CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 6 of 142 - CIA Live

December 2, 2025
image-1.png
1min109

સરકારનો મોટો આદેશઃ સ્માર્ટફોનમાં ઈન્સ્ટોલ થશે સરકારી એપ્લિકેશન, ડિલીટ નહીં

ભારત સરકારે દેશમાં વધી રહેલા સાયબર ફ્રોડના જોખમો અને મોબાઇલ ચોરીને રોકવા માટે સૌથી મોટું પગલું ભર્યું છે. સરકારે તમામ મોબાઇલ કંપનીને આદેશ આપ્યો છે કે તેઓ ભારતમાં વેચતા પોતાના નવા ફોનમાં સરકારી સાયબર સુરક્ષા એપ ‘સંચાર સાથી’ને પ્રી-લોડ કરીને વેચે. આ એપ્લિકેશન ચોરાયેલા ફોન શોધવા, બનાવટી IMEI નંબર ઓળખવા અને છેતરપિંડીવાળા કોલ્સની માહિતી મેળવવામાં મદદરૂપ થાય છે. જોકે, આ આદેશથી એપલ જેવી કંપનીઓની ચિંતા વધી છે, જેઓ ફોનમાં પહેલાથી કોઈ એપ ઇન્સ્ટોલ કરીને વેચવાની પોલિસી ધરાવતી નથી.

સરકારે એક આદેશ જારી કર્યો છે કે ભારતમાં બનતા અને વેચાતા તમામ સ્માર્ટફોનમાં ‘સંચાર સાથી’ એપ પહેલેથી હાજર હોવી જોઈએ અને યુઝર તેને અનઇન્સ્ટોલ પણ નહીં કરી શકે. મીડિયાના અહેવાલ મુજબ આ ફેરફાર લાગુ કરવા માટે કંપનીને 90 દિવસનો સમય આપવામાં આવ્યો છે. આ આદેશથી સ્માર્ટફોન કંપનીઓની ચિંતા વધી ગઈ છે અને તેમણે દાવો કર્યો છે કે આ અંગે તેમની સાથે કોઈ સલાહ-મસલત કરવામાં આવી નથી. સરકારનો હેતુ સ્પષ્ટ છે કે મોબાઇલ ચોરી, નકલી IMEI નંબર, છેતરપિંડીવાળા કોલ અને સાયબર ફ્રોડ જેવી સમસ્યાઓ પર નિયંત્રણ મેળવે.

સરકારે દાવો કર્યો છે કે આ એપ રાષ્ટ્રીય સ્તરે મોબાઇલ સુરક્ષાને મજબૂત બનાવે છે અને ગુનેગારો માટે ચોરીના ફોન વેચવાનું મુશ્કેલ બનાવે છે. આ વર્ષે જાન્યુઆરીમાં લોન્ચ થયેલી ‘સંચાર સાથી’ એપ અત્યાર સુધીમાં 50 લાખથી વધુ વખત ડાઉનલોડ થઈ ચૂકી છે.

સરકારી આંકડા દર્શાવે છે કે આ એપની મદદથી 3.7 મિલિયનથી વધુ ચોરાયેલા અથવા ખોવાયેલા ફોન બ્લોક કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, ગયા ઓક્ટોબરમાં આ એપ દ્વારા 50 હજાર સ્માર્ટફોન શોધી કાઢવામાં આવ્યા હતા અને 30 મિલિયનથી વધુ નકલી મોબાઇલ કનેક્શન પણ બંધ કરવામાં આવ્યા છે.

ભલે આ આદેશથી સ્માર્ટફોન કંપનીઓની ચિંતા વધી હોય, પરંતુ યુઝરના દૃષ્ટિકોણથી આ નિર્ણય ઘણો ફાયદાકારક સાબિત થઈ શકે છે. સ્માર્ટફોન કંપનીઓ પહેલેથી જ તેમના ફોનમાં અન્ય પ્રી-લોડેડ એપ્સ આપતી હોય છે, તેથી એક વધારાની સુરક્ષા એપ ઉમેરાવાથી યુઝરને ખાસ ફરક નહીં પડે.

ઉલટાનું, આ એપ દ્વારા યુઝર્સને સાયબર જોખમોથી સુરક્ષિત રહેવા, ચોરાયેલા ફોન પાછા મેળવવા અથવા બ્લોક કરાવવા, નકલી નંબર/IMEI નંબરની ફરિયાદ કરવા અને શંકાસ્પદ નંબરોને ચેક કરવા જેવી મહત્વની સુવિધાઓ સરળતાથી મળી રહેશે. તેથી, સરકારનો આ નિર્ણય યુઝર્સની સુરક્ષા માટે એક સકારાત્મક પગલું છે.

December 1, 2025
bankholiday.jpg
2min109

1/12//25 આજથી શરૂ થયેલો ડિસેમ્બર મહિનો 2025નો છેલ્લો મહિનો છે. ડિસેમ્બર વર્ષનો છેલ્લો મહિનો હોવાને કારણે આ મહિનામાં અલગ અલગ રજાઓ હોય છે અને જો તમે પણ આવતા મહિને બેંકિંગ રિલેટેડ કામ પતાવવાનું વિચારી રહ્યા છો તો પહેલાં આ સમાચાર વાંચી લો. મળતી માહિતી અનુસાર ડિસેમ્બર મહિનામાં બેંકો અડધા મહિના સુધી બંધ રહેશે, જેના વિશે તમારે જાણી લેવું જોઈએ.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા દર મહિનાની રજાઓની યાદી બહાર પાડવામાં આવે છે અને આ વખતે આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવેલી યાદી અનુસાર ડિસેમ્બર મહિનામાં દસ-બાર નહીં પૂરા 15 દિવસ સુધી બંધ રહેશે. જોકે, અલગ અલગ રાજ્યોમાં આ રજાઓ અલગ અલગ હોઈ શકે છે. ચાલો જોઈએ ડિસેમ્બર મહિનામાં ક્યારે ક્યારે બેંકો બંધ રહેશે.

