CIA ALERT

પ્રેરણાદાયી વાત Archives - Page 41 of 42 - CIA Live

May 26, 2018
kanya.jpg
1min11950
વડોદરાની 25 વર્ષિય નિશીતા રાજપૂતે શરૂ કરેલા બેટી બચાવો બેટી પઢાવોના અભિયાનને ભારે સફળતા મળી રહી છે. છેલ્લા 6-7 વર્ષથી નિશીતા રાજપૂત આર્થિક રીતે નબળી સ્થિતિ ધરાવતા પરિવારોની દિકરીઓના અભ્યાસ માટે શાળાની ફી ભરીને દીકરીઓને શિક્ષિત કરવાની નેમ શરૂ કરી છે. ત્યારે આ વર્ષે નિશીતા 10 હજાર વિદ્યાર્થીનીઓની કુલ એક કરોડ રૂપિયા જેટલી ફી વિવિધ શાળાઓમાં ભરશે. અત્યાર સુધીમાં અસંખ્ય દિકરીઓ આ અભિયાનને કારણે શાળામાં અભ્યાસ કરી શિક્ષિત બની રહી છે. જેના કારણે દિકરીના વાલીઓ પણ નીશિતાની આ કામગીરીને ખૂબ આવકારી રહ્યા છે.
ગુલાબ રાજપુત અને તેમની દીકરી નિશિતા રાજપુતે ગરીબ છોકરીઓને ભણાવવા માટે ફી પેટે દરેકને 1000 રૂપિયા આપી રહ્યા છે. ગરીબ બાળકીઓના શિક્ષણ માટે તેઓ એક કરોડનું ડોનેશન ભેગું કરશે. નીશિતા પોતાની આ કામગીરી દાતાઓની મદદથી આગળ વધારી રહી છે. જેમાં અભિયાનની શરૂઆતમાં ફંડની અછત અનુભવાતી હતી. પરંતુ ધીરે ધીરે નિશીતાને વિવિધ દાતાઓ તરફથી નાણાકીય મદદ મળતી ગઈ.
ગુલાબભાઈ રાજપૂતે કહ્યું કે ફી પેટે તેઓને અત્યાર સુધીમાં 22 લાખ રૂપિયાના ચેક મળ્યા છે. ચેક સ્વરૂપે મળતી આ મદદને સીધી શાળામાં જમા કરાવવામાં આવે છે. એટલુ જ નહી દાતાઓની મળેલી રકમ કઈ શાળામાં કઈ દિકરીની ફી પેટે વપરાઈ છે તેની લેખિતમાં પણ જાણકારી આપવામાં આવે છે. દાતાઓ દ્વારા પણ દર વર્ષે વિદ્યાદાનની રકમમાં વધારો કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. નિશીતાના આ ભગીરથ અભિયાનને વડોદરાવાસીઓએ ખૂબ બિરદાવ્યુ છે.
અમારી આર્થીક સ્થિતી એવી ન હતી કે મારી બે દિકરીઓ છે એ શાળામાં આગળ અભ્યાસ કરી શકે નીશીતાએ મારી દિકરીઓની ફિ ભરી આજે અમને એક આશા બંઘાઇ છે અને મારી દિકરીઓ ઉત્સાહથી અભ્યાસ કરી રહી છે, આંમ બેટી બચાવ- બેટી પઢાવને સાચા અર્થમાં વડોદરાની એક દીકરીનાં અનોખા અભિયાનની મદદ થી પ્રોત્સાહન મળી રહ્યું છે.
May 25, 2018
parenting.jpg
1min5320

