રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ પરશુરામ જયંતી અને આવતીકાલથી શરુ થઇ રહેલા પવિત્ર રમઝાન માસ દરમિયાન ઘરેથી જ પૂજા અને બંદગી કરી કોરોના વાયરસની આ મહામારીમાં સહયોગ આપવા અમે તમામ રીતે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા અનુરોધ કર્યો છે. DGPએ કહ્યું કે ધર્મગુરૂઓ લોકોને ભેગા ન થવા દે અને લોકડાઉનમાં ઘરની બહાર ન નીકળવાની અપીલ કરે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે જે લોકો લોકડાઉનનું ઉલ્લંઘન કરશે અને ઘરની બહાર ભેગા થશે તો એવા લોકો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.
DGPએ કહ્યું કે લોકોના ભેગા થવાથી કોરોના સંક્રમણ વધી શકે છે. જો લોકો ભેગા થવાનો પ્રયાસ કરશે તો પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે. આ અગાઉ રામનવમી તથા હનુમાન જયંતીના તહેવારોમાં પણ પોલીસે લોકોને પૂજા-અર્ચના માટે ભેગા થવા દીધા ન હતા અને જ્યાં આ અંગેની માહિતી પ્રાપ્ત થઇ હતી, ત્યાં ગુના પણ દાખલ કર્યા હતા.
ઉત્તરાખંડ કેબિનેટે નક્કી કર્યું છે કે, ચારધામોના કપાટ ખુલતી વખતે સામાન્ય જનતાને ચારેય ધામના દર્શનની
અનુમતિ નહીં મળે. અત્યારે સામાન્ય જનતાને લૉકડાઉન સુધના સમયગાળા માટે ધાર્મિક
સ્થળો પર પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. કેબિનેટે એ પણ નક્કી કર્યું છે કે, ઉત્તરાખંડમાં 17 એપ્રિલથી સચિવાલય અને વિધાનસભા ખુલશે.
કેબિનેટના નિર્ણય અનુસાર, 17 એપ્રિલથી જ મંત્રી પણ વિધાનસભામાં બેસી શકશે. અનુસચિવથી ઉપરના
કર્મચારી સચિવાલય અને વિધાનસભામાં ઉપસ્થિત રહેશે. 20 એપ્રિલ બાદ રાજ્યમાં ઉદ્યોગ ચલાવવા માટે છૂટ આપવામાં આવી શકે છે પણ
આના માટે સરકારની પરવાનગી લેવી પડશે. ઉદ્યોગ શરૂ કરવા માટે જે-તે જિલ્લાના
કલેક્ટરની પરવાનગીની જરૂર રહેશે.
કેબિનેટે એ પણ નક્કી કર્યું કે, લગ્ન કરવા તથા અંત્યેષ્ટિ કરવાની છૂટ મળશે પણ આના માટે તંત્રની
પરવાનગી જરૂરી રહેશે. 5 લોકોની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે લગ્નને પરવાનગી મળશે
જ્યારે અંત્યેષ્ટિમાં 20 લોકોને મંજૂરી હશે.
કેબિનેટે એ પણ નિર્ણય લીધો છે કે, લૉકડાઉનમાં 5થી વધુ વ્યક્તિઓથી વધુ કોઈપણ સાર્વજનિક
સ્થળે પાબંદી રહેશે. સાર્વજનિક સ્થળો પર માસ્ક પહેરવું જરૂરી રહેશે. કેબિનેટે એ
નિર્ણય પણ લીધો કે, આ લૉકડાઉન દરમિયાન રાજ્યમાં રોડ, રેલવે અને હવાઈ એમ તમામ પ્રકારનાો વાહન વ્યવહાર બંધ રહેશે.
આજે સંકટમોચક હનુમાનની જન્મ જયંતી છે. એક એવા દેવ જે ચારે યુગમાં હાજરાહજૂર છે. જી.. હાં, હનુમાનજી અમર છે. ચિરંજીવ છે. શંકરનો અવતાર એવા આ હનુમાન ત્રેતા યુગમાં રામના સેવક બનીને આવે છે તો દ્વાપર યુગમાં મહાભારતના યુદ્ધ વખતે અર્જુનના રથ પર બિરાજી ધર્મની ધજા ફરકાવે છે.
