CIA ALERT

બિઝનેસ Archives - Page 26 of 90 - CIA Live

November 25, 2021
Cia_business_news-1280x936.jpg
1min583

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના લિડરશીપમાં સુરતના વીવીંગ ઉદ્યોગકારોના જુદા જુદા સંગઠનો દ્વારા છેલ્લા બે મહિનાથી ચલાવવામાં આવેલી પોલીએસ્ટર સ્પન યાર્ન પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાગૂ નહીં કરવા સંદર્ભની લડત રંગ લાવી છે અને હવે એ વાત નિશ્ચિત બની ચૂકી છે કે આખા ભારતના વીવીંગ ઉદ્યોગકારો પૈકી સુરતના વીવર્સ જેનો સૌથી વધુ ઉપયોગ કરે છે એ પોલિએસ્ટર સ્પન યાર્ન પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાડવાની કેન્દ્ર સરકારની કોઇ યોજના નથી.

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની રજૂઆત તથા ટેકસટાઇલ મંત્રી પીયુષ ગોયલ અને ટેકસટાઇલ રાજ્ય મંત્રી દર્શના જરદોશના અથાગ પ્રયત્નને કારણે પોલિએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી નહીં લાગતા વિવિંગ – નિટીંગ ઇન્ડસ્ટ્રીને મોટી રાહત

ભારતમાં ચાઇના, ઇન્ડોનેશિયા અને વિયેતનામથી આયાત થતા પોલિએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી લગાવવા માટે ડીજીટીઆર દ્વારા ભલામણ થઇ હતી. ૧૮ નવેમ્બર, ર૦ર૧ના રોજ પોલિએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી લગાવવાની ડેડલાઇન પૂરી થઇ, નાણાં મંત્રાલય તરફથી નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું નહીં

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ આશીષ ગુજરાતી જણાવે છે કે, ડીજીટીઆર દ્વારા તા. ૧૯ ઓગષ્ટ, ર૦ર૧ના રોજ ભારતમાં ચાઇના, ઇન્ડોનેશિયા અને વિયેતનામથી આયાત થતા પોલિએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી લગાવવા માટે ભલામણ કરવામાં આવી હતી. જેના વિરોધમાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ફિઆસ્વી દ્વારા ભારત સરકારના કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, ટેકસટાઇલ્સ, કન્ઝયુમર અફેર્સ અને ફૂડ એન્ડ પબ્લીક ડિસ્ટ્રીબ્યુશન મંત્રી પીયુષ ગોયલ, દેશના ટેકસટાઇલ અને રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશ, ટેકસટાઇલ સેક્રેટરી ઉપેન્દ્ર પ્રસાદ સિંગ અને ટેકસટાઇલ કમિશનર રૂપ રાશીને પોલિએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી નહીં લાગે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

ચેમ્બર પ્રેસિડેન્ટ આશિષ ગુજરાતી, વાઇસ પ્રેસિડેન્ટ હિમાંશુ બોડાવાલા, ફિયાસ્વીના ચેરમેન ભરત ગાંધી, અગ્રણી મયુર ગોળવાલા વગેરેએ કેન્દ્ર સરકાર સમક્ષ અસરકારક રીતે રજૂઆતો કરીને પોલીએસ્ટર સ્પન યાર્ન પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાગૂ કરવાની ભલામણનો પૂરજોશથી વિરોધ કર્યો હતો

દરમ્યાન તા. ૮ નવેમ્બર, ર૦ર૧ના રોજ નવી દિલ્હી ખાતે ટેકસટાઇલ સેક્રેટરી ઉપેન્દ્ર પ્રસાદ સિંગ દ્વારા એક ખાસ મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતી અને પાંડેસરા વિવર્સ કો–ઓપરેટીવ સોસાયટી તરફથી મયુર ગોળવાલા તથા ડીજીટીઆરમાં આ અંગે અરજી કરનારા આઠ મેન્યુફેકચરર્સ પણ ઉપસ્થિત રહયા હતા. ચેમ્બર દ્વારા પોલિએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી નહીં લાગે તે સંદર્ભે તમામ પાસાઓ રજૂ કરવામાં આવ્યા હતા.

