ડેવલપમેન્ટ Archives - Page 6 of 143 - CIA Live

January 28, 2026
image-19.png
2min147

ગુજરાતના ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રવિ માર્કેટિંગ સીઝન 2026-27 અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા ₹2,585 પ્રતિ ક્વિન્ટલ ના લઘુતમ ટેકાના ભાવે (MSP) ઘઉંની ખરીદી કરવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે.

નોંધણી અને ખરીદીનું ટાઈમટેબલ

ખેડૂતોએ ટેકાના ભાવે વેચાણ કરવા માટે ઓનલાઇન નોંધણી કરાવવી ફરજિયાત છે:

ઓનલાઇન નોંધણી: 1 ફેબ્રુઆરી થી 1 માર્ચ, 2026 સુધી.

ક્યાં કરાવવી નોંધણી?: ગ્રામીણ કક્ષાએ VCE (વિલેજ કોમ્પ્યુટર આંત્રપ્રિન્યોર) મારફતે.

ખરીદીનો સમયગાળો: 4 માર્ચ થી 15 મે, 2026 સુધી.

નોંધણી માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ

નોંધણી કરાવતી વખતે ખેડૂતોએ નીચે મુજબના પુરાવા સાથે રાખવાના રહેશે:

આધાર કાર્ડની નકલ.

અદ્યતન 7/12 અને 8-અ ના ઉતારા.

વાવણી અંગેની નોંધ (જો 7/12 માં નોંધ ન હોય તો તલાટીનો દાખલો).

બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક.

બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન: નોંધણી અને ખરીદી બંને સમયે ખેડૂતનું બાયોમેટ્રિક વેરિફિકેશન ફરજિયાત છે.

ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો

SMS દ્વારા જાણ: નોંધણી કરાવ્યા બાદ ખેડૂતોને તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર SMS દ્વારા ખરીદીની તારીખ અને સમય જણાવવામાં આવશે.

ચકાસણી: જો ડોક્યુમેન્ટ્સ ખોટા માલૂમ પડશે તો ખેડૂતનો ક્રમ રદ કરવામાં આવશે.

હેલ્પલાઇન નંબર: જો નોંધણીમાં કોઈ મુશ્કેલી પડે તો ખેડૂતો 8511171718 અથવા 8511171719 પર સંપર્ક કરી શકે છે.

ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા ખેડૂતોને વિનંતી કરવામાં આવી છે કે સમયમર્યાદામાં પોતાની ગ્રામ પંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવી લે, જેથી લઘુત્તમ ટેકાના ભાવનો લાભ મેળવી શકાય.

January 28, 2026
image-16.png
1min127

Arijit Singh Retirement News 2026 | પ્લેબેક સિંગિંગમાંથી અચાનક નિવૃત્તિનું એલાન હિન્દી સિનેમાના મધુર અવાજ અને કરોડો લોકોના ફેવરિટ સિંગર અરિજિત સિંહે પ્લેબેક સિંગિંગ (ફિલ્મો માટે ગાવાનું) માંથી સંન્યાસ લેવાની સત્તાવાર જાહેરાત કરી છે. અરિજિતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉનું ટ્વિટર) અને ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને જણાવ્યું છે કે તે હવે પ્લેબેક વોકલિસ્ટ તરીકે કોઈ નવા પ્રોજેક્ટ્સ સાઇન કરશે નહીં.

નિવૃત્તિ પાછળના મુખ્ય કારણો પોતાના આ ચોંકાવનારા નિર્ણય પાછળ અરિજિતે બે મુખ્ય કારણો આપ્યા છે:

  1. કંટાળો (Boredom): અરિજિતે જણાવ્યું કે તે ખૂબ જ ઝડપથી કંટાળી જાય છે. તે સ્ટેજ પર પણ એકના એક ગીતો અલગ અરેન્જમેન્ટ સાથે ગાય છે કારણ કે તેને નવું કરવાની ભૂખ છે. તેણે કહ્યું, “મારે જીવવા માટે કંઈક અલગ મ્યુઝિક કરવાની જરૂર છે.”
  2. નવા સિંગર્સ માટે તક: અરિજિત ઈચ્છે છે કે હવે કોઈ નવો અવાજ અને નવો સિંગર ઉભરે, જે તેના માટે સાચું મોટિવેશન બની શકે.

