CIA ALERT

Alert Archives - Page 376 of 512 - CIA Live

April 16, 2019
rahul.jpg
1min5200

કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી છેલ્લા ઘણા દિવસથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હોદ્દાનું માન નહીં રાખીને ‘ચોકીદાર ચોર હૈ’ના નારા પ્રચારસભામાં લગાવે છે. હદ તો ત્યારે થઈ જ્યારે રાહુલે સુપ્રીમ કોર્ટનું અપમાન કરતા મીડિયા અને જાહેરસભામાં કહ્યું કે સુપ્રીમ કોર્ટ પણ માને છે કે ચોકીદાર ચોર છે. આ નિવેદનથી સાર્વત્રિક ટીકા અને વિરોધ થયો છે. ભાજપનાં સાંસદ મીનાક્ષી લેખીએ આ મુદ્દે રાહુલ ગાંધી સામે અવમાનનાનો કેસ ઈચ્છતી અરજી સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે રાફેલ સોદા વિશે સુપ્રીમ કોર્ટે જે કહ્યું નથી તે જાહેરમાં અને મીડિયામાં રજૂઆત કરીને સુપ્રીમ કોર્ટનું અપમાન કર્યું છે. સુપ્રીમ કોર્ટે પણ સ્પષ્ટતા કરી છે કે ચોકીદાર ચોર છે એવું કહ્યું નથી. રાજકીય હેતુસર રાહુલ સુપ્રીમ કોર્ટના નામે લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે.

રાહુલ ગાંધીની સ્પીચ નિવેદનની કોર્ટે નોંધ લીધી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના વડપણ હેઠળની બેન્ચે જણાવ્યું હતું. જસ્ટિસ દીપક ગુપ્તા અને સંજીવ ખન્નાની બેન્ચે વધુમાં જણાવ્યું હતું કે કોર્ટે રાહુલ ગાંધીને નોટિસ મોકલીને રર એપ્રિલ સુધીમાં આ મુદ્દે સ્પષ્ટતા કરવા જણાવ્યું છે. ર3 એપ્રિલે આ કેસમાં સુનાવણી હાથ ધરાશે એ જ દિવસે ત્રીજા તબક્કાની ચૂંટણી છે. મીનાક્ષી લેખીએ રજૂઆત કરી હતી કે રાહુલ ગાંધીએ વ્યક્તિગત નિવેદનને સુપ્રીમ કોર્ટના નામે ચઢાવીને અપમાન કર્યું છે. લેખી વતી સિનિયર એડવોકેટ મુકુલ રોહતગી કોર્ટમાં હાજર રહ્યા હતા. રાહુલ ગાંધીએ જાહેરમાં અને મીડિયામાં કહ્યું હતું કે ‘ચોકીદાર નરેન્દ્ર મોદી ચોર હૈ’ એવું સુપ્રીમ કોર્ટ માને છે. જ્યારે સુપ્રીમ કોર્ટે આવું કંઈ કહ્યું નથી એવી સ્પષ્ટતા કરતાં રાહુલનું લાંબા સમયથી ચાલતું જુઠ્ઠાણું ખુલ્લું પડી ગયું છે. સુપ્રીમે રાહુલ પાસે એક અઠવાડિયામાં સ્પષ્ટતા માગી છે.

સુપ્રીમ કોર્ટે નરેન્દ્ર મોદીને રાફેલ મુદ્દે અગાઉ ક્લિનચીટ આપી હતી હવે પુન: સમીક્ષા અરજી પેન્ડિંગ છે. અનિલ અંબાણીને વડા પ્રધાન મોદીએ નાણાં આપ્યાં છે એવું સુપ્રીમ કોર્ટ સ્વીકારે છે એમ રાહુલ ગાંધીએ જાહેરમાં કહીને બીજી વાર કોર્ટના નામે જનતાને ગેરમાર્ગે દોર્યા છે.

April 16, 2019
yogi_maya.jpg
1min5270

ચૂંટણી પંચે સોમવારે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને બસપાનાં વડાં માયાવતીને વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ નિશ્ર્ચિત કલાકો માટે પ્રચાર બંધ કરવાની બંનેને ‘શિક્ષા’ કરી હતી. યોગી આદિત્યનાથ 72 કલાક માટે અને માયાવતી 48 કલાક માટે ચૂંટણી પ્રચાર કાર્ય કરી શકશે નહીં. મંગળવાર સવારના છ કલાક પછી બંને પ્રચારકાર્ય કરી શકશે નહીં. ચૂંટણી પંચે આદિત્યનાથના સંદર્ભમાં કહ્યું કે, તેમણે કરેલા વિવાદાસ્પદ નિવેદનને વખોડી કાઢવામાં આવે છે. બંધારણના આર્ટિકલ 324 હેઠળ મળેલી સત્તાની રુએ ચૂંટણી પંચે આદિત્યનાથને ચૂંટણી પ્રચાર સાથે સંકળાયેલી જાહેરસભા, જાહેર સરઘસ, રૉડ શૉ, ઈન્ટરવ્યૂ વિગેરે પર 72 કલાક માટે પ્રતિબંધ મૂકયો હતો.

