CIA ALERT

Alert Archives - Page 510 of 512 - CIA Live

June 23, 2018
whether23.jpg
1min33040

તા.23 જુન, 2018

ભારતના હવામાન ખાતા દ્વારા તા.23મી જુનને શનિવારે જારી કરાયેલી સેટેલાઇટ વેધર ઇમેજ અનુસાર સમગ્ર પશ્ચિમ ભારતમાં આગામી 48 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે. સેટેલાઇટ ઇમેજ પરથી સ્પષ્ટ નજરે પડે છે કે મહારાષ્ટ્ર અને ગુજરાતના વિસ્તારો પર મોન્સુન લઇને આવનારા વાદળો વ્યાપક પ્રમાણમાં છે અને તે સમય જતા ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે. જેને પરીણામે ગુજરાત અને મહારાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે.

આમેય દક્ષિણ ગુજરાતમાં આજે સવારથી જ વરસાદી ઝાપટા શરૂ થયા છે. સુરત શહેરમાં સવારે દસ વાગ્યાથી વરસાદ શરૂ થયો હતો. બપોરે એક વાગ્યાથી મૂળશધાર વરસાદ જોવા મળી રહ્યો છે.

June 23, 2018
rain.jpeg
1min15460

તા.23 જુન, 2018

આજે ભીમ અગિયારસના પવિત્ર દિવસે સુરત સમેત દક્ષિણ ગુજરાતમાં વરસાદના વધામણા થયા છે. આજના શુકનવંતા દિવસે સવારથી જ વરસાદી માહોલ સર્જાતા શોખીન સુરતીઓ માટે મજાનું વીકએન્ડ સેટ થઇ ચૂક્યું છે. વરસાદી વીકએન્ડ માટે જાણે સુરતીઓ તૈયાર થઈ ચૂક્યા છે. શહેરમાં આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને સવારે સાડા નવ વાગ્યાથી છુટા છવાયા ઝાપટા પડ્યા બાદ બપોરે એક વાગ્યે સૂસવાટાભેર પવન સાથે ઝરમરીયો વરસાદ શરૂ થયો હતો.

સવારે 10 વાગ્યાના અરસામાં શહેરના પશ્ચિમ વિસ્તારમાં મૂશળધાર વરસાદનું ઝાપટું આવતા જ સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. બપોર પડતા સુધીમાં સમગ્ર શહેરમાં કાળા ડીબાંગ વાદળો છવાય જવા પામ્યા હતા.

દક્ષિણ ગુજરાતમાં સાપુતારા, ડાંગ વિસ્તારમાં મૉન્સૂન સિસ્ટમ ઍક્ટિવ થવાની શરૂઆત થયાને હજી માંડ બે દિવસ થયા છે ત્યાં જ આજે વહેલી સવારથી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરત, વ્યારા વગેરે વિસ્તારમાં વાવણીની શરૂઆત થઈ ગઈ છે. સામાન્ય રીતે વાવણી ભીમ-અગિયારસના શુભ દિવસે થતી હોય છે, એ પરંપરાને અનુસારતા આ વખતે આજે ભીમ-અગિયારસ પહેલાં જ અગિયાર દિવસ પહેલાં જ વાવણી શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં ચોમાસું શરૂઆતના પચ્ચીસ દિવસમાં સૌથી સારું રહેતું હોવાથી આ દિવસોમાં વાવણીનો પૂરો લાભ લઈ શકાય એ હેતુથી ગુજરાતમાં ઠેર-ઠેર વાવણી શરૂ કરી દેવામાં આવી છે.

June 23, 2018
adhar-pan-cardfeature.jpg
1min6470

તા.23 જુન, 2018

કેન્દ્ર સરકારે આવકવેરા રિટર્ન્સ ITR ફાઇલ કરવા તેમજ નવું પાન(PAN) મેળવવા માટે આધાર કાર્ડ સમગ્ર દેશમાં ફરજિયાત બનાવ્યું છે. પાન-આધાર લિંક કરવા માટેની પાંચ મુદતો પડી છે અને હવે છેલ્લી મુદત આગામી તા.30મી જુન 2018 છે. એ પછી કદાચ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવામાં મુશ્કેલી પડી શકે.

જે પાનધારકોએ અત્યાર સુધી પાન-આધાર લિંકિંગ ન કર્યું હોય તેવા લોકોને સીઆઇએ માધ્યમ જણાવે છે કે તા.30મી સુધી પાન-આધાર લિંકઅપ કરાવી લે, અન્યથા બિનજરૂરી મુસિબત ઉભી થઇ શકે તેમ છે. પાન-આધાર લિંક કરવા માટેની અંતિમ મુદત 30-06-2018 નિયત કરવામાં આવી છે અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ આ મુદત વધારવા માટે હવે બિલકુલ રાજી નથી. કેમકે પાન-આધાર લિંક માટે સરકારે પાંચમી વખત તેની મુદત લંબાવી છે.