મ્યુઝિક બનાવવાનું ચાલુ રાખશે

ચાહકો માટે રાહતના સમાચાર એ છે કે અરિજિતે સ્પષ્ટ કર્યું છે કે તે સંગીત બનાવવાનું (Music Production) છોડી રહ્યો નથી. તે સ્વતંત્ર મ્યુઝિક પ્રોડક્શન, લાઈવ શો અને કોન્સર્ટમાં પરફોર્મ કરવાનું ચાલુ રાખશે. તેણે લખ્યું કે, “ભગવાનની મારા પર મહેરબાની રહી છે, હું ભવિષ્યમાં સંગીત વિશે વધુ શીખીશ અને એક નાના કલાકાર તરીકે કંઈક વધુ નવું કરીશ.”

છેલ્લું ગીત અને બાકી પ્રોજેક્ટ્સ

સલમાન ખાનની આગામી ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’નું ગીત ‘માતૃભૂમિ’ અરિજિત સિંહના પ્લેબેક કરિયરનું છેલ્લું ગીત બની રહ્યું છે. હાલમાં તેની પાસે જે પણ જૂના કમિટમેન્ટ્સ છે, તે તેને પૂરા કરશે. તેથી આ વર્ષે તેના જૂના રેકોર્ડ કરેલા કેટલાક ગીતો રિલીઝ થઈ શકે છે, પરંતુ તે હવે કોઈ નવી ફિલ્મો સાઇન કરશે નહીં.

January 27, 2026
gold-and-silver.jpg
1min118

વૈશ્વિક બજારમાં વધતી અસ્થિરતા અને સુરક્ષિત રોકાણની વધતી માંગને કારણે આજે ભારતીય બુલિયન માર્કેટમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે. સોના અને ચાંદીના ભાવે આજે તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે અને એક નવી ઐતિહાસિક સપાટીને સ્પર્શી ગયા છે. ગ્લોબલ ઇકોનોમીમાં ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે રોકાણકારો સોના તરફ વળ્યા હોવાથી કિંમતોમાં આ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે.

ચાંદીની કિંમતમાં 25 હજાર રૂપિયાનો વધારો!

Dated 27/01/26 સોમવારે ભારતીય કોમોડિટી માર્કેટ બંધ હતું. પરંતુ ઈન્ટરનેશનલ માર્કેટમાં સોનાના ભાવમાં ભયંકર તેજી જોવા મળી અને પહેલીવાર સોનાનો ભાવ 5000 ડોલર પ્રતિ ઔંસ પહોંચી ગયો. જે બાદ આજે ભારતીય બજાર ખૂલતાંની સાથે જ સોનું અને ચાંદી બંનેમાં ભારે તેજી જોવા મળી. એક કિલો ચાંદીની કિંમતમાં 25000 રૂપિયાનો વધારો થયો છે. સોનું પણ 3700 રૂપિયા મોંઘું થયું છે.

સોનું-ચાંદી બંને ઑલ ટાઈમ હાઈ

ચાંદીની કિંમતો છેલ્લા 3 મહિનાથી બેકાબૂ થઈ ગઈ છે. આજે MCX પર બજાર ખૂલતાં જ ચાંદીનો ભાવ 3,59,800 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયો. સોનાની વાત કરીએ તો 10 ગ્રામ સોનાનો ભાવ 1,59,820 રૂપિયા પહોંચી ગયો છે. આમ સોનું અને ચાંદી બંનેએ આજે ઈતિહાસના તમામ રેકોર્ડ તોડ્યા છે અને ઑલ ટાઈમ હાઈ પર ટ્રેડ કરી રહ્યા છે. 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં સોનાના વાયદા ભાવમાં 24 હજાર રૂપિયાનો વધારો થયો છે.

સોના-ચાંદીના ભાવમાં વધારાના કારણ

વૈશ્વિક અસ્થિરતા:
અમેરિકા અને મિડલ ઈસ્ટ વચ્ચે યુદ્ધની પ્રબળ આશંકા

ઔદ્યોગિક માંગ:
AI ડેટા સેન્ટર્સ અને સોલાર પેનલ્સમાં ચાંદીના વધી રહેલા વપરાશને કારણે સપ્લાય ચેઈન ખોરવાઈ

January 22, 2026
gold-silver.jpeg
1min129

સોના અને ચાંદીની કિંમતોમાં સતત વધારો થયા બાદ આજે મોટો કડાકો નોંધાયો છે. આજે ચાંદીના ભાવ 3.25 લાખ રૂપિયા પર પહોંચ્યા બાદ હવે તેના ભાવ 3.10 લાખ રૂપિયા પર આવી ગયા છે. જ્યારે સોનાનો ભાવ 1.53 લાખ રૂપિયા પર પહોંચ્યા બાદ 1.51 લાખ રૂપિયા પર આવી ગયા છે.

