CIA ALERT

Alert Archives - Page 508 of 512 - CIA Live

June 30, 2018
Jio_Voda.jpg
1min12430

ભારતનાં ટેલિકોમ માર્કેટમાં આવકની બાબતમાં રિલાયન્સ જીઓ ઈન્ફોકોમ બીજા ક્રમની કંપની બની ગઈ છે અને તેણે વોડાફોન ઇન્ડિયાને ત્રીજા ક્રમે ધકેલી દીધી છે. માર્ચ-’18 ક્વાર્ટરમાં રિલાયન્સ જીઓની આવક 15 ટકા વધીને ₹6,217 કરોડ થઈ હતી.

માર્કેટની નં.-1 કંપની ભારતી એરટેલની આવક ડિસે.-’17 ક્વાર્ટરની સરખામણીએ 10 ટકા જેટલી ઘટીને ₹7,087 કરોડ થઈ હતી જેથી જીઓ અને એરટેલની આવક વચ્ચેનો ગેપ ઘણો ઓછો થયો છે. વોડાફોનની માર્ચ-’18 ક્વાર્ટરની આવક ₹4,937 કરોડ હતી જ્યારે ચોથા ક્રમની આઇડિયા સેલ્યુલરની આવક ₹4,033 કરોડ નોંધાઈ હોવાનું ટેલિકોમ નિયમનકાર ટ્રાઈના ડેટા પરથી જાણવા મળે છે.

મુકેશ અંબાણીની રિલાયન્સ જીઓએ ભારતમાં ટેલિકોમ બિઝનેસ શરૂ કર્યાના 19 મહિનાની અંદર જ વોડાફોનને આ‌વકની બાબતમાં પાછળ રાખી દીધી છે. વોડાફોન ગ્રાહકોની દૃષ્ટિએ ભારતની બીજા ક્રમની કંપની છે જ્યારે રિલાયન્સ જીઓ ચોથા ક્રમે છે.

રિલાયન્સ જીઓએ ફ્રી વોઇસ અને સાવ પાણીના ભાવે ડેટા સર્વિસ ઓફર કરીને ટેલિકોમ માર્કેટમાં ખળભળાટ મચાવી દીધો હતો અને તેના કારણે શરૂ થયેલી ગળાકાપ સ્પર્ધા હજુ પણ શમવાનું નામ નથી લેતી. જીઓની આક્રમક સ્પર્ધાને કારણે માર્કેટમાં કોન્સોલિડેશન શરૂ થયું હતું અને તમામ હરીફોની ખોટ વધી હતી.

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ડેટા પ્રમાણે, રિલાયન્સ જીઓની એડ્જસ્ટેડ ગ્રોસ રેવન્યુ (AGR) માર્ચ-’18 ક્વાર્ટરના અંતે વોડાફોન અને આઇડિયાની AGR કરતાં વધારે નોંધાઈ હતી.

જોકે, વોડાફોન અને આઇડિયા વચ્ચે ચાલી રહેલી મર્જર પ્રક્રિયા પૂરી થઈ ગયા બાદ અસ્તિત્વમાં આ‌વનારી નવી કંપનીની આવક ₹63,000 કરોડની થઈ જશે અને ગ્રાહકોની સંખ્યા પણ 43 કરોડે પહોંચી જશે, આમ આ કંપની માર્કેટની નં.-1 કંપની બની જશે અને તેની AGR ભારતી એરટેલ તથા રિલાયન્સ જીઓ કરતાં પણ વધી જશે.

સમગ્ર ઉદ્યોગને એક્સેસ સર્વિસિસમાંથી થતી AGRની વાત કરીએ તો વાર્ષિક ધોરણે તેમાં 12.57 ટકા જ્યારે ત્રિમાસિક ધોરણે 7.37 ટકાનો ઘટાડો થયો છે અને કુલ રેવન્યુ ₹35,697 કરોડે પહોંચી છે. ઉદ્યોગની તમામ કંપનીએ નેગેટિવ વૃદ્ધિદર નોંધાવ્યો છે જ્યારે એકમાત્ર જીઓની આવકમાં પોઝિટિવ વૃદ્ધિ થઈ છે.

રિલાયન્સ કોમ્યુનિકેશન્સ, ટાટા ટેલિસર્વિસિસ, ક્વોડ્રન્ટ અને ટેલિનોર જેવી કંપનીઓની આવકમાં તો સખત ઘટાડો થયો છે. આ કંપનીઓએ તેમનો બિઝનેસ બંધ કર્યો છે અથવા બંધ કરવાની તૈયારી કરી રહી છે. જીઓ સિવાય BSNLનું રેવન્યુ કલેક્શન ત્રિમાસિક ધોરણે 18 ટકા વધીને ₹2,128 કરોડ થયું છે.

