CIA ALERT

Alert Archives - Page 15 of 520 - CIA Live

April 29, 2026
image-24.png
1min292

મધ્ય-પૂર્વમાં યુદ્ધના કારણે હોર્મુઝની ખાડીમાં ઈરાન તથા અમેરિકા બંનેની નાકાબંધીથી દુનિયાભરમાં ક્રૂૂડ ઓઈલના સંકટ વચ્ચે સંયુક્ત આરબ અમિરાત (યુએઈ)એ ઓપેક અને ઓપેક પ્લસ જૂથમાંથી બહાર નીકળવાની જાહેરાત કરી દીધી છે. યુએઈ મુજબ તેઓ 1 મેના રોજ આ જૂથનું સભ્યપદ છોડી દેશે. જોકે, યુએઈએ મધ્ય-પૂર્વમાં ચાલતા યુદ્ધના કારણે નહીં પરંતુ સાઉદી આરબ સાથે ચાલતા વિવાદના કારણે આ નિર્ણય કર્યો હોવાનું મનાય છે. આ બંને દેશ અનેક મોરચા પર એકબીજાની સામ-સામે છે. યુએઈના આ નિર્ણયથી ભારતને ફાયદો થવાની શક્યતા છે.

સંયુક્ત આરબ અમિરાત (યુએઈ)ના ઊર્જા મંત્રીએ જણાવ્યું કે, યુએઈ 1967થી ઓપેક અને ઓપેક પ્લસનું સભ્ય રહ્યું છે, પરંતુ ભવિષ્યમાં દુનિયાને વધુ ઊર્જાની જરૂર પડશે તથા માગ વધશે. આવા સમયે ઊર્જા ક્ષેત્ર, પેટ્રોલિયમ સેક્ટર અને અન્ય રણનીતિઓની સાવધાનીપૂર્વક સમીક્ષા પછી આ નિર્ણય લેવાયો છે. હોર્મુઝની ખાડી પર નાકાબંધીના વર્તમાન અવરોધોના કારણે ઓઈલ બજાર પહેલા કરતાં વધુ અસ્થિર છે. તેથી યુએઈએ આ નિર્ણય લીધો છે, જેથી બજાર પર વધુ અસર ના પડે. ઓપેક અને ઓપેક પ્લસ સંગઠનમાં સાઉદી આરબનું પ્રભુત્વ છે, જે ઓઈલના વૈશ્વિક ભાવોને ઊંચા રાખવા ઉત્પાદન વધારવા અથવા ઘટાડવાનો નિર્ણય કરે છે. બીજીબાજુ યુએઈએ પોતાની ઓઈલ ઉત્પાદન ક્ષમતા વધારવા અબજો ડોલરનું રોકાણ કર્યું છે, પરંતુ ઉત્પાદનમાં કાપના ઓપેકના પ્રતિબંધના કારણે યુએઈ પોતાની પુરી ક્ષમતાનો ઉપયોગ નથી કરી શકતું. યુએઈ હાલમાં દૈનિક 2.9 મિલિયન બેરલ ઓઈલનું ઉત્પાદન કરે છે જ્યારે તેની વર્તમાન ક્ષમતા દૈનિક 4.85 મિલિયન બૈરલની છે તથા યુએઈનું લક્ષ્ય ૨૦૨૭ સુધીમાં ઉત્પાદનની ક્ષમતા દૈનિક પાંચ મિલિયન બેરલ કરવાની છે. આવા સંજોગોમાં ઓપેકમાંથી બહાર નીકળવાથી યુએઈ પર ઉત્પાદનના પ્રતિબંધો લાગુ નહીં પડે અને તે બજારની માગ મુજબ પોતાની ક્ષમતાથી ઓઈલનું ઉત્પાદન કરવા સક્ષમ બનશે. આ સિવાય ઓપેક માત્ર ડોલરમાં જ ઓઈલના સોદા કરે છે જ્યારે આ સંગઠનમાંથી બહાર નીકળ્યા પછી યુએઈ ઓઈલ માટે ચીન સાથે યુઆનમાં પણ સોદા કરવા સ્વતંત્ર થઈ શકે છે. યુએઈએ આ મહિનાની શરૂઆતમાં જ અમેરિકાને ચેતવણી આપી હતી કે, ઈરાન સામેનું યુદ્ધ લાંબુ ચાલશે અને તેને આર્થિક નુકસાન થશે તો તે ચીન સાથે યુઆનમાં ઓઈલના સોદા કરવા તૈયાર છે.

યુએઈના ઓપેકમાં નિકળવાથી ભારતને ફાયદો થવાની શક્યતા છે. ભારત લગભગ 85 ટકા ક્રૂડ ઓઈલની આયાત કરે છે, તેથી ઓપેકમાં થતી કોઈપણ હિલચાલ સીધી જ ભારતના અર્થતંત્રને અસર કરે છે. યુએઈ ઓપેકની ક્વોટા સિસ્ટમમાંથી બહાર થઈને ઓઈલ ઉત્પાદન વધારશે તો વૈશ્વિક સ્તરે ઓઈલના ભાવ ઘટશે. તેનાથી ભારતને પણ આયાતી ઓઈલ સસ્તુ મળી શકે છે.

ઓપેક મધ્ય-પૂર્વમાં ક્રૂડ ઓઈલનું ઉત્પાદન, માર્કેટિંગ અને વિતરણ કરતા દેશોનું જૂથ છે. આ જૂથ દુનિયામાં ઓઈલના ઉત્પાદન અને ભાવ પર નિયંત્રણ ધરાવે છે ત્યારે યુએઈની ઓપેકમાંથી બહાર નીકળવાની જાહેરાતને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જીત તરીકે જોવામાં આવે છે. ટ્રમ્પ લાંબા સમયથી ઓપેક સંગઠન પર ઓઈલના ભાવ વધારીને દુનિયાનું શોષણ કરવાનો આક્ષેપ કરતા રહ્યા છે. ટ્રમ્પે અમેરિકાના ખાડી ક્ષેત્રને અપાતા સૈન્ય સમર્થનને પણ ઓઈલના ભાવ સાથે જોડયું છે. તેમનું કહેવું છે કે અમેરિકા ઓપેક સભ્ય દેશોની સુરક્ષા કરે છે, પરંતુ તેઓ ઊંચા ઓઈલ ભાવથી તેનો ફાયદો ઉઠાવે છે.

મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધ વચ્ચે યુએઈ પોતાની વિદેશ નીતિનો લાભ ઉઠાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. આ કારણે સાઉદી અરબ સાથે તેના હિતોનું ઘર્ષણ શરૂ થઈ ગયું છે. સાઉદી આરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને સાઉદીમાં વિદેશી રોકાણ આકર્ષવાનું શરૂ કરતા યુએઈ સાથે તેના હિતોનું ઘર્ષણ શરૂ થયું હતું. આર્થિકની સાથે યુએઈ અને સાઉદી વચ્ચે સૈન્ય સંઘર્ષ પણ આ નિર્ણયનું મહત્વનું કારણ છે. જાન્યુઆરી ૨૦૨૬માં સાઉદીએ યમનમાં યુએઈ સમર્થિત સધર્ન ટ્રાન્ઝિશનલ કાઉન્સિલના સ્થળો પર હુમલા કર્યા હતા. સાઉદીએ યમનમાં અલગતાવાદી જૂથોને સમર્થન કરી યુએઈ તેના દેશને અસ્થિર કરવા માગતો હોવાનો આક્ષેપ કર્યો હતો. આમ બંને દેશો વચ્ચે આર્થિક અને પ્રાદેશિક પ્રભુત્વની સ્પર્ધા પણ મહત્વનું કારણ છે.

