2019ના વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ આજરોજ તા.26 ડિસેમ્બર 2019ને સવારે પોણા અગિયાર વાગ્યાના ભારતીય સમય અનુસાર પૂર્ણ થયું હતું. વર્ષ-૨૦૧૯નું છેલ્લું સૂર્યગ્રહણને લઇને ભારતમાં આધ્યાત્મિક, પરંપરાગત, વૈજ્ઞાનિક એમ અલગ અલગ દ્રષ્ટીએ લોકોએ જોયું જાણ્યું હતું.
આજે ગુરુવાર તા.૨૬ ડિસેમ્બરે ચાલુ વર્ષનું પાંચમુ અને અંતિમ ગ્રહણ, ખંડગ્રાસ સૂર્યગ્રહણનો અદભૂત નજારો આકાશમાં જોવા મળ્યો હતો. આ પહેલા આ વર્ષમાં બે સૂર્યગ્રહણો (સોનાર ઈેક્લિપ્સ) અને બે ચંદ્રગ્રહણો (લુનાર ઈક્લિપ્સ) થયા છે. સમગ્ર ભારતમાં વધતા ઓછા અંશે દેખાનાર આ સૂર્યગ્રહણ ગુજરાતમાં સવારે ૮ કલાક ૪ મિનિટ ૪૦ સેકન્ડે શરૂ થયું હતું, સવારે ૯.૧૯ વાગ્યે તે મહત્તમ દેખાયું હતું અને ૧૦ ક.૪૮ મિ.૪૦ સેકન્ડે પૂર્ણ થયું હતું.
ગ્રહણનું કોઇ શૂતક ના લાગે, વિજ્ઞાન જાથા
વિજ્ઞાન જાથાએ જણાવ્યા મૂજબ ગ્રહણથી કોઈ સૂતક લાગતા નથી અને આ બધી ગેરમાન્યતાઓ ચાલી આવે છે તેના ખંડનનો કાર્યક્રમ પણ યોજાયો છે. તેણે અપીલ કરી હતી કે ગ્રહણ વખતે રાંધેલા ખોરાકને બહાર નહીં ફેંકી દેતા ભુખ્યા લોકોને જમાડવા જોઈએ. તો બીજી તરફ ગ્રહણ અન્વયે આપત્તિ સહિતની આગાહીઓ પણ થઈ હતી અને લોકો આ દિવસે પરંપરાગત રીતે કેટલીક વિધિઓ કરતા રહ્યા છે.
વધુમાં ગુજરાતમાં સૌથી વધુ ૨ ક. ૪૮ મિ.માટે સૂર્યગ્રહણનો સમય (પૂણ્યકાળ) સુરતમાં રહ્યો હતો. જ્યારે રાજકોટમાં ૨ક. ૪૪ મિ. ૨૮ સેકન્ડ અને એ રીતે અમદાવાદ ૨ઃ૪૫ઃ૫૭, જુનાગઢમાં ૨:૪૪ઃ૪૮, જામનગરમાં ૨ઃ૪૩ઃ૧૬, પોરબંદરમાં ૨ઃ૪૩ઃ૨૯, વેરાવળમાં ૨ઃ૪૫ઃ૦૪ સે.સુધી દેખાયું હતું. આ રીતે સૂર્યગ્રહણ શરુ થવાના સમયમાં પણ એક બે મિનિટનો ફરક રહ્યો હતો. જેમાં દ્વારકા, જુનાગઢ, પોરબંદર, વેરાવળ ખાતે ૮.૦૩ વાગ્યે, રાજકોટ, જામનગર, ભાવનગર, ભૂજ ,મુંબઈ ખાતે ૮ઃ૦૪ વાગ્યે, સુરેન્દ્રનગર, સુરત, ખાતે ૮ઃ૦૫ વાગ્યે, અમદાવાદમાં ૮ઃ૦૬ વાગ્યે ગ્રહણ શરુ થશે તો દિલ્હીમાં ૮ઃ૧૭ વાગ્યે આરંભ થયો હોવાના અહેવાલો મળ્યા હતા.
વધુમાં જણાવાયા મૂજબ ચંદ્ર દ્વારા સૂર્યનો જે ભાગ ઢંકાયો હતો તેમાં રાજકોટ, જુનાગઢ ખાતે મહત્તમ ૭૯ ટકા ભાગ સવારે ૯.૧૯ વાગ્યે. તો અમદાવાદમાં મહત્તમ ૭૨ ટકા ભાગ પણ આ જ સમયે ઢંકાયેલો નજરે પડયો હતો. આમ, રાજકોટ,જુનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં સૂર્યગ્રહણ વધુ માત્રામાં જોવા મળી હતી.
આ ગ્રહણ ભારત ઉપરાંત સમગ્ર એશિયા,આફ્રિકા ખંડો, ઈથોપિયા, કેન્યા, ઓસ્ટ્રેલિયા વગેરે દેશોમાં દેખાયું હતું. જેનો વૈજ્ઞાાનિકો સઘન અભ્યાસ કર્યો હતો. ગ્રહણને નરી આંખે કે ફિલ્ટર ચશ્મા પહેર્યા વગર જોવું તે આંખ માટે અતિ જોખમકારક છે અને લોકોએ આ રીતે ગ્રહણ અર્થાત્ સૂર્ય સામે નજર કરવાનું ટાળવું જોઈએ એવી જાગૃતિ પણ જોવા મળી હતી.
પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર આવતા ચંદ્રનો પડછાયો સૂર્ય પર પડતા સૂર્યગ્રહણ
થાય છે અને ગુરુવારે સૂર્યગ્રહણમાં સૂર્ય સો ટકા ઢંકાવાનો નથી ત્યારે સૂર્ય સળગતી
વિંટી જેવો કે બંગડી (કંકણ) જેવો નજરે પડશે તેથી તેને કંકણાકૃતિ ખંડગ્રાસ
સૂર્યગ્રહણ પણ કહે છે.
ગુરુવાર ૨૬ ડિસેમ્બરને માગશર વદ અમાસના દિવસે સૂર્યગ્રહણ છે. જોકે, મુંબઇ સહિત ભારતના દક્ષિણના પ્રદેશોમાં આંશિક સૂર્યગ્રહણ જ દેખા દેશે. મતલબ કે ચંદ્રમા, પૃથ્વી અને સૂર્યની વચ્ચે તો આવશે પણ સૂર્યને પૂરેપૂરા ઢાંકી શકશે નહીં. મુંબઇની વાત કરીએ તો આ આંશિક સૂર્યગ્રહણ સવારે ૮-૦૪ વાગે શરૂ થશે અને ૧૦-પપ સુધી દેખા દેશે.
આ નિમિત્તે આપણે સૂર્યગ્રહણ વિશે જાણીએ. તેની પાછળ કુદરતનો શો હેતુ હશે. ગ્રહણને ધર્મ સાથે કેમ જોડી દેવામાં આવ્યું હશે. ગ્રહણનું ખગોળ અને વિજ્ઞાન શું છે. તેના વિશે પૌરાણિક માન્યતાઓ શું છે. તેના ફાયદા અને ગેરફાયદા કયા કયા તે વિશે થોડી જાણકારી મેળવીએ.