અગાઉ પાન અને આધારને લિંક કરવાની મુદત ગત વર્ષે ૩૧ જુલાઇ 2017, તા.૩૧ ઓગસ્ટ 2017 અને ૩૧ ડિસેમ્બર 2017 મુકર્રર કરવામાં આવી હતી. 2018માં અગાઉ તા. ૩૧ માર્ચ અંતિમ મુદત તરીકે જાહેર થઇ હતી. આધારને અન્ય વિવિધ સેવાઓ સાથે સાંકળવા માટે ૩૧ માર્ચની મુદત વધારવાના સુપ્રીમના અગાઉના આદેશને પગલે સીબીડીટીએ તેમ કર્યું હતું.

આવક વેરા કાયદાની કલમ ૧૩૯ એએ(૨)માં જણાવાયું છે કે પહેલી જુલાઇ, ૨૦૧૭ના રોજે પાન કાર્ડ ધરાવતી અને આધાર મેળવવાને પાત્ર દરેક વ્યક્તિએ તેનો આધાર નંબર ટેક્સના સત્તાવાળાઓને જણાવવાનો રહેશે.

June 23, 2018
plastic_feaure.png
1min9120

તા.23 જુન 2018

મહારાષ્ટ્ર સરકારે જાહેર કરેલા પ્લાસ્ટિક પરના પ્રતિબંધનો અમલ આજથી થઈ રહ્યો છે. મહારાષ્ટ્ર સરકારે એક વપરાશ કરીને ફેંકી દેવામાં આવતી પ્લાસ્ટિક વસ્તુઓ જેવી કે થેલી, પ્લેટ, કપ, ચમચી તેમ જ આવી જ થર્મોકોલથી બનેલી વસ્તુઓના મેન્યુફેક્ચર, વપરાશ, વેચાણ, વિતરણ અને સંગ્રહ પર પ્રતિબંધ મૂકી દીધો છે.

પ્લાસ્ટિક વિક્રેતા અને મેન્યુફેક્ચરરને સ્ટોક પૂરો કરવા મુદત આપી હતી

મહારાષ્ટ્ર સરકારે પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર તેમજ પ્લાસ્ટિક વિક્રેતાઓને ત્રણ મહિના સ્ટોકને પૂરો કરવા કે નાશ કરવા માટે આપ્યા હતા. આ મુદત ગઇકાલ તા.22મી જૂને પૂરી થઇ જવા પામી છે. આ સાથે રાજ્ય સરકાર અને પાલિકાઓ દ્વારા ખાસ જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે.

મહારાષ્ટ્રના પર્યાવરણ પ્રધાન રામદાસ કદમે લોકોને વિશ્ર્વાસ આપ્યો હતો કે સામાન્ય જનતા અને નાના વેપારીઓને રંજાડવામાં નહીં આવે, પરંતુ દોષી મેન્યુફેક્ચરર પર જ સખત કાર્યવાહી કરવા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે.

સરકારે નક્કી કરેલા દંડની રકમ બહુ મોટી હોવાની ફરિયાદો અંગે તેમણે જણાવ્યું હતું કે જેઓ કાયદાનો ભંગ કરશે તેમની માટે દંડ છે, જો તમે ભંગ જ નહીં કરો તો દંડ આપવાની કોઈ જરૂરત નથી. દંડની રકમ ઓછી કરવાનો તેમણે ઈનકાર કર્યો હતો. તેમણે રિટેલ પેકેજિંગ કંપનીઓને ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો છે. તેમણે પ્લાસ્ટિકના રિસાઈકલિંગ મામલે સોગંદનામું આપવાનું રહેશે. તેમના સોગંદનામાને હાઈ પાવર કમિટી સામે રજૂ કરવામાં આવશે.

અન્ય રાજ્યોમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિક આયાત કરનારા સીધા જેલમાં જશે

અન્ય રાજ્યોમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિક લાવનારાને સીધા જેલમાં ધકેલાય જશે એમ રામદાસ કદમે જણાવ્યું હતું. મહારાષ્ટ્રમાં પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ બહુ ઓછું થાય છે અને મોટા ભાગની પ્લાસ્ટિકની વસ્તુઓ ગુજરાત અથવા અન્ય રાજ્યોમાંથી આવે છે. તેમણે અગાઉ પણ જણાવ્યું હતું કે ૮૦ ટકા પ્લાસ્ટિક આઈટમ ગુજરાતમાંથી આવે છે. જો આમ થતાં કોઈ પકડાશે તો તેમને ૨૦૦૬ના વેસ્ટ મેનેજમેન્ટ એકટ હેઠળ ત્રણ મહિનાની જેલની સજા થશે.