ચાંદીના ભાવની વાત કરીએ તો, 5.00 વાગ્યા સુધીમાં તેનો ભાવ 3,09,095 રૂપિયા પહોંચી ગયો છે. આજે તેનો ભાવ ઊંચામાં 3,25,602 રૂપિયા પર પહોંચી ગયો હતો, જ્યારે નીચામાં ભાવ 3,05,449 સુધી પહોંચ્યો હતો. એટલે કે, આજે તેના ભાવમાં 20,153 રૂપિયાથી ઉથલપાથલ જોવા મળી હતી. ગઈકાલે ચાંદીનો ભાવ 3,18,492 રૂપિયા પર બંધ થયા બાદ આજે પાંચ વાગ્યા સુધીમાં 3,09,095 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે.

સોનાના ભાવની વાત કરીએ તો, 5.00 વાગ્યા સુધીમાં તેનો ભાવ 1,51,566 રૂપિયા પહોંચી ગયો છે. આજે તેનો ભાવ ઊંચામાં 1,53,784 રૂપિયા પર પહોંચી ગયો હતો, જ્યારે નીચામાં ભાવ 1,48,777 સુધી પહોંચ્યો હતો. એટલે કે, આજે તેના ભાવમાં 5.007 રૂપિયાથી ઉથલપાથલ જોવા મળી હતી. ગઈકાલે સોનાનો ભાવ 1,52,862 રૂપિયા પર બંધ થયા બાદ આજે પાંચ વાગ્યા સુધીમાં 1,51,566 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે.

સોના અને ચાંદીના ભાવમાં તાજેતરમાં જોવા મળેલી મોટી તેજી બાદ હવે નફો બુક કરવાની પ્રક્રિયા (પ્રોફિટ બુકિંગ) શરૂ થતા કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. શેરબજારમાં આવેલી તેજીને કારણે સુરક્ષિત રોકાણ તરીકે સોના-ચાંદીની માંગમાં ઘટાડો થયો છે અને સાથે જ ભૌગોલિક રાજકીય તણાવ ઓછો થવાને લીધે પણ કિંમતો નીચે આવી છે.

નિષ્ણાતો માને છે કે જેઓ નવું રોકાણ કે ખરીદી કરવા માંગે છે તેમણે થોડી રાહ જોવી જોઈએ, કારણ કે હજુ ભાવમાં વધુ ઘટાડાની શક્યતા છે. આ ઉપરાંત જેમણે ઊંચા ભાવે ચાંદી ખરીદી છે તેમને ગભરાવાને બદલે લાંબા ગાળા માટે હોલ્ડ કરવાની સલાહ આપવામાં આવી છે કારણ કે તેના ફંડામેન્ટલ્સ હજુ પણ મજબૂત છે.

એક વર્ષમાં સોનાના ભાવમાં 75 ટકાનો જંગી વધારો થયો છે, જેમાં પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનું 57,033 રૂપિયા મોંઘું થયું છે. 31 ડિસેમ્બર 2024ના રોજ સોનાનો ભાવ 76,162 રૂપિયા હતો જે 31 ડિસેમ્બર 2025 સુધીમાં વધીને 1,33,195 રૂપિયા પર પહોંચી ગયો હતો.

ચાંદીમાં પણ આ સમયગાળા દરમિયાન 167 ટકાનો અભૂતપૂર્વ ઉછાળો જોવા મળ્યો છે. એક કિલો ચાંદી જે વર્ષ 2024ના અંતે 86,017 રૂપિયા હતી, તે વર્ષ 2025ના અંત સુધીમાં 1,44,403 રૂપિયા વધીને 2,30,420 રૂપિયાના સ્તરે પહોંચી ગઈ છે.

January 18, 2026
image-8.png
1min121

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્ય સરકારનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સ્વિત્ઝર્લેન્ડના દાવોસ ખાતે યોજાઈ રહેલી વર્લ્ડ ઈકોનોમિક ફોરમ 2026 (WEF)માં ભાગ લેવા જશે. ગુજરાતને વૈશ્વિક વિકાસના નકશા પર અગ્રેસર રાખવા અને ” વિકસિત ગુજરાત @2047″ ના સંકલ્પને વૈશ્વિક મંચ પર લઈ જવા માટે આ ફોરમમાં રાજ્ય સરકારનું પ્રતિનિધિમંડળ ભાગ લેશે.