મિટીંગના અંતે ચેમ્બરે, અધિકારીઓ અને એન્ટી ડમ્પીંગ ડયૂટી લગાવવા માટે અરજી કરનારાઓને પોલિએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી નહીં લાગે તે માટે સહમત કર્યા હતા. તા. ૧૮ નવેમ્બર, ર૦ર૧ના રોજ પોલિએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી લગાવવાની ડેડલાઇન પૂરી થતી હતી. કસ્ટમના નિયમ અનુસાર ડીજીટીઆરનું ફાઇનલ ફાઇન્ડીંગ રજૂ થયાના ત્રણ મહિનાની અંદર નાણાં મંત્રાલય દ્વારા કાર્યવાહી કરી નોટિફિકેશન બહાર પાડવામાં આવે છે. પરંતુ આ સંદર્ભે ત્રણ મહિના વિતિ ગયા બાદ પણ નાણાં મંત્રાલય દ્વારા કોઇ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું નથી. એનો સીધો મતલબ એ થાય છે કે પોલિએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી લગાવવામાં આવી નથી.

ચેમ્બર તથા ફિઆસ્વીની સતત રજૂઆતો તથા મંત્રી દર્શના જરદોશના અથાગ પ્રયાસોને કારણે પોલિએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી નહીં લાગતા વિવિંગ અને નિટીંગ ઉદ્યોગને ઘણી મોટી રાહત થઇ છે. આથી ચેમ્બરના સૂચનોને ધ્યાનમાં લેવા માટે ચેમ્બર દ્વારા કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલ, રાજ્ય મંત્રી દર્શના જરદોશ, ટેકસટાઇલ સેક્રેટરી ઉપેન્દ્ર પ્રસાદ સિંગ અને ટેકસટાઇલ કમિશનર રૂપ રાશીનો આભાર માનવામાં આવ્યો હતો.

November 23, 2021
cia_multi-1280x1045.jpg
1min409

સરીન આંતર રાષ્ટ્રીયસ્તરની કંપની છે, તેણે બનાવેલા સોફ્ટવેરથી હીરા કટ-પોલિશનું કામ આસાનીથી થઇ શકે છે, રૂદ્ર ડાયમે પાઇરેડેટ વર્ઝનનો વપરાશ શરૂ કરી દીધો હતો

Jayesh Brahmbhatt (cialive@yahoo.com)

હીરા ઉદ્યોગમાં હાલ એવા અનેક પાયરેટેડ સોફ્ટવેરનો ઉપયોગ બેફામ થઇ રહ્યો છે જેનાથી હીરા કટ એન્ડ પોલીશનું કામ બિલકુલ સરળતાથી થઇ શકે છે. આવો જ એક વૈશ્વિક સ્વીકૃતિ પામેલો સોફ્ટવેર ઇઝરાયેલ બેઝ કંપની સરીન દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે, સરીનના ડાયમંડ સોફ્ટવેરનું પાઇરેટેડ વર્ઝનનો ઉપયોગ સુરતમાં થઇ રહ્યો છે તેવી માહિતી મળતા સરીન કંપનીએ ચલાવેલી તપાસમાં સુરતની હીરા પેઢી રૂદ્ર ડાયમ દ્વારા ગેરકાનૂની રીતે સરીન ડાયમંડ સોફ્ટવેયરનો ઉપયોગ કરાતો હતો, જેની સામે કોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો. આ કેસના હિયરિંગમાં કોર્ટે રૂદ્ર ડાયમ પર સરીનના સોફ્ટવેરના વપરાશ પર પ્રતિબંધ લાદ્યો છે.

સુરતમાં જેટલો હીરા ઉદ્યોગનો વિકાસ થયો છે તેટલો વિશ્વમાં ક્યાંય નથી પામ્યો. હીરા ઉદ્યોગમાં વિકાસની સાથે નેચરલ ડાયમંડની આડમાં સિન્થેટિક ડાયમંડ, લેબગ્રોન ડાયમંડ અગાઉ પધરાવી દેવાના પણ બનાવો બન્યા અને હવે ડાયમંડ કટ એન્ડ પોલીસિંગના કામમાં અત્યંત ઉપયોગી એવા કમ્પ્યુટરના સોફ્ટવેરની પણ પાઇરેસી માટે સુરત બદનામ થઇ રહ્યું છે. હીરા ઉદ્યોગમાં ઇઝરાયેલ બેઝ કંપની સરીન દ્વારા કેટલાક સોફ્ટવેયર તૈયાર કરવામાં આવ્યા છે જેનાથી હીરામાં કટ તથા પોલીશ કરવાનું કામ અત્યંત સરળ રીતે, સંપૂર્ણ રીતે અને ઓછી નુકસાનીથી થાય છે.

