CIA ALERT

Alert Archives - Page 111 of 510 - CIA Live

April 9, 2022
vaccination_gujarat.jpg
1min639

ચોથી લહેરની આશંકા વચ્ચે કોરોના સામેની લડાઈમાં એક મહત્ત્વના નિર્ણયમાં કેન્દ્ર સરકારે તા.10 એપ્રિલને રવિવારથી 18 વર્ષથી વધુ ઉંમરના દરેક લોકોને ત્રીજો પ્રિકોશન (બૂસ્ટર) ડોઝની મંજૂરી આપી છે. જે સાથે સરકારી આરોગ્ય કેન્દ્રો પર પહેલો અને બીજો ડોઝ નિ:શુલ્ક આપવાની સુવિધા યથાવત છે. ત્રીજા ડોઝ માટે ખાનગી કેન્દ્રો પર કેટલા રૂપિયા ચૂકવવા પડશે ? તે હજુ સ્પષ્ટ કરાયું નથી.

18 વર્ષથી વધુ ઉંમરના દરેક જે બીજો ડોઝ લીધાના 9 મહિના પૂરા કર્યા હોય તેઓ ખાનગી સેન્ટરો પરથી ત્રીજો ડોઝ મેળવી શકશે. કેન્દ્રએ જાહેર કરેલી માર્ગદર્શિકા અનુસાર, 18 પ્લસ એજ ગ્રુપના દરેક લોકો ખાનગી વેક્સિનેશન કેન્દ્ર પર જઈ ત્રીજો પ્રિકોશન ડોઝ મેળવી શકશે. અત્યાર સુધીમાં દેશમાં 1પ પ્લસ એજ ગ્રુપના 96 ટકા લોકોએ ઓછામાં ઓછો વેક્સિનનો એક ડોઝ લઈ લીધો છે. જ્યારે આ વયજૂથમાં 83 ટકાએ બન્ને ડોઝ લીધા છે. 1રથી 14 વર્ષની ઉંમરના જૂથમાં 4પ ટકાએ પહેલો ડોઝ લઈ લીધો છે. સરકારી આંકડા અનુસાર અત્યાર સુધીમાં ર.4 કરોડ લોકોને પ્રિકોશન ડોઝ અપાઈ ગયો છે. દેશમાં 6 માર્ચથી 1ર-14 વયજૂથના બાળકોનું વેક્સિનેશન ચાલુ છે.’

April 8, 2022
Cia_business_news-1280x936.jpg
1min688

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સિગ્નેચર એક્ઝિબિશન ગણાતા ઉદ્યોગ એક્ષ્પોના આયોજનને આ વર્ષે 25 વર્ષ પૂરા થઇ રહ્યા છે. આગામી તા.8થી 11 એપ્રિલ દરમિયાન સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે ઉદ્યોગ 22નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતભરમાંથી તેમજ પડોશી રાજ્યોમાંથી અંદાજે 175 જેટલા એક્ઝિબિટર્સ પોતાની ચીજવસ્તુઓ ડિસ્પ્લે કરશે.
ઉદ્યોગ 2022 અંગે વધુ વિગતો આપતા ચેમ્બર પ્રેસિડેન્ટ આશિષ ગુજરાતી, પાસ્ટ પ્રેસિડેન્ટ દિનેશ નાવડીયા, ઇલેક્ટ પ્રેસિડેન્ટ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે ઉદ્યોગ એક્ઝિબિશન દર બે વર્ષે યોજાય છે અને આ વર્ષે તેની 13મી આવૃતિ છે અને 25 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. ઉદ્યોગ એક્ષ્પો એ બીટુબી (બિઝનેસ ટુ બિઝનેસ) સ્તર પર યોજાઇ રહ્યો છે અને તેમાં સુરત, નવસારી, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, વાપી, વલસાડ, સિલવાસા, ઉમરગામ, મુંબઇ, દિલ્હી, ગુરુગ્રામ, પાણીપત, નોઇડા, ભોપાલ અને કોઇમ્બતુર જેવા શહેરોમાંથી મેન્યુફેક્ચરર્સ તથા પ્રમોટર વિક્રેતાઓ પોતાની ચીજવસ્તુઓ, સેવાઓને ડિસ્પ્લે કરશે.
ઉદ્યોગ 2022ના એક્ષ્પો ચેરમેન અમિષ શાહે જણાવ્યું હતું કે 1.10 લાખ ચો.ફૂટ જેટલા વિશાળ વિસ્તારમાં એક્ઝિબિટર્સને સ્ટોલ્સ ફાળવવામાં આવ્યા છે. આ વખતના એક્ષ્પોમાં ગ્રીન એનર્જી, ટેક્ષટાઇલ એન્સેલરી, ઇલેક્ટ્રીકલ, ઇન્સ્ટ્રુમેન્ટેશન, એન્જિનિયરિંગ, સર્વિસ, બેંકિંગ એન્ડ ફાયનાન્સ, ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ સિક્યુરિટી વગેરે પ્રોડક્ટસ અને સર્વિસીઝના ડિસ્પ્લે કરવામાં આવશે.
ચેમ્બરના ઉદ્યોગ એક્ષ્પોમાં ફક્ત વિક્રેતાઓને જ એન્ટ્રી મળશે કેમકે આ બિઝનેસ ટુ બિઝનેસ પેટર્ન પર યોજાશે. તા.7મીએ રાત્રે 12 વાગ્યા સુધી વિઝીટર તરીકે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવનારાને બિલકુલ ફ્રી ઓફ ચાર્જ એન્ટ્રી પાસ મળશે પરંતુ, જો કોઇ વ્યક્તિ એક્ષ્પોના એન્ટ્રી ગેટ પર જઇને ફિઝિકલ રજિસ્ટ્રેશન કરાવશે તો તેમણે રૂ.200 એન્ટ્રી ફી ચૂકવવી પડશે. હાલમાં 12000 જેટલા લોકો ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે.