આશા રાખીએ કે હાલ કળિયુગમાં વ્યાપી રહેલા કોરોના રૂપી માયાવી રાક્ષસનો કોળિયો કરીને આ કષ્ટભંજક આપણી સહાય કરે. આજે આપણે પંચમુખી હનુમાનને વિશેષરૂપે યાદ કરવાની જરૂર છે. રામ-રાવણના યુદ્ધ સમયે એક સમય એવો આવ્યો હતો કે રાવણનો ભાઇ અહીરાવણ જે માયાવી રાક્ષસ હતો. તેણે પોતાની માયાથી રામ-લક્ષ્મણને મૂર્છિત કરી દીધા હતા અને પાતાળલોક લઇ ગયો હતો. માયાની અસર ઓછી થતાં વિભીષણને જ્યારે આ વાતનો ખ્યાલ આવ્યો કે અહીરાવણ રામલક્ષ્મણને પાતાળલોક લઇ ગયો છે તો તેમને છોડાવી લાવવા હનુમાનને ત્યાં જવાનું કહ્યું. અહીરાવણે માયા પ્રપંચથી પોતાના જીવને પાંચ દિશામાં પાંચ દીવા તરીકે સ્થાપિત કર્યો હતો. આ પાંચ દીવા એક સાથે બુઝાય તો જ અહીરાવણનો વધ થાય એમ હતો. આ કામ કરવા માટે હનુમાનજીએ પાંચ રૂપ ધારણ કર્યા. ઉત્તરમાં વરાહમુખ, દક્ષિણમાં નરસિંહમુખ, પશ્ર્ચિમમાં ગરૂડમુખ, આકાશ તરફ હયગ્રીવ મુખ અને પૂર્વમાં હનુમાન મુખ. આવું રૂપ ધારણ કરી હનુમાને પાંચ દિશામાં રહેલા પાંચ દીપકને બુઝાવ્યા ત્યારે માયારૂપી અહીરાવણનો વધ થયો.
આજે કોરોનારૂપી માયાવી રાક્ષસે પણ આવી જ દહેશત ફેલાવી છે. તેની મારક રસી હજી શોધાઇ નથી. લોકો કશું સમજે તે પહેલાં જ તે કોઇ પણ દિશામાંથી આવીને માણસને તેનો ચેપ લગાડી દે છે. અત્ર તત્ર સર્વત્ર દરેક દિશામાં ફેલાયેલા તેના માયારૂપી દીપને બુઝાવવા આજે હનુમાનજી ફરીથી પંચમુખ ધારણ કરે અને આસુરી કોરોનાનો અંત થાય એવી પ્રાર્થના કરીએ.
અત્યારે લૉકડાઉનને કારણે ઘરે બેઠા તેમના ગુણગાન ગાતો એક શ્ર્લોક ગાઇને તેને આત્મસાત્ કરવાની આજે ઉત્તમ તક છે.
મનોજવં મારુત તુલ્યવેગં,
જિતેન્દ્રિયં બુદ્ધિમતામ્ વરિષ્ઠમ,
વાતાત્મજં વાનરયુથ મુખ્યમ,
શ્રીરામદૂતમ્ શિરસા નમામિ !
ઉત્તમ વિચારોવાળા, પવનની ઝડપે ઊડવાવાળા પણ તમામ ઇન્દ્રિયોને જેમણે વશ કરી છે તેવા બુદ્ધિમાં શ્રેષ્ઠ અને રામના પરમદૂત એવા હનુમાનને વંદન હજો. આ શ્ર્લોકને ખરેખર આજના સંદર્ભમાં સમજીને મનમાં ઉતારવા જેવો છે. આજે સહુ કોઇ પવનની ઝડપે પોતાનો વિકાસ થાય એવું ઇચ્છે છે, પણ આ વિકાસ તેને મન બાહ્યવિકાસ છે. આવો વિકાસ સાધીને અંતે માણસ પોતાની પાંચે ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવામાં જ વાપરે છે જે કદીયે સંતુષ્ટ થતી જ નથી. હનુમાનજી જિતેન્દ્રિય છે. તે એવું સૂચન કરે છે કે ઇન્દ્રિયો આપણને જીતી જાય એવું નહીં પણ આપણે ઇન્દ્રિયોને જીતી લઇએ એ શ્રેષ્ઠ કાર્ય છે. આજે માણસ પોતાની ઇન્દ્રિયોને સુખ આપવા એવો વિકાસ કરવા લાગ્યો છે જેનાથી પર્યાવરણ અને ખુદનો પણ નાશ થવા લાગ્યો છે. આજનો વિકાસ ગતિવાન તો છે પણ તે વિનાશ તરફ અધોગતિ કરી રહ્યો છે.