સરીન કંપનીને જાણમાં આવ્યું હતું કે સુરતમાં કેટલીક હીરા પેઢીઓમાં તેમના સોફ્ટવેરનો ગેરકાનૂની રીતે પાઇરેટેડ વર્ઝનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કંપનીએ કરેલી પ્રાથમિક તપાસમાં સુરતની હીરા પેઢી રૂદ્ર ડાયમ દ્વારા સરીનના પાઇરેટેડ સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું જણાતા સરીન કંપનીએ સુરતની કોર્ટમાં કેસ કર્યો હતો. જેના હિયરીંગમાં કોર્ટ દ્વારા રૂદ્ર ડાયમ કંપની પર એવો કાયમી પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે કે તેઓ સીધી કે આડકતરી રીતે સરીનના કોઇપણ સોફ્ટવેરનો કોઇપણ રીતે ઉપયોગ કરી શકશે નહીં.

કંપનીએ આ પ્રકારે પાઇરેટેડ સોફ્ટવેરનો વપરાશ કરતા અન્ય લોકોને પણ ચેતવણી આપી છે.

November 23, 2021
relience.png
1min359

મુકેશ અંબાણીની માલિકીની દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરના ભાવમાં સોમવારે 4 ટકાનો ઘટાડો થયો. તેનાથી કંપનીની માર્કેટ કેપ લગભગ 9 અબજ ડોલર એટલે કે 66,000 કરોડ રૂપિયા ઘટી ગઈ. કંપનીએ સાઉદી અરામકો સાથેની 15 અબજ ડોલરની પ્રસ્તાવિત ડીલ રદ કરી દીધી છે. તેનાથી રોકાણકારોની ધારણા પ્રભાવિત થઈ અને રિલાયન્સના શેરના ભાવમાં ઘટાડો આવ્યો.

બીએસઈ પર કંપનીનો શેર 4.22 ટકાના ઘટાડા સાથે 2,368.20 રૂપિયા પર પહોંચી ગયો હતો. આ કિંમત પર કંપનીની માર્કેટ કેપ 66,000 કરોડ રૂપિયા ઘટી ગઈ. જોકે, એનાલિસ્ટ્સએ કંપનીના પ્રાઈસ ટાર્ગેટમાં કોઈ ફેરફાર નથી કર્યો. કંપની એનર્જી અને નવા કોમર્સ બિઝનેસમાં ઉતરવા ઈચ્છે છે. જાણકારોનું કહેવું છે કે, સારી બેલેન્સ શીટ અને આગામી કેટલાક વર્ષો દરમિયાન મળનારા કેશથી કંપનીને કોઈ મુશ્કેલી નહીં પડે.

ક્રેડિટ સ્યુસેએ રિલાયન્સના શેરને ન્યૂટ્રલ રેટિંગ આપી રાખ્યું છે. તેનું કહેવું છે કે, સાઉદી અરામકોની સાથે ડીલ રિલાયન્સ માટે કેટાલિસ્ટનું કામ કરી રહી હતી. અરામકોના ચેરમેનને રિલાયન્સના બોર્ડમાં સામેલ કરાયા હતા અને માનવામાં આવી રહ્યું હતું કે, આ સોદો ફાઈનલ થઈ જશે. રોકાણકારોના મનમાં માત્ર એ સવાલ હતો કે, આ ડીલ સંપૂર્ણ રીતે કેશમાં થશે કે કેશ અને સ્ટોક ડીલ હશે. એ જ કારણ છે કે, કંપનીના ખુલાસાથી રોકાણકારોની ધારણા પ્રભાવિત થઈ.