મહારાષ્ટ્ર હાઇકોર્ટે પણ પ્લાસ્ટિક વિક્રેતાઓને દાદ ન અાપી

મહારાષ્ટ્ર સરકારે મુંબઇ હાઇ કોર્ટને જણાવ્યું હતું કે બધી જ સ્થાનિક સંસ્થાઓને પ્લાસ્ટિકની વસ્તુઓ અને કચરાના કલેક્શન, પરિવહન અને નિકાલ માટે યંત્રણા વિકસાવવા આદેશ આપવામાં આવ્યો છે. 23મી માર્ચના રોજ રાજ્ય સરકારે નોટિફિકેશન જારી કરીને પ્લાસ્ટિકના વપરાશ, વેચાણ, વિતરણ અને સંગ્રહ પર પ્રતિબંધ મૂક્યો છે, જેમાં પ્લાસ્ટિકની ચમચી, પ્લેટ્સ, પેટ બોટલ્સ વગેરેનો સમાવેશ થાય છે. સરકાર દ્વારા મૂકવામાં આવેલો પ્રતિબંધ આપખુદ, કાયદાની દ્રષ્ટિએ ખરાબ અને લોકોની આજીવિકા રળવાના મૂળભૂત અધિકારનો ભંગ કરનારો છે, એમ જણાવી પેટ બોટલ્સ અને થર્મોકોલ મેન્યુફેક્ચરિંગ એસોસિયેશન્સ દ્વારા આ નોટિફિકેશનને જોકે હાઇ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. એપ્રિલ મહિનામાં ન્યાયમૂર્તિ અભય ઑક અને ન્યાયમૂર્તિ રિયાઝ ચાગલાની ખંડપીઠે સરકારી નોટિફિકેશન પર સ્ટે મૂકવાનો ઇનકાર કર્યો હતો.

નોટિફિકેશનમાં પ્લાસ્ટિકના ઉત્પાદકો, વિતરકો અને રિટેલરોને પ્લાસ્ટિકનો નિકાલ કરવા ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. જોકે સામાન્ય લોકોને તેમના ઘરના પ્લાસ્ટિકની બેગ્સ સહિતની વસ્તુઓનો નિકાલ કરવા માત્ર એક મહિનાનો સમય આપવામાં આવ્યો હતો.

June 22, 2018
stcfea.jpg
1min8150

જયેશ બ્રહ્મભટ્ટ

cialive9@gmail.com

Dt.18 June, 2018, 10.00am

છેલ્લા નવ દાયકાથી શહેરના લબ્ધ પ્રતિષ્ઠિત લોકોને સ્પોર્ટસ, એન્ટરટેઇનમેન્ટ અને ફેસ્ટિવલ સેલિબ્રેશનનું માધ્યમ બનેલી અઠવાલાઇન્સ સ્થિત ધ સુરત ટેનિસ ક્લબની મેમ્બરશીપ હોવી એ જ આજે સ્ટેટસ સિમ્બોલ ગણાય છે. મૂળ સુરતીઓ, ખાનદાન ઘરાનાઓ માટે સુરત ટેનિસ ક્લબ એક પરિવારીક પ્રોપર્ટી સમાન છે. જેની મેમ્બરશીપની જ વેલ્યુ લાખો રૂપિયા થાય છે ત્યાં જો વહીવટની વાત આવે તો ? આ પ્રશ્નનો જવાબ સુરત ટેનિસ કલબની પ્રતિષ્ઠાભરી બની રહેલી ચૂંટણી પૂર્વે હાલ રચાયેલા માહોલ પરથી જણાય આવે છે. સુરત ટેનિસ ક્લબના મેમ્બર્સના ભાવ આજકાલ એટલા માટે જ ઉંચકાયા છે.

એક સમય એવો હતો કે જ્યારે સુરત ટેનિસ ક્લબની મેમ્બરશીપ 40 હજાર રૂપિયામાં મળતી હતી. આજે 10-12 લાખ રૂપિયા આપ્યા પછી પણ મેમ્બરશીપ ભાગ્યે મળી શકે છે. સુરત ટેનિસ ક્લબ શહેરના પોશ એરિયા અઠવાલાઇન્સ ખાતે લોકેટેડ હોવા સાથે તેની એક્ટિવિટીઝ અને ફેસ્ટિવલ સેલિબ્રેશન માટે લોકોમાં વધુ આકર્ષણ ધરાવે છે.

1927માં સ્થપાયેલી ધ સુરત ટેનિસ ક્લબના 10 સભ્યોની ચૂંટણી આગામી તા.1લી જુલાઇના રોજ યોજાઇ રહી છે. ચૂંટણીમાં બે મુખ્ય ગ્રુપ વચ્ચે જંગ છે. એક ગ્રુપ શહેરના જાણીતા સી.એ. પ્રજ્ઞેશ જગાશેઠનું છે, જેમના હાથમાં હાલ સુરત ટેનિસ ક્લબનો વહીવટી દોર છે.

પરિવર્તન ગ્રુપ

આ ગ્રુપ હાલમાં ટેનિસ ક્લબમાં સત્તાધારી છે. તેમણે નિલેશ દેસાઇ, ધર્મેશ કાપડીયા, ડો. પ્રફુલ્લ દોશી, કેતન મોદી, ઇબ્રાહિમ ઘડીયાળી, ચિરાગ પંચાલ, પ્રજ્ઞેશ જગાશેઠ, દક્ષેશ પારેખ, વિપુલ જાગીરદાર અને ધવલ શાહને મેદાનમાં ઉતાર્યા છે. આ ગ્રુપ એવું છે જેમણે પોતાની મોબાઇલ એપ પણ બનાવી છે અને તેના થકી મેમ્બર્સમાં પ્રચાર કરી રહ્યા છે. પરિવર્તન પેનલનું આ પોસ્ટલ  હાલમાં સોશ્યલ મિડીયા મારફતે સુરત ટેનિસ ક્લબના મેમ્બર્સના મોબાઇલ ફોન પર સતત સેન્ડ થઇ રહ્યું છે.

