પોતાને મળેલી સત્તાઓનો દુરુપયોગ કરીને જમીનોના કોઠા કબાડા કરતા આવેલા મહેસુલી અધિકારીઓને અત્યાર સુધી ભાગ્યે જ કોઇ કુકર્મોની સજા મળી હશે. પરંતુ, સુરેન્દ્રનગરથી એવા સમાચાર આવ્યા છે કે જેમાં અધિક કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી જેવા ક્લાસ વન કક્ષાના અધિકારીઓ સમેત અનેક કૌભાંડીઓ સામે સુરેન્દ્રનગરના કલેક્ટર કે. રાજેશએ કાયદેસરની ફરીયાદ નોંધાવતા ગુજરાતના મહેસુલી વિભાગમાં સન્નાટો મચી ગયો છે. કે. રાજેશએ શરૂ કરેલી આ ગતિવિધિનો રેલો આગામી દિવસોમાં ગુજરાતમાં દરેક જિલ્લાઓમાં પ્રસરે તો મહેસુલી વિભાગમાં પેસી ગયેલી ભ્રષ્ટાચારની મથરાવટી સાફ થઇ જાય તેમ છે.
સુરેન્દ્રનગર એન્ટી કરપ્શન પોલિસ સ્ટેશન ખાતે સુરેન્દ્રનગરના કલેક્ટર કે. રાજેશએ ઈ.પી.કો.ની કલમ ૨૧૯,૪૦૯,૪૬૩,૪૭૧,૩૪,૧૨૦-બી, ભ્ર.ની. અઘિ-૧૯૮૮(સુધારો -૨૦૧૮) કલમ ૧૩(૧)-a, ૧૩(૨),૧૨ મુજબ ફરીયાદ નોંધાવી છે. રાજ્યમાં કોઇ કલેક્ટરએ પહેલી વખત ક્લાસ વન અધિકારીઓ સામે ભ્રષ્ટાચાર વિરોધી ધારા હેઠળ ફરીયાદ નોંધાવી હોય તેવા આ કિસ્સામાં સુરેન્દ્રનગરના એડિ. કલેક્ટર (૧) સી.જી.પંડયા, (નિવાસી અધિક કલેક્ટર વર્ગ-૧ (૨) વી. ઝેડ. ચૌહાણ, (નાયબ જીલ્લા વિકાસ અધિ , વર્ગ-૧,) તત્કાલીન પ્રાંત અધિકારી ચોટીલા (૩) જે.એલ. ઘાડવી, (નાયબ મામલતદાર વર્ગ -૩ ) તત્કાલીન ઇન્ચાર્જ મામલતદાર ચોટીલા (૪) જમીન ખાતે કરાવી લાભ મેળવનાર વ્યક્તિઓને આરોપી બનાવતી ફરીયાદ નોંધાવી છે.
ફરીયાદમાં નિર્દેશ કરાયો છે કે સુરેન્દ્રનગર કલેક્ટરેટના ઉચ્ચાધિકારીઓએ પોતાની સમક્ષ ચાલતી જમીન ટોચ મર્યાદા ની ન્યાયિક કાર્યવાહી દરમ્યાન પોતાના હોદ્દાઓ, પોતાને મળેલી સત્તાઓનો દૂરુપયોગ કરી બીનપીયતની જમીનો ખાનગી લોકોના નામે કરી આપવા માટે સેટીંગ કર્યા હતા. મહેસુલી અધિકારીઓએ એક ગુનાહીત કાવતરુ રચી કાયદા વિરુદ્ધ ના હુકમો કરી, સરકારી મિલકત નો દુર્વય્ય કરી જીવાપર તથા બામણબોર ગામ ની જમીન ૩૨૦ એકર ખોટા દસ્તાવેજી પુરાવા ઉભા કરી ખરા તરીકે ઉપયોગ કરી કોર્ટ ના હુકમ નું ખોટુ અર્થધટન કરી લાભ મેળવનારાઓના ખાતે ચડાવી તેઓ ને ગેરકાયદે લાભ પહોંચાડી અધિક કલેક્ટર, તત્કાલિન ડીડીઓ સમેતના અધિકારીઓ, કર્મચારીઓએ હોદ્દા નો દુરઉપયોગ કરી ગુનાહીત ગેરવર્તન આચરી એકબીજા ને મદદગારી કરી સરકારની તિજોરીને રુ ૩,૨૩,૦૩,૫૫૬નો ચૂનો ચોપડ્યો છે.
કે. રાજેશ એ ચાતરેલો ચીલો આગળ વધે તેવી શક્યતાઓ

રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી ખુદ જાહેરમાં ખરખરો કરી ચૂક્યા છે કે રાજયમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર મહેસુલી વિભાગમાં છે. સુરેન્દ્રનગરના કલેક્ટર કે. રાજેશએ આજે ડેપ્યુટી કલેક્ટર કક્ષાના બે ક્લાસવન અધિકારીઓ સામે એસીબીમાં ફરીયાદ કરવાની હિંમત કરીને નવો ચીલો ચાતર્યો છે. મહેસુલી વિભાગમાં એવું નથી કે બધા જ ભ્રષ્ટ છે, કેટલાક પ્રમાણિક, બાહોશ અને હિંમતવાન અધિકારીઓ પણ છે, કે. રાજેશએ આજે ભ્રષ્ટ અધિકારીઓ સામે કરેલી કાર્યવાહીથી પ્રમાણિક અને બાહોશ અધિકારીઓને એવી હિંમત મળશે કે તેઓ પણ તેમના તાબા હેઠળના ભ્રષ્ટ કર્મચારીઓ અધિકારીઓ સામે આગામી દિવસોમાં શિક્ષાત્મક પગલાં ભરશે એમ મનાય છે.
IAS K. Rajesh સુરત જિલ્લા પંચાયતમાં ફરજ બચાવી ચૂક્યા છે
ભ્રષ્ટ ક્લાસ વન મહેસુલી અધિકારીઓ સામે એસીબીમાં ફરીયાદ નોંધાવીને તેમને સસ્પેન્ડ કરી દેનારા સુરેન્દ્રનગરના કલેક્ટર કે. રાજેશ સુરત જિલ્લા પંચાયતમાં ડીડીઓ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. બાહોશ અને હિંમત સાથે કોઇપણ કામ કરતા આ અધિકારી સ્થાનિક સ્તરે બહુ માનીતા બની ગયા હતા. તેમણે તેમના કાર્યકાળમાં અનેક લોકોપયોગી નિર્ણયો લીધા હતા જેના મીઠાં ફળ આજે જિલ્લા પંચાયતના મુલાકાતીઓને મળી રહ્યા છે.