CIA ALERT

બોલીવુડ Archives - Page 6 of 14 - CIA Live

December 28, 2020
rahman_mother.jpg
1min494

ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઑસ્કર વિજેતા સંગીતકાર એઆર રહેમાનની માતા કરીમા બેગમનું નિધન થઈ ગયું છે. રહેમાને માતાને યાદ કરતા એમની એક તસવીર ટ્વિટર પર પોસ્ટ કરી છે, જેના પર તમામ પ્રિયજનો અને ઈન્ડસ્ટ્રીના સાથીઓ શોક વ્યક્ત કરી રહ્યા છે અને એમને સાંત્વના આપી રહ્યા છે.

કરીમા બેગમનું નિધન 28 ડિસેમ્બરના રોજ સવારે ચેન્નઈમાં થયું છે. તેઓ છેલ્લા કેટલાક દિવસથી બીમાર હતા. એઆર રહેમાનની માતાના ફોટો સાથે કોઈ કેપ્શન લખ્યું નથી. એઆર રહેમાનની માતાના નિધનમાં સમાચારથી દક્ષિણ ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફેલાયું છે. તેમ જ ચન્નઈમાં એઆર રહેમાનના ઘરની બહાર ફૅન્સ એકત્રિત થઈ ગયા છે. ડિરેક્ટર શંકરના સહપરિવારે એઆર રહેમાનના ઘરે જઈને પોતાની સંવેદના વ્યક્ત કરી હતી.

એઆર રહેમાન તેની માતાની ખૂબ નજીક હતો. એક ઈન્ટરવ્યૂમાં રહેમાને જણાવ્યું હતું કે એમની માતાએ જ સૌથી પહેલા અનુભવ કરાવ્યો હતો કે તેઓ સંગીત ક્ષેત્રમાં પોતાનું નામ કમાવશે. ચેન્નઈ ટાઈમ્સ સાથે વાત કરતા એઆર રહેમાને કહ્યું હતું- તેમની પાસે સંગીત સમજવાની શક્તિ હતી. તે જે રીતે વિચારે છે અને નિર્ણય લે છે. આધ્યાત્મિક રૂપે તે મારાથી ઘણી ઉપર હતી. ઉદાહરણ તરીકે, મારું સંગીત પસંદ કરવું. તેમણે 11માં ધોરણમાંથી મારી શાળા છોડાવી દીધી હતી અને સંગીત શરૂ કરાવ્યું હતું. તેમની એવી માન્યતા હતી કે સંગીત મારા માટે જ બન્યું છે.

December 9, 2020
breakdance-olympics-copy.jpg
1min599

બ્રેક ડાન્સ હવે સત્તાવાર રીતે ઓલિમ્પિક રમત બની છે. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટિ (આઇઓસી)એ પેરિસમાં 2024માં રમાનાર ઓલિમ્પિકમાં બ્રેક ડાન્સને સામેલ કરવાનો મહત્ત્વનો નિર્ણય લીધો છે. યુવા દર્શકોને આકર્ષવા માટે આઇઓસીએ આ નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે. આ ઉપરાંત સ્કેટબોર્ડિંગ, સ્પોર્ટ ક્લાઇમ્બિંગ અને સર્ફિંગની રમતને પણ પેરિસ ઓલિમ્પિકમાં સામેલ કરવામાં આવી છે. આ ત્રણ રમતને ટોક્યો ઓલિમ્પિકમાં સામેલ કરવામાં આવનાર હતી, જે કોરોના મહામારીને લીધે એક વર્ષ માટે સ્થગિત છે.