ઉદ્યોગ એક્ષ્પોમાં ખાસ સ્ટાર્ટઅપ પેવેલિયન

ચેમ્બરના ઉદ્યોગ એક્ષ્પોમાં આ વખતે સૌથી મહત્વની બાબત સ્ટાર્ટ અપ પેવેલિયન છે. ચેમ્બર પ્રેસિડેન્ટ આશિષ ગુજરાતીએ જણાવ્યું હતું કે સરકારે જે સ્ટાર્ટઅપને માન્યતા આપી છે તેવા તમામ સ્ટાર્ટ અપને પ્લેટફોર્મ મળે અને મુલાકાતીઓને તેમના સ્ટાર્ટ અપ વિષે માહિતી મળે તે માટે તમામને બિલકુલ વિના મૂલ્યે સ્ટોલ આપવામાં આવ્યા છે અને સ્ટાર્ટ અપનું એક આખું અલગ પેવેલિયન જ ઉભું કરવામાં આવ્યું છે. આ સ્ટાર્ટ અપ પેવેલિયનમાં 18 જેટલા સ્ટાર્ટ અપ તો એકલા સુરતના યંગસ્ટર્સ ઉધોગ સાહસિકોના જ છે.

April 8, 2022
rbi.png
1min502

ભારતીય રિઝર્વ બૅન્ક (આરબીઆઇ) દ્વારા આઠ એપ્રિલે જાહેર થનારા બૅન્કના વ્યાજદર પર ઉદ્યોગ ક્ષેત્ર સહિત સામાન્ય જનતા મીટ માંડીને બેઠી છે.

કોવિડ-૧૯ના રોગચાળા, રશિયા-યુક્રેનના યુદ્ધ અને ક્રૂડના વધી રહેલા ભાવ જેવી અનેક મુશ્કેલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રિઝર્વ બૅન્ક દ્વારા વ્યાજદર યથાવત રાખવામાં આવે એવી શક્યતા વધુ છે.વ્યાજદર નક્કી કરતી આરબીઆઈની મનેટરી પૉલિસી કમિટી (એમપીસી)ની બેઠક છએપ્રિલે શરૂ થઇ હતી.  બેઠકમાં લેવાયેલા નિર્ણયની આઠ એપ્રિલે જાહેરાત કરવામાં આવશે. 

વ્યાજદરની સમીક્ષા કરવા યોજવામાં આવનારી આ બેઠકમાં આરબીઆઈ વ્યાજદર યથાવત રાખે તેવી શક્યતા છે. 
જોકે, રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે સર્જાયેલી વૈશ્ર્વિક અચોક્કસતા વચ્ચે આરબીઆઈ રિટેલ ફુગાવા અંગે તેનું વલણ બદલે તેવી શક્યતા છે. 

અર્થશાસ્ત્રી આદિત્ય નાયરે કહ્યું હતું કે એમપીસીની આ સમીક્ષા બેઠકમાં ફુગાવા આધારિત ક્ધઝ્યૂમર પ્રાઈસ ઈન્ડેક્સ (સીપીઆઈ)માં સુધારો કરવામાં આવે એવી શક્યતા છે. ફુગાવાને અંકુશમાં લેવા એમપીસી વિકાસનું બલિદાન આપે તેવી શક્યતા નથી. 

