CIA ALERT
19. April 2024

બ્લોગ Archives - Page 2 of 9 - CIA Live

November 28, 2021
1min417

વર્ષ ૨૦૨૧ શૅરબજાર માટે અત્યારસુધી ખૂબ જ ઉત્તેજનાપૂર્ણ અને ખાસ તો પ્રાઈમરી માર્કેટ નવાં ભરણાં (આઈપીઓ)ની બજાર માટે અતિ સારું રહ્યું છે. જાન્યુઆરીથી અત્યારસુધીમાં આવેલા ૫૧ આઈપીઓમાંથી ૩૮ આઈપીઓના ભાવ તેની ઓફર પ્રાઇસથી ઊંચા બોલાઈ રહ્યાં છે. અમુક કંપનીઓના ભાવ તો ઓફર પ્રાઇસથી ડબલ પણ થયા છે. પેટીએમના અપવાદને બાદ કરતા એકંદરે રોકાણકારો મોટેભાગે કમાયા છે, આ કંપનીઓ એક લાખ કરોડ રૂપિયાથી વધુ  ભંડોળ ઊભું કરવામાં અને પોતાની બ્રાન્ડ ઊંચે લઈ જવામાં સફળ થઈ છે. અલબત્ત, આમાંથી ઘણી કંપનીઓના શેરના ભાવ લિસ્ટિંગ બાદ ધીમે-ધીમે ઘટવા લાગ્યા છે. અર્થાત્ આ ઘોડા મહત્તમ દશેરાના દિવસે જ દોડ્યા કહી શકાય. બાકી ઓકે-ઓકે.  હજી કેટલીક નામાંકિત કંપનીઓના આઈપીઓ કતારમાં છે અને આગામી થોડાં સપ્તાહમાં તે પણ પ્રાઈમરી માર્કેટમાં પ્રવેશવા થનગની રહ્યા છે. જોકે તાજેતરમાં પેટીએમના આઈપીઓ મારફત મળેલા પાઠ બાદ રોકાણકારોમાં એલર્ટ આવ્યા છે. જો કે લેટેન્ટના આઈપીઓની ભવ્ય સફળતાએ ફરી નવી આશા જગાવી છે. તેથી જ આ વિષયમાં કેટલીક બાબતો સમજવી અને તેનો અમલ કરવો જરૂરી છે. 

આઈપીઓમાં રિટેલ રોકાણકારો બહુ મોટી સંખ્યામાં સામેલ થઈ રહ્યા છે અને આઈપીઓમાં રોકાણ મારફત લિસ્ટિંગ સમયે અદ્ભુત વળતર મળી રહ્યું છે એટલે ઝટપટ કમાઈ લેવાની વૃત્તિવાળા રોકાણકારોનું ઘોડાપૂર પ્રાઈમરી માર્કેટમાં આવ્યું છે અને તેમાંના ઘણાં શેરો આઈપીઓની ૨૦૦૯ અને ૨૦૧૧ની તેજી કરતાંય સારી કામગીરી કરી રહ્યા છે. તમે હજી આઈપીઓ બજારમાં સામેલ ન થયા હો પરંતુ હવે તેમાં રોકાણ કરવા માગતા હો તો તમારે મૂડીરોકાણ કરવા પૂર્વે અને પછી પણ નીચેના પાયાના-મહત્ત્વના મુદ્દાઓ ચકાસી જવાની જરૂર છે. તમે શોર્ટ ટર્મ રોકાણકાર હો અને માત્ર લિસ્ટિંગ બાદ નીકળી જવાનો વિચાર હોય તો આ વાત સાવ જ જુદી છે, પરંતુ તમે ગંભીર રોકાણકાર છો અને શેર ધરાવી રાખવા માગો છો તો વાત સાવ અલગ છે. 
હંમેશાં પ્રોસ્પેક્ટસ વાંચો
પ્રોસ્પેક્ટસ એવો દસ્તાવેજ છે, જેમાં સંભવિત રોકાણકારોને આમંત્રણ આપવામા આવ્યું હોય છે. પ્રોસ્પેક્ટસમાં બિડ રેન્જ, લઘુતમ બિડ, આઈપીઓ ખૂલવાની અને બંધ થવાની તારીખો આપેલી હોય છે. આમાં ખાસ ધ્યાન બિડની રેન્જ પર આપવાની જરૂર છે, કારણ કે ખોટ કરતી કંપનીઓ આઈપીઓ લઈને આવવાના કિસ્સા વધી રહ્યા છે એટલે બિડની રેન્જ પ્રાપ્ત થયેલી બિડની સંખ્યાના આધારે નક્કી કરવામાં આવે છે. આથી તમારે તમારા બ્રોકરને સ્પષ્ટ રીતે જણાવવાની જરૂર છે કે તમે ઓછામાં ઓછા કેટલા શેર્સ શું કિંમતે ખરીદવા તૈયાર છો. તમારા બજેટની અધિક કિંમત હોય તો તમે એ ચીજ ન ખરીદો એના જેવી આ વાત છે. 
વ્યક્તિગતપણે કે સંયુક્તપણે મૂડીરોકાણ કરવું
તમે જે ખાતામાંથી રોકાણ કરો એ વ્યક્તિગત કે જોઈન્ટ હોઈ શકે છે. જો એકાઉન્ટ જોઈન્ટ હોય તો જોડાયેલી વ્યક્તિઓ સાથે રોકાણની પ્રક્રિયા, ડોક્યુમેન્ટ્સ વગેરેની ચર્ચા કરી લેવી સારી જેથી ભવિષ્યમાં કોઈ વિવાદ ઊભો ન થાય અને કૌટુંબિક સંબંધ ન બગડે. કોઈ એક ખાસ વર્ગના રોકાણ માટે કુટુંબના સભ્યો વચ્ચે મૂડીરોકાણ અને તેના જોખમ લેવાના પ્રમાણ સંબંધિત સંમતિ અંગેનું કરારનામું પણ થઈ શકે છે. આ કરારમાં કુટુંબની કઈ વ્યક્તિઓ રોકાણનો કારભાર કરશે એની અને જરૂરી ગુપ્તતા જાળવવા માટેની જોગવાઈ પણ કરી શકાય. જ્યારે તમે આ અંગે અનિશ્ર્ચિત હો ત્યારે કાનૂની સલાહ લો.
 કંપનીનું બેકગ્રાઉન્ડ ચેક કરો 
કંપનીનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેકટસ કંપનીનું સાચું ચિત્ર દર્શાવવા માટેનો દસ્તાવેજ છે. કંપનીનો ઈતિહાસ અને અન્ય કંપનીઓ સાથેના તેના તાણાવાણા જાણવા માટેનો એ શ્રેષ્ઠ દસ્તાવેજ છે. કંપની આઈપીઓ લાવીને એટલે કે તમને શેરો વેચીને એ ભંડોળનું શું કરવા માગે છે એના પર ધ્યાન આપો. આ દસ્તાવેજ ઘણો લાંબો હોય છે પરંતુ તેમાંની મહત્ત્વની વિગતો જેવી કે જોખમી પરિબળો પર નજર ફેરવી લો એ જરૂરી છે. શું એ જોખમો તમે કે તમારા ભાગીદારો તમારી આર્થિક શક્તિનો વિચાર કરી લેવા માગો છો કે નહિ તે નક્કી કરો. કંપની વિરૂદ્ધ કયા અને કેવા કેસો પેન્ડિંગ છે એ પણ જાણી લો. આવા કેસોની યાદી પણ પ્રોસ્પેક્ટસમાં આપવામાં આવી હોય છે. કેસોનો નિકાલ કંપનીની તરફેણમાં આવવાની સંભાવનાનો અંદાજ પણ તમને તેનાથી આવી શકે છે. કંપની પર કેવી નાણાકીય જવાબદારી આવી શકે છે એ સમજી લેવામાં સાર.
માર્કેટ ઓવરવ્યુનું મહત્ત્વ
તમારે એ ન ભૂલવું જોઈએ કે તમે રોકાણકાર છો અને કંપનીએ ભૂતકાળમાં વેન્ચર કેપિટલિસ્ટ્સને જે વચનો આપીને રોકાણ પ્રાપ્ત કર્યું હતું એ હવે તમને આપવામાં આવી રહ્યાં છે પણ તમારી સ્થિતિ વેન્ચર કેપિટલિસ્ટ્સિની તુલનાએ ભિન્ન છે. એટલે તમારે સ્વતંત્ર રીતે વિચાર કરવો જોઈએ કે શું આ રોકાણ કરવું યોગ્ય છે કે નહિ. પ્રોસ્પેક્ટસમાં એક શીર્ષક હોય છે ‘માર્કેટ ઓવરવ્યૂ’ તેમાં બજારની સ્થિતિનો અને સંભવિત જોખમોનો ચિતાર હોય છે એનો વિચાર તમારા લાભ માટે કરી શકો છો. ઘણી એવી કંપનીઓના આઈપીઓ આવી રહ્યા છે, જેની સર્વિસીસ કે પ્રોડક્ટ્સ આપણે વાપરતા હોઈએ અથવા એવી કંપનીઓ કે જેને આપણે જાણતા હોઈએ. દાખલા તરીકે ઝોમેટો, પેટીએમ, નાયકા પરંતુ તેમાં રોકાણ કરવા માટે તો તે કંપનીઓની નાણાકીય સ્થિતિનો અભ્યાસ કરવો જ પડે. માત્ર સાંભળેલી વાતોથી કે પાયાની જાણકારીના આધારે તેમાં રોકાણ કરાય નહિ. 
 તમારી વર્તમાન કંપની સાથેનું ઘર્ષણ
જો તમે કોઈ કંપનીમાં કામ કરતા હો તો તમે જે કંપનીમાં રોકાણ કરવાના છો એ કંપની તમારી વર્તમાન કંપનીની હરીફ હોય તો તમારે સાવધ થઈ જવું જરૂરી છે. અગાઉ તો એવું હતું કે તમે વ્યક્તિગત રૂપે કોઈ પણ કંપનીમાં રોકાણ કરો એનાથી તમે જેમાં કામ કરો છો એ કંપનીને કશી લેવાદેવા નહોતી. પરંતુ હવે કંપનીઓ અગાઉથી એવી શરત તમારા નિમણૂક પત્રમાં સામેલ કરી દે છે કે તમે એ જ ક્ષેત્રની અન્ય કોઈ કંપનીમાં મૂડીરોકાણ નહિ કરો. તમારે રોકાણ કરવા પૂર્વે એ તપાસી લેવું જોઈએ કે તમે આવી કોઈ શરત પર સહી કરી છે કે નહિ. એ શક્ય છે કે તમે જે કંપનીમાં રોકાણ કરવા જઈ રહ્યા છો તે કંપની તમારી વર્તમાન કંપની સાથે સંઘર્ષમાં હોય.
 કેપિટલ ગેઈન્સ અને ટેકસ
તમે જે નફો આઈપીઓના લિસ્ટિંગ સમયે કમાઓ છો તેના પર કેપિટલ ગેઈન ટેક્સ લાગે છે અને તેની જાણ તમારે તમારા આવકવેરાના રિટર્નમાં કરવાની રહે છે. હવે પરમેનન્ટ એકાઉન્ટ નંબર (પાન) અને આધાર જોડાયેલાં હોવાથી એ સંભવ છે કે આવકવેરા વિભાગની નજર તમારા પર હોય અને તે એવી અપેક્ષા રાખતા હોય કે તમે પ્રામાણિકપણે આઈટી રિટર્ન ફાઈલ કરો. તમે જે રોકાણ કરો અને નફો કરો એનો સતત તાળો મેળવતા રહો. તમારા એ સોદાઓની તમારા આઈટી રિટર્ન પર શી અસર થશે એની સલાહ પણ પ્રોફેશનલ કરનિષ્ણાત પાસેથી લો. આઈટી રિટર્નમાં આવકનાં પાંચ શીર્ષક હોય છે અને તેમાં કેપિટલ ગેઈન્સનો પણ સમાવેશ છે એટલે તમે પગારની દૃષ્ટિએ આવકવેરાના નીચા ટેક્સ બ્રેકેટમાં ભલે આવતા હો પરંતુ એ શક્ય છે કે આઈપીઓ રોકાણમાંથી થયેલા નફાને પગલે તમે આવકવેરાના ઊંચા બ્રેકેટમાં આવી જાઓ.
આઈપીઓમાં રોકાણ કરતા ઈન્વેસ્ટરોની માનસિકતા
આઈપીઓમાં વિવિધ માનસિકતા સાથેના રોકાણકારો ભાગ લે છે. એક, સાવ નવા રોકાણકારો, જેઓ આઈપીઓને એન્ટ્રી પોઈન્ટ ગણે છે. બીજા, આઈપીઓમાં ઝટપટ નફો મેળવવા રોકાણ કરે છે, તેમનો હેતુ લિસ્ટિંગ બાદ ભાવ ઊંચા જાય કે તરત નફો લઈ લેવાનો હોય છે. ત્રીજા પ્રકારના રોકાણકાર કંપનીનો ટ્રેકરેકોર્ડ મજબૂત હોય અને પ્રમોટર્સ-મેનેજમેન્ટ ગ્રુપ સારું હોય તો લાંબા ગાળા માટે રોકાણ કરવાના ઈરાદાથી શેર જાળવી રાખવા રોકાણ કરે છે. ઘણાં આઈપીઓની ગ્રે માર્કેટ (બિન-સત્તાવાર) માર્કેટના ટ્રેન્ડને જોઈ રોકાણ કરે છે. અમુક પોતાની પાસેની વધારાની પ્રવાહિતાને આધારે રોકાણ કરી દે છે. હાલ તો મોટા ભાગના રોકાણકારો લિસ્ટિંગ બાદ તરત નફો કરવા રોકાણ કરતા થયા છે. અગાઉ લોકો લોંગ ટર્મ માટે કરતા હતા, હવે શોર્ટેસ્ટ ટાઈમ માટે કરે છે. આવા રોકાણકારો ફાઈનાન્સ મેળવીને રોકાણ કરતા હોવાથી તેમની હોલ્ડિંગ કેપેસિટી હોતી નથી. 