ડિસેમ્બર મહિનામાં આ તારીખે હશે બેંકોમાં રજા

  • પહેલી ડિસેમ્બર, સોમવારે ઈન્ડિજિનસ ફેથ ડે નિમિત્તે અરુણાચલ પ્રદેશમાં રજા રહેશે
  • ત્રીજી ડિસેમ્બર, બુધવારે સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયરની પુણ્યતિથિ નિમિત્તે ગોવામાં બેંક હોલીડે
  • સાતમી ડિસેમ્બરના રવિવારને કારણે દેશભરની બેંકોમાં રજા રહેશે.
  • 12મી ડિસેમ્બર, શુક્રવારના પા તોગન નેંગમિંજા સંગમા દિવસને કારણે મેઘાલયમાં રજા રહેશે
  • 13મી ડિસેમ્બરના બીજો શનિવાર હોવાથી બેંકોમાં રજા રહેશે
  • 18મી ડિસેમ્બર, ગુરુવારે ગુરુ ઘાસીદાસ જયંતિ, યુ સોસો થમ પુણ્યતિથિને કારણે છત્તીસગઢ અને
    મેઘાલયમાં બેંકોમાં રજા રહેશે
  • 19મી ડિસેમ્બર, શુક્રવારે ગોવા મુક્તિ દિવસને કારણે ગોવામાં બેંક હોલીડે રહેશે
  • 21મી ડિસેમ્બરના રવિવાર હોવાથી દેશભરની બેંકોમાં રજા રહેશે
  • 24મી ડિસેમ્બર, બુધવારે ક્રિસમસ ઈવને કારણે મેઘાલય મિઝોરમમાં બેંકો બંધ રહેશે
  • 25મી ડિસેમ્બરના ગુરુવારે ક્રિસમસને કારણે બેંકોમાં રજા રહેશે
  • 26મી ડિસેમ્બર, શુક્રવારે ક્રિસમસ સેલિબ્રેશન, શહીદ ઉધમસિંહ જયંતિ નિમિત્તે મેઘાલય, મિઝોરમ, તેલંગણા, હરિયાણામાં બેંકોમાં રજા રહેશે
  • 27મી ડિસેમ્બરના ચોથો શનિવાર અને ગુરુ ગોવિંદસિંહ જયંતિ નિમિત્તે હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશમાં રજા રહેશે
  • 28મી ડિસેમ્બરના રોજ રવિવાર હોવાથી દેશભરની બેંકોમાં રજા રહેશે
  • 30મી ડિસેમ્બર, મંગળવારે યુ કિયાંગ નાંગબાહ દિવસ, તામુલોસરને કારણે મેઘાલય, સિક્કિમમાં બેંકો બંધ રહેશે.
  • 31મી ડિસેમ્બરના બુધવાર ન્યુ યર ઈવને કારણે પણ અનેક રાજ્યોમાં બેંક હોલિડે રહેશે

આ રજાઓની તમારા પર શું અસર થશે?

આરબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલી આ રજાઓની તમારા પર શું અસર જોવા મળશે એની વાત કરીએ તો આ દિવસોમાં તમે ચેક ક્લિયરન્સ, પાસબુક અપડેટ, કેશ હેન્ડલિંગ જેવા કામ નહીં કરી શકશો. જ્યારે મોબાઈલ એપ, નેટ બેકિંગ કે એટીએમની મદદથી તમે તમારા ડિજિટલ ટ્રાન્ઝેક્શન પૂરા કરી શકશો.

November 29, 2025
image-26.png
1min121

વિશ્વના સૌથી વધુ વેચાતા વિમાન, એરબસ A320 ફેમિલીના હજારો વિમાનોને આ સપ્તાહના અંતે મોટા પાયે ગ્રાઉન્ડેડ કરવામાં આવી રહ્યા છે, જેના કારણે ભારત સહિત સમગ્ર વિશ્વમાં હવાઈ મુસાફરી પર ગંભીર અસર પડવાની છે. તાજેતરમાં સામે આવેલા એક મોટા તકનીકી જોખમને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેના નિવારણ માટે વ્યાપક સોફ્ટવેર અને કેટલાક જૂના વિમાનોમાં હાર્ડવેર અપગ્રેડ ફરજિયાત કરવામાં આવ્યું છે.

ભારતમાં ઈન્ડિગો અને એર ઈન્ડિયા ગ્રુપના 350થી વધુ A320 ફેમિલી વિમાનો આ પ્રક્રિયાનો ભાગ બનશે. ઈન્ડિગોના કાફલામાં 350થી વધુ A320 વિમાનો છે, જેમાંથી લગભગ 250ને અપગ્રેડની જરૂર છે. તેવી જ રીતે, એર ઈન્ડિયાના 120-125 A320 વિમાનોમાંથી 100થી વધુ વિમાનો પ્રભાવિત થશે. આ અપગ્રેડમાં 2-3 દિવસનો સમય લાગવાની ધારણા છે, અને વિમાનો સોમવાર કે મંગળવારથી ફરી ઉડાન ભરી શકે છે. આને કારણે સપ્તાહના અંતે અને સોમવાર સુધી ઘણી ફ્લાઇટ્સ મોડી પડવાની કે રદ થવાની પ્રબળ આશંકા છે.

