CIA ALERT

ક્રાઇમ Archives - Page 27 of 38 - CIA Live

March 14, 2019
chabil.jpg
1min6430

ભાજપના પૂર્વ ધારાસભ્ય અને ભાજપાના વિવાદાસ્પદ નેતા જયંતિ ભાનુશાળીના હાઈપ્રોફાઈલ મર્ડર કેસમાં મુખ્ય આરોપી છબીલ પટેલે સીઆઈડી ક્રાઈમ સમક્ષ સરેન્ડર કર્યું હોવાની વિગતો જાણવા મળી છે. ભાનુશાળીનું મર્ડર થયું ત્યારે છબીલ પટેલ અમેરિકામાં હતા. સીઆઈડી ક્રાઈમના દાવા અનુસાર, તેઓ તા.12મી માર્ચે દુબઈથી અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થયા ત્યારે તેમની અટકાયત કરવામાં આવી હતી.

ગઇ તા.8મી જાન્યુઆરીએ ભાજપાના પ્રાદેશિક નેતા જંયતિ ભાનુશાળીનું ભૂજ-દાદર એક્સપ્રેસના ફર્સ્ટ ક્લાસ કોચમાં મધરાતે પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. ગુજરાતના પોલિટીકલ પ્લેટફોર્મને હચમચાવતી આ રાજકીય હત્યામાં ભાજપના જ અન્ય નેતા અને જયંતિ ભાનુશાળી સાથે દુશ્મનાવટ ધરાવતા છબીલ પટેલનો હાથ હોવાનો સીધો આક્ષેપ ભાનુશાળીના પરિવારજનોએ કર્યો હતો. પરીણામે પોલીસે આ કેસમાં અગાઉ છબીલ પટેલના દીકરાની ધરપકડ કરી લીધી છે

અત્યારસુધી છબીલ પટેલ સહિત કુલ પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જયંતિ ભાનુશાળીની હત્યાને અંજામ આપનારા શશિકાંત કાંબલે અને અશરફ શેખ નામના શાર્પશૂટર્સની પણ ધરપકડ કરી છે. આ કેસમાં ભાજપાના નેતા છબીલ પટેલ ઉપરાંત મનિષા નામની મહિલાની પણ સંડોવણી હોવાનું બહાર આવ્યું છે.

March 2, 2019
atm_thief.jpg
1min6160

રાજકોટ સહિત ગુજરાતભરમાં અને મહારાષ્ટ્રમાં એટીએમ કાર્ડ બદલાવીને ચીટીંગ કરતા સુરતના ગઠિયાને ક્રાઈમબ્રાંચના સ્ટાફે બીજી વખત ઝડપી લીધો હતો અને કાર, રોકડ, મોબાઈલ સહિત રૂ.6.17 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સુરતી ગઠિયાનો પાલનપુર પોલીસે કબજો લેવા તજવીજ હાથ ધરી હતી.

સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતો ધીરજકુમાર મોહનલાલ પંચાલ નામનો અઠંગ ચીટર રાજકોટમાં સકિય બન્યો હોવાની ક્રાઈમબ્રાંચના પોલીસમેન કુલદીપસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ ઝાલા, જીગ્નેશભાઈ મારુ અને પ્રદિપસિંહ જાડેજા તથા વિક્રમભાઈ લોખીલને મળેલી બાતમીના આધારે પીઆઈ એચ.એમ. ગઢવીના માગદર્શન હેઠળ પોસઈ. બી.ટી. ગોહિલ તથા સ્ટાફે કોઠારિયા રોડ પરના રણુજા મંદિર પાસેથી સુરતના ધીરજ મોહનલાલ પંચાલ નામના શખસને ઝડપી લીધો હતો અને ક્રાઈમબ્રાંચે જુદી-જુદી બેંકના ર0 એટીએમ કાર્ડ તથા કાર અને મોબાઈલ અને રૂ.ર હજારની રોકડ મળી કુલ રૂ.6.17 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં સુરતના ધીરજ પંચાલે ચાર માસ પહેલા પાલનપુરમાં, સુરતમાં, અમદાવાદ, મહારાષ્ટ્ર, મોરબી, રાજકોટ, વાંકાનેર સહિતના શહેરોમાં 90થી વધુ એટીએમ કાર્ડ તફડાવીને નાણા ઉપાડી લઈ ચીટીંગ કર્યાની કબૂલાત આપી હતી. ધીરજ પંચાલ અગાઉ ગાંધીગ્રામ પોલીસમાં ર014ની સાલમાં પકડાઇ ચૂકયો છે. આ અંગેની જાણ થતા પાલનપુર પોલીસે ધીરજ પંચાલનો કબજો સંભાળવાની તજવીજ હાથ ધરી હતી.

February 27, 2019
smc.jpg
1min11770

સુરત મહાનગરપાલિકાના 3 કોર્પોરેટરો અને તેમના અત્યંત નજીકના સગાઓ ભ્રષ્ટાચારના સંગીન કેસોમાં એન્ટી કરપ્શન બ્યુરોના છટકામાં સપડાયા છે, કોર્પોરેટરો દ્વારા આચરવામાં આવતા ભ્રષ્ટાચારના કેસોની આ સંખ્યા જોતા એવું સ્પષ્ટ જણાય રહ્યું છે કે સુરત મહાનગરપાલિકાની ચૂંટાયેલી પાંખ ભ્રષ્ટાચારથી ખદબદી રહી છે. ત્રણ કોર્પોરેટરો ઉપરાંત તાજેતરમાં ઘીવાળા નામનો ક્લાર્ક પણ ભ્રષ્ટાચારમાં આબાદ ઝડપાઇ ચૂક્યો છે. જે રીતે કેસોની સંખ્યા બહાર આવી રહી છે અને જે રીતે કોર્પોરેટરો અને તેમના સગાસંબંધીઓ રૂપિયા કમાવવાના રસ્તા અજમાવી રહ્યા છે એ જોતા સુરતના વહીવટીતંત્રોમાં સૌથી વધુ ભ્રષ્ટ વહીવટીતંત્ર સુરત મહાનગરપાલિકાનું જ હોય તેવું ફલિત થઇ રહ્યું છે.