April 29, 2026
image-23.png
2min259

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે આજે બુધવાર, 29 એપ્રિલના રોજ સવારે 7:00 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રાજ્યના સાત જિલ્લાઓની કુલ 142 બેઠકો પર આજે ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. મતદાન મથકો પર સવારથી જ મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, પ્રથમ તબક્કામાં 23 એપ્રિલના રોજ 152 બેઠકો પર રેકોર્ડબ્રેક 93.19% મતદાન નોંધાયું હતું, જે રાજ્યના ઈતિહાસમાં સૌથી વધુ છે.

બીજા તબક્કામાં કુલ 3,21,73,837 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેની વિગત નીચે મુજબ છે:

  • પુરુષ મતદારો: 1,64,35,627
  • મહિલા મતદારો: 1,57,37,418
  • થર્ડ જેન્ડર: 792
  • કુલ ઉમેદવારો: 1,448

આ તબક્કામાં રાજ્યના અનેક મોટા ચહેરાઓનું ભવિષ્ય ઈવીએમમાં કેદ થશે. મુખ્યમંત્રી મમતા બેનર્જી તેમના પરંપરાગત મતક્ષેત્ર ભબાનીપુરથી ચૂંટણી લડી રહ્યા છે, જ્યાં તેમની સામે વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારી મેદાનમાં છે. આ સિવાય રાજ્ય મંત્રી સુજીત બોસ (બિધાનનગર), ફિરહાદ હકીમ (કોલકાતા પોર્ટ), બ્રાત્ય બસુ (દમ દમ) અને ભાજપના અર્જુન સિંહ (નોઆપાડા) તથા સ્વપન દાસગુપ્તા (રાશબિહારી) જેવા દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર છે. ડાબેરી પક્ષો તરફથી મીનાક્ષી મુખર્જી અને આઈએસએફના નૌશાદ સિદ્દીકી પણ આ જંગમાં છે.

  • ચૂંટણી પંચે શાંતિપૂર્ણ મતદાન માટે લોખંડી સુરક્ષા વ્યવસ્થા કરી છે.
  • કેન્દ્રીય સુરક્ષા દળોની 2,321 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે
  • સૌથી વધુ 273 કંપનીઓ માત્ર કોલકાતામાં છે.
  • કુલ 41,001 મતદાન કેન્દ્રો પર વેબકાસ્ટિંગ દ્વારા સીધું નિરીક્ષણ કરવામાં આવશે.
  • ડ્રોન કેમેરાથી પણ સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખવામાં આવશે.
  • 142 જનરલ ઓબ્ઝર્વર્સ અને 95 પોલીસ ઓબ્ઝર્વર્સની નિમણૂક કરવામાં આવી છે.

એક તરફ ચૂંટણીનો ગરમાવો છે, તો બીજી તરફ હવામાન વિભાગે દક્ષિણ બંગાળમાં વાવાઝોડા અને વરસાદની આગાહી કરી છે. આગામી 5 દિવસ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેની અસર મતદાનની ટકાવારી પર પડી શકે છે.

April 28, 2026
Paresh-Patel-BJP-1280x854.jpg
3min392

સુરતમાં ભાજપાના પ્રચંડ વિજયમાં આ બધા જ નેતાઓની મહેનત રંગ લાવી

  • સી. આર. પાટીલ , કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને નવસારીના સાંસદ
  • મુકેશ દલાલ: સુરત લોકસભા બેઠક પરથી બિનહરીફ ચૂંટાયેલા સાંસદ
  • મનસુખ માંડવીયા, કેન્દ્રીય મંત્રી
  • હર્ષ સંઘવી, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી
  • પુરુષોત્તમ રૂપાલા, સાંસદ
  • પ્રફુલ પાનશેરિયા, મંત્રી, ગુજરાત રાજ્ય
  • કનુભાઈ દેસાઈ, નાણા અને ઉર્જા મંત્રી
  • અરવિંદ રાણા: સુરત પૂર્વ
  • કાંતિભાઈ બલર: સુરત ઉત્તર
  • કુમાર કાનાણી: વરાછા રોડ
  • પ્રવિણ ઘોઘારી: કરંજ
  • સંગીતા પાટીલ: લિંબાયત
  • હર્ષ સંઘવી: મજુરા
  • વિનુ મોરડિયા: કતારગામ
  • પૂર્ણેશ મોદી: સુરત પશ્ચિમ
  • મુકેશ પટેલ: ઓલપાડ
  • સંદીપ દેસાઈ: ચોર્યાસી

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આજે ભાજપાએ 120માંથી 115 બેઠકો કબજે કરીને આમ આદમી પાર્ટીએ જ્યાંથી ગુજરાતમાં પગપસારો કર્યો હતો એ જ સ્થળેથી તેમનો સફાયો કરી દીધો છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ પ્રકારના નભૂતો ન ભવિષ્યતિ વિજયમાં સુરત શહેર ભાજપા સંગઠનના સુરત શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ  (પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન), મહામંત્રીઓ વિરલ ગીલીટવાલા, કરશન ગોંડલીયા અને દુર્ગાપ્રસાદ પાંડે, ખજાનચી શૈલેષ જરીવાલા સમેત સમગ્ર સંગઠનની ટીમનો સિંહફાળો રહ્યો છે. 

સુરત શહેર ભાજપા સંગઠનના હોદ્દેદારોએ બિલકુલ વિવાદમાં આવ્યા વગર, ચર્ચામાં રહ્યા વગર શાંત ચિત્તે કામ કરતી રહી અને આજે તેમની સફળતાએ એવો શોર મચાવી મૂક્યો છે કે ન પૂછો વાત. કેટલાક લોકો સુરત શહેર ભાજપના પ્રમુખ પરેશ પટેલ, વિરલ ગીલીટવાલા, કરશન ગોંડલિયા, દુર્ગાપ્રસાદ પાંડેની ટીમને બિનઅનુભવી માનતા હતા અને આ ચૂંટણીમાં ભાજપા 2021 કરતા પણ ઓછી બેઠકો લાવશે એવી આગાહીઓ પીઠ પાછળ કરતા હતા, આજે આવી તમામ નકારાત્મક વાતો ફેલાવનારા ભાજપની અંદરના અને બહારના તમામ લોકોને પરચો મળી ગયો છે કે સુરત શહેર ભાજપના સંગઠનના હોદ્દેદારો પણ કુનેહપૂર્વક કામગીરી બજાવીને આજે ભારતના સૌથી પહેલા નંબરના સ્માર્ટ સિટી સુરતમાં ભાજપાને ઝળહળતી સફળતા અપાવી લાવ્યા છે.