રિલાયન્સના ઓટુસી બિઝનેસનું વેલ્યુએશન 75 અબજ ડોલર માનવામાં આવી રહ્યું હતું, પરંતુ હવે તેમાં ફેરફાર થઈ શકે છે. જેફરીઝએ તેનું વેલ્યુએશન 70 અબજ ડોલર કરી દીધું છે અને સાથે જ સ્ટોકના ટાર્ગેટ પ્રાઈસમાં 4 ટકાનો ઘટાડો કરી દીધો છે જોકે, બ્રોકરેજે સ્પષ્ટ કર્યું છે કે, અરામકો-રિલાયન્સ ડીલ રદ થવાથી કંપનીની બેલેન્સ શીટ પર કોઈ ફરક નહીં પડે. કંપનીની પાસે નવો બિઝનેસ શરૂ કરવા માટે પૂરતું ફંડ છે.

November 18, 2021
PAYTM-IPO.jpg
1min375

દેશના સૌથી મોટા ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ Paytm ની પેરેન્ટ કંપની One 97 Communications કંપનીનો શેર આજે તા.18મી નવેમ્બર 2021ના રોજ ભારતીય શેરબજારમાં લિસ્ટ થયો હતો. 9 ટકા ડિસ્કાઉન્ટ એટલે કે પ્રતિ શેર 195ની નુકસાની સાથે લિસ્ટ થયા પછી પણ આખો દિવસ આ શેરમાં ભંગાણ પડવાનું ચાલુ રહ્યું હતું અને બપોરે સાડાત્રણ વાગ્યે માર્કેટ બંધ થયું ત્યારે 26 ટકા જેટલો તૂટ્યો હતો. રોકાણકારોને આ શેર સારું વળતર આપશે તેવો આશાવાદ હતો.

ડિસ્કાઉન્ટ ભાવે લિસ્ટ થયા બાદ પેટીએમના શેરમાં ઘટાડો ચાલુ રહ્યો હતો. ઇન્ડ્રા ડેમાં આ શેર BSE પર ઘટીને 1,586 રૂપિયાના સ્તર પર પહોંચી ગયો હતો. સવારે 11:45 વાગ્યે પેટીએમનો શેર BSE પર 1,655 રૂપિયાના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. જ્યારે NSE પર શેર 1,626 રૂપિયા આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો. 11:45 વાગ્યે પેટીએમનો શેર આશરે 24%ના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો હતો. કંપનીના શેર માટે લોઅર સર્કિટ 30% એટલે કે 1,564 રૂપિયા છે.

ભારતના સૌથી મોટા ગણાવાયેલા પેટીએમ આઇપીઓ માટે જે કહેવાયું તેનાથી વિપરીત અને લિસ્ટીંગના દિવસે કમાણીની આશા રાખનારા રોકાણકારોને આંચકો લાગ્યો છે.

Reported @ 10.30 am :પ્રતિ શેર રૂ.195નું નુકસાન સાથે લિસ્ટ થયો, ઇન્વેસ્ટર્શે ખરી ખોટી સંભળાવી

બોમ્બે સ્ટોક એક્ષચેન્જ પર પેટીએમનો શેર રૂ. 1955 એટલે કે 9.07 ટકાના ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટ થયો હતો. તેની ઈશ્યુ કિંમત 2150 રૂપિયા હતી. ઇન્વેસ્ટરને એક શેર પર 195 રૂપિયાનું નુકસાન થયું હતું. લિસ્ટિંગ બાદ શરૂઆતી કારોબારમાં તે ઘટીને રૂ. 1777.50 થયો હતો.

પીટીએમનો આઇપીઓ રૂ. 18,300 કરોડની જંગી કિંમતનો હોવાનો પ્રચાર ખૂબ જોરશોરથી ચાલ્યો હતો અને તેનું લિસ્ટંગ 10થી 15 ટકા ઉંચું આવશે તેવી પણ વાતો ફેલાઇ હતી. જોકે આજે લિસ્ટીંગના દિવસે પ્રતિસાદ મળ્યો ન હતો અને ગ્રે માર્કેટમાં તેનું પ્રીમિયમ સતત ઘટી રહ્યું હતું.

