ગુજરાત સરકારમાં નોકરી મેળવવા માટે રાહ જોઈને બેઠેલા ઉમેદવારો માટે વધુ એક તક આગામી સમયમાં આવશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી સમયમાં મહેસૂલ તલાટીની ભરતી માટેનું નોટીફિકેશન બહાર પાડ્યું છે. ગુજરાતમાં આગામી સમયમાં મહેસૂલ તલાટી, વર્ગ-3ની 2300 જેટલી જગ્યાઓ ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવશે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડેલા નોટિફિકેશન પ્રમાણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી સમયમાં મહેસૂલ વિભાગ હસ્તકની મહેસૂલ તલાટી વર્ગ-3ની અંદાજીત 2300 જેટલી જગ્યાઓ માટેની વિગતવાર જાહેરાત, પરીક્ષાનો અભ્યાસક્રમ, કેટેગરીવાઈઝ ભરવાપાત્ર જગ્યાની વિગતો, ઓનલાઈન અરજી કરવાની તારીખ અંગેની વિગતો સહિતની વિગતવાર જાહેરાત ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે. જેની નોંધ લેવા વિનંતી છે.
પહલગામમાં આતંકી હુમલા બાદ ગુજરાત સરકાર પણ એલર્ટ થઈ ગઇ છે ત્યારે વિવિધ વિસ્તારોમાંથી પાકિસ્તાનીઓને શોધી શોધીને તગેડી મૂકવામાં આવી રહ્યા છે ત્યારે અમદાવાદ અને સુરતથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. બંને મોટા શહેરોમાં દરોડા દરમિયાન શહેરમાંથી લગભગ 500થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓ પકડાયાનો દાવો કરાયો છે જેમાં મહિલા અને પુરુષો બંને સામેલ છે. જેમાં અમદાવાદમાંથી 400થી વધુ જ્યારે સુરતમાંથી 100થી વધુ બાંગ્લાદેશીઓની અટકાયતના અહેવાલ મળી રહ્યા છે. આ લોકોના દસ્તાવેજોની ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
6 ટીમ બનાવીને તમામ શંકાસ્પદોની અટકાયત કરી લેવામાં આવી છે અને તેમના દસ્તાવેજોની ચકાસણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યાનુસાર સુરતના સચિન, ઉન, લાલગેટ અને લિંબાયત સહિતના અમુક વિસ્તારોમાં આ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે પ્રાથમિક તપાસમાં એવો દાવો કર્યો હતો કે આ લોકો પાસે ભારત સરકાર દ્વારા માન્ય આધારકાર્ડ પણ મળી આવ્યા છે. જ્યારે અમદાવાદમાં ચંડોળા તળાવ વિસ્તારમાંથી 400થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી જેમના શંકાસ્પદ બાંગ્લાદેશી હોવાની જાણકારી મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા તમામ રાજ્યોને આદેશ આપવામાં આવ્યો હતો કે 48 કલાકમાં તમામ પાકિસ્તાનીઓને વતન ભેગા કરવામાં આવે. જેના પર કાર્યવાહી કરતી વખતે જ પોલીસના હાથે આ બાંગ્લાદેશીઓ ચઢી ગયાનો દાવો કરાયો છે. રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી અગાઉ જ પાકિસ્તાની નાગરિકોને પણ અલ્ટીમેટમ આપી ચૂક્યા હતા. મળતી માહિતી અનુસાર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વિદેશી ઘૂસણખોરો સામે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચની સાથે સાથે આ તપાસમાં એસઓસી, ઈઓડબ્લ્યૂ અને ઝોન 6 હેડક્વાર્ટરની ટીમોએ કોમ્બિંગ હાથ ધર્યું હતું જેમાં 400 થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓ ઝડપાયા હતા.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ Date 19 April 2025 મોડી રાત્રે એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટે March 2025માં લેવામાં આવેલી જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન (JEE) મેઈન 2025ના બીજા તબક્કાનું પરિણામ જાહેર કર્યું. JEE મુખ્ય સત્ર એક અને બીજા સત્રની પરીક્ષામાં કુલ 24 ઉમેદવારોએ 100 પર્સન્ટાઇલ મેળવ્યા છે. જેમાં રાજસ્થાનના ઓમ પ્રકાશ બેહેરા, સક્ષમ જિંદાલ, અર્ણવ સિંહ, રજિત ગુપ્તા, મોહમ્મદ અનસ, આયુષ સિંઘલ અને લક્ષ્ય શર્માએ ટોપ પર છે. જ્યારે ગુજરાતના શિવેન વિકાસ તોષનીવાલ અને અદિત પ્રકાશ ભગડે 100 પર્સન્ટાઇલ મેળવ્યા છે. ગુજરાતમાં શિવેન વિકાસ તોસનીવાલ અને આદિત પ્રકાશ ભાગડેએ 100 પર્સન્ટાઈલ રેન્ક મેળવીને ટોપ કર્યું હતું.
આ વર્ષે JEE મેઈન 2025 બે રાઉન્ડમાં લેવામાં આવી હતી. જો કોઈ ઉમેદવાર બંને સત્રોમાં હાજર રહ્યો હોય, તો અંતિમ મેરિટ યાદી તૈયાર કરતી વખતે JEE મેઇનમાં ઉમેદવારના શ્રેષ્ઠ સ્કોરને ધ્યાનમાં લેવામાં આવશે. આ વર્ષે પરીક્ષામાં કુલ 9,92,350 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 6,81,871 મહિલા ઉમેદવારો અને 3,10,479 પુરુષ વિદ્યાર્થીઓ હતા.
પહેલા સત્રમાં 14 વિદ્યાર્થીઓએ 100 પર્સન્ટાઇલ મેળવ્યા હતા. 24 ઉમેદવારોમાંથી, 7 રાજસ્થાનના, 3-3 મહારાષ્ટ્ર, તેલંગાણા અને યુપીના, 2-2 પશ્ચિમ બંગાળ, ગુજરાત અને દિલ્હીના છે. એક-એક કર્ણાટક અને આંધ્રપ્રદેશનો છે. 100 પર્સન્ટાઇલ મેળવનારાઓમાં 21 ઉમેદવારો સામાન્ય શ્રેણીના છે. ત્યાં જ, EWS, OBC (નોન-ક્રીમી લેયર), SC શ્રેણીમાંથી એક-એક ઉમેદવારે 100 પર્સન્ટાઇલ મેળવ્યા છે.
JEE Mains Paper 1 બન્ને ફેઝની પરીક્ષાનું પરીણામ જાહેર થઇ ચૂક્યું છે અને હવે કોમન રેન્ક લિસ્ટ બહાર પડી રહ્યું છે. કોમન રેન્ક લિસ્ટને જોતા 97.50 પર્સન્ટાઇલ રેન્ક ધરાવતા વિદ્યાર્થીને એડમિશન મળશે પરંતુ, તેણે કેમ્પસ અથવા તો બ્રાન્ચને કોમ્પ્રોમાઇસ કરવી પડશે. 97.50 પર્સન્ટાઇલ રેન્ક ધરાવતા વિદ્યાર્થીને કોમન રેન્ક લિસ્ટમાં 45થી 50 હજાર વચ્ચે રેન્ક આવશે. તેની સામે આઇઆઇટી, એનઆઇટી, ત્રિપલ આઇટી વગેરેની કુલ સીટોની સંખ્યા 48 હજાર જેટલી છે. આવી સ્થિતિમાં 97.50 પ્લસ પર્સન્ટાઇલ માર્ક હોવા છતાં પણ પ્રવેશાર્થીને પસંદગીની કોલેજ અથવા તો બ્રાન્ચ મળવાની નથી.
ગુજરાતી વિદ્યાર્થીઓની વાત કરીએ તો ગુજરાતી વિદ્યાર્થીઓ ઘણુંખરું ગુજરાતની બહાર અભ્યાસ કરવા માટે જતા નથી. આવી સ્થિતિમાં જેઇઇ મેઇન્સ પરીક્ષાની ઉપયોગીતા તેમના માટે રહેતી નથી આમ છતાં ધો.11-12માં દરમિયાન આખું વર્ષ જેઇઇ મેઇન્સ પાછળ સમય, શક્તિ, નાણાં અને મગજ શું કામ બગાડતા હશે એ બાબતે શિક્ષણશાસ્ત્રીઓ માથું ખંજવાળી રહ્યા છે. જે વિદ્યાર્થીએ ધો.11માં જેઇઇ મેઇન્સનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું હોય અને ધો.11માં ડિસેમ્બર મહિનો આવે ત્યાં સુધીમાં તેને એ બાબત સમજાય જતી હોય છે કે તે 92 પ્લસ પર્સન્ટાઇલમાં પરફોર્મ કરી શક્તો નથી, આમ છતાં વાસ્તવિકતાને સ્વીકાર્યા વગર, વાસ્તવિક ક્ષમતાને નજરઅંદાજ કરીને જેઇઇ મેઇન્સ પાછળ મહેનત કરે છે અને જ્યારે પરીણામ આવે ત્યારે 97.50 પર્સન્ટાઇલ જેટલા ઉંચા માર્ક ન આવે ત્યારે ફરીથી ગુજરાતમાં જ ગુજકેટ અને બોર્ડના આધારે પ્રવેશ લેવાની ફરજ પડે છે. ભવિષ્યના વિદ્યાર્થીઓ અને વાલીઓએ આ વાત સમજવા જેવી છે. જેઇઇ મેઇન્સ બધા માટે નથી હોતી અને જેઇઇ મેઇન્સ બધું નથી હોતી.
