ભારત અને આફ્રિકામાં એક અઠવાડીયામાં નિર્ણય લાગુ થશે : શ્રદ્ધાળુઓ ઓનલાઈન દર્શન કરી શકશે
દુનિયામાં કોરોના વાયરસના વધી રહેલા કેસને ધ્યાને લઈને સ્વામીનારાયણ પ્રશાસને દુનિયાના તમામ સ્વામીનારાયણ મંદિરોને બંધ કરવાનું એલાન કર્યું છે. બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (બીએપીએસ)એ કહ્યું હતું કે, અમેરિકા, કેનેડા, યૂરોપ અને ઓસ્ટ્રેલિયાના મંદિર અગાઉ જ બંધ કરવામાં આવ્યા છે. જ્યારે ભારત અને આફ્રિકાના સ્વામીનારાયણ મંદિર આગામી એક અઠવાડીયામાં બંધ કરી દેવામાં આવશે.’ જો કે શ્રદ્ધાળુઓ દરેક મંદિરની વેબસાઈટ ઉપર પ્રતિદિન દર્શન કરી શકશે.’
મુસ્લિમોનાં પવિત્ર સ્થળ મક્કા અને મદીનાની યાત્રા પર સાઉદી અરબે રોક લગાવી છે. હજયાત્રા પહેલાં સાઉદી અરબે આ નિર્ણય લીધો છે. અત્યાર સુધી મધ્ય પૂર્વના દેશોમાં કોરોના વાઇરસના સંક્રમણના ૨૨૦ કેસ સામે આવ્યા છે. મક્કા સિવાય અરબે મદીનામાં પણ યાત્રા કરવા પર રોક લગાવી દીધી છે.
સાઉદી અરબના વિદેશ મંત્રાલયે નિવેદન જાહેર કરી કહ્યું કે અમે તમામ દેશોના એન્ટ્રી વિઝા રદ કરવાનો નિર્ણય કર્યો છે. મંત્રાલયે કહ્યું, ‘કોરોના વાઇરસને રોકવા માટે સાઉદી અરબ પણ વિશ્વ સાથે છે. અમે પોતાના દેશના નાગરિકોને પણ સલાહ આપી છે કે કોરોના વાઇરસથી પ્રભાવિત દેશોની યાત્રા કરવાથી બચો. અમે પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન પૂરી માનવતાને આ વાઇરસથી બચાવે.
મધ્ય પૂર્વના દેશોમાં કોરોનાથી સૌથી વધુ ઈરાન પ્રભાવિત છે. અહીં સુધી કે ઈરાનના ઉપ-સ્વાસ્થ્ય મંત્રી ઇરાજ હરીરકી પણ એનાથી પ્રભાવિત છે અને તેમણે સારવાર માટે અલગ રાખવામાં આવ્યા છે. ઈરાનમાં કોરોનાના અત્યાર સુધી ૧૩૯ કેસ સામે આવ્યા છે જેમાંથી ૧૯ લોકોનાં મોત થયાં છે. આ સિવાય બહેરિનમાં ૩૩ કેસ સામે આવ્યા છે.
મહત્ત્વપૂર્ણ છે કે સાઉદી અરબસ્થિત મક્કા અને મદીનામાં ઉમરાહ કરવા માટે દર મહિને હજારો લોકો પહોંચે છે.
અમદાવાદમાં એસજી હાઇવે પર વૈષ્ણોદેવી સર્કલથી જાસપુર રોડ પાસે 100 વીધા જમીનમાં 1000 કરોડના ખર્ચે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા 431 ફૂટ ઉંચાઇધરાવતું વિશ્વનું સૌથી ઉંચુ અને ભવ્ય એવું ઉમિયા માતાજીનું ઐતિહાસિક અને અનેક અજાયબી ધરાવતુમંદિર નિર્માણ થવા જઇ રહ્યું છે.