આ વર્ષે લિસ્ટ થનારી તે 49મી કંપની છે. Paytmનો IPO દેશમાં અત્યાર સુધીનો સૌથી મોટો IPO હતો. 18,300 કરોડના આ IPOને અપેક્ષિત પ્રતિસાદ મળ્યો નથી. તેને કુલ 1.89 ગણી બિડ મળી હતી. તે 8 નવેમ્બરે ખુલ્યો અને 10 નવેમ્બરે બંધ થયો હતો. તેને QIB કેટેગરીમાં 2.79 ગણી અને રિટેલ રોકાણકારોની શ્રેણીમાં 1.66 ગણી બિડ મળી હતી.

November 15, 2021
sigachi.png
1min688

સિગાચી ઈન્ડસ્ટ્રીઝના શેર્સનું આજે સ્ટેક એક્સચેન્જમાં લિસ્ટિંગ થયું છે અને તેણે તમામ રેકોર્ડ્સ તોડી દીધા છે. સિગાચી ઈન્ડસ્ટ્રીઝના શેર્સ બીએસઈ ખાતે 252.76 ટકાના પ્રીમિયમ સાથે લિસ્ટિંગ થયા છે. તેની ઈસ્યુ પ્રાઈઝ 163 રૂપિયા હતી અને બીએસઈ ખાતે તે 570 રૂપિયા સાથે લિસ્ટિંગ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) પર તે 570 રૂપિયા પ્રતિ શેર પર લિસ્ટિંગ થયો છે.

સિગાચીનો ઈન્ડસ્ટ્રીઝનો આઈપીઓ 1થી 3 નવેમ્બર દરમિયાન સબસ્ક્રાઈબ માટે ઓપન થયો હતો. કંપનીએ આ આઈપીઓ દ્વારા 125.43 કરોડ રૂપિયા એકત્રિત કર્યા છે. તેની ઈસ્યુ પ્રાઈઝ 161-163 રૂપિયા પ્રતિ શેર હતી.

લિસ્ટિંગના 24 કલાક અગાઉ ગ્રે માર્કેટમાં તેનું તડગું પ્રીમિયમ બોલાઈ રહ્યું હતું. ગ્રે માર્કેટમાં તેનું પ્રીમિયમ 220-230 રૂપિયા બોલાઈ રહ્યું હતું. રોકાણકારો તરફથી પણ આ ઈસ્યુને અદ્દભુત પ્રતિસાત મળ્યો હતો અને તે 120 ગણો ભરાઈ ગયો હતો.

સિગાચી ઈન્ડસ્ટ્રીઝના લિસ્ટિંગને લઈને રોકાણકારો ઉપરાંત નિષ્ણાતો પણ આતુર હતા. એનાલિસ્ટોએ અપેક્ષા રાખી હતી કે હૈદરબાદાની માઈક્રોક્રિસ્ટલલાઈન સેલ્યુલોસ (એમસીસી) બનાવતી કંપની બીજી પારસ ડિફેન્સ ટેક્નોલોજીસ સાબિત થઈ શકે છે. જોકે, આ કંપનીએ તો પારસ ડિફેન્સનો પણ રેકોર્ડ તોડી દીધો છે જેનું લિસ્ટિંગ 175 ટકાના પ્રીમિયમે થયું હતું.

એમસીસી ફાર્માસ્યુટિકલ, ફૂડ, ન્યુટ્રાસ્યુટિકલ્સ અને કોમ્સેટિક્સ ઈન્ડસ્ટ્રીઝમાં ઉપયોગમાં લેવામાં આવે છે. સિગાચીના ત્રણ પ્લાન્ટ છે જેમાંથી એક હૈદરાબાદમાં અને બાકીના બે ગુજરાતમાં છે. સિગાચીના શેર્સનું 220 રૂપિયા પ્રતિ શેરના પ્રીમિયમે લિસ્ટિંગ થશે તેવું ગ્રે માર્કેટમાં બોલાઈ રહ્યું છે જે તેના ઈસ્યુ પ્રાઈઝ 163 રૂપિયાથી 135 ટકા વધારે છે.