સ્વિત્ઝર્લેન્ડના દાવોસમાં 19 થી 23 જાન્યુઆરી દરમિયાન યોજાનારી આ મહત્વપૂર્ણ વાર્ષિક બેઠકમાં ગુજરાતની સહભાગીતા, આંતરરાષ્ટ્રીય સહયોગ અને ઝડપી આર્થિક વિકાસ પ્રત્યે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.આ પ્રવાસ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિવિધ બેઠકોમાં ભાગ લેશે. ગુજરાતમાં રોજગારી અને ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે તેઓ એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ, ટેક્સટાઈલ, સેમિકન્ડક્ટર, ફાર્માસ્યુટિકલ્સ, રિન્યુએબલ એનર્જી, ફૂડ પ્રોસેસિંગ, કેમિકલ્સ, શિપિંગ-લોજિસ્ટિક્સ અને એરોસ્પેસ જેવા મહત્વના ક્ષેત્રોમાં રોકાણ આકર્ષવા માટે વિશ્વના ટોચના ઉદ્યોગપતિઓ અને નેતાઓ સાથે 58 જેટલી હાઈ-લેવલ “વન-ટુ-વન” બેઠકો યોજશે.

રાજ્યના ઉદ્યોગમંત્રી હર્ષ સંઘવીનો મુખ્ય હેતુ ગુજરાતની ઔદ્યોગિક ઇકોસિસ્ટમને મજબૂત કરવાનો અને રાજ્યના યુવાનો માટે મોટા પાયે નવી રોજગારીની તકો ઉભી કરવાનો છે. રાજ્ય સરકારનું પ્રતિનિધિમંડળ આ મુલાકાત દરમિયાન વિશ્વની નામાંકિત કંપનીઓ જેવી કે AP Moller Maersk, Engie, EDF,Johnson Controls,Sumitomo Group,Linde,SEALSQ અને Tillman Global ના વડાઓ સાથે રૂબરૂ ચર્ચા કરશે. આ બેઠકો દ્વારા ગુજરાતમાં નવી ટેકનોલોજી લાવવા, ઇનોવેશનને પ્રોત્સાહન આપવા અને લાંબા ગાળાના આંતરરાષ્ટ્રીય સંબંધો વિકસાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવશે. ગુજરાત સરકારનો પ્રયાસ છે કે ગ્લોબલ વેલ્યુ ચેઈનમાં ગુજરાત એક મહત્વના ભાગીદાર તરીકે ઉભરી આવે.

આ ફોરમમાં રોકાણ આકર્ષવા ઉપરાંત, વૈશ્વિક નીતિવિષયક ચર્ચાઓમાં પણ ગુજરાતનો અવાજ બુલંદ રહેશે. હર્ષ સંઘવી વિવિધ પ્રતિષ્ઠિત સત્રોમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહીને ગુજરાતનું વિઝન રજૂ કરશે. તેઓ “નવી ભૌગોલિક-આર્થિક વ્યવસ્થામાં ભારત” ,સ્પોર્ટ્સની શક્તિ: ભવ્યતાથી વારસા તરફ, “કોલ ટુ ક્લીન ઇનિશિયેટિવ” અંતર્ગત એનર્જી ટ્રાન્ઝિશન, “મિશન વોટર” દ્વારા જળ સુરક્ષા અને “સસ્ટેનેબિલિટી” જેવા વિષયો પર ગુજરાતના સફળ વિકાસ મોડલની વાત દુનિયા સમક્ષ મૂકશે. આ સત્રો દ્વારા ગુજરાત પોતાની વિકાસગાથાને વૈશ્વિક ફલક પર ઉજાગર કરશે.

વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF)એ વૈશ્વિક અર્થવ્યવસ્થાની દિશા નક્કી કરતો એક મહત્વપૂર્ણ મંચ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મંચના માધ્યમથી પણ ભારતને એક સશક્ત વૈશ્વિક શક્તિ તરીકે પ્રસ્થાપિત કર્યું છે.

December 31, 2025
india-4th-economy.png
1min120

આર્થિક ક્ષેત્રે ભારત માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં ભારત વર્ષ 2025ના અંતમા વિશ્વની ચોથી મોટી અર્થવ્યવસ્થા બની છે. ભારત જાપાનને પછાડીને આગળ વધ્યું છે. ભારતનું અર્થતંત્ર 4.18 ટ્રિલિયન અમેરિકન ડોલર સુધી પહોંચી ગયું છે. સરકારનો દાવો છે કે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે. તેમજ વર્ષ 2030 સુધીમાં ભારત જર્મનીને પાછળ છોડીને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે.