June 30, 2018
Sania-Mirza-Shoaib-Malik.jpg
1min12620

મુંબઈમાં 27 જુન 2018ના રોજ આયોજિત મહિલાઓના વિકાસ અને ગર્લ-ચાઇલ્ડની ઇવેન્ટમાં ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ કહ્યું હતું કે હું પ્રેગ્નન્ટ છે અને લોકો મને દીકરો થાય એવી દુઆ કરે છે, પણ મારા માટે દીકરાની નહીં, પણ જો કોઈએ દુઆ કરવી હોય તો દીકરીની દુઆ કરે.

તેણે વધુમાં જણાવ્યું હતું કે ‘અમારે કોઈ ભાઈ નથી, અમે ફક્ત બે બહેનો છીએ. જ્યારે હું ફક્ત ૬ વર્ષની હતી ત્યારથી ટેનિસ રમું છું. અમારા ઘરે આવનારા લોકો હંમેશાં કહેતા કે શૉર્ટ સ્કર્ટ પહેરીને રમીશ તો તડકામાં કાળી થઈ જઈશ, કોઈ લગ્ન નહીં કરે. મને અને મારી બહેનને લોકો હંમેશાં પૂછતા કે તમારે કોઈ ભાઈ છે? જ્યારે અમે જણાવતાં કે અમે ફક્ત બે બહેનો છે તો લોકો દુખ વ્યક્ત કરતા હતા. સાચું કહું તો અમે ક્યારેય ભાઈની ખોટ નથી અનુભવી.

June 29, 2018
minority.jpg
1min12710
170ની વસતિ ધરાવતા યહુદી સમાજને ધાર્મિક લઘુમતી દરજ્જો

વસતિની દ્રષ્ટીએ જેનું સંખ્યાબળ ગુજરાતમાં ફક્ત 170 લોકો જેટલું મર્યાદિત છે એ યહુદી કોમને માઇનોરિટીનો દરજ્જો આપવા અંગેનો સૈદ્ધાંતિક નિર્ણય હાલમાં ઇઝરાયલના પ્રવાસ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લીધો છે અને તેની જાહેરાત કરી છે.

ગુજરાતમાં વર્ષોથી રહેતા યહુદીઓને ધાર્મિક લઘુમતીનો દરજ્જો આપવાનો તેમણે સૈદ્ધાંતિક નિર્ણય લીધો છે. ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુ સાથેની મુલાકાત દરમિયાન તેમણે આ નિર્દેશ આપ્યા હતા. ગુજરાત સરકાર યહુદીઓને લઘુમતીનો દરજ્જો આપવા વહેલી તકે જાહેરનામુ બહાર પાડશે. તે પછી યહુદી સમાજને લઘુમતી સમાજને મળતા વિવિધ લાભ મળશે.

યહુદી સમાજના લોકોમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના આ નિર્ણયને પગલે ખુશાલી પ્રવર્તી છે. આગેવાનોએ જણાવ્યું હતું કે રાજયમાં યહુદી સમાજના ૧૭૦ લોકો વસે છે, તેમાંથી ૧૪૦ અમદાવાદના ખમાસા-મણિનગર વિસ્તારમાં રહે છે. બાકીના પરિવાર વડોદરા, સુરત ખાતે રહે છે. યહુદી સમાજ જે રીતે કાયમ તેની પર ખતરો હોવાનું અનુભવે છે તે જોતા સરકારનો ધાર્મિક લઘુમતીનો દરજ્જો આપતો આ નિર્ણય યહુદી સમાજ માટે વધુ સુરક્ષાનો અહેસાસ કરાવનારો બની રહેશે.

ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુએ આ વર્ષના જાન્યુઆરીમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અમદાવાદની મુલાકાત લીધી હતી. તે સાથે ઇઝરાયલના ગુજરાત અને ભારત સાથેના સંબંધ વધુ ગાઢ થવા પામ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ તેમના પહેલા વિદેશ પ્રવાસ માટે ઇઝરાયલની પસંદગી કરી છે.

