાહેર કરવામાં આવશે.

હાલ તુરત વિદ્યાર્થીઓને પ્રવેશ કાર્યવાહી અંગેની પ્રેક્ટિસ મળી રહે તે માટે મોકરાઉન્ડમાં ચોઇશ ફિલિંગનો વિકલ્પ ઇનેબલ કરવામાં આવ્યો છે.

વધુ સૂચના આ મુજબ છે.

November 19, 2020
flyingranee.jpg
1min405

મુંબઈ સેન્ટ્રલ અને સુરત વચ્ચે દોડતી ફલાઇંગ રાણીને ગયા અઠવાડિયા દરમિયાન એક જ સપ્તાહ દોડાવવાનો નિર્ણય લીધા બાદ તા.18મી નવેમ્બર 2020ને બુધવારે ફ્લાઈંગ રાણીને વધુ સવા મહિનો દોડાવવાનો નિર્ણય લીધો છે, એમ વેસ્ટર્ન રેલવેના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. કોરોનાના સંકટ વચ્ચે મુંબઈથી સુરત વચ્ચે વધતા પ્રવાસીઓના ટ્રાફિકને ધ્યાનમાં રાખીને ફલાઇંગ રાણીને ડિસેમ્બરના અંત સુધીમાં દોડાવવાનો વેસ્ટર્ન રેલવેએ નિર્ણય લીધો છે.

મુંબઈ સેન્ટ્રલ-સુરત ફલાઇંગ રાણી સુપરફાસ્ટ સ્પેશિયલ ઍક્સ્પ્રેસ (ટ્રેન નંબર ૦૨૯૨૧/૦૨૯૨૨) હવે ૨૦મી નવેમ્બરથી ૩૧મી ડિસેમ્બર સુધી દરરોજ દોડશે. આ વિશેષ ટ્રેન પહેલા ૧૯મી નવેમ્બર સુધી જ દોડવાની હતી. મુંબઈ સેન્ટ્રલ-સુરત ફલાઇંગ રાણી સુપરફાસ્ટ સ્પેશિયલ ઍક્સ્પ્રેસ ટ્રેન (૦૨૯૨૧) મુંબઈ સેન્ટ્રલ પરથી સાંજે ૫.૫૫ વાગ્યે ઉપડશે અને રાત્રે ૧૦.૩૫ વાગ્યે સુરત પહોંચશે. આ જ પ્રમાણે સુરત-મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ ટ્રેન (૦૨૯૨૨) સુરતથી સવારે ૫.૪૦ વાગ્યે રવાના થશે, જે સવારે ૧૦.૨૦ વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન અંધેરી, બોરીવલી, પાલઘર, દહાણુ રોડ, વાપી, વલસાડ, બિલિમોરા જંકશન, અમલસાડ, નવસારી, મરોલી, સચિન અને ઉધના જંકશનમાં હોલ્ટ રહેશે, એવું યાદીમાં જણાવાયું હતું.

November 18, 2020
corona-gujarat.jpg
1min667

Gujarat : એક બાદ એક નેતા પણ સંક્રમિત થઈ રહ્યા છે. ગુજરાતમાં અત્યારસુધીમાં ભાજપના ત્રણ પ્રધાન સહિત ૧૯ અને કૉંગ્રેસના ૧૫ ધારાસભ્ય મળીને કુલ ૩૪ ધારાસભ્ય સંક્રમિત થયા છે. જ્યારે ભાજપના છ અને કોંગ્રેસના બે એમ કુલ આઠ સાંસદને પણ ચેપ લાગ્યો છે. આ ઉપરાંત પૂર્વ કેન્દ્રીય પ્રધાન ભરતસિંહ સોલંકી અને બે પૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલા અને કેશુભાઈ પટેલ પણ કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યા છે, જેમાંથી કોરોનામુક્ત થયા બાદ કેશુભાઈ પટેલનું નિધન થઈ ગયું હતું. આમ, કુલ ૪૫ મોટા નેતાને કોરોના થઈ ચૂક્યો છે.

૧૦ દિવસ પહેલાં રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ અને ભાજપના બારડોલીના સંસદસભ્ય પ્રભુ વસાવાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ ૧૩મી નવેમ્બરે રાજ્યસભા સાંસદ અને પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નરહરિ અમીન તથા અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિના કોષાધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ એહમદ પટેલ પણ સંક્રમિત થયા હતા. જ્યારે રવિવારે કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોર પણ કોરોનાગ્રસ્ત થયા હતા આમ, બે દિવસમાં બે સાંસદ અને એક ધારાસભ્યને સંક્રમણ લાગ્યું છે.

હાલ રાજ્યસભા સાંસદ, અભય ભારદ્વાજની ચેન્નઈમાં સારવાર ચાલી રહી છે. એકમો પદ્ધતિથી સારવાર કરતાં ભારદ્વાજની તબિયતમાં સુધારો થયો છે અને થોડા દિવસમાં જ તેમને ડિસ્ચાર્જ કરવામાં આવશે. જ્યારે રાજ્યના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અને ભાજપના રાજ્યસભા સાંસદ નરહરિ અમીન હાલ અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર રહી ચૂકેલા એહમદ પટેલની હાલ ગુડગાંવની પ્રખ્યાત મેદાંતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેમને આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં જાણીતા ડોકટરોની સઘન સારવારને કારણે સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને તેમની તબિયત ધીમે ધીમે સ્થિર થઈ રહી છે. સારવારમાં અડચણ નિવારવા પરિવાર સહિત બધા માટે મુલાકાત પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હોસ્પિટલ તરફથી આપવામાં આવી રહેલી માહિતી મુજબ તેમનું ભજ્ઞ૨ અને ક્રિએટિનાઇન ઝડપથી કાબૂમાં આવતું હોવાથી આગળની સારવાર માટે ઉજ્જવળ સંજોગો જણાય રહ્યા છે.