હનુમાન જિતેન્દ્રિય છે, બળવાન અને બુદ્ધિવાન છે છતાંય તેમનામાં અહંકાર લેશમાત્ર નથી. તેઓ રામરૂપી પરમના દૂત બનીને રહેવા માગે છે.
આપણે પણ ગમે તેટલો વિકાસ કરીશું, પણ અભિમાન આવી જશે. નમ્રતાનો છાંટોય આપણામાં નહીં હોય તો એવો વિકાસ રાવણની જેમ વિનાશના પંથે લઇ જશે. આવો આજે હનુમાનના આ શ્ર્લોકને વારંવાર રટીને તેમના જેવા ગુણો જીવનમાં ઉતારવાનો નમ્ર પ્રયાસ કરીએ.
આજથી ચૈત્રી નોરતાંનો આરંભ થયો છે. ગુજરાતી સંસ્કૃતિમાં જેટલું આસો નારતાં જેટલો જ મહિમા ચૈત્રી નોરતાંનો હોય છે. આજે તા.25મી માર્ચ 2020થી ગુજરાતી કેલેન્ડરમાં ચૈત્રી નોરતાંનો આરંભ થયો છે. ગુજરાતમાં માતાજીના બે મોટા મંદિરો, અંબાજી અને પાવગઢમાં મહાકાળી માતાના મંદિરમાં ભક્તજનો વગર જ માતાજીના ઘટનું સ્થાપન કરીને તેમની પૂજાઅર્ચના તથા અનુષ્ઠાનનો આરંભ કરાયો છે. ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું છે કે આજે ભક્તજનોની ગેરહાજરીમાં માતાના મંદિરોમાં ચૈત્રી નોરતાંનો આરંભ ફક્ત પૂજારીઓએ કરાવ્યો છે. લોકડાઉનની અસર ગુજરાતના મોટા મંદિર અને શક્તિપીઠો પર પણ પડી રહી છે. આ ઉપરાંત આજથી ચૈત્રી નવરાત્રિ પણ શરૂ થઈ છે.
સૂરત અંબિકા નિકેતન મંદિર ખાતે આજે પહેલા નોરતેં સવારના માતાજીના દર્શન
સૂરતમાં અંબિકા નિકેતન મંદિરમાં માતાજીની સેવા પૂજા અવિરત જારી
સૂરતના પારલે પોઇન્ટ સ્થિત વિશ્વ વિખ્યાત અંબિકાનિકેતન મંદિર ખાતે આજથી શરૂ થયેલા ચૈત્રી નોરતાં ના પહેલા દિવસે માતાના ઘટનું સ્થાપન તેમજ અન્ય પરંપરાગત પૂજા અર્ચના અવિરતપણે કરવામાં આવી છે. સૂરતના અંબિકાનિકેતન મંદિરમાં આજે વર્ષોથી ચાલતી પરંપરા અનુસાર માતાજીના ઘટનું સ્થાપન કરવામાં આવ્યું હતું.
ભક્તજનોની ગેરહાજરીમાં મંદિરના પૂજારીએ માતાજીની આરાધના કરી હતી. સૂરત શહેર સહિત સમગ્ર વિશ્વ કોરોનાથી મુક્ત થાય એ માટે માતાજીને પ્રાર્થના કરવામાં આવી છે.