આઈપીઓ સંબંધી આ હકીકત કાયમ યાદ રાખો

આઈપીઓ માટે એક પાયાની વાત એ સમજી રાખો કે આઈપીઓ લાવનાર મોટાભાગની કંપનીઓ પોતાનું ગુલાબી ચિત્ર જ તમારી સમક્ષ મૂકશે. સેબીની આઈપીઓ સંબંધી ભાવ નીતિ મુકત હોવાથી કંપની તેના શેરની ઓફર પ્રાઈસ બેફામ મૂકે છે. મર્ચન્ટ બેન્કર્સ તેમને ફુલ સપોર્ટ કરે છે, કારણ કે તેમને તગડી ફી કંપની જ ચૂકવે છે. આ સાથે વિવિધ મીડિયા, પીઆર,ચોકકસ બ્રોકરોની મંડળી સહિત ઘણી તકવાદી હસ્તીઓ આ વહેતી ગંગામાં પોતાના હાથ ધોઈ લે છે, તેમને મન તો વર મરો, ક્ધયા મરો, ગોરનું તરભાણું ભરોનો મંત્ર જાપ ચાલતો હોય છે. કંપનીઓ એકવાર ભંડોળ ઊભું કરી લે એ પછી તે પોતાના પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે. આમાં મોટી રકમ ઘર ભેગી પણ કરાય છે. અથવા તેની બીજી કંપનીઓમાં પણ શિફટ કરાય છે. જેથી રોકાણકારોએ એ પણ જોવું જોઈએ કે કંપની કયાં નાણાંનો વપરાશ કરવા ભંડોળ ઊભું કરી રહી છે. એ પછી કંપની કયાં નાણાં વાપરી રહી છે. આ બધાં કંપનીના હિસાબમાં મળે છે. ઘણી કંપનીઓ પોતાનું દેવું ઓછું કરવા ભંડોળ ઊભું કરે છે. કેટલીક કંપનીઓ રોકાણકારોના ભોગે બિઝનેસના જોખમો ઊઠાવે છે. અમુક કંપનીઓ પોતાનું હોલ્ડિંગ ઓછું કરવા અને તેના અન્ય પ્રાથમિક રોકાણકારોને છૂટા કરવા આઈપીઓ લાવતી હોય છે, જેમાં નાણાં ખરેખર કંપનીના બિઝનેસમાં નહીં બલકે પ્રમોટર્સના અને પ્રાથમિક રોકાણકારોના ખિસ્સામાં જાય છે. તેથી જ અનેક આઈપીઓમાંથી કેટલાંય આઈપીઓ અમુક વરસ બાદ ગુમ થઈ જાય છે અથવા તેના શેરના ભાવ અડધા યા ઢીલા પડી જાય છે. તેનો ચાર્મ ખતમ થઈ જાય છે. ઉત્સાહથી શેરો ખરીદનારા રોકાણકારો છેલ્લે ઉદાસીન રહી જાય છે. હવે તમારે શું કરવું એ તમારે પોતાની વિવેકબુદ્ધિના આધારે નકકી કરવું જોઈશે.                                                          

November 2, 2021
discipline.jpg
1min470

કોરોનાના સમયમાં ઘરમાં રહીને મોજ માણ્યા બાદ સ્કૂલ ટીચરો અને ખાસ કરીને વિદ્યાર્થીઓમાં ૧૯ મહિના બાદ પોતાના મિત્રોને મળવાનો આનંદ અનેરો જ હતો. 

જોકે આટલા સમય બાદ વિદ્યાર્થીઓની સ્કૂલમાં હાજરી શિક્ષકોને હેરાન કરી મૂકનારી હતી. વિદ્યાર્થીઓએ સ્કૂલમાં પ્રવેશ કર્યા બાદ તેઓ શિસ્ત ભૂલી ગયા છે, એવી ફરિયાદ શિક્ષકો દ્વારા થઈ રહી છે.

દોઢ વર્ષ બાદ શહેરની સ્કૂલોનું ચિત્ર ખુશનુમા તો હતું, પણ ટીચરો માટે એ માથાનો દુખાવો બની ગયું હતું. અનેક સ્કૂલોમાં વિદ્યાર્થીઓ હળવામળવાને બદલે રીતસર બાખડતા હોવાનું પણ જોવા મળ્યું હતું તો તેઓ ડિસિપ્લીનનો બિલકુલ અભાવ જોવા મળ્યો હતો. ઓફલાઈન ક્લાસ ચાલતા હતા એ સમયે અનેક ક્લાસટીચરોએ બાળકોને ડિસિપ્લીનમાં રહેવાનું શીખવ્યું નહોતું. આને કારણે સ્કૂલનું વાતાવરણ પણ ડહોળાયેલું હતું. વિદ્યાર્થીઓની આવી હરકતોને કારણે હવે તેઓને ફરીથી ડિસિપ્લીનના પાઠ ભણાવવા જરૂરી છે, એવું એક સ્કૂલના ટીચરે જણાવ્યું હતું. દોઢ વર્ષ બાદ વિદ્યાર્થીઓને ડિસિપ્લીનમાં લાવવાનું કામ અઘરું બની રહ્યું છે ટીચરો માટે. ઓફલાઈન સમયે ડિસિપ્લીનનો પાઠ ન ભણાવનારા શિક્ષકોએ હવે નવેસરથી ડિસિપ્લીનના પાઠ ભણાવવા પડશે.  

October 31, 2021
sardar.jpg
1min1182

જો તમે સરદાર અને તેમના જીવન વિશે જાણવા માંગતા હોવ તો તમારે તેમના જીવન પર લખાયેલ કેટલાક ઉત્તમ ગુજરાતી પુસ્તકો અચૂક વાંચવા જોઈએ, જેની યાદી નીચે આપેલી છે.

Sardar Vallabhbhai Patel death anniversary: Twitterati pay tributes to the  statesman | India.com

આપણે આજે જે વિશાળ ભારતને જોઈને ગર્વ અનુભવીએ છીએ તેની કલ્પના પણ સરદાર વલ્લભભાઈ પટેલ વિના શક્ય નથી. આ સરદાર પટેલની મજબૂત ઇચ્છાશક્તિ અને નેતૃત્વ કૌશલ્યનું પરિણામ છે, જેણે દેશના નાના રજવાડાઓ અને રાજવીઓને ભારતમાં એક કર્યા હતા. આજે રાષ્ટ્રીય એકતા દિવસ એટલે કે લોખંડી પુરુષ અને આધુનિક ભારતના શિલ્પકાર સરદાર પટેલની જન્મજયંતિ ૧૪૬મી જન્મ જયંતી છે.

આ બાબતે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે સાહિત્યકાર અને ‘મહામાનવ સરદાર’ના લેખક દિનકર જોશી સાથે વાતચીત કરી હતી. સરદાર પટેલના જીવન મૂલ્યો વિશે વાત કરતાં તેમણે કહ્યું કે “સ્વને ઓગળી સામાજિક પ્રવૃત્તિ કરવી અને કામને મહત્ત્વ આપવાનો ગુણ છે, તે દરેકે ખાસ શીખવા જેવો છે.” તેમણે ઉમેર્યું કે “સરદાર પટેલની અદ્ભુત કામગીરી વિશે જાણવું હોય તો તેમના વિશે અચૂક વાંચવું જોઈએ. ઉપરાંત સરદાર પટેલ અને તેમના ભાઈ વિઠ્ઠલભાઈ પટેલ વિશેની વાર્તા પણ વાંચવા જેવી છે.”

આ દિવસે જો તમે સરદાર અને તેમના જીવન વિશે જાણવા માંગતા હોવ તો તમારે તેમના જીવન પર લખાયેલ કેટલાક ઉત્તમ ગુજરાતી પુસ્તકો અચૂક વાંચવા જોઈએ, જેની યાદી નીચે આપેલી છે.