એર ઈન્ડિયાએ ‘X’ પર જણાવ્યું, “અમે એરબસ દ્વારા જારી કરાયેલા નિર્દેશથી વાકેફ છીએ. આના કારણે અમારા કાફલાના એક ભાગમાં સોફ્ટવેર/હાર્ડવેર રિકેલિબ્રેશનની જરૂર પડશે, જેનાથી ફ્લાઇટ્સમાં વિલંબ થવાની સંભાવના છે. અસુવિધા માટે ખેદ છે.”

જેટબ્લુની ઘટના બની કારણ

આ મોટા નિર્ણય પાછળ 30 ઓક્ટોબર, 2025ના રોજ અમેરિકન એરલાઇન જેટબ્લુની A320 ફ્લાઇટમાં બનેલી ગંભીર ઘટના જવાબદાર છે. કેનકુનથી નેવાર્ક જતી ફ્લાઇટ દરમિયાન, પાઇલટના ઇનપુટ વિના જ વિમાન અચાનક નીચેની તરફ નમી ગયું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ ઘટના ELAC (એલિવેટર એલેરોન કમ્પ્યુટર)માં ખામીને કારણે બની હતી. વિમાનને તાત્કાલિક તાંપામાં ઉતારવામાં આવ્યું હતું, જ્યાં કેટલાક મુસાફરોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.

આ ઘટના બાદ, યુરોપિયન યુનિયન એવિએશન સેફ્ટી એજન્સી (EASA) એ ‘ઇમરજન્સી એરવર્ધીનેસ ડાયરેક્ટિવ’ જારી કર્યો. ત્યારબાદ એરબસે જણાવ્યું કે તકનીકી તપાસમાં જાણવા મળ્યું છે કે તીવ્ર સૌર વિકિરણ (Solar Radiation) ફ્લાઇટ કંટ્રોલ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ ડેટાને કરપ્ટ કરી શકે છે. આ જ કારણોસર, વિમાનોમાં સોફ્ટવેર અને હાર્ડવેર પ્રોટેક્શન ફરજિયાત કરવામાં આવ્યું છે. એરબસે આનાથી થનારી અસુવિધા બદલ મુસાફરો અને ગ્રાહકોની માફી માંગી છે અને કહ્યું છે કે “સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.”

November 26, 2025
image-20.png
1min251

ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ માન્ધનાને ક્રિકેટની પિચ પર ફિલ્મી સ્ટાઇલમાં પ્રપોઝ કરીને તેનો મંગેતર પલાશ મુચ્છલ છવાઈ ગયો હતો. જોકે લગ્ન પોસ્ટપોન થવાની ઘટના બાદથી સોશ્યલ મીડિયા પર તેના કૅરૅક્ટર પર સવાલ ઊભા થાય એવા સ્ક્રીનશૉટ વાઇરલ થયા છે. મૅરી ડિકૉસ્ટા નામની મહિલાએ સોશ્યલ મીડિયા પર પલાશની ફ્લર્ટી-ચૅટના સ્ક્રીનશૉટ શૅર કર્યા છે. ચર્ચા છે કે આ પર્દાફાશને લીધે જ લગ્ન ટળી ગયાં છે.

સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા આ સ્ક્રીનશૉટમાં આ વર્ષના મે મહિનાની વાતચીત જોવા મળી હતી. પલાશે આ કથિત ચૅટમાં આ યુવતીને પોતાની સાથે ફાઇવસ્ટાર હોટેલમાં સ્વિમિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. એ વખતે છોકરીએ તેને પૂછ્યું હતું કે તું તો કોઈને ડેટ કરી રહ્યો છેને? એના જવાબમાં પલાશે કહ્યું હતું કે એનો મતલબ એવો નથી કે આપણે સ્વિમિંગ માટે ન જઈ શકીએ. જવાબમાં છોકરીએ કહ્યું હતું કે લોકો તને ઓળખે છે, એટલે વિચિત્ર લાગશે. તો પલાશે સામે કહ્યું કે હું મારા મિત્રો સાથે મજા કરતો જ હોઉં છું, એમાં કંઈ વિચિત્ર નથી; હું મારા અસિસ્ટન્ટને પણ બોલાવી લઈશ જેથી આપણે ગ્રુપમાં મજા કરી રહ્યાં છીએ એવું લાગશે.

છોકરીએ જ્યારે પલાશને સ્મૃતિ વિશે પૂછ્યું કે તમે રોજ નથી મળતાં? ત્યારે પલાશે કહ્યું હતું કે પૂછ જ નહીં, અમારો સંબંધ લૉન્ગ-ડિસ્ટન્સનો છે; અમે ત્રણ-પાંચ મહિને મળીએ છીએ.

ત્યાર પછી છોકરીએ પલાશને પૂછ્યું હતું કે તું તેને પ્રેમ તો કરે છે, બરાબરને? ત્યારે પલાશે કહ્યું હતું કે એટલે જ તો મોટા ભાગે અમારી મુલાકાતો ‘ડેડ’ હોય છે.

ત્યાર પછી પલાશે છોકરીને કહ્યું હતું તું બધી જ વાત અહીં કરીશ કે શું, કાલે તું શું કરી રહી છે?

સ્મૃતિને દરેક મૅચમાં સપોર્ટ કરવા આવતો અને પોતાના હાથ પર સ્મૃતિ માટે SM18 નામનું ટૅટૂ કરાવનાર સંગીતકાર પલાશ મુચ્છલ એક રિલેશનશિપમાં હોવા છતાં આ પ્રકારની બેશરમ હરકત કેવી રીતે કરી શકે એ વિશે સોશ્યલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ છે.