સૂરતના ઉદ્યોગપતિ અને પ્રતિષ્ઠિત નાગરીક શ્રી મહેન્દ્રભાઇ કતારગામવાળા વર્ષમાં બન્ને નવરાત્રીના પહેલા દિવસે ઝઘડીયા નજીક ગિરનારીબાપૂના આશ્રમ ખાતે યોજાતી પૂજા, ઘટસ્થાપન, આરાધના આરંભમાં અવશ્ય હાજરી આપતા હોય છે. આજે તા.25મી માર્ચ 2020ના રોજ 35 વર્ષે પહેલી વખત એવું બન્યું કે તેઓ ગિરનારીબાપૂના આશ્રમ ખાતે પહેલા નોરતાં ની પૂજા વિધીમાં પહોંચી શક્યા નહીં.
અંબાજી મંદિરમાં લાઇવ દર્શનની વ્યવસ્થા
કોરોના વાયરસના હાહાકાર વચ્ચે શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજી મંદિર ભક્તોના દર્શન માટે બંધ કરવામાં આવ્યું છે. મંદિરે પ્રત્યક્ષ આવી ન શક્તા ભક્તજન પરિવારોને આજથી શરૂ થતા ચૈત્રી નવરાત્રી ના પર્વને લઇ દેશ-વિદેશના કરોડો માઇભકતો માટે ટ્રસ્ટ દ્વારા ઈતિહાસમાં પહેલીવાર ઘટસ્થાપન અને માતાજીની આરતી લાઇવ નિહાળી શકે એવી વ્યવસ્થા મંદિર મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવી છે.
ચૈત્રી નવરાત્રીનો આજથી આરંભ થઇ રહ્યો છે. આજે અંબાજી મંદિર ના ગર્ભગૃહ મા ભક્તો જે રેલિંગ પાસે ઉભા રહે છે ત્યાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ઘટસ્થાપન કરવામાં આવશે. આ દરમિયાન ભક્તોને પ્રવેશ આપવામાં નહીં આવે.
પાવાગઢના ઈતિહાસમાં આ પહેલીવાર થયું છે જ્યારે ચૈત્રી નવરાત્રિમાં મહાકાળી માતાજીનું મંદિર બંધ રાખવામાં આવ્યું છે. જ્યારે બીજી તરફ વિશ્વવિખ્યાત અંબાજી મંદિરના ઈતિહાસમાં પણ ઘટસ્થાપન અને માતાજીની આરતી લાઈવ નિહાળી શકાશે.
ભારત અને આફ્રિકામાં એક અઠવાડીયામાં નિર્ણય લાગુ થશે : શ્રદ્ધાળુઓ ઓનલાઈન દર્શન કરી શકશે
દુનિયામાં કોરોના વાયરસના વધી રહેલા કેસને ધ્યાને લઈને સ્વામીનારાયણ પ્રશાસને દુનિયાના તમામ સ્વામીનારાયણ મંદિરોને બંધ કરવાનું એલાન કર્યું છે. બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (બીએપીએસ)એ કહ્યું હતું કે, અમેરિકા, કેનેડા, યૂરોપ અને ઓસ્ટ્રેલિયાના મંદિર અગાઉ જ બંધ કરવામાં આવ્યા છે. જ્યારે ભારત અને આફ્રિકાના સ્વામીનારાયણ મંદિર આગામી એક અઠવાડીયામાં બંધ કરી દેવામાં આવશે.’ જો કે શ્રદ્ધાળુઓ દરેક મંદિરની વેબસાઈટ ઉપર પ્રતિદિન દર્શન કરી શકશે.’
મુસ્લિમોનાં પવિત્ર સ્થળ મક્કા અને મદીનાની યાત્રા પર સાઉદી અરબે રોક લગાવી છે. હજયાત્રા પહેલાં સાઉદી અરબે આ નિર્ણય લીધો છે. અત્યાર સુધી મધ્ય પૂર્વના દેશોમાં કોરોના વાઇરસના સંક્રમણના ૨૨૦ કેસ સામે આવ્યા છે. મક્કા સિવાય અરબે મદીનામાં પણ યાત્રા કરવા પર રોક લગાવી દીધી છે.