 

STC નવસર્જન પેનલ

સુરત ટેનિસ ક્લબમાં હાલમાં સત્તા ધરાવતા પરિવર્તન પેનલની સામે ક્લબના જ કેટલાક મેમ્બર્સે ભેગા મળીને એક ધરી રચી છે અા ધરીનું નામ STC નવસર્જન પેનલ રાખવામાં આવ્યું છે. નવસર્જન પેનલમાં સુધીર બજાજ, સી.એ. દિનેશ દ્વિવેદી, શ્યામ લખુપોટા, સમીર શ્રોફ, પુષ્કર રાજ નકુમ, રાજીવ છાબરા, અપૂર્વ ગાંધી, વીરચંદ મહેતા, નઝીર વલી, નિલેખ કોન્ટ્રાક્ટરનો સમાવેસ થાય છે. આ પેનલ મતદારોને વધુ કાર્યક્ષમ વહીવટ તેમજ વધુ લાભો મેમ્બર્સને મળે તેવા પ્રયાસો કરવાનો કોલ આપી રહ્યું છે. STC નવસર્જન પેનલનું આ પોસ્ટર હાલ સોશ્યલ મિડીયા મારફતે સુરત ટેનિસ ક્લબના મેમ્બર્સને મોકલવામાં આવી રહ્યું છે.

સુરત ટેનિસ ક્લબની ચૂંટણીમાં બન્ને પેનલના નામો જોતા દરેકે દરેક વ્યક્તિ સમાજમાં પોતાની અલગ પ્રતિભા ધરાવે છે. ટેનિસ ક્લબની આ ચૂંટણી એટલા માટે જ કહેવાય છે કે પ્રતિષ્ઠાભરી બની છે કેમકે લબ્ધ પ્રતિષ્ઠિત લોકો વચ્ચે આ ચૂંટણી જંગ લેખાઇ રહ્યો છે.

પરિવર્તન પેનલ માટે બોલીવુડની હસ્તીઓએ વિડીયો રિલીઝ કર્યા

સી.એ. પ્રજ્ઞેશ જગાશેઠની આગેવાની હેઠળની પરિવર્તન પેનલનો પ્રચાર એટલો હાઇટેક છે કે કદાચ કોઇ એમ.એલ.એ. કે એમ.પી.ની ચૂંટણીમાં બોલીવુડની હસ્તીઓ નહીં ઉતરે તેટલી સુરત ટેનિસ ક્લબની ચૂંટણીમાં પરિવર્તન પેનલ માટે ઉતરી છે. બોલીવુડમાં પોતાનું અલગ નામ ધરાવતા અનુપ જલોટા, ગૌતમ ગુલાટી, મુકેશ રિશી, વિદુ દારાસિંહ, અલી મુરાની, ગૌતમ ગુલાટી, ઇન્સ્પિરેશનલ વક્તા સંજય રાવલ વગેરે જેવી હસ્તીઓએ તા.1લી જુલાઇએ સુરત ટેનિસ ક્લબની ચૂંટણીમાં પરિવર્તન પેનલને વોટ આપવા અંગેના વિડીયો જારી કર્યા છે જે ટેનિસ ક્લબના દરેક મેમ્બરના વ્હોટ્સ એપ પર આ વિડીયો મોકલાવાઇ રહ્યા છે.

એવી જ રીતે પરિવર્તન પેનલ દ્વારા પોતાની મોબાઇલ એપ પણ રિલીઝ કરી દેવામાં આવી છે. આમ, આ લબ્ધ પ્રતિષ્ઠિત લોકો વચ્ચેની ચૂંટણીએ સોશ્યલ મિડીયામાં ખાસ્સું આકર્ષણ ઉભું કર્યુ છે.