આજકાલ પેરન્ટિંગ ક્લાસિસ કે પ્રી-નેટલ ક્લાસિસ એક ટ્રેન્ડ બની ગયો છે. બધા જાય છે એટલે હું પણ જાઉં છું એટલું જ નહીં, પેરન્ટિંગ પોતાનામાં એક બિઝનેસ બની ગયું છે. જે લોકો આ પ્રકારના કોર્સ કરવા જાય છે એમાંથી કેટલાક ખરેખર એવા હોય છે જેમને પેરન્ટિંગને વધુ સમજવાની ઇચ્છા હોય છે, પરંતુ બાકીના લોકો એવા પણ હોય છે કે જે ફક્ત બીજાને જોઈને આ પ્રકારના ક્લાસિસમાં જતા હોય છે. પોતાના બાળકને બેસ્ટ દેવાની હોડ દરેક માતા-પિતાની હોય છે, પરંતુ બાળકને બેસ્ટ એની પાછળ પૈસા ખર્ચવાથી, મોંઘા ક્લાસિસમાં જવાથી કે કોઈ બીજાની સલાહથી આપી શકાતું નથી. બાળકને બેસ્ટ ત્યારે મળે છે જ્યારે બાળક અને માતા-પિતા વચ્ચેનો સંબંધ બેસ્ટ હોય. એક અભણ માતા-પિતા પણ બાળકને ચળકતો સિતારો બનાવી શકે છે, ખૂબ ભણાવી શકે છે અને ખૂબ આગળ વધવામાં પૂરો સહયોગ આપી શકે છે. અંતે તો પેરન્ટિંગ ક્લાસમાં જઈને નહીં, બાળક સાથે રહીને જ આવડે છે. પેરન્ટિંગ દરમ્યાન ઘણી ભૂલો પણ થાય છે, પરંતુ એ ભૂલોમાંથી શીખે અને પોતાના બાળકની પરવરિશના માર્ગમાં એ ભૂલોને ન આવવા દે એ જ યોગ્ય પેરન્ટિંગનો માર્ગ છે. ભૂલો કરતાં-કરતાં શીખવાથી જે પેરન્ટિંગ આવડે એ કોઈ ક્લાસમાં શીખવાતું નથી. લોકો પહેલાં કરતાં પેરન્ટિંગ બાબતે ઘણા જાગ્રત થયા છે. હકીકત એ છે કે નવા પેરન્ટ્સ તરીકે બાળક માટે શારીરિક, માનસિક અને આર્થિક રીતે સજ્જ રહેવું અત્યંત જરૂરી છે. જો એ સજ્જતા ક્લાસમાં જઈને આવતી હોય તો પણ ઠીક છે કે પછી જો ખુદના પ્રયત્નો સાથે કે ફૅમિલીની મદદથી આવી હોય તો પણ બેસ્ટ જ છે. જરૂર છે સજ્જ થવાની પછી રીત કોઈ પણ હોય.

આજે સમય ઘણો જુદો છે. દરેક યુવાન માતા-પિતા બનવા માટે પહેલાં પોતે સજ્જ થાય છે. આ સજ્જતામાં આર્થિક પાસું મોટું છે. એની સાથે-સાથે દરેક યુગલ પોતાના બાળકને કેવું જીવન આપવા માગે છે, કેવા સંસ્કાર આપી શકશે કે તેનું ઘડતર કેમ કરશે એ બાબતે પણ સજ્જ થવાના પ્રયત્નો પોતાની ક્ષમતા પ્રમાણે કરતું જોવા મળે છે. મારે મારા બાળકને કેમ મોટું કરવું એ બાબતે વિચાર કરતાં માતા-પિતા ઘણાં જોવા મળે છે. જોકે અમુક એવાં પણ છે જેમને ખાસ સમજ નથી પડતી, પરંતુ તેમને એટલી સમજ ચોક્કસ પડે છે કે બાળકો એમનેમ મોટાં નથી થઈ જતાં. પોતાને સજ્જ કરવાં, બાળક મોટું કેમ કરવું અને તેને મોટું કરવામાં નડતા અઢળક પ્રશ્નોને ઉકેલવા માટે આજકાલ પ્રોફેશનલ હેલ્પ મળવા લાગી છે. ઠેર-ઠેર પેરન્ટિંગ કોર્સ શરૂ થયા છે. ઠેર-ઠેર પ્રી-નેટલ ક્લાસિસ પણ શરૂ થયા છે. આ કોર્સ અને ક્લાસમાં જનારાં યુવા યુગલોની સંખ્યા વધતી જાય છે. જે જાણે છે એ સમજે છે કે પેરન્ટિંગમાં કોઈ પણ મેથડ ૧૦૦ ટકા સાચી ન હોય શકે. દરેક બાળકે અને દરેક પેરન્ટ્સે એ મેથડ બદલવાની. કોઈ પણ પ્રકારના પેરન્ટિંગને આદર્શ પેરન્ટિંગ ન ગણાવી શકાય. તો પછી આ કોર્સમાં શીખવાનું શું? શું ખરેખર કોઈ કોર્સ આપણને સારાં માતા-પિતા બનવાનું શીખવી શકે? જો એવું ન હોય તો બધાં શું કરવા માટે કોર્સ શીખી રહ્યાં છે?