સાઉદી અરબના વિદેશ મંત્રાલયે નિવેદન જાહેર કરી કહ્યું કે અમે તમામ દેશોના એન્ટ્રી વિઝા રદ કરવાનો નિર્ણય કર્યો છે. મંત્રાલયે કહ્યું, ‘કોરોના વાઇરસને રોકવા માટે સાઉદી અરબ પણ વિશ્વ સાથે છે. અમે પોતાના દેશના નાગરિકોને પણ સલાહ આપી છે કે કોરોના વાઇરસથી પ્રભાવિત દેશોની યાત્રા કરવાથી બચો. અમે પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન પૂરી માનવતાને આ વાઇરસથી બચાવે.
મધ્ય પૂર્વના દેશોમાં કોરોનાથી સૌથી વધુ ઈરાન પ્રભાવિત છે. અહીં સુધી કે ઈરાનના ઉપ-સ્વાસ્થ્ય મંત્રી ઇરાજ હરીરકી પણ એનાથી પ્રભાવિત છે અને તેમણે સારવાર માટે અલગ રાખવામાં આવ્યા છે. ઈરાનમાં કોરોનાના અત્યાર સુધી ૧૩૯ કેસ સામે આવ્યા છે જેમાંથી ૧૯ લોકોનાં મોત થયાં છે. આ સિવાય બહેરિનમાં ૩૩ કેસ સામે આવ્યા છે.
મહત્ત્વપૂર્ણ છે કે સાઉદી અરબસ્થિત મક્કા અને મદીનામાં ઉમરાહ કરવા માટે દર મહિને હજારો લોકો પહોંચે છે.
અમદાવાદમાં એસજી હાઇવે પર વૈષ્ણોદેવી સર્કલથી જાસપુર રોડ પાસે 100 વીધા જમીનમાં 1000 કરોડના ખર્ચે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા 431 ફૂટ ઉંચાઇધરાવતું વિશ્વનું સૌથી ઉંચુ અને ભવ્ય એવું ઉમિયા માતાજીનું ઐતિહાસિક અને અનેક અજાયબી ધરાવતુમંદિર નિર્માણ થવા જઇ રહ્યું છે.
વિશ્વના સૌથી ઉંચા ઉમિયા માતાના મંદિરમાં ગર્ભગૃહમાં મા ઉમિયાની 10 ફૂટથી પણ વધુ ઉંચાઇ ધરાવતી ભવ્ય મૂર્તિ 52(બાવન) ફુટની ઉંચાઇએ સ્થાપિત કરવામાં આવશે. જેથી એક સાથે 10 હજારથી વધુ દર્શનાર્થીઓ દર્શનનો લાભ લઇ શકશે. આ ઉપરાંત ઉમિયા માતાજીના મંદિરની બાજુમાં મંદિર અને સરકારના સંયુક્ત સંકલનથી વિશ્વનું બીજા નંબરનું ટ્રી મ્યુઝિયમ બનશે. જેમાં લુપ્ત થતા 3000 વૃક્ષો રોપવામાં આવશે.
આગામી તા.28 અને 29 ફેબ્રુઆરી દરમિયાન મંદિરનો ભવ્યાતિભવ્ય શિલાન્યાસ સમારોહ યોજાનાર છે. આ અવસરે મા ઉમિયાની મૂર્તિની ચલ પ્રાણપ્રતિષ્ઠા અને 11 હજાર બહેનો દ્વારા જવારા શોભાયાત્રા સાથે 108 કળશનું પૂજન સહિતના અનેકવિધ કાર્યક્રમો પણ આયોજન કરવામાં આવ્યું છે.
રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલ, ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજા સહિતના અનેક મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેશે. આ ભવ્ય શિલાન્યાસ સમારોહમાં દેશભરના સાધુ, સંતો, મહંતો, ધર્માચાર્યો અને પાટીદાર અગ્રણીઓ સામેલ થશે, એમ આજે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી.પટેલ, ઉપપ્રમુખ ડી.એન.ગોર અને શિલાન્યાસ સમારોહ કમીટીના ચેરમેન સુરેશ પટેલે જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું કે, વિશ્વનું સૌથી ઉંચું માં ઉમિયાનું મંદિર જર્મન આર્કિટેક દોઝેન દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. અહીં મહાદેવજીનું પારાનું શિવલીંગ પણ સ્થાપિત કરવામાં આવશે. બે દિવસના આ ભવ્ય શિલાન્યાસ સમારોહમાં દેશ-વિદેશમાંથી ઉમિયા માતાના 2 લાખ ભક્તો ઉમટી પડશે.