માયાવતીના નિવેદનને પણ વખોડી કાઢતા ચૂંટણી પંચે ચૂંટણી પ્રચાર સંબંધિત પ્રવૃત્તિ ન કરવા માયાવતી પર 48 કલાકનો પ્રતિબંધ મૂકયો હતો.

બંને નેતા માટે ‘પ્રતિબંધિત સમય’ ઓછોવત્તો હોવા બાબતમાં પૂછવામાં આવતા ચૂંટણી પંચે કહ્યું કે ‘ચૂંટણી પંચે બીજીવાર ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાનને શોકોઝ નોટિસ પાઠવી છે. આ અગાઉ પાંચમી એપ્રિલે આદિત્યનાથને ભવિષ્યમાં તકેદારી રાખવા નિર્દેશ આપવામાં આવ્યા હતા. બસપા પ્રમુખને પ્રથમવાર શોકોઝ નોટિસ આપવામાં આવી હોવાથી તેમની સામેની ‘શિક્ષા’ પ્રમાણમાં હળવી છે.

આદિત્યનાથ અને માયાવતી સામેના આદેશ બાબતમાં દરેક રાજયના મુખ્ય ચૂંટણી અધિકારીને માહિતગાર કરવામાં આવ્યા છે. ચૂંટણી પંચે આદિત્યનાથ પરના આદેશ બાબતમાં નોંધ કરી હતી કે, ‘તેમના પર ધર્મનિરપેક્ષતા સહિતના પાયાના સિદ્ધાંતો જાળવી રાખવાની અને આ અંગેની પ્રતિબદ્ધતા જાહેરમાં દર્શાવવાની વધારાની જવાબદારી છે. ચૂંટણી પંચને ખાતરી થઈ છે કે આદિત્યનાથે ઉશ્કેરણીજનક ટિપ્પણી કરી હતી જેનો સૂર ધાર્મિક સમાજ વચ્ચે પારસ્પરિક ભેદભાવ વધે અથવા પારસ્પરિક ધિક્કારનું સર્જન થઈ શકે તેવો હતો.

ચૂંટણી પંચે માયાવતીને કહ્યું કે, મીડિયાની વ્યાપક પહોંચના કારણે ઘણાં મત વિસ્તારોમાં ચૂંટણીનું ધ્રૂવીકરણ સંભવ બને તેવો સૂર ધરાવતી ટિપ્પણી કરવાથી માયાવતી જેવા વરિષ્ઠ નેતાએ દૂર રહેવું જોઈએ.

મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે મેરઠમાં એક રેલીમાં કહ્યું હતું કે, લોકસભાની ચૂંટણી ‘અલી’ અને ‘બજરંગબલિ’ વચ્ચેની સ્પર્ધા છે. માયાવતીએ કૉંગ્રેસને મત ન આપવા દેવબંધમાં યોજાયેલી એક રેલીમાં મુસ્લિમોને અપીલ કરી હતી.

ચૂંટણી પંચે બંનેના નિવેદનો સામે નોટિસ મોકલી અને ઉપર જણાવેલી ‘શિક્ષા’ કરી હતી.

April 16, 2019
diamond1.jpg
1min10200

ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટયુટ (IDI) ડાયમંડ, જેમ એન્ડ જવેલરી ક્ષેત્રમાં પ્રશિક્ષણ આપતી સંસ્થા

ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટયુટ, સુરત એક સંક્ષિપ્ત વિવરણ અને જેમ એન્ડ જવેલરી ઇન્ડસ્ટ્રીઝમાં ભાગીદારી

ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટયુટ શું છે?

ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટયુટ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રાયોજિત અને જેમ અને જવેલરી એક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્સીલનો પ્રોજેક્ટ છે. આ સંસ્થાની સ્થાપના ૧૩મી મે ૧૯૭૮ નાં રોજ તે સમય નાં કેન્દ્રીય વાણિજ્ય  મંત્રી સ્વ. શ્રી મોહન ધારિયાનાં શુભ હસ્તે થઇ હતી. આઈ.ડી.આઈ. બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એકટ ૧૯૫૦ અને સોસાયટી રજીસ્ટ્રેશન એકટ ૧૮૬૦ હેઠળ રજીસ્ટર થયેલ સંસ્થા છે.

ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટયુટનો મુખ્ય હેતુ હીરા, ઝવેરાત અને કલરસ્ટોનનાં ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીઝમાં પ્રોફેશનલીઝમ લાવવાનો છે.તદુપરાંત આ ક્ષેત્ર સાથે સંકળાયેલ કારીગરોમાં ઉચ્ચ પ્રકારની કાર્યકુશળતા વિકસાવવાનો છે. દુનિયાભરમાં જેમ એન્ડ જ્વેલરી ટ્રેડમાં થતા ટેકનોલોજીકલ ફેરફારોસાથે તાલમેલ સાધી ભારતીય જેમ એન્ડ જ્વેલરી ટ્રેડને તેનાથી માહિતગાર કરવાનો સંસ્થાનો અન્ય હેતુ છે. આમ પરોક્ષ રીતે સંસ્થાનો મુખ્ય હેતુ દેશ માંથી જેમ એન્ડ જ્વેલરીની નિકાસમાં વધારો કરવાના સાથે આ ક્ષેત્રમાં રોજગારીનું સર્જન કરવાનો છે.

ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટયુટની પ્રવૃતિઓ

ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટયુટની મુખ્ય પ્રવતિઓમાં જેમ એન્ડ જવેલરી ટ્રેડને અનુરૂપ તાલીમ કાર્યકમો ચલાવવા, રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ અને કન્સલટન્સી સર્વિસ આપવી.

ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટયુટમાં કયા પ્રકારના અભ્યાસક્રમો ચાલી રહ્યા છે?

આ સંસ્થામાં ડાયમંડ, જ્વેલરી અને કલર જેમ સ્ટોનનાં ક્ષેત્રમાં ગ્રેજ્યુએટ ડીપ્લોમાં ઈન જ્વેલરી પ્રોફેશનલ, પ્રોફેશનલ ડીપ્લોમાં – ડાયમંડ ગ્રેડીંગ, ડાયમંડ મેન્યુફેક્ચરિંગ, જ્વેલરી ડીઝાઈન, જ્વેલરી મેન્યુફેકચરીંગ, જેમોલોજી, જેવા કારકિર્દી લક્ષી સંપૂર્ણ અભ્યાકમો ચલાવવામાં આવે છે. જે વર્ષમાં એપ્રિલે, જુન, ઓગસ્ટ અને ડીસેમ્બર માં શરૂ થાય છે.

શોર્ટ ટર્મ અભ્યાસક્રમો

ડીપ્લોમાં અભ્યાસક્રમ સિવાય અનેક ટુંકા ગાળાના સર્ટિફિકેટ લેવલનાં અભ્યાસક્રમોં પણ આ સંસ્થામાં ચલાવવામાં આવે છે, જેમાં  પ્રોફેશનલ અને ફાઉન્ડેશન લેવલ નાં સર્ટિફિકેટ અભ્યાસક્રમો દર મહિનાના પહેલા સોમવારનાં દિવસે શરૂ થાય છે. જેમાં ડાયમંડ ક્ષેત્રમાં ડાયમંડ ગ્રેડીંગ, એડવાન્સ ડાયમંડ ગ્રેડીંગ, ડાયમંડ સોર્ટીંગ, કોમ્પુટરાઈઝડ ડાયમંડ પ્લાનીંગ, ડાયમંડ પોલિશિંગ, ગેલક્ષી ડાયમંડ પ્લાનીંગ, ગેલક્ષી QC, લેસર ડાયમંડ પ્રોસેસિંગ (4P), ડાયમંડ વેલ્યુએશન, ડાયમંડ આઇડેન્ટિફીકેશન, અને જ્વેલરીનાં ક્ષેત્રમાં જ્વેલરી ડીઝાઈન (મેન્યુઅલ), CAD જ્વેલરી ડીઝાઈન, જ્વેલરી ડીઝાઈન (MATRIX), જ્વેલરી ડીઝાઈન (CORAL), CAM જ્વેલરી મેન્યુફેકચરીંગ, ગોલ્ડ એસેયીંગ, જવેલરી કાસ્ટિંગ, જવેલરી મેકિંગ અને સ્ટોન સેટીંગ જેવા અભ્યાકમો ચલાવવામાં આવે છે.

ધંધાદારીઓને પણ ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટયુટ સવલતો પૂરી પાડે છે

IDI સંસ્થા, જેમ એન્ડ જ્વેલરી ટ્રેડને વિવિધ સવલતો પૂરી પાડે છે. જેમાં ડાયમંડ જ્વેલરી ગ્રેડીંગ રિપોર્ટ, ડાયમંડ ગ્રેડીંગ રિપોર્ટ (4C), લેબગ્રોન ડાયમંડ ટેસ્ટીંગ રિપોર્ટ, સિન્થેટિક ડાયમંડ ટેસ્ટીંગ રિપોર્ટ, સ્ટાર અને મેલે સાઈઝ ડાયમંડ ગ્રેડિંગ રિપોર્ટ, લૂઝ અને સ્ટડેડ જેમ સ્ટોન ટેસ્ટીંગ રિપોર્ટ, ગોલ્ડ ટેસ્ટીંગ રિપોર્ટ જેવી અનેક સુવિધાઓ તદ્દન નજીવા ભાવે આઈ.ડી.આઈ. ખાતે ઉપલબ્ધ છે.

હયાત કર્મચારીઓ માટે ખાસ સ્કીલ અપગ્રેડેશન સ્કીમ કૌશલ્યમ 

જેમ અને જવેલરી એક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલનાં “કૌશલ્યમ“ પ્રોગ્રામમાં ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટયુટ નોલેજ પાર્ટનર તરીકે જેમ અને જ્વેલરી ક્ષેત્રમાં કાર્યરત રત્નકલાકારો, જવેલર્સ/ ટ્રેડ સાથે સંલગ્ન પ્રોફશનલને સ્કીલ અપગ્રેડેશન કરવા માટે ગુજરાતભરમાં તાલીમ આપે છે.

ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટયુટ દ્વારા જેમ અને જ્વેલરી ક્ષેત્રમાં કાર્યરત પ્રોફશનલ, જેના પાસે અનુભવ હોવા છતાં કોઈપણ પ્રકારના પ્રમાણપત્ર નથી હોતા, એના માટે સંસ્થા એક દિવસીય પ્રેકટીકલ પરીક્ષા લઇ, ટ્રેડ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવે છે. આ પ્રકારનું ટ્રેડ સર્ટિફિકેટ ફક્ત પોલીશ્ડ ડાયમંડ ગ્રેડીંગ, રફ ડાયમંડ સોર્ટીંગ, કોમ્પુટરાઈઝડ ડાયમંડ પ્લાનીંગ, ડાયમંડ પોલિશિંગ જેવા પ્રોગ્રામ માટે આપવામાં આવે છે.

10 જૂન 2019થી નવો બેચ શરૂ થશે

જ્વેલરી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા વિધાર્થીઓ માટે સંસ્થા દ્વારા ૩ વર્ષ (૬ સેમેસ્ટર) નો હાયર ડીપ્લોમાં ઇન જ્વેલરી ડીઝાઈન અને મેન્યુફેકચરીંગ અભ્યાસક્રમ છેલ્લા ૧૯ વર્ષ થી સતત ચલાવવામાં આવે છે. જેની ફોર્મ ભરવાની પ્રક્રિયા આરંભ થઇ ચુકી છે. આ કોર્ષમાં એડમીશન ધોરણ ૧૨મું પાસ કર્યા પછી લઇ શકાય છે. આ અભ્યાસક્રમનો ૧૯મો બેચ ૧૦મી જુન, ૨૦૧૯ થી શરૂ થશે, આ કુલ ૬ સેમેસ્ટરનો કોર્ષ છે, જેમાં ૫ સેમેસ્ટર વિધાર્થીઓ આઈ.ડી.આઈ. માં અભ્યાસ કરવાના રહેશે અને ૬ઠું સેમેસ્ટરમાં  વિધાર્થીઓ ઇન્ડસ્ટ્રીઝમાં ઇન્ટર્નશીપ તરીકે પ્રેકટીકલ જ્ઞાન મેળવવાનું રહશે.

ત્રણ વર્ષના અભ્યાસક્રમમાં સામેલ બાબતો

કુલ ૩ વર્ષ નાં અભ્યાસક્રમ દરમ્યાન જ્વેલરી ડીઝાઈન (મેન્યુઅલ અને કોમ્પ્યુટર), કેડ-કેમ, જવેલરી કાસ્ટિંગ, મેટલ ફેબ્રીકેશન, મેટલર્જી, ગોલ્ડ એસેયીંગ, રીફાઇનીંગ, સ્ટોન સેટીંગ, ડાયમંડ ગ્રેડીંગ, જેમોલોજી વગેરે જેવા અનેક વિષયો તથા ડાયમંડ, જ્વેલરી અને જેમ સ્ટોનનાં ક્ષેત્રનું સંપૂર્ણ ઊંડાણપૂર્વક જ્ઞાન આ કોર્ષમાં આવરી લેવામાં આવે છે.

અભ્યાસક્રમ કરનારને કેવા પ્રકારની જોબ વર્ક મળી શકે?

ઉપરોક્ત અભ્યાસક્રમ પૂર્ણ કરનાર વિધાર્થીઓને ડાયમંડ, જેમ જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝમાં જ્વેલરી ડીઝાઈનર, CAD ડીઝાઈનર, સુપરવાઈઝર, પ્રોડક્શન મેનેજર, QC ઇન્ચાર્જ, તથા ખ્યાતનામ લેબોરેટરીમાં ડાયમંડ ગ્રેડર તથા જેમોલોજીસ્ટ તરીકે ઉજ્વળ કારકિર્દી બનાવી શકે છે. ડાયમંડ, જેમ જ્વેલરી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટેનો આ એક સંપુર્ણ કોર્ષ છે.

સંસ્થા દ્વારા કોર્ષ પૂર્ણ કર્યા બાદ પ્લેસમેન્ટની સુવિધા આપવામાં આવે છે. અત્યાર સુધીમાં આ કોર્ષ પૂર્ણ કરનાર વિધાર્થીઓ નામાંકિત કંપનીઓ જેવી કે  ટાઈટન, લક્ષ્મી જ્વેલરી, કિસના, જવેલ ગોલ્ડી, એનસાઈન, જેવી કંપની તથા IGI, GIA, IIDGR, GTL-જયપુર જેવી અનેક લેબોરેટરી માં નિમણૂંક પામી આજે ઉચ્ચપદો પર કાર્યરત છે

:: વધુ જાણકારી માટે સંપર્ક કરો ::