Break Dance - Top 10 Tale

આઇઓસીએ 2024ના પેરિસ ઓલિમ્પિકમાં મેડલની સંખ્યા ટોક્યોની તુલનામાં 10 ઓછી કરી છે.’ આથી પેરિસમાં 329 ચંદ્રક સ્પર્ધા હશે. ટોક્યો ઓલિમ્પિકની વેઇટ લીફટીંગની ચાર શ્રેણી પેરિસમાં ઓછી કરી દેવામાં આવી છે. આથી 2024ના ઓલિમ્પિકમાં ખેલાડીઓના કવોટા 10પ00 હશે. પેરિસ ઓલિમ્પિકમાં વેઇટ લિફટીંગમાં કુલ 120 ખેલાડી હશે. જે પાછલા રિયો ઓલિમ્પિકની તુલનામાં અરધાથી ઓછા હશે.’ આઇઓસીઓ કહ્યંy છે કે અમારું લક્ષ્ય પુરુષ અને મહિલા ખેલાડીઓને સમાન ભાગીદારી આપવાનું છે. બ્રેક ડાન્સ ઓલિમ્પિકમાં બ્રેકિંગના નામે રમાશે. પેરિસ ઓલિમ્પિકમાં સર્ફિંગની રમતનું આયોજન 1પ000 કિલોમીટર દૂર પ્રશાંત મહાસાગરના તટીય વિસ્તારમાં થશે.

November 26, 2020
jallikattu-indian-movie-poster.jpg
1min758

ઑસ્કર અવોર્ડ માટે ભારત તરફથી મલયાલમ ફિલ્મ ‘જલ્લીકટ્ટૂ’ને નોમિનેટ કરવામાં આવી છે. ૯૩મા ઑસ્કર અવૉર્ડ માટે ભારતની અન્ય ફિલ્મો પણ રેસમાં હતી, જેમાં હિન્દી ફિલ્મ શકુંતલાદેવી, શિકારા, ગુંજન સકસેના, ભોંસલે, ગુલાબો સિતાબો, સીરિયસ મેન, બુલબુલ, કામયાબ, ધ પિંક સ્કાય પણ સામેલ હતી. આ સિવાય મરાઠી ફિલ્મ બિટરસ્વીટ અને ડિસાઇપલ પણ રેસમાં હતી.

આ અગાઉ મધર ઈન્ડિયા, સલામ બોમ્બે અને લગાન ફિલ્મ પણ વિદેશી ભાષા ફિલ્મ કેટગરીમાં નોમિનેટ થઇ હતી. આ દરેક ફિલ્મ એવોર્ડ જીતવામાં નિષ્ફળ રહી હતી.

‘જલ્લીકટ્ટૂ’ એક ડ્રામા થ્રિલર ફિલ્મ છે તથા દેશ-વિદેશમાં આ ફિલ્મની ઘણી પ્રશંસા થઇ હતી. ૬૩મા બીએફઆઇ લંડન ફિલ્મ ફેસ્ટિવલમાં ૭૮ દેશની ૨૨૯ ફિલ્મને સામેલ કરવામાં આવી હતી. આ ફેસ્ટિવલમાં ‘જલ્લીકટ્ટૂ’ પણ સ્ક્રીનિંગ પણ કરવામાં આવી હતી.

‘જલ્લીકટ્ટૂ’ એસ. હરીશ અને આર. જયકુમારના પુસ્તક માઓઇસ્ટ પર આધારિત છે. માનવ અને જાનવરો વચ્ચેની લાગણીને ફિલ્મમાં દર્શાવવામાં આવી છે. લિજો જોસ પેલ્લીસેરીએ ફિલ્મનું નિર્દેશન કર્યું છે અને પ્રોડ્યુસ થોમસ પેનિકરે કર્યું હતું.

November 22, 2020
bharti.jpg
1min575

ભારતી અને હર્ષના ઘર તેમજ પ્રોડક્શન ઓફિસમાંથી 86.5 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. ભારતી અને હર્ષે પૂછપરછમાં ગાંજાનું સેવન કરતા હોવાનો સ્વીકાર કર્યો હતો. ગાંજો રાખવા અને તેનો ઉપયોગ કરવાના આરોપમાં બંનેની ધરપકડ કરવામાં આવી છે.

ડ્રગ્સ કેસમાં કોમેડિયન ભારતી સિંહ અને પતિ હર્ષ લિંબાચિયાની તા.21મીએ ધરપકડ બાદ આજરોજ તા.22 નવેમ્બર 2020ના રોજ એન.સી.બી.એ. બન્નેને કોર્ટમાં રજૂ કર્યા હતા.

આજરોજ તા.22 નવેમ્બર 2020, ને રવિવારે સવારે મેડિકલ તપાસ બાદ હર્ષ લિંબાચીયા અને ભારતીસિંઘ ને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

NDPS કોર્ટે ભારતી અને હર્ષને 4 ડિસેમ્બર સુધી જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે. રિપોર્ટ પ્રમાણે, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ ભારતી સિંહની જ્યૂડિશિયલ કસ્ટડી અને હર્ષ લિંબાચિયાના રિમાન્ડ માગ્યા હતા. પરંતુ કોર્ટે બંનેને 14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે.