ગ્રે માર્કેટને ટ્રેક કરી રહેલા ડીલર્સે જણાવ્યું હતું કે, કંપનીના ફન્ડામેન્ટલ્સ ઘણા જ મજબૂત છે તથા ગ્રોથ પણ ઘણો જ મજબૂત છે. આ ઉપરાંત તેનું વેલ્યુએશન પણ યોગ્ય છે. અનલિસ્ટેડઅરેનાના કો-ફાઉન્ડર અભય દોષીએ જણાવ્યું હતું કે, ઈસ્યુ થોડો નાનો છે અને તેને જોરદાર સબસ્ક્રિપ્શન મળ્યું છે. કંપની પાસે રોકાણકારોને આપવા માટે ઘણું છે. કંપનીનો ગ્રોથ સાતત્યપૂર્ણ રહ્યો છે. શરૂઆતના થોડા દિવસોમાં આ સ્ટોક સર્કિટથી સર્કિટ મૂવ કરશે.

November 14, 2021
sabji_market-1280x720.jpg
1min529

ઓકટોબર મહિનામાં થયેલાં પાછોતરા વરસાદ તથા ઇંધણના ભાવમાં થયેલા વધારાના કારણે કેટલાંક દિવસોથી શાકભાજીના ભાવમાં ધરખમ વધારો થયો છે.  છૂટક બજારમાં અમુક શાકભાજીના ભાવ પ્રતિ કિલો ૧૦૦ રૂપિયાને વટાવી જતાં મધ્યમ વર્ગના નાગરિકોનું મહિનાનું બજેટ ખોરવાઇ ગયુ છે.

પાછોતરા વરસાદના કારણે શાકભાજીની ખેતીના ઉત્પાદનને બહું મોટો ફટકો પડયો હતો અને ઉત્પાદન ઓછું થયું હતું. આના કારણે બજારમાં શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે, જેથી તેના ભાવ આસમાને પહોંચી ગયા છે, એમ થાણેના છૂટક બજારના વેપારીએ જણાવ્યું હતું.

ઇંધણના ભાવમાં થયેલા ભાવ વધારાના કારણે ટ્રાન્સપોર્ટેશનના ભાડામાં પણ વધારો થયો છે. જેના કારણે જીવનાવશ્યક જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવમાં ધરખમ વધારો થયો છે.  શાકભાજીના ભાવ ૧૦૦ રૂપિયાને વટાવી ગયા છે.

કોબી માગ ઓછી હોવાના કારણે છૂટક બજારમાં તેનો ભાવ ૬૦ રૂપિયા પ્રતિકિલો છે. જ્યારે સિમલા મિરચા અને ગવાર છૂટક બજારમાં ૧૨૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે.

Surat કૃષિ ઉત્પન્ન બજાર સમિતિમાં દરરોજ શાકભાજીની ૬૦૦થી ૭૦૦ ગાડીઓની આવક રહેતી હતી. પરંતુ છેલ્લા કેટલાંક દિવસોથી ગાડીઓની આવકમાં ધટાડો થયો છે એમ, સૂત્રો દ્વારા જાણવા મળ્યું  હતું.  

શાકભાજીના ભાવ ( રૂપિયા પ્રતિ કિલો)શાકભાજી હોલસેલ બજાર ભાવ છૂટક બજાર ભાવ

  • ભીંડા ૫૦ ૧૦૦
  • ફણસી ૫૦ ૮૦
  • રીંગણ ૩૦ ૧૦૦
  • ફલાવર ૨૫ ૮૦
  • ગવાર ૬૦ ૧૨૦
  • સિમલા મિરચ ૫૦ ૧૨૦
  • કારેલા ૩૦ ૬૦
  • કોબી ૧૬ ૬૦
  • પરવળ ૪૦ ૮૦
  • સુરણ ૧૬ ૬૦
  • ટામેટા ૩૫ ૬૦થી૮૦ 
November 10, 2021
itr.jpg
1min517

વર્ષ ૨૦૨૦-૨૧ના નાણાંકીય વર્ષ માટે અત્યાર સુધીમાં ૨.૩૮ કરોડ કરતાં પણ વધુ આઈટી રિટર્ન ફાઈલ થયા હોવાનું આવકવેરા ખાતાએ મંગળવારે 9/11/21 કહ્યું હતું. આમાંથી અંદાજે ૧.૬૮ કરોડ આઈટી રિટર્નનું પ્રોસેસિંગ કરી દેવામાં આવ્યું છે અને ૬૪ લાખ કરતાં પણ વધુ લોકોને આવકવેરાનું રિફંડ આપી દેવામાં આવ્યું છે.  