June 28, 2018
rath.jpg
1min16230

અમદાવાદની ઐતિહાસિક 141મી રથયાત્રા પહેલા જળયાત્રા કરવામાં આવી હતી. આ જળયાત્રા જગન્નાથ મંદિરથી સાબરમતીના કિનારા સુધી 108 કળશ સાથે કરાઈ હતી. અને મંદિરે પરત ફરી હતી આ જળયાત્રામાં રાજકીય માહનુભાવોઓની સાથે મોટી સંખ્યામાં સાધુ-સંતો અને ભક્તોની સાથે શણગારેલા બળદગાડાઓ, ભજન મંડળી, વગેરે જોડાયા હતા.

June 28, 2018
share1.jpg
1min4990

બીએસઈ500 કંપનીઓમાંથી લગભગ 25 કંપનીઓએ આ વ્યાપક માર્કેટ પ્રવાહને પરાસ્ત કર્યો હતો તથા FY2017-18 સુધીના પાંચ વર્ષ દરમિયાન વાર્ષિક ધોરણે વધારે ઊંચો નફો અને વેચાણ વૃદ્ધિ નોંધાવી હતી.

શ્રીમ્પ ફીડ મેન્યુફેક્ચરર તથા નિકાસકાર અવંતિ ફીડ્ઝ આ યાદીમાં ટોચ પર છે. પ્રોફિટ ગ્રોથની પ્રોફાઈલ પર એક નજર કરીએ તો જણાય આવે છે કે FY18માં ₹446.50 કરોડનો નફો, FY17માં ₹215.70 કરોડ, FY16માં ₹157.50 કરોડ, FY15માં ₹115.90 કરોડ, FY14માં ₹70.40 કરોડ અને FY13માં ₹30.10 કરોડ નોંધાયો હતો. તેના ટર્નઓવરમાં પણ સમાન લાઈનમાં વધારો નોંધાયો હતો. આના કારણે જ એમા કોઈ શંકા નથી કે આ શેરમાં 5,508 ટકાનો ઉછાળો નોંધાયો છે. 25 જૂન, 2013ના રોજ આ શેરનું મૂલ્ય ₹9.30 હતું તે આ વર્ષના સમાન દિવસે તેનું મૂલ્ય ₹521.60 નોંધાયું હતું.  આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ અવંતિ ફીડ્સ માટે બુલિશ હતી. ભારતની શ્રીમ્પની નિકાસ મૂલ્યના સંદર્ભમાં મિડ-ટીનમાં વધા તેવી અપેક્ષા રાખવામાં આવે છે અને તેના લીધે અવંતિ સૌથી વધારે ફાયદો મેળવી શકે.  FY13-18 દરમિયાન 35 ટકા રિટર્ન ઓન ઈક્વિટી તથા 66 ટકા સરેરાશ પીએટી વૃદ્ધિ સાથે અવંતિની અર્નિંગ ગ્રોથ ટ્રેજેક્ટરી તીવ્ર ચડાવ ઉતાર પર જળવાઈ રહે તેવી અપેક્ષા રાખવામાં આવે છે, જો કે, FY19Eમાં નીચા માર્જિન ઘટાડો નોંધાવી શકે, તેમ આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝે જણાવ્યું હતું. બ્રોકરેજે તાજેતરમાં અવંતી ફીડ પર ‘બાય’ રેટિંગ આપ્યું હતું.

ચાર અન્ય કંપનીઓ જેમણે સમાન દેખાવ કર્યો હતો તેમાં મેઘમણી ઓર્ગેનિક, કેએનઆર કન્સ્ટ્રક્શન, આરતી ઈન્ડસ્ટ્રીઝ અને કેપીઆર મિલનો સમાવેશ થાય છે, જેમના શેર્સ પાછલા પાંચ વર્ષ દરમિયાન 1,000 ટકા કરતાં વધારે ઉછળ્યા છે, કેમ કે કંપનીઓની ટોપલાઈન તથા બોટમલાઈન મજબૂત થઈ છે. બ્રોકરેજ આનંદ રાઠી આરતી ઈન્ડસ્ટ્રીઝ પર ₹1,489ના પ્રાઈસ ટાર્ગેટ સાથે પોઝિટિવ છે. કંપની સ્પેશિયાલિટી કેમિકલ્સ અને ફાર્મા પ્રોડક્ટ્સનું મેન્યુફેક્ચરિંગ કરે છે તથા વૈશ્વિક બજારમાં હાજરી ધરાવે છે. બ્રોકરેજનો અંદાજ છે કે FY19 માટે કંપની ₹410.80 કરોડનો નફો કરશે તથા FY20 માટે ₹554.50 કરોડનો ચોખ્ખો નફો નોંધાવશે.