October 27, 2020
naresh_kanodia.jpg
1min5510

પૂર્વ ધારાસભ્ય અને ગુજરાતી ફિલ્મોના વિતેલા જમાનાના સુપરસ્ટાર નરેશ કનોડિયાનું કોરોનાના ગંભીર ઇન્ફેકશનની સારવાર દરમિયાન આજરોજ તા.27મી ઓક્ટોબર 2020ની સવારે નિધન થયું છે. 77 વર્ષીય નરેશ કનોડીયા અમદાવાદની યુએન મહેતા કોલેજમાં સારવાર હેઠળ હતા.

નરેશ કનોડીયાના મોટા ભાઇ મહેશ કનોડિયાનું અવસાન બે દિવસ પહેલા જ  થયું હતું.

ઢોલીવુડના સ્ટાર નરેશ કનોડિયાને કોરોના થતાં તેમને યુએન મહેતા હોસ્પિટલમાં એડમિટ કરાયા હોવાના સમાચાર આવ્યા હતા. સ્વર્ગસ્થ અભિનેતાને શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાથી તેમને આઈસીયુમાં એડમિટ કરવામાં આવ્યા હતા. થોડા દિવસ પહેલા જ તેમના મોતની અફવા પણ ઉડી હતી, જેના પર તેમના પુત્રએ ખુલાસો કર્યો હતો.

ગંભીર હાલતમાં રહેલા નરેશ કનોડિયાની રિકવરી માટે તેમના ચાહકો પ્રાર્થના કરી રહ્યા હતા. જોકે, આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. દેશ-વિદેશમાં અનેક શો કરી ચૂકેલી મહેશ-નરેશની જોડી બે દિવસ પહેલા જ ખંડિત થઈ હતી. મોટાભાઈના અવસાન વખતે પણ નરેશ કનોડિયા હોસ્પિટલમાં હોવાથી હાજરી નહોતા આપી શક્યા.

100થી પણ વધુ ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા નરેશ કનોડિયાએ રાજકારણમાં પણ ઝંપલાવ્યું હતું. તેઓ કરજણ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી પણ જીત્યા હતા. તેમના દીકરા હિતુ કનોડિયા હાલ ઈડરના ધારાસભ્ય છે. તેમના મોટાભાઈ મહેશ કનોડિયા પણ પાટણ લોકસભા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા

October 16, 2020
shahid.jpeg
1min5530

કોરોના લૉકડાઉન દરમિયાન જે વસ્તુમાં તેજી આવી છે, એ છે દેશના ઓટીટી પ્લેટફોર્મના યુઝર્સ. સિનેમાઘરો બંધ થવાથી ઓટીટી પ્લેટફોર્મ્સને ચાંદી જ થઇ ગઇ. અને એટલે જ જે કલાકારો પોતાને વૅબસીરિઝ થી દૂર રાખી રહ્યા હતા એ બધા હવે વૅબસીરિઝ અને ડિજિટલ પ્લેટફોર્મ તરફ વળવા માંડ્યા છે. એમ જાણવા મળ્યું છે કે ટૂંક સમયમાં શાહિદ કપૂર પણ એક વૅબસીરિઝમાં નજરે પડશે.

આ વૅબસીરિઝ શાહિદનો ડિજિટલ ડૅબ્યુ હશે. આ એક થ્રિલર સીરિઝ છે, જેની વાર્તા સાંભળીને જ શાહિદે હા કહી દીધી. આ સીરિઝને રાજ નિદિમોરુ અને કૃષ્ણા ડીકેની જોડી ડિરેક્ટ કરશે. બંનેની જોડીએ સીરિઝ ‘ધ ફેમિલી મેન’થી લોકપ્રિયતા હાંસલ કરી છે.