વર્ષ ૨૦૨૧-૨૨ માટે આવકવેરા ખાતાના ઈ-ફાઈલિંગ પૉર્ટલ પર ૨.૩૮ કરોડ કરતા પણ વધુ આઈટીઆર ફાઈલ કરવામાં આવ્યા હોવાનું આવકવેરા ખાતાએ ટ્વીટર પરના સંદેશામાં જણાવ્યું હતું. આવકવેરા ખાતાએ કરદાતાઓને વર્ષ ૨૦૨૦-૨૧નું આઈટીઆર ઈ-પોર્ટલ પર જલદી ફાઈલ કરવાની વિનંતી કરી છે. સરકારે વર્ષ ૨૦૨૦-૨૧નું આઈટીઆર ફાઈલ કરવાની મુદત બે વખત લંબાવી હતી. વ્યક્તિગત કરદાતા માટે આઈટીઆર ફાઈલ કરવાની અંતિમ તારીખ ૩૧ ડિસેમ્બર છે. 

November 8, 2021
demonitaisan.jpg
1min757

પ્લાસ્ટિક કાર્ડસ, નેટ બૅંકિંગ અને યુનાઈટેડ પેમેન્ટસ ઈન્ટરફેસ વડે ડિજિટલ પેમેન્ટસના પ્રમાણમાં ધૂમ વધારો થયો છે. ઑક્ટોબર મહિનામાં યુપીઆઈ (યુનાઈટેડ પેમેન્ટસ ઈન્ટરફેસ) દ્વારા કુલ ૪૨૧ કરોડ ટ્રાન્ઝેકશન્સ થયા હતા. મૂલ્યની દૃષ્ટિએ ઑક્ટોબર મહિનામાં રૂપિયા ૭.૭૨ લાખ કરોડ અથવા ૧૦૦ અબજ ડોલરથી વધુના ટ્રાન્ઝેકશન્સ થયા હતા. વર્ષ ૨૦૧૬માં યુપીઆઈની શરૂઆત કરવામાં આવી હતી.

૮મી નવેમ્બર-૨૦૧૬ તારીખે વડા પ્રધાન મોદીએ રૂા. ૧૦૦૦ અને ૫૦૦ની બેન્ક નૉટ રદ થયેલી જાહેર કરી હતી. કાળાં નાણાનો પ્રવાહ ઘટાડવા અને ડિજિટલ પેમેન્ટસને ઉત્તેજન આપવા નૉટબંધી જાહેર કરવામાં આવી હતી. પાછલા પાંચ વર્ષમાં ડિજિટલ પેમેન્ટસનું ચલણ તો વધ્યું પણ રોકડનો ઉપયોગ હજુ ધીમી ગતિએ વધી રહ્યો છે. ૪ નવેમ્બર-૨૦૧૯ તારીખે નૉટસ ઈન સર્ક્યુલેશન (એનઆઈસી) એટલે કે રૂા. ૧૭.૭૪ લાખ કરોડ મૂલ્યની ચલણ નૉટ વપરાશમાં હતી. જે ૨૯ ઑક્ટબર-૨૦૨૧ તારીખે વધીને રૂા. ૨૯.૧૭ લાખ કરોડ થઈ હતી, તેવું આરબીઆઈ ડેટા જણાવે છે.

૩૦ ઑક્ટબર-૨૦૨૦ તારીખે રૂા. ૨૬.૮૮ લાખ કરોડ મૂલ્યની ચલણી નૉટ સર્ક્યુલેશનમાં હતી. નૉટબંધી અગાઉ ઑક્ટોબર-૨૦૧૪થી ઑક્ટોબર-૨૦૧૬ના સમયગાળા દરમિયાન એનઆઈસી (ચલણી નૉટનું પ્રમાણ)ના સરેરાશ વૃદ્ધિદર ૧૪.૫૧ ટકા હતો. ૨૦૧૯-૨૦ દરમિયાન મૂલ્ય અને સંખ્યાની દૃષ્ટિએ અનુક્રમે ૧૪.૭ ટકા અને ૬.૬ ટકા વૃદ્ધિદર નોંધાયો હતો. ૨૦૨૦-૨૧ દરમિયાન આ જ વૃદ્ધિદર અનુક્રમે ૧૬.૮ ટકા અને ૭.૨ ટકા હતો.