June 21, 2018
nzpmfeature.jpg
1min14800
જયેશ બ્રહ્મભટ્ટ
ન્યુઝીલેન્ડના 150 વર્ષના ઇતિહાસમાં સૌથી યુવાન વયે વડાપ્રધાન બનવાનું શ્રેય જેના શિરે જાય છે એ 37 વર્ષિય મહિલા પ્રાઇમ મિનિસ્ટર જેસિન્ડા કેટ લૉરેલ એર્ડર્નએ આજે બેબી ગર્લને જન્મ આપ્યો છે. ન્યુઝીલેન્ડના મહિલા પ્રાઇમ મિનિસ્ટરના ઘરે પહેલી વાર પારણું બંધાયું હોવાના સમાચારો ન્યુઝીલેન્ડ સહિત સમગ્ર વિશ્વમાં ભારે વાઇરલ થયા હતા. ન્યુઝીલેન્ડવાસીઓ આને ઉત્સવની જેમ માણી રહ્યા છે. ન્યુઝીલેન્ડમાં વહેલી સવારથી જ આ મુદ્દે જશ્નભર્યો માહોલ જોવા મળી રહ્યો છે.
ગત જાન્યુઆરી 2018માં જેસિન્ડા કેટ લૉરેલ એર્ડર્નએ ઇન્સ્ટાગ્રામ પર માહિતી આપી હતી કે તેઓ ગર્ભવતી છે અને 6 માસની રજા પર જઇ રહ્યા છે.
કોઇ દેશના ટોચના પદાધિકારી હોદ્દા પર આરુઢ હોય તેવા સમયગાળામાં બાળકને જન્મ આપ્યો હોય તેવી ઘટના આજે 30 વર્ષ પછી બની છે. જેસિન્ડા એર્ડર્નએ આજે તેમના પહેલા બાળક તરીકે બેબી ગર્લને ઓકલેન્ડની સિટી હોસ્પિટલ ખાતે જન્મ આપ્યો હતો. બેબી ગર્લને જન્મ આપ્યાના થોડા કલાકો પછી તેમણે સોશ્યલ મિડીયા પર માહિતી આપતા જણાવ્યું હતું કે ન્યુઝીલેન્ડના સ્થાનિક સમય મુજબ સવારે 4.45 કલાકે બેબી ગર્લે જન્મ લીધો છે અને જન્મ સમયે તેનું વજન 7.3 પાઉન્ડ (3.31 કિલોગ્રામ) છે. તેમણે ઓકલેન્ડ સિટી હોસ્પિટલના સ્ટાફનો જાહેર આભાર વ્યક્ત કરતા કહ્યું કે તેમની સેવા અવિશ્મરણીય રહી છે.
ગત તા.26મી ઓક્ટોબરના રોજ જેસિન્ડા એર્ડર્ન લેબર પાર્ટીના નેતા તરીકે વડાપ્રધાન પદે આરુઢ થયા હતા.
June 19, 2018
india-russia-military-alliance.jpg
1min13690

અમેરિકાના આર્થિક પ્રતિબંધોને કારણે ભારતના રશિયા સાથેના ડિફેન્સ બિઝનેસને મોટો ફટકો પડ્યો છે. હથિયારો અને ડિફેન્સ ઇક્વિપમેન્ટ્સનં બે અબજ ડોલરનું પેમેન્ટ અટવાઈ ગયું છે. જેમાં લીઝ્ડ ન્યુક્લિયર સબસબમરિન INS ચક્રના રિપેરિંગ સહિતના મહત્ત્વનાં પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. જોકે, અમેરિકાના પ્રતિબંધને કારણે આ શક્ય નહીં હોવાથી એપ્રિલ મહિનાથી પેમેન્ટ અટવાઈ ગયું છે. એપ્રિલમાં અમેરિકાના પ્રતિબંધ પછી એક મહિના કરતાં પણ ઓછા સમયમાં 10 કરોડ ડોલરનું પેમેન્ટ બ્લોક કરી દેવાયું હતું. હાલ બે અબજ ડોલરના પેમેન્ટ અંગે અનિશ્ચિતતા ઊભી થઈ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ઘણા રાઉન્ડની વાટાઘાટ પછી સમસ્યાનું એક માત્ર સમાધાન રૂપી-રૂબલ ટ્રાન્સફર છે. અત્યાર સુધી ભારત અને રશિયાના ડિફેન્સ કરારમાં પેમેન્ટ અમેરિકન ડોલર્સમાં કરવામાં આવે છે. અમેરિકાના પ્રતિબંધને કારણે અટવાયેલા રશિયા સાથેના સંરક્ષણ સોદાને પાર પાડવા રૂપી-રૂબલ ટ્રાન્સફરનો નિર્ણય લેવાયો છે. બેન્કો દ્વારા પેમેન્ટ કરવાનું મુશ્કેલ જણાઈ રહ્યું હોવાથી બંને પક્ષ કરન્સીના એક માત્ર વિકલ્પનો ઉપયોગ કરવા સક્રિય છે. બંને દેશને નાણાં ટ્રાન્સફર કરવા માટે બેન્ક શોધવામાં મુશ્કેલી નડી રહી છે. કારણ કે જે બેન્ક આ ટ્રાન્ઝેક્શન કરશે તેની પર અમેરિકાના પ્રતિબંધનું જોખમ રહેશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ભારત તરફથી જે બેન્કોના નામ ચર્ચાઈ રહ્યા છે તેમાં વિજયા બેન્ક અને ઇન્ડિયન બેન્કનો સમાવેશ થાય છે. રશિયા તરફથી ભારતમાં તેની સૌથી મોટી બેન્કિંગ એન્ટિટી Sberબેન્કે ચર્ચામાં ભાગ લીધો હતો. જોકે, રશિયાની બેન્કે પેમેન્ટ માટે કોઈ બાંહેધરી આપી નથી. હજુ આ બાબતે નિર્ણય લેવાનો બાકી છે, પણ સમગ્ર કવાયત એવી બેન્કો દ્વારા ટ્રાન્ઝેક્શન પાર પાડવાની છે જેને અમેરિકાના પ્રતિબંધોની ઓછામાં ઓછી અસર થાય.