વર્તમાન અચોક્કસતાને ધ્યાન પર લેતાં આર્થિક નીતિ વધુ કડક કરવા આરબીઆઈ પાસે મર્યાદિત અવકાશ છે, એમ એનાલિટિકલ ઑફિસર સુમન ચૌધરીએ કહ્યું હતું.  

April 7, 2022
WhatsApp-Image-2022-04-07-at-8.53.10-AM-1280x960.jpeg
1min780

ઝાંખા પ્રકાશની સમસ્યાને કારણે સપ્તાહમાં બીજી વખત ફ્લાઇટ લેન્ડિંગમાં સમસ્યા નડી, સવારે 6 વાગ્યે વિઝિબિલિટી 4 કિ.મી. હતી જે 6.20 કલાકે ઘટીને ફક્ત 100 મીટર થઇ ગઇ હતી

વાદળછાયા વાતાવરણને કારણે સપ્તાહમાં બીજી વખત આજે ગુરુવારે, તા.7મી એપ્રિલ 2022ની સવારે એવું બન્યું છે કે સુરત એરપોર્ટ પર આવી રહેલી ત્રણ ફ્લાઇટ્સને મુંબઇ એરપોર્ટ પર ડાઇવર્ટ કરવાની ફરજ પડી હતી. ખરાબ હવામાન, વિઝિબિલીટીના ઇશ્યુઝ હોય ત્યારે ફ્લાઇટ લેન્ડીંગ માટે જરૂરી ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ સુરત એરપોર્ટ પર વિકસાવવામાં આવી નથી તેને કારણે સુરત એરપોર્ટ પર ઝાંખા પ્રકાશમાં ફ્લાઇટ લેન્ડીંગમાં ઇશ્યુઝ આવી રહ્યા હોવાનું પ્રાથમિક તારણ પરથી જાણી શકાય છે.

પૂનાથી સુરત આવેલી ફ્લાઇટ લેન્ડ કરી શકી નહીં એ પછી ઉપરાછાપરી દિલ્હીથી આવેલી એર ઇન્ડિયા અને ઇન્ડીગોની ફ્લાઇટ પણ ડાઇવર્ટ કરવી પડી

સુરત એરપોર્ટ ઓથોરિટીએ જાહેર કરેલી માહિતી મુજબ આજે સવારે સુરતના વાતાવરણમાં વિઝિબિલીટી ડ્રોપ થઇ જવાની સમસ્યા સર્જાઇ હતી. સુરત એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા મુજબ સવારે 6 વાગ્યે વિઝિબિલીટી 4 કિ.મી.ની હતી જે 6.20 કલાકે ડ્રોપ થઇને ફક્ત 100 મીટરની થઇ ગઇ હતી. વિઝિબિલીટી એકાએક ડ્રોપ થઇ જતા સુરત એરપોર્ટ પર આવી રહેલી ફ્લાઇટ્સના લેન્ડિંગમાં સમસ્યા નડી હતી.

સુરત એરપોર્ટ પર ઝાંખા પ્રકાશ, ખરાબ હવામાન વચ્ચે ફ્લાઇટ લેન્ડ કરવા માટે જરૂરી ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ નહીં હોવાના કારણે આજે ઉપરાછાપરી ત્રણ ફ્લાઇટ, જેમાં પૂનાથી સુરત આવેલી ફ્લાઇટ મુંબઇ એરપોર્ટ પર ડાઇવર્ટ કરવામાં આવી હતી. એ પછી એર ઇન્ડિયાની દિલ્હીથી સુરત આવેલી ફ્લાઇટને પણ મુંબઇ અને ઉપરાછાપરી ત્રીજી ફ્લાઇટ કે જે ઇન્ડીગોની દિલ્હીથી સુરત આવી રહી હતી તેને પણ મુંબઇ એરપોર્ટ પર ડાઇવર્ટ કરવાની ફરજ પડી હતી.
સુરત એરપોર્ટ પર વિઝિબિલિટી ઇશ્યુ હોવાની જાણ થતાં હૈદરાબાદથી સુરત આવી રહેલી ફ્લાઇટને પણ ત્યાંથી ટેકઓફ ડિલે કરવામાં આવ્યું હતું.