November 25, 2025
image-18.png
1min183

ઇથિયોપિયામાં જ્વાળામુખી ફાટવાની સીધી અસર ભારત પર પણ જોવા મળી રહી છે. તેની રાખ આકાશમાં ઊંચે સુધી ફેલાઇ ગઈ છે, જેના કારણે અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનો રૂટ બદલવો પડ્યો હતો. અમુક ફ્લાઇટમાં મોડું થઈ રહ્યું છે અને અમુકને બીજા રસ્તેથી મોકલવામાં આવી રહી છે જેથી વિમાન રાખના વાદળોથી દૂર રહે.

ઇથિયોપિયાના જ્વાળામુખીની રાખના કારણે સોમવારે અનેક એરલાઇન્સે પોતાની ફ્લાઇટ રદ કરી દીધી હતી. જેમાં અકાસા એર, ઇન્ડિગો અને KLM જેવી કંપનીનો સમાવેશ થાય છે.

ઇથિયોપિયાના હાયલી દુબ્બી જ્વાળામુખી ફાટ્યા બાદ ઉત્પન્ન થયેલો વિશાળ રાખનો ગોટો તા.24મી નવેમ્બરને સોમવારે રાત્રે 11 વાગ્યા સુધીમાં દિલ્હી પહોંચી ગયો. હવામાનના જાણકારો છેલ્લાં એક દિવસથી આ રાખના વાદળને જોઈ રહ્યા હતા. આ રાખનું વાદળ લાલ સાગર પાર કરીને આશરે 130 કિ.મી પ્રતિ કલાકની ઝડપે ભારત તરફ વધી રહ્યું હતું. સૌથી પહેલાં આ રાખનું વાદળ ભારતમાં પશ્ચિમી રાજસ્થાનના જોધપુર અને જેસલમેરની ઉપરથી આવ્યું. બાદમાં ધીમે-ધીમે આ રાખનું વાદળ દિલ્હી, હરિયાણા અને રાજસ્થાનના મોટા ભાગોમાં ફેલાઇ ગયું.

નિષ્ણાતોએ જણાવ્યું કે, આ રાખનું વાદળ જમીનથી 25,000થી 45,000 ફૂટ ઊંચાઈ પર છે. તેથી, હાલ લોકોના સ્વાસ્થ્યને જોખમ નથી. પરંતુ, એવું બની શકે કે, અનેક જગ્યાએ થોડી-થોડી રાખની પરત નીચે પડે.

હવામાન વિભાગનું માનવું છે કે, મંગળવારે (25 નવેમ્બર) સવારનો સૂરજ અલગ અને ચમકીલા રંગમાં જોવા મળ્યો. રાખના કારણે પ્રકાશ પર આવી અસર પડી હતી.

CPCB (સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ)ના જણાવ્યા અનુસાર, અહીં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) સિવિયર એટલે ગંભીર શ્રેણીમાં રેકોર્ડ થયો છે. આ સ્તરે હવા ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે અને શ્વાસ લેવામાં સ્વાસ્થ્ય પર તેની તુરંત અસર જોવા મળી શકે છે.

આ સિવાય દિલ્હીની એમ્સ અને સફદરજંગ હોસ્પિટલ પાસે પણ ઝેરી ધુમ્મસ જોવા મળી રહ્યું છે. આખા વિસ્તારમાં ઝેરી ધુમ્મસના કારણે હવામાં બળતરા અનુભવાઇ રહી છે. CPCB અનુસાર, અહીં AQI 323 નોંધાયો છે. જે ખૂબ જ ખરાબ શ્રેણીમાં આવે છે. આવા સ્તરમાં હવા શ્વાસ લેવા લાક નથી હોતી અને ખાસ કરીને વડીલ, બાળકો તેમજ અસ્થમાના દર્દીને વધુ જોખમ હોય છે.

અમેરિકાની હવમાનાની આગાહી વિશે જાણકારી આપનારી વેબસાઇટ એક્યૂવેધર અનુસાર, દિલ્હી અને તેની આસપાસના મોટા ભાગના વિસ્તારોમાં સવારે 6 વાગ્યે AQI 300ની આસપાસ રહ્યો.

CPCB અનુસાર, રાત્રે બે વાગ્યે દિલ્હી-એનસીઆરના મોટાભાગના વિસ્તારમાં AQI 350 પાર રહ્યો છે.

મળતી માહિતી મુજબ. ઇથિયોપિયાના જ્વાળામુખીથી નીકળેલું રાખનું વાધળ મોટાભાગે સલ્ફર ડાયોક્સાઇડથી બનેલું છે. આ વાદળમાં જ્વાળામુખીની રાખની માત્રા ઓછાથી મધ્યમ છે. આ રાખનું વાદળ હવે ઓમાન-અરબ સસાગરના રસ્તેથી મધ્ય ગુજરાતના મેદાની વિસ્તારો સુધી ફેલાઇ ગયું છે.

નોંધનીય છે કે, આ વાદળની AQI પર કોઈ અસર થશે નહીં. જોકે, નેપાળ, હિમાલયના વિસ્તાર અને ઉત્તર પ્રદેશના તરાઈ પ્રદેશમાં સલ્ફર ડાયોક્સાઇડનું સ્તર થોડું વધી શકે છે, કારણ કે રાખના કેટલાક વાદળ પર્વતો સાથે અથડાઈને ચીન તરફ આગળ વધશે. મેદાનોમાં રાખ પડવાની શક્યતા ખૂબ ઓછી છે, જોકે કેટલાક વિસ્તારોમાં થોડી અસર થઈ શકે છે. આ આખું રાખનું વાદળ વાતાવરણના મધ્ય-સ્તરમાં છે, તેથી જમીન પર હવાની ગુણવત્તા પર કોઈ અસર થશે નહીં. રાખનું વાદળ ધીમે ધીમે દિલ્હી, હરિયાણા અને રાજસ્થાન તરફ પણ જશે, પરંતુ સપાટી પર કોઈ પ્રતિકૂળ અસર નહીં થાય. ફક્ત ફ્લાઇટ રિરુટિંગ અથવા વિલંબ થવાની સંભાવના છે, કારણ કે આ વાદળ વિમાનની સલામતીને અસર કરી શકે છે. સપાટી પર કણો પડવાની શક્યતા ખૂબ ઓછી છે.

