CIA ALERT

આધ્યાત્મિક Archives - Page 22 of 36 - CIA Live

December 18, 2019
umiya.jpg
3min10420

મહાભારત કાળના અશ્વમેઘ યજ્ઞ બાદનો સૌથી મોટો મહાયજ્ઞ

ઊંઝા ખાતે ઉમિયા માતાજીના સાંનિધ્યમાં આજરોજ બુધવાર તા. ૧૮થી ૨૨ ડિસેમ્બર દરમિયાન ચાલનારા બ્રહ્માંડના મહાભારત કાળના અશ્વમેઘ પછીના સૌથી મોટા યજ્ઞ લક્ષચંડી મહાયજ્ઞનો દબદબાભેર પ્રારંભ કરવામાં આવ્યો છે. આ મહોત્સવમાં ગુજરાત સહિત દેશભરમાંથી ૫૦ લાખથી વધુ ભક્તો મા ઉમાનાં દર્શનાર્થે આવશે. સૂરત સમેત સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી પાટીદારો લક્ઝરી બસો ભરીને તેમજ પ્રાઇવેટ વાહનોમાં મોટી સંખ્યામાં ઉંઝા પહોંચી ચૂક્યા છે.

માઈભક્તોની સેવા માટે સ્વયંસેવકો અધીરા બન્યા છે. આ મહોત્સવમાં આવનાર દરેક ભક્ત ઊંઝાના પ્રખ્યાત લાડુનો પ્રસાદ લે એવી ભોજન વ્યવસ્થા કરાઈ છે, જેને પહોંચી વળવા ઉમિયાનગરમાં બનાવેલી ખાસ ભોજનશાળામાં છેલ્લા ચાર દિવસથી ચોખ્ખા ઘીના લાડુ બનાવવાની કામગીરી રાત-દિવસ ચાલી રહી છે. લક્ષચંડી મહાયજ્ઞમાં ૨૫૦ જેટલા રાજપુરોહિતો દિવસ-રાત ભોજન પ્રસાદ તૈયાર કરશે.

દર્શન માટે કરાયું છે ખાસ આયોજન

લક્ષચંડી યજ્ઞ દરમિયાન દર્શન માટે આવનારા ભક્તોને કોઈ પ્રકારની અગવડ ન પડે અને તેઓ કોઈ મુશ્કેલી વિના સરળતાથી દર્શન કરી શકે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ પાંચ દિવસ દરમિયાન રાત્રે 3.30થી 5.30 એમ બે કલાક સિવાય માતાજીનું મંદિર દિવસ-રાત ખુલ્લું રહેશે. 1 મિનિટમાં 480 લોકો દર્શન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 1 લાઈનમાં એક મિનિટમાં 60 લોકો દર્શન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે. આ પ્રકારની 8 લાઈનની વ્યવસ્થા કરાઈ છે. આમ, એક દિવસમાં 5.60 લાખ લોકો દર્શન કરી શકે તેવું આયોજન કરાયું છે.

ઉંઝા માતાજીનું મંદિર

ઊંઝા શહેરના મોટા માઢ મોલ્લોત ચોરા ખજૂરી પોળમાં માતાજીનું મૂળ સ્થાન ગાંખ આવેલું છે. જેનું ખૂબ જ ઐતિહાસિક મહત્વ છે. ઉમિયા માતાજીની ગાથા મુજબ મધ્ય એશિયાથી આવેલા આર્યો પંજાબ અને રાજસ્થાન થઈ ઈસ પૂર્વ 1200થી 1250ના ગાળામાં ગુજરાત આવી વસ્યા હતા. તેઓ જે ગામમાં ગયા ત્યાં મા ઉમિયાની પૂજા ચાલુ રાખી.

દંતાકથા પ્રમાણે મા ઉમિયાના મૂળ સ્થાનકી સ્થાપના ખુદ ભગવાન શિવે કરી હોવાનું કહેવાય છે. ઈ.સ. 156 સવંત 212માં રાજા વ્રજપાલસિહે મા ઉમિયાના મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. રાજા અવની પતે સવા લાખ શ્રીફળના હોમ સાથે કુવા બનાવી ઘી બરી હોમ કરી મોટો યજ્ઞ કર્યો હતો. વિક્રમ સંવત 1122/24માં વેગડા ગામીએ મંદિરનો જીણોદ્ધાર કરાવ્યો હતો.

વિક્રમ સંવત 1356ની આસપાસ અલાઉદ્દીન ખિલજીના સૂબા ઉલઘુખાને આ મંદિરને તોડી નાખ્યું હતું. તે વખતે માતાજીની મૂર્તિ મોલ્લોત માઢમાં રાખવામાં આવી હતી. હાલમાં મોલ્લોત વિભાગમાં જ્યાં શેષ શાયી ભગવાનની જગ્યા છે ત્યાં એ મંદિર હતું. મોલ્લોતના માઢમાં જે ગોખ દેખાય છે, તે જ માતાજીનું મૂળ સ્થાન છે.