કોઈ પણ વસ્તુ કે સિસ્ટમનું સર્જન થાય એ પૂરતું નથી, પણ પછી એ કાયમી કાર્યરત રહે છે કે નહિ એટલે કે મેઈનટેઈન રહે છે કે નહિ એ જોવું પણ ઘણું અગત્યનું છે. નવી કાર લીધી હોય અને એને મેઈનટેઈન રાખી હોય તો અંદર બેસનારા સુખેથી પ્રવાસ કરી શકે છે. એ જ રીતે પૃથ્વીનું સર્જન થયું પછી એને મેઈનટેઈન રાખવી પડે. આ માટે કુદરતે ઘણા વિકલ્પ પોતાની પાસે રાખ્યા છે, જેમ કે ચોમાસામાં વરસાદના પાણીથી વાતાવરણ તેમ જ પૃથ્વીની અશુદ્ધિઓને ધોવી, શિયાળામાં વાયુસ્નાન કરાવવું અને તેથી પણ કંઈ બાકી રહી ગયું હોય તો ઉનાળામાં સૂર્યનાં પ્રખર કિરણો પૃથ્વીને હાનિકારક તત્ત્વો કે જંતુઓથી મુક્ત કરે છે. આમ, કુદરતની રચના એવી રીતે ગોઠવાયેલી છે કે પૃથ્વી અને પૃથ્વીવાસીઓ સુખેથી રહે.
ગ્રહણ આમાં શી ભૂમિકા ભજવે છે?
તમે બસમાં પ્રવાસ કરતા હોવ ત્યારે કંડક્ટર તમે ટિકિટ લીધી છે કે નહિ તે ચૅક કરે છે, પરંતુ કેટલાક મુસાફર યુક્તિ કરીને વગર ટિકિટે મુસાફરી કરતા હોય છે અથવા બસ કંટક્ટરનું ગિરદીમાં બધે ધ્યાન નથી હોતું તેનો લાભ લઈ ટિકિટ લીધા વગર મુસાફર પોતાનું સ્ટોપ આવે ત્યારે પાછલે દરવાજેથી ઊતરી જતા હોય છે. આવા ખુદાબક્ષો ક્યારેક બસસ્ટોપ પર ઊભેલા ટિકિટચૅકરો દ્વારા પકડાઈ જતા હોય છે અને દંડ ભરવો પડતો હોય છે. આ જ રીતે શુદ્ધિકરણની ક્રિયામાંથી છટકી ગયેલા જીવજંતુને પડકારવા ગ્રહણ સુપર ચૅકિંગ માસ્ટર બનીને આવે છે. ઘણાય એવા વિષાણુ પૃથ્વી પર છે, જ્યાં સૂર્યનાં કિરણો પણ પહોંચી શકતાં નથી અથવા તો પહોંચવા છતાંય એનો સફાયો કરી શકવાની ક્ષમતા હોતી નથી. આવી જગ્યાએ ગ્રહણ વખતે વછૂટેલાં કિરણો કામ આવે છે. એ કેવી રીતે તે હવે આપણે જોઈએ.
કુદરતનો યોગાનુયોગ કે પરમશક્તિની કૃપા?
સામાન્ય રીતે આપણને પૃથ્વી પરથી સૂર્ય અને ચંદ્રમાં એકદમ સરખા જ લાગે છે, પરંતુ વાસ્તવમાં સૂર્ય ચંદ્રથી ઘણો જ મોટો છે, પણ પૃથ્વીથી ઘણો જ દૂર હોઈ અને ચંદ્ર પૃથ્વીથી ઘણો જ નજીક હોઈ બેઉના કદ સરખા દેખાય છે. વૈજ્ઞાનિકો જેને કુદરતી યોગાનુયોગ કહે છે કે પછી આપણે એને પ્રભુની કૃપા કહીએ, પણ પૃથ્વીથી સૂર્ય અને ચંદ્રનું અંતર અને કદ એ પ્રમાણે ગોઠવાયેલાં છે કે જો ચંદ્ર, પૃથ્વી અને સૂર્યને જોડતી સીધી લીટીમાં બરાબર વચ્ચે ગોઠવાઈ જાય તો સમગ્ર સૂર્ય ઢંકાઈ જાય. બસ, આ સ્થિતિને જ પૂર્ણ સૂર્યગ્રહણ કહેવાય છે. હવે આ સ્થિતિને પરમશક્તિની કૃપા એટલા માટે કહી છે કે સૂર્યનાં કિરણો ચંદ્ર સાથે અથડાઈને તેની કિનારીએથી વધુ વેગવાળાં અને વધુ તીવ્રતા પ્રાપ્ત કરી વછૂટે છે અને સોનાની વીંટી જેવું દૃશ્ય આપણને આકાશમાં દેખાય છે. દડા જેવી કિનારી પર અથડાંતાં કિરણો ડિફ્લેક્ટ થઈ સીધા કિરણોની સાથે ભળી તેમની ગીચતામાં વધારો કરે છે. પરિણામે તેઓ દબાણ અનુભવે છે અને તેમની તીવ્રતામાં વધારો થાય છે. ઙજ્ઞૂયિ = ઋજ્ઞભિય ડ્ઢ ટયહજ્ઞભશિું. (સંદર્ભ: હયતતજ્ઞક્ષ ૬, તમિં. ડ જભશયક્ષભય, ખફવફફિતવિિંફ ઇજ્ઞફમિ.) આવાં કિરણો સૂર્યનાં કિરણોથી પણ વધુ દૂર સુધી જઈ શકે છે અને તેમની તીવ્રતા એટલી બધી હોય છે કે સૂર્યકિરણો જેને ન હંફાવી શક્યાં હોય તેવા વિષાણુઓનો સફાયો આવાં કિરણો કરે છે અને પૃથ્વીને ખરા અર્થમાં ‘સાફ’ રાખે છે. આ વાત સમજવા એક દૃષ્ટાંત જોઈએ.
બાગ-બગીચામાં પાઈપ વડે પાણી પાતા માળીને તો તમે જોયો જ હશે. માળી નજીકના છોડને પાણી પહોંચાડવા તે પોતાના અંગૂઠા કે આંગળીઓ વડે પાઈપનું મોં સાંકડું કરે છે. આ રીતે પાણી પર દબાણ વધારી વધુ તીવ્રતાથી અને વધુ દૂર સુધી પહોંચાડી શકે છે. ઘણી વાર કોઈક જિદ્દી આંદોલનકારી જો રસ્તો રોકીને બેઠા હોય તો એમને હટાવવા માટે સત્તાવાળાઓ ભારે દબાણવાળી પાઈપથી પાણીનો મારો ચલાવે છે. આથી કોઈને શારીરિક ઈજા થતી નથી, પરંતુ પાણીના આવા દબાણથી તેમને એ સ્થળ છોડવાની ફરજ પડે છે. બસ આ જ રીતે સૂર્યમાંથી સતત કિરણો નીકળતાં જ હોય છે, પરંતુ જ્યારે ચંદ્ર વડે તેમનો રસ્તો અવરોધાય ત્યારે તેઓ પ્રચંડ દબાણ અનુભવે છે, પછી ચંદ્રની કિનારીએથી વધુ છાકટા થઈને વછૂટે છે જેમાં તેમની ગતિ અને તેમની તીવ્રતા વધી જાય છે, આમ, જ્યાં ન પહોંચી શકે સૂર્યનાં કિરણો ત્યાં પહોંચી જાય છે ગ્રહણનાં કિરણો. વળી, કુદરતની કળા તો જુઓ કે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વીની ભ્રમણકક્ષા એવી રીતે ગોઠવાઈ છે કે દર વર્ષે અલગઅલગ જગ્યાએ અને જુદા જુદા સમયે સંપૂર્ણ સૂર્યગ્રહણ કે આંશિક સૂર્યગ્રહણ થતાં રહે છે. ટૂંકમાં પૃથ્વીનો કોઈ પણ ભાગ સાફસફાઈથી વંચિત ન રહી જાય તેનું ખૂબ જ ધ્યાન રખાયું છે.
