આજે શ્રાવણ માસના પહેલા દિવસ તા.21મી જુલાઇ 2020ના રોજ 6 કરોડની વસતિ ધરાવતા ગુજરાત રાજ્યમાં કોરોના કેસોનો આંકડો 50,000 કેસોની સંખ્યાને આંબી જશે. તા.20 જુલાઇ 2020ની સાંજે 8 કલાકે ગુજરાતમાં કોરોના કેસોની સંખ્યા 49,439 હતી. ગુજરાતમાં હાલ દૈનિક 900 પ્લસ નવા કેસોની સરેરાશને જોતા આજરોજ તા.21મી જુલાઇ 2020ના રોજ ગુજરાતમાં કોરોના કેસોનો આંકડો 50 હજારને પાર પહોંચી જશે.

ગુજરાતમાં કોરોના વાયરસની સ્થિતિ હવે વકરી રહી છે, છેલ્લા ચાવીસ કલાકમાં ૧૨૩૬૯ ટેસ્ટ દ્વારા નવા ૯૯૮ પોઝિટિવ દર્દી મળી આવ્યા છે આ સાથે રાજ્યના કુલ કેસનો આંક ૪૯૪૩૯ સાથે અડધા લાખને આંબવાની તૈયારીમાં છે.
એક જ દિવસમાં વધુ ૨૦ દર્દીઓના કોરોના સંક્રમણને લીધે મૃત્યુ થયા છે. એમાં સૌથી વધારે સુરતમાં કુલ ૧૧ દર્દીના મરણ કોરોનાથી થયાનું સત્તાવાર રીતે જાહેર કરાયું છે. અલબત્ત, નવા સંક્રમિત દર્દીઓનો આંક નિયંત્રિત રીતે ૨૮૪નો જાહેર કરાયો છે. અમદાવાદમાં કુલ ચાર દર્દીના મૃત્યુ સાથે નવા ૧૮૩ કેસ ઉમેરાયા છે.
ચોવીસ કલાકમાં ૭૭૭ દર્દીઓને ડિસ્ચાર્જ અપાતા કુલ રિકવર થનારનો આંક ૩૫૬૫૯ થયો છે. અલબત્ત, રાજ્યમાં કુલ મૃત્યુ આંક ૨૧૬૭ થયો છે.
આ બન્ને સંક્રમિત મહાનગરો-જિલ્લા પછીના ક્રમે આવતા વડોદરા શહેરમાંથી નવા ૬૦ દર્દીઓ મળી આવ્યા છે અને વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાંથી ૧૮ કેસ આવ્યા છે. જોકે, સારવાર હેઠળના મહાનગરના દર્દીઓ પૈકી બેના મૃત્યુ થયાનું રાજ્યના હેલ્થ બુલેટિનમાં જાહેર કરાયું છે. આ જ રીતે નવસારીમાં બે દર્દી અને એક ગીર સોમનાથના દર્દીનું કોરોનાથી મૃત્યુ જાહેર કરાયું છે.
રાજકોટ શહેરમાંથી નવા ૪૦ કેસ મળ્યા છે જ્યારે વિવિધ તાલુકાંથી ૧૬ દર્દીઓ સંક્રમિત થયા હોવાનું જાહેર કરાયું છે. ભાવનગર શહેરમાંથી ૨૬ મળી કુલ ૪૨ કેસ નવા ઉમેરાયા છે. જામનગરમાં કુલ ૨૨ કેસ આવ્યા છે એમાં શહેરમાંથી ૧૩ કેસ છે. ગાંધીનગરમાં કુલ ૨૦ કેસમાં ૧૨ ગ્રામ્ય વિસ્તારના છે. જૂનાગઢમાં પણ ગ્રામ્ય વિસ્તારના ૧૩ કેસ સાથે કુલ ૧૯ કેસ નોંધાયા છે.
જિલ્લાઓમાં સૌથી વધારે કેસ મહેસાણામાં વીસનગર, ઊંઝા, બેચરાજી, કડીમાંથી મળી નવા ૨૬ કેસ જાહેર કરાયા છે. ભરૂચમાં વાગરા, જંબુસર, અંકલેશ્વર, વાલીયામાંથી ૨૨ કેસ ઉમેરાયા છે. સુરેન્દ્રનગર શહેર ઉપરાંત મુળી, પાટડી, ધ્રાંગધ્રામાંથી નવા ૨૦ કેસ, પાટણ અને વલસાડમાંથી નવા ૧૭-૧૭ કેસ આવ્યા છે.
મહાનગરોમાંથી ગ્રામ્ય વિસ્તારોમાં વધતાં જતાં ચેપને નાથવા માટે હવે સ્થાનિક સ્તરે લોકોએ સ્વૈચ્છાએ લોકડાઉનનો અમલ શરૂ કર્યો છે. સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં સંક્રમિત મહાનગરો, વિસ્તારોમાંથી આવનારાઓને ચેકનાકાઓ ઉપર ચેક કર્યા પછી પ્રવેશ આપવાની શરૂઆત કરી છે. પાંચ જિલ્લાઓમાં અમદાવા, વડોદરા, સુરત તેમજ અન્ય રાજ્યોમાંથી આવનારાઓને ફરજિયાત ૧૪ દિવસ હોમ કોરન્ટાઇન રહેવાની શરતે જ પ્રવેશ અપાય છે. સૌરાષ્ટ્રમાં શ્રાવણ મહિનાના પવિત્ર દિવસોમાં વિવિધ મેળા, શિવ મંદિરોમાં વિશિષ્ટ પૂજા દર્શનના કાર્યક્રમોને પણ મોકુફ રાખવામાં આવ્યા છે. રાજ્યના ઘણાં મોટા મંદિરોએ સંક્રમણની સ્થિતિને ધ્યાને લઇ હમણાં મંદિરો બંધ રાખવાની જાહેરાત કરી છે.
અમદાવાદ પછી સુરત અને વડોદરાની જેમ હવે રાજ્યભરમાંથી ધનવંતરી રથ દ્વારા શંકાસ્પદોના હેલ્થ ચેકઅપ, એન્ટીજન ટેસ્ટ જેવી કામગીરીને યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. અલબત્ત, હજુય લોકો સોશીયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવા જેવી સામાન્ય બાબતોને અપનાવતા નથી એના કારણે સ્થિતિ દિવસે દિવસે વધારે કથળી રહી છે.
આ જ કારણે ગીરસોમનાથ, કચ્છ અને તાપી જેવા જિલ્લાઓમાંથી એક જ દિવસમાં નવા ૧૬-૧૬ કેસ આવ્યા છે તો પંચમહાલમાંથી નવા પંદર કેસ, અમરેલી, ખેડા, બનાસકાંઠામાંથી ૧૩-૧૩ કેસ મળ્યા છે. દાહોદ શહેર અને લીમખેડામાંથી નવા ૧૨ કેસ આવ્યા છે. મહીસાગરમાંથી ૧૧, નવસારીમાંથી ૧૦, બોટાદ, મોરબીમાંથી ૯ કેસ મળ્યા છે. નર્મદામાં ૭, આણંદ અને સાબરકાંઠામાંથી ૬-૬, અરવલ્લીના ૫, દેવભૂમિ દ્વારકાના ૩, છોટાઉદેપુર અને પોરબંદરમાંથી ૧-૧ કેસ નવા ઉમેરાયા છે.
આમ, હાલ રાજ્યમાં ૧૧૬૧૩ એક્ટિવ કેસ છે એમાં ૭૫ વેન્ટીલેટર ઉપર છે જ્યારે ૧૧૫૩૫ સ્ટેબલ છે.