બુધવારે વહેલી સવારથી શરૂ થયો ધાર્મિકોત્સવ

ઊંઝા શહેરમાં આવેલા કડવા પાટીદારોના કુળદેવી ઉમિયા માતાજીના ભવ્ય લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. 800 વિઘા જમીનમાં આગામી 18થી 22 ડિસેમ્બર સુધી ચાલનારા આ મહાયજ્ઞ માટેની તૈયારીઓ પૂર્ણ થયા બાદ તા.18મી ડિસેમ્બર 2019ની વહેલી સવારથી જ પરીસરમાં ધાર્મિકોત્સવ શરૂ થયો હતો. દેશદેશાવરથી લાખો પાટીદારો ઉંઝા ઉમટી પડ્યા છે. એવું કહેવાય છે કે, સમગ્ર બ્રહ્માંડમાં મહાભારત કાળ દરમિયાન થયેલા અશ્વમેઘ યજ્ઞ બાદનો આ સૌથી મોટો મહાયજ્ઞ છે. બુધવારથી શરૂ થઈ રવિવાર સુધી ચાલનારા આ પાંચ દિવસીય લક્ષચંડી મહાયજ્ઞ દ્વારા મહા ઈતિહાસ રચાશે.

અગાઉ વર્ષ 1976માં ઉજવાયેલા 18મો શતાબ્દી મહોત્સવ, વર્ષ 2009માં ઉજવાયેલા રજત જયંતિ મહોત્સવ બાદ મા ઉમિયાના ધામમાં આ ત્રીજા મહા પર્વનું આયોજન કરાયું છે. જેમાં 50 લાખથી વધુ શ્રદ્ધાળુઓ મા ઉમિયાને ધામે પધારશે તેને ધ્યાનમાં રાખીને સમગ્ર આયોજનને ઓપ આપવામાં આવ્યો છે અને આખું ઊંઝા મા ઉમિયાના ધામમાં ભક્તોને આવકારી રહ્યું છે.

ઊંઝા ફરતે 50 કિમીના વિસ્તારની તમામ શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓએ મહેમાનોને ઉતારા આપવા પોતાના દ્વાર ખુલ્લા કરી આપ્યા છે.

10 લાખથી વધુ પાટીદારોને તેડાં

10 લાખ પાટીદારો સહિત 20 દેશોમાં મા ઉમાનું તેડું મોકલાયું છે. ઊંઝા ઉમિયાધામ ખાતે લક્ષચંડી મહાયજ્ઞ માટે જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓની એક બેઠક મળી હતી, જેમાં આયોગ્યને લગતી સેવાઓ 24 કલાક મળી રહે તે માટે મહાયજ્ઞના 25 કિમીના અંતરે હોસ્પિટલની સુવિધા આપવા પર ભાર મુકાયો હતો.

બિયારણ ભરેલા 15 હજાર ફુગ્ગા ઉડાવાયા

મા ઉમિયા ધન-ધાન્યના દેવી કહેવાય છે. તેમના લક્ષચંડી યજ્ઞ નિમિત્તે તા.17મી ડિસેમ્બર 2019ના રોજ બિયારણ ભરેલા 15 હજાર ફુગ્ગા ઉડાડવામાં આવ્યા હતા. જેનો હેતુ પંથકમાં ધન-ધાન્યની ખોટ ન વર્તાય તેવા મા ઉમિયા પાસેથી આશીર્વાદ મેળવવાનો હતો.

1500 કિલો ફુલોનો વરસાદ કરાશે

આ લક્ષચંડી મહાયજ્ઞમાં હેલિકોપ્ટરથી 1500 કિલો પુષ્પનો વરસાદ કરશે. જેમાં એક ફેરામાં 6 દર્શનાર્થીઓ પુષ્પવર્ષાનો લાભ લઈ શકશે. આજે (મંગળવારે) પુષ્પવર્ષાનો ચઢાવો બોલવામાં આવશે. તે સાથે જ શ્રીફળ હોમવાની વિધિ પણ કરાશે.

ભક્તોને કાજુ-દાક્ષ અને સાકર-રેવડી, લાડુની પ્રસાદી અપાશે
મા ઉમિયાના લક્ષચંડી મહાયજ્ઞમાં આવનારા પ્રત્યેક શ્રદ્ધાળુને અહીં કાજુ-દ્રાક્ષ અને સાકર-રેવડીની પ્રસાદીનું પેકિંગ બનાવીને આપવામાં આવશે. જ્યારે ભોજનાલયમાં પ્રતિ દિવસ 4 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ભોજન પ્રસાદ લઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં પણ લાડુ મુખ્ય પ્રસાદ હોવાથી 20 લાખથી વધુ લાડુઓ બનાવવાની તૈયારીઓ પણ આખરી તબક્કામાં પહોંચી ચૂકી છે.