DGCAની એડવાઇઝરી

રવિવારે ઇથોપિયાના હેઇલ ગબ્બિન જ્વાળામુખીના વિસ્ફોટ બાદ, ભારતના નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ બધી એરલાઇન્સને એક એડવાઇઝરી જાહેર કરી હતી, જેમાં તેમને ઊંચાઈ પર અને જ્વાળામુખીની રાખ ફેલાતી હોય તેવા વિસ્તારો પર ઉડાન ટાળવાની સલાહ આપવામાં આવી હતી. રાખના વાદળ વિમાનના એન્જિન અને ફ્લાઇટ સલામતી માટે જોખમ ઊભો કરી શકે છે, તેથી એરલાઇન્સને તેમના રૂટ અને ઊંચાઈ બદલવાની સલાહ આપવામાં આવી છે. આ પરિસ્થિતિ ભારત માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કારણ કે, રાખના સૂક્ષ્મ કણો વિમાનના એન્જિનને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. તેથી, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ તમામ ભારતીય એરલાઇન્સને તાત્કાલિક ચેતવણી જારી કરી છે.

November 22, 2025
image-15.png
2min289

દેશમાં આજથી ચાર નવા લેબર કોડ લાગુ કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. નવા કાયદામાં શ્રમિકો અને નોકરીદાતાના હિતમાં અનેક બાબતો સામે કરાઈ છે. કાયદા મુજબ હવે નવા શ્રમિકોને ફરજિયાત નિમણૂક પત્ર આપવા પડશે. આ ઉપરાંત સમયસર પગાર અને લઘુતમ વેચન પણ આપવું પડશે. કેન્દ્ર સરકારે જૂના 29 શ્રમ કાયદાઓ ખતમ કરીને ચાર નવા કાયદા લાગુ કર્યા છે. સરકારે કહ્યું છે કે, નવા કાયદાના કારણે શ્રમિકોની સુરક્ષા વધશે, ઉદ્યોગો માટે પણ સ્પર્ધાત્મક વાતાવરણ બનશે. શ્રમ મંત્રાલયે જણાવ્યું છે કે, નવા કાયદા દ્વારા તમામ શ્રમિકોને, ખાસ કરીને અનૌપચારિક ક્ષેત્રના કામદારો, ગિગ વર્કર્સ, પ્રવાસી મજૂરો અને મહિલાઓ માટે શ્રેષ્ઠ વેતન, સામાજિક સુરક્ષા અને સ્વાસ્થ્ય-સુરક્ષાની ખાતરી આપવામાં આવશે.

ચાર નવા કાયદા

(1) Code on Wages (2019)

(2) Industrial Relations Code (2020)

(3) Code on Social Security (2020)

(4) Occupational Safety, Health & Working Conditions (OSHWC) Code (2020)

ચાર નવા કાયદાઓની મુખ્ય બાબતો…

1… નિમણૂંક પત્ર : હવે તમામ શ્રમિકોની નોકરી શરુ થાય તે સમયે નિમણૂક પત્ર આપવાનું ફરજિયાત કરાયું છે. આનાથી રોજગાર અને શરતોમાં પારદર્શિતા વધશે.

2… લઘુતમ વેતન : દેશભરમાં લઘુતમ વેતન લાગુ કરવામાં આવશે, જેથી કોઈ પણ પગાર એટલો ઓછો ન હોય કે જીવન નિર્વાહ મુશ્કેલ બની જાય.

3.. સમયસર પગાર ચૂકવણી : કાયદાકીય રીતે નોકરીદાતાઓએ કર્મચારીઓને સમયસર પગાર ફરજિયાત ચૂકવવાનો રહેશે.

4… સ્વાસ્થ્ય અને સુરક્ષા : 40 વર્ષથી વધુ ઉંમરના તમામ શ્રમિકો માટે વાર્ષિક મફત આરોગ્ય તપાસ (Health Checkup) ફરજિયાત કરવામાં આવશે. આ ઉપરાંત, એક રાષ્ટ્રીય OSH બોર્ડ દ્વારા ઉદ્યોગોમાં સુરક્ષા ધોરણોને એકસમાન (સમાનરૂપ) બનાવવામાં આવશે.

5… મહિલાઓ માટે સમાનતા : મહિલાઓ હવે રાતની શિફ્ટમાં કામ કરી શકશે, જેની અગાઉ ઘણા સેક્ટરોમાં મંજૂરી નહોતી. જોકે આ માટે નોકરી દાતાએ સુરક્ષાનાં પગલાં અને તેમની મંજૂરી સુનિશ્ચિત કરવી પડશે.

6… અનૌપચારિક શ્રમિકોને સુરક્ષા : ગિગ વર્કર્સ અને પ્લેટફોર્મ વર્કર્સને પ્રથમ વખત કાનૂની ઓળખ મળશે. તેમને પીએફ, વીમો અને પેન્શન જેવા સામાજિક સુરક્ષા લાભો મળી શકશે અને પ્લેટફોર્મ કંપનીઓએ તેમના માટે યોગદાન આપવું પડશે.

