GSTની ચોરી શોધી કાઢવા માટે ગુજરાતમાં શરૂ કરવામાં આવેલી સ્થળ તપાસની કાર્યવાહીમાં વેપારીઓ અને GST અધિકારીઓ વચ્ચે સંઘર્ષમયી સ્થિતિનું નિર્માણ થાય તેવી પૂરેપૂરી શક્યતા જોવાય રહી છે. એક તરફ GST તંત્રનું કહેવું છે કે ચોરી પકડી પાડવા માટે આ ફક્ત સ્થળ તપાસ અભિયાન છે, જ્યારે વ્યાપારી વર્ગ ખાસ કરીને સુરતમાં ટેક્સટાઇલ ક્લસ્ટરના આગેવાનોનું કહેવું છે કે વ્યાપારીઓ માટે એક પ્રકારની વધુ હેરાનગતિ સિવાય બીજું કશું નથી.

GST અધિકારી ધંધા સ્થળે જઇને તપાસ કરશે અને ધંધાની માહિતી મેળવશે. GST ચોરીની સાથે સાથે ખોટી રીતે રિફંડ લેનારા વેપારીઓને પકડી પાડવા માટે હવે સ્થળ તપાસ જરૂરી બની હોઇ ગુજરાત GST તંત્રવાહકોએ હવે સ્થળ તપાસ અભિયાન હાથ ધર્યું છે. આખા રાજ્યમાં આવેલી દુકાનો, કમર્શિયલ એકમો, યુનિટ્સ, મેન્યુફેક્ચરીંગ કંપની, ફેક્ટરીઝ વગેરેમાં GST અધિકારીઓ તપાસ હાથ ધરશે.
ગુજરાત GST તંત્ર દ્વારા હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં GST નંબર મેળવનાર વેપારીઓને ત્યાં વેચાણવેરા અધિકારી નિરીક્ષણ કરીને ફોટાગ્રાફી કરશે અને જો ધંધાના સ્થળે GST નંબરનું બોર્ડ નહીં હોય તો પેનલ્ટી પણ ફટકારી દેવામાં આવશે અને GSTની ચોરી કરનારા વેપારીઓની ઓળખ કરવામાં આવશે.
GST ચોરીના કારણે અન્ય ઇમાનદાર વેપારીઓને સહન કરવું પડે છે. જેમકે ખોટા દસ્તાવેજો રજુ કરીને રિફંડ કલેમ કરનારા વેપારીઓની સાથે હવે કડક કાર્યવાહી કરાશે, આગાઉ પણ બોગસ રિફંડ લેનાર ૬ વેપારીઓને પકડી લેવામાં આવ્યા હતા અને આગામી દિવસોમાં પણ આ કામગીરી ચાલુ રહેશે. કેટલાક વેપારીઓ GSTઆર-૧ ભરતા નથી. GST વિભાગ પાસે ૧૮,૧૯૮ અરજીઓ રિફંડની આવી હતી. જેમાં તપાસ કરીને ૧૭,૩૦૫ અરજીઓનો નિકાલ કરીને ૨,૯૯૬ કરોડનું રિફંડ ચૂકવી દેવામાં આવ્યું હતું.
તા.૧-૭-૧૭ થી તા.૧૪-૧૨-૧૮ સુધીમાં જેમણે GSTના નવા નંબર માટે અરજી કરી હતી તેમના ધંધા સ્થળની GST અધિકારીઓ મુલાકાત લેશે. GST નંબરવાળું બોર્ડ રાખવું પડશે. બિલ બુક રસીદ, હાજર સ્ટોક, ખરીદી-વેચાણ અને રોજમેળના હિસાબો ઉપરાંત કોમ્પોઝિશન ડીલર હોય તો તેનું બોર્ડ રાખવું પડશે. ધંધાના સ્થળની મુલાકાત લઇને નિયમ ૨૫ મુજબ ફોટોગ્રાફી પણ લેશે. જે નિયમનું પાલન નહીં કર્યું હોય તો પેનલ્ટી પણ ફટકારી દેવામાં આવશે.







ૉ






