મશીનથી બનાવાશે 1 કલાકમાં 12000 ભાખરી
ઊંઝા લક્ષચંડી યજ્ઞ દરમિયાન ભોજન સામગ્રી વપરાશનો પણ રેકોર્ડ સર્જાશે. જાણવા મળ્યા મુજબ, પાંચ દિવસ દરમિયાન ઘીના 3200 ડબા, તેલના 2500 ડબા, 500 ક્વિન્ટલ ઘઉં, 11 ટન સોજી, 50 ટન ખાંડ, 11 ટન ચણાનો કકરો લોટ, 75000 કિલો ચોખા, 35 ટન તુવેરદાળ, 30 ટન વાલ, 50000 કિલો ઘઉં અને 10000 કિલો ટામેટાનો ઉપયોગ ભોજન પ્રસાદી બનાવવા કરવામાં આવશે. એટલું જ નહીં ભાખરી બનાવવા માટે એક ખાસ મશીન લાવવામાં આવ્યું છે. જેના દ્વારા 1 કલાકમાં 12000 ભાખરી તૈયાર થશે. 2500 લોકોને ચાલી શકે તેટલી દાળ એક જ તપેલામાં બનશે. દાળને બહાર લાવવા માટે પંપનો ઉપયોગ થશે.

વિવિધ સાંસ્કૃતિ કાર્યક્રમો પણ યોજાશે
આ લક્ષચંડી યજ્ઞ દરમિયાન દરરોજ રાત્રે 8.00 કલાકે સાંસ્કૃતિ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 18મી ડિસેમ્બરે સચીન જીગર, 18 ડિસેમ્બરે કિંજલ દવે, જીગ્નેશ કવિરાજ અને જીગરદાન ગઢવી, 20 ડિસેમ્બરે આદિત્ય ગઢવી અને યોગેશ ગઢવી, જ્યારે 21 ડિસેમ્બરે ભૂમિ ત્રિવેદી અને પાર્થિવ ગોહીલ ભક્તોનું મનોરંજ કરશે.


December 17, 2019
amitshah.jpg
1min5280

ઝારખંડનાં પાકુડમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક જાહેરસભા સંબોધી હતી, જ્યાં તેમણે કોંગ્રેસ પર હુમલો કરતાં અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિરના નિર્માણની સમયમર્યાદા પણ નક્કી કરી હતી. શાહે કહ્યું કે, ચાર મહિનાની અંદર આકાશને આંબતું ભવ્ય રામમંદિર અયોધ્યામાં બનવા જઈ રહ્યું છે.

શાહે કહ્યું કે, હાલમાં જ સુપ્રીમ કોર્ટે અયોધ્યાનો ચુકાદો આપ્યો. સો વર્ષોથી દુનિયાભરનાં ભારતીયોની માગણી હતી કે, અયોધ્યામાં ભવ્ય રામમંદિર બને. હવે, ભવ્ય રામમંદિર બનવા જઈ રહ્યું છે. આ કોંગ્રેસ પક્ષ ન તો વિકાસ કરી શકે છે કે ન તો દેશને સુરક્ષિત કરી શકે છે, દેશના લોકોની ભાવનાઓનું સન્માન કરી શકે છે ?

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષે ઝારખંડ વિધાનસભા ચૂંટણી અંતર્ગત પાકુડમાં જનસભાનું સંબોધન કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યંy કે, દેશની દરેક વ્યક્તિ રામમંદિર બને તેવું ઈચ્છે છે, હવે અયોધ્યામાં ભવ્ય ગગનચુંબી ઈમારત બનશે.

December 9, 2019
marriage_season.jpg
1min6050

ડિસેમ્બર 16થી કમૂરતા બેસી રહ્યા છે, ડિસેમ્બરનું છેલ્લું શુભ મૂહૂર્ત 12મી નું છે

ગુજરાતમાં ખાસ કરીને દિવાળી બાદ દેવ ઉઠી એકાદશથી ઉતરાયણ સુધીના સમયગાળામાં લગ્નોત્સવની મોસમ દર વર્ષે જામતી હોય છે પણ આ વખતે તો 12મી ડિસેમ્બર 2019નો દિવસ જાણે ગુજરાતમાં મેરેજ ડે તરીકે ઉજવાશે. આગામી ગુુરુવારને તા. ૧૨ ડિસેમ્બરે લગ્નના શ્રેષ્ઠ મુહૂર્ત હોવાથી આ એક જ દિવસમાં એકલા ગુજરાતમાં હજારો નવ યુગલો લગ્નના તાંતણે બંધાશે, કારણે કે લગ્નની પહેલી સીઝનનું આ છેલ્લું મુહૂર્ત માનવામાં આવે છે.