મહાભારત અને ગ્રહણ
આપણા વેદ, ઉપનિષદ, રામાયણ, ભાગવતપુરાણ બધે ગ્રહણોનો ઉલ્લેખ થયો છે, પરંતુ મહાભારતમાં ગ્રહણને એક પ્રસંગમાં જે રીતે ટાંકીને રજૂ કરાયું છે તે ખૂબ જ રસપ્રદ છે. જ્યારે જયદ્રથ અભિમન્યુને ચક્રવ્યૂહમાં ફસાવી અધર્મથી મારી નાખે છે, ત્યારે ક્રોધિત થયેલા અર્જુને સૂર્યોદય સાથે આરંભાતા યુદ્ધમાં પ્રથમ જ પ્રતિજ્ઞા લે છે કે ‘આજના દિવસભરના યુદ્ધમાં જો હું જયદ્રથને ન મારી શકું તો સૂર્યાસ્ત સમયે પોતે ચિતા પ્રકટાવી બળી મરશે.’ આ વાતની જાણ થતાં જયદ્રથ તરત જ ગુપ્ત જગ્યાએ સંતાઈ જાય છે. અર્જુન અને કૃષ્ણ તેને શોધવા આકાશપાતાળ એક કરે છે, પરંતુ જયદ્રથનો પત્તો લાગતો નથી. કૃષ્ણ ચોસઠ વિદ્યામાં પ્રવીણ હતા તેમાંની એક વિદ્યા એટલે ખગોળ અને જ્યોતિષશાસ્ત્ર. ક્યા દિવસે સંપૂર્ણ સૂર્યગ્રહણ છે એની કૃષ્ણને સંપૂર્ણ જાણકારી હતી. વાર્તામાં એમ આવે છે કે શ્રીકૃષ્ણે સૂર્ય અસ્ત થાય તેના પહેલાં જ પોતાના સુદર્શન ચક્ર વડે સૂર્યને ઢાંકી દીધો. હકીકતમાં ચંદ્રે સૂર્યને ઢાંકી દીધો હતો. આ વખતે દિવસ હોવા છતાં અંધારું છવાઈ ગયું અને અર્જુને ચિતામાં પ્રવેશવાની તૈયારી કરી. હવે અર્જુન પોતાનું કંઈ નહિ બગાડી શકે એવા વિશ્ર્વાસથી જયદ્રથ પણ ભૂગર્ભમાંથી અર્જુનની અગ્નિસમાધિ જોવા બહાર નીકળ્યો. બરાબર આ જ સમયે ગ્રહણ પૂરું થયું. ચંદ્ર સૂર્યના માર્ગમાંથી હટી ગયો અને સર્વત્ર પાછો ઉજાસ ફેલાઈ ગયો. આ અજવાળામાં અર્જુને અધર્મી જયદ્રથને જોયો અને તેને હણી નાખ્યો. આ વાર્તાને શ્રી વ્યાસમુનિએ મહાભારતમાં રૂપકથી રજૂ કરી છે, પરંતુ આજના વૈજ્ઞાનિક યુગમાં એમ કહી શકાય કે શ્રીકૃષ્ણ અને અર્જુનની શક્તિ પણ જ્યાં ઓછી પડી ત્યાં ‘ગ્રહણ’ કામમાં આવી ગયું. બસ, આ જ રીતે જળ, વાયુ કે સૂર્યદેવ જે ને કરી શકે તે શુદ્ધિકરણનું કાર્ય ‘ગ્રહણ’ કરી શકે છે.
ગ્રહણના કાયદા અને ફાયદા
ઘણા લોકો ગ્રહણથી ગભરાતા હોય છે, તો ઘણા લોકો ગ્રહણને અશુભ માનતા હોય છે, પરંતુ ગ્રહણ વખતે અમુક કાયદા પાળે તો એ અશુભ નહિ, પણ શુભ બની તમને ઘણા ફાયદા કરાવી શકે છે.
ગ્રહણને અને ખાસ કરીને સૂર્યગ્રહણને નરી આંખે ન જોવાનું આપણાં શાસ્ત્રોમાં કહ્યું છે, તેને આજનું વિજ્ઞાન પણ સમર્થન આપે છે. અગાઉ જોયું તેમ ચંદ્રની કિનારી પરથી માત્ર વીંટી જેટલા ક્ષેત્રફળમાંથી છૂટતાં કિરણો વધારે તેજસ્વી હોય છે. સૂકા ભેગું ક્યારેક થોડું લીલું પણ બળી જાય એમ હઠીલા વાયરસને સંહારવા જતાં કિરણોના માર્ગમાં આપણે આવી જઈએ તો આપણે ખાસ કરીને શરીરનાં નાજુક અને કોમળ અંગોને નુકસાન થઈ શકે છે, જેમ કે આંખ અને ગર્ભવતી સ્ત્રીના ગર્ભને. માટે જ નરી આંખે સૂર્યગ્રહણને ન જોવું જોઈએ. આ જ રીતે ગર્ભવતી સ્ત્રીઓએ પણ આ સમય દરમિયાન બહાર ન નીકળવું જોઈએ જેથી ગર્ભ પર કોઈ ખરાબ અસર ન થાય.
ગ્રહણમાં મંત્રજાપ, સ્નાન અને દાનનો નિયમ આપણાં શાસ્ત્રોમાં છે. તે પણ ઘણો જ વૈજ્ઞાનિક અભિગમ છે.
ગ્રહણ પૃથ્વી અને વાતાવરણને એટલું સાફ કરે છે કે તમારા મંત્રનાં મોજાં કોઈ પણ ટ્રાફિકના અવરોધ વગર પરમશક્તિ સુધી પહોંચી શકે છે. ગ્રહણ દરમિયાન નીકળતાં કિરણો પાણીમાં છેક ઊંડે સુધી પહોંચી પાણીને નિર્મળ અને શુદ્ધ બનાવે છે. કેટલાક જ્યોતિષીઓના મત મુજબ ગ્રહણથી નદી અને તળાવનાં પાણી ગંગાનાં પાણી જેટલી જ શુદ્ધતા અને પવિત્રતા મેળવે છે. આથી ગ્રહણ દરમિયાન નહિ, પરંતુ ગ્રહણ પૂર્ણ થયા બાદ શુદ્ધ થયેલા વાતાવરણમાં બહાર નીકળી અને નદી-તળાવના શુદ્ધ પાણીમાં સ્નાન કરી શારીરિક અને માનસિક લાભ મેળવી શકાય છે.
આવા દિવ્ય વાતાવરણમાં ગરીબ અને વંચિત લોકોને આપેલું દાન આપણા પૂર્વજો અને પરમશક્તિ સુધી ઝડપથી પહોંચીશકે છે. એટલા માટે જ ગ્રહણ છૂટ્યા પછી દાનનો વિશેષ મહિમા છે. ભાગવતમાં જણાવ્યા પ્રમાણે પહેલાંના તવંગર રાજા-મહારાજાઓ ગ્રહણ પત્યા પછી સ્નાનાર્થે બહાર નીકળતા અને ગરીબોને દાન કરતા હતા.
ગ્રહણ અને દર્ભ
ઘણા કાયદા પાળવા છતાં પણ ગ્રહણમાંથી છૂટતાં નટખટ કિરણો ઘરની અંદર પ્રવેશી રાંધેલી રસોઈને બગાડી શકે છે. બને ત્યાં સુધી બનાવેલી રસોઈનો નિકાલ કરવો જરૂરી હોય છે અને શક્ય પણ હોય છે, પરંતુ અનાજ કે કઠોળમાં ગ્રહણની ખરાબ અસર ન થાય તે માટે દર્ભ તેમાં મૂકતા હોય છે, કારણ કે દર્ભ ગ્રહણના શક્તિશાળી વેવ્ઝનું અપાકર્ષણ કરે છે અને અનાજને વિકાર પામતું અટકાવે છે.