 

આજથી ૩૦-૪૦ વર્ષ પહેલાંનું પેરન્ટિંગ ઘણું અલગ હતું. લોકો માનતા હતા કે બાળક ઈશ્વરની દેન છે, એ પોતાના નસીબનું લઈને આવશે, આપણે ચિંતા કરવા જેવી નથી. બાળકો ક્યાં રમે છે? શું કરે છે? શું વિચારે છે? કયા ધોરણમાં ભણે છે? પાસ થયાં કે નહીં એની ઝાઝી ચિંતા એ સમયનાં મા-બાપ કરતાં નહીં. એકંદરે બાળક તેનો રસ્તો ખુદ પસંદ કરતું અને આગળ વધતું. જે આગળ વધી શકે એ વધી જતું, જે રહી જાય તેના બાબતે પણ માતા-પિતા ટેન્શન લેતાં નહીં, તેને જરૂર પડ્યે સપોર્ટ કરતાં અને બધાં એકસાથે જીવી જાણતાં. જોકે એવું નથી કે પહેલાંનું પેરન્ટિંગ ઘણું સારું હતું. એ સમયે બાળકોના દરેક પ્રૉબ્લેમને એક ઝાપટ સાથે સૉલ્વ કરવાનો રિવાજ હતો. જીદ કરે તો ઝાપટ, ખોટું બોલે તો ઝાપટ, પૂછો એનો જવાબ ન આપે તો ઝાપટ, જે કહો એ ન માને તો ઝાપટ. બાળક કહે કે મને આ જોઈએ છે તો ચોખ્ખી ના પાડી દેવાની અને એ ના કહેવું જ બસ થઈ ગયું. તેને એ સમજાવવાની જરૂર નહોતી કે શું કામ તને ના પાડી.

May 25, 2018
agri.jpg
1min18080

૭૭ વર્ષના વયોવૃદ્ધ ખેડૂત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને અન્યોને પ્રેરણા પુરી પાડી રહ્યા છેઃ

સમગ્ર ગ્રીન હાઉસ પ્રોજેક્ટ સોલાર પેનલની પુનઃપ્રાપ્ય ઉર્જા દ્વારા ચાલે છેઃ

૪૦ ગુંઠાના ગ્રીન હાઉસમાં કાકડી અને ટામેટાનું વાવેતર કર્યું છેઃ

દક્ષિણ ગુજરાતના ખેડૂતો ‘ગ્રીન હાઉસ’ના કન્સેપ્ટથી પાકને વૈજ્ઞાનિક પદ્ધતિથી અનુકૂળ વાતાવરણ સર્જીને મબલખ પ્રમાણમાં ઈચ્છિત પાક મેળવી રહ્યા છે.

હાલ સુધી ખેતીનો સંપૂર્ણ આધાર આબોહવા અને કુદરત પર રહેતો હતો. પણ નવા યુગ સાથે નવી ટેકનોલોજીનો ઉપયોગ વધતાં કૃષિક્ષેત્ર પણ જમાના સાથે તાલ મિલાવી રહ્યું છે. હવે કુદરત પર આધાર રાખ્યા વિના ‘ગ્રીન હાઉસ’ના કન્સેપ્ટથી ખેડૂતો પાકને વૈજ્ઞાનિક પદ્ધતિથી અનુકૂળ વાતાવરણ સર્જીને મબલખ પ્રમાણમાં ઈચ્છિત પાક મેળવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા પણ જગતનો તાત સમૃદ્ધ થાય તથા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને જંગી ઉત્પાદન મેળવી આર્થિક રીતે પગભર બને એવા અવિરત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજય સરકારે કૃષિ મહોત્સવની શરૂઆત કરી ત્યારથી જ કૃષિ અર્થતંત્રમાં બદલાવ આવ્યો છે. હજારો ખેડૂતોએ આધુનિક ટેકનોલોજી અપનાવીને પોતાની આવક બમણી કરી છે.
સુરત જિલ્લામાં ગ્રીનહાઉસથી ખેતી કરતા ખેડૂતોની સંખ્યા દિન-પ્રતિદિન વધી રહી છે. તેનું કારણ છે ગ્રીનહાઉસ-નેટહાઉસ ખેતીથી નિંદામણના અને રોગ-જીવાતોના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો તેમજ ઉત્પાદનમાં વધારો. સાથે સાથે પાણીના વપરાશમાં બચત અને મજૂરી ખર્ચમાં પણ લાભ મળે છે. સાદી ભાષામાં કહીએ તો ગ્રીનહાઉસ ટેક્નોલોજી એટલે બંધ કવરમાં વાતાવરણ, તાપમાન અને ભેજ નિયંત્રણની સચોટ વ્યવસ્થા હેઠળ કરાતી નવા જમાનાની ખેતી.