વાડીઓ, પાર્ટી પ્લોટ્સ બુક્ડ, ભોજન સમારોહની ભરમાર, માર્ગો વરઘોડા અને જાનૈયાઓથી ઉભરાશે

આ વર્ષે ડિસેમ્બર મહિનામાં લગ્નનાં માત્ર છ મુહૂર્ત છે, જેમાંથી ડિસેમ્બર મહિનામાં સૌથી વધુ લગ્ન ૧૨ ડિસેમ્બરે છે, કારણ કે ત્યાર પછી કોઈ મુહૂર્ત નથી અને ૧૬ ડિસેમ્બરથી કમુરતાં બેસે છે. આ દિવસે અંકશાસ્ત્ર મુજબ દિનાંક, માસાંક અને વર્ષાંકનો અંક ૩ થાય છે, જે અંક ગુરુગ્રહનો ગણાય છે, જેનો ભાગ્યાંક ૯ થાય છે. તે મંગળ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે.

લગ્ન જેવા શુભ પ્રસંગમાં આ બંને ગ્રહો ખૂબ જ મહત્ત્વના હોવાથી આવા દિવસે લગ્નો સંપન્ન થશે.

સૂરત શહેરમાં આખા રાજ્યમાં સૌથી વધુ લગ્નોત્સવ તા.12મી ડિસેમ્બરના રોજ યોજાશે. સૂરતમાં લગ્નોત્સવ માટે વાડીઓ કે પાર્ટી પ્લોટ્સ તા.12મી ડિસેમ્બરે બુક્ડ થઇ ચૂક્યા છે. એવી જ રીતે લગ્નની સીઝન શરૂ થતાં બેન્ડવાજા, ડેકોરેશન, બ્યુટીપાર્લર, કેટરિંગના ભાવમાં પણ વધારો થઈ જતો હોય છે. આ વર્ષે પણ લગ્નગાળામાં લગ્ન સંબંધિત વસ્તુઓના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ૧૨મી ડિસેમ્બરે એનઆરઆઈ યુગલોનાં શહેરમાં વિવિધ જગ્યાએ લગ્ન યોજાશે. આ ઉપરાંત વિવિધ સમાજના સમૂહ લગ્નોનું પણ શહેરમાં અલગ અલગ જગ્યાએ આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.

November 9, 2019
girnar_parikrama.jpg
1min4800

વિશ્વભરમાં પ્રચલિત સૌરાષ્ટ્રના ગિરનારની લીલીપરિક્રમાનો તા.7મી નવેમ્બર 2019ની મધરાતે આરંભ થયો હતો. પરીક્રમાના આરંભે જ અઢી’ લાખથી વધુ ભાવિકો ઉમટી પડ્યાના અહેવાલો મળ્યા હતા, આ પૈકીના એક લાખ ભાવિકોએ નળપાણીની’ ઘોડી વટાવી, પરિક્રમાના અંતિમ પડાવ બોરદેવી પહોંચી ચૂક્યા હોવાનું પણ જાણવા મળે છે. જોકે, આ સંખ્યા અગાઉના વર્ષોના પ્રમાણમાં અડધાથી ઓછી ગણાય છે.

ગિરનાર પરિક્રમાનું ભાવિકોમાં અનોખું મહાત્મય છે. તેથી દૂર દૂરથી ભાવિકો પરિક્રમા કરવા ઉમટે છે, આ વર્ષે ખેતીની મોસમ, માવઠા અને ‘મહા’ વાવાઝોડાની સંભાવનાને કારણે સંખ્યામાં ખાસ્સો ઘટાડો નોંધાયો છે. વહેલી પરિક્રમા કરવા આવેલા હજારો ભાવિકોને પ્રવેશદ્વાર બંધ હોવાથી તળેટીમાં પડાવ નાખવો પડયો હતો.

વાવાઝોડું વિસરાતા અને તળેટીમાં માનવભીડ જામતા તા.7મી નવેમ્બર 2019ની રાત્રે 12 કલાકે પરિક્રમાનો પ્રવેશદ્વાર ઉઘાડવામાં આવ્યા હતા. આ સાથે તળેટીમાં એકત્રિત એકાદ લાખથી વધુ ભાવિકોએ ગત મધરાતથી પરિક્રમાના માર્ગે પ્રયાણ કર્યુ હતું.

બીજી બાજુ વિધિવત પરિક્રમા કરનારા ભાવિકોનો પ્રવાહ સવારથી વહેવા લાગતા તળેટીમાં હજારો ભાવિકોનો જમાવડો થયો છે અને કેટલાકે તળેટીમાં રોકાણ કરવાને બદલે પરિક્રમાના માર્ગે પ્રયાણ કર્યુ છે.

હર હર મહાદેવ, જય ગિરનારીના’ જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠયું હતું.

પડાવ બદલાતા રહેતા હોય છે

પરંપરાગત પરિક્રમામાં પ્રથમ રાત્રી રોકાણ તળેટીથી 8 કિ.મી. દૂર જીણા બાવાની મઢી ખાતે કરાય છે. બીજા દિવસે ભાવિકો 4 કિ.મી. દૂર માળવેલા પહોંચે છે. ત્યાં બીજો પડાવ નાખે છે અને ત્રીજા’ દિવસે માળવેલાથી નળપાણીની ઘોડી વટાવી પાંચ કિ.મી. દૂર બોરદેવી પહોંચી ત્યાં રોકાણ કરે છે. પરંતુ હવે પરિક્રમામાં યુવાધન વધારે જોડાતા પિકનિકની માફક જંગલમાં એક રાત્રી રોકાણ કરી, બીજા દિવસે પરિક્રમા પૂર્ણ કરી તળેટીમાં પરત ફરે છે. તેઓને અન્નક્ષેત્રોને કારણે ભાવતા ભોજન મળી રહે છે.