  • ઓગસ્ટ 2018માં મહિલા કોર્પોરેટર નેન્સી સુમરાના પિતા અને ભાઇ એસીબીમાં ઝડપાયા હતા
  • જાન્યુઆરી 2019માં એસએમસી ક્લાર્ક ભાગ્યેશ ઘીવાળા રૂ.10 હજારની લાંચ લેતા ઝડપાયો હતો
  • ચાલુ માસ ફેબ્રુઆરી 2019માં જ કોર્પોરેટર જયંતિ ભંડેરી રૂ.50 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઇ ચૂક્યા છે
  • તા.27મી ફેબ્રુઆરીએ મહિલા કોર્પોરેટર કોંગ્રેસના લીના સોનવણેનો પુત્ર કૃણાલ રૂ.15000ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો

સુરત મહાનગર પાલિકાના વોર્ડ નં18ના કોંગ્રેસના મહિલા કોર્પોરેટરનો પુત્ર કૃણાલ સોનવણે 15000 રૂ.ની લાંચ લેતા એસીબીના હાથે સપડાઇ ગયો છે. એસીબીએ આ કેસમાં કુલ 3 લોકોની ધરપકડ કરી છે. મહિલા કોર્પોરેટરના પુત્રએ આંજણા- ખટાદરો વિસ્તારમાં ચાલતા એક બાંધકામ પ્રોજેકટ માટે પોતાની માના નામે ધમકી આપી જો હેરાનગતિ રોકવી હોય તો રૂપિયા 15000 આપવા પડશે એવી માગ કરી હતી.ફરિયાદીએ એસીબીની મદદ માગી હતી.એસીબીએ છટકું ગોઠવ્યુ હતું જેમાં કોર્પોરેટરના પુત્રનો ઓફીસ બોય લાંચની રકમ લેવા આવ્યો હતો જે રંગેહાથે ઝડપાઇ ગયો હતો. પોલીસે 3ની ધરપકડ કરી છે.

(મ્યુનિ. કોર્પોરેટર લીના સોનવણેનો પુત્ર કૃણાલ સોનવણે રૂ.15000ની લાંચ લેતા તા.27મી ફેબ્રુઆરી 2019ના રોજ એસીબીના હાથે ઝડપાય ગયો છે.)

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નં 18 આંજણા- ખટોદરા વિસ્તારના લીનાબેન સોનવણે (કોંગ્રેસ)ના કોર્પોરેટર છે.આ વિસ્તારમાં ચાલતા એક  મકાનના બાંધકામ તોડી નહીં પાડવા અને હેરાનગતિ નહીં કરવા કૃણાલ સોનવણેએ ફરિયાદી પાસેથી રૂપિયા 15000 માગ્યા હતા. કોર્પોરેટર માતા લીનાબેનના હોદ્દાની બીક બતાવી કુણાલ  ફરિયાદીને ધમકાવતો હતો. કુણાલે પોતાના મળતિયા ભટ્ટુભાઇ પાટીલને રૂપિયા લેવા મોકલ્યો હતો. ફરિયાદીએ ભટ્ટ્ભાઇને રૂપિયા આપ્યા નહોતો અને તેને બદલે એસીબીને જાણ કરી હતી. ફરીવાર ભટ્ટુભાઇ પાટીલે ફરિયાદીને ફોન કરીને કહ્યું હતું કે ઓફીસ બોયને 15000 આપી દે જે. એસીબીએ ગોઠવેલા છટકામાં જેવા ઓફીસ બોયએ લાંચની રકમ સ્વીકારી પોલીસે તેને પકડી લીધો હતો.ઓફીસ બોય કિશોર હોવાને કારણે એસીબીએ નામ જાહેર કર્યું નથી.એસીબીએ કુણાલ સોનવણે, ભટ્ટુ પાટીલ અને ઓફીસ બોય ત્રણેયની ધરપકડ કરી છે.

February 12, 2019
doctors-assault.jpg
1min10470

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

પૃથ્વી પર જેમને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે, અંગ્રેજીથી લઇને ગુજરાતી સાહિત્યકારોએ જેને જીવનદાતા ગણાવ્યા છે એ તબીબો (ડોક્ટર્સ) પર એવા જીવલેણ હુમલા થઇ રહ્યા છે કે ભારતમાં હવે તબીબો ગન લાઇસન્સ (હથિયારોના પરવાના) માગી રહ્યા છે. કોઇ સ્થળે તબીબોને દર્દીઓના સગાઓના હુમલાથી બચવા માટે સેલ્ફ પ્રોટેક્શનની તાલિમ આપવામાં આવી રહી છે તો દિલ્હીની એઇમ્સ જેવી હોસ્પિટલના તબીબો હેલ્મેટ પહેરીને દુનિયાને એવું દેખાડી રહ્યા છે કે દર્દીઓની સેવા ચાકરી કરવાનું એટલું જોખમી બન્યું છે કે તેમણે હેલ્મેટ પહેરીને ટ્રીટમેન્ટ કરવી પડી રહી છે.