સાધનસંપન્ન પરીવારોની ક્લબ ગણાતા લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમમાં આજે સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનની મેનેજિંગ કમિટીની કુલ 21 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં સાંજે 4ના ટકોરે જ્યારે મતદાનની પ્રક્રિયા સંપન્ન થઇ હતી ત્યારે કુલ 69.12 ટકા મતદાન યોજાયું હતું. રવિવારે રજાનો દિવસ અને ધખધખતો તાપ પડતો હોવા છતાં સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનના 3608 મેમ્બરો પરસેવે રેબઝેબ થઇને પણ મતદાન કરવા માટે સ્ટેડીયમમાં પહોંચ્યા હતા.
સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનના ચૂંટણી જંગમાં 21 ઉમેદવારોની બે પેનલો ઝુકાવ્યું હતું. બન્ને પેનલનું નેતૃત્વ લાલભાઇ કોન્ટ્રાક્ટર પરીવારના સભ્યોના હાથમાં સોંપવામાં આવ્યું હતું. સ્ટેડીયમ પેનલ કે જેનું નેતૃત્વ ખુદ વર્તમાન પ્રમુખ કનૈયાભાઇ કોન્ટ્રાક્ટર કરી રહ્યા છે જ્યારે સામે પક્ષે તેમના જ લઘુબંધુ સ્વ. હેમંત કોન્ટ્રાક્ટરની પુત્રી યેશા કોન્ટ્રાક્ટરે પોતાના 20 ઉમેદવારો સાથે હેમંત કોન્ટ્રાક્ટર પેનલના નામથી ચૂંટણીમાં ઝુકાવીને વહીવટ કબજે કરવાનો પ્રયાસ કર્યો હતો. આજે મતદાન યોજાય તેની પૂર્વ સંધ્યા સુધી બન્ને પેનલોએ શામ, દામ, દંડ, ભેદ તમામ નીતિઓ અખત્યાર કરીને સોશ્યલ મિડીયા તેમજ અન્ય મિડીયા સ્ત્રોતો થકી મેમ્બરોમાં એક બીજાને નીચા દેખાડવાની ભરપૂર કોશિશો કરી હતી, જેને લઇને સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનની આ ચૂંટણી અત્યંત રોમાંચક બની હતી.
આજે સવારે 10ના ટકોરે મતદાન શરૂ થયું હતું અને આરંભથી જ આક્રમક મતદાન જોવા મળ્યું હતું. સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનમાં કુલ 5222 મેમ્બરોને આજે મતદાન કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. દર કલાકે 700 મતોની સરસાઇ સાથે સાંજે 4ના ટકોરે મતદાન સંપન્ન થયુ ત્યારે કુલ 3608 મતદારો મતદાન કરી ચૂક્યા હતા. દર ત્રણ વર્ષે યોજાતી આ ચૂંટણીમાં ત્રણ વર્ષ અગાઉ 2022માં યોજાયેલી ચૂંટણીમાં એ સમયે સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનના 4500માંથી 2912 મતદારોએ મતદાન કર્યું હતું
તમિલનાડુની ડીએમકે સરકારે એક ઐતિહાસિક નિર્ણય લઇને 10 બિલોને રાજ્યપાલ કે રાષ્ટ્રપતિની મંજૂરી વગર જ સત્તાવાર રીતે કાયદા તરીકે અમલ કરી દીધો છે. આ નિર્ણય સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ લેવામાં આવ્યો છે. પ્રથમ વખત એવું બન્યું છે કે કોઇ રાજ્યએ રાજ્યપાલ કે રાષ્ટ્રપતિની દખલ વગર જ બિલોને કાયદાનું સ્વરૂપ માનીને લાગુ કર્યા છે.
વિપક્ષ આ ફેરફારોને રાજ્ય સરકારની સ્વાયતત્તા અને દેશના સંઘીય ઢાંચાની જીત તરીકે જોઇ રહ્યો છે. તમિલનાડુ સરકાર દ્વારા જે પણ બિલોનો અમલ કરવામાં આવ્યો છે તે વર્ષ 2023થી રાજ્યપાલ પાસે પેન્ડિંગ હતા. આ બિલોમાં મોટાભાગનાને વિધાનસભા દ્વારા બે વખત પસાર કરવામાં આવ્યા હોવા છતા તેને મંજૂરી નહોતી મળી તેથી તમિલનાડુ સરકારે અંતે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી જ્યાં તેની જીત થઇ હતી. સુપ્રીમ કોર્ટે આઠ એપ્રીલના રોજ આપેલા ચુકાદામાં બિલોને દબાવી રાખવાના રાજ્યપાલના નિર્ણયને મનમાનીભર્યો ગણાવીને તેને રદ કર્યો હતો.
સુપ્રીમના આ ચુકાદાને આધાર બનાવીને હવે તમિલનાડુની ડીએમકે સરકારે કહ્યું છે કે બિલોને બીજી વખત પસાર કરીને રાજ્યપાલ પાસે મોકલવામાં આવ્યા હતા જેને મંજૂરી આપવી જ પડે. સુપ્રીમનો ચુકાદો આ બિલોને મંજૂરી મળી ગઇ છે તે રીતે લઇને તેને કાયદાના સ્વરૂપમાં અમલ કરવામાં આવી રહ્યો છે. જે પણ બિલોને લઇને રાજ્ય સરકાર દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે તેમાં તમિલનાડુ યુનિવર્સિટી કાયદામાં સુધારો 2022, તમિલનાડુ ફિશરિઝ યુનિવર્સિટી કાયદામાં સુધારો 2020, ડો. આંબેડકર યુનિ. કાયદામાં સુધારો 2022 વગેરે યુનિવર્સિટીઓ સાથે સંકળાયેલા 10 બિલોનો સમાવેશ થાય છે. પ્રથમ વખત એવુ જોવા મળ્યું કે આ નોટિફિકેશનમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાને ટાંકીને તેના અમલ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે.
બંધારણીય જોગવાઇ મુજબ વિધાનસભામાં પસાર બિલોને રાજ્યપાલ પાસે મોકલાય છે. રાજ્યપાલ તેને મંજૂર કરે, અસ્વીકાર કરે અથવા સુધારા માટે પરત મોકલી શકે છે. પરંતુ જો વિધાનસભા પરત મોકલાયેલા બિલને ફરી પસાર કરે અને પછી રાજ્યપાલ પાસે મોકલે તો રાજ્યપાલ પછી આવા બિલોને રાષ્ટ્રપતિ પાસે ફરી વિચારણા માટે ના મોકલી શકે. તેમણે ફરજિયાત તેને મંજૂરી આપવી જ પડે. સુપ્રીમ કોર્ટે આ જોગવાઇને ધ્યાનમાં રાખીને તમિલનાડુ સરકારની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.
જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઇપીસી)ની સુરત સ્થિત રિજિયોનલ કચેરી દ્વારા છેલ્લા બે દિવસ દરમિયાન આયોજિત કરવામાં આવેલી ત્રીજી લેબગ્રોન બાયર્સ સેલર્સ મીટમાં અમેરીકા, બૈરુત, કઝાકિસ્તાન સહિત જુદા જુદા 8 દેશોમાંથી આવેલા 18 જેટલા વેરીફાઇડ વિદેશી ખરીદારો સુરતના લેબગ્રોન ડાયમંડ માર્કેટથી એટલા પ્રભાવિત થયા કે તેમણે મુક્તમને કહ્યું કે સુરત જેટલા સસ્તા અને સારી ક્વોલિટીના લેબગ્રોન ડાયમંડ બીજે ક્યાંયથી મળ્યા નથી. તેમણે સુરત અને મુંબઇના હીરા બજારમાં જે પ્રમાણે પ્રોફેશનલિઝન અને પારદર્શી વેપારની સિસ્ટમ જોઇ એવી ક્યાંય ન હોવાનો અભિપ્રાય આપ્યો હતો. અનેક ખરીદારો એવા છે કે જેઓ નેચરલ ડાયમંડનો બિઝનેસ કરી રહ્યા હતા પરંતુ, પહેલીવાર સુરત આવ્યા છે અને હવે તેઓ લેબગ્રોન ડાયમંડ્સમાં વેપારની ઉદભવનારી અસિમીત તકને પામી ચૂક્યા છે અને તેઓ કહે છે કે હીરા બજારના વર્લ્ડ માર્કેટમાં લેબગ્રોન ડાયમંડનો પ્રભાવશાળી સમય હજુ આવવાનો બાકી છે. વિશ્વની યુવા પેઢીને હવે લેબગ્રોન ડાયમંડ્સ અને તેમાંથી બનેલા જ્વેલરી આકર્ષી રહી છે.
