મહાભારત કાળના અશ્વમેઘ યજ્ઞ બાદનો સૌથી મોટો મહાયજ્ઞ
ઊંઝા ખાતે ઉમિયા માતાજીના સાંનિધ્યમાં આજરોજ બુધવાર તા. ૧૮થી ૨૨ ડિસેમ્બર દરમિયાન ચાલનારા બ્રહ્માંડના મહાભારત કાળના અશ્વમેઘ પછીના સૌથી મોટા યજ્ઞ લક્ષચંડી મહાયજ્ઞનો દબદબાભેર પ્રારંભ કરવામાં આવ્યો છે. આ મહોત્સવમાં ગુજરાત સહિત દેશભરમાંથી ૫૦ લાખથી વધુ ભક્તો મા ઉમાનાં દર્શનાર્થે આવશે. સૂરત સમેત સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી પાટીદારો લક્ઝરી બસો ભરીને તેમજ પ્રાઇવેટ વાહનોમાં મોટી સંખ્યામાં ઉંઝા પહોંચી ચૂક્યા છે.
માઈભક્તોની સેવા માટે સ્વયંસેવકો અધીરા બન્યા છે. આ મહોત્સવમાં આવનાર દરેક ભક્ત ઊંઝાના પ્રખ્યાત લાડુનો પ્રસાદ લે એવી ભોજન વ્યવસ્થા કરાઈ છે, જેને પહોંચી વળવા ઉમિયાનગરમાં બનાવેલી ખાસ ભોજનશાળામાં છેલ્લા ચાર દિવસથી ચોખ્ખા ઘીના લાડુ બનાવવાની કામગીરી રાત-દિવસ ચાલી રહી છે. લક્ષચંડી મહાયજ્ઞમાં ૨૫૦ જેટલા રાજપુરોહિતો દિવસ-રાત ભોજન પ્રસાદ તૈયાર કરશે.
દર્શન માટે કરાયું છે ખાસ આયોજન

લક્ષચંડી યજ્ઞ દરમિયાન દર્શન માટે આવનારા ભક્તોને કોઈ પ્રકારની અગવડ ન પડે અને તેઓ કોઈ મુશ્કેલી વિના સરળતાથી દર્શન કરી શકે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ પાંચ દિવસ દરમિયાન રાત્રે 3.30થી 5.30 એમ બે કલાક સિવાય માતાજીનું મંદિર દિવસ-રાત ખુલ્લું રહેશે. 1 મિનિટમાં 480 લોકો દર્શન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 1 લાઈનમાં એક મિનિટમાં 60 લોકો દર્શન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે. આ પ્રકારની 8 લાઈનની વ્યવસ્થા કરાઈ છે. આમ, એક દિવસમાં 5.60 લાખ લોકો દર્શન કરી શકે તેવું આયોજન કરાયું છે.
ઉંઝા માતાજીનું મંદિર

ઊંઝા શહેરના મોટા માઢ મોલ્લોત ચોરા ખજૂરી પોળમાં માતાજીનું મૂળ સ્થાન ગાંખ આવેલું છે. જેનું ખૂબ જ ઐતિહાસિક મહત્વ છે. ઉમિયા માતાજીની ગાથા મુજબ મધ્ય એશિયાથી આવેલા આર્યો પંજાબ અને રાજસ્થાન થઈ ઈસ પૂર્વ 1200થી 1250ના ગાળામાં ગુજરાત આવી વસ્યા હતા. તેઓ જે ગામમાં ગયા ત્યાં મા ઉમિયાની પૂજા ચાલુ રાખી.
દંતાકથા પ્રમાણે મા ઉમિયાના મૂળ સ્થાનકી સ્થાપના ખુદ ભગવાન શિવે કરી હોવાનું કહેવાય છે. ઈ.સ. 156 સવંત 212માં રાજા વ્રજપાલસિહે મા ઉમિયાના મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. રાજા અવની પતે સવા લાખ શ્રીફળના હોમ સાથે કુવા બનાવી ઘી બરી હોમ કરી મોટો યજ્ઞ કર્યો હતો. વિક્રમ સંવત 1122/24માં વેગડા ગામીએ મંદિરનો જીણોદ્ધાર કરાવ્યો હતો.