પરેશ પટેલ અને તેમની ટીમને નવા નિશાળીયા કહેવાવાળા ભેરવાયા

સુરત શહેર ભાજપ પ્રમુખ પદે સી.આર. પાટીલના ખાસ વિશ્વાસુ મનાતા પરેશ પટેલની નિયુક્તિ પછી પરેશ પટેલે તેમની ટીમ બનાવી હતી. ત્રણ મહામંત્રીઓ નિમાયા અને એ પછી સંગઠનનું આખું માળખું રચાયું હતું. મોટા ભાગે 50 વર્ષથી ઓછી વયના લોકોને ભાજપના સંગઠનના પદો ફાળવવામાં આવ્યા ત્યારે ભાજપના જ કેટલાક બડબોલા સિનિયર નેતાઓ બોલી રહ્યા હતા કે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ખબર પડી જશે કે નવા નિશાળીયાઓને કારણે ભાજપાને કેટલું નુકસાન થશે, છેક મતદાન પૂરું થયું ત્યાં સુધી અનેક લોકોએ સુરત શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ અને તેમની યંગસ્ટરની ટીમો સામે આકરાં સરશંધાન વવ્યક્ત કરવામાં કોઇ કચાશ છોડી નહતી. પરંતુ, આજે જ્યારે મતગણતરીની પ્રક્રિયા પૂર્ણ થઇ ત્યારે ભાજપાના ફાળે 120માંથી 115 સીટો આવતા પરેશ પટેલ સામે બોલનારા તમામ નેતાઓના મોઢા સિવાય ગયા હતા અને પૂર્વ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાના સમય કરતા પણ જોરદાર દેખાવ પરેશ પટેલના પ્રમુખપણા હેઠળ નોંધાયો છે.

1995થી શરૂ થયેલો સિલસિલો યથાવત્ જાળવી રાખ્યો પરેશ પટેલ અને તેમની ટીમે

સુરત મહાનગરપાલિકામાં 1995થી શરૂ થયેલો ભાજપા શાસનનો દબદબો 2026માં આજે 7મી વખત પણ યથાવત્ રહ્યો. સુરત મહાનગરપાલિકાની 2021માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપે 27 બેઠકો ગુમાવવી પડી હતી. પરંતુ, આજે 2026ની ચૂંટણીની થયેલી મતગણના અંતે 120માંથી 115 બેઠકોની થમ્પિંગ મેજોરિટી સાથે સુરત મહાનપાલિકાએ સતત સાતમી વખત સુરત મહાનગરપાલિકા પર ભગવો લહેરાવ્યો છે. ભાજપા કરતા પણ ચૂંટણીની સભાઓ વધુ ગજવનાર આમ આદમી પાર્ટીએ ગઇ ચૂંટણીની 27 બેઠકો પૈકી 23 ગુમાવવી પડી છે અને આ વખતે આપ પાર્ટીના ફાળે માત્ર 04 બેઠકો જ્યારે કોંગ્રેસ માટે જેટલો વકરો તેટલો નફો, સમ ખાવા પૂરતી 1 સીટ પર કોંગ્રેસના ઉમેદવાર વિજય બની શક્યા હતા. સુરત મહાનગરપાલિકાના કુલ 30 વોર્ડની 120 બેઠકોનું સરવૈયુ ચકાસીએ તો 115 ભાજપા, 04 આપ અને 01 બેઠક પર જ કોંગ્રેસ સિમીત બનીને રહી ગઇ છે.

સુરત મહાનગપાલિકાની ચૂંટણીમાં જેમ જેમ ભાજપાના ઉમેદવારોની આખે આખી પેનલોની જીતની જાહેરાતો થતી ગઇ હતી તેમ તેમ સુરત ભાજપાના 12 ધારાસભ્યોની બોડી લેંગ્વેજ અને એટીટ્યુડ બદલાતો જોવા મળ્યો હતો. મત ગણતરી પૂર્વે સુધી કોઇ ધારાસભ્યો છાતી ઠોકીને કહી શકતા ન હતા કે તેમના ઉમેદવારો જીતી રહ્યા છે પરંતુ, આજે જ્યારે મતગણતરીની પ્રક્રિયામાં ભાજપાના ઉમેદવારોને મળી રહેલા મતોના ઢગલા જોઇને ધારાસભ્યોના કોલર ઉંચા થઇ જવા પામ્યા છે. આ વખતે ભાજપાના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના શાસનકાળમાં પહેલી વખત ધારાસભ્યો પાસેથી ઉમેદવારોનું લિસ્ટ માગીને મોટા ભાગના કિસ્સામાં ટિકીટ ફાળવવામાં આવી હતી અને ધારાસભ્યોને જે તે ઉમેદવારોને જીતાડવાની જવાબદારી આપવામાં આવી હતી. આજે ભાજપાના 115 ઉમેદવારોનો વિજય થતાં ભાજપાના ધારાસભ્યોનો હરખ સમાતો ન હતો. અનેક ધારાસભ્યો પોતાને મળેલી જવાબદારી પૂર્ણ કરી હોવાના દાવાઓ મિડીયા ઇન્ટરવ્યુમાં કરી રહ્યા હતા. 

ગઇ તા.26મીએ યોજાયેલા ચૂંટણી મતદાન બાદ આજે સવારે 8 વાગ્યાથી સુરતના મજૂરાગેટ સ્થિત ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં સુરત મહાનગરપાલિકાના 30 વોર્ડની 120 બેઠકો માટે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 30 વોર્ડની મતગણતરી માટે 10 હોલમાં 3 સેટમાં મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મતગણતરીની પ્રક્રિયા શરૂ થાય તે પહેલા કાઉન્ટિંગ સાથે સંકળાયેલા કર્મચારીઓ ઉપરાંત ભાજપા, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તથા અન્ય પક્ષો અને અપક્ષોના કાઉન્ટિંગ એજન્ટોથી આખું ગાંધી કોલેજ કેમ્પસ ભરાયેલું રહ્યું હતું. પહેલા રાઉન્ડની મતગણના શરૂ થવાની સાથે જ ભાજપના ઉમેદવારો દરેકે દરેક રાઉન્ડમાં લીડ મેળવતા જણાયા હતા અને જોતજોતામાં તો એક પછી એક પહેલા સેટમાં 10 વોર્ડની મતગણતરીની પ્રક્રિયા પૂર્ણ થઇ ત્યારે 40 સીટોમાંથી 39 સીટો પર ભાજપા અને 01 સીટ પર કોંગ્રેસના ઉમેદવાર વિજેતા બન્યા હતા. પહેલા સેટથી જ એવો ટ્રેન્ડ જોવાયો હતો કે આ વખતે પણ સુરત મહાનગરપાલિકામાં ભાજપાની ક્લીન સ્વીપ જોવા મળશે. પહેલા સેટમાં જ આમ આદમી પાર્ટીના મેયર તરીકે પ્રોજેક્ટ કરવામાં આવેલા મનોજ સોરઠીયા હારી ગયા હતા, જેને કારણે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને અણસાર આવી ગયા હતા કે હવે ભાજપાના ઉમેદવારો દરેકેદરેક વોર્ડમાં સફાયો બોલાવી દેશે.