November 8, 2019
tulsi_vivah.jpg
1min6890

શેરડીમાં મીઠાશ હોય છે એટલે તેના મંડપમાં તુલસી વિવાહ કરવાથી લગ્ન જીવન મધુરું રહે છે

આજરોજ તા.8મીને શુક્રવારે દેવ ઉઠી એકાદશી એટલે કે દેવ દિવાળી છે. આજથી માંગલિક કાર્યોનો આરંભ થશે. આજના પવિત્ર દિવસે શેરડીના મંડપમાં ભગવાન વિષ્ણુ અને તુલસીજીના વિવાહ કરવાનું મહત્ત્વ છે. આ દિવસથી લગ્ન જેવા શુભ પ્રસંગોનો આરંભ થાય છે.

દેવદિવાળી અંગે

કારતક સુદ અગિયારસને આજે શુક્રવારે દેવ દિવાળી છે. અષાઢ સુદ અગિયારસે દેવતાઓ પોઢી જાય છે અને કારતક સુદ અગિયારસે દેવતાઓ જાગે છે અને લગ્ન જેવા શુભ પ્રસંગોની શરૂઆત થાય છે. ભગવાન વિષ્ણુ જ્યારે બલીરાજાના દ્વારપાળમાંથી છૂટીને પાછા ફરે છે ત્યારે દેવતાઓ દિવાળી જેવો ઉત્સવ ઉજવે છે. એટલે એને દેવતાઓની દિવાળી કહે છે.

લગ્નપ્રસંગ

આજના દિવસે સવારે ઘરનાં આંગણામાં અથવા અગાસીએ તુલસી સાથે શાલીગ્રામ પધરાવવા તુલસીજી ઉપર ચૂંદડી ઓઢાડવી. ત્યારબાદ શેરડીનો સાઠો રાખવો. ભગવાનને લીલા કુદરતી મંડપનું મહત્ત્વ હોવાથી ભગવાન શેરડીના સાઠાનું અહીં મહત્ત્વ છે. ભગવાનને શેરડી ધરાવવામાં પણ  આવે છે. શેરડીમાં મીઠાશ હોવાથી અને શેરડીનો મંડપ બનાવી તુલસીજીના વિવાહ કરવાથી દામ્પત્ય જીવનમાં પણ મીઠાશ આવે છે. જે યુવક-યુવતીઓના વિવાહ થતા ન હોય તેવા યુવક-યુવતીઓએ તુલસી વિવાહ કરાવવા જેથી લગ્ન યોગ થાય.


November 8, 2019
nathdwara-shrinathji.jpg
2min1649

રાજસ્થાનના નાથદ્વારા સ્થિત મંદિરમાં શ્રીનાથજીનાાં વસ્ત્ર અને અલંકાર તિથિ અનુસાર જુદાં જુદાં હોય છે. પ્રત્યેક તિથિ અનુસાર તેમના વસ્ત્રો અને અલંકારનો શણગાર કેવા પ્રકારનો હોવો જોઈએ એ વાત નક્કી જ હોય છે. સમગ્ર વર્ષના ૩૬૫ દિવસ માટે તે જુદો જુદો હોય છે.

૫૦૦ વર્ષો પહેલાં શ્રી વલ્લભાચાર્યજીએ પાડેલી પ્રથા અનુસાર શ્રીનાથજીનો પ્રત્યેક તિથિ અનુસાર કરવામાં આવતો વિશિષ્ટતાપૂર્ણ શણગાર અને જુદા જુદા સ્વરૂપે શ્રીનાથજીને જોવા એ પણ અદ્ભુત લહાવો. શ્રીનાથજીના મોરપીંછથી માંડીને ચરણ સુધીના અલંકાર પ્રતિદિન જુદા હોય છે. તેમના પૂજન દરમ્યાન કરવામાં આવતા સંગીત ઉપચારોમાં ગાવામાં આવતાં ભજનો પણ તિથિ અનુસાર જુદી જુદી રાગદારીમાં હોય છે. શૃંગાર કરતી વેળાએ ઋતુ અનુસાર અલંકાર પહેરાવવામાં આવે છે, જેમકે ગ્રીષ્મઋતુમાં મોતીના દાગીના, ફાગણ માસમાં સોનાના, જ્યારે અન્ય મહિનાઓમાં રત્નજડિત દાગીના પહેરાવવામાં આવે છે.