7… કાનૂની અનુપાલન સરળ : હવે અનેક રજિસ્ટ્રેશન અને રિપોર્ટિંગ પ્રક્રિયાઓને બદલે સિંગલ લાઇસન્સ અને સિંગલ રિટર્ન મોડેલ આવશે, જેનાથી કંપનીઓ પરનો અનુપાલન બોજ ઘટશે.

વિવાદોનું સમાધાન કરવા માટે બે સભ્યનું ટ્રિબ્યુનલ

આ ઉપરાંત નવી વ્યવસ્થામાં ‘ઇન્સ્પેક્ટર-કમ-ફેસિલિટેટર’ હશે, જેઓ મોટાભાગે માર્ગદર્શન આપશે અને દંડાત્મક કાર્યવાહી નહીં કરે. ઔદ્યોગિક વિવાદોનું સમાધાન કરવા માટે બે સભ્યનું ટ્રિબ્યુનલ હશે, જ્યાં કર્મચારીઓ સીધી રીતે જઈ શકે છે. સરકારનો દાવો છે કે, આ સંહિતાઓના કારણે શ્રમિકોને વ્યાપક સામાજિક સુરક્ષા અને સન્માન મળશે, જ્યારે ઉદ્યોગોને ઓછી જટિલતા અને શ્રેષ્ઠ મૂડી રોકાણ માટેની તક મળશે.

November 22, 2025
image-14.png
1min135
  • માર્ચ 2024 પછી ફાઈટર જેટ તેજસનો બીજો અકસ્માત
  • એર શોના અંતિમ દિવસે હવાઈ કરતબ કરતાં અચાનક ફાઈટર જેટમાંથી ધૂમાડો નીકળતા બંધ થયા પછી અકસ્માત સર્જાયો
  • તેજસના અકસ્માતનું કારણ જાણવા એરફોર્સે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપ્યો

દુબઈ : દુનિયાના સૌથી મોટા એર શોમાંના એક દુબઈ એર શોમાં શુક્રવારે ભારતનું સ્વદેશી મલ્ટી-રોલ લાઈટ કોમ્બેટ ફાઈટર જેટ તેજસ હવામાં કરતબ બતાવતા અચાનક તૂટી પડયું હતું. આ વિમાન અકસ્માતમાં ભારતીય એરફોર્સના પાઈલટ નયન સ્યાલનું પણ મોત નીપજ્યું હતું. ભારતીય કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સના ફાઈટર વિમાનના અકસ્માત અંગે ભારતીય એરફોર્સેે તપાસનો આદેશ આપી દીધો છે. આ પહેલાં માર્ચ ૨૦૨૪માં જેસલમેરમાં તેજસ ફાઈટર જેટનો પહેલો અકસ્માત થયો હતો.

દુબઈમાં પાંચ દિવસના એર શોનો શુક્રવારે અંતિમ દિવસ હતો. દુનિયાના ૨૦૦ જેટલા ફાઈટર જેટ અહીં આવ્યા હતા. અલ મક્તૂમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ભારતનું સ્વદેશી તેજસ ફાઈટર જેટ હવાઈ કરતબ કરતું હતું ત્યારે અચાનક જ બપોરે ૨.૧૦ કલાકે વિમાન તૂટી પડયું હતું. આ દુર્ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે તેજસ વિમાન ઉપર જાય છે અને હવામાં કરતબ કરતું નીચે આવે છે. પછી ફરીથી ઉડ્ડયન કરતા ઉપર જાય છે. ત્યાં સુધી તેજસ જેટમાંથી ધૂમાડો નીકળતો રહે છે. પછી અચાનક તેમાંથી ધૂમાડો નીકળતો બંધ થઈ જાય છે. ત્યાર પછી અચાનક ફાઈટર જેટ નીચે પડવા લાગે છે અને થોડીક જ સેકન્ડમાં તૂટી પડે છે. આ સમયમાં પાયલટને બહાર નીકળવાનો પણ સમય મળતો નથી. જમીન પર પડતાં જ તેજસ આગના ગોળામાં ફેરવાઈ ગયું અને થોડીક જ વારમાં ત્યાં માત્ર રાખનો ઢગલો બચ્યો હતો. મીડિયા અહેવાલ મુજબ તેજસના અકસ્માતના લગભગ દોઢ કલાક પછી એર શો માં રશિયન નાઈટ ફ્લાઈગ સાથે ફ્લાઈટ ડેમોસ્ટ્રેશન્સ ફરી શરૂ થયું હતું. આ વિમાન અકસ્માતમાં હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના પાયલટ નયન સ્યાલનું મોત નીપજ્યું હતું તેમ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. તેમણે પાયલટના નિધન બદલ ખેદ વ્યક્ત કર્યો હતો. ભારતીય એરફોર્સના પ્રવક્તાએ કહ્યંર કે, દુબઈ એર શોમાં એરફોર્સનું એક તેજસ ફાઈટર જેટ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે. એરફોર્સ પાયલટના મૃત્યુ પર ખેદ વ્યક્ત કરે છે અને આ દુ:ખના સમયમાં સંપૂર્ણ રીતે પાયલટના શોકગ્રસ્ત પરિવારની સાથે છે. દુર્ઘટનાનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીના આદેશ આપી દેવાયા છે. અકસ્માતનું કારણ વ્યાપક તપાસ પછી સામે આવશે.

પાયલટ એર શો જોવા આવેલા લોકો માટે ડેમોસ્ટ્રેશન ફ્લાઈટ ઉડાવી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. વિમાન અકસ્માતની જાણ થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, સીડીએસ જન. અનિલ ચૌહાણ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પાયલટના મોત અંગે ખેદ વ્યક્ત કર્યો હતો અને પાયલટના પરિવારને સાંત્વના પાઠવી હતી તેમજ આ મુશ્કેલ સમયમાં સમગ્ર રાષ્ટ્ર તેમની સાથે છે તેમ કહ્યું હતું.

