ગુજરાતમાં કોરોનાના સંક્રમણને લીધે છેલ્લા ચોવીસ કલાકમાં વધુ ૧૩ દર્દીઓએ દમ તોડ્યો છે. આ સાથે રાજ્યનો કોરોનાથી મૃત્યુ આંક વધીને ૨૯૧૦ થઇ ગયો છે. જે સરેરાશ ૩.૪ ટકા થવા જાય છે. બીજી તરફ નવા ૧૦૬૭ દર્દીઓ પોઝિટિવ મળતાં કુલ આંક ૮૭,૮૪૬ સુધી પહોંચી ગયો છે. આ સાથે આઇસીએમઆરની ગાઇડલાઇન્સ મુજબ ચોવીસ કલાકમાં ૧૦૨૧ દર્દીઓને રજા અપાતા કુલ ડિસ્ચાર્જ આંક ૭૦,૦૦૦ને પાર થઇ ૭૦૨૫૦ સુધી પહોંચ્યો છે. આમ, રિવકરી રેટ ૮૦ ટકા થયો છે.
છેલ્લા ચોવીસ કલાકમાં સુરતમાં સૌથી વધુ પાંચ, અમદાવાદમાં ત્રણ, રાજકોટ અને વડોદરામાં બે-બે તેમજ ભાવનગર શહેરમાંથી એક દર્દી મળી કુલ ૧૩ના કોવિડ-૧૯ સંક્રમણથી મૃત્યુ થયાની પુષ્ટી હેલ્થ બુલેટિનમાં કરવામાં આવી છે.
સુરતમાંથી કુલ ૨૨૯ નવા કેસ મળ્યા છે એમાં શહેરના ૧૫૯ કેસનો સમાવેશ થાય છે આ જ રીતે અમદાવાદમાંથી કુલ ૧૬૫ કેસ નોંધાયા છે એમાંથી શહેરના ૧૫૧ કેસ છે. વડોદરામાં કુલ ૧૨૦ કેસમાં શહેરના ૮૮ કેસનો સમાવેશ થાય છે. ગાંધીનગર શહેરના ૧૦ મળી કુલ ૨૬ કેસ નવા નોંધાયા છે.
સૌરાષ્ટ્રમાં સતત ચોથા દિવસે જામનગર શહેરમાંથી સૌથી વધારે ૭૭ કેસ નવા નોંધાયા છે. અલબત્ત, જિલ્લામાંથી માત્ર ૯ કેસ નવા ઉમેરાયા છે. રાજકોટ શહેરમાંથી ૬૭ અને જિલ્લાના ૩૨ મળી કુલ ૯૯ કેસ થાય છે. ભાવનગરમાંથી કુલ ૪૯ કેસમાં ૩૦ શહેરના કેસ છે. જ્યારે જૂનાગઢમાંથી ૧૩-૧૩ મળી કુલ ૨૬ નવા કેસ નોંધાયા છે. રાજ્યભરમાં છેલ્લા ત્રણેક દિવસથી સતત વરસાદી માહોલ વચ્ચે પણ એક હજાર કરતાં વધુ કેસ મળી રહ્યા છે. અલબત્ત, વરસાદને લીધે ટેસ્ટીંગના પ્રમાણમાં ઘટાડો થયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં નવા ૬૩,૦૬૫ ટેસ્ટ કરાયા હતા. જોકે, કોરોનાની કામગીરી સાથે સંકળાયેલા આરોગ્ય વિભાગના સૂત્રોનું કહેવું છે કે, વરસાદી માહોલ બાદ વકરનારી બિમારીઓના લીધે ચેપગ્રસ્તોની સંખ્યા વધશે.