ભારતમાં પાછલા 1 વર્ષ દરમિયાન વિવિધ સ્થળો પર તબીબો પર 50થી વધુ જીવલેણ હુમલાઓની ઘટનાઓ બની છે. તબીબો પર હુમલો કરવાની આ ઘટનાઓ ઝડપભેર આકાર પામી રહી છે. તબીબી આલમ તેમના પર વધતા હુમલાઓથી એટલી ભયભીત બની છે કે હવે કહેવાતી સારી હોસ્પિટલ્સ પણ ક્રિટીકલ કે સિરીયસ પેશન્ટસ દાખલ થવા માટે આવે ત્યારે તેને સિફતપૂર્વક એડમિટ કરવાનો ઇન્કાર કરી દે છે. દર્દીઓના ક્રિટીકલ ઓપરેશન્સ કરતા પહેલા તબીબો દર્દીઓના સગાઓ તથા તેમની પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન કરી રહ્યા છે.

તાળી એક હાથે નથી વાગતી એમ તબીબો પરના હુમલાઓની પાછળ કેટલાક તબીબો અને કેટલીક હોસ્પિટલ્સના ગોરખધંધાઓ પણ કારણભૂત ગણાય છે. રૂપિયા રળવા માટે બિનજરૂરી દવાઓ, બિનજરૂરી પરીક્ષણો અને ત્યાં સુધી કે બિનજરૂરી ઓપરેશન્સ કરતા પણ કહેવાતા આ ભગવાનોને સહેજ પણ ડર લાગતો નથી. આમ દર્દીઓને જ્યારે પણ ચાલુ ટ્રીટમેન્ટએ કંઇક થાય એટલે સગા સબંધીઓ તબીબોને જ કસૂરવાર ગણીને મારપીટ કે હોસ્પિટલમાં તોડફોડ શરૂ કરી દેતા હોય છે.

ભારતમાં તબીબો પરના હુમલાઓની ઘટનાઓ દિનપ્રતિદિન દાવાનળની જેમ પ્રસરી છે. તબીબો પણ ટોળાઓ દ્વારા થતા હુમલાઓનો શિકાર બની રહ્યા હોઇ, ભારતમાં જુદા જુદા સ્થળો અને હોસ્પિટલ્સના તબીબોએ પોતાના સ્વબચાવ માટે કેવા પગલાંઓ ભર્યા છે એ જાણીને સહજ અચરજ થાય તેમ છે.

નાગપુર સરકારી મેડીકલ કોલેજના ડોક્ટર્સે હથિયારના લાઇસન્સ માંગ્યા

નાગપુર ખાતે આવેલી ઇન્દિરા ગાંધી સરકારી મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ્સમાં તાજેતરમાં જ સિનિયર ડોક્ટર પર હુમલો કરીને તેમને લોહીલુહાણ કરી દેવાયા હતા. દર્દીનું સારવાર દરિમયાન મોત નિપજતા વિફરેલા સગાસબંધીઓએ સિનિયર તબીબને કસૂરવાર ગણીને તેના પર એવો ઘાતકી હુમલો કર્યો કે એ જોઇને અન્ય તબીબો ભારે ભયભીત બની ગયા છે. આ ઘટનાએ સમગ્ર દેશના તબીબોને હચમચાવી મૂક્યા હતા. આ ઘટના બાદ નાગપુર સરકારી મેડીકલ કોલેજમાં ફરજ બજાવતા અનેક ડોક્ટરોએ પોલીસ કમિશનર સમક્ષ અરજી કરીને વેપન લાઇસન્સ આપવા રજૂઆત કરી છે. કારણ એ દર્શાવાયું છે કે તેમના પર દર્દીઓના સગાઓ દ્વારા વારંવાર ઘાતકી હુમલાઓ કરવામાં આવી રહ્યા હોઇ, સ્વબચાવ માટે તેમને વેપન લાઇસન્સ આપવામાં આવે.

કોલકાત્તાની એન.આર.એસ. મેડીકલ કોલેજમાં તબીબોને કરાટેની તાલિમ

તબીબો પર થઇ રહેલા દર્દીઓના સગાઓ દ્વારા હુમલાઓ દરમિયાન તબીબો પોતાનો સ્વબચાવ કરી શકે તે માટે કોલકાત્તા સ્થિત એન.આર.એસ. મેડીકલ કોલેજમાં જુનિયર, સિનિયર, રેસિડેન્ટ તમામ પ્રકારના તબીબો માટે ટેઇકવોન્ડો કરાટેની તાલિમ આપવામાં આવી રહી છે. અહીં તબીબો માટે આ પ્રકારની તાલિમ ફરજિયાત બનાવવામાં આવી છે અને જ્યારે જ્યારે પણ દર્દીઓના સગાઓ દ્વારા તેમના પર હુમલો થાય ત્યારે તેમને આ માર્શલ આર્ટથી સ્વબચાવ કરવા માટે છૂટ આપવામાં આવી રહી છે.

દિલ્હી એઇમ્સ હોસ્પિટલમાં હેલ્મેટ પહેરીને સારવાર કરતા તબીબો

નવી દિલ્હી ખાતે આવેલી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડીકલ સાયન્સના તબીબોએ તાજેતરમાં જ દેશભરમાં તબીબો પર થઇ રહેલા ઘાતકી હુમલાઓનો  વિરોધ કરવા માટે હેલ્મેટ પહેરીને દર્દીઓની સારવાર કરવાનો આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો હતો. એઇમ્સના તબીબો દુનિયાને એવું જણાવવા માગી રહ્યા હતા કે દર્દીની સારવાર કરવાનું ઉમદા કામ એટલું કપરું અને જોખમી બન્યું છે કે તેમણે હેલ્મેટ પહેરીને દર્દીઓની સેવા ચાકરી કરવી પડી રહી છે.