ગ્રહણ અને રસોઈ
ગ્રહણમાં વછૂટતાં કિરણો વિષાણુ મારવાની શક્તિ ધરાવે છે તે રાંધેલી રસોઈમાંના વિષાણુને પણ મારી શકે છે, પણ સાથે સાથે રાંધેલી રસોઈને પણ વિકૃત કરી બેસે છે. ગ્રહણથી વાતાવરણ અને પાણી વધુ શુદ્ધ થાય છે, પણ રાંધેલી રસોઈ બગડી જાય છે. આની પાછળ વૈજ્ઞાનિક તથ્ય રહેલું છે તેને આપણે વિગતવાર જોઈએ.
આજનું વિજ્ઞાન પણ કહે છે કે પાણી અને વાયુના અણુઓ એકબીજાથી દૂરના અંતરે હોય છે, જ્યારે ઘનપદાર્થના અણુઓ એકબીજાથી ઘણા નજીક હોય છે. ગ્રહણનાં કિરણો પાણી અને વાયુમાંથી તો આસાનીથી પસાર થઈ શકે છે, પણ અડફેટમાં આવતા વિષાણુઓને મારી નાખે છે. આ કિરણો પસાર થઈ ગયા પછી સ્થિતિસ્થાપકતા ગુણના લીધે હવા અને પાણીના અણુઓ આપમેળે જોડાઈ જાય છે અને વિકૃત પામતા નથી. પરંતુ ઘનપદાર્થમાં અણુઓ ગીચોગીચ હોય તેમને ખસવાની જગ્યા જ નથી મળતી અને તેથી તે ગ્રહણનાં કિરણોેની અડફેટમાં આવી જઈ વિકૃત થાય છે. દા.ત. એક ધારદાર તલવાર હવા અને પાણીમાં વીંઝાય તો તેમને કોઈ નુકસાન થતું નથી, પણ તલવારની અડફેટમાં ઘનપદાર્થ (પૃથ્વી તત્ત્વ) આવે તો તેની સપાટી પરના અણુઓને નુકસાન થાય છે. આ જ રીતે ગ્રહણનાં કિરણોથી હવા અને પાણી વિકૃત થતાં નથી, પણ રાંધેલી રસોઈમાંનું ઘન તત્ત્વ (દાળ, ભાત, શાક, રોટલી વગેરે) વિકૃત બને છે.
અહીં બીજી એક વાતની સ્પષ્ટતા કરી લઈએ કે સૂકા અનાજ કે કઠોળમાં પણ પૃથ્વી તત્ત્વ રહેલું છે, પરંતુ તે રાંધેલી રસોઈ જેવા પોચા કે નરમ નથી હોતા. તેથી ગ્રહણના કિરણો રાંધેલી રસોઈની છેક અંદર સુધી ઘૂસીને જેટલી બગાડી શકે છે તેટલો બગાડ-વિકૃતિ અનાજ કે કઠોળના કઠણ દાણામાં નથી આવતી, છતાં પણ તેમની બાહ્ય સપાટીને વિકૃત થતા બચાવવા દર્ભનો ઉપયોગ કરવાનું અગાઉ આપણે જાણ્યું. આમ છતાં પણ થોડી ઘણી વિકૃતિ પ્રવેશી હોય તો તે રાંધવાના સમયે અગ્નિ તત્ત્વથી દૂર થઈ જાય છે.
ગ્રહણનાં કિરણોથી રાંધેલા અન્નમાં રહેલું પૃથ્વી તત્ત્વ વિકૃત થવાથી તે બગડી જાય છે. હવે તે કેટલા પ્રમાણમાં બગડે તે ગ્રહણનો પ્રકાર, ગ્રહણનું સ્થાન જેવી બાબતો પર આધાર રાખે છે અને આવું અન્ન (ભોજન) ખવાથી કેટલા જણાં બીમાર પડી શકે કે કેટલા પ્રમાણમાં બીમાર પડી શકે તે પણ દરેક વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ પર આધાર રાખે છે, પણ એક વાત તો સાચી જ છે કે આવી રસોઈ ન ખાવાથી તમે ૧૦૦ ટકા સલામત રહી શકો છો, પરંતુ ખાવાથી તમારા આરોગ્ય જોખમવાની શક્યતા ૧૦ ટકાથી ૧૦૦ ટકા સુધી વિસ્તરી શકે છે, તો રાંધેલી રસોઈ આપણાં શાસ્ત્રોમાં ખાવાનો નિષેધ કરેલો છે તેમાં ખોટું શું છે?
મહાભારત કાળના અશ્વમેઘ યજ્ઞ બાદનો સૌથી મોટો મહાયજ્ઞ
ઊંઝા ખાતે ઉમિયા માતાજીના સાંનિધ્યમાં આજરોજ બુધવાર તા. ૧૮થી ૨૨ ડિસેમ્બર દરમિયાન ચાલનારા બ્રહ્માંડના મહાભારત કાળના અશ્વમેઘ પછીના સૌથી મોટા યજ્ઞ લક્ષચંડી મહાયજ્ઞનો દબદબાભેર પ્રારંભ કરવામાં આવ્યો છે. આ મહોત્સવમાં ગુજરાત સહિત દેશભરમાંથી ૫૦ લાખથી વધુ ભક્તો મા ઉમાનાં દર્શનાર્થે આવશે. સૂરત સમેત સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી પાટીદારો લક્ઝરી બસો ભરીને તેમજ પ્રાઇવેટ વાહનોમાં મોટી સંખ્યામાં ઉંઝા પહોંચી ચૂક્યા છે.
માઈભક્તોની સેવા માટે સ્વયંસેવકો અધીરા બન્યા છે. આ મહોત્સવમાં આવનાર દરેક ભક્ત ઊંઝાના પ્રખ્યાત લાડુનો પ્રસાદ લે એવી ભોજન વ્યવસ્થા કરાઈ છે, જેને પહોંચી વળવા ઉમિયાનગરમાં બનાવેલી ખાસ ભોજનશાળામાં છેલ્લા ચાર દિવસથી ચોખ્ખા ઘીના લાડુ બનાવવાની કામગીરી રાત-દિવસ ચાલી રહી છે. લક્ષચંડી મહાયજ્ઞમાં ૨૫૦ જેટલા રાજપુરોહિતો દિવસ-રાત ભોજન પ્રસાદ તૈયાર કરશે.
દર્શન માટે કરાયું છે ખાસ આયોજન
લક્ષચંડી યજ્ઞ દરમિયાન દર્શન માટે આવનારા ભક્તોને કોઈ પ્રકારની અગવડ ન પડે અને તેઓ કોઈ મુશ્કેલી વિના સરળતાથી દર્શન કરી શકે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ પાંચ દિવસ દરમિયાન રાત્રે 3.30થી 5.30 એમ બે કલાક સિવાય માતાજીનું મંદિર દિવસ-રાત ખુલ્લું રહેશે. 1 મિનિટમાં 480 લોકો દર્શન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 1 લાઈનમાં એક મિનિટમાં 60 લોકો દર્શન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે. આ પ્રકારની 8 લાઈનની વ્યવસ્થા કરાઈ છે. આમ, એક દિવસમાં 5.60 લાખ લોકો દર્શન કરી શકે તેવું આયોજન કરાયું છે.
ઉંઝા માતાજીનું મંદિર
ઊંઝા શહેરના મોટા માઢ મોલ્લોત ચોરા ખજૂરી પોળમાં માતાજીનું મૂળ સ્થાન ગાંખ આવેલું છે. જેનું ખૂબ જ ઐતિહાસિક મહત્વ છે. ઉમિયા માતાજીની ગાથા મુજબ મધ્ય એશિયાથી આવેલા આર્યો પંજાબ અને રાજસ્થાન થઈ ઈસ પૂર્વ 1200થી 1250ના ગાળામાં ગુજરાત આવી વસ્યા હતા. તેઓ જે ગામમાં ગયા ત્યાં મા ઉમિયાની પૂજા ચાલુ રાખી.