૧. મહામાનવ સરદાર

સરદાર પટેલ વિશેની અજાણ સત્ય હકીકતો અને ઘટનાઓને સાર્થક કરતું આ અજોડ પુસ્તક ગુજરાતી ભાષામાં જાણીતા સાહિત્યકાર દિનકર જોશીએ લખ્યું છે. વર્ષ ૧૯૪૦થી ૧૯૫૦ના સમયની ઘણી નાની-મોટી રાજકીય વાતો કે જે કોઈક ખૂણે ખોવાય ગઈ છે. તેનું સચોટ વર્ણન આ પુસ્તકમાં છે. સાથોસાથ સરદાર સરદાર પટેલની વિચારધારનું સ્પષ્ટ દર્શન આ પુસ્તક કરાવે છે. આ પુસ્તકનો ગુજરાતીમાંથી હિન્દી, મરાઠી અને અંગ્રેજી ભાષામાં પણ અનુવાદ કરવામાં આવ્યો છે.

૨. સફળ નેતૃત્વની કથા સરદાર વલ્લભભાઈ પટેલનું જીવનચરિત્ર

અખંડ ભારતના મહાશિલ્પી સરદાર વલ્લભાઈ પટેલનું જીવનચરિત્ર આ પુસ્તકમાં યશવંત દોશીએ લખ્યું છે. સરદારનું વિગતવાર જીવનચરિત્ર રસપ્રદ રીતે આ પુસ્તકના બે ભાગ દ્વારા લેખકે રજૂ કર્યું છે. આ પુસ્તકમાં તેમના જન્મથી લઈને મૃત્યુ સુધીની કથા વિગતે આલેખવામાં આવી છે.

૩. સરદાર પટેલ – એક સમર્પિત જીવન

રાજમોહન ગાંધીના પુસ્તક ‘પટેલ – અ લાઈફ’નો ગુજરાતી અનુવાદ ‘સરદાર પટેલ – એક સમર્પિત જીવન’ નગીનદાસ સંઘવીએ કર્યો છે. સરદાર સહિત આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના અન્ય નેતાઓની કામગીરીની પણ માહિતી છે. સ્વતંત્રતા પહેલાના ભારતમાં બિરલા અને સારાભાઈની ભૂમિકાની પણ આ પુસ્તકમાં રસપ્રદ છણાવટ છે. ઉપરાંત ગાંધી, નહેરુ અને સરદારના પણ અનેક પ્રસંગ આ પુસ્તકમાં છે. પુસ્તક હિન્દીમાં પણ ઉપલબ્ધ છે.

૪. સરદાર એટલે સરદાર

ગુણવંત શાહે લખેલા આ પુસ્તકમાં સરદારના જીવનનાં સાતથી આઠ વર્ષની ક્રર્મક્રિયા ઉપર વિગતવાર પ્રસંગો છે. એમાંના રાજકારણને લગતા પસંગોને સારી રીતે બિરદાવવામાં પણ આવ્યા છે. આ પુસ્તક લેખક દ્વારા કરવામાં આવેલા વિવિધ લેખો અને ભાષણોનો સંગ્રહ છે જે સાચા સંદર્ભ સાથે સરદાર સાથે બનેલી ઘટનાઓનું સચોટ વર્ણન કરે છે.

૫. હિંદના સરદાર

 ભારતના લોખંડી પુરુષ એવા સરદાર વિશે આ પુસ્તકમાં ઘણી ન જાણીતી વાર્તાઓ છે, જેને કારણે બ્રિટિશ રાજનો અંત આવ્યો હતો. આ પુસ્તકમાં સરદાર વલ્લભભાઈ પટેલને લઈને ભારતીયોમાં ઉદભવેલા અનેક વિવાદો અને શંકાઓને પણ સ્પષ્ટ કરવામાં આવી છે. ભારતની સ્વતંત્રતા અને એકીકરણમાં સરદારના યોગદાન વિશે આ પુસ્તકમાં સંપૂર્ણ માહિતી છે.

October 31, 2021
shubh-labh-swastik.jpg
3min400
2019 Chopda Pujan Shubh Muhurat and timings for Mountain View, California,  United States
  • વાક્બારશ (વાઘબારસ) રમા એકાદશી (કેળા)- આશ્ર્વિન વદ- ૧૧:  સોમવાર, તા. ૧-૧૧-૨૦૨૧
  • ધનતેરસ- આશ્ર્વિન વદ-૧૨: મંગળવાર, તા. ૨-૧૧-૨૦૨૧
  • કાળી ચૌદસ- આશ્ર્વિન વદ-૧૩: બુધવાર, તા. ૩-૧૧-૨૦૨૧
  • દિવાળી, નરક ચતુર્દશી, મહાવીર નિર્વાણ દિન  (જૈન)- આશ્ર્વિન વદ-૩૦: ગુરુવાર,  તા. ૪-૧૧-૨૦૨૧
  • બેસતું વર્ષ, વિક્રમ સંવત ૨૦૭૮, જૈન વીર સંવત ૨૫૪૮ પ્રારંભ- કાર્તિક સુદ-૧: શુક્રવાર, તા. ૫-૧૧-૨૦૨૧
  • ભાઈબીજ- કાર્તિક સુદ-૨: શનિવાર, તા. ૬-૧૧-૨૦૨૧
  • લાભપાંચમ, જૈન જ્ઞાન પાંચમ- કાર્તિક સુદ-૫: મંગળવાર, તા. ૯-૧૧-૨૦૨૧———

ચોપડા લાવવા, ગાદી બિછાવવી લક્ષ્મીપૂજન (મહાલક્ષ્મીપૂજન)

ધનતેરસ, ધન્વંતરિ પૂજનઆશ્ર્વિન વદ- ૧૨: મંગળવાર, તા. ૨-૧૧-૨૦૨૧ ગુરુદ્વાદશી, ભોમપ્રદોષ, યમદીપદાન, બુધ માર્ગી થઈને તુલામાં ક. ૦૯-૫૧, પ્રદોષકાળ વ્યાપીની તેરસ હોવાથી આજ રોજ ધનપૂજન કરવું. ધન્વંતરિ ભગવાનનું પૂજન, સુવર્ણ – રજત સિક્કા, આભૂષણ – રત્નો આદિ ધનનું પૂજન કરવું. શ્રી યંત્ર – લક્ષ્મીયંત્ર, સ્વ. હરિહર પંડિત મહેસાણાવાળા સંશોધિત રિદ્ધિ સિદ્ધિ દાયક શ્રી ગણેશયંત્ર આદિની સ્થાપના પૂજા, ઈષ્ટદેવના  મંત્રાદિ અનુષ્ઠાનનું માહાત્મ્ય છે. 

મુહૂર્ત સમય આ પ્રમાણે છે:

  • (૧) સવારે ક. ૦૯-૩૧ થી ક. ૧૦-૫૭ (ચલ)
  • (૨) સવારે ક. ૧૦-૫૭ થી  ક. ૧૨-૨૨ (લાભ)
  • (૩) સવારે ક.૧૨-૨૨ થી ક. ૧૩-૪૮ (અમૃત)
  • (૪) બપોરે ક. ૧૫-૧૩ થી ક. ૧૬-૩૮ (શુભ)
  • (૫) સાંજે ક. ૧૯-૩૮થી ક. ૨૧-૧૩ (લાભ)
  • (૬) રાત્રે ક. ૨૨-૪૭થી ક. ૨૪-૨૨ (શુભ)
  • (૭) મધ્યરાત્રે ક. ૨૪-૨૨ થી ક. ૨૫-૫૭  (તા.૩) (અમૃત)
  • (૮) મધ્યરાત્રિ પછી ક. ૨૫-૫૭ થી ક. ૨૭-૩૧  
  • (તા.૩) (ચલ)ધનતેરસ પર્વના સ્થિર લગ્નો:(૧) સવારે ક. ૦૭-૪૮ થી  ક. ૧૦-૦૩ (વૃશ્ર્ચિક)(૨)  બપોરે ક. ૧૩-૫૮થી  ક. ૧૫-૩૫ (કુંભ)(૩)  સાંજે ક. ૧૮-૫૩  થી  રાત્રે  ક. ૨૦-૫૩ (વૃષભ)(૪) મધ્યરાત્રે ક. ૨૫-૨૨  થી ક. ૨૭-૪૧ (તા. ૩) (સિંહ) (૫) પ્રદોષયુક્ત ધનતેરસના યોગમાં (મુંબઈ સૂર્યાસ્ત  ક. ૧૮-૦૪) સમયે પવિત્ર ગોરજ સમયમાં———–
  • કાળી ચૌદશ – (મહાકાલી-મહારાત્રિ)આશ્ર્વિન વદ-૧૩, બુધવાર, તા. ૩-૧૧-૨૦૨૧શિવરાત્રિ, ઉલ્કાદર્શન, દીપદાન, કુલધર્મ, ભદ્રા સવારે ક. ૦૯-૦૨ થી રાત્રે ક. ૧૯-૩૫. ઈષ્ટ દેવતાનું પૂજન, મંત્રજાપ, અનુષ્ઠાન, કાળી ચૌદશની પૂજા પરંપરા અનુસાર યોગ્ય મુહૂર્તમાં કરવી. મહાકાલી માતાની પૂજા, હનુમાનજીની પૂજા, પીપળાનું પૂજન.           ———-
  • દિવાળી  મહાપર્વ-૨૦૭૭શ્રી શારદા પૂજન (ચોપડા), (મહાસરસ્વતી) પૂજન આશ્ર્વિન વદ-૩૦, ગુરુવાર, તા. ૪-૧૧-૨૦૨૧(ચિત્રા નક્ષત્ર સવારે ક. ૦૭-૪૧ સુધી, પછી સ્વાતિ ક. ૨૯-૦૬ સુધી), પછી વિશાખા, ચંદ્ર તુલા રાશિમાં. નરક ચતુર્દશી, ચંદ્રોદય ક. ૦૫-૪૯. દર્શ અમાસ, અભ્યંગ સ્નાન, અન્વાધાન, મહાવીર નિર્વાણ દિન (જૈન). ઉલ્કાદર્શન, કેદારગૌરી વ્રત. (દક્ષિણ ભારત). લક્ષ્મી વ ઈન્દ્ર પૂજા.દીપોત્સવી પર્વ મહાલક્ષ્મી, મહાકાલી, મહાસરસ્વતીની પૂજા દ્વારા આવનારા વર્ષના વધામણાં લેવાનો પવિત્ર અવસર છે.  કંપનીના, વ્યક્તિગત હિસાબનાં ચોપડા તથા ઉપયોગી વાંચનના પુસ્તકો, એકાઉન્ટિંગ માટે વપરાતા કોમ્પ્યુટરનું પૂજન તથા સ્ટેશનરીનું પૂજન, ધનપૂજન આજના દિવાળીના પવિત્ર પર્વમાં, શાસ્ત્રોક્ત વિધિથી બ્રાહ્મણ દ્વારા અવશ્ય કરવું. પ્રદોષકાળ અને નિષિધકાળ વ્યાપિની અમાસ હોવાથી  ચોપડાપૂજન કરવું.
  • ચોપડા પૂજનનાં મુહૂર્તો આ પ્રમાણે છે:
  • (૧) સવારે ક. ૦૬-૪૧   થી  ક. ૦૮-૦૭ (શુભ)
  • (૨) સવારે ક. ૧૦-૫૭  થી  ક. ૧૨-૨૨ (ચલ)
  • (૩) બપોરે ક. ૧૨-૨૨  થી  ક. ૧૩-૪૮ (લાભ)
  • (૪) બપોરે ક. ૧૩-૪૭  થી  ક. ૧૫-૦૩ (અમૃત)
  • (૫) સાંજે ક. ૧૬-૩૮  થી ક. ૧૮-૦૩ (શુભ)
  • (૬) સાંજે  ક. ૧૮-૦૩  થી  ક. ૧૯-૩૮ (અમૃત)
  • (૭) રાત્રેે ક. ૧૯-૩૮  થી  ક. ૨૧-૧૩ (ચલ)
  • (૮) મધ્ય રાત્રે ક. ૨૪-૨૨ થી   ક. ૨૫-૫૭ (લાભ)
  • (૯) પરોઢિયે ક. ૨૭-૩૨  થી   ક. ૨૯-૦૭  (તા. ૩)(શુભ)
  • (૧૦) પરોઢ્યિે ક.૨૯-૦૭ થી ક.૩૦.૪૧ (તા.૩)        (અમૃત)
  • (૧૧) પ્રદોષકાળ  રાત્રે  ક. ૧૮-૫૬    થી  ક.   ૧૯-૦૮
  • (૧૨) નિશિથકાળ મધ્યરાત્રે ક. ૨૩-૫૮  થી  ક.૨૪-૪૮————
  • દિવાળી પર્વના સ્થિર લગ્નો:
  • (૧) સવારે ક. ૦૭-૪૦થી ક. ૦૯-૫૫ (વૃશ્ર્ચિક)
  • (૨) બપોરે ક. ૧૩-૫૧ થી  બપોરે ક. ૧૫-૨૮ (કુંભ)
  • (૩)સાંજે ક. ૧૮-૪૫ થી રાત્રે ક. ૨૦-૪૫ (વૃષભ)
  • (૪) મધ્યરાત્રિ પછી ક. ૨૫-૧૪ થી ક. ૨૭-૨૩ (તા. ૫) (સિંહ)
  • (૫) વૃષભ સ્થિર લગ્ન, સ્થિર કુંભ નવમાંશ  સાંજેે ક. ૧૮-૫૭ થી ક. ૧૯-૦૯
  • (૬) વૃષભ સ્થિર લગ્ન વૃષભ સ્થિર નવમાંશ    રાત્રેે ક. ૧૯-૩૬ થી ક. ૧૯-૪૯
  • (૭) વૃષભ સ્થિર લગ્ન સિંહ સ્થિર નવમાંશ રાત્રે ક. ૨૦-૧૬ થી ક. ૨૦-૨૦
  • (૮) સિંહ લગ્ન, વૃષભ સ્થિર નવમાંશ મધ્યરાત્રિ પછી ક. ૨૫-૨૮ થી ક. ૨૫-૪૩. (તા. ૫મી)
  • (૯) સિંહ લગ્ન, સિંહ સ્થિર નવમાંશ મધ્યરાત્રિ પછી  ક. ૨૬-૧૧ થી ક. ૨૬-૨૫. (તા. ૫મી)
  • (૧૦) સિંહ લગ્ન વૃશ્ર્ચિક સ્થિર નવમાંશ મધ્યરાત્રિ પછી ક. ૨૬-૫૪ થી ક. ૨૭-૦૮ (તા. ૫મી)
  • નૂતન વર્ષાભિનંદન શુક્રવાર, તા. ૫-૧૧-૨૦૨૧, નૂતન વર્ષારંભવિ. સંવત ૨૦૭૮, ‘પ્રમાદી’ નામ સંવત્સર, મહાવીર જૈન સંવત્સર ૨૫૪૮. દિવાળી પડવો, બલિપ્રતિપદા, ગોવર્ધન પૂજા, ગૌક્રિડા, અન્નકૂટ, કાર્તિક શુક્લાદિ, અભ્યંગ સ્નાન, વિંછુડો પ્રારંભ ક. ૨૧-૦૩. નક્ષત્ર વિશાખા ક. ૨૬-૨૨ સુધી, પછી અનુરાધા, ચંદ્ર તુલામાં ક. ૨૧-૦૩ સુધી, પછી વૃશ્ર્ચિકમાં.મિતિ નાખવી – કાંટો બાંધવો – નવા વર્ષનો વેપાર પ્રારંભ કરવોમુહૂર્ત:(૧)  સવારે ક. ૦૬-૪૨ થી ક. ૦૮-૦૭ (ચલ)(૨) સવારે ક. ૦૮-૦૭ થી ક. ૦૯-૩૨ (લાભ)(૩) સવારે ક. ૦૯-૩૨ થી ક. ૧૦-૫૭ (અમૃત)(૪) બપોરે ક. ૧૨-૨૨ થી  ક. ૧૩-૪૭ (શુભ)————–
  • લાભ પાંચમ-જૈન જ્ઞાન પાંચમકાર્તિક સુદ-૫, સંવત ૨૦૭૭, મંગળવાર, તા. ૯-૧૧-૨૦૨૧સૌભાગ્ય પાંચમ, પાંડવ પંચમી, કુલાચાર પ્રમાણે આજ રોજ પવિત્ર પર્વયોગમાં મિતિ નાખવી, કાંટો બાંધી નવા વર્ષનો વેપાર પ્રારંભી શકાય છે.(૧) સવારે ક. ૦૯-૩૩   થી  ક. ૧૦-૫૭ (ચલ)(૨) સવારે ક. ૧૦-૫૭   થી  ક. ૧૨-૨૨ (લાભ)(૩) બપોરે ક. ૧૨-૨૨  થી   ક. ૧૩-૪૭   (અમૃત)(૪) બપોરે ક. ૧૫-૧૩   થી  સાંજે ક. ૧૬-૩૭ (શુભ)

October 24, 2021
unitels.jpg
1min363

આજકાલ રસોઈમાં પ્લાસ્ટિકનાં વાસણોનો પ્રયોગ વધ્યો હોવાને કારણે તેની વિપરીત અસર આરોગ્ય પર પડી રહી છે. ખાવાનું ખાવા અને બનાવવા માટે યોગ્ય વાસણોનો ઉપયોગ કરી તો જુઓ.

માટી ધરતી સાથે સીધી રીતે સંકળાયેલી છે. પૃથ્વીનો સંબંધ કફ, દોષ સાથે હોય છે. આ ઉપરાંત માટીમાં કુદરતી મિનરલ્સ (ખનિજ) હોવાને કારણે એમાં બનાવવામાં આવેલું ખાવાનું પોષણથી ભરપૂર હોય છે. માટીના વાસણમાં ખાવાનું ધીમે ધીમે બને છે એ કારણે તેમાં તૈયાર કરવામાં આવેલા ભોજનની પૌષ્ટિકતામાં ઘટાડો નથી થતો. 

દૂધ અને દૂધની બનાવટની વસ્તુઓ માટે માટીનું વાસણ ઉત્તમ મનાય છે

માટીના વાસણમાં બનાવેલું ભોજન ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે અને બીમારીઓ તમારી આસપાસ નથી ભટકતી. માટીના વાસણમાં તૈયાર કરવામાં આવતું ભોજન ધીમે ધીમે તૈયાર થતું હોવાને કારણે તેમાંનાં પોષક તત્ત્વો નાશ નથી પામતાં. 
માટીના ક્ષારીય ગુણોને કારણે માટલાના પાણીનું પીએચ સંતુલિત રહે છે. માટીના ઘડાના પાણીની તાસીર ઠંડી હોવા છતાં તેના કારણે શરીરમાં વાત નથી વધતો. ગરમીની મોસમમાં માટીના વાસણનું પાણી પીવાથી લૂથી બચી શકાય છે. માટીના ઘડાનું પાણી પીવાથી એસિડિટી નથી થતી. માટના વાસણ પાણીની અશુદ્ધિઓ પણ દૂર કરે છે. માટીની તાવડી પર બનેલી રોટલી ખાવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે

આયુર્વેદમાં તાંબાને અગ્નિતત્ત્વ સાથે સંકળાયેલું દર્શાવવામાં આવ્યું છે, જે શરીરના મૅટાબોલિઝમ (ચયાપચયની ક્રિયા)ને તંદુરસ્ત રાખવાનું કામ કરે છે. તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી પાચનશક્તિ સારી રહે છે. આંતરડા પણ યોગ્ય રીતે કામ કરે છે. તાંબાનાં વાસણોનો ઉપયોગ કરવાથી રક્તકણોની માત્રા પણ વધે છે. સ્થૂળ શરીર ધરાવતા લોકો પણ જો તાંબાનાં વાસણોનો ઉપયોગ કરે તો તેમને અનેક લાભ થશે. તાંબાના વાસણમાં બનેલું ભોજન આરોગવાથી શરીરમાંથી ચરબી ઓછી થાય છે. ત્વચા માટે પણ તે લાભકારક છે. 

તાંબાનાં વાસણોનો સૌથી વિશેષ ગુણ એ છે કે તે શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ ઘટાડે છે અને સાંધાના દરદમાં પણ રાહત પહોંચાડે છે. જેમને બ્લડપ્રેશરની સમસ્યા છે તેમણે સવારે ઊઠીને તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવું જોઈએ. શરીર પર તેની ખૂબ જ સારી અસર થાય છે. તાંબામાં શરીર પરના સોજા દૂર રાખવાના પણ ગુણ હોય છે અને એટલે જ તે આર્થ્રાઈટિસ કે સાંધાના દુખાવામાં આરામ પહોંચાડે છે. તાંબાના વાસણને ચોખા રાંધવા માટે સૌથી સારું માનવામાં આવે છે. તાંબાને સૂરજ અને આગ સાથે સંકળાયેલું માનવામાં આવે છે. તાંબું શરીરમાં અગ્નિતત્ત્વ વધારે છે. ચયાપચયની ક્રિયા ઝડપી બનાવે છે. 

પ્રાચીન સમયથી લોખંડની કડાઈ અને ચાકુનો ઘરમાં ઉપયોગ થતો આવ્યો છે. લોખંડના વાસણનો ઉપયોગ કરવાથી શરીરની તાકાત વધે છે. તે ઊર્જા આપે છે. વાસણોના સ્વરૂપે લોખંડનો ઉપયોગ કરવાથી શરીરમાં લોહતત્ત્વની પૂર્તિ થતી રહે છે અને તેને કારણે એનિમિયા જેવી બીમારી દૂર રહે છે. ગર્ભવતી યુવતીઓ માટે પણ લોખંડના વાસણમાં બનાવેલું ભોજન લાભકારક હોય છે. 

લોખંડનાં વાસણોની એક ખાસિયત એ પણ છે કે તે કમળા જેવી બીમારીને દૂર રાખે છે. ત્વચા સંબંધિત સમસ્યામાં પણ લોખંડનાં વાસણોનો ઉપયોગ કરવાથી રાહત મળે છે. આ વાસણોનો ઉપયોગ કરવાથી પાચનતંત્રને લગતી સમસ્યાઓ પણ દૂર થાય છે. 

ચાંદીમાં શીતળતા પ્રદાન કરવાના ગુણ હોય છે. ચાંદી શરીરમાં પિત્તનો પ્રભાવ ઓછો કરે છે. જે લોકોની ત્વચા સંવેદનશીલ હોય છે તેમને ચાંદીનાં વાસણોનો ઉપયોગ કરવાથી લાભ થઈ શકે છે. ચાંદીને મસ્તિષ્ક માટે સારી માનવામાં આવે છે. ચાંદીના ઉપયોગથી સ્વભાવનું ચીડિયાપણું ઓછું થાય છે.