રોડનું બાંધકામ કરતી કંપની કેએનઆર કન્સ્ટ્રક્શને પાછલા પાંચ વર્ષ દરમિયાન વેચાણમાં 2.5 ગણા કરતાં વધારે વૃદ્ધિ સામે નફામાં પાંચ ગણો વધારો નોંધાવ્યો હતો. એન્ટિક સ્ટોક બ્રોકિંગે નાણાકીય વર્ષ 2019 માટે કંપનીનો ચોખ્ખો નફો ₹207.70 કરોડ અંદાજ્યો છે તથા 2020 માટે કંપનીનો ચોખ્ખો નફો ₹216 કરોડ અંદાજ્યો છે, જેની સામે 2018 માટે કંપનીનો ચોખ્ખો નફો ₹243.50 કરોડ નોંધાયો છે. બ્રોકરેજ આ કંપની માટે ₹338ની ટાર્ગેટ કિંમત સાથે બાય રેટિંગ આપે છે.

બ્લુચિપ કંપનીઓ ઈન્ફોસિસ, એચડીએફસી બેન્ક, એચડીએફસી, મારૂતિ સુઝુકી અને કોટક મહિન્દ્રા બેન્કે પણ સતત પાંચમાં વર્ષે પણ નાણાકીય વર્ષ 2018માં ચોખ્ખા વેચાણમાં તથા ચોખ્ખા નફામાં વૃદ્ધિ નોંધાવી હતી. પાછલા પાંચ વર્ષ દરમિયાન આ કંપનીઓના શેર્સમાં 10 ટકાથી લઈને 500 ટકા સુધીનો વધારો નોંધાયો હતો.

મોતીલાલ ઓસવાલ એચડીએફસી, એચડીએફસી બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, ઇન્ફોસિસ, મારૂતિ સુઝુકી અને એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ માટે ‘બાય’ રેટિંગ ધરાવે છે.

સીસીએલ પ્રોડક્ટ્સ, એડલવાઈઝ ફાઇનાન્સિયલ સર્વિસિસ, નેટ્કો ફાર્મા, બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝ, ચોલામંડલમ્ ઈન્વેસ્ટમેન્ટ, ઓરોબિન્દો ફાર્મા અને સોલાર ઈન્ડસ્ટ્રીઝમાં જૂન 2013થી જૂન 2018 દરમિયાન 500 ટકાથી વધારે ઉછાળો નોંધાયો હતો.

એડલવાઇઝ ફાઇનાન્સિયલ સર્વિસિસનો નફો નાણાકીય વર્ષ 2018માં વધીને ₹890.10 કરોડ નોંધાયો હતો જે નાણાકીય વર્ષ 2013માં ₹178.50 કરોડ હતો, જ્યારે તેનું વેચાણ ₹2144.40 કરોડથી વધીને ₹8,405.10 કરોડ નોંધાયું હતું.

બ્રિટાનિયાનો નફો નાણાકીય વર્ષ 2018 માટે વધીને ₹1,000 કરોડથી વધારે હતો જે નાણાકીય વર્ષ 2013માં ₹259 કરોડ હતો. આ એફએમસીજી કંપની મજબૂત સ્થિતિમાં છે કેમ કે તે પ્રોસેસ્ડ ફૂડના સૌથી મોટા સેગમેન્ટમાં લિડરશિપ પોઝિશન ધરાવે છે જેનું માર્કેટ આશરે ₹30,000 કરોડનું છે.

મધરસન સુમી, જેએમ ફાઇનાન્સિયલ, પિડીલાઈટ ઈન્ડસ્ટ્રીઝ તથા યસ બેન્કમાં પણ વાર્ષિક ધોરણે નફામાં વધારા સાથે સતત પાંચમાં વર્ષે પણ વધારો જોવાયો હતો, પાછલા પાંચ વર્ષ દરમિયાન આ શેરની કિંમત 250-400 ટકા વધી હતી.

આ યાદીના અન્ય નામોમાં પીસી જ્વેલર્સ, એશિયન પેઇન્ટ, સન ટીવી અને એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સનો સમાવેશ થાય છે, જેમના શેર્સમાં સમાન ગાળા દરમિયાન 200 ટકા સુધીનો વધારો નોંધાયો હતો. એમકે ગ્લોબલ ફાઇનાન્સિયલ સર્વિસિસ ₹947ની ટાર્ગેટ કિંમત સાથે સન ટીવીમાં હોલ્ડ રેટિંગ ધરાવે છે.