વિશ્વના સૌથી ઉંચા ઉમિયા માતાના મંદિરમાં ગર્ભગૃહમાં મા ઉમિયાની 10 ફૂટથી પણ વધુ ઉંચાઇ ધરાવતી ભવ્ય મૂર્તિ 52(બાવન) ફુટની ઉંચાઇએ સ્થાપિત કરવામાં આવશે. જેથી એક સાથે 10 હજારથી વધુ દર્શનાર્થીઓ દર્શનનો લાભ લઇ શકશે. આ ઉપરાંત ઉમિયા માતાજીના મંદિરની બાજુમાં મંદિર અને સરકારના સંયુક્ત સંકલનથી વિશ્વનું બીજા નંબરનું ટ્રી મ્યુઝિયમ બનશે. જેમાં લુપ્ત થતા 3000 વૃક્ષો રોપવામાં આવશે.
આગામી તા.28 અને 29 ફેબ્રુઆરી દરમિયાન મંદિરનો ભવ્યાતિભવ્ય શિલાન્યાસ સમારોહ યોજાનાર છે. આ અવસરે મા ઉમિયાની મૂર્તિની ચલ પ્રાણપ્રતિષ્ઠા અને 11 હજાર બહેનો દ્વારા જવારા શોભાયાત્રા સાથે 108 કળશનું પૂજન સહિતના અનેકવિધ કાર્યક્રમો પણ આયોજન કરવામાં આવ્યું છે.
રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલ, ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજા સહિતના અનેક મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેશે. આ ભવ્ય શિલાન્યાસ સમારોહમાં દેશભરના સાધુ, સંતો, મહંતો, ધર્માચાર્યો અને પાટીદાર અગ્રણીઓ સામેલ થશે, એમ આજે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી.પટેલ, ઉપપ્રમુખ ડી.એન.ગોર અને શિલાન્યાસ સમારોહ કમીટીના ચેરમેન સુરેશ પટેલે જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું કે, વિશ્વનું સૌથી ઉંચું માં ઉમિયાનું મંદિર જર્મન આર્કિટેક દોઝેન દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. અહીં મહાદેવજીનું પારાનું શિવલીંગ પણ સ્થાપિત કરવામાં આવશે. બે દિવસના આ ભવ્ય શિલાન્યાસ સમારોહમાં દેશ-વિદેશમાંથી ઉમિયા માતાના 2 લાખ ભક્તો ઉમટી પડશે.
શ્રીશ્રી રવિશંકર, બીએપીએસના મહંતસ્વામી મહારાજ, આચાર્ય અવિચલદાસજી મહારાજ, જગદ્દગુરુ રામાનંદાચાર્ય સ્વામીરામભદ્રાચાર્યજી, જગદ્દગુરુ શંકરાચાર્ય વિજેન્દ્ર સરસ્વતીજી, દિલીપદાસજી મહારાજ, વિશ્વંભર ભારતી મહારાજ, બ્રહ્મવિહારી સ્વામી, માધવપ્રિયદાસજી સહિત દેશભરના 21થી વધુ દિગ્ગજ સંતો, મહંતો, મહામંડલેશ્વરો અને કથાકારો ખાસ હાજરી અને આશીવર્ચન આપશે.
આજરોજ તા.21મી ફેબ્રુઆરી 2020ને શુક્વાર, મહાશિવરાત્રીના પર્વની વહેલી સવારથી જ ગુજરાતમાં દેવાધિદેવ મહાદેવના ભક્તિપર્વ શિવરાત્રિની ધામધૂમથી ઉજવણી કરવા દરેક શિવાલયોમાં હર્ષોલ્લાસભેર શરૂ થઈ છે.
સોરાષ્ટ્રના દરિયા કિનારે આવેલા સોમનાથ મંદિરમાં મહાશિવરાત્રિને પહેલી પૂજા મળસ્કે ત્રણ વાગ્યે શરૂ થઇ હતી. વહેલી સવારે આરતી તેમજ ધજા રોહણ બાદ દિવસે હોમ હવન થયા હતા. સવારે નગરમાં પાલખી યાત્રા પણ ધામધૂમપૂર્વક કાઢવામાં આવી હતી.