દંતાકથા પ્રમાણે મા ઉમિયાના મૂળ સ્થાનકી સ્થાપના ખુદ ભગવાન શિવે કરી હોવાનું કહેવાય છે. ઈ.સ. 156 સવંત 212માં રાજા વ્રજપાલસિહે મા ઉમિયાના મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. રાજા અવની પતે સવા લાખ શ્રીફળના હોમ સાથે કુવા બનાવી ઘી બરી હોમ કરી મોટો યજ્ઞ કર્યો હતો. વિક્રમ સંવત 1122/24માં વેગડા ગામીએ મંદિરનો જીણોદ્ધાર કરાવ્યો હતો.
વિક્રમ સંવત 1356ની આસપાસ અલાઉદ્દીન ખિલજીના સૂબા ઉલઘુખાને આ મંદિરને તોડી નાખ્યું હતું. તે વખતે માતાજીની મૂર્તિ મોલ્લોત માઢમાં રાખવામાં આવી હતી. હાલમાં મોલ્લોત વિભાગમાં જ્યાં શેષ શાયી ભગવાનની જગ્યા છે ત્યાં એ મંદિર હતું. મોલ્લોતના માઢમાં જે ગોખ દેખાય છે, તે જ માતાજીનું મૂળ સ્થાન છે.
બુધવારે વહેલી સવારથી શરૂ થયો ધાર્મિકોત્સવ
ઊંઝા શહેરમાં આવેલા કડવા પાટીદારોના કુળદેવી ઉમિયા માતાજીના ભવ્ય લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. 800 વિઘા જમીનમાં આગામી 18થી 22 ડિસેમ્બર સુધી ચાલનારા આ મહાયજ્ઞ માટેની તૈયારીઓ પૂર્ણ થયા બાદ તા.18મી ડિસેમ્બર 2019ની વહેલી સવારથી જ પરીસરમાં ધાર્મિકોત્સવ શરૂ થયો હતો. દેશદેશાવરથી લાખો પાટીદારો ઉંઝા ઉમટી પડ્યા છે. એવું કહેવાય છે કે, સમગ્ર બ્રહ્માંડમાં મહાભારત કાળ દરમિયાન થયેલા અશ્વમેઘ યજ્ઞ બાદનો આ સૌથી મોટો મહાયજ્ઞ છે. બુધવારથી શરૂ થઈ રવિવાર સુધી ચાલનારા આ પાંચ દિવસીય લક્ષચંડી મહાયજ્ઞ દ્વારા મહા ઈતિહાસ રચાશે.
અગાઉ વર્ષ 1976માં ઉજવાયેલા 18મો શતાબ્દી મહોત્સવ, વર્ષ 2009માં ઉજવાયેલા રજત જયંતિ મહોત્સવ બાદ મા ઉમિયાના ધામમાં આ ત્રીજા મહા પર્વનું આયોજન કરાયું છે. જેમાં 50 લાખથી વધુ શ્રદ્ધાળુઓ મા ઉમિયાને ધામે પધારશે તેને ધ્યાનમાં રાખીને સમગ્ર આયોજનને ઓપ આપવામાં આવ્યો છે અને આખું ઊંઝા મા ઉમિયાના ધામમાં ભક્તોને આવકારી રહ્યું છે.
ઊંઝા ફરતે 50 કિમીના વિસ્તારની તમામ શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓએ મહેમાનોને ઉતારા આપવા પોતાના દ્વાર ખુલ્લા કરી આપ્યા છે.
10 લાખથી વધુ પાટીદારોને તેડાં
10 લાખ પાટીદારો સહિત 20 દેશોમાં મા ઉમાનું તેડું મોકલાયું છે. ઊંઝા ઉમિયાધામ ખાતે લક્ષચંડી મહાયજ્ઞ માટે જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓની એક બેઠક મળી હતી, જેમાં આયોગ્યને લગતી સેવાઓ 24 કલાક મળી રહે તે માટે મહાયજ્ઞના 25 કિમીના અંતરે હોસ્પિટલની સુવિધા આપવા પર ભાર મુકાયો હતો.
બિયારણ ભરેલા 15 હજાર ફુગ્ગા ઉડાવાયા
મા ઉમિયા ધન-ધાન્યના દેવી કહેવાય છે. તેમના લક્ષચંડી યજ્ઞ નિમિત્તે તા.17મી ડિસેમ્બર 2019ના રોજ બિયારણ ભરેલા 15 હજાર ફુગ્ગા ઉડાડવામાં આવ્યા હતા. જેનો હેતુ પંથકમાં ધન-ધાન્યની ખોટ ન વર્તાય તેવા મા ઉમિયા પાસેથી આશીર્વાદ મેળવવાનો હતો.
1500 કિલો ફુલોનો વરસાદ કરાશે
આ લક્ષચંડી મહાયજ્ઞમાં હેલિકોપ્ટરથી 1500 કિલો પુષ્પનો વરસાદ કરશે. જેમાં એક ફેરામાં 6 દર્શનાર્થીઓ પુષ્પવર્ષાનો લાભ લઈ શકશે. આજે (મંગળવારે) પુષ્પવર્ષાનો ચઢાવો બોલવામાં આવશે. તે સાથે જ શ્રીફળ હોમવાની વિધિ પણ કરાશે.
ભક્તોને કાજુ-દાક્ષ અને સાકર-રેવડી, લાડુની પ્રસાદી અપાશે મા ઉમિયાના
લક્ષચંડી મહાયજ્ઞમાં આવનારા પ્રત્યેક શ્રદ્ધાળુને અહીં કાજુ-દ્રાક્ષ અને
સાકર-રેવડીની પ્રસાદીનું પેકિંગ બનાવીને આપવામાં આવશે. જ્યારે ભોજનાલયમાં પ્રતિ
દિવસ 4 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ભોજન પ્રસાદ લઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં
આવી છે. જેમાં પણ લાડુ મુખ્ય પ્રસાદ હોવાથી 20 લાખથી વધુ લાડુઓ બનાવવાની તૈયારીઓ પણ
આખરી તબક્કામાં પહોંચી ચૂકી છે.
મશીનથી બનાવાશે 1 કલાકમાં 12000 ભાખરી
ઊંઝા લક્ષચંડી
યજ્ઞ દરમિયાન ભોજન સામગ્રી વપરાશનો પણ રેકોર્ડ સર્જાશે. જાણવા મળ્યા મુજબ, પાંચ દિવસ દરમિયાન ઘીના 3200
ડબા, તેલના 2500 ડબા, 500 ક્વિન્ટલ ઘઉં, 11 ટન સોજી, 50 ટન ખાંડ, 11 ટન ચણાનો કકરો લોટ,
75000 કિલો ચોખા, 35 ટન તુવેરદાળ, 30
ટન વાલ, 50000 કિલો ઘઉં અને 10000 કિલો ટામેટાનો ઉપયોગ ભોજન પ્રસાદી બનાવવા
કરવામાં આવશે. એટલું જ નહીં ભાખરી બનાવવા માટે એક ખાસ મશીન લાવવામાં આવ્યું છે.
જેના દ્વારા 1 કલાકમાં 12000 ભાખરી તૈયાર થશે. 2500 લોકોને ચાલી શકે તેટલી દાળ એક જ તપેલામાં બનશે. દાળને બહાર લાવવા
માટે પંપનો ઉપયોગ થશે.
વિવિધ સાંસ્કૃતિ કાર્યક્રમો પણ યોજાશે
આ લક્ષચંડી યજ્ઞ
દરમિયાન દરરોજ રાત્રે 8.00 કલાકે સાંસ્કૃતિ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 18મી ડિસેમ્બરે સચીન જીગર, 18
ડિસેમ્બરે કિંજલ
દવે, જીગ્નેશ કવિરાજ અને જીગરદાન ગઢવી, 20 ડિસેમ્બરે આદિત્ય ગઢવી અને યોગેશ ગઢવી, જ્યારે 21 ડિસેમ્બરે ભૂમિ ત્રિવેદી અને પાર્થિવ ગોહીલ ભક્તોનું મનોરંજ કરશે.