જેમ્સ એન્ડ જ્વેલરી એક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન જયંતિ સાવલિયાએ કહ્યું કે જીજેઇપીસીની આ ત્રીજી લેબગ્રોન ડાયમંડ બાયર્સ સેલર્સ મીટ છે, પહેલી બે સમિટ અત્યંત ફળદાયી નિવડી હતી. જેમાં જીજેઇપીસી ખરીદારોને વેરીફાઇડ કરે છે અને આ એવી સમીટ છે કે જેમાં વિદેશી ખરીદારો માટે કોઇ સ્ટોલ્સ કે ડિસ્પ્લે હોતા નથી પરંતુ, સીધા જ ડાયમંડ ગ્રોઅર્સ તેમજ જ્વેલરી મેન્યુફેક્ચરર્સ સાથે વનટુ વન મિટીંગ થાય છે, ફેક્ટરી વિઝીટ થાય છે અને સ્થાનિક ઉત્પાદકોને બિઝનેસ લિડ્સ મળે છે તેમજ ભવિષ્યના ઓર્ડરો પણ મળે છે. વિદેશી ખરીદારો માટે સુરતમાંથી સુરતના ટોચના ૧૧ લેબગ્રોન ડાયમંડ ગ્રોવર્સ (ઉત્પાદકો), લૂઝ લેબગ્રોન કટ & પોલીશ્ડ ડાયમંડ્સ સપ્લાયર્સ તેમજ લેબગ્રોન ડાયમંડ જ્વેલરી મન્યુફેક્ચરર્સને પસંદ કરવામાં આવ્યા હતા. તમામે તમામ ખરીદારો વેરીફાઇડ હોય છે અને ખરીદારોને આવવા જવા માટેની વિમાની ટિકીટ, હોટેલમાં સ્ટે, ઇન્ટરર્નલ ટ્રાન્સપોર્ટેશનથી લઇને દરેક સુવિધા જીજેઇપીસી દ્વારા જ પૂરી પાડવામાં આવે છે.
સૌથી સસ્તા લેબગ્રોન ડાયમંડ્સ સુરતમાંથી જ મળેઃ ઓલ્ગા ગોન્ઝાલેઝ, ન્યુયોર્ક
વિદેશી ખરીદારોએ આજે સુરતના મિડીયા પર્સન્સ સાથે વાતચીત કરી હતી જેમાં અમેરીકાના ન્યુયોર્કથી આવેલા ઓલ્ગા ગોન્ઝાલેઝે જણાવ્યું કે સુરતના હીરા બજારમાં આવીને એવો અહેસાસ થયો કે વિશ્વમાં સૌથી સસ્તા અને સારા લેબગ્રોન ડાયમંડ્સ સુરત સિવાય બીજે ક્યાંયથી મળી શકે નહીં. સુરતના લેબગ્રોન ડાયમંડ જ્વેલરીની વિશાળ રેન્જ અને ડિઝાઇન એવી છે કે શું ખરીદવું અને શું ન ખરીદવું એવી મૂંઝવણ થાય. તેમણે નેચરલ ડાયમંડ અને લેબગ્રોન સીવીડી ડાયમંડ્સ વચ્ચે કિંમતોમાં રહેલા ભારે તફાવતને કારણે હવે અમેરીકા સમેત સમગ્ર વિશ્વના હીરા ઝવેરાત બજારોમાં લેબગ્રોન ડાયમંડનું પ્રભુત્વ વધી રહ્યું હોવાનું જણાવતા કહ્યું કે ચીનના એચ.પી.એચ.ટી. ડાયમંડ્સ અંગે કોઇ જ ખ્યાલ નથી પણ ભારતમાં ખાસ કરીને સુરતમાં જે રીતે લેબગ્રોન ડાયમંડ્સનું ઉત્પાદન (ગ્રોઇંગ), કટીંગ, પોલિશિંગ થઇને પોલિશ્ડ હીરો બને છે એ નેચરલ ડાયમંડથી કંઇ કમ નથી.
ચીન કરતા બહેતર ક્વોલિટી અને કિંમતો સુરતના સીવીડી લેબગ્રોનનીઃ એસ્લી અદિલખાન, કઝાકિસ્તાન
કઝાકિસ્તાનથી આવેલી ગોલ્ડ જ્વેલરીની મહિલા વિક્રેતા એસલી એદિલખાન કહ્યું કે તેમનું ક્ષેત્ર હોંગકોંગના જ્વેલરી ટ્રેન્ડથી પ્રભાવિત છે. હોંગકોંગમાં ચાઇનીઝ લેબગ્રોન ડાયમંડ્સ અને તેની જ્વેલરી ઉપલબ્ધ હતી. તેમણે ખરીદવા માટે પ્રયત્નો કર્યા ત્યારે ખ્યાલ આવ્યો કે કિંમતોથી લઇને ક્વોલિટી કોમ્પ્રોમાઇસ થઇ રહી હતી. પછી તેમને જીજેઇપીસીની બાયર્સ સેલર્સ મીટ ઇવેન્ટ અંગે જાણકારી મળી અને તેઓ સુરત આવ્યા. સુરતમાં સીવીડી લેબગ્રોન ડાયમંડ્સની મેકીંગ પ્રોસેસ, જ્વેલરી મેન્યુફેક્ચરીંગ, ડિઝાઇનિંગ રેન્જ અને સૌથી આકર્ષક કિંમતોથી ભારે પ્રભાવિત થયા. એસલીએ પત્રકારોને કહ્યું કે સુરતમાં જેટલા સસ્તા સીવીડી લેબગ્રોન ડાયમંડ્સ મળ્યા તેટલા સસ્તા હવે ક્યાંય મળી શકે તેમ નથી. સુરતના લેબગ્રોન ડાયમંડ માર્કેટ પર એટલા આફરીન થયા કે હવે તેઓ સુરત સિવાય લેબગ્રોન ડાયમંડ અન્ય ક્યાંયથી ખરીદવાનું વિચારશે પણ નહીં.
સુરત જેવી વિશાળ રેન્જ અને સૌથી સસ્તા લેબગ્રોન બીજે ક્યાંય નહીં મળેઃ ઓલ્ગા તારાસોવા, ન્યુયોર્ક
ન્યુયોર્કથી આવેલા અન્ય એક મહિલા ખરીદાર ઓલ્ગા તારાસોવાએ પણ કહ્યું કે લેબગ્રોન ડાયમંડનું ખરેખર સૌથી સારુ અને સસ્તુ બજાર જો કોઇ હોય તો એ સુરત છે. સુરતમાં અમને જે રેન્જ અને વેરાઇટી મળી અને એ પણ ક્વોલિટી અને સૌથી સસ્તા દરે મળી એ જાણીને ખૂબ આનંદ થયો અને હવે અમે અમારી ખરીદીની પ્રક્રિયા માટે સુરતને જ પહેલી પસંદગી આપીશું. તેમણે કહ્યું કે આ અગાઉ ક્યારેય તેમણે લેબગ્રોન ડાયમંડ્સમાં ડીલ કર્યું નથી પણ સુરતમાં જીજેઇપીસીની બાયર્સ સેલર્સ મીટમાં આવ્યા પછી જે અનુભવ થયો અને હવે સમગ્ર વિશ્વમાં લેબગ્રોન ડાયમંડ્સનો પ્રભાવ વધવાનો છે ત્યારે લેબગ્રોન ડાયમંડના વેપારની શરૂઆત સુરતથી કરવાનો આનંદ છે.
બૈરુતથી આવેલા એક ખરીદારે ત્યાં સુધી કહ્યું કે રીટેલ માર્કેટમાંથી ખરીદી કરીએ અને વ્હોલસેલ માર્કેટમાંથી ખરીદી કરીએ ત્યારે ક્વોલિટી, ક્વોન્ટીટી અને ભાવમાં કેવો ફરક જોવા મળે તેવી અનુભૂતિ સુરતના લેબગ્રોન ડાયમંડ માર્કેટને જોયા પછી થઇ છે. એવું લાગી રહ્યું છે કે વિશ્વના સૌથી સસ્તા લેબગ્રોન ડાયમંડ્સ ખરીદવા હોય તો સુરત જ આવવું પડે. તેમણે કહ્યું કે તેઓ બીજી વખત સુરતમાં જીજેઇપીસી આયોજિત બાયર્સ સેલર્સ મીટમાં આવ્યા છે અને જે રીતની જ્વેલરી સુરતના ઝવેરાત ઉત્પાદકો બનાવીને વેચી રહ્યા છે એ સમગ્ર વિશ્વના બજારોના ગ્રાહકોને આકર્ષવા માટે કાફી છે. તેમણે સુરતને હીરા અને હીરા જડીત જ્વેલરી ખરીદવા માટેનું સૌથી ઉત્તમ સ્થળ તરીકે ગણાવ્યું હતું.
અમેરીકા કેનેડા સમેત 8 દેશોમાંથી ખરીદારો સુરત આવ્યા
સુરત ખાતે યોજાયેલી જીજેઇપીસીની ત્રીજી લેબગ્રોન બાયર્સ સેલર્સ મીટમાં લેબગ્રોન હીરા ઝવેરાતની ખરીદી માટે અમેરીકા, યુનાઇટેડ કિંગ્ડમ, કેનેડા, કઝાકિસ્તાન, રશિયન ફેડરેશન, સાઉદી અરેબિયા, યુ.એ.ઇ. અને લેબેનોનથી 20 જેટલા વેરીફાઇડ ખરીદારો આવ્યા હતા. આ ખરીદારો ગ્લોબલ જ્વેલરી બ્રાન્ડ્સના પરચેઝ મેનેજર્સથી લઇને બિઝનેસ ડેવલપર્સ હતા. કેટલાક એવા પણ ખરીદારો હતા કે જેઓ પહેલીવાર નેચરલ ડાયમંડ્સમાંથી લેબગ્રોન ડાયમંડ્સના કારોબાર તરફ વળ્યા છે.