April 4, 2022
hdfc.jpg
1min490

દેશની સૌથી મોટી ખાનગી બેંક અને દેશની સૌથી મોટી હાઉસિંગ ફાઇનાન્સ કંપની તેમજ ઇંસ્યુરન્સ, મ્યુચ્યુઅલ ફન્ડ જેવી સેવાઓ આપતી નાણા કંપનીએ આજે મર્જરની જાહેરાત કરી છે. આ જાહેરાત અનુસાર HDFC વિવિધ મંજૂરી બાદ HDFC Bankમાં ભળી જશે. આ મર્જરની અસર બાદ આ કંપની દેશની સૌથી અગ્રણી નાણાકીય સેવાઓ આપતી કંપની બની શકે છે.

સ્ટોક એક્સેન્જને આપેલી વિગત અનુસાર HDFC Bank તેની રૂ.19.38 લાખ કરોડની એસેટ સાથે રૂ.6.24 લાખ કરોડની એસેટ ધરાવતી HDFC સાથે મર્જરની જાહેરાત થઈ છે. 

આ જાહેરાત અનુસાર HDFCના 25 શેર સામે રોકાણકારોને HDFC Bankએ 42 શેર મળશે.

શેરબજારમાં લિસ્ટેડ બન્ને કમોનીઓનું માર્કેટ કેપ વધી જશે અને દેશની સૌથી મૂલ્યવાન કંપની બની શકે છે. શુક્રવારના બંધ ભાવ અનુસાર HDFC Bank રૂ 8.35 લાખ કરોડના મૂલ્ય સાથે ત્રીજા ક્રમે અને HDFC રૂ 4.44 લાખ કરોડ સાથે નવમા ક્રમે છે. અત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રૂ.17.97 લાખ કરોડ સાથે દેશની સૌથી વધુ મૂલ્યવાન કંપની છે.

April 4, 2022
srilanka.jpg
1min510

શ્રીલંકામાં આર્થિક સંકટની(Srilanka crisis) વચ્ચે હવે રાજકારણ પણ ગરમાયું છે. શ્રીલંકાના વડાપ્રધાન મહિંદા રાજપક્ષે સિવાય સરકારના તમામ મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે. તેમાં પીએમ મહિંદા રાજપક્ષેના દીકરા અને રમત ગમત મંત્રી નમલ રાજપક્ષે પણ સામેલ છે. પીએમ ઓફિસ તરફથી આ સમાચારની પૃષ્ટિ કરવામાં આવી છે. પરંતુ અત્યારે મહિંદા રાજપક્ષેએ રાજીનામું નથી આપ્યું.

મોડી રાત્રે થયેલી મીટિંગ પછી શ્રીલંકાના શિક્ષણ મંત્રી દિનેશ ગુણવર્ધને આ વાતની પૃષ્ટિ કરતાં જણાવ્યું કે, રાષ્ટ્રપ્રમુખ ગોટબાયા રાજપક્ષે તેમજ વડાપ્રધાન મહિંદા રાજપક્ષે સિવાય તમામ 26 મંત્રીઓએ રાજીનામાં આપી દીધા છે. નમલ રાજપક્ષેએ રાજીનામાની જાહેરાત કરતાં જણાવ્યું કે, મેં પોતાના તમામ પોર્ટફોલિયો માટે તાત્કાલિક ધોરણે રાજીનામું સોંપી દીધું છે. મેં આ વાતની જાણકારી પણ આપી છે. હું દેશની જનતા, મતદારો અને પાર્ટી પ્રત્યે પ્રતિબદ્ધ રહીશ.

શ્રીલંકાની પીએમ ઓફિસ તરફથી રવિવારે સાંજે ચોખવટ કરવામાં આવી હતી કે મહિંદા રાજપક્ષેએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું નથી આપ્યું. ડેલી મિરરના રિપોર્ટ અનુસાર, સૂત્રોએ કહ્યું છે કે, એક નવા મંત્રીમંડળ દ્વારા શપથ લેવામાં આવશે, જેમાં વિપક્ષના સભ્યો હશે. રાજકીય સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે એક નવી વચગાળાની સરકારની પસંદગી કરવામાં આવી શકે છે.