અપેક્ષા મુજબ કોટ વિસ્તારમાં વોર્ડ નં.12 નાણાવટ-સૈયદપુરા-કુબેરનગર-મહિધરપુરા વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર અરસદ જરીવાલા 20769 મત મેળવીને ચોથા ક્રમે ઓપન કેટેગરીની સીટ પર વિજેતા નિવડ્યા હતા. આ સિવાય પહેલા સેટમાં 40માંથી 39 સીટો પર ભાજપાના ઉમેદવારો વિજેતા નિવડ્યા હતા.

મતગણતરીના બીજા સેટમાં 10 સીટોની 9 વોર્ડની 36 બેઠકો પર ભાજપાના ઉમેદવારોનો ઝળહળતો વિજય થયો હતો. જ્યારે મતગણતરીના બીજા સેટમાં વોર્ડ નં.17 પૂણા પૂર્વમાં ચારેય બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો વિજેતા નિવડ્યા હતા. આ વોર્ડમાં આમ આદમી પાર્ટીના અસ્મિતા નિલેશ ધોરાજીયા, રચના અંકુર હીરપરા, પંકજ વ્રજલાલ ચાવડા અને ધર્મેશ ભંડેરી વિજેતા નિવડ્યા હતા. 

આંજણા વોર્ડમાં જ્યાં કોંગ્રેસી નેતા અસલમ સાયકલવાલાના પુત્ર વિજેતા બનશે તેવા દાવાઓ બિલકુલ પોકળ નિવડ્યા હતા. આ વોર્ડની તમામ ચારેય બેઠકો પર ભાજપાના ઉમેદવારો મોટી લીડથી વિજેતા બન્યા હતા. એવી જ રીતે ઉધના, લિંબાયત વિસ્તારમાં ભાજપાના અમિતસિંહ રાજપૂત કે દિનેશ રાજપૂરોહિત જેવા નેતાઓ સામે લોકરોષ હોઇ, તેઓને જીતવામાં તકલીફ પડી જશે તેવી ચૂંટણી પૂર્વે વહેતી થયેલી વાતોનો આજે છેદ ઉડી ગયો હતો અને આજે આ વિસ્તારમાં તમામ બેઠકો પર ભાજપાના ઉમેદવારોનો જ સારામાં સારી લીડથી વિજય થયો હતો.

મજૂરાગેટ સ્થિત કાઉન્ટિંગ સેન્ટર પર આજે બપોરે બાર વાગ્યાથી જ ભાજપાના ઉમેદવારોના વિજય સરઘસ નીકળવાના શરૂ થયા હતા. વિજેતા ઉમેદવારોને વિજય સરઘસ, રેલી કાઢવા માટે પરવાનગી મળી જાય તે માટે ગાંધી કોલેજના કેમ્પસમાં જ મંજૂરી આપનાર અધિકારીને તૈનાત કરી દેવામાં આવ્યા હતા અને એક પછી એક ભાજપાના ઉમેદવારો જેમ જેમ વિજેતા બનીને બહાર આવતા હતા એ તમામ વિજય સરઘસ સાથે પોતાના મત વિસ્તારોમાં રવાના થયા હતા.

1995માં સુરત મહાનગરપાલિકામાં ભાજપાએ ક્લીન સ્વીપ કરવાનું શરૂ કર્યું હતું. એ પછી 2000, 2005, 2010, 2015 અને છેલ્લા 2021માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપાના ઉમેદવારોએ ક્લીન સ્વીપ મેળવી હતી. અને એ વાતનું પુનરાવર્તન આજે સતત 7મી વખત 2026ની ચૂંટણીઓમાં પણ થયેલું જોવા મળ્યું હતું.

April 28, 2026
bjplogo.png
1min204

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રવિવારે મતદાન સંપન્ન થયા પછી સાર્વત્રિક ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી પૂર્ણ થઇ ચૂકી, જેમાં અનેક બેઠકોમાં અપસેટ સર્જાયા છે, જેમાં અમુક ઉમેદવાર એકાદ મતથી જીત્યા છે તો અમુક ઉમેદવાર શરુઆતના વલણમાં હાર્યા પછી જીત્યા પણ છે. ચૂંટણી પંચના અહેવાલ અનુસાર 15 મહાનગર પાલિકાની બેઠક પર 50 ટકા મતદાન નોંધાયું હતું. ચૂંટણી પંચના અહેવાલ અનુસાર ગ્રામીણ વિસ્તારોમાં મતદારોએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું, જિલ્લા પંચાયતમાં 60.22 ટકા અને તાલુકા પંચાયતમાં 61.08 ટકા વોટિંગ નોંધાયું હતું. કુલ 10,005 બેઠકમાંથી 737 બેઠક પર બિનહરીફ થઈ ચૂકી છે. 

અમદાવા, સુરત, વડોદરા અને રાજકોટ સહિત 15 મહાનગર પાલિકા, 84 નગર પાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. ગુજરાતમાં આગામી વિધાનસભા 2027ની ચૂંટણી પહેલા સત્તાની સેમી ફાઈનલ કહેવાય છે, જેના પરિણામ પર ગુજરાત જ નહીં, સમગ્ર દેશના નેતાઓની નજર પણ છે, ત્યારે પરિણામો ચોંકાવનારા રહ્યા નથી, કારણ કે અગાઉથી ભાજપનું પ્રભુત્વ હતું, જેનું આજના પરિણામમાં પણ 2021 પુનરાવર્તન થયું છે. 

લખાય છે ત્યારના પરિણામો અનુસાર જિલ્લા પંચાયતમાં ભાજપની સામે કોંગ્રેસ પણ ટક્કર આપી રહ્યું છે. અમુક જગ્યાએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (આપ)ના મજબૂત વલણ ધરાવે છે, જ્યારે અમુક બેઠકો પર મોટો ગાબડાં પણ પાડ્યા છે. મળતી માહિતી પ્રમાણે સુરત, રાજકોટ, વડોદરા અને અમદાવાદ સહિત રાજ્યની તમામ 15 મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને શાનદાર જીત મળી છે, જ્યારે અમુક બેઠક પર વિપક્ષને નામ પૂરતી બેઠકો મળી છે. 

અત્યાર સુધીના પરિણામોમાં અમદાવાદ મહાનગર પાલિકાની કુલ 192 બેઠકમાંથી 98 બેઠકના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે, જેમાંથી ભાજપને અત્યાર સુધીમાં 84 બેઠક પર જીત મળી છે, જ્યારે કોંગ્રેસને 6 બેઠક મળી છે. આમ આદમી પાર્ટી (આપ) અને એઆઈએમઆઈએમને કોઈ સફળતા મળી નથી. સુરત મહાનગર પાલિકામાં 120 બેઠકમાંથી ભાજપએ 80 બેઠક પર કબજો મેળવ્યો છે, જ્યારે અન્ય બેઠક એક કોંગ્રેસ અને ચાર આમ આદમી પાર્ટીને ફાળે ગઈ છે. 
અત્યાર સુધીમાં 1044 સીટમાંથી 831 સીટના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે, જેમાંથી ભાજપને સર્વોચ્ચ બહુમતી મળી છે. ઉપરાંત, ગાંધીધામ, મહેસાણા, અમદાવાદ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, ભાવનગર, આણંદ, નડિયાદ, વડોદરા, નવસારી, વાપી, સુરત અને મોરબીમાં ભાજપને ડબલ ડિજિટમાં જીત મળી છે, જ્યારે વિરોધ પક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને સિંગલ ડિજિટમાં બેઠકો મેળવવામાં ફાંફા પડી રહ્યા છે.