વર્ષ 2025માં દેશના સુધારા અંગેના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, 4.18 ટ્રિલિયન અમેરિકન ડોલર જીડીપી સાથે ભારતે જાપાનને પાછળ છોડીને વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે. તેમજ વર્ષ 2030 સુધીમાં 7.3 ટ્રિલિયન અમેરિકન ડોલર જીડીપીનો અંદાજ છે. જેના લીધે ભારત જર્મનીને પછાડીને આગામી ત્રણ વર્ષના ત્રીજા સ્થાને પહોંચશે.

વિશ્વની 5 સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ પર નજર કરીએ તો (1)અમેરિકા, (2)ચીન (3)જર્મની(4) ભારત અને જાપાન પાંચમા સ્થાને છે. તેમજ જણાવવામાં આવ્યું છે કે દેશમાં આર્થિક વૃદ્ધિ અપેક્ષાઓ કરતાં વધુ સારી રહી છે. વર્ષ 2025-26 ના બીજા ત્રિમાસિક ગાળામાં GDP છ ક્વાર્ટરના ઉચ્ચ સ્તરે પહોંચ્યો છે. આ વૈશ્વિક વેપારમાં સતત અનિશ્ચિતતાઓ વચ્ચે ભારતની સ્થિતિસ્થાપકતાને પ્રતિબિંબિત કરે છે.

સરકારે જણાવ્યું છે કે, ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થાઓમાંની એક છે અને આ ગતિ જાળવી રાખવા માટે કટિબદ્ધ છે. વર્ષ 2047 સુધીમાં તેની સ્વતંત્રતાના શતાબ્દી વર્ષ સુધીમાં ઉચ્ચ મધ્યમ આવકનો દરજ્જો પ્રાપ્ત કરવાના લક્ષ્ય સાથે દેશ આર્થિક વિકાસ, માળખાકીય સુધારાઓ અને સામાજિક પ્રગતિના મજબૂત પાયા પર આગળ વધી રહ્યો છે.

December 23, 2025
image-24.png
1min118

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે અરવલ્લી પર્વતમાળા પર સુપ્રીમ કોર્ટના નિર્ણય અંગે અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે સરકારે દેશની સૌથી જૂની પર્વતમાળાના રક્ષણને સતત પ્રોત્સાહન આપ્યું છે.

અરવલ્લી પર્વતમાળા અંગે ચાલી રહેલા સોશિયલ મીડિયા અભિયાન વચ્ચે, કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપિન્દર યાદવે એક નિવેદન બહાર પાડ્યું છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે અરવલ્લી પર્વતમાળા પર સુપ્રીમ કોર્ટના નિર્ણય અંગે અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે અરવલ્લી પર્વતમાળા પર સુપ્રીમ કોર્ટના નિર્ણય અંગે અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે સરકારે દેશની સૌથી જૂની પર્વતમાળાના રક્ષણને સતત પ્રોત્સાહન આપ્યું છે. કેન્દ્રીય મંત્રીના જણાવ્યા મુજબ, તેમણે સુપ્રીમ કોર્ટનો નિર્ણય વિગતવાર વાંચ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે દિલ્હી, ગુજરાત અને રાજસ્થાનમાં સ્થિત અરવલ્લી પર્વતમાળાઓનું વૈજ્ઞાનિક રીતે રક્ષણ કરવું જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારે હંમેશા લીલી અરવલ્લી પર ભાર મૂક્યો છે.

ભુપિન્દર યાદવે વધુમાં કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય આ મુદ્દાને સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરે છે. તેમણે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના નિર્ણયના ફકરા 38 માં જણાવાયું છે કે ગંભીર જરૂરિયાત સિવાય કોઈ નવી ખાણકામ લીઝ આપવામાં આવશે નહીં. તેમણે એમ પણ ઉમેર્યું કે અરવલ્લી પર્વતમાળા 20 વન્યજીવ અભયારણ્યો અને ચાર વાઘ અભયારણ્યોનું ઘર છે, જે તેના પર્યાવરણીય મહત્વ પર ભાર મૂકે છે. તેમણે સ્પષ્ટતા કરી કે કોર્ટે ખાણકામ સંબંધિત મુદ્દાઓની તપાસ માટે ફક્ત એક તકનીકી સમિતિની રચના કરી છે.