 

February 11, 2019
k_rajesh-1280x854.jpg
1min13760

પોતાને મળેલી સત્તાઓનો દુરુપયોગ કરીને જમીનોના કોઠા કબાડા કરતા આવેલા મહેસુલી અધિકારીઓને અત્યાર સુધી ભાગ્યે જ કોઇ કુકર્મોની સજા મળી હશે. પરંતુ, સુરેન્દ્રનગરથી એવા સમાચાર આવ્યા છે કે જેમાં અધિક કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી જેવા ક્લાસ વન કક્ષાના અધિકારીઓ સમેત અનેક કૌભાંડીઓ સામે સુરેન્દ્રનગરના કલેક્ટર કે. રાજેશએ કાયદેસરની ફરીયાદ નોંધાવતા ગુજરાતના મહેસુલી વિભાગમાં સન્નાટો મચી ગયો છે. કે. રાજેશએ શરૂ કરેલી આ ગતિવિધિનો રેલો આગામી દિવસોમાં ગુજરાતમાં દરેક જિલ્લાઓમાં પ્રસરે તો મહેસુલી વિભાગમાં પેસી ગયેલી ભ્રષ્ટાચારની મથરાવટી સાફ થઇ જાય તેમ છે.

સુરેન્દ્રનગર એન્ટી કરપ્શન પોલિસ સ્ટેશન ખાતે સુરેન્દ્રનગરના કલેક્ટર કે. રાજેશએ ઈ.પી.કો.ની કલમ ૨૧૯,૪૦૯,૪૬૩,૪૭૧,૩૪,૧૨૦-બી, ભ્ર.ની. અઘિ-૧૯૮૮(સુધારો -૨૦૧૮) કલમ ૧૩(૧)-a, ૧૩(૨),૧૨ મુજબ ફરીયાદ નોંધાવી છે. રાજ્યમાં કોઇ કલેક્ટરએ પહેલી વખત ક્લાસ વન અધિકારીઓ સામે ભ્રષ્ટાચાર વિરોધી ધારા હેઠળ ફરીયાદ નોંધાવી હોય તેવા આ કિસ્સામાં સુરેન્દ્રનગરના એડિ. કલેક્ટર (૧) સી.જી.પંડયા, (નિવાસી અધિક કલેક્ટર વર્ગ-૧  (૨) વી. ઝેડ. ચૌહાણ, (નાયબ જીલ્લા વિકાસ અધિ , વર્ગ-૧,) તત્કાલીન પ્રાંત અધિકારી ચોટીલા (૩) જે.એલ. ઘાડવી, (નાયબ મામલતદાર વર્ગ -૩ ) તત્કાલીન ઇન્ચાર્જ મામલતદાર ચોટીલા (૪) જમીન ખાતે કરાવી લાભ મેળવનાર વ્યક્તિઓને આરોપી બનાવતી ફરીયાદ નોંધાવી છે.

ફરીયાદમાં નિર્દેશ કરાયો છે કે સુરેન્દ્રનગર કલેક્ટરેટના ઉચ્ચાધિકારીઓએ પોતાની સમક્ષ ચાલતી જમીન ટોચ મર્યાદા ની ન્યાયિક કાર્યવાહી દરમ્યાન પોતાના હોદ્દાઓ, પોતાને મળેલી સત્તાઓનો દૂરુપયોગ કરી બીનપીયતની જમીનો ખાનગી લોકોના નામે કરી આપવા માટે સેટીંગ કર્યા હતા. મહેસુલી અધિકારીઓએ એક ગુનાહીત કાવતરુ રચી કાયદા વિરુદ્ધ ના હુકમો કરી, સરકારી મિલકત નો દુર્વય્ય કરી જીવાપર તથા બામણબોર ગામ ની જમીન ૩૨૦ એકર ખોટા દસ્તાવેજી પુરાવા ઉભા કરી ખરા તરીકે ઉપયોગ કરી કોર્ટ ના હુકમ નું ખોટુ અર્થધટન કરી લાભ મેળવનારાઓના ખાતે ચડાવી તેઓ ને ગેરકાયદે લાભ પહોંચાડી અધિક કલેક્ટર, તત્કાલિન ડીડીઓ સમેતના અધિકારીઓ, કર્મચારીઓએ હોદ્દા નો દુરઉપયોગ કરી ગુનાહીત ગેરવર્તન આચરી એકબીજા ને મદદગારી કરી સરકારની તિજોરીને રુ ૩,૨૩,૦૩,૫૫૬નો ચૂનો ચોપડ્યો છે.

કે. રાજેશ એ ચાતરેલો ચીલો આગળ વધે તેવી શક્યતાઓ

રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી ખુદ જાહેરમાં ખરખરો કરી ચૂક્યા છે કે રાજયમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર મહેસુલી વિભાગમાં છે. સુરેન્દ્રનગરના કલેક્ટર કે. રાજેશએ આજે ડેપ્યુટી કલેક્ટર કક્ષાના બે ક્લાસવન અધિકારીઓ સામે એસીબીમાં ફરીયાદ કરવાની હિંમત કરીને નવો ચીલો ચાતર્યો છે. મહેસુલી વિભાગમાં એવું નથી કે બધા જ ભ્રષ્ટ છે, કેટલાક પ્રમાણિક, બાહોશ અને હિંમતવાન અધિકારીઓ પણ છે, કે. રાજેશએ આજે ભ્રષ્ટ અધિકારીઓ સામે કરેલી કાર્યવાહીથી પ્રમાણિક અને બાહોશ અધિકારીઓને એવી હિંમત મળશે કે તેઓ પણ તેમના તાબા હેઠળના ભ્રષ્ટ કર્મચારીઓ અધિકારીઓ સામે આગામી દિવસોમાં શિક્ષાત્મક પગલાં ભરશે એમ મનાય છે.