રાજકોટ મહાનગર પાલિકામાં કુલ 72 બેઠકમાંથી ભાજપને 65 સીટ પર જંગી બહુમત મળ્યો છે, કોંગ્રેસને અહીં સાત સીટ મળી છે. વડોદરા મહાનગર પાલિકાની 76 બેઠક પર ભાજપને 49 સીટ મળી છે, જ્યારે કોંગ્રેસને છ સીટ મળી છે, જ્યારે એક બેઠક પર અપક્ષના ઉમેદવારને જીત મળી છે. નગરપાલિકાની ચૂંટણીમાં પણ ભાજપ નંબર વન પક્ષ રહ્યો છે, જ્યારે નંબર ટૂ પર કોંગ્રેસ પાર્ટી છે. 

ઐતિહાસિક જીત પછી કેન્દ્રીય પ્રધાન સીઆર પાટીલે સુરત અને ગુજરાતના મતદારોનો આભાર માનતા જણાવ્યું કે આજે સુરત અને સમગ્ર રાજ્યની જનતા આશીર્વાદ ભારતીય જનતા પાર્ટીને મળ્યા છે. અમુક પક્ષો એવા ભ્રમમાં હતા કે જનતા તેમના ખિસ્સામાં છે, પણ આજે પરિણામોએ અભિમાની પક્ષોને ઘરભેગા કર્યા છે. કોઈ પણ પાર્ટી કેમ ના હોય, પણ જનતાએ પાઠ ભણાવ્યા છે.

April 27, 2026
image-19.png
1min281

હવામાન વિભાગે રાજ્યમાં કાળઝાળ ગરમીની આગાહી કરી છે. હવામાન વિભાગે રાજ્યના વિવિધ ભાગોમાં હીટવેવની સ્થિતને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના બુલેટિન અનુસાર, આજે અને આવતીકાલે રાજ્યના અનેક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હીટવેવની પ્રબળ શક્યતા છે.

કયા જિલ્લાઓમાં એલર્ટ?

26 એપ્રિલ: સુરત, પાટણ, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છ જિલ્લામાં હીટવેવની આગાહી કરવામાં આવી હતી.

27 એપ્રિલ: અમદાવાદ અને પાટણમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને કચ્છમાં પણ ગરમીનું મોજું ફરી વળશે.

તાપમાનનો પારો ક્યાં પહોંચશે?

IMD ના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ થી 45 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની શક્યતા છે. જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ થી 40ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહી શકે છે. આજે ગરમ અને ભેજવાળું વાતાવરણ અનુભવાશે. અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આકાશ મુખ્યત્વે ચોખ્ખું રહેશે અને તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસને સ્પર્શે તેવી શક્યતા છે.

યલો એલર્ટ હેઠળ, હવામાન વિભાગે સામાન્ય જનતા માટે ગરમી સહન કરી શકાય તેવી હોવા છતાં, નાના બાળકો, વૃદ્ધો અને બીમારી ધરાવતા લોકો માટે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ઊભી થઈ શકે તેમ જણાવ્યું છે. સત્તાવાળાઓએ રહેવાસીઓને નીચે મુજબની સલાહ આપી હતી. જે મુજબ આવા લોકોએ વધારે સમય ગરમીમાં રહેવાનું ટાળવું જોઈએ, હળવા રંગના અને ઢીલા સુતરાઉ કપડાં પહેરવા જોઈએ અને પુરતા પ્રમાણમાં પાણી પીવું અને હાઈડ્રેટેડ રહેવું જોઈએ.

26/04/2026 ગુજરાતમાં ક્યાં કેટલું તાપમાન નોંધાયું?

અમદાવાદમાં 44.8 ડિગ્રી સેલ્સિયસ, અમરેલીમાં 44.5 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 43.0 ડિગ્રી સેલ્સિયસ, ભાવનગરમાં 41.6 ડિગ્રી સેલ્સિયસ, ભુજમાં 43.8 ડિગ્રી સેલ્સિયસ, દાહોદમાં 40.8 ડિગ્રી સેલ્સિયસ, ડાંગમાં 40.4 ડિગ્રી સેલ્સિયસ, ડીસામાં 42.8 ડિગ્રી સેલ્સિયસ, દીવમાં 34.5 ડિગ્રી સેલ્સિયસ, દ્વારકામાં 32.8 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં 44.2 ડિગ્રી સેલ્સિયસ, કંડલામાં 39.5 ડિગ્રી સેલ્સિયસ,, નલિયામાં 38.0 ડિગ્રી સેલ્સિયસ, ઓખામાં 35.2 ડિગ્રી સેલ્સિયસ, પોરબંદરમાં 39.1 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 44.4 ડિગ્રી સેલ્સિયસ, સુરતમાં 41.6 ડિગ્રી સેલ્સિયસ, વેરાવળમાં 34.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

April 26, 2026
cia_multi-1280x1045.jpg
6min111

ડાયમંડ સિટી સુરત મહાનગરપાલિકાના ૩૦ વોર્ડની ૧૨૦ બેઠકો માટે રવિવારે વહેલી સવારથી જ મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. સવારે ૭ વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે ૬ વાગ્યે પૂર્ણ થયું હતું. દિવસભર શહેરના વિવિધ વિસ્તારોમાં મતદાનના ટ્રેન્ડમાં નોંધપાત્ર અસમાનતા જોવા મળી હતી.

એક તરફ શ્રમિક અને મધ્યમ વર્ગના વિસ્તારોમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જ્યારે બીજી તરફ પોશ ગણાતા વિસ્તારોમાં મતદારોમાં મતદાન પ્રત્યે નિરુત્સાહનો માહોલ રહ્યો હતો. મતદાન પૂર્ણ થતાં સુરત મહાનગરપાલિકાનું કુલ મતદાન અંદાજે ___ ટકા નોંધાયું હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે.

અત્રે નોંધનીય છે કે અગાઉની મનપા ચૂંટણીમાં 2021માં 47.14 ટકા, 2015માં 39.93 ટકા અને 2010માં 42.33 ટકા મતદાન નોંધાયું હતું.


વિસ્તારવાર મતદાનમાં જમીન-આસમાનનો તફાવત

શહેરના નદીપારના પોશ વિસ્તારો જેમ કે અડાજણ, રાંદેર, પાલ, અઠવાલાઇન્સ, ભટાર, સિટીલાઇટ, પારલે પોઇન્ટ, પીપલોદ અને વેસુમાં મતદાનની ગતિ ધીમી રહી હતી. ખાસ કરીને બપોરના સમયે મતદાન મથકો સૂમસામ દેખાતા હતા.

તેના વિપરીત વરાછા, કતારગામ, પૂણા, કુંભારીયા, અમરોલી, કાપોદ્રા અને સારોલી જેવા વિસ્તારોમાં સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ વિસ્તારોમાં મતદાન મથકો બહાર લાંબી કતારો સાંજ સુધી યથાવત રહી હતી.