11 પાર્ટી ગઠબંધનના સભ્યો સાથેની બેઠક પછી સભ્યો દ્વારા એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો કે દેશમાં રાજકીય સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે એક નવા વડાપ્રધાન સાથે તાત્કાલિક એક સર્વદળીય વચગાળાની સરકાર બનાવવી જોઈએ. નોંધનીય છે કે આર્થિક સંકટ અને ભ્રષ્ટાચારના આરોપો વચ્ચે રાષ્ટ્રપ્રમુભ ગોટબાયા રાજપક્ષેના ઘરની બહાર હિંસક પ્રદર્શન થાય હતા જેના કારણે સોમવાર સુધી શ્રીલંકામાં કર્ફ્યુ લગાવવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ફેસબુક, ટ્વિટર, વોટ્સએપ, યૂટ્યુબ, સ્નેપચેટ, ટિકટોક અને ઈન્સ્ટાગ્રામ સહિત લગભગ બે ડઝન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પ્રભાવિત થયા છે. ડીઝલ-પેટ્રોલથી લઈને ખાણી-પીમીની વસ્તુઓનો અભાવ છે, જેના કારણે અરાજકતાની સ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ છે.

2.2 કરોડની વસ્તી ધરાવતા શ્રીલંકામાં હાલ આર્થિક સ્થિતિ એટલી બધી ખરાબ થઈ ગઈ છે કે દેશના અનેક ભાગોમાં રોજ 13 કલાક સુધીનો વીજળી કાપ જાહેર કરવામાં આવ્યો છે. અખબાર છાપવા માટેનો કાગળ આવતો બંધ થઈ જતાં દેશના ઘણા અખબારોએ પ્રકાશન પણ અટકાવી દીધું છે. સરકાર પોતાની પાસે જે કંઈ વિદેશી મુદ્રા ભંડાર વધ્યો છે તેને બચાવવા માટે મથી રહી છે, જેના પરિણામ સ્વરુપે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની આયાત અટકાવી દેવાતા દેશમાં પેટ્રોલ-ડીઝલની જોરદાર તંગી સર્જાઈ છે. હાલ એવી સ્થિતિ છે કે શ્રીલંકામાં પેટ્રોલ ડીઝલની કિંમતો રેકોર્ડ સ્તરે તો છે જ, પરંતુ તેની સાથે તેમની તંગી પણ વર્તાઈ રહી છે. અનેક પેટ્રોલપંપો ખાલી થઈ ગયા છે, અને ઘણી જગ્યાએ લાંબી-લાંબી લાઈનો પણ જોવા મળી રહી છે.

April 2, 2022
cia_edu-1280x925.jpg
1min619

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ગુજરાત વિધાનસભાએ ગઇ તા.31મી માર્ચે રાજ્યમાં 11 નવી પ્રાઇવેટ યુનિવર્સિટીઓને મંજૂરી આપવાનો ઠરાવ પસાર કર્યો હતો. આ નવી યુનિવર્સિટીઓમાં એક સુરત જિલ્લાની છે. સુરત નજીક કીમ-અણિતા ખાતે આવેલા વિદ્યાદીપ કોલેજ કેમ્પસમાં યુનિવર્સિટી શરૂ કરવાની મેનેજમેન્ટની દરખાસ્તને રાજ્ય સરકારે મંજૂર કરતા આગામી જૂન 2022-23થી શરૂ થતાં શૈક્ષણિક વર્ષથી જ વિદ્યાદીપ યુનિવર્સિટી વિદ્યાર્થીઓ માટે કાર્યરત થઇ જશે એમ આજે વિદ્યાદીપ યુનિવર્સિટી મેનેજમેન્ટે જાહેરાત કરી હતી.

વિદ્યાદીપ યુનિવર્સિટીના પ્રોજેક્ટ અંગે માહિતી આપતા સંસ્થાના પ્રેસિડેન્ટ જયંતિભાઇ પટેલ, મહેશભાઇ પટેલ (એફ.આર.સી. સુરત, મેમ્બર) તેમજ અણિતા કેમ્પસ ડાયરેક્ટર મુકુંદભાઇ પટેલે જણાવ્યું હતું કે હાલમાં વિદ્યાદીપ કેમ્પસમાં 16 જુદા જુદા અભ્યાસક્રમો ચાલી જ રહ્યા છે. હોમીયોપેથી, એન્જિનિયરિંગ, ફિઝિયોથેરાપીથી લઇને બીસીએ સુધીની કોલેજોમાં કુલ 4500 વિદ્યાર્થીઓ હાલ વિદ્યાદીપ કેમ્પસમાં અભ્યાસ કરી રહ્યા છે. હવે સંસ્થાને પ્રાઇવેટ યુનિવર્સિટીનો દરજ્જો મળ્યો હોઇ, અમે વધુ અભ્યાસક્રમો તેમજ ખાસ કરીને વિદ્યાર્થીઓને પ્લેશમેન્ટ મળી જ જાય તેવા કોર્સ શરૂ કરવા જઇ રહ્યા છે.