November 4, 2021
Electric-Vehicle-Charging-Station.jpg
1min418

દેશની સૌથી મોટી કંપની ઇન્ડિયન ઓઇલના ચેરમેન શ્રીકાંત વૈદ્યે બુધવારે જાહેરાત કરતા જણાવ્યું હતું કે  કંપની ઇલેક્ટ્રિક વાહનો માટે આગામી ત્રણ વર્ષમાં ૧૦,૦૦૦ ચાર્જિંગ સ્ટેશનો ઊભા કરશે. 

દુનિયામાં ભારત કાર્બનઉત્સર્જન કરનારો ત્રીજો મોટો દેશ છે. ૨૦૭૦માં આ ઉત્સર્જન નેટ જીરો સુધી પહોંચે એવી વડાપ્રધાને સોમવારે અપીલ કરી હતી. 

આજે પેટ્રોલ અને ડીઝલ જ ભારતના વાહનોમાં ઇંધણ તરીકે મહત્ત્વનો ભાગ ભજવે છે ત્યારે ભવિષ્યમાં વાહન ઉત્પાદકોને  ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન કરવા અંગે  વિશ્ર્વાસ બેસે એ રીતનું માળખું કંપની તૈયાર કરી રહી છે. 

દેશમાં ઇંધણની જરૂરિયાત વધતી જાય છે અને તેને પહોંચી વળવા બધી જ જાતના ઇંધણો વિકસાવવા પડશે. કંપની દરેક ૨૫ કિમી.ના અંતરે ૫૦ કિલોવૉટ અને ૧૦૦ કિમી.ના અંતરે ૧૦૦ કિલોવૉટની ક્ષમતાવાળા ચાર્જિંગ સ્ટેશન ઊભા કરશે. હાલના પેટ્રોલ પંપ પર આ સ્ટેશનો તો ઊભા કરાશે જ ઉપરાંત નવા સ્ટેશનો પણ ઊભા કરાશે. 

હાલમાં ૨૮ કરોડ વાહનો દેશમાં દોડી રહ્યા છે અને દર વર્ષે ૨.૫ કરોડ વાહનો ઉમેરાતા જાય છે જેથી પેટ્રોલ-ડીઝલની માગ પણ વધતી જાય છે. 

ઇલેક્ટ્રિેક વાહનો હજી ઘણા ઓછા વપરાય છે. આવા વાહનોમાં ટુ-વ્હીલરનું પ્રમાણ ૧ ટકો, ફોર-વહીલરનું પ્રમાણ ૦.૨ ટકા અને થ્રી વ્હીલરનું પ્રમાણ ૨૫ ટકા જેટલું છે. 

વૈદ્યે વધુમાં જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદીએ સોમવારે જે જાહેરાત કરી છે એ દિશામાં આગળ વધતી  કંપનીનું આ પ્રથમ પગલું છે. આ કાર્ય માટે  વાહન ઉત્પાદકો અને વીજળી સપ્લાય કરતી કંપનીઓ સાથે પણ ચર્ચાવિચારણા કરતી રહેશે.       

November 3, 2021
gjepc_logo.jpg
1min346

સુરત સમેત સમગ્ર ગુજરાતના હીરા ઉદ્યોગકારો ઉપયોગ કરી શકે એ રીતે જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા સુરતના અલથાણ વિસ્તારમાં નવરત્ન ગેલેરીનો આરંભ કરી દેવામાં આવ્યો છે. હીરાની હરાજી માટે સુરતમાં એક ઉમદા માળખાકીય સુવિધા જીજેઇપીસીએ ડેવલપ કરીને તેને લોકસમર્પિત કરી દીધી હોવાનું જીજેઇપીસીના રિજિયોનલ ચેરમેન દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે નવરત્ન ગેલેરીમાં અદ્યતનમાં અધતન સુવિધાઓ, સેફ્ટી અને સિક્યુરિટી, સ્ટોરેજ ફેસેલિટી, ઓકશન પહેલાના વ્યૂઇંગ માટે સાધન સંપન્ન 11 જેટલી કેબિનો સમેતની સુવિધાઓ ઉપલબ્ધ છે.