વર્ષ ૨૦૦૧માં પહેલી ટેસ્ટ ફ્લાઈટથી લઈને ૨૪ વર્ષના ઈતિહાસમાં સિંગલ સીટર ફાઈટર જેટ તેજસના માત્ર બે જ અકસ્માત થયા છે, જેમાં પહેલો અકસ્માત ગયા વર્ષે માર્ચમાં રાજસ્થાનના જેસલમેરમાં થયો હતો. તે સમયે પોખરણના રણમાં ત્રણેય સૈન્યના સૈન્ય અભ્યાસ ‘ભારત શક્તિ’માં ભાગ લઈને તેજસ પાછં ફરતું હતું ત્યારે અકસ્માત થયો હતો. તેજસનો બીજો અકસ્માત શુક્રવારે દુબઈમાં થયો હતો. જોકે, કોઈ આંતરરાષ્ટ્રી એર શોમાં તેજસનો આ પહેલો અકસ્માત હતો. તેજસ ફાઈટર જેટે ૨૦૦૧માં પહેલું ઉડ્ડયન કર્યા પછી ૨૩ વર્ષ સુધી તેના અકસ્માતનો એક પણ કેસ નોંધાયો નહોતો.

November 11, 2025
image-7.png
1min157

Delhi Blast: લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક દિલ્હીમાં થયેલા ધમાકાના તાર ફરીદાબાદ ટેરર મૉડ્યૂલ સાથે જોડાતા જણાય છે. રાજધાનીમાં થયેલા આ વિસ્ફોટમાં એમોનિયમ નાઇટ્રેટનો ઉપયોગ થયો હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. નોંધનીય છે કે પોલીસે ફરીદાબાદમાંથી 2900 કિલોગ્રામ બોમ્બ બનાવવાની સામગ્રી જપ્ત કરી હતી, જેમાં એમોનિયમ નાઇટ્રેટ પણ સામેલ હતું.

બીજી તરફ, એવી પણ ચર્ચા છે કે આ મૉડ્યૂલ સાથે સંકળાયેલા ડૉક્ટર ઉમર મોહમ્મદે ધરપકડના ડરથી આ ઘટનાને અંજામ આપ્યો હતો. જોકે, આ બાબતે હજુ સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને તપાસ ચાલુ છે. સોમવારે સાંજે થયેલા આ વિસ્ફોટમાં 8 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

એમોનિયમ નાઇટ્રેટના ઉપયોગની આશંકા

પીટીઆઈ અનુસાર ધમાકામાં વપરાયેલી i20 કારના તાર ફરીદાબાદ મૉડ્યૂલ સાથે જોડાયેલા હતા. ખાસ વાત એ છે કે કારનો નંબર પણ હરિયાણાનો જ હતો. એજન્સીને સૂત્રોએ જણાવ્યું છે કે ધમાકા સમયે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક કથિત રીતે પુલવામાનો રહેવાસી ઉમર મોહમ્મદ હ્યુન્ડાઈ i20 કાર ચલાવી રહ્યો હતો.

પોલીસ સૂત્રોએ એ પણ કહ્યું કે આ ધમાકામાં એમોનિયમ નાઇટ્રેટ, ફ્યુઅલ ઓઇલ અને ડેટોનેટર્સનો ઉપયોગ થયો હોઈ શકે છે. જોકે, હજી તપાસના અંતિમ રિપોર્ટ્સ આવવાના બાકી છે.

ડૉક્ટર સાથીઓની ધરપકડથી હુમલો?

દિલ્હી પોલીસ તરફથી મળેલી જાણકારી મુજબ, એક સીસીટીવી ફૂટેજમાં માસ્ક પહેરેલો એક વ્યક્તિ કાર ચલાવતો જોવા મળે છે. પોલીસે કહ્યું કે, ઉમર મોહમ્મદ કથિત રીતે જૈશ-એ-મોહમ્મદના ટેરર મૉડ્યૂલનો એક ભાગ હતો. સૂત્રોના રિપોર્ટ અનુસાર, જમ્મુ અને કાશ્મીરના પુલવામાના રહેવાસી તારિકે ઉમર મોહમ્મદને આ કાર આપી હોવાનું કહેવાય છે.

પોલીસે વધુમાં જણાવ્યું કે, આ ટેરર મૉડ્યૂલમાં સામેલ ઉમર મોહમ્મદના અન્ય ડૉક્ટર સાથીઓની ધરપકડ થતાં, તેણે પોતાની ધરપકડના ડરથી આ આતંકી હુમલાને અંજામ આપ્યો હતો.

દિલ્હી પોલીસ કમિશનર સતીશ ગોલચાએ પત્રકારોને માહિતી આપી કે, મોડી સાંજે લગભગ 6:52 વાગ્યે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક ટ્રાફિક સિગ્નલ પર ધીમી ગતિએ જતી કારમાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ સમયે કારની અંદર કેટલાક લોકો સવાર હતા અને અન્ય વાહનોને પણ નુકસાન થયું હતું.

ફરીદાબાદમાંથી શું મળ્યું?

સોમવારે દેશના અનેક ભાગોમાંથી પોલીસે 3 ડૉક્ટરો સહિત 8 લોકોની ધરપકડ કરી હતી. સાથે જ 2900 કિલોગ્રામ વિસ્ફોટક સામગ્રી જપ્ત કરવામાં આવી. પોલીસનો દાવો છે કે આ ધરપકડો અને જપ્તીથી જમ્મુ-કાશ્મીર, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં ફેલાયેલા જૈશ-એ-મોહમ્મદ અને અંસાર ગઝવાતુલ હિંદના આતંકવાદી મૉડ્યૂલનો પર્દાફાશ થયો છે.