અન્ય વિકલ્પોમાં રશિયાની પ્રતિબંધ નહીં ધરાવતી એન્ટિટીને પેમેન્ટ કરવાનો છે. એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે, “આ વિકલ્પ માટેની વિચારણા પડતી મૂકવામાં આવી હતી. કારણ કે તેને લીધે ઘણી કાયદાકીય અને ઓડિટની સમસ્યા ઊભી થવાની શક્યતા હતી. ખાસ કરીને ડિફેન્સ સોદાની ઝીણવટથી ચકાસણી થાય છે.

એપ્રિલમાં અમેરિકાના નવા નોટિફિકેશન્સમાં રશિયાની રોસોબોરોનેક્સપોર્ટના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ઉપરાંત, ભારતીય બેન્કોને રશિયાની ડિફેન્સ કંપનીઓની તમામ લાઇન્સ ઓફ ક્રેડિટ (LoCs) ફ્રીઝ કરવા દબાણ વધારવામાં આવ્યું હતું. તેને લીધે તમામ સોદા અટવાઈ ગયા હતા.

June 18, 2018
sudixa-copy.jpg
1min14470

જયેશ બ્રહ્મભટ્ટ

આજકાલ ગરીબ અને મિડલ ક્લાસ પરિવારોના સંતાનોમાં નહીં ભણવા માટેનું જો કોઇ સોલિડ કારણ હોય તો એ પરિવારની આર્થિક સ્થિતિ છે, મા-બાપને ફી પોષાય તેમ નથી. આવી બહાનાબાજીથી ઉપર ઉઠીને ઉત્તર પ્રદેશના બુલંદ શહેરની એક અત્યંત ગરીબ પરિવારની દિકરી સુદીક્ષા ભાટીએ જે કરી બતાવ્યું છે એ કોઇપણ કરી શકે છે, પણ કરવા માટેની શુદ્ધ દાનત હોવી જોઇએ. અત્યંત ગરીબ પરિવારમાંથી આવતી સુદીક્ષાએ અમેરિકામાં ભણવું હતું અને તેને ખબર હતી કે જો તે અવ્વલ દરજ્જા સાથે ધો.12 પાસ થશે તો સેંકડો સ્કોલરશીપ્સ એવી છે કે એ જાત મહેનતથી મેળવીને અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ મેળવી શકશે. સુદીક્ષાએ પોતાના આ ઇમેજિનેશનને રિયાલિટીમાં કન્વર્ટ કરતા ધો.12 સેન્ટ્રલ બોર્ડમાં 98 ટકા સાથે પાસ કરીને અમેરિકાની પ્રસિદ્ધ બોબસન કોલેજમાં પ્રવેશ અરજી કરી હતી, પરીક્ષા આપી હતી અને સૌના આશ્ચર્ય વચ્ચે સુદીક્ષાને બોબસન કોલેજની ભણવાની પૂરેપૂરી ફીની રકમ એટલે કે ભારતીય ચલણ મુજબ રૂ.3.8 કરોડની સ્કોલરશીપ મળી છે.

સુદીક્ષા ભાટી જેણે સીબીએસઇમાં ધો.12 98 ટકા લાવીને અમેરિકાની કોલેજની રૂ.3.8 કરોડની સ્કોલરશીપ મેળવી

ઉત્તર પ્રદેશના બુલંદશહરમાં રહેતી સુદીક્ષા ભાટીને અમેરિકાની પ્રતિષ્ઠિત બોબસન કોલેજમાં અભ્યાસ માટે સંપૂર્ણ ફીની સ્કોલરશિપ મળી હોવાના સમાચાર સમગ્ર ભારતમાં વાઇરલ થઇ રહ્યા છે. અત્યંત સામાન્ય પરિવાર એટલે કે સુદીક્ષાના પપ્પા ચાની લારી ચલાવીને પરિવારનું પેટીયું રળે છે એવા પરિવારમાંથી આવીને . 12માં સીબીએસઈમાં 98% માર્ક મેળવનાર તેમજ બુલંદ જિલ્લામાં પ્રથમ ક્રમે ઉત્તિર્ણ થનાર સુદીક્ષા માટે આ પરીક્ષા બિલકુલ સરળ નહતી.

સુદીક્ષાનો પ્લસ પોઇન્ટ શું

સુદીક્ષાનો પ્લસ પોઇન્ટ એ જ છે કે  પરિવારની આર્થિક સ્થિતિ અને સામાજિક બાબતોને કોરાણે મુકીને સુદીક્ષાએ અભ્યાસમાં મન પરોવાયેલું રાખ્યું એટલું જ નહીં પરંતુ હવે તે યુએસની નામાંકિત કોલેજમાં અભ્યાસ માટે જઈને પોતાનું સપનું સાકાર કરી રહી છે.