‘ધ ફેમિલી મેન’ની સફળતા પછી આ ડિરેક્ટરની જોડીને ઘણી ડિજિટલ ચેનલોએ વૅબસીરિઝ બનાવવાની ઓફર આપી હતી. હવે બંનેએ એક મોટા પ્લેટફોર્મ સાથે હાથ મેળવ્યો છે. ડિરેક્ટરની આ જોડીએ એક પ્રોજેક્ટ માટે હા પાડી છે. આ એક થ્રિલર વૅબ સીરીઝ છે, જેમાં હિન્દી ફિલ્મનો બધો જ મસાલો હશે.

બંને ડિરેક્ટરે આ સીરિઝ માટે શાહિદ સાથે વાત કરી અને શાહિદને પણ સ્ક્રિપ્ટ પસંદ આવી અને એણે હા પાડી દીધી. આ વૅબસીરિઝથી શાહિદ ડૅબ્યુ કરશે. જોકે, આ વૅબસીરિઝનું શૂટિંગ ક્યારે શરૂ થશે એ અંગે હાલમાં કંઇ કહેવું મુશ્કેલ છે. શાહિદે તેની ફિલ્મ ‘જર્સી’નું શૂટિંગ પૂરું કરશે અને પછી આ વૅબસીરિઝનું શૂટિંગ ચાલુ કરી દેશે.

શાહિદ કપૂરની પહેલા મનોજ બાજપાઇ, ઇમરાન હાશમી, પંકજ ત્રિપાઠી, નવાઝુદ્દીન સિદ્દીકી, અભિષેક બચ્ચન જેવા નામી કલાકારો વૅબસીરિઝમાં કામ કરી ચૂક્યા છે.

તાજેતરના ખબર મુજબ કોરોના લૉકડાઉનને કારણે ફિલ્મ ‘જર્સી’ના સર્જકો પર થયેલી અસરને ધ્યાનમાં લઇને શાહિદ કપૂરે વિશાળ દિલ રાખી પોતાની ફીસ ૩૩ કરોડ રૂપિયાથી ઘટાડી ૨૫ કરોડ રૂપિયા કરી નાખી છે. હાલમાં શાહિદ ‘જર્સી’ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ સાલ ૨૦૧૯માં આવેલી તેલુગુ ફિલ્મ ‘જર્સી’ની રીમેક છે.

October 8, 2020
riya-chakravarthi.jpg
1min5280

અભિનેતા સુુશાંતસિંહ રાજપૂતના મૃત્યુના કેસની તપાસમાં ડ્રગ્સનો એન્ગલ સામે આવ્યા બાદ ડ્રગ્સ સંબંધી આરોપ હેઠળ ધરપકડ કરાયેલી અભિનેત્રી રિયા ચક્રવર્તીના જામીન મુંબઈ હાઇ કોર્ટે મંજૂર કર્યા હતા. તમામ પ્રક્રિયા પૂરી કર્યા બાદ ભારે બંદોબસ્ત વચ્ચે રિયાને સાંજે સાડાપાંચ વાગ્યે ભાયખલા જેલમાંથી છોડવામાં આવી હતી.

જસ્ટિસ સારંગ કોટવાલની બેન્ચે સુશાંતસિંહના રસોઇયા દીપેશ સાવંત અને મેનેજર સેમ્યુઅલ મિરાન્ડાના જામીન પણ મંજૂર કર્યા હતા. જોકે રિયા ચક્રવર્તીના ભાઇ શોવિકની જામીન અરજી ફગાવી દીધી હતી. એ જ પ્રમાણે કોર્ટે ડ્રગ પેડલર અબ્દેલ બાસિત પરિહારની જામીન અરજી પણ ફગાવી દીધી હતી.

ડ્રગ્સના કેસની તપાસ કરી રહેલી નાર્કોટિક્સ ક્ધટ્રોલ બ્યૂરો (એનસીબી)ની ટીમે ગયા મહિને રિયા અને તેના ભાઇની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન અન્ય લોકોની પણ આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.

હાઇ કોર્ટે જામીન મંજૂર કરતી વખતે રિયા અને અન્ય બે જણને તેમના પાસપોર્ટ એનસીબી પાસે જમા કરાવવા અને વિશેષ એનડીપીએસ કોર્ટની પરવાનગી વિના દેશ નહીં છોડવાના નિર્દેશ આપ્યા હતા. હાઇ કોર્ટે રિયાને રૂ. એક લાખનો પર્સનલ બોન્ડ ડિપોઝિટ કરવા અને જામીન પર છૂટ્યા બાદ પહેલા દસ દિવસ સુધી સવારે ૧૧ વાગ્યે નજીકના પોલીસ સ્ટેશનમાં હાજરી આપવાના નિર્દેશ પણ કોર્ટે આપ્યા હતા.