ઉપરાંત ઉધના, પાંડેસરા અને લિંબાયત જેવા શ્રમિક વિસ્તારોમાં પણ મતદાનનું પ્રમાણ સારું નોંધાયું હતું.


સમયવાર મતદાનનો ટ્રેન્ડ

ચૂંટણી તંત્ર દ્વારા સવારે ૧૧ વાગ્યે જાહેર કરાયેલા આંકડા મુજબ સરેરાશ મતદાન આશરે ૨૬ ટકા નોંધાયું હતું. બપોરે ૩ વાગ્યે આ આંકડો વધીને ૪૫ ટકા સુધી પહોંચ્યો હતો.

બપોર દરમિયાન તાપમાનમાં વધારો થતા મતદાન મથકો પર મતદારોની સંખ્યા ઘટી ગઈ હતી, જેના કારણે મતદાનની ગતિ ધીમી પડી હતી.


🔝 સૌથી વધુ મતદાન ધરાવતા 5 વોર્ડ્સ (Highest Voting) સાંજે 5 કલાક સુધી

  1. વોર્ડ નં. 19 – આંજણા-ડુંભાલ65.34%
  2. વોર્ડ નં. 25 – લીંબાયત-ઉધના યાર્ડ62.52%
  3. વોર્ડ નં. 30 – કનસાડ-સચિન-ઉન-આભવા59.73%
  4. વોર્ડ નં. 13 – વાડીફળિયા-નવાપુરા-બેગમપુરા-સલાબતપુરા59.70%
  5. વોર્ડ નં. 18 – લિંબાયત-પરવટ-કુંભારિયા59.14%

🔻 સૌથી ઓછું મતદાન ધરાવતા 5 વોર્ડ્સ (Lowest Voting) સાંજે 5 કલાક સુધી

  1. વોર્ડ નં. 16 – પુણા (પશ્ચિમ)43.62%
  2. વોર્ડ નં. 22 – ભટાર-વેસુ-ડુમસ45.46%
  3. વોર્ડ નં. 10 – અડાજણ-પાલ-ઇચ્છાપોર46.31%
  4. વોર્ડ નં. 15 – કરંજ-મગોબ46.52%
  5. વોર્ડ નં. 21 – સોનીફળિયા-નાનપુરા-અઠવા-પીપલોદ47.68%

રાજકીય જંગ: ભાજપ અને ‘આપ’ વચ્ચે સીધી ટક્કર

સુરત સહિત સમગ્ર રાજ્યમાં આ ચૂંટણી ત્રિકોણીય જંગ તરીકે જોવામાં આવી રહી હતી, પરંતુ મેદાનમાં જોવા મળેલા દ્રશ્યો મુજબ ભાજપ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે સીધી ટક્કર જોવા મળી હતી.

શહેરના મોટા ભાગના વોર્ડમાં કોંગ્રેસની હાજરી મર્યાદિત જણાઈ હતી, જોકે કોટ વિસ્તાર તેમજ મુસ્લિમ વસતિ ધરાવતા વિસ્તારોમાં કોંગ્રેસના ઉમેદવારો સક્રિય દેખાયા હતા. આ વિસ્તારોમાં સરેરાશ કરતાં વધુ મતદાન નોંધાયું હોવું રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

રાજકીય વિશ્લેષકોના મતે, આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ સ્પર્ધામાં પાછળ રહી હોય તેવું લાગી રહ્યું છે, જ્યારે ‘આપ’એ ભાજપના ગઢમાં પડકાર ઉભો કરવા માટે જોરદાર પ્રયાસ કર્યો છે.

Voting Data SMC @ 5pm

વોડૅ નંવોડૅ નું નામકુલ મતદાન %
1જંહાગીરપુરા-વરીયાવ-છાપરાભાઠા-કોસાડ53.16
2અમરોલી-મોટા વરાછા-કઠોર50.54
3વરાછા-સરથાણા-સીમાડા-લસકાણા50.53
4કાપોદ્રા49.45
5ફૂલપાડા-અશ્વિનીકુમાર51.21
6કતારગામ51.8
7કતારગામ-વેડ52.59
8ડભોલી-સિંગણપોર56.29
9રાંદેર-જહાંગીરબાદ-પાલનપુર53.53
10અડાજણ-પાલ-ઇચ્છાપોર46.31
11અડાજણ-ગોરાટ50.38
12નાણાવટ-સૈયદપુરા-કુબેરનગર-મહિધરપુરા57.75
13વાડીફળિયા-નવાપુરા-બેગમપુરા-સલાબતપુરા59.7
14ઉમરવાડા-માતાવાડી51.95
15કરંજ-મગોબ46.52
16પુણા(પશ્ચિમ)43.62
17પુણા(પૂર્વ)51.17
18લિંબાયત-પરવટ-કુંભારિયા59.14
19આંજણા-ડુંભાલ65.34
20ખટોદરા-મજુરા-સગરામપુરા51.93
21સોનીફળિયા-નાનપુરા-અઠવા-પીપલોદ47.68
22ભટાર-વેસુ-ડુમસ45.46
23બમરોલી-ઉધના(ઉત્તર)51.58
24ઉધના(દક્ષિણ)57.76
25લીબાયત-ઉધના યાર્ડ62.52
26ગોડાદરા-ડીંડોલી(ઉત્તર)53.87
27ડીંડોલી(દક્ષિણ)48.91
28પાંડેસરા-ભેસ્તાન58.75
29અલથાણ-બમરોલી-વડોદ51.22
30કનસાડ-સચિન-ઉન-આભવા59.73

April 26, 2026
image-17.png
2min154

ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સત્તાના સંગ્રામ માટે નિર્ણાયક દિવસ છે. રાજ્યની 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતો માટે આજે સવારથી જ ઉત્સાહપૂર્વક મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સવારે 7:00 વાગ્યાના ટકોરે મતદાન મથકોના દ્વાર ખૂલતાની સાથે જ મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. આ મતદાન પ્રક્રિયા સાંજે 6:00 વાગ્યા સુધી અવિરત ચાલશે, જેમાં રાજ્યના ભવિષ્યનો રોડમેપ નક્કી થશે.

ચૂંટણીના આંકડા અને વ્યાપ

આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તેના વિશાળ વ્યાપને કારણે અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે. રાજ્યની તમામ સ્થાનિક સંસ્થાઓમાં કુલ મળીને 9,268 બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે. આ બેઠકો પર વિજય મેળવવા માટે કુલ 25,551 ઉમેદવારો મેદાનમાં છે. ગુજરાતના અંદાજે 4 કરોડ જેટલા નોંધાયેલા મતદારો આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને આ તમામ ઉમેદવારોના રાજકીય ભાવિને ઈવીએમ (EVM) મશીનમાં સીલ કરશે.

ચૂંટણી પંચ દ્વારા મતદાન માટે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સંવેદનશીલ મતદાન મથકો પર સીસીટીવી કેમેરા અને વધારાના પોલીસ બળની નિમણૂક કરવામાં આવી છે જેથી શાંતિપૂર્ણ માહોલમાં લોકશાહીના આ પર્વની ઉજવણી થઈ શકે.