IAS K. Rajesh સુરત જિલ્લા પંચાયતમાં ફરજ બચાવી ચૂક્યા છે

ભ્રષ્ટ ક્લાસ વન મહેસુલી અધિકારીઓ સામે એસીબીમાં ફરીયાદ નોંધાવીને તેમને સસ્પેન્ડ કરી દેનારા સુરેન્દ્રનગરના કલેક્ટર કે. રાજેશ સુરત જિલ્લા પંચાયતમાં ડીડીઓ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. બાહોશ અને હિંમત સાથે કોઇપણ કામ કરતા આ અધિકારી સ્થાનિક સ્તરે બહુ માનીતા બની ગયા હતા. તેમણે તેમના કાર્યકાળમાં અનેક લોકોપયોગી નિર્ણયો લીધા હતા જેના મીઠાં ફળ આજે જિલ્લા પંચાયતના મુલાકાતીઓને મળી રહ્યા છે.

February 11, 2019
CIA_Live_Logo_New2.jpg
1min7440

રાજયમાં મહિલાઓને સલામતી આપવાની અને બેટી બચાવો-બેટી પઢાવોના સૂત્ર આપનાર ભાજપની રાજય સરકાર મહિલાઓ અને બાળકીઓની સલામતીની ચિંતા કરતી નથી. સરકારી ખર્ચે માત્રને માત્ર મહિલા સંમેલનો યોજવા અને સૂત્રો આપવામાં શૂરી છે જયારે છેલ્લાં બે વર્ષમાં રાજયમાંથી ૧૩,૫૭૪ મહિલાઓ ગુમ થઇ છે એવું જણાવીને કોંગ્રેસે મુખ્ય પ્રધાનને નિષ્ફળ પ્રધાન ગણાવ્યા હતા.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવકતા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે જે રીતે આંકડાઓ બહાર આવ્યા છે તેમાં ખાસ કરીને દીકરીઓ કેટલી છે તે તપાસનો વિષય છે. માનવ તસ્કરી રોકવા રાજય સરકાર સક્રિયતા દાખવે તે અત્યંત જરૂરી છે. બે વર્ષમાં રાજયમાં ૪,૯૮૯ બાળકો ગુમ થયાં છે. રાજય સરકારના સત્તાવાર આંકડા મુજબ રાજયમાંથી ૪૨,૪૩૨ બાળકો ગુમ થયા છે તે પૈકી ૧૪,૮૮૧ બાળકો લાંબા સમયથી ગુમ છે, જયારે ૧૪,૩૦૧ વ્યકિતઓ ગુમ છે આ ગુમ વ્યકિતઓને શોધવામાં તંત્ર નિષ્ફળ નિવડયું છે.

રાજય સરકારના સત્તાવાર આંકડા મુજબ રાજયમાંથી ૪૨,૪૩૨ બાળકો ગુમ થયા છે તે પૈકી ૧૪,૮૮૧ બાળકો લાંબા સમયથી ગુમ છે, જયારે ૧૪,૩૦૧ વ્યકિતઓ ગુમ

રાજયમાં અને દેશમાં ગુમ થયેલાં બાળકો, મહિલાઓ અંગે જાહેરહિતની અરજીમાં નામદાર સુપ્રીમ કોર્ટે વર્ષ ૨૦૧૨-૧૩માં રાજયના મુખ્ય સચિવને રાજયમાંથી ગુમ થયેલા બાળકોની વિગતો રજૂ કરવા બે વખત નોટિસ ફટકારી હતી તેમ છતાં રાજય સરકારે વિગતો રજૂ કરી ન હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવતાં ગુમ થયેલાં બાળકો અંગે જે તે સમયે આંકડા રજૂ કર્યા હતા. રાજયમાં ગુમ થયેલા બાળકો અંગે નામદાર સુપ્રીમ કોર્ટે વિવિધ રાજયોને આપેલા આદેશમાં આંતરરાજય સંકલન, રાજયમાં વિવિધ જિલ્લાઓમાં સંકલન, ગુમ થયેલાં બાળકોની વિગતો દર્શાવતી વેબસાઈટ, ગુમ થયેલાં બાળકો અંગેની હેલ્પ લાઈન સહિતની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. અમદાવાદ જેવા મોટા શહેરમાં બાળકો ગુમ થવા અંગે પીસીબીને જવાબદારી સોંપાઈ છે પણ કોઈ વાલી ગુમ થયેલા બાળક અંગે ફરિયાદ કરવા જાય તો પીસીબી તેમના ક્રાઈમ બ્રાંચના મિસિંગ ચાઈલ્ડ સેલમાં મોકલે છે. ક્રાઈમ બ્રાંચમાં જયારે વાલી પહોંચે તો તેમને પીસીબીમાં ધકેલવામાં આવે છે. ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગુમ થયેલાં બાળકો અંગે ૩૨ જેટલા પરીપત્રો કર્યા છે પણ તે માત્ર કાગળ પર છે. મિસિંગ ચાઈલ્ડ માટેની વેબસાઈટ પણ બરાબર કાર્યરત નથી તેમજ અપડેટેડ નથી, હેલ્પ લાઈન નંબર ૧૦૯૮ ઉપર કોઈ સંતોષકારક જવાબ મળતો નથી. ચાર ઝોનમાં મિસિંગ ચાઈલ્ડ માટે વ્યવસ્થા તંત્રની જાહેરાત કરનાર ભાજપ સરકારમાં અન્ય જાહેરાતોની જેમ આ પણ જાહેરાત બની ગઈ છે.

રાજયમાં કિડની ચોર પકડાયા પછી રફુ ચક્કર થાય, બાળકોને વેંચી નાખવાની ગેંગ સક્રિયતાથી કામ કરતી હોઈ છતાં પોલીસને ખબર ન પડે અને સીબીઆઈ સમગ્ર બાબતે જયારે ધરપકડ કરે ત્યારે રાજયમાં બાળકોને ગુમ કરવામાં અને ખાસ કરીને દીકરીઓને ગુમ કરીને વેંચી નાખવાના કૌભાંડનો પર્દાફાશ થાય છતાં રાજયના ગૃહ વિભાગનો હવાલો સંભાળતા મુખ્ય પ્રધાન સબ સલામતના દાવાઓ કરે તે કેટલે અંશે વાજબી? એવો સવાલ ઉઠાવીને તેમણે ગુજરાતના મુખ્ય પ્રધાન પાસે જવાબ માગ્યો છે.