સુદીક્ષા માતા-પિતા સાથે

વંચિતો માટેની શાળામાં ભણી સુદીક્ષા

સુદીક્ષાએ કહ્યું કે, ‘પહેલા મારા માટે અભ્યાસનું સપનું સાકાર કરવાનું સરળ નહતું. 2011માં મને વિદ્યાજ્ઞાન લીડરશિપ એકેડમી સ્કૂલમાં એડમિશન મળ્યું. આ શાળામાં મોટેભાગે વંચિત સમુદાયના બાળકો ભણે છે અને મને પણ ત્યાં ભણવાની તક મળી હતી. શરૂઆતમાં મારા પરિવાર અને સંબંધિઓને વાંધો હતો, પરંતુ મારા માતા-પિતાએ અભ્યાસ ચાલુ રાખવા પ્રોત્સાહન આપ્યું હતું.’

વિદ્યાવાન સ્કોલશિપ એકેડમીની સ્થાપના 2009માં શિવ નાડાર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી હતી. તે વખતે બુલંદશહેર અને સીતાપુરમાંથી 1900થી વધુ પરિવારના બાળકો આ કાર્યક્રમ હેઠળ પોતાનું પ્રાથમિક શિક્ષણ મેળવી શક્યા હતા. સુદીક્ષા બીજા બાળકોને એટલું કહેવા માંગે છે કે કોઈપણ પોતાના સપનાને સાકાર કરી શકે છે બસ માત્ર મહેનત કરવાનું બંધ ના કરવું જોઈએ.

June 18, 2018
1min14140

જયેશ બ્રહ્મભટ્ટ

cialive9@gmail.com

રાજ્ય સરકારના આયુષ વિભાગ દ્વારા આગામી સમયમાં રાજ્યમાં સુરત, તાપી સમેત કુલ 12 જિલ્લાઓમાં નવી સરકારી ધોરણે આયુર્વેદિક હોસ્પિટલ શરૂ કરવાની કાર્યવાહી આરંભી દેવામાં આવી છે. 12 જિલ્લાઓમાં સુરત, તાપી ઉપરાંત મહેસાણા, પાલનપુર, લુણાવાડા, મોડાસા, ગીર, સોમનાથ, આણંદ, ખેડા, બોટાદ, દ્વારકા, છોટા ઉદેપુરનો સમાવેશ થાય છે. રાજ્યમાં વૈકલ્પિક સારવાર પદ્ધતિ તરીકે આર્યુવેદિક પ્રચલિત છે, જે સ્થાનિક ચિકિત્સા પદ્ધતિ તરીકે પણ ઓળખાય છે.

નવી આર્યવેદિક હોસ્પિટલ્સની ક્ષમતા 50 બેડની રાખવામાં આવશે અને તેમાં સંભવતઃ ફાર્મસી એટલે કે આયુર્વેદિક મેડિસીન પણ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.

રાજ્યમાં હાલમાં કુલ 550થી વધુ આર્યવેદિક ડિસ્પેન્સરી, 200થી વધુ સરકારી આર્યુવેદિક હોસ્પિટલ્સ, 2 આયુષ ફાર્મસી અને 36 હોસ્પિટલ્સ મળીને કુલ 1565 બેડ્સની કેપેસિટી ધરાવતી આ ચિકિત્સિક માળખાગત સુવિધાઓનો વર્ષે દહાડે અંદાજે 2.70 લાખ દર્દીઓ લાભ લઇ રહ્યા છે. રાજ્ય સરકારના સરવેમાં એવું પણ નોંધવામાં આવ્યું છે કે આર્યવેદિક પદ્ધતિથી સારવાર મેળવતા લોકોની સંખ્યામાં દર મહિને ઉછાળો જોવા મળી રહ્યો છે.

 

June 16, 2018
suratairport1.jpg
1min16130

જયેશ બ્રહ્મભટ્ટ

cialive9@gmail.com

સુરત એરપોર્ટ પર ટૂંક સમયમાં એર એશિયા અને ઇન્ડીગો એરલાઇન્સ દ્વારા સુરતને કેન્દ્રમાં રાખીને સંખ્યાબંધ ફ્લાઇટ શરૂ કરશે. આ બન્ને એરલાઇન્સ કમસે કમ 8 જેટલી ફ્લાઇટ્સ સાથે સુરતને સાંકળી લેવાનું આયોજન ધરાવે છે જેમા વારાણસી, કોલકાત્તા, જમ્મુ, પટણા જેવા શહેરો સાથે સુરત એરપોર્ટને સાંકળી લેવામાં આવશે.

એક સમયે એકમાત્ર દિલ્હીની ફ્લાઇટ ધરાવતા સુરત એરપોર્ટ પર આગામી દિવાળી સુધીમાં સંખ્યાબંધ ફ્લાઇટ અને એ પણ રાઉન્ડ ધ ક્લોક આવતી જતી જોવા મળશે.