“ધ સઘર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઍન્ડ ઇંડસ્ટ્રીઝ, સુરત(SGCCI)” દ્વારા આયોજીત “ગોલ્ડનજ્યુબિલી એવાર્ડ ૨૦૨૩ – ૨૪” માટે સુરત-તાપી જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લીમીટેડ , સુમુલ ડેરી સુરત સંઘના ચલથાણ ખાતેના ટેઈક હોમ રાશન (THR) પ્લાન્ટ દ્વારા “કલરટેક્ષ એવાર્ડ ફોર આઉટ સ્ટેન્ડિંગ પર્ફોમન્સ ઇન એનર્જિ કન્ઝર્વેશન” કેટેગરીમાં અરજી કરવામાં આવેલ હતી. તદ ઉપરાંત રાજ્યની અગ્રણી અલગ-અલગ ઇંડસ્ટ્રીઝમાંથી અરજીઓ કરવામાં આવેલ હતી. જે પૈકી સુમુલ ડેરી સુરત સંઘના ચલથાણ ખાતેના ટેઈક હોમ રાશન (THR) પ્લાન્ટ બધા માપદંડો માં અગ્રેસર રહયો હતો. જે માટે સુમુલ ડેરી – ટેક હોમ રાશન પ્લાન્ટને પ્રથમ પુરસ્કાર મળવા જઈ રહેલ છે. આ એવોર્ડ સુરત અને તાપી જીલ્લાના દૂધ ઉત્પાદકોને સમર્પિત કરવામાં આવશે. સુમુલ ડેરીએ સમગ્ર ભારત વર્ષમાં ફ્રૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે નામ રોશન કરેલ છે .
ટેઈક હોમ રાશન (THR) પ્લાન્ટ દ્વારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તેમજ ભારત સરકાર સંકલિત બાળ વિકાસ યોજના દ્વારા નાના બાળકો, કિશોરીઓ, સગર્ભા અને સ્તનપાન કરાવતી માતાઓને રેડી ટુ કુક ટેક હોમ રાશન ખોરાક પૂરો પાડે છે. આ પ્રોડક્ટના ઉત્પાદન માટે અનુક્રમે કૈરા, બનાસકાંઠા અને સુરત દૂધ સંઘમાં ત્રણ હાઇટેક પ્લાન્ટ 200 મેટ્રિક ટન/દિવસની ક્ષમતા સાથે સ્થાપિત કરવામાં આવ્યા છે. જેમાં ફક્ત અને ફક્ત સુમુલ ડેરી સુરત સંઘના ચલથાણ ખાતેના ટેઈક હોમ રાશન (THR) પ્લાન્ટને એનર્જિ કન્ઝર્વેશન ક્ષેત્રે પ્રથમ વખત “ધ સઘર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઍન્ડ ઇંડસ્ટ્રીઝ “ દ્વારા આયોજીત “ગોલ્ડન જ્યુબિલી એવાર્ડ ૨૦૨૩ – ૨૪” માં સકારાત્મક પ્રયાસો થકી પ્રથમ સ્થાને એવોર્ડ મળવા જઈ રહયો છે.
આ એવોર્ડ તા.૧૬.૦૪.૨૦૨૫, બુધવાર ના દિને પ્લૅટિનમ હોલ,ધ સઘર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઍન્ડ ઇંડસ્ટ્રીઝ (SGCCI),સરસાના,સુરત ખાતે સુમુલ ડેરીના ચેરમેનશ્રી, વાઈસ ચેરમેનશ્રી, બોર્ડ ડીરેક્ટરશ્રીઓ, મેનેજીંગ ડીરેક્ટરશ્રી તથા યુનિટ હેડ દ્વારા સ્વીકારવામાં આવશે.
ગોલ્ડન જ્યુબિલી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા એવાર્ડ આપવા માટે ઉર્જા બચત – ઇલેક્ટ્રિકલ અને થર્મલ, ચોક્કસ ઉર્જા વપરાશમાં ઘટાડો – ઇલેક્ટ્રિકલ અને થર્મલ, એનર્જી ઓડિટ,૧૦૦% ક્ષમતાનો ઉપયોગ, શ્રેષ્ઠ ગુણવત્તા અને સલામતી નિયંત્રણો, ફૂડ પ્રોસેસીંગ ટેકનોલોજી, સાયન્ટિફિક ઇનોવેશન અને સ્ટેટ ઓફ ધ આર્ટ ટેકનોલોજીનો અમલ જેવા માપદંડનો સમાવેશ થયેલ છે.
સુમુલ ડેરી તથા તેમના અલગ-અલગ યુનિટ ને રાષ્ટ્રીય (ભારત સરકાર) તથા વિવિધ સંસ્થાઓં દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં અલગ-અલગ કેટેગરીમાં કુલ ૧૩ એવોર્ડ મળેલ છે જેની યાદી આ પ્રમાણે છે.
(૬) ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (SGCCI) ૨૦૧૯-૨૦, કલર ટેક્ષ ઉર્જા બચત એવોર્ડ, સુમુલ ડેરી સુરત, પ્રથમ પુરષ્કાર
(૭) ગોલ્ડન જ્યુબિલી મેમોરીયલ ટ્રસ્ટ ૨૦૨૦-૨૧, પર્યાવરણ સંરક્ષણ અને પ્રદૂષણ નિયંત્રણ એવોર્ડ, સુમુલ ડેરી સુરત, પ્રથમ પુરષ્કાર
(૮) મિલેટ ઈયર – ૨૦૨૩ (FSSI) એવોર્ડ
(૯) આઈ.ડી.એ. દ્વારા આયોજીત શ્રેષ્ઠ પ્રોસેસિંગ ટેકનોલોજીનો સ્વીકાર કરી 2 થી 5 લાખ લિટર પ્રતિ દિવસની પ્રોસેસિંગ ક્ષમતા કેટેગરીમાં નવી પારડી, પ્રથમ પુરષ્કાર – ૨૦૨૪
(૧૦) વૃક્ષારોપણ કાર્યક્રમમાં ફેડરેશન સાથે સંકળાયેલ તમામ ડેરી પૈકી સુમુલ ડેરીએ છેલ્લા ચાર વર્ષમાં ૪૦ લાખથી વધુ વૃક્ષો વાવી ચાર એવોર્ડ મેળવેલ છે.
બિનઅનુભવી અને સ્ટેડીયમમાં રેગ્યુલર નહીં આવતા ઉમેદવારોની પેનલ સામે સ્ટેડીયમ પેનલના ઉમેદવારો સતત કમ્યુનિકેશનમાં રહીને ડેવલપમેન્ટના કાર્યો કરતા આવ્યા છે
સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનની આગામી રવિવારે યોજાનારી ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઇ રહ્યું છે. લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમના મેમ્બર્સ એ વાત સારી રીતે જાણી ચૂક્યા છે કે એક તરફ એવી પેનલ છે કે જેના ઉમેદવારો રેગ્યુલર સ્ટેડીયમમાં આવતા નથી કે અત્યાર સુધી SDCA કે લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમના ડેવલપમેન્ટમાં કશું યોગદાન આપ્યું નથી, માત્રને માત્ર સહાનુભૂતિનું આવરણ લઇને SDCAના વહીવટ પર કબજો જમાવવાની પેરવી થઇ રહી છે. જ્યારે સ્ટેડીયમ પેનલના ઉમેદવારો કે જેઓ નિયમિત રીતે સ્ટેડીયમમાં આવીને ડેવલપમેન્ટના જે પણ કોઇ કાર્યો અને પ્રોજેક્ટ થયા તેમાં પૂરતો સમય ફાળવ્યો એટલું જ નહીં પણ સ્ટેડીયમ પેનલના ઉમેદવારો સતત મેમ્બર્સના કમ્યુનિકેશનમાં રહેતા આવ્યા છે અને તેમની રજૂઆતો, ફરીયાદોને સાંભળીને ત્વરીત ઉકેલ લાવી આપવામાં મહત્વની ભૂમિકા ભજવતા આવ્યા છે.
SDCA અને લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમની શ્રેષ્ઠ ફેસેલિટી, ગુડ ગવર્નન્સ અને મેનેજમેન્ટની ગૂંજ આજે ગુજરાત ક્રિકેટ એસોસીએશનથી લઇને બી.સી.સી.આઇ.માં સંભળાય રહી છે તેની પાછળ સ્ટેડીયમ પેનલના ઉમેદવારોએ કરેલો પુરુષાર્થ છે. દેશ વિદેશની ક્રિકેટીંગ પર્સનાલિટી તેમજ નિર્ણાયક સંગઠનોના ચાવીરૂપ હોદ્દેદારોને સુરતના SDCA સુધી લાવવામાં સ્ટેડીયમ પેનલના ઉમેદવારોએ કરેલા અસરકારક પ્રેઝન્ટેશન અને કમ્યુનિકેશનની ભૂમિકા રહેલી છે એ SDCAના મેમ્બર્સ સારી રીતે જાણે છે અને હાલમાં બિનઅનુભવીઓની પેનલના ઉમેદવારો આવા મુદ્દાઓને દબાવવા માટે મનઘડંત આરોપબાજી પર ઉતરી આવ્યા છે. સ્ટેડીયમ પેનલના ઉમેદવારોએ SDCAમાં ક્રિકેટની સાથે અન્ય રમતગમતની પ્રવૃતિઓ તેમજ એન્ટરટેઇનમેન્ટ માટે કન્સેપ્ટ્ચ્યુઅલ અભિગમ દાખવીને મેમ્બર્સની ડિમાંડ અનુસાર સમગ્ર ટર્મ દરમિયાન રેગ્યુલર ઇવેન્ટ્સનું આયોજન કર્યું છે જે મેમ્બર્સે પણ સારી રીતે માણી છે.