ઝારખંડનાં પાકુડમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક જાહેરસભા સંબોધી હતી, જ્યાં તેમણે કોંગ્રેસ પર હુમલો કરતાં અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિરના નિર્માણની સમયમર્યાદા પણ નક્કી કરી હતી. શાહે કહ્યું કે, ચાર મહિનાની અંદર આકાશને આંબતું ભવ્ય રામમંદિર અયોધ્યામાં બનવા જઈ રહ્યું છે.
શાહે કહ્યું કે, હાલમાં જ સુપ્રીમ કોર્ટે અયોધ્યાનો ચુકાદો આપ્યો. સો વર્ષોથી દુનિયાભરનાં ભારતીયોની માગણી હતી કે, અયોધ્યામાં ભવ્ય રામમંદિર બને. હવે, ભવ્ય રામમંદિર બનવા જઈ રહ્યું છે. આ કોંગ્રેસ પક્ષ ન તો વિકાસ કરી શકે છે કે ન તો દેશને સુરક્ષિત કરી શકે છે, દેશના લોકોની ભાવનાઓનું સન્માન કરી શકે છે ?
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષે ઝારખંડ વિધાનસભા ચૂંટણી અંતર્ગત પાકુડમાં જનસભાનું સંબોધન કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યંy કે, દેશની દરેક વ્યક્તિ રામમંદિર બને તેવું ઈચ્છે છે, હવે અયોધ્યામાં ભવ્ય ગગનચુંબી ઈમારત બનશે.
ડિસેમ્બર 16થી કમૂરતા બેસી રહ્યા છે, ડિસેમ્બરનું છેલ્લું શુભ મૂહૂર્ત 12મી નું છે
ગુજરાતમાં ખાસ કરીને દિવાળી બાદ દેવ ઉઠી એકાદશથી ઉતરાયણ સુધીના સમયગાળામાં લગ્નોત્સવની મોસમ દર વર્ષે જામતી હોય છે પણ આ વખતે તો 12મી ડિસેમ્બર 2019નો દિવસ જાણે ગુજરાતમાં મેરેજ ડે તરીકે ઉજવાશે. આગામી ગુુરુવારને તા. ૧૨ ડિસેમ્બરે લગ્નના શ્રેષ્ઠ મુહૂર્ત હોવાથી આ એક જ દિવસમાં એકલા ગુજરાતમાં હજારો નવ યુગલો લગ્નના તાંતણે બંધાશે, કારણે કે લગ્નની પહેલી સીઝનનું આ છેલ્લું મુહૂર્ત માનવામાં આવે છે.
આ વર્ષે ડિસેમ્બર મહિનામાં લગ્નનાં માત્ર છ મુહૂર્ત છે, જેમાંથી ડિસેમ્બર મહિનામાં સૌથી વધુ લગ્ન ૧૨ ડિસેમ્બરે છે, કારણ કે ત્યાર પછી કોઈ મુહૂર્ત નથી અને ૧૬ ડિસેમ્બરથી કમુરતાં બેસે છે. આ દિવસે અંકશાસ્ત્ર મુજબ દિનાંક, માસાંક અને વર્ષાંકનો અંક ૩ થાય છે, જે અંક ગુરુગ્રહનો ગણાય છે, જેનો ભાગ્યાંક ૯ થાય છે. તે મંગળ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે.
લગ્ન જેવા શુભ પ્રસંગમાં આ બંને ગ્રહો ખૂબ જ મહત્ત્વના હોવાથી આવા દિવસે લગ્નો સંપન્ન થશે.
સૂરત શહેરમાં આખા રાજ્યમાં સૌથી વધુ લગ્નોત્સવ તા.12મી ડિસેમ્બરના રોજ યોજાશે. સૂરતમાં લગ્નોત્સવ માટે વાડીઓ કે પાર્ટી પ્લોટ્સ તા.12મી ડિસેમ્બરે બુક્ડ થઇ ચૂક્યા છે. એવી જ રીતે લગ્નની સીઝન શરૂ થતાં બેન્ડવાજા, ડેકોરેશન, બ્યુટીપાર્લર, કેટરિંગના ભાવમાં પણ વધારો થઈ જતો હોય છે. આ વર્ષે પણ લગ્નગાળામાં લગ્ન સંબંધિત વસ્તુઓના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ૧૨મી ડિસેમ્બરે એનઆરઆઈ યુગલોનાં શહેરમાં વિવિધ જગ્યાએ લગ્ન યોજાશે. આ ઉપરાંત વિવિધ સમાજના સમૂહ લગ્નોનું પણ શહેરમાં અલગ અલગ જગ્યાએ આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.
વિશ્વભરમાં પ્રચલિત સૌરાષ્ટ્રના ગિરનારની લીલીપરિક્રમાનો તા.7મી નવેમ્બર 2019ની મધરાતે આરંભ થયો હતો. પરીક્રમાના આરંભે જ અઢી’ લાખથી વધુ ભાવિકો ઉમટી પડ્યાના અહેવાલો મળ્યા હતા, આ પૈકીના એક લાખ ભાવિકોએ નળપાણીની’ ઘોડી વટાવી, પરિક્રમાના અંતિમ પડાવ બોરદેવી પહોંચી ચૂક્યા હોવાનું પણ જાણવા મળે છે. જોકે, આ સંખ્યા અગાઉના વર્ષોના પ્રમાણમાં અડધાથી ઓછી ગણાય છે.
ગિરનાર પરિક્રમાનું ભાવિકોમાં અનોખું મહાત્મય છે. તેથી દૂર દૂરથી ભાવિકો પરિક્રમા કરવા ઉમટે છે, આ વર્ષે ખેતીની મોસમ, માવઠા અને ‘મહા’ વાવાઝોડાની સંભાવનાને કારણે સંખ્યામાં ખાસ્સો ઘટાડો નોંધાયો છે. વહેલી પરિક્રમા કરવા આવેલા હજારો ભાવિકોને પ્રવેશદ્વાર બંધ હોવાથી તળેટીમાં પડાવ નાખવો પડયો હતો.
વાવાઝોડું વિસરાતા અને તળેટીમાં માનવભીડ જામતા તા.7મી નવેમ્બર 2019ની રાત્રે 12 કલાકે પરિક્રમાનો પ્રવેશદ્વાર ઉઘાડવામાં આવ્યા હતા. આ સાથે તળેટીમાં એકત્રિત એકાદ લાખથી વધુ ભાવિકોએ ગત મધરાતથી પરિક્રમાના માર્ગે પ્રયાણ કર્યુ હતું.
બીજી બાજુ વિધિવત પરિક્રમા કરનારા ભાવિકોનો પ્રવાહ સવારથી વહેવા લાગતા તળેટીમાં હજારો ભાવિકોનો જમાવડો થયો છે અને કેટલાકે તળેટીમાં રોકાણ કરવાને બદલે પરિક્રમાના માર્ગે પ્રયાણ કર્યુ છે.
હર હર મહાદેવ, જય ગિરનારીના’ જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠયું હતું.