100 મીટર ઊંચાઈના વિવાદ અંગે, તેમણે કહ્યું કે કેટલીક ખોટી માહિતી ફેલાવવામાં આવી છે કે 100 મીટરનો નિયમ ટોચ (શિખર) થી લાગુ પડે છે, જે ખોટી છે. સંરક્ષણ તળિયેથી શરૂ થાય છે, ભલે તે ભૂગર્ભમાં શરૂ થાય. તેમણે કહ્યું કે NCR માં કોઈ ખાણકામની મંજૂરી નથી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ પહેલી વાર છે જ્યારે સરકારની ગ્રીન પહેલને આવી માન્યતા મળી છે. ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે અરવલ્લી પર્વતમાળા ચાર રાજ્યો – દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતના 39 જિલ્લાઓમાં ફેલાયેલી છે. અરવલ્લી પર્વતમાળા સંબંધિત કાનૂની મુકદ્દમા 1985 થી ચાલી રહ્યા છે. “અમે અરવલ્લી પર્વતમાળામાં ખાણકામ સામે કડક નિયમોનું સમર્થન કરીએ છીએ,” તેમણે કહ્યું. દરમિયાન, ભારતીય વન સર્વેક્ષણે ચેતવણી આપી હતી કે અરવલ્લી પર્વતમાળાની 10,000 ટેકરીઓમાં ખાણકામ પ્રવૃત્તિઓ વિનાશનું કારણ બની રહી છે અને તેને રોકવાની જરૂર છે. કેન્દ્રીય સશક્ત સમિતિ (CEC) એ કહ્યું કે આ મામલો સુપ્રીમ કોર્ટ દ્વારા ચલાવવો જોઈએ. જોકે, કેન્દ્રએ દલીલ કરી હતી કે 100-મીટર ટેકરી સિદ્ધાંત હેઠળ – જે રિચાર્ડ બરફીના માર્ગદર્શન હેઠળ રાજસ્થાનમાં લાગુ કરવામાં આવ્યો છે – ફક્ત 100 મીટરથી ઉપરના બાંધકામોને અરવલ્લીનો ભાગ ગણવા જોઈએ.

December 22, 2025
image-20.png
1min180

રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (RERA)એ એક વિવાદસ્પદ નિર્ણય લીધો હતો. જે મુજબ બિલ્ડરને પ્રોજેક્ટ પર લીધેલી લોનની વિગતો જાહેર કરવામાંથી મુક્તિ આપવામાં આવી હતી. મળતી વિગત પ્રમાણે, રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પારદર્શિતાના નિયમોમાં એક મહત્વપૂર્ણ ફેરફાર કરતા ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (RERA) એ બાંધકામ સાઇટ પર પ્રોજેક્ટની માહિતી પ્રદર્શિત કરવા અંગેના તેના તાજેતરના નિર્દેશમાં સુધારો કર્યો હતો.

નવા જાહેર કરાયેલા ઓર્ડર 112-A હેઠળ, ડેવલપર્સ માટે હવે ફરજિયાત ઓન-સાઇટ ઇન્ફોર્મેશન બોર્ડ પર પ્રોજેક્ટ લોનની ચોક્કસ રકમ મુખ્ય રીતે દર્શાવવી જરૂરી રહેશે નહીં. આથી, સંભવિત ખરીદદારો હવે પ્રમોટર દ્વારા લેવામાં આવેલી પ્રોજેક્ટ લોનની રકમ જાણી શકશે નહીં.

આ પહેલા 1 ડિસેમ્બર 2025ના રોજ અમલી થયેલી નિયમ મુજબ, બિલ્ડરોએ તમામ વિગતો ફરજિયાત દર્શાવવાની હતી. તેનો હેતુ ઘર ખરીદનારાઓને સશક્ત બનાવવાનો હતો. જે મુજબ બાંધકામ સાઇટ પર પ્રોજેક્ટની સંપૂર્ણ વિગતો ધરાવતા મોટા વોટરપ્રૂફ બોર્ડ લગાવવા જરૂરી હતા. આ બોર્ડ પર માત્ર RERA રજીસ્ટ્રેશન નંબર અને મંજૂર કરાયેલા પ્લાન જ નહીં, પરંતુ લોનની વિગતો અને RERA કલેક્શન બેંક એકાઉન્ટ નંબર સહિતની પ્રોજેક્ટની ચોક્કસ નાણાકીય સ્થિતિ દર્શાવવાનું નક્કી કરાયું હતું. ઓથોરિટીએ અગાઉ નોંધ્યું હતું કે જ્યારે ખરીદદારોને આ ઝીણવટભરી વિગતો ફક્ત સત્તાવાર RERA પોર્ટલ પર શોધવી પડતી હતી, ત્યારે તેઓ ઘણીવાર મૂંઝવણ અનુભવતા હતા.