એમ.એસ.યુનિવર્સિટીમાંથી ઈલેકટ્રીક એન્જિનિયરીંગ કરીને ઈલેકટ્રીક એન્જિનિયર તરીકેની નોકરી છોડી નવતર ખેતી કરતા સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કદરામા ગામના ૭૭ વર્ષના વયોવૃધ્ધ ખેડૂત લલિતભાઈ નાથુભાઈ પટેલે ખેતીમાં ગ્રીન હાઉસ ટેકનોલોજીથી કાકડીનું માતબર ઉત્પાદન મેળવીને અન્યોને પણ પ્રેરણા પુરી પાડી છે.
સુરત માહિતી ખાતાની ટીમ સાથેની એક મુલાકાતમાં વાત કરતા લલિતભાઈ કહે છે કે, શરૂઆતમાં અમો શેરડી, ડાંગર જેવા પરંપરાગત પાકોની ખેતી કરતા હતા. પરંતુ બદલાતા સમય સાથે આજના આધુનિક અને ઝડપી યુગમાં ટેકનોલોજીનો ઉપયોગ કર્યા વિના ચાલે તેમ નથી.
લલિતભાઈ પુત્ર જતીનભાઈ પટેલ સાથે ત્રણેક વર્ષ પહેલા જિલ્લામાં યોજાયેલા કૃષિ મહોત્સવમાં ગયા હતા. જયાં વૈજ્ઞાનિકોએ આધુનિક ટેકનોલોજી અંતર્ગત ગ્રીન હાઉસ/નેટ હાઉસ વિશેની માહિતી આપી. ત્યાર બાદ પિતા-પુત્રએ બાગાયત ખાતાના અધિકારીઓનો સંપર્ક કર્યો, જ્યાં ગ્રીન હાઉસ-નેટ હાઉસની વિગતો મેળવી. બાગાયતના અધિકારીએ આણંદ જિલ્લામાં યોજાયેલા પ્રેરણા પ્રવાસમાં આવવા જણાવ્યું. જેથી જતીનભાઈએ ૧૫ દિવસ દરમિયાન આણંદ ખાતે પ્રેરણા પ્રવાસ, ટ્રેનિંગ દરમિયાન ત્યાંના પ્રગતિશીલ ખેડૂતોના ખેતરોની મુલાકાત લઈને અનુભવોનું આદાન-પ્રદાન કર્યું હતું. ઉપરાંત ગ્રીન હાઉસ અને નેટ હાઉસમાં આપવામાં આવતી સબસીડી તથા કેવા વાતાવરણમાં કયું ઉત્પાદન લઈ શકાય તેની પ્રત્યક્ષ મુલાકાત લીધી. પુત્ર જતિનભાઈ સાથે લલિતભાઈએ ચર્ચા કરીને કહ્યું કે, ‘હવે આધુનિક ટેકનોલોજી વિના ચાલે તેમ નથી. સ્વભાવે સાહસિક અને પ્રયોગશીલ એવા પિતા-પુત્રએ તમામ વિગતો મેળવીને પ્રથમ ૨૦ ગુંઠામાં નેટહાઉસ બનાવ્યું. તેમા પ્રથમ પ્રયાસે ૧૩ ટન ખીરા કાકડીનું ઉત્પાદન લીધા બાદ આ જ નેટહાઉસમાં કેપ્સિકમ મરચાનું ઉત્પાદન લીધું, જેમાં સવા લાખના ખર્ચ બાદ કરતા ચોખ્ખો ચાર લાખનો નફો થયો હતો.