જેમની દૃષ્ટિ નબળી પડી ગઈ છે તેમને ચાંદીના વાસણમાં ભોજન કરવાથી લાભ થાય છે. જે યુવતીઓને માસિક સંબંધિત સમસ્યા હોય છે તેમના માટે ચાંદીના વાસણમાં પાણી પીવું સારું રહે છે. ગુસ્સાવાળા સ્વભાવના લોકો માટે પણ ચાંદીના વાસણમાં પાણી પીવું સારું રહે છે. 
ચાંદીના વાસણમાં રાખેલું પાણી દરરોજ સવારે ખાલી પેટે પીવામાં આવે તો પેટને લગતી સમસ્યાઓ દૂર રહે છે. આ ધાતુ લિવર અને કિડની જેવાં શરીરનાં અન્ય અંગોને પણ ઠીક રાખે છે. એકંદરે આ ધાતુ શરીરને બીમારીથી દૂર રાખવામાં અસરકારક રહે છે. 

કાચનાં વાસણોને લઈને આયુર્વેદમાં કોઈ ખાસ જાણકારી ઉપલબ્ધ નથી, પરંતુ પ્લાસ્ટિકની સરખામણીએ કાચની બાટલી અને ગ્લાસને વધુ સુરક્ષિત માનવામાં આવે છે. 

ફળોનો રસ કાચના ગ્લાસમાં પીઓ
ઘરમાં પિત્તળની પરાંતનો ઉપયોગ ખૂબ થાય છે. પિત્તળનાં વાસણોમાં રાખેલું 
પાણી પીવાથી શરીરને તાકાત મળે છે. 
રોગ સામે લડવામાં પણ તે મદદ કરે છે. પિત્તળની થાળીમાં ભોજન કરવાથી અનેક લાભ થાય છે. 
આ વાસણોનો ઉપયોગ કરો છો તો તેની સાથે સંકળાયેલી અમુક ખાસ 
વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે, નહીં તો શરીરને નુકસાન થઈ શકે છે 

* તાંબાના વાસણમાં દૂધ, દૂધની બનાવટની વસ્તુઓ તેમ જ ખાટી વસ્તુ ન રાખવી જોઈએ. 
* તાંબાનાં વાસણ વજનદાર અને ભેળસેળયુક્ત ન હોવાં જોઈએ. તાંબાનાં વાસણ કોઈ વિશ્ર્વાસુ દુકાનમાંથી જ ખરીદો. 
* તાંબાના ગ્લાસ કે વાસણ પર લોહચુંબક લગાડવામાં આવે અને જો તે ચીટકી જાય તો સમજી લેવું કે વાસણમાં ભેળસેળ છે. 
* જો તાંબાના ગ્લાસને લીંબુથી ધોવામાં આવે અને તેનો રંગ ગુલાબી થઈ જાય અને ચમકવા લાગે તો સમજી લેવું આ ગ્લાસ શુદ્ધ તાંબાનો બનેલો છે. 
* તાંબાના વાસણમાં ઓછામાં ઓછા આઠ કલાક રાખ્યા બાદ પાણી પીવાથી જ શરીરને વધુમાં વધુ લાભ થશે. 
* દિવસમાં બેથી ત્રણ વાર પણ તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવામાં આવે તો તે પૂરતું છે. 
* ચાદીનાં વાસણોનો ભોજન માટે ઉપયોગ કરવો આજે શક્ય નથી જણાઈ રહ્યો એટલે વધુ સારું તો એ હશે કે ચાંદીના વાસણને બદલે શુદ્ધ ચાંદીનો સિક્કો કે ચમચી પાણીના પાત્રમાં રાખી મૂકો. તેનો થોડોક અંશ પણ પાણીની ગુણવત્તામાં સુધારો કરશે. 
* માટીના વાસણમાં ખાવાનું બનાવતી વખતે તેને ધીરે ધીરે ગરમ થવા દેવું. 
* જે લોકોને ભૂખ ઓછી લાગે છે તે જો પતરાળાની થાળીમાં ભોજન કરે તો તેમની ભૂખ વધશે. પેટમાં થતી બળતરાથી પણ છુટકારો મળશે.

October 18, 2021
Milad-un-Nabi_600.jpg
1min291

ઇસ્લામી વર્ષનો ત્રીજો મહિનો રબી ઉલ અવ્વલનો ૧૨મો રોજ એટલે દીને ઇસ્લામના સૌથી છેલ્લા પયગંબર અને અલ્લાહના મહેબૂબ હઝરત મુહંમ્મદ  સલ્લલ્લાહો અલૈયહિ વઆલૈહિ સલ્લામ (સવ.) ના મિલાદ શરીફ (જન્મદિવસ) નો મહાન પ્રસંગ. દર વર્ષે મોમીનોને આ દિવ્યોત્સવનું શરફ (માન, સન્માન) સાંપડે છે અને પયગંબરે ઇસ્લામના સબક આમોઝ (બોધ આપનારા) જીવન પ્રસંગો યાદ કરીને એમાંથી મઝહબી ફરજો સાથે માનવહકોની હિફાઝત (રક્ષા) અર્થે નેક (પ્રમાણિકતાપૂર્વક, ભલાઇ અને સત્ય) કાર્યો કરવાની પ્રેરણા મળે છે.

મિલાદ યાદના અવસર પર આપણી નજર સામે હિજરી સન ૧૪૪૧-૪૨ વર્ષ પૂર્વેનો અંધકાર યુગ ઉપસ્થિત થાય છે કે જયારે અરબસ્તાનની ભૂમિ પર અજ્ઞાનતા અને હેવાનિયત (જંગલી, પશુપણું)ના ઓળા ઉતરેલાં હતા અને ફિત્ના-ફસાદોની હવા ફૂંકાતી હતી. માત્ર નામોમાં જ મુસલમાની દેખાતી હતી પરંતુ કામ ખોટાં થતાં અને ઇસ્લામની ખરી ખૂબીઓ કોઇ સમજી શકતું નહોતું. આપસમાં નાના નાના કબીલાઓ લડતા અને મરતા હતા તેમ જ નજીવી બાબતોમાં મોટા ગુના કરતા હતા. એવા વિપરીત કાળમાં અલ્લાહના ફઝલો કરમ (કૃપા, મહેરબાની)થી પયગંબરે ઇસ્લામ, હુઝૂરે અનવર (સલ.)નો જન્મ થયો અને બચપણથી જ આ બધી બદી અને બૂરાઇઓ આપને ખૂંચવા લાગી. એનો આપે સદાચારી જીવન દ્વારા પ્રતિકાર કર્યો અને આપને નબુવ્વત પ્રાપ્ત થયા પછી તો ઇસ્લામને અજવાળવા અને તેને વ્યવસ્થિત બંધારણ પર મૂકવા માટે આપે જે ભગીરથ કાર્ય કર્યું છે તે ખરેખર અજોડ છે:

* આપ અલ્લાહના મહાન પયગંબર (સંદેશવાહક) એ તવહિદ (ઇશ્ર્વર એક હોવાનો) એકેશ્ર્વરવાદનો નારો લગાવ્યો અને તમામ લોકો એક જ સફ (પંગત)માં એકત્ર થઇ ગયા.
* આપના પર પવિત્ર કુરાન નાઝિલ (ઊતરવું) થયું અને ઇલાહી આજ્ઞા અને કાનૂનની લોકોને આપે સમજણ આપી.
* માલિક અને ગુલામો વચ્ચેનાં ભેદભાવો મિટાવ્યાં.
* જહાલત (મૂર્ખ, મૂઢ) અને ઝનૂન (પાશવીપણું) દૂર કર્યાં.
* જંગલી લોકોનાં જીગર (દિલોદિમાગ)માં  ઉતરી જઇને ઇન્સાનિયત-માનવતાનાં માંડવા બાંધ્યા. 
* માતાઓને દરજજો અપાવ્યો.
* દીકરીઓને હક (અધિકાર) અપાવ્યા.
* પત્નીઓ પર અન્યાય, અત્યાચારની લટકતી તલવારને દૂર કરાવી.
* આપે આપનું પોતાનું જીવન એવી રીતે સાદાઇ અને ગરીબીમાં ગુજાર્યું કે જે આપના ઉમ્મતિ (અનુયાયી, પ્રજાજનો) માટે બોધપ્રદ બની જાય. 

મીલાદુન્નબીના આ શાનદાર અવસરે આપ હુઝૂરે કરીમ (સલ.)ની ખિદમત  (સેવા)માં ન માત્ર મુસ્લિમો તરફથી જ આપના ઇલાહી તેજના બેનમૂન આદર્શ જીવન અને ઇસ્લામ ઉપરનાં આપના અનહદ ઉપકારો બ૨દલ શુક્રગુઝારી (આભાર પ્રદર્શિત) ની સલામી સાદર કરાશે. પરંતુ બિન મુસ્લિમ મહાનુભાવોની જબાનોથી અને કલમોથી પણ આપની મહાનતાનો મહિમા ગવાશે અને સદાકાળ ગવાતો રહેશે.

આપ હુઝૂરે અનવર (સલ.)ની ઇન્સાફી જિંદગી અને માનવ પ્રેમથી સભર જીવનની તવારીખ અતિ લાંબી અને વિશાળ છે. એનાં આલેખન માટે તો આ અદના લેખકના કલમની શાહી રજ જેટલી પણ હેસિયત રાખતી નથી પરંતુ અહીં અહેસાસનો ઇઝહાર રોકી શકાતો નથી કે જયારે જયારે આપના જીવનના હાલાત વાગોળવામાં આવે છે ત્યારે ત્યારે દિલમાં આપની અઝમત (મહત્તા)નો આપની મહાનતાનો એક નવો જઝબો  (ઉત્સાહ) પેદા થાય છે. આ આપમાં રહેલ દેવી ગુણો અને ઉત્તમ ખૂબીઓ નથી તો બીજું શું છે? એથી વધુ સારી દલીલ બીજી કઇ હોઇ શકે?
ઇસ્લામ ખુશગવાર અને કાબિલેકદ્ર અને આગવી ધાર્મિક નીતિનિયમોનો ધર્મ છે. એમાં ઇન્સાફની ખુશ્બો મહેકે છે, એમાં માનવતાની મિત્રતા દેખાય છે.

મિલાદ શરીફનો મહાન અવસર એ દુઆગુઝારી સાથે મનાવીએ કે આપ અલ્લાહના રસૂલ (સલ.) ના સદાચારી જીવનપંથે ઇમાનદારીપૂર્વક પ્રયાણ કરી, સર્વદા આપ પર દિલપૂર્વક દરૂદો સલામ પાઠવીએ.
સૌને ઇદે મિલાદની મુબારકબાદ.       