June 28, 2018
ghat1.jpg
1min5280

મુંબઇના ઘાટકોપરમાં જાગૃતિ બિલ્ડિંગ નજીક એક નિર્માણાધીન ઈમારત પર બપોરે 1.13 મિનીટના સમયે એક ચાર્ટર્ડ પ્લેન તૂટી પડ્યું હતું. વરસતા વરસાદ વચ્ચે આ વિમાન તૂટીને બિલ્ડિંગ પર તૂટી પડ્યું હતું. મળતી માહિતી મુજબ કિંગ એર C90એ ૧૨ બેઠકો સાથેનું ખાનગી વિમાન હતું જે જુહુથી ટેક ઓફ થયું હતું. પ્લેનમાં બે પાઈલટ તેમજ બે ટેકનિકલ એન્જિનિયર પણ હતા. આ ઘટનામાં પાંચ લોકોના મોત થયા હોવાની પ્રારંભિક માહિતી મળી છે.

આ વિમાન મુંબઈના ઘાટકોપરના સર્વોદયનગર વિસ્તારમાં ક્રેશ થયું છે. ઘટના સ્થળે ફાયર બ્રિગેડ પહોંચી ગઈ હતી.
– જે જગ્યાએ આ વિમાન ક્રેશ થયું તે રહેણાંક વિસ્તાર છે. આ વિમાન લગભગ બપોરે 1.13 વાગ્યે ક્રેશ થયું હતું. આ વિમાન ઉત્તર પ્રદેશ સરકારનું વિમાન VT-UPZ, કિંગ એર C90 છે.


– પહેલાં એવાં સમાચાર આવ્યાં હતા કે પ્લેન ઉત્તર પ્રદેશ સરકારનું છે, પરંતુ બાદમાં સરકાર તરફથી નિવેદન આવ્યું કે આ વિમાન યુપી સરકારનું નથી.
– યુપી સરકારનું કહેવું છે કે તેઓએ વિમાન મુંબઈની એક કંપની UY એવિએશન પ્રાઈવેટ લિમિટેડને વેંચી દીધું હતું.

પ્લેનને રહેણાંક વિસ્તારથી દૂર લઈ ગયો હતો પાઈલટ

– એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે દૂર્ઘટના પછી તેને એક શખ્સને આગની જવાળામાં ઘેરાયેલો જોયો. તે થોડે દૂર ચાલ્યાં બાદ પડી ગયો.
– જણાવવામાં આવે છે કે પાઈલટ આ પ્લેનને નિર્માણધીન ઈમારત તરફ લઈ ગયો કે જેથી વધુ લોકોને નુકસાન ન થાય
– ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીના પ્રમુખ સચિવ ગોયલે કહ્યું કે મુંબઈમાં જે પ્લેન ક્રેશ થયું છે, તેને સરકારે 2014માં વ્હેંચી દીધું હતું.
– મુખ્ય સચિવ અવીનશ અવસ્થીએ કહ્યું કે, ઉત્તરપ્રદેશ સરકાર પાસેથી યૂવી એવિએશને આ પ્લેન ખરીદ્યું હતું. આ કંપનીના મેનેજિંગ ડાયરેકટર દીપક કોઠારી છે.
– અલ્હાબાદમાં આ પ્લેન દૂર્ઘટનાગ્રસ્ત થયા બાદ આ ડીલ કરવામાં આવી હતી.

June 27, 2018
whatpay3.jpg
1min14930

ભારતમાં લગભગ 10 લાખ લોકો વોટ્સએપની પેમેન્ટ્સ સર્વિસિસનું ટેસ્ટિંગ કરી રહ્યા છે. સંભવતઃ ટૂંક સમયમાં જ વ્હોટ્સ એપ થકી પેમેન્ટસ સિસ્ટમ શરૂ કરી દેવામાં આવશે. આ સુવિધા ખરીદી, મની ટ્રાન્સફર, ચૂકવણી વગેરેની સુવિધા પૂરી પાડશે અને જાણકારો કહે છે કે વ્હોટ્સ એપ જે રીતે પ્રચલિત છે એ જોતા તેની પેમેન્ટ સિસ્ટમ પણ દેશમાં પ્રચલિત અન્ય મોબાઇલ પેમેન્ટ સિસ્ટમના બાર વગાડી દેશે.

કંપનીના અધિકારીના જણાવ્યા અનુસાર વોટ્સએપ ભારત સરકાર, NPCI અને ઘણી બેન્કો સાથે પેમેન્ટ ફીચરના વિસ્તરણ માટે વધુ યુઝર્સ સાથે કામ કરશે.