સારૂ એવું ઉત્પાદન મળતા હવે ગ્રીન હાઉસમાં કાકડીનું વાવેતર કરવાનો નિર્ધાર કર્યો. ગ્રીન હાઉસ એટલે, પ્લાસ્ટિક અથવા પારદર્શક આવરણવાળું ગૃહ. જેમાં વધુ ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવા માટે જરૂરી વાતાવરણનું નિયંત્રણ કરી શકાય છે. લલિતભાઈએ ૪૦ ગુઠા જમીનમાં હાઈટેક ગ્રીન હાઉસ તૈયાર કર્યું. જેમાં કુલ ૩૭ લાખના ગ્રીન હાઉસમાં સરકારની ૬૫ ટકા એટલે ૨૪ લાખ જેટલી રકમની સબસીડી પ્રાપ્ત થઈ છે. આ પ્રોજેકટમાં ૨૦ ગુંઠામાં કાકડી અને ૨૦ ગુંઠામાં ટામેટાનું વાવેતર કર્યું છે.
લલિતભાઈ કહે છે કે, કાકડી એ ચાર મહિનાનો પાક છે. અમોએ, જાન્યુઆરી-૨૦૧૮માં એક બીજ ૭ રૂા.ના ભાવે લાવીને કાકડીના ૬ હજાર રોપાઓ તૈયાર કરીને વાવેતર કર્યું. ૪૦ દિવસમાં ઉત્પાદન ચાલુ થયું. સમયાંતરે ૨૫૦ થી ૫૦૦ કિલો કાકડીનું ઉત્પાદન મળે છે. ૩૦૦ થી ૪૦૦ મણદીઠ બજાર ભાવ મળ્યો છે. ચાર મહિના દરમિયાન ૧૪ થી ૧૫ ટન કાકડીનું ઉત્પાદન મળ્યું છે. આમ, રૂ. ૧,૮૦,૦૦૦માં ૪૦ હજારનો ખર્ચ બાદ કરતા ૧.૪૦ લાખનો નફો થયો છે. જ્યારે ટામેટાનું ઉત્પાદન ટુંક સમયમાં શરૂ થઈ જશે. વેચાણની વિશે વાત કરતા તેઓ કહે છે કે, સામાન્ય રીતે કાકડીનો ઉપયોગ કચુંબર-સલાડ બનાવવા હોટેલોમાં વધુ થતો હોઈ તેની ભારે માંગ રહે છે. ગ્રીન હાઉસમાં ઉત્પાદિત કાકડીની ઉચ્ચ ગુણવત્તા હોવાના કારણે માંગ સારી રહે છે.
ગ્રીન હાઉસની વિશેષતા વિશે વાત કરતા લલિતભાઈ કહે છે કે, કાકડીના પાક માટે ૨૫ થી ૨૭ ડિગ્રી તાપમાન અનુકૂળ રહે છે. જેથી અમોએ ગ્રીન હાઉસની ઉપર આઉટર સ્પ્રિંકલર ગોઠવ્યા છે, જે ચાલુ કરતા પાણીનો છંટકાવ થાય છે. જેના કારણે અંદરનું તાપમાન જાળવી શકાય. અંદર પણ ફોગીંગ દ્વારા વાતાવરણને નિયંત્રિત રાખી શકાય છે.
નવાઈની વાત તો એ છે કે, આ સમગ્ર પ્રોજેકટમાં ડ્રીપ ઈરિગેશન પધ્ધતિથી પિયત કરવામાં આવે છે. જેમાં સોલાર પાવર પેનલ મૂકવામાં આવી છે. ૫ એચ.પી.ની મોટર સોલાર પેનલથી ચાલે છે. નાબાર્ડ મારફતે મળતી સોલાર પેનલની યોજનામાં ૫ લાખમાં ૫૦ ટકા સબસીડી મેળવી ઉપરાંત જી.જી.આર.સી. યોજનામાં ૫ લાખના પ્રોજેકટમાં ૭૫ હજાર ભર્યા, જયારે બાકી ૪.૫૦ લાખની સબસીડી પ્રાપ્ત થઈ હોવાનું લલિતભાઈએ કહ્યું હતું. આ પુનઃપ્રાપ્ય ઉર્જા હોવાને કારણે લાઈટ બિલમાંથી તો જાણે કાયમી મુકિત મળી છે. તેઓ ગર્વભેર કહે છે કે, જો હુ આ ઉમરે આટલી મહેનતથી ખેતીમાં સફળતા મેળવી શકું છું, તો યુવા ખેડૂતો ચોક્કસથી ખેતીમાં નવા અભિગમ સાથે પ્રયોગાત્મક પગલા લે તો લાખો રૂપિયાની કમાણી કરી શકે છે. મહાત્મા ગાંધી કહેતા કે, ચીલાચાલુપણું અને નકલ એ ગર્દભનું લક્ષણ છે. આધુનિક ટેકનોલોજી અપનાવીને ચાલીશું તો ઝડપભેર આગળ વધી શકાય છે. ખેતીમાં નાના પાયે કરેલી શરૂઆતનો અંત પણ સુખદ હશે.

