સોનીબજારમાં પેઢી ધરાવતા વેપારીને ત્યાં 13 દિવસ પહેલા જ નોકરીએ રહેલા બંગાળના બે પરપ્રાંતીય કારીગરો રૂ.16.40 લાખની કિંમતનું પ00 ગ્રામ સોનુ લઈને ફરાર થઈ ગયાની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે બન્ને શખસો વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.

(Symbolic photo)
ભક્તિનગર સર્કલ પાસે મયુરપાર્કમાં ધર્મધ્વજ સંકુલ એપાર્ટમેન્ટમાં રહેતા અને સોનીબજારમાં પીપળા શેરીમાં શાંતિ કોમ્પલેકસમાં દુકાન ધરાવતા અને સોની કામ કરતા મનદીપ મનસુખભાઈ રાધનપુરા નામના સોની વેપારીની દુકાનમાં કામ કરતા મૂળ બંગાળના હુગલીના કલ્યાનશ્રી બાલાસર ગામના અને હાલમાં રાજકોટમાં રહેતા પાર્થ ઉર્ફે પ્રસન્નજીત ચક્રવર્તી અને બીશ્વજીત ચક્રવર્તી નામના બન્ને કારીગરો રૂ.16.40 લાખની કિંમતનું પ00 ગ્રામ સોનુ લઈને ફરાર થઈ ગયાની ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને શખસો વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.
વેપારી મનદીપ રાધનપુરાની દુકાનમાં બન્ને બંગાળી કારીગરો તેમજ બાલકૃષ્ણ વાગડિયા કામ કરે છે અને ગત તા.13ના બાલકૃષ્ણભાઈ જમવા ગયા હતા અને છ વાગ્યે પરત આવતા બન્ને કારીગરો જોવા મળ્યા નહોતા. સવારે જ બે વેપારી જયદીપ રાણપરા અને સંદીપ રાણપરાના દાગીના બનાવવાના કામ માટે સોનુ આપ્યું હતું. બપોરે જમીને આવતા દુકાનનું શટર અડધુ ખુલ્લુ હતુ અને બન્ને કારીગરો જોવા મળ્યા નહોતા. બન્ને કારીગરો દુકાનની સામે અંસારીભાઈના મકાનમાં રહેતા હોય પૂછતાછ કરતા બન્ને કારીગરો બપોરના જમીને નીકળી ગયાનું ખુલ્યું હતુ અને દુકાનમાં તપાસ કરતા રૂ.16.40 લાખની કિંમતનું પ00 ગ્રામ સોનુ ચોરીને નાસી છૂટયાનું ખુલ્યું હતું. બન્ને કારીગરો 13 દિવસ પહેલા જ રાજકોટના અલમ શેખ નામના શખસની ઓળખાણથી કામે રહ્યા હતા.
કોમવાદી કોમેન્ટ્સ કરીને આચારસંહિતાનો ભંગ કરવા બદલ કૉંગ્રેસના નેતા અને પંજાબના પ્રધાન નવજોતસિંહ સિદ્ધુ સામે બિહારમાં એફઆઇઆર નોંધવામાં આવી હતી.
મુખ્ય ચૂંટણીપંચ કાર્યાલયે જણાવ્યા અનુસાર ચૂંટણીપંચના ફ્લાઇંગ સ્ક્વોડની ફરિયાદના આધારે કટિહાર જિલ્લાના બારાસોઇ પોલીસ સ્ટેશનમાં સિદ્ધુ સામે એફઆઇઆર નોંધવામાં આવી હતી.
આ મામલે ઇસીઆઇને એક રિપોર્ટ પણ મોકલવામાં આવ્યો છે. આ અગાઉ ભાજપના રાજ્ય યુનિટના અધ્યક્ષ
દેવેશકુમાર સહિત ભાજપના નવ સભ્યના પ્રતિનિધિ મંડળે મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યાલયમાં જઇને આ મામલે એક આવેદન આપીને સિદ્ધુ સામે એફઆઇઆર કરવાની માગણી કરી હતી.