વોટ્સએપ છેલ્લા કેટલાક મહિનાથી પેમેન્ટ સર્વિસિસનું ટેસ્ટિંગ કરી રહી છે. જોકે, તેણે લોન્ચિંગની તારીખ જાહેર કરી નથી, પણ જાણકારોના મતે કંપની આગામી કેટલાંક સપ્તાહમાં સર્વિસ લોન્ચ કરશે. વોટ્સએપના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “ભારતમાં હાલ લગભગ 10 લાખ લોકો વોટ્સએપ પેમેન્ટ્સનું ટેસ્ટિંગ કરી રહ્યા છે. ફીડબેક બહુ પ્રોત્સાહક છે. લોકોને મેસેજ જેટલી જ સરળતાથી અને સુરક્ષિત રીતે નાણાં મોકલવાનું ગમી રહ્યું છે.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “વોટ્સએપ ભારત સરકાર, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) અને બેન્કો સાથે પેમેન્ટ સર્વિસને વધુ લોકો સુધી પહોંચાડવા સક્રિય છે.” યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) દ્વારા નાણાકીય ટ્રાન્ઝેક્શન્સ માટે વોટ્સએપને NPCI તરફથી બેન્કો સાથે જોડાણની મંજૂરી મળી ચૂકી છે. અગાઉ ચાલુ વર્ષે Paytmના સ્થાપક વિજય શેખર શર્માએ વોટ્સએપના UPI પેમેન્ટ પ્લેટફોર્મમાં સુરક્ષાનું જોખમ હોવાનો આરોપ મૂક્યો હતો.

June 27, 2018
Monsoon_clouds_near_Nagercoil.jpg
1min13220

વરસાદની બદલાઇ રહેલી સિસ્ટમ ભારત માટે ખતરાની ઘંટી વગાડી રહી છે, જૂન પૂરો થવા આવ્યો પણ હજુ દેશમાં ક્યાંયે વાવણી લાયક વરસાદ પડ્યો નથી કે નથી વોટર સ્ટોરેજમાં નોંધપાત્ર પાણી ભરાવો જોવા મળ્યો છે

ભારતમાં વરસાદની સિસ્ટમ સાવ જ ફેરવાઇ ચૂકી હોવાના નિર્દેશ મળી રહ્યા છે .ભારતમાં સામાન્યઃ મોન્સુન જૂનના પહેલા અઠવાડીયાથી સક્રિય થાય છે. આ વખતે શરૂઆત ત્રણ દિવસ વહેલી થઇ હતી અને એવું લાગ્યું કે ૧૫ જૂન સુધી દેશનો મોટાભાગનો વિસ્તાર તેમાં આવરી લેવાશે. પરંતુ ૧૩ જૂનથી તે પાછું નબળું પડ્યું અને તે ખેચાઇ ગયું છે. આ બાબત ચિંતાજનક છે અને તેના કારણે દેશમાં પાણી અને અન્નનો દુકાળ સર્જાઇ શકે છે.

હાલમાં દેશના અમુક ભાગોમાં જ વરસાદ પડી રહ્યો છે. ૨૬ જૂન સુધી તો વરસાદ સામાન્યપણે દેશના તમામ ભાગોને આવરી લે છે. પરંતુ હાલમાં ચોમાસુ આસામ, મહારાષ્ટ્રના થોડાક વધુ ભાગો, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને ઝારખંડના કેટલાક ભાગો, બિહાર, મધ્યપ્રદેશ અને દક્ષિણ ગુજરાત સુધી પહોંચ્યું હોવાથી હવે વરસાદ શરૂ થયો છે. પરંતુ અત્યારસુધીનો ડ્રાય સ્પેલ ચિંતાનો વિષય છે.

પૂર્વ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પૂર્વ રાજસ્થાન અને પશ્ચિમ રાજસ્થાનમાં અનુક્રમે માઇનસ ૬૩ ટકા, માઇનસ ૪૩ ટકા, માઇનસ ૫૨ ટકા અને માઇનસ ૫૪ ટકા ઓછો વરસાદ પડ્યો છે. બિહાર, ઝારખંડ અને ઓડિશામાં પણ અનુક્રમે માઇનસ ૩૮ ટકા, માઇનસ ૪૯ ટકા અને માઇનસ ૩૧ ટકા ઓછો વરસાદ પડ્યો છે.

