યુ.કે.ના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોટે આપેલી માહિતી પ્રમાણે લંડનમાં પંજાબ નેશનલ બેન્ક કૌભાંડના આરોપી નિરવ મોદીની ધરપકડ થઈ છે અને તેના આજે એટલે કે તા.20મી માર્ચ 2019ના રોજ લંડનની વેસ્ટમિન્સ્ટર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાં કોર્ટે તેની જામીન અરજી ફગાવીને તા.29મી માર્ચ સુધી જેલમાં રહેવાનો આદેશ આપ્યો હતો.
ભારતની પંજાબ નેશનલ બેંકમાંથી હજારો રૂપિયાનું ધિરાણ લઇને બાદમાં નાદારી નોંધાવીને વિદેશ ભાગી છૂટેલો નીરવ મોદી આખરે લંડનમાં આજે ઝડપાયો હતો. નીરવ મોદીને તા.20મી માર્ચે બપોરે લંડનની વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટમાં નીરવ મોદી તરફે તેમના વકીલ દ્વારા જામીન અરજી મૂકવામાં આવી હતી પરંતુ, ગણતરીની મિનીટોમાં તેની જામીન અરજી ફગાવાઈ હતી.
વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટે નીરવ મોદી ને આગામી તા.29 માર્ચ સુધી જેલની સજા ફટકારી છે. વધુમાં આ કેસની વધુ સુનવણી એ જ દિવસે એટલે કે તા.29 માર્ચના રોજ હાથ ધરવામાં આવશે. વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટ ભારતમાં તેના પ્રત્યર્પણને લઈને આ મામલે સુનવણી કરશે. જજે કહ્યું કે એ વાતનો પર્યાપ્ત આધાર છે કે જો આરોપીને જામીન પર છોડવામાં આવ્યો તો આત્મસમર્પણ માટે રજૂ નહીં થાય. આ ઘટનાક્રમને નીરવ મોદીને પૂછપરછ માટે ભારત લાવવા અને દરેક આરોપીઓ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની ભારતીય તપાસ એજન્સીઓના પ્રયાસમાં એક મોટી સફળતા માનવામાં આવે છે.
ભારતથી કરોડો રૂપિયા લઈને ભાગેલા નીરવ મોદીએ હવે લંડનમાં જ પોતાનો હીરાનો નવો વેપાર શરૂ કર્યો હોવાની માહિતી બાદ ભારત સરકાર એલર્ટ થઇ હતી અને બાદમાં તેને ઘેરવાના પ્રયાસો શરૂ કર્યા હતા. જેમાં સફળતા સાંપડી છે અને તા.20મી માર્ચે સવારે જ નિરવ મોદીને લંડન ખાતેથી પકડવામાં આવ્યો હતો. એ પૂર્વે યૂકેના એક અખબાર Telegraphએ એક વીડિયો જાહેર કર્યો એ વીડિયોમાં ભારતમાં કૌભાંડ કરીને ભાગેલો 48 વર્ષીય નીરવ મોદી લંડનની રસ્તાઓ પર લુક બદલીને ફરી રહ્યો છે.
ભારતની પહેલ પર ઈંટરપોલે નીરવની સામે રેડ કૉર્નર નોટિસ જાહેર કરી છે. આટલું જ નહીં. આ વીડિયોમાં નીરવ મોદીએ લંડનમાં હીરાનો કારોબાર શરૂ કર્યો હોવાનું પણ બહાર આવ્યું છે.

એ વીડિયોમાં નીરવ મોદી જાડીયો થઇ ગયો હોવાનું જણાય આવે છે અને તેણે આસાનીથી ન ઓળખી શકાય એ પ્રકારનો લુક પણ ધારણ કરી લીધો છે. નિરવ મોદીએ મૂંછો મોટી કરી લીધી છે અને દાઢી પણ વધારી છે.
અંગ્રેજી અખબારે નીરવ મોદીના એક નવા આલિશાન ઘરનો પણ ખુલાસો કર્યો છે. મોદીના આ ત્રણ બેડરૂમ વાળા ઘરની કિંમત 73 કરોડ જણાવવામાં આવી રહી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે મોદીએ પોતાના વ્યવસાયને મે 2018માં પોતાના ઘરથી જ ચાલુ કર્યું.
નીરવ મોદી પંજાબ નેશનલ બેંકના 13 હજાર કરોડ રૂપિયાના ગોટાળામાં મુખ્ય આરોપી છે અને ફરાર ચાલી રહ્યો છે. ભારતીય તપાસ એજન્સીઓએ નીરવ મોદીની સામે રેડ કૉર્નર નોટિસ પણ જાહેર કરી છે. ઈડીએ 15 ફેબ્રુઆરી, 2018ના PMLAના પ્રાવધાનો અંતર્ગત નીરવ મોદી અને અન્ય લોકો સામે મની લૉન્ડ્રિંગનો મામલો દાખલ કર્યો હતો. કથિત રૂપથી નીરવ મોદી, મેહુલ ચોક્સી અને અન્ય લોકોએ પંજાબ નેશનલ બેંકના કેટલાક બેંક અધિકારીઓ સાથે મળીને બેંક સાથે છેતરપિંડી કરી.






