પડાવ બદલાતા રહેતા હોય છે
પરંપરાગત પરિક્રમામાં પ્રથમ રાત્રી રોકાણ તળેટીથી 8 કિ.મી. દૂર જીણા બાવાની મઢી ખાતે કરાય છે. બીજા દિવસે ભાવિકો 4 કિ.મી. દૂર માળવેલા પહોંચે છે. ત્યાં બીજો પડાવ નાખે છે અને ત્રીજા’ દિવસે માળવેલાથી નળપાણીની ઘોડી વટાવી પાંચ કિ.મી. દૂર બોરદેવી પહોંચી ત્યાં રોકાણ કરે છે. પરંતુ હવે પરિક્રમામાં યુવાધન વધારે જોડાતા પિકનિકની માફક જંગલમાં એક રાત્રી રોકાણ કરી, બીજા દિવસે પરિક્રમા પૂર્ણ કરી તળેટીમાં પરત ફરે છે. તેઓને અન્નક્ષેત્રોને કારણે ભાવતા ભોજન મળી રહે છે.
શેરડીમાં મીઠાશ હોય છે એટલે તેના મંડપમાં તુલસી વિવાહ કરવાથી લગ્ન જીવન મધુરું રહે છે
આજરોજ તા.8મીને શુક્રવારે દેવ ઉઠી એકાદશી એટલે કે દેવ દિવાળી છે. આજથી માંગલિક કાર્યોનો આરંભ થશે. આજના પવિત્ર દિવસે શેરડીના મંડપમાં ભગવાન વિષ્ણુ અને તુલસીજીના વિવાહ કરવાનું મહત્ત્વ છે. આ દિવસથી લગ્ન જેવા શુભ પ્રસંગોનો આરંભ થાય છે.
દેવદિવાળી અંગે
કારતક સુદ અગિયારસને આજે શુક્રવારે દેવ દિવાળી છે. અષાઢ સુદ અગિયારસે દેવતાઓ પોઢી જાય છે અને કારતક સુદ અગિયારસે દેવતાઓ જાગે છે અને લગ્ન જેવા શુભ પ્રસંગોની શરૂઆત થાય છે. ભગવાન વિષ્ણુ જ્યારે બલીરાજાના દ્વારપાળમાંથી છૂટીને પાછા ફરે છે ત્યારે દેવતાઓ દિવાળી જેવો ઉત્સવ ઉજવે છે. એટલે એને દેવતાઓની દિવાળી કહે છે.
લગ્નપ્રસંગ
આજના દિવસે સવારે ઘરનાં આંગણામાં અથવા અગાસીએ તુલસી સાથે શાલીગ્રામ પધરાવવા તુલસીજી ઉપર ચૂંદડી ઓઢાડવી. ત્યારબાદ શેરડીનો સાઠો રાખવો. ભગવાનને લીલા કુદરતી મંડપનું મહત્ત્વ હોવાથી ભગવાન શેરડીના સાઠાનું અહીં મહત્ત્વ છે. ભગવાનને શેરડી ધરાવવામાં પણ આવે છે. શેરડીમાં મીઠાશ હોવાથી અને શેરડીનો મંડપ બનાવી તુલસીજીના વિવાહ કરવાથી દામ્પત્ય જીવનમાં પણ મીઠાશ આવે છે. જે યુવક-યુવતીઓના વિવાહ થતા ન હોય તેવા યુવક-યુવતીઓએ તુલસી વિવાહ કરાવવા જેથી લગ્ન યોગ થાય.
રાજસ્થાનના નાથદ્વારા સ્થિત મંદિરમાં શ્રીનાથજીનાાં વસ્ત્ર અને અલંકાર તિથિ અનુસાર જુદાં જુદાં હોય છે. પ્રત્યેક તિથિ અનુસાર તેમના વસ્ત્રો અને અલંકારનો શણગાર કેવા પ્રકારનો હોવો જોઈએ એ વાત નક્કી જ હોય છે. સમગ્ર વર્ષના ૩૬૫ દિવસ માટે તે જુદો જુદો હોય છે.
૫૦૦ વર્ષો પહેલાં શ્રી વલ્લભાચાર્યજીએ પાડેલી પ્રથા અનુસાર શ્રીનાથજીનો પ્રત્યેક તિથિ અનુસાર કરવામાં આવતો વિશિષ્ટતાપૂર્ણ શણગાર અને જુદા જુદા સ્વરૂપે શ્રીનાથજીને જોવા એ પણ અદ્ભુત લહાવો. શ્રીનાથજીના મોરપીંછથી માંડીને ચરણ સુધીના અલંકાર પ્રતિદિન જુદા હોય છે. તેમના પૂજન દરમ્યાન કરવામાં આવતા સંગીત ઉપચારોમાં ગાવામાં આવતાં ભજનો પણ તિથિ અનુસાર જુદી જુદી રાગદારીમાં હોય છે. શૃંગાર કરતી વેળાએ ઋતુ અનુસાર અલંકાર પહેરાવવામાં આવે છે, જેમકે ગ્રીષ્મઋતુમાં મોતીના દાગીના, ફાગણ માસમાં સોનાના, જ્યારે અન્ય મહિનાઓમાં રત્નજડિત દાગીના પહેરાવવામાં આવે છે.
નાથદ્વારા એ વૈષ્ણવોનું ખૂબ જ પવિત્ર અને પ્રખ્યાત યાત્રાધામ છે. ત્યાં શ્રીનાથજી પ્રભુની ઝાંખી (દર્શન) કરો એટલે મન શાંત થઇ જાય, હૃદયમાં એક પ્રસન્નતા છવાઈ જાય. શ્રીનાથજી બધાને પ્રિય છે. શ્રીનાથજીના મંગલા, શણગાર, ગ્વાલ, રાજભોગ, ઉત્થાપન ભોગ, શયન મનને આનંદ આનંદ આપે છે. નાથદ્વારામાં આખું વર્ષ ઉત્સવો ઉજવાય છે. એમાં પીછવાઈ અને પુષ્ટિ કીર્તનનું અનેરું મહત્ત્વ છે. શ્રી ગુંસાઈજીએ શૃંગાર, કીર્તન સંગીતનો અનન્ય લાભ આપ્યો છે. આ પ્રણાલિકા આજે પુષ્ટિમાર્ગમાં પ્રચલિત છે.
૧૬મી સદી પછી નરસિંહ-મીરાંના ભક્તિમાર્ગમાં વૈષ્ણવધારાનો એક વિશિષ્ટ પ્રવાહ ભળ્યો. એ છે પુષ્ટિ સંપ્રદાયનો સંગીત પ્રવાહ. આ સંપ્રદાયના પ્રવર્તક શ્રીમદ્ વલ્લભાચાર્યજી અને તેમના પછી પુત્ર વિઠ્ઠલનાથજીએ ધર્મોપદેશ માટે જ્યાં રોકાણો કર્યાં એ સ્થળો ‘બેઠક’ તરીકે ઓળખાયાં. ભારતમાં આવી લગભગ ૮૪ બેઠકો છે.
પુષ્ટિમાર્ગની સ્થાપના સાથે અષ્ટસખાઓનાં પદ પણ લોકપ્રિય થયાં. એમાંય સુરદાસજી, કૃષ્ણદાસજી, પરમાનંદદાસજી, કુંભનદાસજી ઈત્યાદિનાં કીર્તનો ખૂબ ગવાતાં. કહેવાય છે કે સુરદાસજીએ તો કૃષ્ણની બાળલીલાથી હિંડોળા સુધી સવા લાખથી વધારે કીર્તન લખ્યાં છે. આ બધાં કીર્તન રાગ અને ઋતુ પ્રમાણે લખાયાં છે. તન્મય થઈને ગાતાં આ કીર્તનકારોને સાંભળીએ તો પ્રભુભક્તિમાં લીન થઈ જવાય એવાં સુંદર છે. પુષ્ટિ સંપ્રદાયની કીર્તન પદ્ધતિને આકાશવાણી પરથી રજૂ કરવાના આરંભે ચં.ચી. મહેતાએ ‘હવેલી સંગીત’ સંજ્ઞા આપી હતી. આ હવેલી સંગીત ધીમે ધીમે લુપ્ત થઇ રહ્યું છે.