હાઇ કોર્ટે રિયાને આગામી છ મહિના સુધી દર મહિનાના પહેલા દિવસે એનસીબીની ઓફિસમાં સવારે ૧૧ વાગ્યે હાજર રહેવાના નિર્દેશ આપ્યા હતા.

જામીન પર છૂટ્યા બાદ એનસીબીની પરવાનગી વિના મુંબઈ ન છોડવા અને પુરાવા સાથે ચેડાં ન કરવાના નિર્દે રિયાને આપવામાં આવ્યા છે.

નોંધનીય છે કે બાંદ્રાના નિવાસસ્થાને ૧૪ જૂને સુશાંતસિંહ રાજપૂત ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.

વિશેષ એનડીપીએસ કોર્ટે ગયા મહિને જામીન અરજી ફગાવી દીધા બાદ રિયા અને તેના ભાઇ શોવિકે હાઇ કોર્ટમાં જામીન અરજી કરી હતી. એનસીબીએ એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહ મારફત જામીન અરજીનો વિરોધ કર્યો હતો.

સિંહે જણાવ્યું હતું કે સુશાંતના ડ્રગ્સ માટે રિયા જાણીજોઇને પૈસા ચૂકવતી હતી અને ડ્રગ્સની આદતની વાત તેણે છુપાવી હતી. રિયાના વકીલ માનેશિંદેએ દલીલ કરી હતી કે અભિનેત્રી ક્યારેક જ રાજપૂતના ડ્રગ્સ માટે પૈસા ચૂકવતી હતી.

September 29, 2020
aiims.jpeg
1min12170

સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે તપાસ કરી રહેલી સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશનની ટીમે AIIMS (ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ)ના ફોરેન્સિક એક્સપર્ટની એક ટીમ બનાવી હતી. આ ફોરેન્સિક ટીમ સુશાંતના વિસરા અને ઓટોપ્સીની તપાસનના આધાર પર પોતાના રિપોર્ટમાં તે જણાવશે કે, સુશાંતે આત્મહત્યા કરી હતી કે તેની હત્યા થઈ હતી. હવે, આ ફોરેન્સિક ટીમની તપાસ સાથે જોડાયેલી કેટલીક માહિતી સામે આવી રહી છે. જે બાદ માનવામાં આવી રહ્યું છે કે, CBIની ટીમ આ કેસમાં આત્મહત્યા માટે દુષ્પ્રેરણા અપાઇ હોવાના દ્રષ્ટીકોણ સાથે તપાસ આગળ વધારે તેવી શક્યતા છે.

ફોરેન્સિક ટીમને પોતાની તપાસમાં સુશાંતના શરીરમાંથી કોઈ પ્રકારનો ઝેરીલો પદાર્થ મળ્યો નથી. સાથે જ તેનું ડીએનએ સેમ્પલ પણ મેચ થઈ ગયું છે. જો કે, કહેવામાં આવી રહ્યું છે કે કૂપર હોસ્પિટલના ઓટોપ્સી રિપોર્ટમાં હજુ પણ તપાસ થવાની બાકી છે. AIIMSની ફોરેન્સિક ટીમે કૂપર હોસ્પિટલના ઓટોપ્સી રિપોર્ટ પર કેટલાક સવાલ ઉઠાવ્યા છે. ટીમનું માનવું છે કે, જ્યાં સુશાંતની બોડીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યાં એટલી લાઈટ નહોતી જેટલી હોવી જોઈએ.

AIIMSના ફોરેન્સિક મેડિકલ બોર્ડના ચેરમેન ડો. સુધીર ગુપ્તાએ જણાવ્યું હતું કે, ‘સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે એઈમ્સ અને સીબીઆઈ એગ્રીમેન્ટમાં છે પરંતુ વધારે ચર્ચા-વિચારણા કરવાની જરૂર છે. સમયની સાથે તાર્કિક કાયદાકીય નિષ્કર્ષ માટે કેટલાક કાયદાકીય પાસાઓ પર ધ્યાન આપવાની જરૂર છે. તે સંપૂર્ણ રીતે નિર્ણાયક રહેશે’.