વિક્રમ સંવત 1356ની આસપાસ અલાઉદ્દીન ખિલજીના સૂબા ઉલઘુખાને આ મંદિરને તોડી નાખ્યું હતું. તે વખતે માતાજીની મૂર્તિ મોલ્લોત માઢમાં રાખવામાં આવી હતી. હાલમાં મોલ્લોત વિભાગમાં જ્યાં શેષ શાયી ભગવાનની જગ્યા છે ત્યાં એ મંદિર હતું. મોલ્લોતના માઢમાં જે ગોખ દેખાય છે, તે જ માતાજીનું મૂળ સ્થાન છે.
બુધવારે વહેલી સવારથી શરૂ થયો ધાર્મિકોત્સવ
ઊંઝા શહેરમાં આવેલા કડવા પાટીદારોના કુળદેવી ઉમિયા માતાજીના ભવ્ય લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. 800 વિઘા જમીનમાં આગામી 18થી 22 ડિસેમ્બર સુધી ચાલનારા આ મહાયજ્ઞ માટેની તૈયારીઓ પૂર્ણ થયા બાદ તા.18મી ડિસેમ્બર 2019ની વહેલી સવારથી જ પરીસરમાં ધાર્મિકોત્સવ શરૂ થયો હતો. દેશદેશાવરથી લાખો પાટીદારો ઉંઝા ઉમટી પડ્યા છે. એવું કહેવાય છે કે, સમગ્ર બ્રહ્માંડમાં મહાભારત કાળ દરમિયાન થયેલા અશ્વમેઘ યજ્ઞ બાદનો આ સૌથી મોટો મહાયજ્ઞ છે. બુધવારથી શરૂ થઈ રવિવાર સુધી ચાલનારા આ પાંચ દિવસીય લક્ષચંડી મહાયજ્ઞ દ્વારા મહા ઈતિહાસ રચાશે.
અગાઉ વર્ષ 1976માં ઉજવાયેલા 18મો શતાબ્દી મહોત્સવ, વર્ષ 2009માં ઉજવાયેલા રજત જયંતિ મહોત્સવ બાદ મા ઉમિયાના ધામમાં આ ત્રીજા મહા પર્વનું આયોજન કરાયું છે. જેમાં 50 લાખથી વધુ શ્રદ્ધાળુઓ મા ઉમિયાને ધામે પધારશે તેને ધ્યાનમાં રાખીને સમગ્ર આયોજનને ઓપ આપવામાં આવ્યો છે અને આખું ઊંઝા મા ઉમિયાના ધામમાં ભક્તોને આવકારી રહ્યું છે.
ઊંઝા ફરતે 50 કિમીના વિસ્તારની તમામ શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓએ મહેમાનોને ઉતારા આપવા પોતાના દ્વાર ખુલ્લા કરી આપ્યા છે.
10 લાખથી વધુ પાટીદારોને તેડાં
10 લાખ પાટીદારો સહિત 20 દેશોમાં મા ઉમાનું તેડું મોકલાયું છે. ઊંઝા ઉમિયાધામ ખાતે લક્ષચંડી મહાયજ્ઞ માટે જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓની એક બેઠક મળી હતી, જેમાં આયોગ્યને લગતી સેવાઓ 24 કલાક મળી રહે તે માટે મહાયજ્ઞના 25 કિમીના અંતરે હોસ્પિટલની સુવિધા આપવા પર ભાર મુકાયો હતો.