જોકે, પં. શ્રી ભગવતીપ્રસાદજી ભટ્ટે સ્વરલિપિમાં ‘પુષ્ટિ સંગીત પ્રકાશ’ નામના ગ્રંથનું નિર્માણ કર્યું છે જેમાં ૮૦ રાગોમાં ૧૩૭ પદ સ્વરલિપિબદ્ધ સ્વરૂપે ઉપલબ્ધ છે. આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ સ્નેહલ મુઝુમદારે કર્યો છે. મુંબઈમાં વિલેપાર્લેમાં રહેતા કુંજવિહારી લીમડી પાસે કીર્તન પરંપરાની ઘણી માહિતી છે. કૃષ્ણ ભક્તિનાં અનોખાં આલ્બમ્સમાં કવિ અવિનાશ પારેખનાં ગીત પંચમી, ગીત ગમતીલાં અને ગીત સુરીલાંનો સમાવેશ કરવો જ પડે.
કૃષ્ણભક્તિ પ્રણય-ભક્તિ સ્વરૂપે એમાં જુદી રીતે બહાર આવી છે. રૂપા ‘બાવરી’એ પણ શ્રીનાથજીનાં સુંદર પદ રચ્યાં છે. ‘બાવરી કે શ્રીનાથજી’ સચિત્ર પુસ્તકમાં એમણે શ્રીનાથજીનાં અદ્ભુત પેઇન્ટિંગ બનાવી સામે એને અનુરૂપ પદ લખ્યાં છે. ભક્તિ ચરમસીમાએ પહોંચે ત્યારે ભક્ત શરીરથી આત્મા સુધી પોતાનું સર્વસ્વ શ્રીનાથજીને ચરણે ધરી દે છે. રૂપા બાવરી આવાં સમર્પિત કૃષ્ણપ્રિયા છે. એમનું આ પદ વાંચો :
આતમ હવેલી મેં બિરાજો શ્રીનાથજી અબ કહીં ઔર ન જાજો શ્રીનાથજી
આતમ હવેલી મેં ના કોઈ દ્વાર ના ખિડકી ના દીવાર નિર્મલ શુદ્ધ તેજપુંજ પ્રકાશિત રૂપ તેરા સાકાર….!
આતમને અજવાળવાની કેવી સરસ વાત છે આ પદમાં. આવાં તો અનેક વૈવિધ્યસભર પદ વાંચવા અને પુસ્તક સાથેની સીડીમાં સાંભળવા મળી શકે છે.
આ ઉપરાંત, દેવદિવાળીએ તુલસી વિવાહ નિમિત્તે ગવાતાં પદો, અન્નકૂટનાં પદો અને વસંતોત્સવ દરમ્યાન ધમાર શૈલીમાં ગવાતાં વાસંતી પદો શબ્દ અને સંગીતની રીતે ઉત્કૃષ્ટ ગણાય છે. એ જ રીતે વૈષ્ણવ પરંપરામાં ‘રસિયા’ બહુ લોકપ્રિય થયા હતા. કૃષ્ણ હોળી- ફાગ ખેલે તે વખતે ગવાતો ‘રસિયા’ પ્રકાર સંગીતની એક વિશિષ્ટ શૈલી ગણાય છે. દાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠકના ‘રસિયા’ આજેય લોકો સાંભળવાનું પસંદ કરે છે. આજનું આ ગીત ફક્ત વૈષ્ણવો જ નહીં, દરેક ગુજરાતીનું માનીતું ગીત છે. અનેક કલાકારોએ ગાયેલું આ ગીત અંગતપણે આશિત દેસાઈ અને હેમા દેસાઈના સ્વરમાં વધુ ગમે છે. સ્વાભાવિકપણે ‘જય જય શ્રીનાથજી’ સીડીમાં પણ એનો સમાવેશ થયો જ છે.
ભારતના સર્વ ધાર્મિક સંપ્રદાયોમાં સંગીતકલાને સન્માનિત સ્થાન આપવામાં આવ્યું છે. એમાં વલ્લભ સંપ્રદાયનું સ્થાન પ્રથમ છે. પ્રભુ સેવામાં એવો કોઇ ક્રમ નથી જેમાં સેવાક્રમ સાથે સંગીતની સુરાવલિઓ ન હોય. આ મીઠું મધુરું ભક્તિ ગીત તમને મનહર ઉધાસથી લઈને રૂપા બાવરી સહિત અનેક કલાકારોને કંઠે સાંભળવા મળી શકે છે.
અયોધ્યામાં રામમંદિર અને બાબરી મસ્જિદના વિવાદના કેસનો ચુકાદો નજીકના ભવિષ્યમાં આવવાની શક્યતાને ધ્યાનમાં રાખતાં મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે બહુસ્તરીય ઉપાયો કરવામાં આવ્યા છે. જડબેસલાક બંદોબસ્તના ભાગરૂપે વરિષ્ઠ અધિકારીઓની રજાઓ રદ કરવામાં આવી છે. સંવેદનશીલ ઇલાકામાં સામાન્ય કરતાં વધારે પોલીસ ટુકડીઓ ગોઠવવામાં આવી છે.
૧૭ નવેમ્બરે સર્વોચ્ચ અદાલતના વડા ન્યાયમૂર્તિ રંજન ગોગોઈની નિવૃત્તિ પૂર્વે અયોધ્યા કેસના ચુકાદાની સંભાવવાને કારણે મુંબઈ શહેરના દરેક વિસ્તારમાં ગયા રવિવારે અને ત્યારપછી મહોલ્લા કમિટીઓની બેઠકો યોજવાની સૂચના વિવિધ પોલીસ સ્ટેશનોના સિનિયર ઇન્સ્પેક્ટર્સ અને અસિસ્ટન્ટ કમિશનર્સને આપવામાં આવી હતી. પોલીસ જવાનોની આઠ કલાકની ડ્યુટી લંબાવીને બાર કલાકની કરવામાં આવી છે. અફવાઓ અને અનિચ્છનીય ઘટનાઓ ટાળવા માટે સોશ્યલ મીડિયા પર નિગરાણી રાખવામાં આવે છે.
‘મહા’ વાવાઝોડાની આગાહીને કારણે ઇતિહાસમાં પહેલી વાર સોમનાથમાં યોજાતો કાર્તિકી પૂર્ણિમાનો લોકમેળો રદ કરવામાં આવ્યો છે. વર્ષ ૧૯૫૫થી વર્ષમાં કારતક મહિનામાં એકવાર પાંચ દિવસ માટે કાર્તિકી પૂર્ણિમાનો મેળો યોજવામાં આવે છે. જેમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવતા હોય છે.
સોમનાથ ટ્રસ્ટનાં ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે વર્ષ ૧૯૫૫માં સોમનાથ ટ્રસ્ટનાં અધ્યક્ષ મોરારજીભાઈ દેસાઈ દ્વારા મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અગાઉ આ મેળો ત્રણ દિવસ માટે થતો હતો. મેળા પાછળ એવી માન્યતા છે કે, કૈલાસ મહામેરૂ પ્રસાદનાં નામે ઓળખાતાં આ ભવ્ય દેવાલયનાં શિખરની ઉપર કાર્તિક પૂર્ણિમાની રાત્રીએ ચન્દ્ર વિશેષ રીતે પ્રકાશે છે. પૂનમની રાત્રીએ બાર વાગ્યે શિવની જ્યારે મહાપૂજા થાય છે ત્યારે ચન્દ્રમા એવી વિશેષ રીતે મંદિરના શિખરની ઉપર ગોઠવાઈ જાય છે કે જાણે ભગવાન શિવે ચંદ્રમાને મસ્તક ઉપર ધારણ કર્યો હોય તેવું દૃશ્યમાન થાય છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.