મૂળ કોંગ્રેસી અને અનેક પરાક્રમોને કારણે બદનામ ઉમેશ મહેતાએ આજે મૌસમી ચૈટરજીની પ્રત્રકાર પરીષદ યોજીને ભાજપા પ્રમુખ નીતિન ભજીયાવાળા, મહામંત્રી મદનસિંહ અટોદરીયા અને ભાજપાના સ્થાનિક આગેવાન પીવીએસ શર્માની મુશ્કેલી વધારી મૂકી છે. મૌસમી ચૈટરજીએ પત્રકારો સાથે વાદવિવાદ કર્યા એ મુદ્દો વિવાદીત બન્યો છે પણ મોડી રાત્રે કોંગ્રેસી ઉમેશ મહેતાએ એવી સ્પષ્ટતા કરી હતી કે મૌસમી ચૈટરજી તેમના અંગત આમંત્રણને માન આપીને સુરત આવ્યા હતા. પત્રકાર પરિષદ ઉમેશ મહેતાએ યોજી હતી, તેમાં ભાજપાનું કોઇ આયોજન ન હતું.
ઉમેશ મહેતાનો ખુલાસો આ મુજબનો છે

જમીનના કોઠાકબાડા માટે બદનામ થઇ ચૂકેલા ઉમેશ મહેતાએ કરેલા ઉપરોક્ત ખુલાસાએ ભાજપમાં મોટું ઘમસાણ ઉભું કરી દીધું છે. ખુદ ભાજપાના પ્રમુખ નીતિન ભજીયાવાલા, મહામંત્રી મદનસિંહ અટોદરીયા તેમજ પીવીએસ શર્મા હવે ફિક્સમાં મૂકાઇ ગયા છે, કેમકે ભાજપામાં જોડાયેલા મૌસમી ચૈટરજીનો કાર્યક્રમ કે પ્રેસકોન્ફરન્સ જો કોંગ્રેસી ઉમેશ મહેતાએ કરી હતી એવી સ્પષ્ટતા બાદ ભાજપમાં હવે ભજીયાવાલા વિરોધી જૂથે આ સમગ્ર મુદ્દાને ભાજપની પ્રતિષ્ઠા સાથે જોડી દીધો છે અને આ મુજબના સવાલો સોશ્યલ મિડીયામાં પૂછાઇ રહ્યા છે.
-
ઉમેશ મહેતા કોંગ્રેસી છે તેમાં ભાજપના પ્રમુખ નીતિન ભજીયાવાળા, મદનસિંહ અટોદરીયા અને પીવીએસ શર્મા કોના આમંત્રણથી ત્યાં ગયા ?
-
આયોજન કોંગ્રેસી ઉમેશ મહેતાનું હતું તો મંચ પર 20 ફૂટનું બેનર ભાજપ સુરત મહાનગરનું નામ, મોદી-અમિતશાહ અને નીતિન ભજીયાવાળાના ફોટા સાથે કોણે છપાવ્યું , છપાવનારાની સામે શું પગલાં લીધા?
-
મૌસમી ચૈટરજીને મળવા માટે અન્ય કોઇ સ્થળ મળી શક્યું હોત પણ પ્રેસ કોન્ફરન્સમાં કેવી રીતે ઉપસ્થિત રહ્યા ?
-
ભાજપાનું નામ વટાવવાની કોશીસ કરનાર ઉમેશ મહેતા સામે ભાજપા સુરત મહાનગર શું પગલાં ભરશે ?
-
પ્રેસ કોન્ફરન્સની વાત છેલ્લા 3 દિવસથી ચાલી રહી હતી આમ છતાં ભાજપાએ કેમ તેને રોકવાની કોશીસ ન કરી ?
-
ભાજપાના સાંસદો કે અન્ય નેતાઓને મૌસમી ચૈટરજીના કાર્યક્રમ અંગે કેમ વિશ્વાસમાં ન લેવાયા
બદનામ ઉમેશ મહેતાને ભાજપામાં પ્રવેશ અપાવવાનો તખ્તો હોવાની વાત

મૂળ બંગાળના અને બોલીવુડની પીઢ એક્ટ્રેસ મૌસમી ચૈટરજીને આજે સુરતમાં પ્રેસકોન્ફરન્સ યોજીને આ પ્રેસકોન્ફરન્સના આયોજક અને એક બદનામ કોંગ્રેસી ઉમેશ મહેતાને ભાજપામાં પ્રવેશ અપાવવાનો તખ્તો ગોઠવાયો હોવાની પણ ચર્ચાઓ ભાજપા અને કોંગ્રેસમાં જોરશોરથી ચાલી રહી છે. ખાસ કરીને કોંગ્રેસીઓ એવી મજા લઇ રહ્યા છે કે જેને કોંગ્રેસ હવે પોતાનો નેતા ગણતી નથી એ ઉમેશ મહેતા કે જમીનોના કોઠાકબાડા માટે બદનામ થઇ ચૂક્યા છે તેમને ભાજપા પોતાની પાર્ટીમાં સામેલ કરવા માટે આમંત્રી રહી છે. જોકે, આજે મૌસમી ચૈટરજીની પ્રેસ કોન્ફરન્સમાં થયેલા ભવાડા બાદ ભાજપે પ્રેસકોન્ફરન્સના આયોજન પોતાનું ન હોવાનું જણાવી દઇને ઉમેશ મહેતાના ભાજપામાં પ્રવેશની આશાઓ પર પાણી ફેરવી દીધું હતું.




