સૌરાષ્ટ્ર અને કચ્છ તેમજ ગુજરાત રિજનમાં હવામાન વિભાગના પેટા-ડિવિઝનોમાં સ્થિતિ ધૂંધળી છે. ૨૨ જૂનના રોજે માત્ર ૧૦ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સામાન્ય વરસાદ (માઇનસ ૧૯ ટકાથી પ્લસ ૧૯ ટકા) વરસાદ રહ્યો હતો. ૧૧ રાજ્યોમાં ઓછો વરસાદ રહ્યો છે અને મોટાપાયે ઓછો વરસાદ ધરાવતા ત્રણ રાજ્યો છે. દરમિયાન આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વધુ (૨૦ ટકાથી ૫૯ ટકા) અને ત્રણ રાજ્યોમાં વધુપડતો વરસાદ (૬૦ ટકા અથવા તેથી વધુ) પડ્યો હતો. દેશમાં વાર્ષિક વરસાદમાં ૧૦ ટકા જિલ્લાઓમાં વધારો થયાનો ટ્રેન્ડ છે, જ્યારે ૧૩ ટકા જિલ્લાઓમાં વરસાદનો ઘટતો ટ્રેન્ડ છે.

આઇએમડીના ત્રણ વિજ્ઞાનીઓ સુરિન્દર કૌર, સુમંત કુમાર દિવાકર અને અશોક કુમાર દાસે ૧૯૬૧ અને ૨૦૧૩ વચ્ચે વિવિધ જિલ્લા અને હવામાનશાસ્ત્રના સબ-ડિવિઝન્સમાં વાર્ષિક અને મોસમી વરસાદના લાંબાગાળાના ટ્રેન્ડનો અભ્યાસ કર્યો હતો. તેમણે આ ગાળામાં વાર્ષિક વરસાદના ટ્રેન્ડનું પણ વિશ્લેષણ કર્યું હતું. તેમના અભ્યાસમાં ૬૩૨ જિલ્લા અને ૩૪ જેટલા હવામાનશાસ્ત્ર સબ-ડિવિઝન્સ સામેલ કરાયા હતા.

આ વિશ્લેષણમાં ૬,૯૯૫ જેટલા વરસાદ ગેજ સ્ટેશનોમાંથી દૈનિક વરસાદના રેકોર્ડની પણ છણાવટ કરાઇ હતી. અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહો અને લક્ષદ્વીપને આ અભ્યાસમાંથી બાકાત રખાયા છે.

June 27, 2018
malya.jpg
1min13740

ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યાએ બેન્કોને કિંગફિશર એરલાઇન્સનું બાકી લેણું ચૂકવવા ₹13,900 કરોડની ‘ફ્રીઝ’ થયેલી એસેટ્સના વેચાણ માટે કોર્ટની મંજૂરી માંગી છે.

તા.26મી જુને આપેલા નિવેદન મુજબ માલ્યા અને યુનાઇટેડ બ્રુઅરીઝ હોલ્ડિંગ્સે 22 જૂને કોર્ટમાં અરજી કરીને એસેટ્સના વેચાણમાંથી એકત્ર ભંડોળ લેણદારોને ચૂકવવાની પરવાનગી માંગી હતી.

નિવેદનમાં જણાવ્યા અનુસાર એસેટ્સના વેચાણ પર પ્રતિબંધના કારણે બાકી લેણાં પર વ્યાજ વધી રહ્યું છે. બ્રિટન ભાગી ગયેલા અને અત્યારે ત્યાં જ રહેતા માલ્યાએ જણાવ્યું હતું કે, “મેં PSU બેન્કોનું લેણું ચૂકવવા સારા ઇરાદાથી તમામ પ્રયાસ કર્યા છે અને હજુ પણ ચાલુ રાખીશ. જોકે, રાજકારણથી પ્રેરિત પરિબળોના હસ્તક્ષેપને કારણે આ પ્રક્રિયામાં અવરોધ ઊભો થશે તો હું કંઈ નહીં કરી શકું.”

ઉલ્લેખનીય છે કે, ભારતીય બેન્કોના નાણાં ચૂકવ્યા વગર બ્રિટન ભાગી ગયા પછી માલ્યા પર ભારત અને બ્રિટનમાં છેતરપિંડી અને મની લોન્ડરિંગના ઘણા કેસ ચાલી રહ્યા છે. બ્રિટનની કોર્ટમાં ભારત સરકાર દ્વારા હાલ માલ્યાના પ્રત્યાર્પણનો કેસ ચાલી રહ્યો છે.

માલ્યાએ તા.28મી જુન 2018ના રોજ જણાવ્યું હતું કે, “હું બેન્ક ડિફોલ્ટનો પોસ્ટર બોય બની ગયો છું. લોકોનો આક્રોષ ઠાલવવા મને સાધન બનાવાયો છે.” લાંબા સમયે મૌન તોડતા ભાગેડુ બિઝનેસમેને જણાવ્યું હતું કે, “મેં વડાપ્રધાન અને નાણાંમંત્રી બંનેને 15 એપ્રિલ, 2016ના રોજ મારો પક્ષ સમજાવતો પત્ર લખ્યો હતો.