જેમણે અત્યાર સુધી સ્ટેડીયમમાં નિયમિત હાજરી નથી આપી ફક્ત વહીવટમાં કબજો જમાવવાના ઇરાદે ચૂંટણીમાં ઝંપલાવ્યું છે તેઓ SDCA કે લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમના વિકાસની બાગડૌર કેવી રીતે સંભાળી શકશે એવા પ્રશ્નો હવે મેમ્બર્સ સામેથી ઉઠાવી રહ્યા છે.
સ્ટેડીયમ પેનલના હરીફ ઉમેદવારો પાસે મેમ્બર્સને બતાવવા માટે કે કહેવા માટે પણ કોઇ કામગીરી કે પ્રોજેક્ટ નથી, ફક્ત સ્ટેડીયમ પેનલના ઉમેદવારોએ કરેલી કામગીરીની લાઇનને નાની કરવાનું કામ પ્રચારના નામે ચાલી રહ્યું છે, સ્ટેડીયમ પેનલના હરીફ ઉમેદવારો પૈકી એક પણ ઉમેદવાર એ બાબત બતાવી શક્તો નથી કે SDCA કે લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમ માટે એવું કયું કામ કર્યું કે જે મેમ્બર્સના હિતમાં હોય. ફક્તને ફક્ત આરોપો મૂકીને મત માગવાની પ્રવૃતિને લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમના મેમ્બર વોટર્સ જાણી ચૂક્યા છે.
વિશ્વ નવકાર મહામંત્ર દિવસ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના વિજ્ઞાનભવનમાં આયોજિત સમારોહમાં ભાગ લીધો હતો અને સંબોધન કર્યું હતું. નરેન્દ્ર મોદી જે બોલ્યા એ અહીં શબ્દશઃ રજૂ કર્યું છે
વિજ્ઞાનભવનમાં આયોજિત વિશ્વ નવકાર મહામંત્ર દિવસના સમારોહમાં નરેન્દ્ર મોદી.
આ ૯ સંકલ્પો તમારી સાથે લઈ જાઓ
પાણી બચાવો માતાના નામે એક વૃક્ષ સ્વચ્છતાનું મિશન વોકલ ફૉર લોકલ દેશદર્શન કુદરતી ખેતી હેલ્ધી લાઇફસ્ટાઇલ યોગ અને રમતને જીવનમાં સ્થાન ગરીબોને સહાય
આ રહ્યું તેમનું સંબોધન:
જય જિનેન્દ્ર,
મન શાંત છે, મન સ્થિર છે, ફક્ત શાંતિ છે, એક અદ્ભુત અનુભૂતિ છે, શબ્દોની પેલે પાર, વિચારોની પેલે પાર નવકાર મહામંત્ર હજી પણ મનમાં ગુંજતો રહે છે…
નમો અરિહંતાણં॥
નમો સિદ્ધાણં॥
નમો આયરિયાણં॥
નમો ઉવજ્ઝાયાણં॥
નમો લોએ સવ્વસાહૂણં॥
9 April 2025 વિજ્ઞાનભવનમાં આયોજિત સમારોહમાં નરેન્દ્ર મોદીને વિશ્વ નવકાર મંત્ર દિવસનો મેમેન્ટો આપતા આયોજકો અને આ ક્ષણને વધાવતા શ્રાવકો.
એક સ્વર, એક પ્રવાહ, એક ઊર્જા, કોઈ ઉતાર-ચડાવ નહીં. ફક્ત સ્થિરતા, ફક્ત સમતા. એક સમાન ચેતના, સમાન લય અને અંદરથી સમાન પ્રકાશ. હું હજી પણ નવકાર મહામંત્રની આ આધ્યાત્મિક શક્તિને મારી અંદર અનુભવી રહ્યો છું. થોડાં વર્ષો પહેલાં હું બૅન્ગલોરમાં એક સામૂહિક મંત્રોચ્ચારનો સાક્ષી બન્યો હતો. આજે મને એ જ અનુભવ અને એ જ લાગણી સાથે જોવા મળ્યાં હતાં. આ વખતે દેશ અને વિદેશમાં લાખો-કરોડો પુણ્યશાળી આત્માઓ એક ચેતના સાથે જોડાયેલા, એકસાથે બોલાયેલા શબ્દો, એકસાથે ઊર્જા જાગૃત આ ખરેખર અભૂતપૂર્વ છે.
આ શરીરનો જન્મ ગુજરાતમાં થયો હતો, જ્યાં દરેક શેરીમાં જૈન ધર્મનો પ્રભાવ દેખાય છે અને બાળપણથી જ મને જૈન આચાર્યોનો સાથ મળ્યો છે.
નવકાર મહામંત્ર ફક્ત એક મંત્ર નથી. એ આપણી શ્રદ્ધાનું કેન્દ્ર છે. આપણા જીવનનો મૂળ સૂર અને એનું મહત્ત્વ ફક્ત આધ્યાત્મિક નથી. તે દરેકને પોતાનાથી લઈને સમાજ સુધીનો માર્ગ બતાવે છે. તે લોકોથી દુનિયા સુધીની સફર છે. આ મંત્રનો દરેક શબ્દ જ નહીં, દરેક અક્ષર પણ પોતાનામાં એક મંત્ર છે. જ્યારે આપણે નવકાર મહામંત્રનો જાપ કરીએ છીએ ત્યારે આપણે પંચ પરમેષ્ઠીને નમન કરીએ છીએ. પંચ પરમેષ્ઠી કોણ છે? અરિહંત – જેમણે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, જે મહિમાવાન માણસોને જ્ઞાન આપે છે, જેની પાસે ૧૨ દૈવી ગુણો છે. સિદ્ધ – જેમણે ૮ કર્મોનો નાશ કર્યો છે, મોક્ષ પ્રાપ્ત કર્યો છે તે ૮ શુદ્ધ ગુણો ધરાવે છે. આચાર્ય – જેઓ મહાવ્રતનું પાલન કરે છે, જેઓ માર્ગદર્શક છે તેમનું વ્યક્તિત્વ ૩૬ ગુણોથી સંપન્ન છે. ઉપાધ્યાય – જેઓ શિક્ષણમાં મુક્તિના માર્ગનું જ્ઞાન આપે છે, જેઓ ૨૫ ગુણોથી ભરપૂર છે. સાધુ – જેઓ તપસ્યાના અગ્નિમાં પોતાની પરીક્ષા લે છે. જેઓ મુક્તિ પ્રાપ્તિ તરફ આગળ વધી રહ્યા છે તેમનામાં પણ ૨૭ મહાન ગુણો છે.
જ્યારે આપણે નવકાર મહામંત્રનો જાપ કરીએ છીએ ત્યારે આપણે ૧૦૮ દૈવી ગુણોને નમન કરીએ છીએ, આપણે માનવતાના કલ્યાણને યાદ કરીએ છીએ. આ મંત્ર આપણને યાદ અપાવે છે – જ્ઞાન અને કર્મ જીવનની દિશા છે, ગુરુ પ્રકાશ છે અને માર્ગ એ છે જે અંદરથી આવે છે. નવકાર મહામંત્ર કહે છે કે પોતાના પર વિશ્વાસ રાખો, પોતાની યાત્રા શરૂ કરો, દુશ્મન બહાર નથી, દુશ્મન અંદર છે. નકારાત્મક વિચારસરણી, અવિશ્વાસ, દ્વેષ, સ્વાર્થ આ બધા દુશ્મનો છે જેમને હરાવવા એ જ ખરો વિજય છે અને આ જ કારણ છે કે જૈન ધર્મ આપણને બહારની દુનિયાને નહીં પણ પોતાને જીતવા માટે પ્રેરણા આપે છે. જ્યારે આપણે આપણી જાતને જીતી લઈએ છીએ ત્યારે આપણે અરિહંત બનીએ છીએ અને તેથી નવકાર મહામંત્ર એ કોઈ માગ નથી, એ માર્ગ છે. એક એવો માર્ગ જે વ્યક્તિને અંદરથી શુદ્ધ કરે છે, જે માનવીને સુમેળનો માર્ગ બતાવે છે.
નવકાર મહામંત્ર સાચા અર્થમાં માનવધ્યાન, સાધના અને આત્મશુદ્ધિનો મંત્ર છે. આ મંત્ર વૈશ્વિક દૃષ્ટિકોણ ધરાવે છે. આ શાશ્વત મહામંત્ર ભારતની અન્ય શ્રુતિ-સ્મૃતિ પરંપરાઓની જેમ પેઢી દર પેઢી પહેલાં મૌખિક રીતે સદીઓ સુધી, પછી શિલાલેખો દ્વારા અને અંતે પ્રાકૃત હસ્તપ્રતો દ્વારા અને આજે પણ આપણને માર્ગદર્શન આપે છે. નવકાર મહામંત્ર એ યોગ્ય જ્ઞાન સાથે પાંચ પરમ દેવતાઓની પૂજા છે. આ સાચો દૃષ્ટિકોણ છે, સાચું ચારિત્ર્ય છે અને સૌથી ઉપર મોક્ષ તરફ દોરી જતો માર્ગ છે.