February 5, 2019
sports.jpg
1min6860
SAGના અધિકારી લાંચ લેતા ઝડપાયા

સંદીપ પંડ્યા નામના સ્પોર્ટસ ઑથોરિટી ઑફ ગુજરાતના એક અધિકારી 60 હજારની લાંચ લેતા ગુજરાત પોલીસના એન્ટી કરપ્શન બ્યુરોની ટીમ દ્વારા ઝડપાયા છે.

એસીબીની બરોડાની ટીમ આ ઘટનામાં તપાસ કરી રહી છે. SAG (સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત) દ્વારા સ્કૂલમાં થતી સ્પોર્ટસ એક્ટિવિટીના સંચાલન માટે અલગ અલગ એજન્સીઓને કામ આપવામાં આવે છે. આ સ્કૂલની એક્ટિવિટી માટેનો કોન્ટ્રાક્ટ ખાનગી કંપનીને મળ્યો હતો. જેમાં ટ્રેનરોના બિલ મંજૂર કરવા માટે એજન્સી પાસે લાંચ માંગી હતી. ACBને આ પ્રકારે લાંચ માંગવામાં આવતી હોવાની રજૂઆતો મળી હતી.

આ સમગ્ર મામલાની તપાસ ACBની બરોડા ટીમને તપાસ સોંપવામાં આવી છે. ACBની બરોડાની ટીમે છટકું ગોઠવી SAGના અધિકારી સંદીપ પંડ્યાને રંગેહાથ રૂ.60 હજારની લાંચ લેતા ઝડપી પાડ્યા છે.

પ્રાથમિક તપાસમાં SAGના સંદીપ પંડ્યાનું નામ સામે આવ્યું છે. જેઓ સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાતના ઈન સ્કૂલ શાખાના ઈનચાર્જ છે. જેમણે એજન્સીના ટ્રેનરના બિલ SAGમાં મંજૂર કરાવવા માટે એજન્સી પાસેથી લાંચ માંગતા તેમણે ACBમાં ફરિયાદ કરી હતી. જેના આધારે ACBના અધિકારી ડી. બી. બારડે ટ્રેપ ગોઠવતા તેમાં સંદીપ પંડ્યા રંગે હાથ ઝડપાયા છે.

February 4, 2019
best-card-swiping-machine.png
1min7890

જામનગર જિલ્લા પોલીસે એક એવી પીઝા રેસ્ટોરેન્ટની ગેંગ પકડી પાડી છે જેઓ પોતાને ત્યાં પીઝા ખાવા આવતા કસ્ટમર્સના બેંક અકાઉન્ટમાંથી રૂપિયા ઉડાવી લેતા હતા. કસ્ટમર્સ ઓનલાઇન પેમેન્ટ, કાર્ડ સ્વાઇપ કરીને પેમેન્ટ કરતા ત્યારે આ ગેંગ કસ્ટમર્સના ક્રેડિટ-ડેબિટ કાર્ડના ડેટા ચોરી લેતી અને બાદમાં એટીએમ કે ઓનલાઇન શોપિંગમાં એ ડેટા વાપરીને રૂપિયા ખંખેરી લેતા હતા. આ પ્રકારે પીઝા ખાવા આવતા કસ્ટમર્સના  રૂપિયા ઉડાડી લેતી ગેંગના 7 જણાને ઝડપી પાડવામાં આવ્યા છે.

જામનગર પોલીસે કેયુર હાડા, એલિયાસ કિશન, સાબિર નાઇ, મોહિત પરમાર અને નિકુંજ કંખારા જેઓ તમામ જાનગરના રહેવાસી છે એમને એક ઓનલાઇન ફ્રોડ કેસમાં અટકાયત કરી ત્યારે એ વાતનો ભાંડો ફૂટ્યો હતો કે પીઝા રેસ્ટોરેન્ટમાં કાર્ડ સ્વાઈપ કરાવતા ગ્રાહકોના નાણા ઉસેટી લેવામાં આવ્યા હતા.

આ ગેંગની મોડસ ઓપરેન્ડી અંગે મળતી માહિતી મુજબ નાઇ અને પરમાર નામના બે આરોપીઓ જામનગરની જાણીતી પીઝા શોપમાં કેશીયરો તરીકે નોકરી કરતા હતા. આ બન્ને જણાએ તેમના કસ્ટમર્સને એવી ઓફર આપતા કે જો કસ્ટમર્સ કાર્ડ સ્વાઇપ કરાવીને પેમેન્ટ કરે તો 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે. કસ્ટમર્સ પણ આ લોભામણી ઓફરને પગલે પોતાનો ક્રેડિટ, ડેબિટ કાર્ટ સ્વાઇપ કરાવીને પેમેન્ટ કરતા. દરમિયાન કેશિયર તરીકે કામ કરતા આ બન્ને ભેજાબાજે પેમેન્ટ સિસ્ટમ સાથે એક કોપી મશીન અને લેપ્ટોપ એટેચ્ડ કરી રાખ્યું હતું, એ કોપી મશીન એટલું પાવરફુલ હતુ જે કસ્ટમર્સના કાર્ડ સ્વાઇપ થતાની સાથે જ કાર્ડની સઘળી ડિટેઇલ અને પીન નંબર પણ કોપી કરીને લેપ્ટોપમાં સેવ કરી દેતું હતું.