:: કતારગામ કેમ્પસ ::

ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટયુટ, કતારગામ જી.આઈ.ડી.સી.,

સુમુલ ડેરી રોડ, સુરત-૩૯૫૦૦૮,

ટેલિફોન : ૦૨૬૧-૨૪૦૭૮૪૭ / ૪૮, મો. ૯૮૭૯૧૬૨૨૨૮

:: વેસુ કેમ્પસ ::

ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટયુટ – સીટી સેન્ટર, સોમેશ્વરા એન્કલેવ સોસાયટી પાછળ,
ઉધના મગદલ્લા રોડ, સુરત-૩૯૫૦૦૭

ટેલિફોન : ૦૨૬૧-૨૨૧૫૫૧૧ / ૬૬, મો. ૯૪૨૬૧૨૪૮૭૯

ઈમેલ : admission@diamondinstitute.net

web : www.diamondinstitute.net

*-*-*-*-*-*-

April 15, 2019
GUJCET-2019-1280x720.jpg
1min7970

રાજ્યની ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી ફાર્મસી તથા ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ માટે યોજાનારી ગુજકેટ માટે ૧.૩૪ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે. બોર્ડ દ્વારા ગુજકેટ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે અને હવે ટૂંક સમયમાં વિદ્યાર્થીઓને હોલ ટિકિટ ઓનલાઈન આપવામાં આવશે. ૨૬ એપ્રિલના રોજ ગુજકેટ ૧૦ વાગ્યેથી લઈને ૪ વાગ્યા દરમિયાન યોજાશે. આ વખતે પણ ગુજકેટ આપનારા બી ગ્રૂપના વિદ્યાર્થીઓ વધુ છે. આ વર્ષે ગુજકેટની તારીખ ચાર વાર બદલાઈ હતી.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજેકટ ૨૬ એપ્રિલના રોજ લેવાશે. ગુજકેટ માટે કુલ ૧૩૪૮૪૬ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જેમાં એ ગ્રૂપના ૫૬૯૧૩, બી ગ્રૂપના ૭૭૪૭૮ અને એબી ગ્રૂપના ૪૫૫ વિદ્યાર્થીઓ છે. ગુજકેટ ડિગ્રી એન્જિનિયરિંગ ઉપરાંત ડિગ્રી ફાર્મસી અને ડિપ્લોમા ફાર્મસી માટે લેવાશે. ગુજકેટ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની કાર્યવાહી પૂર્ણ થયા બાદ હવે બોર્ડ દ્વારા હોલ ટિકિટ તૈયાર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. જેથી ટૂંક સમયમાં બોર્ડ વેબસાઈટ પર ગુજકેટની હોલ ટિકિટ મૂકાશે.ગુજકેટમાં સવારે ૧૦થી લઈને ૧૨ સુધી ફિઝિક્સ અને કેમિસ્ટ્રીનું સંયુક્ત પેપર પૂછાશે. ત્યારબાદ એક કલાકનો બ્રેક આપવામાં આવશે. બપોરે ૧ વાગ્યાથી ૨ વાગ્યા દરમિયાન બાયોલોજીનું પેપર પૂછાશે અને ફરી એક કલાકનો બ્રેક અપાશે. ત્યારબાદ બપોરના ૩ વાગ્યાથી ૪ વાગ્યા દરમિયાન ગણિતની પરીક્ષા લેવામાં આવશે. ગુજકેટ જિલ્લા મથકો પર લેવાનું આયોજન કરાયું છે.

બોર્ડ દ્વારા ગુજકેટની તારીખમાં ચાર વાર ફેરફાર કરાયો છે. અગાઉ જાહેર કરાયેલા કાર્યક્રમ બાદ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની પરીક્ષાના કાર્યક્રમને લઈને બે વાર ફેરફાર કરાયો હતો. છેલ્લે ૨૩ એપ્રિલે ગુજકેટ લેવાનું નક્કી કરાયું હતું. પરંતુ ગુજરાતમાં ૨૩ એપ્રિલે લોકસભાની ચૂંટણીનું મતદાન થવાનું હોવાથી બોર્ડને ફરીવાર ગુજકેટની તારીખમાં ફેરફાર કરવાની ફરજ પડી હતી. હવે, રાજ્યમાં ૨૬ એપ્રિલના રોજ ગુજકેટ લેવાશે.

April 15, 2019
bcci_logo.jpg
1min12270

આગામી મહિનાથી ઇંગ્લેડમાં શરૂ થઇ રહેલા વર્લ્ડ કપ ક્રિકેટ માટે આજે બીસીસીઆઇ દ્વારા ભારતની સ્કવોડ જાહેર કરવામાં આવી હતી. રિષભ પંત, અજિક્ંય રહાણે વગેરે જેવા ક્રિકેટરોને સાઇડ પર મૂકવામાં આવ્યા છે.