20 ડિસેમ્બર, 2025ના રોજ કરવામાં આવેલા સુધારા બાદ, સાઇટ પરના ફરજિયાત બોર્ડના નમૂનામાંથી પ્રોજેક્ટ લોનની રકમની યાદી આપવાની જરૂરિયાત સ્પષ્ટપણે દૂર કરવામાં આવી છે. બિલ્ડરોએ હજુ પણ પ્રોજેક્ટ લોન દ્વારા નાણાકીય સહાય મેળવેલ છે કે કેમ અને ધિરાણ આપનાર સંસ્થાનું નામ જેવી વિગત ફરજિયાત દર્શાવવી પડશે, પરંતુ પ્રમોટર દ્વારા લેવામાં આવેલી પ્રોજેક્ટ લોનની રકમ નહીં લખવામાં આવે.

આ ફેરફારનો અર્થ એ છે કે જે સંભવિત ગ્રાહકો સંપૂર્ણ નાણાકીય જોખમ અથવા ડેવલપરના દેવાના પ્રમાણનું મૂલ્યાંકન કરવા માંગતા હોય, તેમણે હવે ચકાસણીની જૂની પદ્ધતિઓ પર પાછા ફરવું પડશે. લોનની ચોક્કસ રકમ જાણવા માટે, ખરીદદારોએ ગુજરાત RERA ની વેબસાઇટ અથવા તેની કચેરીની મુલાકાત લેવી પડશે, અથવા સાઇટ બોર્ડ પર ફરજિયાત રહેલા સ્કેનેબલ QR કોડનો ઉપયોગ કરવો પડશે.

રિયલ એસ્ટેટના નિષ્ણાતો સૂચવે છે કે, QR કોડ અને પ્રાથમિક ખુલાસાઓ દ્વારા સાઇટ-લેવલની પારદર્શિતા સુધારવાનો પ્રાથમિક ધ્યેય અકબંધ છે, પરંતુ આ વિશિષ્ટ સુધારો ઘર ખરીદનારાઓને અગાઉ આપવામાં આવેલા ‘એક નજરે જોઈ શકાય તેવી વિગતો’ (at-a-glance due diligence) ને મર્યાદિત કરી શકે છે.

December 19, 2025
SIR.png
1min120

ગુજરાતમાં SIRની પ્રક્રિયા બાદ ડ્રાફ્ટ યાદી જાહેર કરવામાં આવી છે. ડ્રાફ્ટ યાદી પ્રમાણે ગુજરાતમાં અત્યારે કુલ 4 કરોડ 34 લાખ મતદારની નોંધણી થઈ છે. એસઆઈઆર પ્રક્રિયા બાદ 73 લાખ 73 હજાર 327 મતદારો કમી કરવામાં આવ્યાં છે. આ સાથે 9 લાખ 69 હજાર 661 મતદારો તેના સરનામે મળ્યાં જ નથી.

3,81,470+40 ડુપ્લીકેટ મતદારોના નામ દૂર કરાયા, 40, 25,553 મતદારોનું કાયમી સ્થળાંતર કર્યું હોવાનુ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે 18,07,278 મૃતક મતદારોને યાદીમાંથી દૂર કરવામાં આવ્યાં છે.

તમારું નામ ડ્રાફ્ટ મતદાર યાદી છે કે નહીં?

ડ્રાફ્ટ મતદાર યાદીમાં તમારૂ નામ જોવા માટે http://ceo.gujarat.gov.in,વોટર પોર્ટલ voters.eci.gov.in, ECINET App, BLO પાસેથી અને જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી/ERO/AERO કચેરી ખાતેથી જોઈ શકાશે.

અહીં તમામ ડ્રાફ્ટ મતદાર યાદી અપલોડ કરવામાં આવી છે. પરંતુ આમાં વિગતો બધી પીડીએફ દ્વારા અપલોડ કરવામાં આવ્યાં છે. જેથી તમારૂ નામ શોધવામાં સમલ લાગી શકે છે.

નામ દાખલ કરવા માટે ફોર્મ નં. 6 ભરવાનું રહેશે

જો ડ્રાફ્ટ મતદાર યાદી તમારૂ નામ ન હોય તો નામ દાખલ કરાવવા માટે ફોર્મ નંબર 6 ભરીને તેની સાથે ડેક્લેરેશન રજૂ કરીને તથા જરૂરી આધાર પુરાવાના દસ્તાવેજ સામેલ રાખીને ઓન લાઇન/ઓફ લાઇન અરજી કરી શકાશે. આ સાથે જો કોઈ ભૂલ હોય તો ડિક્લેરેશન સાથે ફોર્મ નંબર 8 ભરીને ઓન લાઇન/ઓફ લાઇન અરજી કરી શકાશે.