ગુજરાતના દરેક જિલ્લાના અનેક શિવાલયોમાં હર હર મહાદેવના નાદ સાથે મહાશિવરાત્રિનું પર્વ ઉજવણી શરૂ થયાના અહેવાલો મળ્યા છે.
ભુજમાં સનાતન હિન્દુ સમાજ દ્વારા યોજાનારી ભવ્ય શોભાયાત્રા દર વર્ષની માફક આ વખતે પણ આકર્ષણ જમાવી રહી છે. હમીરસરના કિનારે ૩૫ હજાર ભાવિકો મહાદેવના તહેવારે ભોજનપ્રસાદ ગ્રહણ કરશે.
રાજ્યભરમાં શુક્રવારે મહાશિવરાત્રિના હર હર મહાદેવના નાદ સાથે પર્વની ઉજવણી કરવા માટે શિવમંદિરો સજ્જ બની રહ્યા છે. શિવરાત્રિમાં ભક્તોના પ્રિય એવા ભાંગના પ્રસાદ માટે લોકો આતુર હોય છે. ત્યારે સોમનાથમાં, અમદાવાદના ચકુડીયા મહાદેવ ભાવનગરમાં, જૂનાગઢ તેમ જ ઉત્તર ગુજરાત, કચ્છ, દક્ષિણ ગુજરાત ઉપરાત મધ્ય ગુજરાતમાં શિવ મંદિરોમાં રુદ્રી, હવનાદિ કાર્યો પણ જુદા – જુદા મંદિરોમાં યોજાશે.
વર્ષ 2020 ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીનએ દેવોના દેવ મહાદેવની આરાધનાનો તહેવાર મહાશિવરાત્રી મનાવવામાં આવે છે. આ વખતે 59 વર્ષ બાદ મહાશિવરાત્રી પર શશ યોગ બની રહ્યો છે. જ્યોતિષ મુજબ આ દિવસે શનિ અને ચંદ્ર મકર રાશિ, ગુરુ ધન રાશિ, બુધ કુંભ રાશિ અને શુક્ર મીન રાશિમાં રહેશે, આ યોગ સાધના, સિદ્ધિ માટે ખાસ છે. આ દિવસે દાન-પુણ્ય કરવાનું પણ વિધાન છે. જે પણ વ્યક્તિ ભગવાન શિવની શ્રદ્ઘાની સાથે મહાશિવરાત્રીનો ઉપવાસ કરી પૂજા-અર્ચના કરે છે તેને વિશેષ કૃપાની પ્રાપ્તિ થાય છે.
શિવરાત્રી તો પ્રતિમાસ આવે છે. પરંતુ મહા શિવરાત્રી વર્ષમાં એક જ વખત આવે છે. શિવજીના ભકતો આ દિવસે ઉપવાસ રાખી ઓમ નમઃ શિવાના અખંડ પાઠ કરી શિવલીંગ પર બીલીપત્રો ચઢાવી દુધ અને પાણીનો અભિષેક કરી શિવ ઉપાસના દ્વારા ભગવાન શંકરના કૃપાપાત્ર બનવા પ્રયત્ન કરે છે
જ્યોતિષ મુજબ આમ તો દર મહીનામાં શિવરાત્રી હોય છે. પરંતુ ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીએ મહાશિવરાત્રી તરીકે મનાવવામાં આવે છે. આ વખતે મહાશિવરાત્રી પર શશ યોગ બની રહ્યો છે. આ પહેલા આ યોગ 1961માં બન્યો હતો. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે. શિવરાત્રી પર ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ભગવાનને રૂદ્રભિષેક કર કરવામાં આવે છે.