September 22, 2020
deepika_padukone.jpg
1min6100

સુશાંત સિંહ રાજપૂત કેસમાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB) ડ્રગ્સ એન્ગલની તપાસ કરી રહી છે અને આ તપાસમાં બોલિવુડના ઘણા સ્ટાર્સના નામ સામે આવી રહ્યા છે. શ્રદ્ધા કપૂર, રકુલ પ્રીત સિંહ અને સારા અલી ખાન બાદ હવે બોલિવુડની ટોપ એક્ટ્રેસ દીપિકા પાદુકોણનું નામ પણ આ તપાસમાં સામે આવ્યું છે. એનસીબી આ સપ્તાહે દીપિકા પાદુકોણેને પૂછપરછ માટે સમન મોકલે તેવી શક્યતા છે.

કરિશ્મા જયા સાહાની કંપનીની કર્મચારી છે. આ કરિશ્મા સાથે દીપિકા પાદુકોણની ચેટ્સ પર થયેલી વાતચીત સામે આવી છે. જયા સાહા સુશાંત સિહ રાજપૂતની ટેલેન્ટ મેનેજર હતી, જેની આજે એનસીબીએ પૂછપરછ કરી છે. જયાની વોટ્સએપ ચેટમાં આ પહેલા શ્રદ્ધા કપૂરનું નામ પણ સામે આવ્યું હતું, જે જયા પાસે સીબીડી ઓઈલ અંગે વાત કરી રહી હોવાનું ચેટમાં બહાર આવ્યું હતું.

ટાઈમ્સ નાઉને એનસીબીના સૂત્રોએ જણાવ્યું છે કે, ડ્રગ ચેટમાં D એટલે કે દીપિકા પાદુકોણ જે K સાથે ‘માલ’ એટલે ડ્રગ્સની માગ કરી રહી છે, તે K હકીકતમાં કરિશ્મા છે, જે ક્વોન ટેલેન્ટ મેનેજમેન્ટ એજન્સીની કર્મચારી છે. દીપિકાના સવાલ પર કરિશ્મા કહે છે કે, ‘મારી પાસે છે પરંતુ ઘરે છે. હું બાંદ્રામાં છું.’ તે પછી કરિશ્મા કહે છે કે, ‘જો કહો તો હું અમિતને પૂછી શકું છું.’ તેના પર દીપિકાનો જવાબ આવે છે, ‘હા પ્લીઝ.’ કરિશ્મા કહે છે, ‘અમિતની પાસે છે, તે તેને લઈ જઈ રહ્યો છે.’ તેના પર દીપિકા કહે છે, ‘Hash ને વીડ નહીં.’

આ પહેલા એનસીબીએ કન્ફર્મ કર્યું હતું કે, રિયા ચક્રવર્તીએ સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ અને સિમોન ખંભાતાના નામ લીધા હતા.

ઉલ્લેખનીય છે કે, નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ ડ્રગ્સ કેસમાં બોલિવુડના એ-લિસ્ટ સ્ટાર્સના નામ સામે આવ્યા બાદ અમદાવાદ, ભુવનેશ્વર અને ગુવાહાટીથી ત્રણ નવા ઓફિસર્સને આ કેસની તપાસ કરતી ટીમમાં સામેલ કર્યા છે. એજન્સીએ સોમવારે સુશાંતની મેનેજર શ્રુતિ મોદી અને જયા સાહાની પૂછપરછ કરી હતી અને મંગળવારે પણ તેમની પૂછપરછ કરવામાં આવશે. આ દરમિયાન જયા સાહે ફિલ્મ મેકર મધુ મંતેના વર્માનું નામ લીધું છે. એનસીબી બુધવારે મધુ મંતેના વર્માની પૂછપરછ કરશે. મધુએ ‘સુપર 30’, ‘ઉડતા પંજાબ’, ‘ક્વીન’, ‘મસાન’ જેવી હિટ ફિલ્મો પ્રોડ્યૂસ કરી છે.