July 21, 2021
indian-flag.png
1min486
article-banner
૧૯૦૪માં રજૂ કરાયેલી ધ્વજની પ્રસ્તાવિત ડિઝાઈન ૧૯૦૬માં પ્રદર્શિત કરાયેલો બિનસત્તાવાર ધ્વજ ૧૯૦૭માં બર્લિનમાં મેડમ કામાએ લહેરાવેલો ધ્વજ ૧૯૧૭માં હોમ રૂલ મૂવમેન્ટ દરમ્યાન ઉપયોગમાં લેવાયેલો ધ્વજ ૧૯૨૧માં કોંગ્રેસની મીટિંગમાં ગાંધીજીએ રજૂ કરેલો ધ્વજ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસે ૧૯૩૧માં રજૂ કરેલો ધ્વજ ૧૯૩૧માં જ લોર્ડ માઉન્ટબેટને પ્રદર્શિત કરેલી ધ્વજની ડિઝાઈન ૧૯૪૭માં સત્તાવાર રીતે સ્વીકારવામાં આવેલો રાષ્ટ્રધ્વજ

ધ્વજ. ઝંડો. વાવટો. ધજા. નિશાન. ફ્લેગ. દેશનું પ્રતીક કોઈ ધ્વજ બને એ પહેલાં જુદા જુદા સમુદાયોનાં ટોળાં કે સેનાનું પ્રતીક હતો. દૂરથી કયા પ્રદેશ કે રાજાની સેના આવી રહી છે એ ખબર પડે માટે ઊંચા દંડ ઉપર ધ્વજ ફરકતો રાખવામાં આવતો. ઘણું કરીને એ ટ્રેન્ડ ઈજિપ્ત અને મેસોપોટેમિયાની સંસ્કૃતિમાં શરૂ થયો અને પછી આખી દુનિયામાં ફેલાયો. હિંદુ રાજાઓ પાસે પોતાના ઓળખચિહ્ન જેવા ઝંડા હતા. મંદિરોમાં ધજા ફરકાવવાની પરંપરા તો હજારો વર્ષ જૂની છે, પરંતુ ધજા હોય કે ધ્વજ, બંનેનો હેતુ તો સરખો જ કે અમુક કિલોમીટર દૂર રહેલા માણસને પણ તે દેખાઈ આવે. ધીમે ધીમે ધ્વજ પ્રતીક બનતો ગયો. ભારત દેશના પ્રતીક સમાન તિરંગો તો ઘણો યંગ કહેવાય, યુવાન કહેવાય. પણ તેના ઘડતરનો ઈતિહાસ તો એક સદી કરતાં પણ જૂનો છે.

મેડમ ભિખાઈજી કામાએ ૧૯૦૭માં વંદે માતરમ લખેલો રાષ્ટ્રધ્વજ પ્રદર્શિત કર્યો હતો એ આપણે બધા જાણીએ છીએ. જોકે એ ધ્વજ પણ ‘કલકતા ફ્લેગ’ ઉપરથી પ્રેરિત હતો. કલકતા ફ્લેગ સચીન્દ્ર પ્રસાદ બોઝ અને હેમચંદ્ર કનુંગોએ ૧૯૦૬માં લહેરાવ્યો. પછી તો ઇન્ડિયન ફ્લેગમાં ઘણા ફેરફારો થયા, પરંતુ આપણે અત્યારે જે રાષ્ટ્રધ્વજ જોઈએ છીએ તે ભારતને આઝાદી મળી તેના થોડા દિવસો પહેલાં જ એસેમ્બ્લીમાં પસાર થયો હતો અને માન્ય રાખવામાં આવ્યો હતો. એકવીસમી જુલાઈ, ૧૯૪૭ના રોજ તિરંગાની ફાઈનલ ડિઝાઈન મૂકવામાં આવી અને બાવીસમી જુલાઈ, ૧૯૪૭ના દિવસે તેને ફરકાવવામાં આવ્યો. ભારત પંદરમી ઓગસ્ટે આઝાદ થશે તે જાહેર થઈ ગયું હતું. લાલ કિલ્લા ઉપર કયો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે તેની સત્તાવાર જાહેરાત બાવીસમી જુલાઈના દિવસે થઈ.

જોકે ભારતના પ્રતીક સમાન રાષ્ટ્રધ્વજની ડિઝાઈન વખતોવખત બદલાતી આવી છે. ભારત દેશને જે તે સમયે રિપ્રેઝન્ટ કરતા હોય એવા ટોટલ કેટલા ફ્લેગ્સ બની ગયા તેનો કોઈ ચોક્કસ આંકડો પ્રાપ્ત નથી. અત્યંત ઊંડું સંશોધન કરીએ તો એક આંકડો મળી પણ આવે, પરંતુ તેની ચોકસાઈની ખાતરી ન આપી શકાય, કારણ કે આઝાદ ભારતની કલ્પના ઓગણીસમી સદીથી ચાલી આવી છે. ઘણાં બધાં રજવાડાંના જુદા જુદા દેશપ્રેમીઓ પોતપોતાની રીતે ભારતનો ઝંડો બનાવીને નીકળી પડતા. ૧૮૫૭ના વિપ્લવ પહેલાં તો ભારતને રજૂ કરતા હોય એવા ઝંડા અનેક હતા. જેનું દસ્તાવેજીકરણ થયું નથી. પણ આખા ભારતનું પ્રતીક બની શકે એવો એક જ ઝંડો હોવો જોઈએ તે વાતની અનુભૂતિ ૧૮૫૭ના વિપ્લવ પછી થઈ.

ગુલામ ભારતનો સત્તાવાર રીતે જે ‘ફર્સ્ટ ફ્લેગ’ કહેવાય છે તે જોઈને કોઈ પણ સામાન્ય ભારતીય દેશપ્રેમીને સહેજ અણગમો થાય એવું બને. તે ફ્લેગ ‘સ્ટાર ઓફ ઇન્ડિયા’ કહેવાતો. બ્રિટિશ વાઈસરોય અને ગવર્નર ઓફ ઇન્ડિયાએ તેને વાપરવાનું શરૂ કરેલું. બ્રિટિશ ધ્વજની જેમ જ તેમાં બ્લુ અને રેડ કલરના સ્ટારની વચ્ચે પીળા સૂર્યમાં સફેદ તારો રાખવામાં આવેલો. તેની ઉપર રાજાશાહીને રજૂ કરતી પાઘડી. આ ગુલામ ભારતને રજૂ કરતો ઝંડો હતો. એ ઝંડાને જોઈને કોઈ પણ નોન-બ્રિટિશર જે નોન-ઇન્ડિયન પણ છે તે ભારતની ગુલામી અવસ્થા સમજી જાય.

પછી બ્રિટિશ રાજા એડવર્ડ છઠ્ઠાના કાર્યકાળ દરમિયાન આ સ્ટારવાળો ફ્લેગ બદલાવવાની વાત થઈ. ઇન્ડિયન સિવિલ સર્વિસમાં કામ કરતા બ્રિટિશ ઓફિસર વિલિયમ કોલ્ડસ્ટ્રીમે પ્રપોઝલ મૂક્યું કે ભારતની આગવી ઓળખ આવે એવો તેનો ધ્વજ હોવો જોઈએ, નહિ કે બ્રિટિશના ગુલામ દેશને રજૂ કરતો ધ્વજ. એ સમયના લોર્ડ કર્ઝન સહિતના બધા બ્રિટિશ સત્તાધીશોએ આ પ્રપોઝલ સ્વાભાવિકપણે નકારી કાઢ્યું. વીસમી સદીની શરૂઆત થઈ ચૂકી હતી. ભારતના વીર સપૂતો અને ક્રાંતિકારી નેતાઓનાં વર્તુળોમાં હિન્દુસ્તાનને રિપ્રેઝન્ટ કરે એવો રાષ્ટ્રધ્વજ બનાવવો જોઈએ તે ચર્ચા શરૂ થઈ ચૂકી હતી. ભારતીય પ્રતીક તરીકે ગણેશજી કે ગાયમાતાને ધ્વજમાં સ્થાન મળવું જોઈએ એવું અમુક નેતાઓનું માનવું હતું. બાળ ગંગાધર તિલક, અરવિંદ ઘોષ અને બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય તો ગણેશજીને રાષ્ટ્રધ્વજમાં સ્થાન આપવાના હિમાયતી હતા.

૧૯૦૪માં એક એંગ્લો-ઇન્ડિયન સામયિકમાં એક ડિઝાઈન રજૂ થઈ હતી જે સૌથી ઓછી જાણીતી છે. જો આપણા દેશના એ ધ્વજની ડિઝાઈન અત્યારે કોઈને બતાવવામાં આવે તો કદાચ એ માની પણ ન શકે કે ભારતના રાષ્ટ્રધ્વજ તરીકે આવા ધ્વજનો પ્રસ્તાવ રખાયો હતો. વર્તમાન રાષ્ટ્રધ્વજ છે એવા જ ત્રણ આડા પટ્ટા પણ તેના રંગો અનુક્રમે ઘાટ્ટો બ્લુ, લીલો અને સ્કાય બ્લુ. એ ત્રણેય આડા પટ્ટાની ડાબી બાજુ ત્રણેય પટ્ટાને જોડતો એક સળંગ પટ્ટો જે જાંબલી રંગનો. એ જાંબલી રંગના ઊભા પટ્ટામાં સફેદ તારાઓ. અને આ ત્રણ આડા ને એક ઊભા એમ ચારેય પટ્ટાથી બનતા લંબચોરસને લાલ કલરની જાડી આઉટલાઈન. લાગે છેને વિચિત્ર? પણ એમાં અંગ્રેજોની બદમુરાદ દેખાઈ આવતી હતી અને ભારતની ખરાબ છાપ પણ ઊપસતી હતી. ઘાટ્ટો ભૂરો રંગ હિંદુઓ અને બૌદ્ધો માટે હતો, નીચેનો લીલો રંગ મુસલમાનો માટે અને સ્કાય બ્લુ ભારતમાં રહેતા ખ્રિસ્તીઓને રજૂ કરતો હતો. જાંબલી રંગ શેના માટે એ ક્લીઅર ન કર્યું પણ લાલ આઉટલાઈન બ્રિટિશ એમ્પાયરની જે ભારતની ગુલામી સૂચવે.

એના પછી કલકતા ફ્લેગ આવ્યો અને એના ઉપરથી જ ભિખાઈજી કામાએ એક રાષ્ટ્રધ્વજ બનાવીને જર્મનીમાં રજૂ કર્યો હતો. જેમાં વચ્ચેના પીળા પટ્ટા ઉપર વંદે માતરમ લખ્યું હતું. ઉપરના લીલા પટ્ટામાં આઠ સફેદ કમળ હતાં અને નીચે કેસરી પટ્ટામાં ચાંદ અને સૂર્ય હતા. એની બેસન્ટ અને બાળ ગંગાધર તિલકે પણ હોમ રૂલ ચળવળ દરમિયાન એક ફ્લેગ રજૂ કર્યો હતો જેનો આકાર ધજા જેવો હતો પણ એમાં યુનિયન જેક એટલે કે બ્રિટિશ ફ્લેગ દેખાતો હતો.