નાથદ્વારા એ વૈષ્ણવોનું ખૂબ જ પવિત્ર અને પ્રખ્યાત યાત્રાધામ છે. ત્યાં શ્રીનાથજી પ્રભુની ઝાંખી (દર્શન) કરો એટલે મન શાંત થઇ જાય, હૃદયમાં એક પ્રસન્નતા છવાઈ જાય. શ્રીનાથજી બધાને પ્રિય છે. શ્રીનાથજીના મંગલા, શણગાર, ગ્વાલ, રાજભોગ, ઉત્થાપન ભોગ, શયન મનને આનંદ આનંદ આપે છે. નાથદ્વારામાં આખું વર્ષ ઉત્સવો ઉજવાય છે. એમાં પીછવાઈ અને પુષ્ટિ કીર્તનનું અનેરું મહત્ત્વ છે. શ્રી ગુંસાઈજીએ શૃંગાર, કીર્તન સંગીતનો અનન્ય લાભ આપ્યો છે. આ પ્રણાલિકા આજે પુષ્ટિમાર્ગમાં પ્રચલિત છે.

૧૬મી સદી પછી નરસિંહ-મીરાંના ભક્તિમાર્ગમાં વૈષ્ણવધારાનો એક વિશિષ્ટ પ્રવાહ ભળ્યો. એ છે પુષ્ટિ સંપ્રદાયનો સંગીત પ્રવાહ. આ સંપ્રદાયના પ્રવર્તક શ્રીમદ્ વલ્લભાચાર્યજી અને તેમના પછી પુત્ર વિઠ્ઠલનાથજીએ ધર્મોપદેશ માટે જ્યાં રોકાણો કર્યાં એ સ્થળો ‘બેઠક’ તરીકે ઓળખાયાં. ભારતમાં આવી લગભગ ૮૪ બેઠકો છે.

પુષ્ટિમાર્ગની સ્થાપના સાથે અષ્ટસખાઓનાં પદ પણ લોકપ્રિય થયાં. એમાંય સુરદાસજી, કૃષ્ણદાસજી, પરમાનંદદાસજી, કુંભનદાસજી ઈત્યાદિનાં કીર્તનો ખૂબ ગવાતાં. કહેવાય છે કે સુરદાસજીએ તો કૃષ્ણની બાળલીલાથી હિંડોળા સુધી સવા લાખથી વધારે કીર્તન લખ્યાં છે. આ બધાં કીર્તન રાગ અને ઋતુ પ્રમાણે લખાયાં છે. તન્મય થઈને ગાતાં આ કીર્તનકારોને સાંભળીએ તો પ્રભુભક્તિમાં લીન થઈ જવાય એવાં સુંદર છે. પુષ્ટિ સંપ્રદાયની કીર્તન પદ્ધતિને આકાશવાણી પરથી રજૂ કરવાના આરંભે ચં.ચી. મહેતાએ ‘હવેલી સંગીત’ સંજ્ઞા આપી હતી. આ હવેલી સંગીત ધીમે ધીમે લુપ્ત થઇ રહ્યું છે.

જોકે, પં. શ્રી ભગવતીપ્રસાદજી ભટ્ટે સ્વરલિપિમાં ‘પુષ્ટિ સંગીત પ્રકાશ’ નામના ગ્રંથનું નિર્માણ કર્યું છે જેમાં ૮૦ રાગોમાં ૧૩૭ પદ સ્વરલિપિબદ્ધ સ્વરૂપે ઉપલબ્ધ છે. આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ સ્નેહલ મુઝુમદારે કર્યો છે. મુંબઈમાં વિલેપાર્લેમાં રહેતા કુંજવિહારી લીમડી પાસે કીર્તન પરંપરાની ઘણી માહિતી છે. કૃષ્ણ ભક્તિનાં અનોખાં આલ્બમ્સમાં કવિ અવિનાશ પારેખનાં ગીત પંચમી, ગીત ગમતીલાં અને ગીત સુરીલાંનો સમાવેશ કરવો જ પડે.

કૃષ્ણભક્તિ પ્રણય-ભક્તિ સ્વરૂપે એમાં જુદી રીતે બહાર આવી છે. રૂપા ‘બાવરી’એ પણ શ્રીનાથજીનાં સુંદર પદ રચ્યાં છે. ‘બાવરી કે શ્રીનાથજી’ સચિત્ર પુસ્તકમાં એમણે શ્રીનાથજીનાં અદ્ભુત પેઇન્ટિંગ બનાવી સામે એને અનુરૂપ પદ લખ્યાં છે. ભક્તિ ચરમસીમાએ પહોંચે ત્યારે ભક્ત શરીરથી આત્મા સુધી પોતાનું સર્વસ્વ શ્રીનાથજીને ચરણે ધરી દે છે. રૂપા બાવરી આવાં સમર્પિત કૃષ્ણપ્રિયા છે. એમનું આ પદ વાંચો :

આતમ હવેલી મેં બિરાજો શ્રીનાથજી અબ કહીં ઔર ન જાજો શ્રીનાથજી

આતમ હવેલી મેં ના કોઈ દ્વાર ના ખિડકી ના દીવાર નિર્મલ શુદ્ધ તેજપુંજ પ્રકાશિત રૂપ તેરા સાકાર….!

