સંભવિત વાવાઝોડાની સ્થિતિ અંગે રાજ્ય સરકાર ભારતના હવામાન ખાતા અને ઈસરોની સાથે સતત સંપર્કમાં છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. મંગળવારે તેના કારણે કેરળ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં દરિયામાં છ મીટર જેટલા ઉંચા મોજાં ઉછળવાની શક્યતા છે. સામાન્ય રીતે એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન ભારતમાં વાવાઝોડાં આવતા હોય છે, અને સૌથી વધુ વાવાઝોડાં એપ્રિલથી જૂન અને સપ્ટેમ્બરથી ડિસેમ્બરના ગાળામાં આવે છે.
હવામાન નિષ્ણાંતોએ જે વાવાઝોડાંને ‘વાયુ’ નામ આપ્યું છે એ આગામી બે દિવસમાં ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોને ઘમરોળશે એવી દહેશત વચ્ચે ગુજરાત સરકારે હાઇએલર્ટની પરિસ્થિતિ જાહેર કરી છે.
વાવાઝોડાની શક્યતાને પગલે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકિનારાના વિસ્તારોમાં આર્મી, હવાઈદળ, કોસ્ટગાર્ડ, એનડીઆરએફ, એસડીઆરએફની ટુકડીઓેને સ્ટેન્ડબાય કરી દેવાઈ હોવાનું મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે જણાવ્યું હતું.
વેરાવળથી 930 કિમી દૂર વાવાઝોડું આકાર લઈ રહ્યું છે અને આગામી બે દિવસમાં સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે વાવાઝોડું ત્રાટકવાની શક્યતાને પગલે લોકોને સાવચેત રહેવા હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે.
અરબ સાગરમાં સર્જાયેલા લો પ્રેશરથી સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ‘વાયુ’ વાવાઝોડાને પગલે બંદરો પર એક નંબરનું સિગ્નલ લગાવાયું છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, પવનની ગતિ પ્રતિ કલાક 80થી 100 કિમીની રહેવાની શક્યતા છે. આ દરમિયાન કેટલીક જગ્યાએ વરસાદ પડવાની પણ શક્યતા છે.


