૧૯૨૧માં કોંગ્રેસની મીટિંગ દરમિયાન ગાંધીજીએ એક ધ્વજ રજૂ કરેલો. અત્યાર સુધી રજૂ થયેલા બધા ફ્લેગ કરતાં તે ક્રિએટિવલી વધુ સારો હતો અને તેમાં મોડર્ન ટચ પણ હતો. એકદમ સોબર રંગોનો ઉપયોગ થયો હતો. ત્રણ આડા પટ્ટા – અનુક્રમે સફેદ, નીલો અને લાલાશ પડતો કેસરી. વચ્ચે બ્લુ લાઈનમાં રેંટિયો. જોકે આ ધ્વજ ખાસ પોપ્યુલર ન બની શક્યો. એના પછી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે ૧૯૩૧માં તિરંગો રજૂ કર્યો જેમાં વચ્ચે અશોકચક્ર ન હતું પણ રેંટિયો હતો. તે ધ્વજ લગભગ બધાએ સ્વીકારી લીધો હતો, ઘણું કરીને ગાંધીજીના પ્રભાવને કારણે. તે સમયે બ્રિટિશ માઉન્ટબેટનના શેતાની દિમાગનો પરચો આપે એવો ધ્વજ તેમણે ખુદ રજૂ કર્યો. એણે એવું પ્રપોઝલ મૂક્યું કે આ રેંટિયાવાળા ધ્વજમાં ખૂણામાં બ્રિટિશ યુનિયન જેક પણ મૂકવામાં આવે. આ હાસ્યાસ્પદ પ્રસ્તાવને નકારવો પડ્યો.

ભારતની આઝાદીના થોડા દિવસો અગાઉ બંધારણીય સમિતિની બેઠક મળી. જેમાં સર્વપલ્લી રાધાકૃષ્ણન હતા, આંબેડકરસાહેબ હતા, સરોજિની નાયડુ, રાજેન્દ્ર પ્રસાદ, સી. રાજગોપાલાચારી, ગુજરાતી કનૈયાલાલ મુનશી હતા. તે બધાએ રેંટિયાને બદલે અશોકચક્ર ધરાવતો રાષ્ટ્રધ્વજ ભારતના રાષ્ટ્રધ્વજ તરીકે રજૂ કર્યો જે ૨૨ જુલાઈ, ૧૯૪૭ના દિવસે ફરકાવવામાં આવ્યો. અશોકચક્ર ધર્મચક્ર તો હતું જ પણ સાથે સાથે એક સમાનતા સૂચવતું હતું, ભારતની વણથંભી યાત્રા સૂચવતું હતું અને રાષ્ટ્રધ્વજને એક સિમેટ્રી બક્ષતું હતું. ભારતના મહાન વારસાને પણ અશોકચક્ર દ્વારા રજૂ કરી શકાતો હતો. રેંટિયા કરતાં અશોકચક્ર રાષ્ટ્રધ્વજમાં સ્થાન પામવાને પ્રબળ દાવેદાર હતું. ભારતના ઓળખચિહ્ન જેવા રાષ્ટ્રધ્વજમાં રેંટિયાને બદલે અશોકચક્ર વધુ શોભે એ વાત છેવટે ગાંધીજીએ પણ સ્વીકારી.

કેસરી રંગ સમૃદ્ધિ સૂચવે, લીલો રંગ હરિયાળી અને સફેદ રંગ શાંતિનું પ્રતીક છે એવું પાઠ્યપુસ્તકો કે શાળાઓમાં ભણાવવામાં આવે છે પણ તિરંગાના ત્રણેય રંગના આટલા સાદા અર્થો નથી થતા. કેસરી રંગ અપરિગ્રહ એટલે કે ભૌતિક સુખસંપદાથી સંન્યાસ સૂચવે છે અને તે રસ્તા ઉપર આ દેશના નેતાઓએ ચાલવાનું છે. સ્વાર્થ નથી જોવાનો પણ ત્યાગ કારવાનો છે. સફેદ રંગ સત્ય સૂચવે છે. સાચા પથ પર ભારતના પથિકોએ ચાલવાનું છે. લીલો રંગ હરિયાળી તો સૂચવે છે જ પણ ભારતના નાગરિકો જમીન સાથે કેટલા જોડાયેલા છે તે વાત મુખ્ય છે. અશોકચક્ર એટલે ફક્ત કોઈ એક ધર્મનું પ્રતીક નહિ. રાષ્ટ્રધ્વજમાં ધર્મ એટલે કોઈ એક ચોક્કસ ધર્મ પણ નહિ. અહીં ધર્મ એટલે સાચો રસ્તો, કોઈને હાનિ ન પહોંચાડે અને બધાનું ભલું કરે તેવો રસ્તો. ચક્ર સતત ફરતું રહે એનો અર્થ એ કે સતત બદલાવ આવશે પણ તે ફેરફાર શાંતિપૂર્ણ હોવો જોઈએ.

જોકે આ બધી ચર્ચામાં એક મહાન નામ હંમેશાં ભુલાઈ જાય છે. પિંગલી વેંકય્યા, જેમણે આપણો તિરંગો ડિઝાઈન કર્યો હતો અને તેમને ભારતરત્નનો ખિતાબ આપવો કે નહિ તેના વિષે હજુ પણ સરકાર વિચારણા કરી રહી છે. જય હિંદ! 

May 30, 2021
coronavictims.jpg
3min364

ભાજપના વડપણ હેઠળની કેન્દ્ર સરકાર બીજી મુદતનું બીજું વરસ પૂરી કરી રહી હોવાની પૂર્વસંધ્યાએ એટલે કે શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાને કારણે માતાપિતા ગુમાવનાર બાળકોના કલ્યાણ માટે અનેક પગલાંઓની જાહેરાત કરી હતી જેમાં તેમને શિક્ષણ આપવા સહિત તેઓ ૧૮ વર્ષના થાય ત્યારે તેમને રૂ. ૧૦ લાખનું કૉર્પસ આપવાનો પણ સમાવેશ થાય છે. કોરોનાને કારણે માતાપિતાને ગુમાવનાર બાળકોને મદદરૂપ થવા લેવામાં આવનારાં સંભવિત પંગલાંઓ અંગે ચર્ચા કરવા યોજાયેલી બેઠકનું અધ્યક્ષપદ સંભાળતા મોદીએ કહ્યું હતું કે ‘પીએમ કેર્સ ફૉર ચિલ્ડ્રન’ યોજના અંતર્ગત આવા બાળકોને મદદ કરવામાં આવશે. પ્રાઈમ મિનિસ્ટર્સ ઑફિસ (પીએમઓ) દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે આવા બાળકોના નામે ફિક્સ્ડ ડિપોઝિટ (એફડી) ખોલવામાં આવશે.

વિશેષ રીતે તૈયાર કરવામાં આવેલી યોજના અંતર્ગત પીએમ કેર્સ ફંડ મારફતે યોગદાન આપી આવું પ્રત્યેક બાળક જ્યારે ૧૮ વર્ષનું થશે ત્યારે તેના માટે રૂ. ૧૦ લાખનું કૉર્પસ ઊભું કરવામાં આવશે, એમ બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

આ કૉર્પસનો ઉપયોગ બાળક ૧૮ વર્ષનું થાય ત્યાર બાદ ઉચ્ચ અભ્યાસના સમયગાળા દરમિયાન તેની અંગત જરૂરિયાત પૂરી કરવા માટે પાંચ વર્ષ સુધી તેને માસિક આર્થિક સહાય કે સ્ટાયપન્ડ આપવા ઉપયોગમાં લેવામાં આવશે.

બાળક ૨૩ વર્ષનું થયા બાદ અંગત કે વ્યાવસાયિક ઉપયોગ માટે આ કૉર્પસની રકમ તેને આપવામાં આવશે.

આ જાહેરાત કરતી વખતે મોદીએ ભારપૂર્વક કહ્યું હતું કે બાળકો દેશના ભવિષ્યનું પ્રતિનિધિત્વ કરે છે.

સરકાર તેમની સુરક્ષા અને સહાય માટે બનતું બધું જ કરશે જેથી કરીને આ બાળકો દેશના સશક્ત નાગરિકો બને અને તેમનું ભવિષ્ય ઉજળું રહે, એમ તેમણે કહ્યું હતું.

મોદીએ કહ્યું હતું કે કટોકટીના આવા સમયમાં એક સમાજ તરીકે બાળકોની કાળજી લઈ તેમનામાં ઉજળા ભવિષ્યની આશાનું નિરુપણ કરવું એ આપણી ફરજ છે.

તમામ બાળકો જેમણે કોરોનાને કારણે માતાપિતા કે તેમને દત્તક લેનાર પાલક માતાપિતા બંને ગુમાવ્યા હોય તેમને આ યોજના હેઠળ સહાય આપવામાં આવશે એમ બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

આવા બાળકોના શિક્ષણ અંગે લેવામાં આવનારાં પગલાં પર ભાર મૂકતાં તેમણે કહ્યું હતું કે ૧૦ વર્ષથી નાના બાળકોને નજીકના કેન્દ્રીય વિદ્યાલય કે ખાનગી શાળામાં ઍડમિશન આપવામાં આવશે.

૧૧થી ૧૮ વર્ષની વયજૂથના બાળકોને સૈનિક સ્કૂલ, નવોદયા વિદ્યાલય જેવી કેન્દ્ર સરકારની કોઈપણ શાળામાં ઍડમિશન આપવામાં આવશે.

જો બાળકને ખાનગી સ્કૂલમાં દાખલ કરવામાં આવ્યો હશે તો રાઈટ ટૂ ઍજ્યૂકેશન ઍક્ટની જોગવાઈ મુજબ તેની ફી, સ્કૂલ યુનિફોર્મ, પુસ્તકો અને નૉટબુકનો ખર્ચ પીએમ કૅર ફંડમાંથી આપવામાં આવશે, એમ બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

હાલના નિયમાનુસાર ઉચ્ચ શિક્ષણ માટે આવા બાળકોને ભારતમાં પ્રોફેશનલ કૉર્સ કે ઉચ્ચ શિક્ષણ માટે ઍજ્યૂકેશન લૉન મેળવવામાં પણ મદદ કરવામાં આવશે અને તેનું વ્યાજ પીએમ કેર ફંડમાંથી ભરવામાં આવશે.

વિકલ્પરૂપે આવા બાળકોને કેન્દ્ર કે રાજ્ય સરકારની યોજના હેઠળ વૉકેશનલ કૉર્સ કે અન્ડર ગ્રૅજ્યૂએટ કૉર્સની ટ્યૂશન ફીના પ્રમાણમાં સ્કૉલરશિપ આપવામાં આવશે.

આવા તમામ બાળકોને પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના તેમ જ આયુષમાન ભારત યોજના હેઠળ આવરી લેવામાં આવશે અને તેમને પાંચ લાખ રૂપિયાનું વીમાકવચ પણ આપવામાં આવશે.

આ બાળકો ૧૮ વર્ષના થાય ત્યાં સુધી વીમાનું પ્રીમિયમ પીએમ કેર ફડમાંથી ભરવામાં આવશે.