વિરાટ કોહલી (સુકાની),

રોહિત શર્મા,

શિખર ધવન,

લોકેશ રાહુલ,

વિજય શંકર,

મહેન્દ્રસિંહ ધોની,

કેદાર જાધવ,

દિનેશ કાર્તિક,

યુઝવેન્દ્રસિંહ ચહલ,

કુલદીપ યાદવ,

ભુવનેશ્વર કુમાર,

જસપ્રિત બુમરાહ,

હાર્દિક પંડ્યા,

રવીન્દ્ર જાડેજા,

મોહમ્મદ શમી.

April 15, 2019
Gandhinagar-Gujarat.jpg
1min8170

ભારતીય ચૂંટણીપંચે ૨૦૦૯ની લોકસભાની ચૂંટણી પહેલાં નવું સીમાંકન કર્યું હતું સાથે નવા મતદારોની નોંધણીમાં પહેલીવાર પુરુષ, સ્ત્રી એમ બે કેટેગરીની સાથે ત્રીજી કેટેગરી એટલે કે થર્ડ જેન્ડરની નોંધણી શરૂ કરી હતી. આ પહેલાં મતદાર યાદીમાં થર્ડ જેન્ડરની નોંધણી થતી નહોતી. હવે થર્ડ જેન્ડર પણ સામેથી નોંધણી કરાવવા આવી રહ્યા છે.

ગુજરાત લોકસભા બેઠકની ૨૬ બેઠક પર થર્ડ જેન્ડર મતદારોની સંખ્યામાં ૨૦૧૪ની સરખામણીમાં ૨૦૧૯માં ૭૦૫ થર્ડ જેન્ડર મતદારો વધ્યા છે. જેમાં લોકસભાની કચ્છ (એસ.સી.) બેઠક પર ૨૦૧૪માં એક પણ થર્ડ જેન્ડર મતદાર નહોતો તેની જગ્યાએ ૨૦૧૯માં ૧૨ મતદાર ત્રીજી કેટેગરીના નોંધાયા હતા. તેવી જ રીતે બનાસકાંઠા, પાટણ, અમરેલી અને વલસાડ (એસ.ટી.) બેઠક પર એક પણ થર્ડ જેન્ડર મતદાર ૨૦૧૪માં નહોતા જેની સામે ૨૦૧૯માં બનાસકાંઠા ૪, પાટણ ૨૧, અમરેલી ૨૧ અને વલસાડ (એસ.ટી.) ૧૪ મતદાર ત્રીજી કેટેગરીના એટલે કે થર્ડ જેન્ડરના નોંધાયા હતા. મહેસાણા બેઠક પર ૨૦૧૪માં ૨૩ની સામે ૨૦૧૯માં ૩૬ મતદાર થર્ડ જેન્ડરના નોંધાયા હતા. તેવી જ રીતે ૨૦૧૪માં સાબરકાંઠામાં એક મતદારની સામે ૨૦૧૯માં ૫૩ મતદારો ત્રીજી કેટેગરીના નોંધાયા હતા. ગાંધીનગરમાં ૨૦૧૪માં ૧૮ની સામે ૨૦૧૯માં ૪૭ મતદારો થર્ડ જેન્ડરના નોંધાયા હતા. અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ર્ચિમ (એસ.સી.) બેઠક પર ૨૦૧૪માં અનુક્રમે ૧૦ અને ૫ મતદારોની સામે ૨૦૧૯માં ૬૭ અને ૨૫ મતદારો થર્ડ જેન્ડરના નોંધાયા હતા. તેવી જ રીતે ૨૦૧૪માં સુરેન્દ્રનગરમાં બેની સામે ૩૩, રાજકોટમાં ૮ની સામે ૧૮, પોરબંદરમાં ૭ની સામે ૧૨, જામનગરમાં ૧૨ની સામે ૨૪, જૂનાગઢમાં ૨ની સામે ૧૬, ભાવનગરમાં ૨૪ની સામે ૩૫, ખેડામાં ૧૭ની સામે ૭૨, પંચમહાલમાં ૩ની સામે ૧૫, દાહોદ (એસ.ટી.) ૪ની સામે ૧૬, વડોદરા ૨૬ની સામે ૧૩૩, છોટા ઉદેપુર (એસ.ટી.) ૨ની સામે ૧૧, ભરૂચમાં ૨૮ની સામે ૪૧, બારડોલી (એસ.ટી.) ૧૦ની સામે ૨૦, સુરત ૨૭ની સામે ૫૯ અને નવસારીમાં ૫૨ની સામે ૭૭ થર્ડ જેન્ડર મતદારો ૨૦૧૯માં નોંધાયા હતા. આમ ૨૦૧૪ની સરખામણીમાં ૨૦૧૯માં ૭૦૫ થર્ડ જેન્ડર મતદારોનો વધારો થયો હતો.

April 15, 2019
modi1.jpeg
1min4810

કૉંગ્રેસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હેલિકૉપ્ટરમાંની ‘શંકાસ્પદ કાળી ટ્રન્ક’ અંગે તપાસની રવિવારે માગણી કરી હતી.