માન્યતા છે કે આ દિવસ ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. આ દિવસ શિવજી ને વૈરાગ્ય જીવન છોડો ગૃહસ્થ જીવન માં પ્રવેશ કર્યો. શિવ વૈરાગી હતા, તે ગૃહસ્થ બની ગયા. પૌરાણિક કથાઓ મુજબ, મહાશિવરાત્રીના દિવસોમાં શિવજી પહેલી વખત પ્રગટ થયા હતા. શિવનો પ્રાગટ્ય જ્યોર્તિલિંગ એટલે અગ્નિના શિવલિંગના રૂપમાં હતું.
શિવરાત્રિના દિવસે સવારે સ્નાન કરીને મંદિર જઇ શિવલિંગ પર મધ, પાણી અને દૂધનું મિશ્રણથી ભગવાન શિવને સ્નાન કરાવવું જોઇએ. તે બાદ બિલીપત્ર,ધતુરો, ફળ અને ફુલ અર્પણ કરવા જોઇએ. તે બાદ ધૂપ અને દીવો કરી ભગવાન શિવની આરતી કરવી જોઇએ।
જીવ અને શિવનો યોગ સાધતી મહારાત્રી એટલે મહાશિવરાત્રી. ભગવાન શંકરનો મહિમા અનેરો અને અદકેરો છે. સાત્વીક સહજ ભકિતથી પ્રસન્ન થનારા ભગવાન શંકર મહાપ્રલયકારી છે. બ્રહ્માંડના જીવોનું સંકલન કરનારા છે
શિવ મહાપુરાણમાં છ દ્રવ્યો, દૂધ, દહીં, મધ, ઘી, ગોળ અને પાણીથી ભગવાન શિવનો રૂદ્રાભિષેક કરવાનો ઉલ્લેખ છે. તેનાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. જો તમારી આસપાસ કોઇ શિવ મંદિર નથી તો ઘરમાં માટીનું શિવલિંગ બનાવીને તેની પૂજા કરવી જોઇએ.
21 ફેબ્રુઆરીએ સાંજે 5.20 વાગ્યાથી 22 ફેબ્રુઆરીએ સાંજે 7 વાગ્યે 2 મિનિટ સુધી રહેશે. વૈષ્ણવ સંપ્રદાય ઉદયા તિથિ એટલે જે સૂર્યોદયના સમયે તિથિ હોય તેને માને છે. જેથી આ વર્ષે મહાશિવરાત્રી 21 ફેબ્રુઆરીએ મનાવવામાં આવશે.
દુષ્ટ, દુરાચારી, વિદ્રોહીઓના મારક છે. સત્ય, સંયમ, સાત્વીકતાના તારક છે. દૈત્ય સેનાના સંહારક છે. શંખ, ડમરૂ, ત્રિશુલ ધારક છે. ભુતનાથ, ભૈરવાદી રૂદ્રોના પતિ અને સાધુ-જોગીઓના સ્વામી અને ભકતોના ઉપકારક છે
જન્મના ગ્રહોના દ્રારિદ્રય યોગ શિવરાત્રીએ શિવપુજનથી દુર થાય છે. આ પર્વના દિને તમામ દેવ કૈલાસમાં મહાદેવના સાનિધ્યમાં હોય છે. આથી આ દિવસે મહારૂદ્રનો હોમાત્મક પાઠ સોમયજ્ઞનું ફળ આપે છે.
આમ મહાશિવરાત્રી પર્વ ભગવાન શિવના ભકતો માટે અનેરૂ અને અદકેરૂ મહાત્મય ધરાવે છે. ભારતભરના શિવાલયોમાં ગુંજી ઉઠશે હર હર મહાદેવનો નાદ…
ગિરનારની ગોદ ભવનાથ તળેટીમાં 17 Februarty સવારે શાસ્ત્રોક્ત વિધિથી ભવનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ સાથે 5 દિવસ ચાલનાર મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થયો હતો. આ સાથે અન્નક્ષેત્રોમાં હરિહરની હાકલ ઉઠી છે. ઉતારાઓમાં સંતવાણીના સૂર રેલાવા લાગ્યા છે. સાધુ-સંતોએ ધૂણીઓ ધખાવી છે.