જયંતિભાઇએ ઉમેર્યું કે વિદ્યાદીપ યુનિવર્સિટી કેમ્પસ ચાલુ વર્ષથી જ ધમધમી ઉઠશે. સુરત અને આસપાસમાં વિકસેલા ઉદ્યોગોને અનુરૂપ મેનપાવર મળી રહે તેવા અભ્યાસક્રમો ખાસ શરૂ કરાશે. પ્રાથમિક તબક્કામાં ફાયર સેફ્ટી, સેનેટરી ઇન્સ્પેકશન, લો, માઇક્રોબાયોલોજી, મેડીકલ લેબ ટેક્નોલોજી જેવા કોર્સ શરૂ કરવાનું આયોજન હાથ ધરી દેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે ક્વોલિટી એજ્યુકેશન અને ત્વરીત જોબ, વ્યવસાય થઇ શકે તેવા અભ્યાસક્રમો વિદ્યાદીપ યુનિવર્સિટી ઓફર કરશે.

વધુમાં સુરત શહેર જિલ્લા મળીને કુલ 8મી યુનિવર્સિટી તરીકે વિદ્યાદીપ પ્રાઇવેટ યુનિવર્સિટી કાર્યરત થશે. અત્યાર સુધી એક સ્ટેટ યુનિવર્સિટી તરીકે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી જ્યારે બાકીની તમામ પ્રાઇવેટ યુનિવર્સિટીઓ જેમાં ઉકા તરસાડીયા યુનિવર્સિટી, ઓરો યુનિવર્સિટી, પીપી સવાણી યુનિવર્સિટી, સાર્વજનિક યુનિવર્સિટી, વનિતા વિશ્રામ યુનિવર્સિટી અને હવે વિદ્યાદીપ પ્રાઇવેટ યુનિવર્સિટીનો લાભ વિદ્યાર્થીઓને ચાલુ વર્ષથી જ મળતો થઇ જશે.

April 2, 2022
Cia_business_news-1280x936.jpg
1min1019

લોકો પોતાની મહામૂલી બચત રૂપી થાપણો જ્યાં ફિક્સ ડિપોઝીટ સ્વરૂપે મૂકતા હોય એ સૌથી વિશ્વસનીય બેંક ગણાતી હોય છે, વરાછા બેંકે ફિક્સ ડિપોઝીટ મેળવવામાં આખા રાજ્યમાં સૌથી વધુ ગ્રોથ હાંસલ કર્યો

હિસાબી વર્ષ 2021-22 પૂરું થતાંની સાથે જ બેંકો અને ફાઇનાન્સીયલ સંસ્થાઓએ પોતપોતાના વાર્ષિક સરવૈયા રજૂ કરવા માંડ્યા છે. પરંતુ, આજે બહાર આવેલી ગુજરાત રાજ્યની સહકારી બેંકોની વાર્ષિક સ્થિતિનો અભ્યાસ કરતા એ વિગત પણ બહાર આવી કે ગત હિસાબી વર્ષમાં કોરોનાની બીજી અને ત્રીજી લહેરની અસર વર્તાઇ હોવા છતાં સુરતની સહકારી બેંકોએ જબરદસ્ત ગ્રોથ સાથે વિકાસ સાધ્યો છે. સુરતની વરાછા કો.ઓ. બેંક ફિક્સ ડિપોઝિટ મેળવવામાં 16.87 ટકા ગ્રોથ સાથે સમગ્ર ગુજરાતની બેકોમાં થાપણ મેળવવામાં નંબર વન બની છે. એવી જ રીતે સુરતની જ પ્રાઇમ કો.ઓ. બેંકે સૌથી વધુ એડવાન્સીઝ એટલે કે ધિરાણ આપવામાં વિક્રમ કર્યો છે.

સુરત અને ગુજરાતની બેંકોએ ગત હિસાબી વર્ષમાં સાધેલી પ્રગતિ અંગે મળતી માહિતી મુજબ 31મી માર્ચ 2021ના રોજ પૂરા થયેલા હિસાબી વર્ષમાં સુરતની વરાછા બેંકે કુલ 2200.47 કરોડની થાપણો (ફિક્સ ડિપોઝીટ્સ) મેળવી હતી. તા.31મી માર્ચ 2022ના રોજ પૂરા થયેલા વર્ષ દરમિયાન આ બેંકે થોપણો મેળવવામાં 16.87 ટકાના ગ્રોથ સાથે કુલ 2571.76 કરોડની થાપણો મેળવીને લોકોનો વિશ્વાસ કેળવ્યો છે. થાપણો મેળવવામાં 16.87 ટકા ગ્રોથ આખા રાજ્યની તમામ સહકારી બેંકો પૈકી કોઇ બેંક હાંસલ કરી શકી નથી.