મોદી કર્ણાટકના ચિત્રદુર્ગ ખાતે ચૂંટણીપ્રચાર માટે હેલિકૉપ્ટરમાં ગયા ત્યારે ઉતારવામાં આવેલી કાળી ટ્રન્કના સંદર્ભે તપાસ કરવા કૉંગ્રેસે ચૂંટણી પંચ સમક્ષ માગણી કરી હતી. મોદીએ કર્ણાટકના ચિત્રદુર્ગ ખાતે નવમી એપ્રિલે ચૂંટણીસભાને સંબોધી હતી.

કૉંગ્રેસના પ્રવક્તા આનંદ શર્માએ જણાવ્યું હતું કે વડા પ્રધાને આ પ્રકરણમાં સ્પષ્ટતા કરવી જોઇએ. ચૂંટણી પંચે આ ટ્રન્કમાં શું હતું એનો જવાબ માગવો જોઇએ.

તેમણે જણાવ્યું હતું કે વડા પ્રધાનના હેલિકૉપ્ટરની સાથે અન્ય ત્રણ હેલિકૉપ્ટર પણ હતા. તેઓના ઉતરાણ પછી એક ટ્રન્ક ઉતારવામાં આવી હતી અને તે એક ખાનગી કારમાં બીજે ઠેકાણે લઇ જવાઇ હતી.

આનંદ શર્માએ સવાલ કર્યો હતો કે શું આ ટ્રન્કમાં રોકડ રકમ હતી? જો તેમાં રોકડ રકમ ન હોય તો તેની તપાસ થવી જોઇએ. કૉંગ્રેસના નેતાએ આક્ષેપ કર્યો હતો કે મોદી સત્યનો સામનો કરી નથી શકતા. ગયા વર્ષે ફ્રાંસના એ સમયના પ્રમુખ ફ્રાન્કોઇસ ઑલાન્દેની સાથે મોદીએ રાફેલ યુદ્ધવિમાનોના કરેલા સોદાની વિગત જાહેર થવી જ જોઇએ.

તેમણે સવાલ કર્યો હતો કે વડા પ્રધાન રાફેલ યુદ્ધવિમાનોના સોદા અંગે શું કામ ચુપકીદી સેવી રહ્યા છે?

આનંદ શર્માએ જણાવ્યું હતું કે મોદી ચૂંટણીપ્રચારમાં સશસ્ત્ર દળોનો દુુરુપયોગ કરી રહ્યા છે. મત માગવા સૈનિકોના બલિદાનનો દુરુપયોગ કરવાની બાબત સૈન્યનું અપમાન કરવા સમાન ગણાય.

April 15, 2019
model-code-of-conduct.jpg
1min5560

લોકસભા ચૂંટણીની આચારસંહિતાના ભંગ બદલ ૧૦મી માર્ચથી ૧૧મી એપ્રિલ વચ્ચે રાજ્યમાં ૧૦,૦૦૦થી વધુ એફઆઇઆર નોંધવામાં આવી છે. ૧૦,૩૯૭ પૈકી સૌથી વધુ કેસ મતદાતાઓને લલચાવવા માટે દારૂના વપરાશ અને ગેરકાયદે હથિયારો રાખવાના છે, એમ રાજ્ય ચૂંટણી કમિશનના ટોચના અધિકારીએ જણાવ્યું હતું.

ગેરકાયદે દારૂનો જથ્થો રાખવા અને તેનું વિતરણ કરવાના કેસમાં રાજયભરના વિવિધ પોલીસ સ્ટેશનમાં ૯,૦૦૦ એફઆઇઆર નોંધાઇ છે. તેમ જ લાઇસન્સ વગર હથિયાર રાખવા બદલ ૪૫૭ એફઆઇઆર નોંધાઇ હોવાનું એડિશનલ ચીફ ઇલેકટોરલ ઑફિસર દિલીપ શિંદેએ જણાવ્યું હતું. તે સિવાય ગેરકાયદે બેનર્સ, લાઉડસ્પીકરના વપરાશ, ભડકાઉ ભાષણ, મંજૂરી વગર રેલી યોજવી, વગેરે અંગેની ફરિયાદો પણ વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી.

નોંધનીય છે કે રાજ્યમાં ૪૮ લોકસભા સીટ માટેનું મતદાન ચાર તબક્કામાં થનાર છે. તે પૈકી પહેલા તબક્કાનું મતદાન ૧૧ તારીખે પૂર્ણ થયું હતું. આગામી ત્રણ તબક્કાનું મતદાન ૧૮,૨૩ અને ૨૯ તારીખે થવાનું છે. તેમ જ ૨૩મી મેના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે

April 14, 2019
income_tax-1280x853.jpg
1min5680

અમદાવાદ, ગોધરા, વડોદરા, સુરત સહિત વિવિધ સ્થળે પાડવામાં આવેલા દરોડામાં અત્યાર સુધીમાં રૂ. 8 કરોડ, 11 લાખની રોકડ રકમ જપ્ત