સિદ્ધુએ ચૂંટણી સભામાં મુસ્લિમોને તેઓ આ વિસ્તારમાં બહુમતીમાં હોવાથી એકજૂથ થઇને કૉંગ્રેસને મત આપે તો મોદી સરકારનું કામ તમામ થઇ જાયનું આહવાન કરીને ધર્મના નામે કૉંગ્રેસ માટે મત માગ્યા હતા.
જૂનાગઢમાં નવા નાણાકીય વર્ષના પ્રારંભે જે જીએસટી વિભાગે દરોડો પાડી રૂ.227 કરોડનું બોગસ ઇ-વે બિલનું જંગી કૌભાંડ ઝડપી પાડયું હતું. જે પ્રકરણમાં પોલીસે મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી હતી. જ્યારે પૂછપરછમાં અનેક ચોંકાવનારી માહિતી સામે આવી હતી.

સૌરાષ્ટ્રના ગોંડલ અને ભાવનગરમાં કરોડોનું બોગસ બિલીંગ કૌભાંડ પકડાયા બાદ જીએસટી વિભાગની ટીમે નવા નાણાકીય વર્ષના પ્રારંભે જૂનાગઢમાં ખાદ્યતેલની 9 પેઢીઓ પર દરોડા પાડયા હતા. જે પ્રકરણમાં તપાસ કરાતા કુલ રૂ.227 કરોડનું બોગસ ઇ-વે બિલનું જંગી કૌભાંડ પકડાયું હતું. આ કામગીરી બાદ જીએસટી તંત્રએ આ કૌભાંડના માસ્ટર માઇન્ડને પકડવા કવાયત હાથ ધરી હતી જે દિલીપ મોહનભાઇ સેજપાલ હોવાનું ખુલતા તેની ધરપકડ કરી જેલ હવાલે કરાયો હતો. જીએસટી વિભાગના સૂત્રોએ જણાવ્યું કે આરેપી દિલીપ સેજપાલે જૂનાગઢ અને આજુબાજુના વિસ્તારોના મજૂરી કામ કરતા અને નાના વેપાર ધંધો કરતા વ્યક્તિઓ પાસેથી પાન કાર્ડ, આધાર કાર્ડ અને બેંકની વિગતો મેળવી લીધી હતી.
બાદમાં તેનો દુરૂપયોગ કરી જૂનાગઢમાં કુલ નવ પેઢીઓ ઉભી કરી હતી. આટલું જ નહીં તેણે આજ વ્યક્તિઓના મેળવેલા પુરાવાઓનો દુરઉપયોગ કરીને ગુજરાત રાજ્ય બહાર પણ બીજા 11 રાજ્યોમાં કુલ 15 પેઢીઓ ઉભી કરી જીએસટી નંબર મેળવી લીધા હતા. દિલીપ સેજપાલ દ્વારા કુલ રૂ.227 કરોડના ઇ-વે બીલ જનરેટ કરીને ગુજરાત રાજ્ય બહાર સીંગદાણા અને ધાણાનો માલ મોકલવામાં પણ ભૂમિકા ભજવી હતી. જેમાં કુલ 11 કરોડ જેટલા વેરાની રકમ સંડોવાયેલી છે. ઉલ્લેખનીય છે કે, જીએસટી તંત્ર દ્વારા ગઇતા.પાંચના તમામ નવ સ્થળોએ તપાસ કરાઇ હતી ત્યારે આરોપી દિલીપ સેજપાલ ફરાર હતો. જેથી જૂનાગઢમાં તેના રહેણાનક સ્થળને સીલ કરી એસઆરપી મુકી દેવાઇ હતી. ત્યારબાદ તે તપાસ અધિકારી સમક્ષ હાજર તેના નિવેદનો લઇ આ કૌભાંડમાં તેની ધરપકડ કરાઇ હતી.