આ યાદીમાં કોઇ પણ પ્રકારનો વાંધો હોય તો તમે ફોર્મ નંબર 7 ભરીને અરજી કરી શકો છો. ડ્રાફ્ટ મતદાર યાદીમાં કોઈ મતદારનું નામ ન હોય અને તેની સામે વાંધો રજૂ કરવાનો હોય તો 18મી જાન્યુઆરી સુધી એક મહિનાના સમયમાં વાંધો રજૂ કરી શકાશે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ મતદાર યાદીમાં 5,08,43,219 મતદારો નોંધાયા હતા. જેમાં ગુજરાત રાજ્યમાંથી એક મેગા સિટી જેટલા એટલે 73,73,110 મતદારોને રદ્દ કરવામાં આવ્યાં છે. ગુજરાતમાં નવેમ્બર મહિનાથી એસઆઈઆરની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી.

આ દરમિયાન રાજ્યમાં ડુપ્લિકેટ, મૃત્યુ પામેલા લોકો અને કાયમી સ્થાળાંતર કરી ગયેલા લોકોના નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી કાઢી દેવામાં આવ્યાં હોવાનું જાણવા મળ્યું છે. નોટિસ બાદ સુનાવણી અને ચકાસણી પૂર્ણ થયા પછી તમામ લાયક મતદારોનો સમાવેશ તારીખ 17/02/2026ના રોજ પ્રસિદ્ધ થનાર આખરી મતદાર યાદીમાં જાહેર કરવામાં આવશે.

December 16, 2025
image-12.png
1min163

દેશના પાટનગર દિલ્હીમાં છેલ્લા બે મહિનાથી સતત વાયુ પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે. સરકાર દ્વારા આકરા પ્રતિબંધો છતાં AQIમાં કોઈ સુધાર આવી શક્યો નથી. દિવસેને દિવસે પરિસ્થિતિ વિકટ બનતી જાય છે. AQI સતત 400થી 450ને પાર જઈ રહ્યો છે. આજે આનંદવિહારમાં 493 AQI નોંધાયો. જે બાદ હવે અન્ય દેશો દિલ્હી માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી રહ્યા છે.

વિવિધ દેશોએ ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી

સિંગાપોર હાઈ કમિશને પોતાના નાગરિકો માટે એડવાઈઝરીમાં કહ્યું છે કે ખાસ કરીને દિલ્હી-NCRમાં રહેતા અથવા મુસાફરી કરતાં નાગરિકો સતર્ક રહે તથા AQI જોતાં રહે.

બ્રિટેનના FCDO વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે ઉત્તર ભારતમાં ઓકટોબરથી ફેબ્રુઆરી દરમિયાન વાયુ પ્રદૂષણ આરોગ્ય માટે મોટો ખતરો છે. ગર્ભવતી મહિલાઓ, હૃદય અને શ્વાસ સંબંધી રોગથી પીડિત દર્દીઓ ભારતની યાત્રા કરતાં પહેલા ડૉક્ટરની સલાહ લે. બાળકો અને વૃદ્ધો પર પ્રદૂષણની ગંભીર અસર થઈ શકે છે.

કેનેડાએ પણ એડવાઈઝરી આપતા કહ્યું છે કે નિયમિત રૂપે AQI જોતાં રહો. દિલ્હી જેવા શહેરી વિસ્તારોમાં પ્રદૂષણ અને ધુમ્મસના કારણે શિયાળામાં પરિસ્થિતિ અત્યંત ગંભીર હોય છે.

નોંધનીય છે કે પ્રદૂષણ અને ધુમ્મસના કારણે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં AQI 500ની નજીક નોંધાયો છે. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે વિઝિબિલિટી ન હોવાના કારણે વિમાન સેવાઓ પ્રભાવિત થઈ છે. દિલ્હી એરપોર્ટ પર 228 ફ્લાઈટ્સ રદ કરવાની નોબત આવી છે.

ખરાબ હવાના કારણે દિલ્હીની સાથે સાથે નોઈડા અને ગાઝિયાબાદમાં પાંચમા ધોરણ સુધીની શાળાઓ ઓનલાઈન અથવા હાઈબ્રિડ મોડલ પર ચલાવવાના આદેશ અપાયા છે. મોટા ભાગના નિર્માણ કાર્યો પર રોક લગાવી દેવામાં આવી છે તથા ઓફિસોમાં 50 ટકા સ્ટાફ સાથે જ કામ કરવામાં આવી રહ્યું છે.