Bhavnath Mahadev Mandir
પરંપરાગત પાંચ દિવસીય મહાશિવરાત્રી મેળાનો આજે મહાવદ નામના દિવસે ભૂદેવોના મંત્રોચ્ચાર, પૂજન, અર્ચન, શાસ્ત્રોક્ત વિધિ વચ્ચે ભવનાથ મંદિરે ધ્વજારોહણ કરાતા હર હર મહાદેવ, જય ગિરનારીના જયઘોષ વચ્ચે શિવરાત્રી મેળાનો વિધિવત પ્રારંભ થયો.
બીજી તરફ અખાડાઓ તથા ભવનાથ મંદિર આસપાસ સાધુ-સંતો દ્વારા ધૂણા ધખવાયા છે. મેળાના પ્રારંભ સાથે મનપા, પોલીસ, આરોગ્ય અને વનતંત્ર દ્વારા પોત-પોતાની ફરજ શરૂ કરાઈ છે. પરંતુ પ્રારંભે ભાવિકોની પાંખી હાજરીનાં કારણે તંત્ર પણ શાંતિનો શ્વાસ લઇ રહ્યું છે. વાહનોને રોકટોક વગર તળેટીમાં પ્રવેશવા દેવાય છે.
18 February ત્રણ દિવસીય સાંજે 7 થી રાત્રીના 11 કલાક સુધી સંતવાણી અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. તેમાં સ્થાનિક નવોદિત કલાકારોને પ્લેટફોર્મ અપાશે જ્યારે નામાંકિત કલાકારો ઉતારાઓમાં સંતવાણીના સૂર રેલાવશે.
મેળામાં ઉમટતા લાખો ભાવિકોની સલામતી અને સુરક્ષા માટે 3000 જેટલી પોલીસ ઉતારાતા તળેટીમાં પોલીસ, સાધુ-સંતો, ઉતારા, અન્નક્ષેત્રોનાં સ્વયંસેવકો તથા વિવિધ વિભાગનાં ફરજ તૈનાત કર્મચારીઓ અને પાંખી સંખ્યામાં ભાવિકો નજરે પડયા હતાં.
આવતીકાલથી ભાવિકોનો પ્રવાહ શરૂ થશે અને છેલ્લા બે દી’ તળેટીમાં માનવદરિયો ઘૂઘવશે. આ સ્થિતિને પહોંચી વળવા માટે આયોજકો સજ્જ’ બન્યા છે. આમ તળેટીમાં આજથી પાંચ દી’ જીવ અને શિવનો સંગમ રૂપી મેળાનો ધમધમાટ શરૂ’ થઇ ગયો છે.
પશ્ર્ચિમ રેલવે દ્વારા આગામી મહાશિવરાત્રિ પર્વ દરમિયાન આયોજીત મેળા દરમિયાન શ્રદ્ધાળુઓની સુવિધાને ધ્યાનમાં રાખતાં રાજકોટ તથા સોમનાથ સ્ટેશનોથી તા. ૧૮થી ૨૧મી ફેબ્રુઆરી સુધી જૂનાગઢ માટે વિશેષ ટ્રેન દોડાવવામાં આવી રહી છે.
અમદાવાદના રેલવે જનસંપર્ક અધિકારી પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર –
રાજકોટથી તા. ૧૮, ૧૯ અને ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૦ ના રોજ ૧૭.૧૦ વાગે ઉપડીને જૂનાગઢ ૨૦.૦૦ વાગે પહોંચશે તથા પરતમાં ૧૮,૧૯ અને ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૦ ના રોજ જૂનાગઢ ૨૧.૨૦ વાગે ઉપડીને રાજકોટ ૨૩.૪૦ વાગે પહોંચશે.
જ્યારે તા. ૧૭ થી ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૦ સુધી સોમનાથ થી ૨૦.૩૦ વાગે ઉપડીને જૂનાગઢ ૨૨.૨૦ વાગે પહોંચશે તથા પરતમાં જૂનાગઢ થી૨૩.૨૦ વાગે ઉપડીને સોમનાથ ૦૧.૩૦ વાગે પહોંચશે.