મજૂરો અને નાના ધંધાર્થી પાસેથી પાનકાર્ડ સહિતની માહિતી મેળવી હતી
જીએસટી વિભાગના સૂત્રોએ જણાવ્યું કે આરોપી દિલીપે જૂનાગઢ અને આજુબાજુના વિસ્તારોમાં મજૂરી કામ અને નાના વેપાર ધંધો કરતા લોકો પાસેથી પાનકાર્ડ, આધાર કાર્ડ અને બેંકની વિગતો મેળવીને જૂનાગઢમાં નવ બોગસ પેઢીઓ ઉભી કરી હતી. આ લોકો પાસેથી લોનની લાલચ આપી વિગતો મેળવી હોવાનું જાણવા મળ્યું છે.

દેવેન્દ્ર, કુલદીપ, અભિલવ અને સંજય કારમાં અને અન્ય મિત્રો બાઇક પર ગોલાવાળાને ત્યાં પહોંચ્યા હતા. ગોલાવાળાની દુકાનની સામે ઓવરબ્રિજ નીચે બીજા સાત આઠ લોકો બેઠા હતા. બ્રિજ નીચે બેઠેલા લોકોએ ઉંચા અવાજે દેકારો શરૂ કરી ગાળો બોલવાનું શરૂ કર્યું હતું. આ શખસો અમને જોઇને દેકારો કરીને ગાળો બોલતા હોવાનું જણાતા દેવેન્દ્ર, કુલદીપ અને અભિલવ એ શખસોને સમજાવવા જતા બોલાચાલી થઈ હતી. એ શખસોએ કુલદીપ અને અભિલવને ધક્કો મારીને ગાળો દીધી હતી. આથી ઝઘડો કરવો હોય તો જેને બોલાવવા હોય તેને બોલાવી લેવાનું કહ્યું હતું. એ પછી કુલદીપ સહિત ત્રણેયની તેની કાર પાસે ગયા હતા. અભિલવે તેના મિત્ર યશપાલને ફોન કરીને ઝઘડાની વાત કરી હતી. યશપાલે તમારે જેની સાથે ઝઘડો થયો છે તેમાંથી એકનો ફોન આવે છે. એ મને પણ ઓળખે છે. આથી તમે કોઇ ઝઘડો કરતા નહીં. હું આવું જ છું અને તમારી વચ્ચે સમાધાન કરાવી દઉં છું. એ પછી સામે બેઠેલા શખસોએ ફરી ગાળો બોલવાનું શરૂ કર્યું હતું. ફરી એ શખસો પાસે જતાં એક શખસે છરી કાઢીને અભિલવના પડખામાં મારી દીધી હતી. આથી દેવેન્દ્ર સહિતના લોકો ભાગ્યા હતા અને તેનો પીછો કરીને કુલદીપને ઝડપી લઇને છરીના ઘા પેટ, ગળા, હાથમાં મારી દીધા હતા. એ પછી અભિલવની છાતી અને હાથમાં છરી મારી દેવામાં આવી હતી. આ દેકારો થતાં અન્ય લોકો એકત્ર થઈ જતાં હુમલાખોર સ્કોડા કાર સહિતનાં વાહનમાં નાસી ગયા હતા. ઇજાગ્રસ્ત કુલદીપ ખવડ અને અભિલવ ખાચરને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં કુલદીપનું મૃત્યુ થતાં બનાવ ખૂનમાં પરિણમ્યો હતો. બાદમાં યશપાલે હુમલો કરનાર અર્જુનસિંહ ચૌહાણ, હિરેન ખેરડિયા, વિજય ડાંગર સહિતના શખસો હોવાનું જણાવ્યું હતું. આ વિગતના આધારે દેવેન્દ્ર ઉર્ફે બાઉ ધાંધલે ફરિયાદ નોંધાવી હતી. ખૂન અને ખૂનની કોશિશની જાણ થતાં પોલીસ કાફલો બનાવ સ્થળે અને હોસ્પિટલે પહોંચી ગયો હતો. પોલીસની તપાસમાં વિજય ડાંગર અને હિરેન ખેરડિયા પોલીસમેન હોવાનું ખુલ્યું હતું. વિજય પ્રદ્યુમનનગર પોલીસ અને હિરેન ટ્રાફિક શાખામાં પોલીસમેન હોવાનું ખુલ્યું હતું. પોલીસે એ બન્ને પોલીસમેન સહિત સાત શખસને ઝડપી લેવા દરોડાનો દોર શરૂ કર્યો હતો પણ કોઇની ભાળ મળી ન હતી.