August 12, 2020
sanjaydutt.jpg
1min5580

સંજય દત્તે મેડિકલ ટ્રીટમેન્ટને કારણે કામમાંથી બ્રેક લેવાની ઘોષણા કર્યા બાદ, કેન્સર હોવાના રિપોર્ટ્સથી ફેન્સમાં ખળભળાટ, એક્ટરે કહ્યું – જલ્દી પાછો આવીશ

બૉલિવૂડ એક્ટર સંજય દત્તે મંગળવાર 11 ઑગસ્ટના રોજ અચાનક કામમાંથી બ્રેક લેવાનું એલાન કરી બધાને ચોંકાવી દીધા. સંજયે સોશિયલ મીડિયા દ્વારા પોતાના નિર્ણય અંગે ફેન્સને જાણકારી આપી. આના પછી ફેન્સ વચ્ચે ખળભળાટ મચી ગયો છે. સંજયે એમ પણ કહ્યું કે, તે મેડિકલ ટ્રીટમેન્ટ માટે શોર્ટ બ્રેક લઈ રહ્યા છે. જોકે, તેણે ફેન્સને ચિંતા ન કરવા અને અનુમાન ન બાંધવા માટે કહ્યું છે. જો કે, હવે કહેવાઈ રહ્યું છે કે સંજયને ફેફસાનું કેન્સર ડિટેક્ટ થયું છે અને તે ટ્રીટમેન્ટ માટે સિંગાપોર જવાના છે. કેટલાક રિપોર્ટ્સ પ્રમાણે સંજયનું કેન્સર સ્ટેજ-3માં પહોંંચી ચૂક્યું છે.

સંજય દત્તે પોતાની પોસ્ટમાં લખ્યું કે – હું મેડિકલ ટ્રીટમેન્ટ માટે નાનકડો બ્રેક લઈ રહ્યો છું. મારો પરિવાર અને દોસ્તો મારી સાથે છે અને મારા શુભેચ્છકોને અપીલ કરું છું કે, ચિંતા ન કરે અને બિનજરૂરી અનુમાન પણ ન લગાવે. તમારો પ્રેમ અને દુઆઓના સહારે ટૂંક સમયમાં કમબેક કરીશ.

કેટલાક રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, સંજય દત્તને ફેફસાંનું કેન્સર છે અને તે ટૂંક સમયમાં ટ્રીટમેન્ટ માટે વિદેશ જઈ શકે છે. પબ્લિશર અને ફિલ્મ રિવ્યૂઅર કોમલ નાહટાએ પણ ટ્વીટ દ્વારા એવી જાણકારી આપી છે કે, સંજયને કેન્સર થયું છે.

સંજયે પોતાની પોસ્ટમાં એ વાતનો ઉલ્લેખ નથી કર્યો કે તેને શું થયું છે. તે ગત સપ્તાહે શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે લીલાવતી હોસ્પિટલમાં એડમિટ થયા હતા. તેમણે 8 ઑગસ્ટના એક ટ્વીટ કરી જણાવ્યું હતું કે, તે પૂર્ણ રીતે સ્વસ્થ છે અને મેડિકલ દેખરેખ હેઠળ છે. તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ છે. સંજય દત્તે જણાવ્યું હતું કે, એક-બે દિવસમાં ડિસ્ચાર્જ થઈ જશે.

સંજયની ફિલ્મ ‘સડક 2’ ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં તે ખૂબ જ ખાસ રોલમાં છે. આલિયા ભટ્ટ અને આદિત્ય રૉય કપૂર ફિલ્મના લીડ રોલ્સમાં છે. સોમવારે જ ફિલ્મનું ફર્સ્ટ લુક પોસ્ટર રીલિઝ કરાયું હતું. આ ઉપરાંત સંજય ‘KGF 2’માં મહત્વની ભૂમિકામાં દેખાશે. 29 જુલાઈએ સંજયના જન્મદિવસ પર આ ફિલ્મમાંથી તેમનો ફર્સ્ટ લુક રજૂ કરાયો હતો, જેની ઘણી ચર્ચા થઈ રહી હતી. આ ઉપરાંત તે અજય દેવગણની ‘ભુજ- ધ પ્રાઈડ ઑફ ઈન્ડિયા’ ‘પૃથ્વીરાજ’ અને ‘ટોરબાઝ’માં પણ જોવા મળશે.