આતમને અજવાળવાની કેવી સરસ વાત છે આ પદમાં. આવાં તો અનેક વૈવિધ્યસભર પદ વાંચવા અને પુસ્તક સાથેની સીડીમાં સાંભળવા મળી શકે છે.

આ ઉપરાંત, દેવદિવાળીએ તુલસી વિવાહ નિમિત્તે ગવાતાં પદો, અન્નકૂટનાં પદો અને વસંતોત્સવ દરમ્યાન ધમાર શૈલીમાં ગવાતાં વાસંતી પદો શબ્દ અને સંગીતની રીતે ઉત્કૃષ્ટ ગણાય છે. એ જ રીતે વૈષ્ણવ પરંપરામાં ‘રસિયા’ બહુ લોકપ્રિય થયા હતા. કૃષ્ણ હોળી- ફાગ ખેલે તે વખતે ગવાતો ‘રસિયા’ પ્રકાર સંગીતની એક વિશિષ્ટ શૈલી ગણાય છે. દાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠકના ‘રસિયા’ આજેય લોકો સાંભળવાનું પસંદ કરે છે. આજનું આ ગીત ફક્ત વૈષ્ણવો જ નહીં, દરેક ગુજરાતીનું માનીતું ગીત છે. અનેક કલાકારોએ ગાયેલું આ ગીત અંગતપણે આશિત દેસાઈ અને હેમા દેસાઈના સ્વરમાં વધુ ગમે છે. સ્વાભાવિકપણે ‘જય જય શ્રીનાથજી’ સીડીમાં પણ એનો સમાવેશ થયો જ છે.

ભારતના સર્વ ધાર્મિક સંપ્રદાયોમાં સંગીતકલાને સન્માનિત સ્થાન આપવામાં આવ્યું છે. એમાં વલ્લભ સંપ્રદાયનું સ્થાન પ્રથમ છે. પ્રભુ સેવામાં એવો કોઇ ક્રમ નથી જેમાં સેવાક્રમ સાથે સંગીતની સુરાવલિઓ ન હોય. આ મીઠું મધુરું ભક્તિ ગીત તમને મનહર ઉધાસથી લઈને રૂપા બાવરી સહિત અનેક કલાકારોને કંઠે સાંભળવા મળી શકે છે.

November 7, 2019
ayodhya-2.jpg
1min5310

અયોધ્યામાં રામમંદિર અને બાબરી મસ્જિદના વિવાદના કેસનો ચુકાદો નજીકના ભવિષ્યમાં આવવાની શક્યતાને ધ્યાનમાં રાખતાં મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે બહુસ્તરીય ઉપાયો કરવામાં આવ્યા છે. જડબેસલાક બંદોબસ્તના ભાગરૂપે વરિષ્ઠ અધિકારીઓની રજાઓ રદ કરવામાં આવી છે. સંવેદનશીલ ઇલાકામાં સામાન્ય કરતાં વધારે પોલીસ ટુકડીઓ ગોઠવવામાં આવી છે. 

૧૭ નવેમ્બરે સર્વોચ્ચ અદાલતના વડા ન્યાયમૂર્તિ રંજન ગોગોઈની નિવૃત્તિ પૂર્વે અયોધ્યા કેસના ચુકાદાની સંભાવવાને કારણે મુંબઈ શહેરના દરેક વિસ્તારમાં ગયા રવિવારે અને ત્યારપછી મહોલ્લા કમિટીઓની બેઠકો યોજવાની સૂચના વિવિધ પોલીસ સ્ટેશનોના સિનિયર ઇન્સ્પેક્ટર્સ અને અસિસ્ટન્ટ કમિશનર્સને આપવામાં આવી હતી. પોલીસ જવાનોની આઠ કલાકની ડ્યુટી લંબાવીને બાર કલાકની કરવામાં આવી છે. અફવાઓ અને અનિચ્છનીય ઘટનાઓ ટાળવા માટે સોશ્યલ મીડિયા પર નિગરાણી રાખવામાં આવે છે.

November 6, 2019
somnath_temple-1280x720.jpg
1min5540

 ‘મહા’ વાવાઝોડાની આગાહીને કારણે ઇતિહાસમાં પહેલી વાર સોમનાથમાં યોજાતો કાર્તિકી પૂર્ણિમાનો લોકમેળો રદ કરવામાં આવ્યો છે. વર્ષ ૧૯૫૫થી વર્ષમાં કારતક મહિનામાં એકવાર પાંચ દિવસ માટે કાર્તિકી પૂર્ણિમાનો મેળો યોજવામાં આવે છે. જેમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવતા હોય છે.