ભેજાબાજ ગુનેગારોએ કસ્ટમર્સના ક્રેડિટ ડેબિટ કાર્ડની ડિટેઇલ્સ ચોરી કરવા માટે આ કોપી મશીન જેને સ્કીમર મશીન્સ તરીકે ઓળખાય છે એ ભારતમાં વેચાતું નથી એટલે તેને ઓનલાઇન ઓર્ડર કરીને મંગાવ્યું હતું. આ પછી પરમાર અને હાડા કોરા એટીએમ કાર્ડને સ્વાઇપ કરીને તેના પર કસ્ટમર્સના કાર્ડની ડિટેઇલ્સ કોપી કરી લેતા હતા. આમ કસ્ટમર્સના કાર્ડની ડિટેઇલ મળ્યા બાદ આ ગેંગે ધ્રોલ ખાતે આવેલા એટીએમ ખાતે મધરાતે રૂપિયા ઉપાડવાની યોજના બનાવી. પહેલા જ પ્રયાસમાં આ ગેંગને મોટી રકમની કેશ મળી જતા, તેઓ સતત બીજી રાત્રે પણ અન્ય કસ્ટમરનો કાર્ડ સ્વાઇપ કરીને મોટી રકમ એટીએમમાંથી ઉપાડી લીધી હતી.

ભેજાબાજોએ પહેલું ટ્રાન્જેકશન 21મી જાન્યુઆરી 2019ના રોજ સફળતાથી પાર પાડી દીધું હતું, તેને પગલે કાર્ડ ધારકે પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. જ્યાંથી નાણાં ઉપડ્યા હતા એ ધ્રોલ એટીએમ કીઓસ્ક પર પોલીસે વોચ ગોઠવી હતી. પોલીસને તપાસ દરમિયાન એ પણ કડી મળી હતી કે એવા લોકોના રૂપિયા જ એટીએમ માંથી ઉચાપત થઇ રહ્યા હતા જેમણે ચોક્કસ શોપ પરથી જ પીઝા ખાધા હતા. દરમિયાન તા.3જી ફેબ્રુઆરીને રવિવારની મધરાતે ધ્રોલ એટીએમ ખાતે નાણાં ઉપાડવા આવેલા ચારને પોલીસે દબોચી લીધા હતા. પ્રાથમિક પૂછપરછમાં જ ચારેયએ મોડ્સ ઓપરેન્ડી પોલીસને જણાવી દીધી હતી.

કાર્ડ સ્વાઇપ મશીન્સ પરથી કાર્ડ ધારકોનો ડેટા ચોરી લે તેવું સ્કીમર મશીન ભારતમાં ઉપલબ્ધ ન હોય, વિદેશથી ઓનલાઇન મંગાવ્યું હતું

ભેજાબાજ ગુનેગારોએ કસ્ટમર્સના ક્રેડિટ ડેબિટ કાર્ડની ડિટેઇલ્સ ચોરી કરવા માટે આ કોપી મશીન જેને સ્કીમર મશીન્સ તરીકે ઓળખાય છે એ ભારતમાં વેચાતું નથી એટલે તેને ઓનલાઇન ઓર્ડર કરીને મંગાવ્યું હતું. આ પછી પરમાર અને હાડા કોરા એટીએમ કાર્ડને સ્વાઇપ કરીને તેના પર કસ્ટમર્સના કાર્ડની ડિટેઇલ્સ કોપી કરી લેતા હતા.

 

February 3, 2019
ahmedabad_airport-1280x720.jpg
1min5760

દિલ્હી એર ઈન્ડિયા દ્વારા અમદાવાદના એર ઈન્ડિયાના મેનેજરને બોંબ તા.2જી ફેબ્રુઆરી 2019ની રાત્રે દોઢ વાગ્યે ફુટશે એવી માહિતી અપાઈ હતી. એરપોર્ટ પર બોમ્બ હોવાનો મેસેજ મળતા જ સુરક્ષા કર્મચારીઓ સહિતનો સ્ટાફ એલર્ટ કરી દેવાયો હતો, અમદાવાદ પોલીસ કમિશનર સહિત અધિકારીઓ એરપોર્ટ પર ધસી ગયા હતા. કહેવાતા બોંબને શોધવા માટે અમદાવાદ એરપોર્ટનો ખૂણો ખૂણો ખૂંદી કાઢ્યો.

(અમદાવાદ એરપોર્ટ File Photo)

અમદાવાદના ઈન્ટરનેશલ એરપોર્ટ પર બોમ્બ મૂકાયો હોવાનો મેસેજ મળતા ગઇ મોડીરાત્રે અમદાવાદ એરપોર્ટ પર ભારે અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી પ્રમાણે દિલ્હી એર ઈન્ડિયા દ્વારા અમદાવાદના એર ઈન્ડિયાના મેનેજરને આ માહિતી અપાઈ હતી. એરપોર્ટ પર બોમ્બ હોવાનો મેસેજ મળતા જ સુરક્ષા કર્મચારીઓ સહિતને એલર્ટ કરી દેવાયો હતો.

બોંબ મૂકાયાના મેસેજ મળ્યા બાદ એરપોર્ટ ઓથોરિટીએ તાત્કાલિક એરપોર્ટ ખાલી કરાવ્યું હતું.

સિક્યુરિટી સ્ટાફે તાત્કાલિક બોમ્બ સ્ક્વોડની મદદથી એરપોર્ટની ઘનિષ્ઠ તપાસ હાથ ધરી હતી, બોંબ શોધવા માટે અમદાવાદ એરપોર્ટનો ખૂણેખૂણો ખૂંદી કાઢ્યો હતો.

અમદાવાદ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓએ એરપોર્ટ પહોંચીને તપાસ પર નજર રાખી હતી. મળતી માહિતી પ્રમાણે ચિરાગ મહેતાના નામના કોઈ શખ્સે ફોન કરીને એરપોર્ટ પર બોમ્બ હોવાનો મેસેજ આપ્યો હતો. મેસેજ પ્રમાણે 1.30 વાગે બોમ્બ ફૂટવાની ચેતવણી અપાઈ હતી.