જમ્મુ કાશ્મીર પોલીસે એક નિવેદનમાં જણાવ્યું કે 2900 કિલોગ્રામ વિસ્ફોટક સામગ્રીમાં એમોનિયમ નાઇટ્રેટ, પોટેશિયમ નાઇટ્રેટ અને સલ્ફર સામેલ છે, જેમાં ફરીદાબાદમાં ગનીના ભાડાના મકાનમાંથી મળેલી 360 કિલોગ્રામ જ્વલનશીલ સામગ્રીનો પણ સમાવેશ થાય છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ વિસ્ફોટક સામગ્રી એમોનિયમ નાઇટ્રેટ હોવાની શંકા છે.

November 11, 2025
image-6.png
1min354

Bollowood veteren Actor ધર્મેન્દ્રને નિયમિત સ્વાસ્થ્ય તપાસ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની ટીમે જણાવ્યું હતું કે તેઓ સ્વસ્થ છે અને યોગ્ય તબીબી તપાસ કરાવી શકે તે માટે તેમણે હોસ્પિટલમાં તેમનો રોકાણ લંબાવવાનું હતું.

બોલીવુડના સર્વકાલીન પ્રિય સદાબહાર સુપરસ્ટાર ધર્મેન્દ્ર (Dharmendra) હવે નથી રહ્યા તેવા સમાચાર સામે આવી રહ્યા છે પરંતુ ધર્મેન્દ્ર પત્ની હેમા માલિની અને પુત્રી ઈશા દેઓલએ સમાચારને નકાર્યા છે, અને ટ્વીટર શેર કરી છે, તેઓ 89 વર્ષના છે. અહેવાલો અનુસાર, તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

સુપરસ્ટાર ધર્મેન્દ્ર નિધન થયું છે તેવા સમાચારની પુષ્ટિ કરવામાં આવી છે. જ્યારે તેઓ હોસ્પિટલમાં હતા, ત્યારે ઘણા બોલીવુડ સેલિબ્રિટીઝ તેમની મુલાકાત લેવા પહોંચ્યા હતા, આ સાથે તેમના ચાહકોનો સમૂહ પણ તેમના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ચિંતિત અને ચિંતિત હતો. સુપરસ્ટાર ધર્મેન્દ્રની પત્ની હેમા માલિનીએ સોસાચીયલ મીડિયા ટ્વીટર પર પોસ્ટ શેર કરી જેથી ધર્મેન્દ્રના નિધનની અફવાઓનો અંત આવ્યો છે. લગભગ આખો દેશ તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યો હતો. સદાબહાર સુપરસ્ટાર છેલ્લે ધમાકેદાર ફિલ્મ ‘તેરી બાતોં મેં ઐસા ઉલઝા જિયા’માં જોવા મળ્યો હતો, હવે એક્ટર ફિલ્મ ‘ઇક્કીસ’ માં જોવા મળશે, જેમાં તેમનું દમદાર પાત્ર જોવા મળ્યું હતું.

November 8, 2025
image-2.png
1min128

કમોસમી વરસાદન માર સહન કરી રહેલા ખેડૂતો માટે ગુજરાત સરકારે રૂ. 10,000 કરોડનું જંગી પેકેજ જાહેર કર્યું છે. ખેડૂતોના ઊભા પાકને થયેલા પારાવાર નુકસાનને ધ્યાનમાં રાખી મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલની સરકારે શુક્રવારે સાંજે આ નિર્ણય સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર જાહેર કર્યો હતો.

અગાઉ મુખ્ય પ્રધાને કૃષિ, મહેસૂલ અને નાણા વિભાગના અધિકારીઓ સાથે એક બેઠક બોલાવી હતી. જોકે અગાઉ પણ તેમણે સતત બેઠકો કરી પરિસ્થિતિ સમીક્ષા કરી હતી. હવે સરકાર પેકેજના માપદંડો, જોગવાઈઓ વગેરેને અંતિમ રૂપ આપી દરેક પાત્ર ખેડૂતને સહાય મળી રહે તે પ્રમાણે આગળની કાર્યવાહી હાથ ધરશે.

માવઠા બાદ સરકારે સર્વે કર્યો હતો અને મુખ્ય પ્રધાન સહિત કેબિનેટના પ્રધાનોએ વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત પણ લીધી હતી. એક અહેવાલ પ્રમાણે લગભગ 42 લાખ હેક્ટરથી વધારે અને 16 હજાર ગામથી વધારે ગામોમાં નુકસાન થયાનો પ્રાથમિક અંદાજ છે.

મુખ્ય પ્રધાને તેમના એક્સ હેન્ડલ પર લખ્યું હતું કે ગુજરાતમાં ગત બે દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતા રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે.

આ સંદર્ભે, મેં તથા મારા સાથી મંત્રીઓએ જુદા-જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી. કુદરતી આપત્તિની આ ઘડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે.

રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે આશરે રૂપિયા 10 હજાર કરોડના રાહત-સહાય પેકેજની જાહેરાત કરું છું.

આ ઉપરાંત, રાજ્ય સરકાર 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે રૂ. 15,000 કરોડથી વધુના મૂલ્યની મગફળી મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરવા પણ જઈ રહી છે. અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી, છે અને રહેશે તેવો વિશ્વાસ આપું છું.

અગાઉ રાજ્ય સરકારે મગફળી, અડદ, મગ અને સોયાબીનની ખરીદી માટે સાર્વજનિક રીતે ટેકાના ભાવની ખરીદીની જાહેરાત કરી હતી.