સોમનાથ ટ્રસ્ટનાં ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે વર્ષ ૧૯૫૫માં સોમનાથ ટ્રસ્ટનાં અધ્યક્ષ મોરારજીભાઈ દેસાઈ દ્વારા મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અગાઉ આ મેળો ત્રણ દિવસ માટે થતો હતો. મેળા પાછળ એવી માન્યતા છે કે, કૈલાસ મહામેરૂ પ્રસાદનાં નામે ઓળખાતાં આ ભવ્ય દેવાલયનાં શિખરની ઉપર કાર્તિક પૂર્ણિમાની રાત્રીએ ચન્દ્ર વિશેષ રીતે પ્રકાશે છે. પૂનમની રાત્રીએ બાર વાગ્યે શિવની જ્યારે મહાપૂજા થાય છે ત્યારે ચન્દ્રમા એવી વિશેષ રીતે મંદિરના શિખરની ઉપર ગોઠવાઈ જાય છે કે જાણે ભગવાન શિવે ચંદ્રમાને મસ્તક ઉપર ધારણ કર્યો હોય તેવું દૃશ્યમાન થાય છે.

November 5, 2019
girnar.jpg
1min6460

‘મહા’ વાવાઝોડાની અસરથી સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખતાં ગીરનારની લીલી પરિક્રમા આઠ નવેમ્બર પહેલાં શરૂ નહિ કરવામાં આવે. આઠ નવેમ્બર પહેલા કોઈને પ્રવેશ આપવામાં આવશે નહિ. સામાન્ય રીતે લીલી પરિક્રમા કારતક સુદ અગિયારસના રોજ શરૂ થઈ જાય છે.

જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારઘીએ જણાવ્યું હતું કે દર વર્ષે પરિક્રમાના પરંપરાગત સમય કારતક સુદ અગિયારસ પહેલા ભક્તો આવી જતાં હોય છે, પણ ચાર-પાંચ દિવસ ભારે વરસાદની શક્યતાને જોતાં આ વખતે આઠ નવેમ્બરે રાત્રે દ્વાર ખુલ્લા મૂકવામાં આવશે તે પહેલા પરિક્રમા માટે કોઈને પણ પ્રવેશ આપવામાં આવશે નહિ. ગીરનારને ફરીને કરવામાં આવતી પ્રદક્ષિણા એટલે લીલી પરિક્રમા. એવું માનવામાં આવે છે કે ગિરનારમાં વસતા ૩૩ કરોડ દેવતાઓના તપનું પુણ્ય ગિરનારની પરિક્રમા કરવાથી મળે છે. આમ જોઈએ તો જૂનાગઢમાં વર્ષમાં બે વખત શ્રદ્ધાળુઓ વધુ પ્રમાણમાં જોવા મળે છે. મહાશિવરાત્રીના મેળામાં અને ગિરનારની લીલી પરિક્રમામાં. ગુજરાતનાં લગભગ બધાં શહેરો અને ગામડાંઓમાંથી દિવાળી અને દિવાળી પછી ભવનાથ તળેટી આખી શ્રદ્ધાળુઓથી ભરાયેલી હોય છે.

November 4, 2019
jalarambapa.jpg
1min4520

સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ભક્તો દ્વારા બાપાના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સૌરાષ્ટ્રના વીરપુર ગામ ખાતે પૂજ્ય જલારામબાપાની ૨૨૦મી જયંતી ઉજવામાં આવી હતી. બાપાના સ્થાનક વીરપુરધામમાં ભાવિકોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. બાપાની જયંતી નિમિત્તે મંદિર પ્રશાસન દ્વારા ભક્તો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ જલારામ જયંતી નિમિત્તે ફૂલોથી જય શ્રી રામ લખીને રામ ભક્ત બાપાના સાનિધ્યમાં સુંદર રંગોળી તૈયાર કરવામાં આવી હતી. મહિલાઓ, પુરૂષો, બાળકો અને વડીલો જય જલિયાણના સાદ સાથે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી શ્રદ્ધાળુઓ બાપાના દર્શને વીરપુર આવી પહોંચ્યા હતા. મંદિરમાં દર્શન માટે આવતા તમામ ભક્તોના દર્શન માટે અલાયદું આયોજન કરવામાં આવ્યું હતું. જય શ્રી જલારામ બાપાએ પોતાના જીવનકાળમાં કરેલા અમૃતમયી કાર્યોને કારણે આજે અસંખ્ય લોકાના શ્રદ્ધાનું કેન્દ્ર બન્યા છે. રવિવારે જલારામ જયંતી નિમિત્તે સૌરાષ્ટ્રમાં ઠેકઠેકાણે શોભાયાત્રા તેમજ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જલિયાણ મંદિરોમાં ભક્તોએ વહેલી સવારથી જ કતાર લગાવી બાપાના દર્શન કર્યા હતા. સૌરાષ્ટ્રમાં જલિયાણ જયંતી નિમિત્તે અનેક સેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જલારામબાપાની ૨૨૦મી જન્મ જયંતી નિમિત્તે લોકડાયરા તેમ જ ભોજન પ્રસાદના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.