કોરોનાને કારણે અત્યાર સુધીમાં દેશમાં ૫૭૭ બાળક અનાથ થયા છે, એમ મહિલા અને બાળવિકાસ ખાતાનાં પ્રધાન સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું. (એજન્સી)

આશ્રિતોને પૅન્શન અપાશે

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે કોવિડ-૧૯ને લીધે મરણ પામેલાના આશ્રિતોને પૅન્શન આપવા સહિત જે કુટુંબની કમાતી વ્યક્તિનું મરણ કોરોનાને કારણે થયું હોય એવા કુટુંબોને મદદરૂપ થાય એવા અનેક પગલાંની જાહેરાત શનિવારે કરી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ફૅમિલી પૅન્શનની ઉપરાંત ઍમપ્લોયી ડિપોઝિટ-લિંક્ડ ઇન્સ્યુરન્સ (ઇડીએલઆઇ) યોજનાને વધુ ઉદાર અને વિસ્તારીત કરાઇ છે. આ પગલાં એવા કુટુંબોની નાણાકીય સમસ્યાઓ ઉકેલવામાં મદદરૂપ થશે. મોદીએ જણાવ્યું હતું કે મારી સરકાર આવા કુટુંબોની સહાયતા માટે એમની પડખે ઊભી છે. આવા કુટુંબો ગૌરવપૂર્ણ જીવન જીવી શકે એ માટે ઇએસઆઇસી પૅન્શન યોજનાને કોવિડને કારણે મરણ પામેલી વ્યક્તિઓ માટે પણ વિસ્તારીત કરાઇ હોવાની વાત પીએમઓ કાર્યાલયે જણાવી હતી.

આવી વ્યક્તિના આશ્રિતો સરેરાશ મેળવતા દૈનિક વેતનના ૯૦ ટકા જેટલું પૅન્શન મેળવી શકશે. આ યોજનાનો લાભ ૨૪મી માર્ચ ૨૦૨૦થી ૨૪મી માર્ચ ૨૦૨૨ સુધીના આવા બધા જ કેસ માટે અમલમાં રહેશે.

ઇડીએલઆઇ વીમાના લાભ વધારવાનો લાભ કોરોનાને લીધે મરણ પામેલા કર્મચારીઓના કુટુંબીઓને મળશે. વીમાના મહત્તમ લાભની રકમ છ લાખ રૂપિયાથી વધારીને સાત લાખ રૂપિયા કરવામાં આવી છે અને ઓછામાં ઓછી રકમ અઢી લાખ રૂપિયા ૧૫મી ફેબ્રુઆરી ૨૦૨૦થી ત્રણ વર્ષ માટે અમલમાં રહેશે.

પીએમઓ કાર્યાલયે વધુમાં જણાવ્યું હતું કે શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા આ વિશેની વિસ્તૃત માહિતી જાહેર કરશે. (પીટીઆઇ)

ડેટા અપલોડ થશે

નવી દિલ્હી: નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સ (એનસીપીસીઆર)એ દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોનાની મહામારીમાં માતાપિતા બંને અથવા માતાપિતામાંથી એક જણ ગુમાવનાર બાળકોનો ડેટા એમના પોર્ટલ પર અપલોડ કરવા જણાવ્યું છે.

મહિલા અને બાળકલ્યાણ ખાતાના પ્રધાન સ્મૃતિ ઇરાનીએ મંગળવારે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના ગત એક એપ્રિલથી પચીસ માર્ચ સુધીના રિપોર્ટના આધારે જણાવ્યું હતું કે દેશભરમાં ૫૭૭ બાળકો અનાથ થયા હતા. સુપ્રીમ કોર્ટે દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના જિલ્લા

અધિકારીઓને બાળ સ્વરાજ પોર્ટલ પર કોવિડ કેર લિંક હેઠળ ૨૪ કલાકની અંદર અનાથ બાળકોનો ડેટા ભરવાનો આદેશ આપ્યાના એક દિવસ બાદ સર્વોચ્ચ બાળ અધિકાર સંસ્થા દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.

બાળ સ્વરાજ એ એનસીપીસીઆરનું ઓનલાઇન ટ્રેકીંગ પોર્ટલ છે જે સુરક્ષા અને સંભાળની જરૂરિયાતવાળા બાળકો પર ધ્યાન આપે છે. (પીટીઆઇ)

તમિળનાડુ સરકાર

₹ પાંચ લાખ આપશે

ચેન્નઇ: તમિળનાડુના મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટાલિને કોરોનાને કારણે માતા-પિતા ગુમાવનારા બાળકો માટે પાંચ લાખ રૂપિયાની સહાયની શનિવારે જાહેરાત કરી હતી. રાજ્ય સરકાર ગ્રેજ્યુએશન સુધી તેમના શિક્ષણ અને છાત્રાલયનો ખર્ચ ઉઠાવશે. માતા અને પિતામાંથી એક ગુમાવનારા બાળકોને ત્રણ લાખ રૂપિયાની સહાય કરવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું. એમ. કે. સ્ટાલિનની એઅધ્યક્ષતાવાળી બેઠકમાં

બાળકોના ખાતામાં પાંચ લાખ રૂપિયા જમા કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જે તેમને આજીવિકા માટે મદદરૂપ થશે. બાળકો ૧૮ વર્ષના થાય ત્યાર પછી જમા કરેલી રકમ વ્યાજની રકમ સાથે બાળકને આપવામાં આવશે. સરકારી મકાનોમાં આ બાળકોને પ્રાધાન્ય આપવામાં આવશે.

તમિળનાડુ સરકારે માતાપિતા ગુમાવનારા બાળકોની દેખરેખ માટે ટાસ્ક ફોર્સની રચના કરી છે.

આસામ સરકાર નાણાકીય સહાયતા કરશે: સીએમ

ગુવાહાટી: કોવિડ-૧૯ને લીધે અનાથ થયેલા દરેક બાળકોના શિક્ષણ અને અન્ય ખર્ચ માટે આસામ સરકાર એમનાં વાલીઓને દર મહિને બાળકદીઠ રૂ. ૩૫૦૦ની નાણાકીય સહાયતા કરશે.

આસામના મુખ્ય પ્રધાન હિમંતા સર્માએ આ જાહેરાત કરવા સાથે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે જે બાળકોનું કોઇ સગું નહીં હોય એમને આશ્રમશાળા

અથવા એવી સંસ્થામાં મોકલવામાં આવશે અને એમનો બધો ખર્ચ સરકાર ઉઠાવશે.

કોરોનાના રોગચાળાને લીધે જે બાળકોએ પોતાના માતાપિતા ગુમાવ્યા છે, એ બધા આગળ જઇને પગભર થઇ શકે એ માટે એમને કુશળતા કેળવી શકાય એવા તાલીમ આપવામાં આવશે.

આ માટે રવિવારે મુખ્ય પ્રધાનની શીશુ સેવા યોજના અભિયાનની શરૂઆત કરવામાં આવશે.

May 4, 2021
SRCT.jpg
1min409

ભારતમાં ભયાનક હદે વકરતાં જતાં કોરોના સંક્રમણથી ગભરાટમાં વારંવાર સીટી સ્કેન કરાવતા લોકોને ચેતવણી આપતાં એઈમ્સના નિર્દેશક ડો. રણદીપ ગુલરિયાએ જણાવ્યું હતું કે, સીટી સ્કેન કરાવવાથી કેન્સર થવાનું જોખમ ઊભું થાય છે.

દર્દી ઘરે આઈસોલેશનમાં હોય અને હળવાં લક્ષણ હોય, તો સીટી સ્કેન ન કરાવો. કારણકે, એક સીટી સ્કેનમાં 300 છાતીના એકસ-રે જેટલું રેડિયેશન હોય છે, જે ઘાતક બની
શકે છે.

આંકડાના વિશ્લેષણ પરથી જાણવા મળ્યું છે કે, કોરોના સંક્રમણથી દર્દીઓ ત્રણ-ત્રણ દિવસે સીટી સ્કેન કરાવી રહ્યા છે, જે ભારે હાનિકારક છે, તેની કોઈ જરૂર નથી તેવું તેમણે ઉમેર્યું હતું.
ખાસ કરીને યુવાન વયમાં એકપણ વાર સીટી સ્કેન કરાવ્યા પછી કર્કરોગ એટલે કે, કેન્સરનો ખતરો વધી જતો રહેવાની લાલબત્તી એઈમ્સના ડાયરેકટરે ધરી હતી.

દર્દીને ઓકિસજન પછી સ્ટીરોઈડ અને પછી લોહી ન ગંઠાય તેની દવાઓ સમયસર મળી જાય તો બીજી કોઈ દવાની જરૂર રહેતી નથી.

April 30, 2021
home_isolation.jpg
1min367

કેન્દ્રની નવી ગાઇડલાઇનમાં હોમ આઇસોલેશનમાં રહેલા સામાન્ય લક્ષણો વાળા દર્દીઓને રેમડેસિવિયર ઇન્જેક્શન ખરીદવા કે લગાવવાના પ્રયત્નથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે રેમડેસિવિયર માત્ર દવાખાનોમાં જ લગાવવામાં આવશે.

આ સિવાય નવી ગાઇડલાઇન મુજબ સામાન્ય લક્ષણોાવાળા દર્દીઓને સ્ટિરોઇડ ન આપવું જોઇએ અને સાત દિવસ પછી લક્ષણો જોવા મળે તો સારવાર માટે ડોક્ટરની સલાહ લીધા બાદ ઓરલ સ્ટિરોઇડ લેવું જોઇએ.નવી ગાઇડલાઇનમાં કેન્દ્ર સરકારે જણાવ્યું કે, 60 વર્ષથી વધુ વયના રોગી કે હાઇપરટેન્શન, ડાયાબિટીસ, હાર્ટ એટેક, ફેફસાં કે લીવરની બીમારીઓથી પીડિત લોકોએ તબીબની સલાહ લીધા પછી જે હોમ આઇસોલેશનમાં જવુ જોઇએ. જ્યારે ઓક્સિજન લેવલમાં ઘટાડો કે શ્વાસ લેવામાં તકલીપ પડે ત્યારે જે હોસ્પિટલમાં દાખલ થવું જોઇએ અને તાત્કાલિક ડોક્ટર સંપર્ક કરવો જોઇએ.

આ સિવાય દર્દી દિવસ દરમિયાન ગરમ પાણના કોગળા કરી શકે છે અથવા દિવસમાં બે વાર નાસ લઇ શકે છે.

તાવ જેવુ લક્ષણ પેરાસીટામોલ 650 mg દિવસમાં ચાર વાર લેવાથી પણ કાબૂમાં નથી આવતું તો ડોક્ટર સાથે વાતચીત કરવી જોઇએ. અન્ય દવાઓમાં દિવસમાં બે વાર નેપ્રોક્સેન 250 mg લેવાની સલાહ આપે છે.

દેશમાં રેમડેસિવિયર ઇન્જેક્શનને લઇને ઉભા થયેલા પડકારો સામે કેન્દ્રની નવી ગાઇડલાઇનમાં કહેવામાં આવ્યું છે કે, રેમડેસિવિયર ઇન્જેક્શન કે અન્ય સારવાર થેરાપી તબીબની સલાહ પર જ હોસ્પિટલની અંદર જ થવી જોઇએ. કેન્દ્રનું ગાઇડલાઇન દ્વારા કહેવુ છે કે ઘરમાં રેમડેસિવિયર ખરીદવા કે લગાવવાની જરુર નથી.