આપણે જાણીએ છીએ કે જીવનનાં ૯ તત્ત્વો છે. આ ૯ તત્ત્વો જીવનને પૂર્ણતા તરફ લઈ જાય છે. તેથી આપણી સંસ્કૃતિમાં ૯નું વિશેષ મહત્ત્વ છે. જૈન ધર્મમાં નવકાર મહામંત્ર, નવ તત્ત્વો, નવ ગુણો અને અન્ય પરંપરાઓમાં નવ ખજાના, નવદ્વાર, નવગ્રહ, નવદુર્ગા, નવધા ભક્તિ, નવ સર્વત્ર છે. દરેક સંસ્કૃતિમાં દરેક પ્રથામાં. ૯ વાર અથવા ૨૭, ૫૪, ૧૦૮ વાર એટલે કે ૯ના ગુણાંકમાં પણ જાપ કરો. શા માટે? કારણ કે ૯ પૂર્ણતાનું પ્રતીક છે. ૯ પછી બધું જ પુનરાવર્તન થાય છે. ૯ને કોઈ પણ વસ્તુ સાથે ગુણાકાર કરો, જવાબનું મૂળ ફરીથી ૯ છે. આ ફક્ત ગણિત નથી, એ ગણિત નથી. આ ફિલસૂફી છે. જ્યારે આપણે પૂર્ણતા પ્રાપ્ત કરીએ છીએ ત્યારે આપણું મન, આપણું મગજ સ્થિરતા સાથે ઉપર તરફ જવા લાગે છે. નવી વસ્તુઓની કોઈ ઇચ્છા નથી. પ્રગતિ પછી પણ આપણે આપણા મૂળથી દૂર જતા નથી અને આ જ મહામંત્ર નવકારનો સાર છે.
નવકાર મહામંત્રનું આ દર્શન વિકસિત ભારતના વિઝન સાથે જોડાયેલું છે. મેં લાલ કિલ્લા પરથી કહ્યું છે – વિકસિત ભારતનો અર્થ વિકાસની સાથે-સાથે વારસો પણ છે! એક એવું ભારત જે અટકશે નહીં, એક એવું ભારત જે થોભશે નહીં. જે ઊંચાઈઓને સ્પર્શશે પણ પોતાના મૂળથી કપાશે નહીં. વિકસિત ભારતને એની સંસ્કૃતિ પર ગર્વ થશે. એટલા માટે આપણે આપણા તીર્થંકરોના ઉપદેશોનું જતન કરીએ છીએ. જ્યારે ભગવાન મહાવીરના બે હજાર પાંચસો પચાસમા નિર્વાણ મહોત્સવનો સમય આવ્યો ત્યારે અમે એને સમગ્ર દેશમાં ઊજવ્યો. આજે જ્યારે વિદેશથી પ્રાચીન મૂર્તિઓ પાછી આવે છે ત્યારે આપણા તીર્થંકરોની મૂર્તિઓ પણ પાછી આવે છે. તમને એ જાણીને ગર્વ થશે કે પાછલાં વર્ષોમાં ૨૦થી વધુ તીર્થંકરોની મૂર્તિઓ વિદેશથી પરત કરવામાં આવી છે જે કોઈક સમયે ચોરાઈ ગઈ હતી.
ભારતની ઓળખને આકાર આપવામાં જૈન ધર્મની ભૂમિકા અમૂલ્ય રહી છે. અમે એને બચાવવા માટે પ્રતિબદ્ધ છીએ. મને ખબર નથી કે તમારામાંથી કેટલા લોકો નવું સંસદભવન જોવા ગયા હશે. અને જો તમે ત્યાં ગયા હોત તો પણ તમે ધ્યાનથી જોયું હોત કે નહીં? તમે જોયું, નવી સંસદ લોકશાહીનું મંદિર બની ગયું. ત્યાં પણ જૈન ધર્મનો પ્રભાવ સ્પષ્ટપણે દેખાય છે. શાર્દુલ દ્વારમાં પ્રવેશતાંની સાથે જ સ્થાપત્ય ગૅલરીમાં સમ્મેતશિખર દૃશ્યમાન છે. લોકસભાના પ્રવેશદ્વાર પર તીર્થંકરની પ્રતિમા છે, આ પ્રતિમા ઑસ્ટ્રેલિયાથી પરત કરવામાં આવી છે. બંધારણ ગૅલરીની છત પર ભગવાન મહાવીરનું એક અદ્ભુત ચિત્ર છે. દક્ષિણ ભવનની દીવાલ પર બધા ૨૪ તીર્થંકરો એકસાથે છે. કેટલાક લોકોને જીવંત થવામાં સમય લાગે છે, તે લાંબી રાહ જોયા પછી આવે છે; પરંતુ તે મજબૂત રીતે આવે છે. આ ફિલસૂફીઓ આપણા લોકશાહીને દિશા બતાવે છે અને સાચો રસ્તો બતાવે છે. પ્રાચીન આગમ ગ્રંથોમાં જૈન ધર્મની વ્યાખ્યાઓ ખૂબ જ સંક્ષિપ્ત સૂત્રોમાં લખવામાં આવી છે. જેમ કે – वत्थु सहावो धम्मो, चारित्तम् खलु धम्मो, जीवाण रक्खणं धम्मो.
આ મૂલ્યોને અનુસરીને અમારી સરકાર સબકા સાથ, સબકા વિકાસના મંત્ર પર આગળ વધી રહી છે.
જૈન ધર્મનું સાહિત્ય ભારતના બૌદ્ધિક ગૌરવનો આધાર છે. આ જ્ઞાનનું જતન કરવું એ આપણી ફરજ છે અને તેથી જ આપણે પ્રાકૃત અને પાલીને શાસ્ત્રીય ભાષાઓનો દરજ્જો આપ્યો. હવે જૈન સાહિત્ય પર વધુ સંશોધન શક્ય બનશે. અને સાથીઓ,
ભાષા ટકી રહેશે તો જ્ઞાન ટકી રહેશે, ભાષા વધશે તો જ્ઞાન વધશે. તમે જાણો છો કે આપણા દેશમાં સેંકડો વર્ષ જૂની જૈન હસ્તપ્રતો છે. દરેક પાનું ઇતિહાસનો અરીસો છે. એ જ્ઞાનનો મહાસાગર છે. समया धम्म मुदाहरे मुणी – સમાનતામાં ધર્મ છે. जो सयं जह वेसिज्जा तेणो भवइ बंद्गो – જે જ્ઞાનનો દુરુપયોગ કરે છે એનો નાશ થાય છે. कामो कसायो खवे जो, सो मुणी – पावकम्म-जओ – જે બધી ઇચ્છાઓ અને જુસ્સા પર વિજય મેળવે છે તે સાચો ઋષિ છે.
કમનસીબે ઘણા મહત્ત્વપૂર્ણ ગ્રંથો ધીમે-ધીમે અદૃશ્ય થઈ રહ્યા હતા. એટલા માટે આપણે જ્ઞાન ભારતમ્ મિશન શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ વર્ષના બજેટમાં આની જાહેરાત કરવામાં આવી છે. દેશમાં કરોડો હસ્તપ્રતોનો સર્વે કરવાની તૈયારીઓ ચાલી રહી છે. પ્રાચીન વારસાનું ડિજિટાઇઝેશન કરીને આપણે પ્રાચીનતાને આધુનિકતા સાથે જોડીશું. બજેટમાં આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ જાહેરાત હતી અને તમારે લોકોએ ખૂબ ગર્વ અનુભવવો જોઈએ. જોકે તમારું ધ્યાન ૧૨ લાખ રૂપિયાની આવકવેરા-મુક્તિ તરફ ગયું હશે. સમજદાર વ્યક્તિ માટે એક ઇશારો પૂરતો છે.
આ મિશન જે આપણે શરૂ કર્યું છે એ પોતે જ એક અમૃત સંકલ્પ છે! નવું ભારત AI દ્વારા શક્યતાઓનું અન્વેષણ કરશે અને આધ્યાત્મિકતા દ્વારા વિશ્વને માર્ગ બતાવશે.
જેટલો મેં જૈન ધર્મને જાણ્યો અને સમજ્યો છે, જૈન ધર્મ ખૂબ જ વૈજ્ઞાનિક અને એટલો જ સંવેદનશીલ છે. આજે દુનિયા જે પરિસ્થિતિઓનો સામનો કરી રહી છે – યુદ્ધ હોય, આતંકવાદ હોય કે પર્યાવરણીય સમસ્યાઓ હોય – આવા પડકારોનો ઉકેલ જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતોમાં રહેલો છે. જૈન પરંપરાના પ્રતીકમાં લખેલું છે – परस्परोग्रहो जीवानाम – જેનો અર્થ થાય છે કે વિશ્વના બધા જીવો એકબીજા પર આધારિત છે. તેથી જૈન પરંપરા સૌથી સૂક્ષ્મ હિંસાને પણ પ્રતિબંધિત કરે છે. આ પર્યાવરણ સંરક્ષણ, પરસ્પર સંવાદિતા અને શાંતિનો શ્રેષ્ઠ સંદેશ છે. આપણે બધા જૈન ધર્મના પાંચ મુખ્ય સિદ્ધાંતો વિશે પણ જાણીએ છીએ, પરંતુ બીજો એક મહત્ત્વપૂર્ણ સિદ્ધાંત છે – બહુવચનવાદ. આજના યુગમાં અનેકાંતવાદનું દર્શન વધુ સુસંગત બન્યું છે. જ્યારે આપણે બહુલવાદમાં માનીએ છીએ ત્યારે યુદ્ધ અને સંઘર્ષની પરિસ્થિતિઓ ઊભી થતી નથી. પછી લોકો બીજાઓની લાગણીઓને સમજે છે અને તેમનો દૃષ્ટિકોણ પણ સમજે છે. મારું માનવું છે કે આજે સમગ્ર વિશ્વને અનેકાંતવાદનાં દર્શનને સમજવાની જરૂર છે.