મૃતક કુલદીપ ખવડ બે બહેનનો એકનો એક ભાઈ હોવાનું અને તેની સગાઇ બે-અઢી વર્ષ પહેલા બોટાદનાં તરઘડાગામે રહેતાં તેના મામાની દીકરી સાથે કરવામાં આવી હતી. ટૂંક સમયમાં તેના લગ્ન લેવાના હતા. વિધવા માતાના પુત્ર અને હુમલામાં ગંભીર રીતે ઘવાયેલ અભિલવ ખાચરના ત્રણ માસ પહેલા જ લગ્ન થયા છે. તે પરિવારનો એકનો એક આધાર સ્તંભ જેવો છે. જસદણના યુવાનની હત્યા અને તેના મિત્ર પર ખૂની હુમલો કરવાના બનાવ અંગે પોલીસે એ વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજ કબજે લીધા હતા.

છત્તીસગઢ રાજ્યના દાંતેવાડા જિલ્લામાં મંગળવારે નક્સલવાદીઓ દ્વારા કરવામાં આવેલા ભાજપના વિધાનસભ્ય ભીમા માંડવી અને તેમના ચાર સુરક્ષા કર્મચારીઓના મૃત્યુ થયા હતા.
પોલીસે આપેલી માહિતી મુજબ આ બનાવ શ્યામાગિરિ હિલ્સ નામના વિસ્તારમાં બન્યો હતો. ભીમા તેમના કાફલા સાથે બાચેલી વિસ્તારના કુવાકૉન્ડા તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે તેમના પર નક્સલવાદીઓએ હુમલો કર્યો હતો. આ ઘટના રાજ્યના પાટનગર રાયપુરથી 450 કિલોમીટર દૂર બની હતી.
નક્સલવાદીઓએ આઇઇડી (ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝીવ ડિવાઇસ)ના વિસ્ફોટના વિધાનસભ્યના કાફલાના મુખ્ય વાહનને ઉડાવી દીધું હતું તેમ જ એ વાહનમાં બેઠેલાઓ પર ગોળીબાર કર્યો હતો જેમાં વિધાનસભ્ય તથા તેમના ચાર સિક્યૉરિટી કર્મચારીઓ માર્યા ગયા હતા.
સલામતી દળો તરત જ ઘટનાસ્થળે દોડી ગયા હતા. સ્થાનિક ટીવી ચૅનલોએ આ ગોઝારી ઘટનાની તસવીરો પ્રસારિત કરી હતી. તસવીરો મુજબ ગાઢ જંગલની નજીકના રસ્તા પર વાહનના ચૂરેચૂરા થઈ ગયા હતા અને પ્રચંડ આઇઇડી બ્લાસ્ટને કારણે રસ્તા પર ખાડો પડી ગયો હતો.

આવો જ એક હુમલો મે, 2013માં વિધાનસભાની ચૂંટણી પૂર્વે બસ્તર જિલ્લામાં થયો હતો જેમાં કૉંગ્રેસના નેતા મહેન્દ્ર કર્મા તેમ જ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન વી. સી. શુક્લા સહિત 27 જણાના મૃત્યુ થયા હતા.
ગયા વર્ષે નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં દાંતેવાડામાં કરવામાં આવેલા હુમલામાં સીઆઇએસએફના કર્મચારીઓ તથા ત્રણ નાગરિકો મૃત્યુ પામ્યા હતા. એ બનાવમાં આઇઇડીના વિસ્ફોટની મદદથી નક્સલવાદીઓએ એક બસને ઉડાવી દીધી હતી.