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ એર એશિયા ચાર નવા પ્લેન ખરીદી રહી છે અને આ ચાર પૈકી 2 ફ્લાઇટ સુરત એરપોર્ટ પર ફાળવી દેવાનું પ્લાનિંગ છે. એર એશિયા દ્વારા સુરત હાલમાં સુરત બેંગ્લોર વચ્ચે ફ્લાઇટ ચલાવવામાં આવે છે અને હવે પછી એર એશિયા સુરતથી કોલકાતા, કોલકાતાથી વાયા દિલ્હી અને ત્યાંથી જમ્મુને કનેક્ટ કરતી ફ્લાઇટ શરૂ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. એવી જ રીતે અન્ય એક ફ્લાઇટમાં સુરતથી પટણા વચ્ચે પણ ફ્લાઇટ આપવાનું પ્લાનિંગ હોવાનું જાણવા મળે છે. સુરતથી વારાણસી અને પટનાની ફ્લાઇટ કનેક્ટીવીટી ઓગસ્ટમાં શરૂ કરી દેવાશે જ્યારે સુરતથી પટના ઓક્ટોબરમાં શરૂ કરવામાં આવે તેવું શિડ્યુલ ગોઠવાયું છે.

ઇન્ડિગો એરલાઇન્સ 6 ફ્લાઇટ્સ લઇને સુરત એરપોર્ટ ધમધમતુ કરી મૂકશે

ભારતમાં ડોમેસ્ટિક એરલાઇન્સ ક્ષેત્રમાં નફો કરતી એકમાત્ર કંપની ઇન્ડિગો એરલાઇન્સ પહેલી વખત સુરત એરપોર્ટ પર આવી રહી છે. સુરત એરપોર્ટ પર ઇન્ડીગો એરલાઇન્સને પોતાની કેબિન માટે લોકેશન પણ ફાળવી દેવાયું છે. મળતી માહિતી મુજબ ઇન્ડિગોએ પોતાનું કામકાજ શરૂ કરવા માટે જરૂરી ફિલ્ડ સ્ટાફ માટેની રિક્રુટમેન્ટ પણ શરૂ કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આગામી જુલાઇમાં 3 ફ્લાઇટ અને એ પછીના મહિને, ઓગસ્ટ 3 ફ્લાઇટ સુરત એરપોર્ટ સાથે સાંકળીને શરૂ કરવાનું પ્લાનિંગ ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા કરવામાં આવ્યું છે. કયા સેક્ટર ઇન્ડિગો પોતાની ફ્લાઇટ શરૂ કરશે હજુ સુધી એ નક્કી નથી, પણ સુરતથી છ ફ્લાઇટ્સ આગામી બે માસમાં શરૂ કરવા અંગેનો નીતિ વિષયક નિણર્ય ઇન્ડિગો એરલાઇન્સે લઇ લીધો છે.

સુરત એરપોર્ટ ટર્મિનલ બિલ્ડીંગનું એક્સપાન્સન વર્કની તજવીજ

સુરત એરપોર્ટ પર જેમ જેમ ફ્લાઇટ્સની સંખ્યા વધી રહી છે તેમ તેમ ટર્મિનલ બિલ્ડિંગનો વ્યાપ વિસ્તાર વધારવાની અનિવાર્યતા પણ થઇ રહી છે. મળતી માહિતી મુજબ સુરત એરપોર્ટને રૂ.28 કરોડના ખર્ચે હાલના ટર્મિનલ બિલ્ડિંગને એક્સપાન કરવાની કાર્યવાહી તેજ કરી દેવામાં આવી છે અને આગામી ડિસમ્બર 2018 સુધીમાં મહદઅંશે ટર્મિનલ બિલ્ડંગની સિકલ બદલાય જાય તેવું કામ હાથ ધરી દેવામાં આવશે.

રનવે સાથે ટેક્સી વે પણ સાકાર કરાશે

કોઇપણ એરપોર્ટ સાથે ટેક્સી વે ની અનિવાર્યતા છે. ટેક્સી વે એટલે મેઇન રનવે પર લેન્ડ કરતું પ્લેન રનવે પરથી 27 સેકન્ડમાં ટેક્સી વે પર પહોંચી જવું જોઇએ. જેથી જે તે એરપોર્ટ પરથી અન્ય ફ્લાઇટના ટેકઓફ કે લેન્ડિંગમાં વધારે સમય ન બગડે કે વેઇટિંગમાં ઉભા ન રહેવું પડે.

સુરત એરપોર્ટ પર હાલમાં ટેક્સી વે નથી, પરીણામે ટેક્સી વે પણ સાકાર કરવાનું પ્લાનિંગ છે જેથી ભવિષ્યમાં સુરત એરપોર્ટ પર ફ્લાઇટની સંખ્યામાં વધારો કરી શકાશે.

દિવાળી સુધીમાં સુરત એરપોર્ટ વ્યસ્ત બની જશે : સી.આર. પાટીલ

સુરતને એર કનેક્ટિવિટી મળે તે માટે સતત પ્રયત્નશીલ રહેતા નવસારીના સાંસદ શ્રી સી.આર. પાટીલએ સી.આઇ.એ. લાઇવને જણાવ્યું હતું કે જે રીતે ડેવલપમેન્ટ થઇ રહ્યા છે, નવી નવી એરલાઇન્સ સુરત એરપોર્ટથી ફ્લાઇટ શરૂ કરવા માટે વાટાઘાટો કરી રહી છે એ જોતા દિવાળી સુધીમાં તો સુરત એરપોર્ટ દેશના વ્યસ્ત એરપોર્ટસની યાદીમાં મૂકાય જશે એમાં શંકાને કોઇ સ્થાન નથી.