શ્રીશ્રી રવિશંકર, બીએપીએસના મહંતસ્વામી મહારાજ, આચાર્ય અવિચલદાસજી મહારાજ, જગદ્દગુરુ રામાનંદાચાર્ય સ્વામીરામભદ્રાચાર્યજી, જગદ્દગુરુ શંકરાચાર્ય વિજેન્દ્ર સરસ્વતીજી, દિલીપદાસજી મહારાજ, વિશ્વંભર ભારતી મહારાજ, બ્રહ્મવિહારી સ્વામી, માધવપ્રિયદાસજી સહિત દેશભરના 21થી વધુ દિગ્ગજ સંતો, મહંતો, મહામંડલેશ્વરો અને કથાકારો ખાસ હાજરી અને આશીવર્ચન આપશે.
આજરોજ તા.21મી ફેબ્રુઆરી 2020ને શુક્વાર, મહાશિવરાત્રીના પર્વની વહેલી સવારથી જ ગુજરાતમાં દેવાધિદેવ મહાદેવના ભક્તિપર્વ શિવરાત્રિની ધામધૂમથી ઉજવણી કરવા દરેક શિવાલયોમાં હર્ષોલ્લાસભેર શરૂ થઈ છે.
સોરાષ્ટ્રના દરિયા કિનારે આવેલા સોમનાથ મંદિરમાં મહાશિવરાત્રિને પહેલી પૂજા મળસ્કે ત્રણ વાગ્યે શરૂ થઇ હતી. વહેલી સવારે આરતી તેમજ ધજા રોહણ બાદ દિવસે હોમ હવન થયા હતા. સવારે નગરમાં પાલખી યાત્રા પણ ધામધૂમપૂર્વક કાઢવામાં આવી હતી.
ગુજરાતના દરેક જિલ્લાના અનેક શિવાલયોમાં હર હર મહાદેવના નાદ સાથે મહાશિવરાત્રિનું પર્વ ઉજવણી શરૂ થયાના અહેવાલો મળ્યા છે.
ભુજમાં સનાતન હિન્દુ સમાજ દ્વારા યોજાનારી ભવ્ય શોભાયાત્રા દર વર્ષની માફક આ વખતે પણ આકર્ષણ જમાવી રહી છે. હમીરસરના કિનારે ૩૫ હજાર ભાવિકો મહાદેવના તહેવારે ભોજનપ્રસાદ ગ્રહણ કરશે.
રાજ્યભરમાં શુક્રવારે મહાશિવરાત્રિના હર હર મહાદેવના નાદ સાથે પર્વની ઉજવણી કરવા માટે શિવમંદિરો સજ્જ બની રહ્યા છે. શિવરાત્રિમાં ભક્તોના પ્રિય એવા ભાંગના પ્રસાદ માટે લોકો આતુર હોય છે. ત્યારે સોમનાથમાં, અમદાવાદના ચકુડીયા મહાદેવ ભાવનગરમાં, જૂનાગઢ તેમ જ ઉત્તર ગુજરાત, કચ્છ, દક્ષિણ ગુજરાત ઉપરાત મધ્ય ગુજરાતમાં શિવ મંદિરોમાં રુદ્રી, હવનાદિ કાર્યો પણ જુદા – જુદા મંદિરોમાં યોજાશે.
વર્ષ 2020 ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીનએ દેવોના દેવ મહાદેવની આરાધનાનો તહેવાર મહાશિવરાત્રી મનાવવામાં આવે છે. આ વખતે 59 વર્ષ બાદ મહાશિવરાત્રી પર શશ યોગ બની રહ્યો છે. જ્યોતિષ મુજબ આ દિવસે શનિ અને ચંદ્ર મકર રાશિ, ગુરુ ધન રાશિ, બુધ કુંભ રાશિ અને શુક્ર મીન રાશિમાં રહેશે, આ યોગ સાધના, સિદ્ધિ માટે ખાસ છે. આ દિવસે દાન-પુણ્ય કરવાનું પણ વિધાન છે. જે પણ વ્યક્તિ ભગવાન શિવની શ્રદ્ઘાની સાથે મહાશિવરાત્રીનો ઉપવાસ કરી પૂજા-અર્ચના કરે છે તેને વિશેષ કૃપાની પ્રાપ્તિ થાય છે.
