ગુજરાતમાં પ્રથમ તબક્કામાં રહી રહીને પડેલા ભારે વરસાદને પગલે જનજીવન તેમજ જાનમાલને ભારે નુકસાની થઇ છે. કમસે કમ 29 વ્યક્તિઓના મોત વરસાદી હોનારતોને કારણે થયા હોવાનું જાણવા મળે છે. 110 પશુઓના પણ મોત વરસાદી ઘટનાઓને પગલે થયા હોવાની વિગતો સરકારી યાદીમાં જણાવવામાં આવી છે.


રાજ્યમાં દક્ષિણ, મધ્ય અને સૌરાષ્ટ્રમાં છેલ્લા 10 દિવસમાં પડેલા અતિભારે વરસાદને પગલે કુલ 5 સ્ટેટ હાઇવે સમેત 126 મુખ્ય માર્ગો બંધ થઇ જવા પામ્યા છે. ક્યાં તો પાણી ભરાવાના કારણે અગર તો બિસ્માર બની જવાના કારણે રસ્તાઓની હાલત બિસ્માર બની છે. લાખો લોકોનું સામાન્ય જનજીવન ત્રણથી પાંચ દિવસ માટે ખોરવાય જવા પામ્યું હતું.
રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડી રહેલા ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. રાજ્યમાં વરસાદને કારણે અત્યાર સુધી 29 લોકોનાં મોત થયા છે. તો અત્યાર સુધી વરસાદને કારણે કુલ 110 પશુઓનાં પણ મોત થયા છે. વરસાદને કારણે પાંચ સ્ટેટ હાઇવે સહિત 124 રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે તંત્રને એલર્ટ પર રાખવામાં આવ્યું છે. રાજ્યમાં પ્રભાવિત વિસ્તારોમાં એનડીઆરએફની ટીમને તહેનાત કરી દેવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા હજી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવતા તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે. ઓપરેશન સેન્ટર ગાંધીનગરના જણાવ્યા મુજબ સોમવારે સવારે 8 વાગ્યે પૂરા થતાં છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 31 જિલ્લાના 199 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ ભાવનગરના જેસરમાં 9 ઇંચ નોંધાયો છે. જ્યારે કામરેજ, ગણદેવી, ઓલપાડ, કપરાડામાં સાત-સાત ઇંચ વરસાદ નોંધાયો છે. ખેરગામ, ચીખલી અને સુરત શહેરમાં છ-છ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે પારડી, ભાવનગર, વાંસદા, બારડોલીમાં પાંચ-પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજ્યના 48 તાલુકાઓમાં બે થી નવ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
