મને બંનેમાંથી કોઈનો જવાબ મળ્યો નથી.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “રાજકીય નેતાઓ અને મીડિયાએ મારી પર એવી રીતે આરોપ કર્યા હતા જાણે હું ₹9,000 કરોડ ચોરીને ભાગી ગયો હોઉં. ધિરાણ આપનારી કેટલીક બેન્કોએ તો મને વિલફુલ ડિફોલ્ટર ગણાવ્યો હતો.”

માલ્યાએ વધુમાં જણાવ્યું હતું કે, “CBI અને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ (ED)એ સરકાર અને બેન્કોના દબાણને વશ થઈને મારી સામે ઘણા ખોટો આરોપો સાથેની ચાર્જશીટ ફાઇલ કરી છે.” તેમણે કહ્યું હતું કે, “EDએ મારી, મારી ગ્રૂપ કંપનીઓની તેમજ મારા પરિવારની માલિકીની કંપનીઓની લગભગ ₹13,900 કરોડની એસેટ્સ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ ટાંચમાં લીધી છે.” ટૂંકમાં, માલ્યાએ જણાવ્યું હતું કે, “મને બેન્ક ડિફોલ્ટ અને લોકોનો આક્રોષ ઠાલવવા માટે ‘પોસ્ટર બોય’ બનાવી દેવામાં આવ્યો છે.”

June 27, 2018
oscar_feature.jpg
1min16550

તબુ, માધુરી દીક્ષિત, અનીલ કપૂર તેમ જ અભિનેતા અલી ફઝલને નિમંત્રણ દેવાયા છે. બંગાળી અભિનેતા સૌમિત્ર ચેટર્જી (બ્રીજ) તથા માધબી મુખરજી (ચારુલતા)નું નામ પણ આમંત્રણ મેળવનાર સભ્યોમાં

એકેડેમી ઓફ મોશન પીક્ચર્સ આર્ટ્સ એન્ડ સાયન્સીસ દ્વારા વિક્રમસર્જક 928 નવા સભ્યોને આમંત્રણ આપવામાં આવ્યું છે તેમાં બોલીવૂડના સુપરસ્ટાર શાહ રૂખ ખાન, તબ્બુ તેમ જ પીઢ અભિનેતા નસીરુદ્દીન શાહનો પણ સમાવેશ થાય છે. જગપ્રતિષ્ઠિત ઓસ્કર એવોર્ડ સંલગ્ન સંસ્થા વૈવિધ્ય વિસ્તારવા ઈચ્છતી હોવાથી અભૂતપૂર્વ નિર્ણય લેવાયો છે.

અકાદમીએ એક જાહેરાતમાં કહ્યું હતું કે નવા સભ્યોને લીધે મોટા પાયે વૈવિધ્યમાં વધારો થશે. કારણ કે 49 ટકા આમંત્રિત મેમ્બર્સ મહિલા છે તથા 38 ટકા લોકો ત્વચાના વિવિધ રંગ ધરાવે છે. સભ્યો તરીકે 59 દેશના કલાકારોને નિમંત્રણ આપવામાં આવ્યું છે. 59 દેશના કલાકારોને સભ્યો તરીકે નોતરાં દેવામાં આવ્યાં છે.

ઓસ્કાર એકેડેમીના નવા આમંત્રિતોમાં ભારતનો દબદબો છે. તબુ, માધુરી દીક્ષિત, અનીલ કપૂર તેમ જ અભિનેતા અલી ફઝલને નિમંત્રણ દેવાયા છે. બંગાળી અભિનેતા સૌમિત્ર ચેટર્જી (બ્રીજ) તથા માધબી મુખરજી (ચારુલતા)નું નામ પણ આમંત્રણ મેળવનાર સભ્યોમાં છે.

યશરાજ ફિલ્મના આદિત્ય ચોપરા તથા નિર્માતા ગુણીત મોન્ગાને પણ આ નામાવલિમાં સ્થાન મળ્યું છે.

ઈમ્તીયાઝ અલીના રોકસ્ટારમાં કામ કરવા બદલ જાણીતા સિનેમાટોગ્રાફર અનિલ મહેતાને, કોસ્ચ્યુમ ડિઝાઈનર ડોલી અહલુવાલિયા તેમ જ મનીષ મલ્હોત્રાને પણ આમંત્રણ આપવામાં આવ્યા છે.