આજે દુનિયાનો ભારત પર વિશ્વાસ વધુ ઊંડો બની રહ્યો છે. આપણા પ્રયત્નો, આપણાં પરિણામો હવે પોતાનામાં પ્રેરણા બની રહ્યાં છે. વૈશ્વિક સંસ્થાઓ ભારત તરફ જોઈ રહી છે. શા માટે? કારણ કે ભારત આગળ વધી ગયું છે અને જ્યારે આપણે આગળ વધીએ છીએ ત્યારે આ ભારતની વિશેષતા છે, જ્યારે ભારત આગળ વધે છે ત્યારે બીજાઓ માટે રસ્તા ખૂલે છે. આ જૈન ધર્મની ભાવના છે. હું ફરીથી કહીશ, સંપરોપગ્રહ જીવનમ! જીવન ફક્ત પરસ્પર સહયોગથી જ ચાલે છે. આ વિચારસરણીને કારણે ભારત પાસેથી વિશ્વની અપેક્ષાઓ પણ વધી છે અને અમે અમારા પ્રયાસો પણ વધુ તીવ્ર બનાવ્યા છે. આજે સૌથી મોટી કટોકટી છે; ઘણી કટોકટીઓમાંથી એક કટોકટી સૌથી વધુ ચર્ચામાં આવે છે – આબોહવા પરિવર્તન. આનો ઉકેલ શું છે? ટકાઉ જીવનશૈલી. એટલા માટે ભારતે મિશન લાઇફ શરૂ કર્યું. મિશન લાઇફ એટલે પર્યાવરણ માટે જીવનશૈલી અને જૈન સમુદાય સદીઓથી આ રીતે જીવી રહ્યો છે. સરળતા, સંયમ અને ટકાઉપણું તમારા જીવનનો મુખ્ય ભાગ છે. જૈન ધર્મમાં કહેવામાં આવ્યું છે – અપરિગ્રહ. હવે આ વાત લોકો સુધી પહોંચાડવાનો સમય છે. હું તમને વિનંતી કરું છું કે તમે ગમે ત્યાં હો, દુનિયાના કોઈ પણ ખૂણામાં હો, ગમે તે દેશમાં હો, મિશન લાઇફના ધ્વજવાહક બનો.
આજની દુનિયા માહિતીની દુનિયા છે. જ્ઞાનનો ભંડાર હવે દેખાવા લાગ્યો છે, પણ न विज्जा विण्णाणं करोति किंचि! શાણપણ વિનાનું જ્ઞાન ફક્ત ભારેપણું છે, કોઈ ઊંડાણ નથી. જૈન ધર્મ આપણને શીખવે છે કે સાચો માર્ગ ફક્ત જ્ઞાન અને શાણપણ દ્વારા જ મળે છે. આ સંતુલન આપણા યુવાનો માટે સૌથી મહત્ત્વપૂર્ણ છે. અમે ઇચ્છીએ છીએ કે જ્યાં ટેક્નૉલૉજી હોય ત્યાં સ્પર્શ પણ હોવો જોઈએ. જ્યાં કૌશલ્ય છે ત્યાં આત્મા પણ હોવો જોઈએ. નવકાર મહામંત્ર આ શાણપણનો સ્રોત બની શકે છે. નવી પેઢી માટે આ મંત્ર ફક્ત એક જાપ નથી, એ એક દિશા છે.
૯ સંકલ્પ
આજે જ્યારે નવકાર મહામંત્રનો જાપ સમગ્ર વિશ્વમાં આટલી મોટી સંખ્યામાં એકસાથે થઈ રહ્યો છે ત્યારે હું ઇચ્છું છું કે આપણે બધા, આજે આપણે જ્યાં પણ બેઠા હોઈએ, ફક્ત આ રૂમમાં જ નહીં – આ ૯ સંકલ્પો તમારી સાથે લઈ જાઓ. તમે તાળીઓ નહીં પાડો, કારણ કે તમને લાગશે કે મુશ્કેલી આવી રહી છે. પહેલો સંકલ્પ – પાણી બચાવવાનો સંકલ્પ. તમારામાંથી ઘણા લોકો મહુડીની યાત્રા પર ગયા હશે. ત્યાં બુદ્ધિસાગરજી મહારાજે ૧૦૦ વર્ષ પહેલાં કંઈક કહ્યું હતું એ ત્યાં લખેલું છે. બુદ્ધિસાગર મહારાજજીએ કહ્યું હતું કે ‘કરિયાણાની દુકાનોમાં પાણી વેચાશે…’ ૧૦૦ વર્ષ પહેલાં કહ્યું હતું. આજે આપણે એ ભવિષ્ય જીવી રહ્યા છીએ. આપણે પીવા માટે કરિયાણાની દુકાનમાંથી પાણી ખરીદીએ છીએ. હવે આપણે દરેક ટીપાનું મૂલ્ય સમજવું પડશે. દરેક ટીપાને બચાવવાની આપણી ફરજ છે.
બીજો સંકલ્પ – માતાના નામે એક વૃક્ષ. છેલ્લા કેટલાક મહિનામાં દેશમાં ૧૦૦ કરોડથી વધુ વૃક્ષો વાવવામાં આવ્યાં છે. હવે દરેક વ્યક્તિએ પોતાની માતાના નામે એક વૃક્ષ વાવવું જોઈએ અને માતાના આશીર્વાદ મુજબ એનું જતન કરવું જોઈએ. જ્યારે તમે મને ગુજરાતની ધરતી પર સેવા કરવાની તક આપી ત્યારે મેં એક પ્રયોગ કર્યો. તો મેં તારંગાજીમાં એક તીર્થંકર વન બનાવ્યું હતું. તારંગાજી ઉજ્જડ સ્થિતિમાં છે. જો પ્રવાસીઓ આવે તો તેમને બેસવાની જગ્યા મળે અને હું આ તીર્થંકર જંગલમાં જે વૃક્ષ નીચે આપણા ૨૪ તીર્થંકરો બેઠા હતા એ વૃક્ષ શોધીને રોપવા માગતો હતો. મેં પ્રયત્નોમાં કોઈ કમી રાખી નહીં, પણ કમનસીબે હું ફક્ત ૧૬ વૃક્ષો જ ભેગાં કરી શક્યો; મને ૮ વૃક્ષો મળ્યાં નહીં. જે વૃક્ષો નીચે તીર્થંકરો ધ્યાન કરતા હતા એ લુપ્ત થઈ જાય તો શું આપણા હૃદયમાં કોઈ વેદના થાય છે? તમે પણ નક્કી કરો કે હું એ વૃક્ષ વાવીશ જે નીચે દરેક તીર્થંકર બેઠા હતા અને હું એ વૃક્ષ મારી માતાના નામે વાવીશ.
ત્રીજો સંકલ્પ – સ્વચ્છતાનું મિશન. સ્વચ્છતામાં સૂક્ષ્મ અહિંસા છે, હિંસાથી મુક્તિ છે. આપણી દરેક શેરી, દરેક વિસ્તાર, દરેક શહેર સ્વચ્છ હોવાં જોઈએ, દરેક વ્યક્તિએ એમાં યોગદાન આપવું જોઈએ, ખરુંને?
ચોથો સંકલ્પ – લોકલ માટે વોકલ. એક કામ કરો, ખાસ કરીને મારા યુવાનો, યુવાન મિત્રો, દીકરીઓ, સવારે ઊઠવાથી લઈને રાત્રે સૂવા સુધી તમે ઘરમાં જે કંઈ પણ વસ્તુઓ વાપરો છો, બ્રશ કરો, કાંસકો કરો, ગમે એ કરો, બસ એક યાદી બનાવો કે એમાંથી કેટલી વસ્તુઓ વિદેશી છે. તમારા જીવનમાં કેવા પ્રકારની બાબતો પ્રવેશી છે એ જોઈને તમે પોતે પણ આશ્ચર્યચકિત થઈ જશો. પછી નક્કી કરો કે આ અઠવાડિયે હું ત્રણ વસ્તુઓ ઘટાડીશ, આવતા અઠવાડિયે હું પાંચ વસ્તુઓ ઘટાડીશ અને પછી ધીમે-ધીમે દરરોજ ૯ વસ્તુઓ ઘટાડીશ અને એક પછી એક નવકાર મંત્રનો જાપ કરતી વખતે એક પછી એક ઘટાડો કરતી રહીશ.
જ્યારે હું કહું છું કે વોકલ ફૉર લોકલ, ભારતમાં બનેલી વસ્તુઓ જે ભારતમાં તેમ જ સમગ્ર વિશ્વમાં વેચાય છે. આપણે સ્થાનિકને વૈશ્વિક બનાવવું પડશે. આપણે એવાં ઉત્પાદનો ખરીદવાં પડશે જેમાં ભારતીયના પરસેવાની સુગંધ હોય અને ભારતીય માટીની સુગંધ હોય અને બીજાઓને પણ પ્રેરણા મળે.