બિયારણ ભરેલા 15 હજાર ફુગ્ગા ઉડાવાયા
મા ઉમિયા ધન-ધાન્યના દેવી કહેવાય છે. તેમના લક્ષચંડી યજ્ઞ નિમિત્તે તા.17મી ડિસેમ્બર 2019ના રોજ બિયારણ ભરેલા 15 હજાર ફુગ્ગા ઉડાડવામાં આવ્યા હતા. જેનો હેતુ પંથકમાં ધન-ધાન્યની ખોટ ન વર્તાય તેવા મા ઉમિયા પાસેથી આશીર્વાદ મેળવવાનો હતો.
1500 કિલો ફુલોનો વરસાદ કરાશે
આ લક્ષચંડી મહાયજ્ઞમાં હેલિકોપ્ટરથી 1500 કિલો પુષ્પનો વરસાદ કરશે. જેમાં એક ફેરામાં 6 દર્શનાર્થીઓ પુષ્પવર્ષાનો લાભ લઈ શકશે. આજે (મંગળવારે) પુષ્પવર્ષાનો ચઢાવો બોલવામાં આવશે. તે સાથે જ શ્રીફળ હોમવાની વિધિ પણ કરાશે.
ભક્તોને કાજુ-દાક્ષ અને સાકર-રેવડી, લાડુની પ્રસાદી અપાશે
મા ઉમિયાના
લક્ષચંડી મહાયજ્ઞમાં આવનારા પ્રત્યેક શ્રદ્ધાળુને અહીં કાજુ-દ્રાક્ષ અને
સાકર-રેવડીની પ્રસાદીનું પેકિંગ બનાવીને આપવામાં આવશે. જ્યારે ભોજનાલયમાં પ્રતિ
દિવસ 4 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ભોજન પ્રસાદ લઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં
આવી છે. જેમાં પણ લાડુ મુખ્ય પ્રસાદ હોવાથી 20 લાખથી વધુ લાડુઓ બનાવવાની તૈયારીઓ પણ
આખરી તબક્કામાં પહોંચી ચૂકી છે.
મશીનથી બનાવાશે 1 કલાકમાં 12000 ભાખરી
ઊંઝા લક્ષચંડી
યજ્ઞ દરમિયાન ભોજન સામગ્રી વપરાશનો પણ રેકોર્ડ સર્જાશે. જાણવા મળ્યા મુજબ, પાંચ દિવસ દરમિયાન ઘીના 3200
ડબા, તેલના 2500 ડબા, 500 ક્વિન્ટલ ઘઉં, 11 ટન સોજી, 50 ટન ખાંડ, 11 ટન ચણાનો કકરો લોટ,
75000 કિલો ચોખા, 35 ટન તુવેરદાળ, 30
ટન વાલ, 50000 કિલો ઘઉં અને 10000 કિલો ટામેટાનો ઉપયોગ ભોજન પ્રસાદી બનાવવા
કરવામાં આવશે. એટલું જ નહીં ભાખરી બનાવવા માટે એક ખાસ મશીન લાવવામાં આવ્યું છે.
જેના દ્વારા 1 કલાકમાં 12000 ભાખરી તૈયાર થશે. 2500 લોકોને ચાલી શકે તેટલી દાળ એક જ તપેલામાં બનશે. દાળને બહાર લાવવા
માટે પંપનો ઉપયોગ થશે.
વિવિધ સાંસ્કૃતિ કાર્યક્રમો પણ યોજાશે
આ લક્ષચંડી યજ્ઞ
દરમિયાન દરરોજ રાત્રે 8.00 કલાકે સાંસ્કૃતિ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 18મી ડિસેમ્બરે સચીન જીગર, 18
ડિસેમ્બરે કિંજલ
દવે, જીગ્નેશ કવિરાજ અને જીગરદાન ગઢવી, 20 ડિસેમ્બરે આદિત્ય ગઢવી અને યોગેશ ગઢવી, જ્યારે 21 ડિસેમ્બરે ભૂમિ ત્રિવેદી અને પાર્થિવ ગોહીલ ભક્તોનું મનોરંજ કરશે.
























