
સમગ્ર ગુજરાતમાં એકમાત્ર રાજકોટમાં કોરોનાગ્રસ્ત મૃતદેહની પેથોલોજીકલ ઓટોપ્સીનો પ્રારંભ થયો છે. આ રિસર્ચ દ્વારા કોરોના વાયરસ માનવ શરીરમાં કેટલા પ્રમાણમાં અને ક્યા-ક્યાં આંતરીક અવયવો ઉપર કેવા પ્રકારની અસર કરે છે ? તે જાણી શકાશે. જેના આધારે કોરોના સંક્રમિત વ્યક્તિને કેવા પ્રકારની સારવાર જરૂરી છે તે મુજબ તેની સારવાર પધ્ધતિમાં ફેરફાર કરીને કોરોના સામેની લડાઈમાં વિજ્ય હાંસલ કરી શકાશે.
કોરોના સંક્રમણ અટકાવવા ભારત અને ગુજરાતમાં સંશોધનને વધારે મહત્વ આપવામાં આવી રહ્યું છે. તેવા સમયે રાજકોટને મળેલી પેથોલોજીકલ ઓટોપ્સી રિસર્ચની મંજુરીની’ વિગતો આપતાં પી.ડી.યુ. મેડીકલ કોલેજના ફોરેન્સિક મેડીસીન ડિપાર્ટમેન્ટના હેડ તથા કોવિડ હોસ્પિટલના એડી. સુપ્રીટેન્ડન્ટ ડો. હેતલ ક્યાડા જણાવે છે કે, કોવિડ- 19 એક નવા પ્રકારની બિમારી છે. જેની માનવ શરીર પર શું અસર થાય છે ? તેના વિસ્તૃત જ્ઞાન અને તેના સંશોધનના ભાગરૂપે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકારની સુચના અને માર્ગદર્શન હેઠળ ફોરેન્સિક મેડીસિન વિભાગ દ્વારા આ ચેપીરોગના વાયરસ દ્વારા જેનું મૃત્યુ થાય છે, તેનું શબ પરીક્ષણ (પોસ્ટમોર્ટમ) કરવામાં આવશે.
જેના દ્વારા માનવ શરીર પર થતી અસરો તથા તેને અટકાવવાના ઉપાયો જાણી શકાશે. આ ઉપાયો વડે અન્ય દર્દીની સારવાર માટેના પગલાં વધુ સુદૃઢ બનાવી શકાશે. કોરોના મહામારીને રોકવાના જે પ્રયાસો થઈ રહ્યા છે, તેના માટે આ મંજુરી માઈલસ્ટોન સાબિત થશે.
કોવિડ – 19 મહામારીના કારણે જેનું મૃત્યુ થયુ છે, તેના સગા સબંધીઓની સંમતી વિના આ કાર્ય શક્ય નથી તેમ જણાવતાં ડો. હેતલ ક્યાડા ઉમેરે છે કે, જે પરિવાર આ માટે આગળ આવશે તેમના સ્વજનના કોરોનાગ્રસ્ત મૃતદેહમાંથી જરૂરી સેમ્પલ લઈ તેના પરિક્ષણ બાદ તે મૃતકના સગા તથા બીજા કોઈને ચેપ ફેલાય નહી તે માટે સરકારશ્રીની માર્ગદર્શિકા અનુસાર તેની અંતિમવિધિ સંસ્થાની ડેડ બોડી મેનેજમેન્ટ કમિટી દ્વારા કરવામાં આવશે. આ માટે મૃતકના સગાની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.