ત્રિપાંખિયો જંગ અને બદલાતા રાજકીય સમીકરણો

પરંપરાગત રીતે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો જોવા મળતો હોય છે, પરંતુ આ વખતે રાજ્યનું રાજકીય ચિત્ર બદલાયેલું નજરે પડે છે. ગ્રાઉન્ડ રિપોર્ટ અને પ્રચાર અભિયાનની ગતિ જોતા જણાય છે કે મુખ્ય સ્પર્ધા શાસક પક્ષ ભાજપ અને ઉભરતી શક્તિ આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે જોવા મળી રહી છે.

  • ભાજપ: સત્તાધારી પક્ષ ભાજપે પોતાની તમામ તાકાત ઝોંકી દીધી છે. ‘વિકાસ’ અને ‘ડબલ એન્જિન સરકાર’ના સૂત્ર સાથે ભાજપ ફરી એકવાર ક્લીન સ્વીપ કરવાના આત્મવિશ્વાસમાં છે.
  • આમ આદમી પાર્ટી: ‘આપ’ આ વખતે રાજ્યમાં મજબૂત વિકલ્પ તરીકે ઉભરી આવી છે. ખાસ કરીને શહેરી વિસ્તારો અને મહાનગરપાલિકાઓમાં આમ આદમી પાર્ટીએ શિક્ષણ, આરોગ્ય અને વીજળી જેવા પાયાના મુદ્દાઓ પર ભાર મૂકીને ભાજપને સીધી ટક્કર આપી છે.
  • કોંગ્રેસ: સૌથી જૂની પાર્ટી હોવા છતાં, કોંગ્રેસ આ વખતે પ્રચારમાં અને લોકમાનસમાં ત્રીજા સ્થાને ધકેલાતી હોય તેવું જણાય છે. જોકે, ગ્રામીણ વિસ્તારો અને પંચાયત સ્તરે કોંગ્રેસ હજુ પણ પોતાની પકડ જાળવી રાખવા મથામણ કરી રહી છે.

મતદારોમાં ભારે ઉત્સાહ

વહેલી સવારથી જ યુવાનોથી લઈને વયોવૃદ્ધ મતદારોમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રથમ વખત મતદાન કરતા યુવા મતદારો ‘વિકાસ અને પરિવર્તન’ને ધ્યાનમાં રાખીને મતદાન કરી રહ્યા છે, જ્યારે વડીલો સુવિધા અને શાંતિના મુદ્દે મત આપી રહ્યા છે. અનેક જગ્યાએ વરરાજાઓ લગ્નમંડપે જતા પહેલા મતદાન કરવા પહોંચ્યા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે, જે લોકશાહી પ્રત્યેની જાગૃતિ દર્શાવે છે.

પરિણામની તારીખ

આજે યોજાઈ રહેલા આ મહાકુંભનું પરિણામ આગામી 28મી એપ્રિલ, મંગળવારના રોજ જાહેર કરવામાં આવશે. મંગળવારે સવારથી જ મતગણતરી હાથ ધરવામાં આવશે અને સાંજ સુધીમાં સ્પષ્ટ થઈ જશે કે ગુજરાતની જનતાએ કોના શિરે સત્તાનો તાજ મૂક્યો છે.

શું ભાજપ પોતાનો ગઢ સાચવી શકશે? શું આમ આદમી પાર્ટી ગુજરાતમાં મોટો ઉલટફેર સર્જશે? કે પછી કોંગ્રેસ બધાને ચોંકાવીને ફરી બેઠી થશે? આ તમામ પ્રશ્નોના જવાબ 28મી એપ્રિલે મળશે. હાલ તો, સમગ્ર ગુજરાતની નજર આજના મતદાનની ટકાવારી અને જનતાના મૂડ પર ટકેલી છે.

April 25, 2026
image-16.png
1min146

આઈપીએલ 2026નો 35મો મુકાબલો શનિવારે દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાયો હતો. આ મુકાબલામાં પંજાબની ટીમે ઈતિહાસ રચતા આઈપીએલ ઈતિહાસનો સૌથી મોટો રન ચેઝ કર્યો હતો. દિલ્હીએ પહેલા બેટિંગ કરતા કેએલ રાહુલની સદીના દમ પર 264 રન બનાવ્યા હતા. પરંતુ પંજાબે આ મેચ એક ઓવર બાકી હતી ત્યારે જ જીતી લીધી હતી. આ મુકાબલો નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયો હતો, જ્યાં ટોસ જીતીને દિલ્હીની ટીમે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કેએલ રાહુલની તોફાની 152 રનની ઈનિંગના દમ પર દિલ્હીએ 264 રન બનાવ્યા હતા, પરંતુ પંજાબે તેને પણ ચેઝ કરી લીધો હતો.

265 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પંજાબની શરૂઆત ખૂબ જ શાનદાર રહી હતી. પ્રિયાંશ આર્ય અને પ્રભસિમરન સિંહે તાબડતોડ બેટિંગ કરી હતી. 7મી ઓવરમાં જ્યારે પ્રિયાંશની વિકેટ પડી ત્યારે પંજાબનો સ્કોર 126 રન થઈ ગયો હતો. પ્રિયાંશએ 17 બોલમાં 43 રન બનાવ્યા હતા. બીજી તરફ પ્રભસિમરનનું તોફાન ચાલુ રહ્યું હતું. ત્યારબાદ 8મી ઓવરમાં પ્રભસિમરન સિંહ પોતાની વિકેટ ગુમાવી બેઠા હતા. પ્રભસિમરન સિંહના બેટથી 26 બોલમાં 76 રન આવ્યા હતા. પોતાની ઈનિંગમાં પ્રભસિમરન સિંહે 9 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા.

ત્યારબાદ નેહાલ વઢેરા અને શ્રેયસ અય્યર વચ્ચે 56 રનની સારી ભાગીદારી થઈ હતી. પરંતુ 15મી ઓવરમાં નેહાલ પોતાની વિકેટ ગુમાવી બેઠા હતા, તેમણે 15 બોલમાં 25 રન બનાવ્યા હતા. ત્યારબાદ શ્રેયસ અય્યરે મોરચો સંભાળ્યો અને 36 બોલમાં અણનમ 71 રનની ઈનિંગ રમી હતી. પોતાની ઈનિંગમાં અય્યરે 7 છગ્ગા અને 3 ચોગ્ગા લગાવ્યા હતા. જેના દમ પર પંજાબે આ મેચ 7 બોલ બાકી હતા ત્યારે જ જીતી લીધી હતી. પંજાબ આ ટુર્નામેન્ટમાં અજેય રહી છે અને પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે.

દિલ્હીની બેટિંગમાં કેએલ રાહુલનું તોફાન

પહેલા બેટિંગ કરવા ઉતરેલી દિલ્હી માટે ઈનિંગની શરૂઆત કેએલ રાહુલ અને પથુમ નિસાંકાએ કરી હતી. પરંતુ આ મેચમાં પણ નિસાંકા ફ્લોપ રહ્યો અને માત્ર 11 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. જોકે, ત્યારબાદ કેએલ રાહુલ અને નીતીશ રાણાએ તોફાની બેટિંગ કરી હતી. બંનેએ છગ્ગા-ચોગ્ગાનો વરસાદ કર્યો હતો. કેએલ રાહુલે 15મી ઓવરમાં માત્ર 47 બોલમાં સદી ફટકારી હતી.