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં મતદારોને રીઝવવા માટે મોટાપાયે રોકડની હેરફેર થતી હોવાની બાબતને ધ્યાનમાં લઈને ઈન્કમટૅક્સ વિભાગ સક્રિય બની શુક્રવારે સવારથી જ એક જાણીતી આંગડિયા પેઢીઓની અમદાવાદ, સુરત, ગોધરા, રાજકોટ, સહિતના સ્થળે આવેલી ઑફિસો પર દરોડા પાડીને કરોડોની બિનહિસાબી રોકડ જપ્ત કરી હતી. લોકસભાની ચૂંટણીને હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે ઈન્કમટૅક્સ વિભાગ વધુ સક્રિય થઈ આંગડિયા પેઢીઓ, ટૂર ઓપરેટરના ઑફિસ, એન્ટ્રી ઓપરેટર અને સ્થળે સર્ચ ઓપરેશન હાથ ધરીને અમદાવાદ, ગોધરા, વડોદરા, સુરત સહિત વિવિધ સ્થળે પાડવામાં આવેલા દરોડામાં અત્યાર સુધીમાં રૂ. 8 કરોડ, 11 લાખની રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી.

રૂ. ત્રણ કરોડના દાગીના, ઝવેરાત જપ્ત કરવામાં આવ્યા હતા. જેમાં જાણીતા એન્ટ્રી ઓપરેટરના ત્યાંથી રૂ. 46 લાખની રોકડ સાથે કરોડોની એન્ટ્રીની વિગતો મળી આવી હતી. નવરંગપુરામાં એક ટૂર ઓપરેટરના ત્યાં દરોડા પાડીને રૂ. 47.26 લાખ અને ઝવેરાત કબજે કરી હતી. ટૂર ઓપરેટરની સરદાર પટેલ કોલોની- નવરંગપુરામાં આવેલ ઑફિસ તેમ જ ધનંજય ટાવરમાં આવેલ બંગલોમાં સર્ચ ચાલી રહી હતી. અમેરિકા, માલ્ટામાં આવેલી કંપનીઓમાં તેમનું કરોડોનું રોકાણ કર્યાનું અને દુબઈમાં પણ ઑફિસો અને કંપની હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. આ ટૂર ઓપરેટર દ્વારા હવાલા મારફતે વિદેશોમાં કરોડો રૂપિયા ટ્રાન્સફર કર્યા હોવાની આશંકા છે. ઈન્કમટૅક્સ વિભાગ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે અને તપાસના અંતે મોટાપાયે કરચોરીઓ સામે આવવાની શક્યતા છે.

April 14, 2019
abhinandan.jpg
1min6760

‘વન નૉટ, વન વૉટ’નું સૂત્ર આપનાર લખનઊથી લોકસભાની ચૂંટણી માટે નામાંકન કરનાર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હમસકલ અભિનંદન પાઠકને ચૂંટણીપંચે કારણદર્શક નોટિસ ફટકારી હતી. પાઠકે શુક્રવારે લખનઊથી પોતાનું નામાંકન દાખલ કર્યા બાદ પત્રકારોને જણાવ્યું હતું કે મારું સૂત્ર ‘વન નૉટ, વન વૉટ’નું છે. હું વારાણસીથી પણ નામ દાખલ કરવાનો છું.

જિલ્લા મેજિસ્ટ્રેટ કૌશલરાજ શર્માએ જણાવ્યું હતું કે સૂત્ર આચારસંહિતાનો ભંગ કરતું અને મતદારોને લલચાવનારું જણાય છે. પાઠકને શુક્રવારે સાંજે નોટિસ ફટકારવામાં આવી હતી.

નોટિસમાં પાઠકને નોટિસ મળ્યાના 24 કલાકમાં જવાબ આપવા જણાવાયું હતું. જો જવાબ નહીં મળે તો કાયદાની યોગ્ય કલમ હેઠળ પાઠક સામે એફઆઇઆર દાખલ કરવામાં આવશે.

લખનઊની બેઠક માટે ભાજપ તરફથી ગૃહપ્રધાન રાજનાથસિંહ નામાંકન દાખલ કરવાના છે. એમને પડકાર્યા બાદ પાઠકે 26મી એપ્રિલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પડકારવા માટે વારાણસીની બેઠક માટે પોતાનું નામ દાખલ કરવાની વાત પત્રકારોને જણાવી હતી.

પાઠક મોદી જેવો દેખાય છે. એ કપડાં પણ એમના જેવા જ પહેરે છે અને બોલવામાં પણ મોદીની કોપી કરતા પોતાના વાક્યની શરૂઆત મિત્રો શબ્દથી કરે છે.

2014ની લોકસભાની ચૂંટણી વખતે પાઠક સહિત મોદીના અનેક હમસકલ દેશના વિવિધ ભાગોમાં ચૂંટણી પ્રચાર કરતા દેખાયા હતા.

પાઠક અગાઉ ભાજપની સહયોગી પાર્ટી આરપીઆઇ (આઠવલે)માં હતો, પણ ત્યાર બાદ એ કૉંગ્રેસમાં જોડાયો હતો અને એણે કૉંગ્રેસ માટે વિધાનસભાની ચૂંટણી માટે અનેક ઠેકાણે પ્રચાર કર્યો હતો.