દાંતેવાડા વિસ્તાર લોકસભાના બસ્તર મતદારક્ષેત્રમાં છે અને ત્યાં આવતી કાલે પ્રથમ તબક્કામાં જ મતદાન થવાનું છે. દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હુમલાઓને આકરા શબ્દોમાં વખોડી કાઢ્યા હતા. તેમણે અટૅકમાં ભોગ બનેલાઓના પરિવારજનોને આ આપત્તિના સમયનો સામનો કરવાની ઇશ્ર્વર શક્તિ આપે એવી પ્રાર્થના કરી હતી.
કૉંગ્રેસે પણ મંગળવારે દાંતેવાડાના હુમલાને વખોડી કાઢ્યો હતો. પક્ષ-પ્રમુખ રાહુલ ગાંધીએ આ ઘટનાને ‘અત્યંત કરુણ’ ગણાવી હતી. તેમણે ટ્વીટ કર્યું હતું કે ‘આ હુમલામાં ભોગ બનેલા સદગતના આત્માને શાંતિ મળે અને તેમના પરિવારજનોને આ આપત્તિના સમયનો સામનો કરવાની શક્તિ મળે એવી હું ઇશ્ર્વરને પ્રાર્થના કરું છું.’
ભાવનગરના સિન્ધુનગર રસાલા કેમ્પમાં રહેતા અને શાકમાર્કેટમાં શાકભાજીના હોલસેલ વેપાર સાથે સંકળાયેલા સિંધી વેપારી વિજયભાઈ ગુરુમુખભાઈ સાહિત્યના પુત્ર ચિરાગ વિજયભાઇ સાહિત્ય (ઉ.વ.૧૬) વાળાનું રસાલા કેમ્પ ખાતેથી અપહરણ કરવામાં આવ્યું હતું. પોલીસે ગણતરીના કલાકોમાં કેસ ઉકેલી નાંખતા અપહ્યતને હેમખેમ છોડાવ્યો અને અપહરણકર્તાઓને ઝડપી પાડ્યા હતા.
અપહરણ કર્યા બાદ વેપારીના દિકરા ચિરાગના મોબાઇલ ફોન ઉપરથી એક કરોડની ખંડણી ચિરાગના પિતા વિજયભાઇ પાસે માંગી હતી. વિજયભાઈએ પોલીસને આ બાબતથી વાકેફ કર્યા હતા.
કેસની ગંભીરતાને ધ્યાને લઈ નાયબ મહાનિરીક્ષક તથા ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક તથા નાયબ પો.અધિ.ના માર્ગદર્શન હેઠળ અપહૃત બાળકના અપહરણકર્તાઓને પકડી પાડવા ભાવનગર નીલમબાગ પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. તથા એલ.સી.બી તથા એસ.ઓ.જી. શાખા વગેરેને સૂચના આપવામાં આવી હતી.
ભાવનગર પોલીસે સંકલન સાધતા ટેકનિકલ સેલ તથા બાતમીદારોથી મળેલી માહિતીઓના આધારે, નીલમબાગ પોલીસ, તથા લોકલ ક્રાઇમ બ્રાંચ તથા એસ.ઓ.જી. દ્વારા સંકલનથી જુદી જુદી ટીમો બનાવી હતી.
પોલીસે સરદારનગર સીન્ધુનગર ખાતે નવજુવાન મંડળ પાસે જમણવારમાં અપહૃત બાળકના અપહરણકર્તાઓ હોવાની હકીકત મળતા પોલીસે ઘટના સ્થળે ધસી જઇને રેડ કરી હતી. જેમાં નવજુવાન મંડળથી અપહરણકર્તાઓને ઝડપી પાડ્યા હતા જેમાં અપહરણકર્તા જયેશ મુલચંદભાઇ ચેતવાણી (ઉ. વ. ૨૨) તથા કિશન અશોક લોયડા (ઉ. વ. ૨૧) તથા પ્રશાંત ઉર્ફ પ્રભુ ભુદેવ રસિકભાઈ પાઠક (ઉ. વ.૩૨) તથા મોહિત મનોજભાઈ ગેહીજા ભાવનગરવાળાઓની આ ગુનામાં ધરપકડ કરી, નીલમબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે આગળની તપાસ હાથ ધરી હતી. આમ પોલીસે અપહરણકર્તાઓને ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધા હતા.