નીતીશ રાણા અને કેએલ રાહુલ વચ્ચે 95 બોલમાં 220 રનની ભાગીદારી થઈ હતી. રાણાએ 44 બોલમાં 91 રન બનાવ્યા હતા. પોતાની ઈનિંગમાં નીતીશ રાણાએ 11 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. પરંતુ કેએલ રાહુલ એક છેડે ટકી રહ્યો હતો. કેએલ રાહુલે 67 બોલમાં અણનમ 152 રનની ઈનિંગ રમી હતી, જેના દમ પર દિલ્હીએ 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 264 રન બનાવ્યા હતા. પોતાની ઈનિંગમાં કેએલ રાહુલે 16 ચોગ્ગા અને 9 છગ્ગા ઝીંક્યા હતા.

આઈપીએલ-2026માં આજે દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાયેલી મેચમાં ઈતિહાસ રચાવાની સાથે અનેક રેકોર્ડ સર્જાયા છે. દિલ્હીએ 20 ઓવરમાં બે વિકેટે 264 રન નોંધાવ્યા હતા, જે આ આઈપીએલ સિઝનનો સૌથી મોટો સ્કોર હતો, ત્યારે પંજાબે આ સ્કોર ચેજ કરીને રેકોર્ડ નોંધાવ્યો છે. પંજાબે 18.5 ઓવરમાં પાંચ વિકેટે 265 રન કરીને ભવ્ય વિજય મેળવ્યો છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, દિલ્હી કેપિટલ્સનો પોતાનો આઈપીએલના ઈતિહાસમાં સૌથી મોટો સ્કોર હતો.

April 25, 2026
image-15.png
1min247

સુરતના અલથાણ વિસ્તારમાં ગઈકાલે (24મી એપ્રિલ) ટ્યુશનથી ઘરે જઈ રહેલી સગીરાની છેડતીની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર જગાવી છે. આ મામલે આજે (25મી એપ્રિલ) પકડાયેલા આરોપી મોહમ્મદ અઝીઝને લઈને જ્યારે પોલીસ ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન માટે પહોંચી, ત્યારે લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. રોષે ભરાયેલા લોકોએ આરોપીને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. ઉગ્ર બનેલી ભીડ અને મહિલાઓના વિરોધ વચ્ચે પોલીસે ભારે જહેમત બાદ આરોપીને બહાર કાઢવો પડ્યો હતો.

ગત રાત્રે 24/04/2026 અલથાણ વિસ્તારમાં આવેલી એટલાન્ટા મોલ પાસેના ટ્યુશન ક્લાસથી 12 વર્ષની દીકરી ઘરે પરત ફરી રહી હતી. આ દરમિયાન અંદાજે 40 વર્ષીય મહંમદ અઝીઝ નામના શખસે સગીરાની છેડતી કરી હતી. બાળકીએ હિંમત બતાવી ચીસાચીસ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને આરોપીને રંગેહાથ ઝડપીને મેથીપાક ચખાડ્યો હતો અને પોલીસને હવાલે કર્યો હતો.

પાટીદાર સમાજની દીકરી સાથે છેડતીનો મેસેજ સોશિયલ મીડિયા વાઈરલ થતાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. ગત રાત્રે 24/04/2026 પણ ૩ કલાક સુધી લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં તંગદિલી વ્યાપી ગઈ હતી.

આજે 25/04/2026 પોલીસ જ્યારે આરોપી મોહમ્મદ અઝીઝ ઈમ્તીયાઝને એટલાન્ટા મોલ પાસે રિકન્સ્ટ્રક્શન માટે લાવી ત્યારે પાટીદારો સમાજ સહિતના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયાં હતાં. ભીડને જોતા પોલીસ આરોપીને અડધો કિલોમીટર દૂર ઉતારીને કન્સ્ટ્રક્શન સાઈટના રસ્તેથી લાવી હતી.

આ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં મહિલાઓ પણ હાજર હતી. આરોપીને જોતા જ મહિલાઓએ સૂત્રોચ્ચાર કરી ચપ્પલ અને પથ્થરો ફેંકવાનું શરૂ કર્યું હતું. બેકાબૂ બનેલી ભીડથી આરોપીને બચાવવા પોલીસે માનવ સાંકળ બનાવી સુરક્ષા કવચ તૈયાર કર્યું હતું અને ગણતરીની મિનિટોમાં જ આરોપીને વાનમાં બેસાડી ત્યાંથી રવાના કરી દીધો હતો. અલથાણ વિસ્તારમાં હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત તહેનાત કરી દેવામાં આવ્યો છે. પાટીદાર સમાજના અગ્રણીઓએ આરોપીને સખતમાં સખત સજા થાય તેવી માંગ કરી છે. પોલીસ આ મામલે કડક કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.

April 25, 2026
heat-stroke.jpg
1min249

ગુજરાતમાં ઉનાળાનો અસલી મિજાજ જોવા મળી રહ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો સામાન્ય કરતા 1થી 3 ડિગ્રી ઊંચો નોંધાતા જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગ(IMD)ના હાલના અહેવાલ મુજબ, શુક્રવારે અમરેલી અને રાજકોટમાં ગરમીએ માઝા મૂકી હતી, જ્યાં પારો 43 ડિગ્રીને પાર કરી ગયો છે.

ક્યાં કેટલી ગરમી નોંધાઈ?

  • અમરેલી: 43.3°C
  • રાજકોટ: 43.1°C
  • અમદાવાદ: 42.1°C
  • વડોદરા: 41.6°C
  • ગાંધીનગર: 41.5°C
  • ભુજ: 41.4°C
  • સુરત: 40.0°C

માત્ર દિવસ જ નહીં, પણ રાત્રિના તાપમાનમાં પણ વધારો થયો છે. અમદાવાદ અને ગાંધીનગરમાં લઘુતમ તાપમાન સામાન્ય કરતાં 2 ડિગ્રી વધુ (27.0°C) નોંધાયું છે, જેના કારણે રાત્રે પણ અસહ્ય ઉકળાટ અને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.

ભલે દ્વારકા (31.8°C) અને વેરાવળ (32.0°C) જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન ઓછું હોય, પરંતુ હવામાન વિભાગે અહીં હોટ ઍન્ડ હ્યુમિડ (ગરમ અને ભેજવાળા) પવનની ચેતવણી આપી છે. એટલે કે, અહીં તાપમાન ભલે ઓછું હોય પણ ભારે ભેજને કારણે પરસેવો અને બફારો વધારે પરેશાન કરશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં કોઈ મોટી રાહત મળે તેવી શક્યતા નથી. આથી નાગરિકોને નીચે મુજબની તકેદારી રાખવા સલાહ આપવામાં આવી છે. બપોરે 12થી 4 વાગ્યા દરમિયાન બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું. વધુ પ્રમાણમાં પાણી, છાશ અને પ્રવાહી લેતા રહેવું. સુતરાઉ અને આછા રંગના કપડાં પહેરવા.