મીટરગેજ સેકશનમાં ૧૭ ફેબ્રુ. ૨૦૨૦ થી ૨૧ ફેબ્રુ. ૨૦૨૦ સુધી જૂનાગઢથી સત્તાધાર વચ્ચે મેળો સ્પેશિયલ ટ્રેન દોડશે. આ ટ્રેન જૂનાગઢથી ૧૦.૫૦ વાગે ઉપડીને સત્તાધાર સ્ટેશને ૧૨.૪૦ વાગે પહોંચશે. પરતમાં આ ટ્રેન સત્તાધારથી ૧૩.૧૫ વાગે ઉપડીને જૂનાગઢ સ્ટેશને ૧૪.૫૦ વાગે પહોંચશે.
આ ઉપરાંત ત્રણ જોડી ટ્રેનોમાં ચાર-ચાર સામાન્ય શ્રેણીના કોચ જોડવામાં આવી રહ્યા છે.
તદઅનુસાર તા. ૧૭ થી ૨૧ ફેબ્રુ. ૨૦૨૦ સુધી ટ્રેન નં. ૨૨૯૫૭/૨૨૯૫૮ વેરાવળ-અમદાવાદ તથા ૧૯૧૧૯/૧૯૧૨૦ અમદાવાદ-સોમનાથ-અમદાવાદ તથા
૫૯૫૦૭/૫૯૫૦૮ સોમનાથ-રાજકોટ પેસેન્જર ટ્રેનોમાં ઉક્ત ચાર વધારાના જનરલ કોચ લાગશે.
ટ્રેન નં. ૧૯૧૧૯/૧૯૧૨૦ અમદાવાદ-સોમનાથ ઇન્ટરસિટી એક્સપ્રેસ હાલમાં અમદાવાદ-રાજકોટ વચ્ચે રદ હોવાને કારણે આ વધારાના ચાર કોચ રાજકોટ-સોમનાથ વચ્ચે દોડશે.
સોમનાથમાં મહાશિવરાત્રિને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શિવરાત્રિ દરમિયાન મંદિર ૪૨ કલાક સુધી ખુલ્લું રહેશે અને ભક્તો મહાદેવનાં દર્શન કરી શકશે.
ભોળાનાથના મહાપર્વ મહાશિવરાત્રિ અંગે ભારતનાં બાર જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર છે. ત્યારે મહાશિવરાત્રિને લઈ સચિવ પ્રવીણ લહેરી તથા જનરલ મૅનેજર વિજયસિંહ ચાવડા દ્વારા વિવિધ આયોજનો કરાઈ રહ્યાં છે જેમાં શિવપર્વનો પ્રારંભ ૨૦ ફેબ્રુઆરીથી ૨૩ ફેબ્રુઆરી સુધી સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં અખિલ ભારતીય કલા સંસ્થા સંસ્કાર ભારતી ઉપક્રમે ત્રિદિવસીય રાષ્ટ્રીય લોકરંગ મહોત્સવ યોજાશે.