આ મેસેજને કારણે એરપોર્ટની સુરક્ષા જડબેસલાક કરી દેવાઈ હતી. દોડધામને કારણે મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સુરક્ષા વધારી દેવામાં આવી હતી.

January 30, 2019
dhfl_logo.jpg
1min7890

ડીએચએફએલના પ્રમોટર્સ વાધવાને લિસ્ટેડ કંપનીઓ પાસેથી મેળવેલી લોનનાં નાણાંનો ઉપયોગ લગભગ ₹4,000 હજાર કરોડોની ઓફશોર એસેટ્સ રચવા અને શ્રીલંકામાં એક ક્રિકેટ ટીમ ખરીદવા માટે કર્યો હતો.

ન્યૂઝ પોર્ટલ કોબ્રાપોસ્ટે દીવાન હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન પર ‘શંકાસ્પદ’ એન્ટિટીઝને ₹31,000 કરોડની લોન આપવાનો આરોપ મૂક્યો છે જે એન્ટિટીઝ તેના પ્રમોટર્સ સાથે સંકળાયેલી હતી અને પ્રમોટર્સ જ આ ફંડના વાસ્તવિક લાભાર્થી હતા. જોકે, કંપનીના ચેરમેન કપિલ વાધવાને કોઈ પણ ગેરરીતિનો ઇનકાર કરીને દાવો કર્યો હતો કે તેમણે બધા કાયદેસરનાં ટ્રાન્ઝેક્શન જ કર્યાં છે.

ન્યૂઝ પોર્ટલ કોબ્રાપોસ્ટે દીવાન હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન પર ‘શંકાસ્પદ’ એન્ટિટીઝને ₹31,000 કરોડની લોન આપવાનો આરોપ મૂક્યો

કોબ્રાપોસ્ટના એડિટર અનિરુદ્ધ બહલે આરોપ મૂક્યો હતો કે, “ડીએચએફએલના પ્રમોટર્સ વાધવાને લિસ્ટેડ કંપનીઓ પાસેથી મેળવેલી લોનનાં નાણાંનો ઉપયોગ લગભગ ₹4,000 હજાર કરોડોની ઓફશોર એસેટ્સ રચવા અને શ્રીલંકામાં એક ક્રિકેટ ટીમ ખરીદવા માટે કર્યો હતો.”

બહલે કહ્યું કે, “અમને જાણવા મળ્યું છે કે કેટલીક શંકાસ્પદ કંપનીઓનો ઉપયોગ કરીને આ ફંડને વાળવામાં આવ્યું હતું.” તેઓ પુન:ચુકવણી કરવાની ક્ષમતા ધરાવતી નથી તેથી તેઓ ડિફોલ્ટ શરૂ કરે તે પહેલાં અમે તેમને વહેલાસર ઓળખી લીધી છે.

આઇએલ એન્ડ એફએસના ડિફોલ્ટના કારણે મોર્ગેજ ધિરાણકાર માટે ફંડનો ખર્ચ વધી ગયા પછી ડીએચએફએલની નાણાકીય સ્થિતિ અંગે સવાલ પેદા થયા છે અને તેના માટે ઋણ લેવાનું મુશ્કેલ બન્યું છે. તેણે લિક્વિડિટી જાળવવા માટે હજારો કરોડ રૂપિયાની એસેટ્સ બેન્કોને વેચવી પડી હતી અને ડિસેમ્બર ક્વાર્ટરમાં તેની લોન ફાળવણીમાં 90 ટકા કરતાં વધારે ઘટાડો થયો હતો.

બહલે દાવો કર્યો હતો કે ડીએચએફએલના પ્રાઇમરી હિસ્સેદાર કપિલ વાધવાન, અરુણા વાધવાન અને ધીરજ વાધવાન સાથે સંકળાયેલી એન્ટિટીઝને સિક્યોર્ડ અને અનસિક્યોર્ડ લોન આપવા માટે જંગી રકમ મંજૂર કરીને એક કૌભાંડ આચરવામાં આવ્યું હતું.

વાધવાને ઇટીને જણાવ્યું હતું કે, “ડીએચએફએલે જેમને લોન આપી તે શેલ કંપનીઓ ન હતી. તે બધી કાયદેસરની લોન હતી અને તેના પર વ્યાજ મળે છે. મને લાગે છે કે આ બધી કાલ્પનિક ઘડી કાઢેલી વાતો છે.”

કોબ્રાપોસ્ટે જણાવ્યું કે તેણે આ શંકાસ્પદ લોન અંગે પબ્લિક રેકોર્ડ અને સરકારી એજન્સીઓની વેબસાઇટ્સ પરથી માહિતી એકત્ર કરી છે. બહલે દાવો કર્યો હતો કે તપાસકર્તા એજન્સીઓ નાણાં ક્યાંથી ક્યાં ગયાં તે વિશે ફોરેન્સિક ઓડિટ કરે ત્યાર પછી જ આ કૌભાંડ કેટલું મોટું છે તેનો અંદાજ કાઢી શકાશે.

પોર્ટલના દાવા પ્રમાણે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા અને બેન્ક ઓફ બરોડા જેવી સરકારી બેન્કોએ ડીએચએફએલને ₹11,000 કરોડ અને ₹4,000 કરોડની એડ્વાન્સ્ડ લોન આપી હતી. તેણે કહ્યું કે કંપનીએ બેન્કો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી ₹90,000 કરોડની લોન લીધી હતી. વાધવાને દાવો કર્યો હતો કે તેમનું એસેટ કવર બમણા કરતાં વધુ છે અને તેની સામે કરવામાં આવેલા આરોપોમાં કોઈ તથ્ય નથી.