વરાછા બેંકે થાપણો મેળવવામાં ગ્રોથરેટ તો હાંસલ કર્યો છે પરંતુ, રૂપિયાની દ્રષ્ટીએ પણ સૌથી વધુ રૂ.371.29 કરોડની થાપણો મેળવીને સમગ્ર સુરતમાં પહેલો ક્રમ હાંસલ કર્યો છે.

એવી જ રીતે એડવાન્સીઝ, ધિરાણ (લોન-ફાઇનાન્સ)ની વાત કરીએ તો પ્રાઇમ કો.ઓ.બેંકે મેદાન માર્યું છે. મળતી માહિતી મુજબ પ્રાઇમ બેંક ધિરાણ આપવામાં અગાઉના વર્ષની તુલનાએ તાજેતરમાં પૂર્ણ થયેલા હિસાબી વર્ષ દરમિયાન 32.52 ટકાનો ગ્રોથ હાંસલ કર્યો છે. પ્રાઇમ બેંકે 2020-21માં કુલ 840.75 કરોડનું ધિરાણ કર્યું હતું જ્યારે 2021-22માં 1162.93 કરોડનું ધિરાણ કર્યું છે. પ્રાઇમ બેંક ન સિર્ફ સુરતમાં બલ્કે સમગ્ર રાજ્યમાં ધિરાણ આપવામાં સૌથી વધુ ગ્રોથ રેટ હાંસલ કરનારી બેંક બની છે.

ગુજરાતની સહકારી બેંકોનું 2021-22 હિસાબી વર્ષનું સરવૈયુ

થાપણો અને ધિરાણ બન્નેમાં પીપલ્સ બેંક ત્રીજા ક્રમે

સુરત સૌથી જૂની અને મોટી જ બેંક નહીં બલ્કે ગુજરાત અને હવે તો મલ્ટી સ્ટેટ શિડ્યુલ્ડ બેંક બની ચૂકેલી સુરત પીપલ્સ કો.ઓ. બેંક તાજેતરમાં પૂર્ણ થયેલા 2021-22ના હિસાબી વર્ષમાં થાપણો મેળવવામાં અને ધિરાણ આપવામાં વરાછા બેંક, પ્રાઇમ બેંક પછી ત્રીજા ક્રમે ઉતરી ગઇ છે. 2020-21ની તુલનામાં 2021-22માં પીપલ્સ બેંકની થાપણો (ફિક્સ્ડ ડિપોઝીટ)માં ફક્ત 1.43 ટકાનો ગ્રોથ એટલે કે સમગ્ર વર્ષ દરમિયાન પીપલ્સ બેંક અગાઉના વર્ષ કરતા ફક્ત રૂ.75.43 કરોડની જ થાપણો મેળવી શકી છે. તેની સરખામણીએ વરાછા બેંકને 371.29 કરોડની વધુ થાપણો અને પ્રાઇમ કો.ઓ. બેંકને 156.98 કરોડની વધુ થાપણો તેમના આગલા વર્ષના પરફોર્મન્સની સરખામણીએ મળી છે. એવી જ રીતે પીપલ્સ બેંક ધિરાણ આપવામાં પણ પછડાઇને ત્રીજા ક્રમે સરકી ગઇ છે. પીપલ્સ બેંકે ધિરાણ આપવામાં 12.33 ટકા ગ્રોથ કર્યો છે. જ્યારે પ્રાઇમ કો.ઓ. બેંકે 32.52 ટકા અને વરાછા બેંકે 18.04 ટકા ગ્રોથ અગાઉના વર્ષના ધિરાણમાં મેળવ્યો છે.

આખા ગુજરાતની સહકારી બેંકોનું 2021-22ના હિસાબી વર્ષનો તુલનાત્મક અભ્યાસ

April 2, 2022
chaitra.jpg
1min511

શક્તિ ઉપાસના, શક્તિ સંચયના પર્વ ચૈત્ર નવરાત્રિનો આજરોજ તા.2 એપ્રિલ 2022થી પ્રારંભ થયો છે. આ ઉપરાંત આજે મરાઠીઓના નવા વર્ષ ગૂડી પડવા, સિંધીઓના નવા વર્ષ ચેટી ચંડની પણ ગુજરાતભરમાં હર્ષોલ્લાસભેર ઉજવણી થઇ રહી છે. આ જ દિવસે બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી હોવાથી તેને સૃષ્ટિનો પ્રારંભ દિન પણ કહેવામાં આવે છે.

કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી ચૈત્ર નવરાત્રિ દરમિયાન ભક્તોને ઘરેથી માતાની આરાધના કરવી પડી હતી. પરંતુ હવે કોરોનાના કેસમાં ઘટાડો થતાં ચૈત્રિ નવરાત્રિ દરમિયાન શક્તિપીઠ અંબાજી, પાવાગઢ, ચોટીલા, બહુચરાજી, અમદાવાદના નગરદેવી ભદ્રકાળીમાં  સહિતના મંદિરોમાં વિશિષ્ટ અનુષ્ઠાન સહિત વિશિષ્ટ આયોજનો કરવામાં આવ્યા છે.

આજે વહેલી સવારથી માઇ મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હોવાના અહેવાલો મળ્યા છે. હિંદુ ધર્મશાસ્ત્રોમાં આસો, મહા, ચૈત્ર, અષાઢ એમ ચાર નવરાત્રિનો મહિમા ગાવામાં આવ્યો છે. જેમાં શક્તિ ઉપાસના માટે શરદ તુ, વસંત તુના અનુક્રમે આસો, ચૈત્રની નવરાત્રિને વધુ ફળદાયી માનવામાં આવી છે.

ચૈત્ર નવરાત્રિમાં પણ દેવીશક્તિની ઉપાસના, અનુષ્ઠાન કરવામાં આવે છે. શાસ્ત્રોમાં નવરાત્રિને માતાજીની ઉપાસનામાં શીધ્ર ફળદાયી ગણવામાં આવી છે. આદિ અનાદિકાળથી નવરાત્રિમાં શક્તિ આરાધનાનો વિશેષ મહિમા વર્ણવવામાં આવ્યો છે. સામાન્ય દિવસોની તુલનાએ નવરાત્રિમાં શક્તિ આરાધનાનું અનેકગણું ફળ પ્રાપ્ત થાય છે.

April 1, 2022
k2-1.jpeg
1min1047

સમગ્ર દેશમાં જ નહીં પણ દુનિયાભરમાં ચર્ચાસ્પદ બનેલી બોલીવુડની ફિલ્મ કાશ્મીર ફાઇલ્સ થીમની સાડીઓ પણ હવે ટેક્ષટાઇલ નગરી સુરતમાં ઉત્પાદિત થવા માંડી છે. સુરતના જ એક સાડી ઉત્પાદક કમ વિક્રેતા વિનોદ સુરાનાએ કાશ્મીર ફાઇલ્સના પોસ્ટર્સ સાથેની કલરફૂલ સાડી તૈયાર કરી છે જેને આજે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે લોંચ કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ સુરતના ટેક્ષટાઇલ માર્કેટ વિસ્તારમાં અશોકા ટાવરમાં સાડીના વિક્રેતા વિનોદ સુરાનાએ અગાઉ ઉત્તર પ્રદેશની ચૂંટણી વખતે મોદી યોગીના ફોટાવાળી સાડીઓ તૈયાર કરીને ઓર્ડર પ્રમાણે તેનું વેચાણ પણ કર્યું હતું. તેમણે કારગીલ યુદ્ધ થીમ પર પણ સાડીઓ બનાવીને બજારમાં મૂકી હતી. સાડીઓ પર વર્તમાન ટ્રેન્ડ અને થીમને આકાર આપતા ક્રિએટીવ સાડી ઉત્પાદક કમ વિક્રેતા વિનોદ સુરાનાએ હવે હાલ ચાલી રહેલી કાશ્મીર ફાઇલ્સની થીમ પર એક કલરફુલ સાડી તૈયાર કરી છે. સાડી પર કાશ્મીર ફાઇલ્સ ફિલ્મના જુદા જુદા પોસ્ટર્સને આકર્ષક રીતે પ્રિન્ટ કરવામાં આવ્યા છે અને મહિલાઓને જોઇને જ ગમી જાય તેવી સાડી તૈયાર કરી છે.આજે સુરતમાં તૈયાર થયેલી કાશ્મીર ફાઇલ્સ સાડીની પ્રિન્ટને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે લોંચ કરવામાં આવી હતી. સી.આર. પાટીલે પણ કાશ્મીર ફાઇલ્સ થીમ પર સાડીના કન્સેપ્ટને રચનાત્મક ગણાવીને ઉત્પાદકોને શુભેચ્છા પાઠવી હતી.