એમાં ભારતનાં ૨૯ રાજ્યોના ૬૩૦ જેટલા આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત લોકકલાકારો લોકસંસ્કૃતિની વિવિધ કૃતિઓ રજૂ કરશે. તા. ૨૦થી સતત ૭૨ કલાક ચાલનારો આ મહોત્સવ સોમનાથના આંગણે યોજાશે. સોમનાથ મહાદેવ મંદિર મહાશિવરાત્રિએ સવારે ૪ વાગ્યે ખૂલશે અને તા. ૨૨ ફેબ્રુઆરીએ રાત્રે દસ વાગ્યે દર્શન બંધ થશે. એટલે કે મંદિર દર્શનાર્થીઓ માટે સતત ૪૨ કલાક ખુલ્લું રહેશે. મહાશિવરાત્રિએ સોમનાથ મહાદેવ મંદિર ધ્વજારોહણ, ચાર પ્રહર પૂજા, મહામૃત્યુંજય જાપ, અનુષ્ઠાનો અને સંધ્યા શણગાર તથા સોમનાથ મહાદેવની પાલખી સાથેની શોભાયાત્રા, ધૂન, ભજન અને વેદમંત્રો સાથે સોમનાથ મહાદેવ મંદિરની પ્રદક્ષિણા કરશે. સમગ્ર સોમનાથ મંદિરને ફૂલોના શણગારથી સુશોભિત કરાશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે લોકસભામાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટ સ્થાપવાની જાહેરાત કરી હતી. સુપ્રીમ કોર્ટના ઓર્ડર પ્રમાણે સરકારે ત્રણ માસની અંદર ટ્રસ્ટ સ્થાપવાની જાહેરાત કરી હતી. રામ જન્મભૂમિની તરફેણમાં ૯ નવેમ્બર, ૨૦૧૯ના રોજ ચુકાદો આવ્યો હતો. ૯ ફેબ્રુઆરી, ૨૦૨૦ સુધીમાં ટ્રસ્ટ સ્થાપવા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું એ
પ્રમાણે ૫ ફેબ્રુઆરીએ ટ્રસ્ટની જાહેરાત કરી હતી.૬૭.૭૦૩ એકર જમીન ટ્રસ્ટને આપવા કેબિનેટે નિર્ણય લીધો હતો. સ્વાયત્ત ટ્રસ્ટ અયોધ્યામાં ભવ્ય રામમંદિરનું નિર્માણ કરશે.
ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે ૫, ફેબ્રુઆરીનો દિવસ દેશ માટે ઐતિહાસિક છે. સરકાર તેની પ્રતિબદ્ધતામાં આગળ વધ્યું છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટમાં ૧૫ ટ્રસ્ટી રહેશે જેમાં એક દલિતનો સમાવેશ કરાશે.
સુપ્રીમ કોર્ટના નિર્ણય પ્રમાણે ઉત્તર પ્રદેશ સરકારે મસ્જિદ બાંધવા માટે સુન્ની વકફ બોર્ડને પાંચ એકર જમીન આપવા સહમતી દર્શાવી છે. પ્રવક્તા શ્રીકાંત શર્માએ કહ્યું હતું કે, અયોધ્યાના ધન્નીપુર ગામમા લખનઊ હાઈવે નજીક જમીન છે. નવા ટ્રસ્ટની જાહેરાત કરનાર વડા પ્રધાન મોદીનો તેમણે આભાર માન્યો હતો. બધાને સાથે મળીને એક પરિવારની જેમ આ કાર્યમાં કામ કરવા વડા પ્રધાને અપીલ કરી હતી.
જેતપુર તાલુકાના કાગવડ ગામ પાસેના ખોડલધામ મંદિરે દરેક તહેવારોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ત્યારે દર વર્ષની જેમ મહાસુદ આઠમના દિવસે ખોડિયાર જયંતીની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. મા ખોડલના પ્રાગટ્ય દિવસે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ પ્રેરિત શ્રી ખોડલધામ તાલુકા સમિતિ-ગોંડલ અને શ્રી ખોડલધામ મહિલા સમિતિ-ગોંડલ દ્વારા છપ્પન ભોગના અન્નકૂટ દર્શન, નવચંડી યજ્ઞ, દિવ્ય ધ્વજારોહણ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ખોડિયાર જયંતીના દિવસે યોજાયેલા અન્નકૂટ દર્શનનો લહાવો મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો. સવારે મંદિરના દ્વાર ખૂલતા જ મા ખોડલના ખાસ શણગાર અને અન્નકૂટના અમૂલ્ય દર્શન ભક્તોએ કર્યા હતા. મા ખોડલને વિવિધ મીઠાઈ અને ફરસાણ સહિત કુલ ૫૬ વાનગીનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.