શિવરાત્રી તો પ્રતિમાસ આવે છે. પરંતુ મહા શિવરાત્રી વર્ષમાં એક જ વખત આવે છે. શિવજીના ભકતો આ દિવસે ઉપવાસ રાખી ઓમ નમઃ શિવાના અખંડ પાઠ કરી શિવલીંગ પર બીલીપત્રો ચઢાવી દુધ અને પાણીનો અભિષેક કરી શિવ ઉપાસના દ્વારા ભગવાન શંકરના કૃપાપાત્ર બનવા પ્રયત્ન કરે છે
જ્યોતિષ મુજબ આમ તો દર મહીનામાં શિવરાત્રી હોય છે. પરંતુ ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીએ મહાશિવરાત્રી તરીકે મનાવવામાં આવે છે. આ વખતે મહાશિવરાત્રી પર શશ યોગ બની રહ્યો છે. આ પહેલા આ યોગ 1961માં બન્યો હતો. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે. શિવરાત્રી પર ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ભગવાનને રૂદ્રભિષેક કર કરવામાં આવે છે.
માન્યતા છે કે આ દિવસ ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. આ દિવસ શિવજી ને વૈરાગ્ય જીવન છોડો ગૃહસ્થ જીવન માં પ્રવેશ કર્યો. શિવ વૈરાગી હતા, તે ગૃહસ્થ બની ગયા. પૌરાણિક કથાઓ મુજબ, મહાશિવરાત્રીના દિવસોમાં શિવજી પહેલી વખત પ્રગટ થયા હતા. શિવનો પ્રાગટ્ય જ્યોર્તિલિંગ એટલે અગ્નિના શિવલિંગના રૂપમાં હતું.
શિવરાત્રિના દિવસે સવારે સ્નાન કરીને મંદિર જઇ શિવલિંગ પર મધ, પાણી અને દૂધનું મિશ્રણથી ભગવાન શિવને સ્નાન કરાવવું જોઇએ. તે બાદ બિલીપત્ર,ધતુરો, ફળ અને ફુલ અર્પણ કરવા જોઇએ. તે બાદ ધૂપ અને દીવો કરી ભગવાન શિવની આરતી કરવી જોઇએ।
જીવ અને શિવનો યોગ સાધતી મહારાત્રી એટલે મહાશિવરાત્રી. ભગવાન શંકરનો મહિમા અનેરો અને અદકેરો છે. સાત્વીક સહજ ભકિતથી પ્રસન્ન થનારા ભગવાન શંકર મહાપ્રલયકારી છે. બ્રહ્માંડના જીવોનું સંકલન કરનારા છે
શિવ મહાપુરાણમાં છ દ્રવ્યો, દૂધ, દહીં, મધ, ઘી, ગોળ અને પાણીથી ભગવાન શિવનો રૂદ્રાભિષેક કરવાનો ઉલ્લેખ છે. તેનાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. જો તમારી આસપાસ કોઇ શિવ મંદિર નથી તો ઘરમાં માટીનું શિવલિંગ બનાવીને તેની પૂજા કરવી જોઇએ.
21 ફેબ્રુઆરીએ સાંજે 5.20 વાગ્યાથી 22 ફેબ્રુઆરીએ સાંજે 7 વાગ્યે 2 મિનિટ સુધી રહેશે. વૈષ્ણવ સંપ્રદાય ઉદયા તિથિ એટલે જે સૂર્યોદયના સમયે તિથિ હોય તેને માને છે. જેથી આ વર્ષે મહાશિવરાત્રી 21 ફેબ્રુઆરીએ મનાવવામાં આવશે.