પાંચમો સંકલ્પ – દેશનું વિઝન. તમે દુનિયાભરમાં ફરવા જઈ શકો છો; પણ પહેલાં ભારતને જાણો, તમારા ભારતને જાણો. આપણું દરેક રાજ્ય, દરેક સંસ્કૃતિ, દરેક ખૂણો, દરેક પરંપરા અદ્ભુત છે, અમૂલ્ય છે. એ જોવું જોઈએ અને આપણે એને નહીં જોઈએ અને કહીશું કે જો દુનિયા તેને જોવા આવે તો તે કેમ આવશે ભાઈ. હવે જો આપણે ઘરે આપણાં બાળકોને મહાનતા નહીં આપીએ તો પછી પાડોશમાં કોણ આપશે?
છઠ્ઠો સંકલ્પ – કુદરતી ખેતી અપનાવવાનો. જૈન ધર્મમાં કહેવાય છે – जीवो जीवस्स नो हन्ता – એક જીવ બીજા જીવનો ખૂની ન બનવો જોઈએ. આપણે ધરતીમાતાને રસાયણોથી મુક્ત કરવી પડશે. આપણે ખેડૂતોની સાથે ઊભા રહેવું પડશે. કુદરતી ખેતીનો મંત્ર દરેક ગામમાં લઈ જવો પડશે.
સાતમો સંકલ્પ – સ્વસ્થ જીવનશૈલી અપનાવો. ખોરાકમાં ભારતીય પરંપરા તરફ પાછા ફરવું જોઈએ. બાજરી શ્રીઅન્ન શક્ય એટલી વધુ પ્લેટોમાં હોવી જોઈએ અને સ્થૂળતાને દૂર રાખવા માટે ખોરાકમાં ૧૦ ટકા ઓછું તેલ હોવું જોઈએ! અને તમે અકાઉન્ટિંગ જાણો છો, પૈસા બચશે અને કામ થશે.
જૈન પરંપરા કહે છે – तपेणं तणु मंसं होइ। તપસ્યા અને આત્મસંયમ દ્વારા શરીર સ્વસ્થ બને છે અને મન શાંત બને છે. આ માટે એક મોટું માધ્યમ યોગ અને રમતગમત છે. તેથી આઠમો સંકલ્પ એ છે કે જીવનમાં યોગ અને રમતગમતનો સમાવેશ કરવો. ઘર હોય કે ઑફિસ, સ્કૂલ હોય કે પાર્ક, આપણે રમવું અને યોગ કરવા એ આપણા જીવનનો એક ભાગ બનાવવો પડશે. નવમો ઠરાવ ગરીબોને મદદ કરવાનો ઠરાવ છે. કોઈનો હાથ પકડીને, કોઈની થાળી ભરીને આ જ ખરી સેવા છે.
હું ગૅરન્ટી આપું છું કે આ નવા સંકલ્પો આપણને નવી ઊર્જા આપશે. આપણી નવી પેઢીને એક નવી દિશા મળશે અને આપણા સમાજમાં શાંતિ, સંવાદિતા અને કરુણા વધશે. અને હું ચોક્કસ એક વાત કહીશ કે જો મેં મારા પોતાના ભલા માટે આમાંથી એક પણ નવો સંકલ્પ લીધો હોય તો એ ન કરશો. ભલે તમે મારા પક્ષના ભલા માટે કર્યું હોય, પણ એ ન કરો. હવે તમારે કોઈ પ્રતિબંધો ન હોવા જોઈએ. અને બધા મહારાજસાહેબ પણ મારી વાત સાંભળી રહ્યા છે. હું તેમને વિનંતી કરું છું કે જો મારા આ શબ્દો તમારા મોઢામાંથી નીકળશે તો શક્તિ વધશે.
રત્નત્રય, દસલક્ષણ, સોળ કારણ, પર્યુષણ વગેરે જેવા આપણા મહાન તહેવારો આત્મકલ્યાણનો માર્ગ મોકળો કરે છે. એ જ વિશ્વ નવકાર મહામંત્ર આ દિવસ વિશ્વમાં સતત સુખ, શાંતિ અને સમૃદ્ધિમાં વધારો કરે. મને આપણા આચાર્ય ભગવંતોમાં સંપૂર્ણ વિશ્વાસ છે અને તેથી મને તમારામાં પણ વિશ્વાસ છે. હું આજે ખુશ છું અને હું આ ખુશી વ્યક્ત કરવા માગું છું, કારણ કે હું પહેલાં પણ આ વસ્તુઓ સાથે સંકળાયેલો છું. મને ખૂબ આનંદ છે કે આ કાર્યક્રમ માટે ચારેય જૂથો એકસાથે આવ્યાં છે. આ સ્ટૅન્ડિંગ ઓવેશન મોદી માટે નથી, હું એને એ ચારેય સંપ્રદાયોના તમામ મહાપુરુષોનાં ચરણોમાં સમર્પિત કરું છું. આ આયોજન, આ આયોજન આપણી પ્રેરણા, આપણી એકતા, આપણી એકતા અને એકતાની શક્તિની લાગણી અને એકતાની ઓળખ બની છે. આપણે દેશમાં એકતાનો સંદેશ આ રીતે લઈ જવો પડશે. આપણે ભારત માતા કી જય કહેનારા દરેકને સામેલ કરવા પડશે. આ એક વિકસિત ભારત બનાવવા માટેની ઊર્જા છે. એ એનો પાયો મજબૂત બનાવશે.
આજે આપણે સૌભાગ્યશાળી છીએ કે દેશમાં ઘણી જગ્યાએ આપણને ગુરુભગવાનના આશીર્વાદ પણ મળી રહ્યા છે. આ વૈશ્વિક કાર્યક્રમનું આયોજન કરવા બદલ હું સમગ્ર જૈન પરિવારને સલામ કરું છું. આજે હું આપણા આચાર્ય ભગવંત, મહારાજસાહેબ, મુનિમહારાજ, દેશ અને વિદેશમાં એકઠાં થયેલાં શ્રાવકો અને શ્રાવિકાઓને મારા શ્રદ્ધાપૂર્વક પ્રણામ કરું છું. હું ખાસ કરીને JITOને આ કાર્યક્રમનું આયોજન કરવા બદલ અભિનંદન આપું છું. નવકાર મંત્ર કરતાં JITO માટે વધુ તાળીઓ પડી રહી છે. JITO ઍપેક્સના ચૅરમૅન પૃથ્વીરાજ કોઠારીજી, પ્રમુખ વિજય ભંડારીજી, ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવીજી, JITOના અન્ય અધિકારીઓ અને દેશ અને દુનિયાના ખૂણે-ખૂણેથી આવેલા મહાનુભાવો, આપ સૌને આ ઐતિહાસિક આયોજન માટે શુભકામનાઓ.
સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા જેમ્સ નામના કારખાનામાં આ સમગ્ર ઘટના બની છે. અહીં કારખાનામાં કામ કરતા 118 રત્નકલાકારોની તબિયત અચાનક લથડી જવાથી તેમને સત્વરે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જો હોસ્પિટલમાં સારવાર આપ્યાં બાદ તમામની હાલત અત્યારે સારી હોવાથી પરિવારજનો રાહતનો શ્વાસ લીધો છે. જો કે, બે લોકોની હાલત અત્યારે ગંભીર હોવાથી તેમને આઈસીયુમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યાં છે
કોણ આ રત્નકલાકારને મારવા માટે પ્લાનિંગ કરી રહ્યું છે? સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે, અહીં આવેલા પીવાના પાણીના ફિલ્ટર પ્લાન્ટમાં અસમાજિક તત્વએ સેલ્ફોસ નામની દાવાની પડીકી નાખી દીધી હતી. આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. આખરે કોણે આ સેલ્ફોસની દવા નાખી? કોણ આ રત્નકલાકારને મારવા માટે પ્લાનિંગ કરી રહ્યું છે, તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી દીધી છે. ઘટના સ્થળ પર અને તેની આસપાસ લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરવાથી આરોપીઓની ભાળ મળી શકે! જો કે, આ તમામ બાબતે પોલીસે તપાસ કરવાની છે.
પાણીની ટાંકીમાં અસમાજિક તત્વએ સેલ્ફોસની દવા અંદર નાખી આ કેસમાં પોલીસે વિગતો આપતા જણાવ્યું કે, કપોદ્રામાં મિનેનિયમ કોમ્પલેક્સમાં આવેલી અનોપ જેમ્સ નામની કંપનીમાં સવારે એક ઘટના બની જેમાં પાણીની ટાંકીમાં કોઇ અસમાજિક તત્વએ સેલ્ફોસની દવા અંદર નાખી દીધી હતી. આ મામલે કારીગરોએ માલિકને જાણ કરી હતી ત્યારે તેમણે તાત્કાલિક સાવચેતીના ભાગ રૂપે તમામને હોસ્પિટલ મોકલ્યા હતા. આ મામલે કોઇ જાનહાનિ થઈ નથી’. ઘટનાની તપાસ કરવા માટે પોલીસે ફોરેન્સિકની ટીમ બોલાવી છે અને સીસીટીવી ફૂટેજ પણ ચેક કરી રહ્યા છીએ. આરોપી સામે ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરવામાં આવશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.