દુષ્ટ, દુરાચારી, વિદ્રોહીઓના મારક છે. સત્ય, સંયમ, સાત્વીકતાના તારક છે. દૈત્ય સેનાના સંહારક છે. શંખ, ડમરૂ, ત્રિશુલ ધારક છે. ભુતનાથ, ભૈરવાદી રૂદ્રોના પતિ અને સાધુ-જોગીઓના સ્વામી અને ભકતોના ઉપકારક છે
જન્મના ગ્રહોના દ્રારિદ્રય યોગ શિવરાત્રીએ શિવપુજનથી દુર થાય છે. આ પર્વના દિને તમામ દેવ કૈલાસમાં મહાદેવના સાનિધ્યમાં હોય છે. આથી આ દિવસે મહારૂદ્રનો હોમાત્મક પાઠ સોમયજ્ઞનું ફળ આપે છે.
આમ મહાશિવરાત્રી પર્વ ભગવાન શિવના ભકતો માટે અનેરૂ અને અદકેરૂ મહાત્મય ધરાવે છે. ભારતભરના શિવાલયોમાં ગુંજી ઉઠશે હર હર મહાદેવનો નાદ…
ગિરનારની ગોદ ભવનાથ તળેટીમાં 17 Februarty સવારે શાસ્ત્રોક્ત વિધિથી ભવનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ સાથે 5 દિવસ ચાલનાર મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થયો હતો. આ સાથે અન્નક્ષેત્રોમાં હરિહરની હાકલ ઉઠી છે. ઉતારાઓમાં સંતવાણીના સૂર રેલાવા લાગ્યા છે. સાધુ-સંતોએ ધૂણીઓ ધખાવી છે.
Bhavnath Mahadev Mandir
પરંપરાગત પાંચ દિવસીય મહાશિવરાત્રી મેળાનો આજે મહાવદ નામના દિવસે ભૂદેવોના મંત્રોચ્ચાર, પૂજન, અર્ચન, શાસ્ત્રોક્ત વિધિ વચ્ચે ભવનાથ મંદિરે ધ્વજારોહણ કરાતા હર હર મહાદેવ, જય ગિરનારીના જયઘોષ વચ્ચે શિવરાત્રી મેળાનો વિધિવત પ્રારંભ થયો.
બીજી તરફ અખાડાઓ તથા ભવનાથ મંદિર આસપાસ સાધુ-સંતો દ્વારા ધૂણા ધખવાયા છે. મેળાના પ્રારંભ સાથે મનપા, પોલીસ, આરોગ્ય અને વનતંત્ર દ્વારા પોત-પોતાની ફરજ શરૂ કરાઈ છે. પરંતુ પ્રારંભે ભાવિકોની પાંખી હાજરીનાં કારણે તંત્ર પણ શાંતિનો શ્વાસ લઇ રહ્યું છે. વાહનોને રોકટોક વગર તળેટીમાં પ્રવેશવા દેવાય છે.
18 February ત્રણ દિવસીય સાંજે 7 થી રાત્રીના 11 કલાક સુધી સંતવાણી અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. તેમાં સ્થાનિક નવોદિત કલાકારોને પ્લેટફોર્મ અપાશે જ્યારે નામાંકિત કલાકારો ઉતારાઓમાં સંતવાણીના સૂર રેલાવશે.
મેળામાં ઉમટતા લાખો ભાવિકોની સલામતી અને સુરક્ષા માટે 3000 જેટલી પોલીસ ઉતારાતા તળેટીમાં પોલીસ, સાધુ-સંતો, ઉતારા, અન્નક્ષેત્રોનાં સ્વયંસેવકો તથા વિવિધ વિભાગનાં ફરજ તૈનાત કર્મચારીઓ અને પાંખી સંખ્યામાં ભાવિકો નજરે પડયા હતાં.
આવતીકાલથી ભાવિકોનો પ્રવાહ શરૂ થશે અને છેલ્લા બે દી’ તળેટીમાં માનવદરિયો ઘૂઘવશે. આ સ્થિતિને પહોંચી વળવા માટે આયોજકો સજ્જ’ બન્યા છે. આમ તળેટીમાં આજથી પાંચ દી’ જીવ અને શિવનો સંગમ રૂપી મેળાનો ધમધમાટ શરૂ’ થઇ ગયો છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.