May 25, 2018
1812.jpg
1min12300

હતાશ મહિલાને કૂનેહપૂર્વક સમજાવીને ૧૮૧ અભયમે નવજીવન આપ્યું

૧૮૧ મહિલા હેલ્પલાઈન ટીમ મહિલાઓ માટે આધાર સમાન બની રહી છે. વિકટ પરિસ્થિતિમાં સ્ત્રીઓની વ્હારે આવીને અભયમે ઉમદા કામગીરી બજાવી છે. સુરતમાં તાજેતરમાં જ બનેલા એક કિસ્સામાં સુરત અભયમ ટીમે ફરીવાર એક મહિલાને ત્વરિત મદદ પહોચાડીને મહિલાઓ ની સંકટમોચક હોવાનો પરિચય આપ્યો છે. એક જાગૃત્ત વ્યક્તિએ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન પર કૉલ કરી જણાવ્યું કે એક મહિલા રેલવે ટ્રેક પર ગુમસુમ બેઠી છે, કદાચ તે આત્મહત્યા કરવાના ઈરાદાથી રેલ્વે ટ્રેક પર બેઠી હોય એવું તેના હાવભાવ પરથી જણાઈ આવે છે. અમે તેને સમજાવીને ઊભી કરી, પરંતુ વારંવાર રેલવે ટ્રેકમાં જવા પ્રયત્ન કરે છે.

કોલ મળતાની સાથે જ કતારગામ સ્થિત અભયમ રેસ્કયુવાન તાત્કાલિક દર્શાવેલ સ્થળે પહોંચીને મહિલાને મળીને તેને સાંત્વના આપી નરમાઈથી પૂછપરછ કરતા તેણે પોતાની આપવીતી જણાવી હતી. તેણે કહ્યું કે તેનું નામ રીમાબેન (નામ બદલ્યું છે) છે. પોતાના પતિ અને સંતાનો સાથે સપરિવાર પર્વત પાટિયા વિસ્તારમાં રહે છે. તેના મોટા દીકરાના લગ્ન આગામી ૧૫મી તારીખે થવાના છે. લગ્નના ખર્ચને પહોંચી વળવા નાણાની જરૂરિયાત હોવાથી ગાંધીધામમાં રહેતા સંબંધી પાસે ઉછીના પૈસા લેવા માટે વાત કરતા તેમણે નાણા આપવા માટે ખાતરી આપી હતી. આમ, લગ્ન પહેલા તેઓએ પૈસાની મદદ કરવાની હા પાડી હતી, પરંતુ લગ્નની તારીખ નક્કી થતા અમે પૈસા લેવા ગયા તો સંબંધીએ અમને ઘસીને ના પાડી દીધી કે ‘પૈસાની વ્યવસ્થા મારાથી થઈ શકી નથી, તમે બીજેથી શોધી લો.’

સંબંધી પાસેથી આવો જવાબ મળશે તેવી કલ્પના પણ તેમણે કરી ન હતી. ઘેરી ચિંતામાં મૂકાઈ ગયેલા આ દંપતિને કઈ રસ્તો ન સુઝતા રીમાંબેને હવે ‘આત્મહત્યા કરવા સિવાય કોઈ માર્ગ ન હોવાનું પ્રતિત થતાં રેલવે ટ્રેક પર આપઘાત કરવાનું નક્કી કરી ઘરેથી નીકળી ગયા હતા. ટ્રેકની પાસે જતાં આવતા રાહદારીઓએ તેને સમજાવીને રોકી રાખી હતી. અને બાદમાં ૧૮૧ પર સંપર્ક કર્યો હતો.

મહિલા હેલ્પલાઇનના કાઉન્સેલરે તેમને ખૂબ જ ધીરજથી સાંત્વના આપીને આપઘાતના વિચારો મનમાંથી કાઢી મૂકવાનું સમજાવી તથા આપઘાત કરવાથી સમસ્યાનું નિરાકરણ થઈ શકે નહીં, પરંતુ ઉલટાની સમસ્યામાં વધારો થશે એમ કહીને હૈયાધારણા આપી હતી. આવા અવિચારી પગલાથી સંતાનો નોંધારા થઇ જશે તેમજ પતિ અને પરિવાર વધુ મુશ્કેલીમાં મુકાઈ જશે.

સમજાવટથી મહિલાને પોતાની ભૂલ સમજાઈ હતી. મહિલાએ પરિવાર પાસે જવાની ઈચ્છા વ્યક્ત કરતા તેને પરિવાર પાસે પહોંચાડવામાં આવી હતી. અભયમ દ્વારા પરિવારના સભ્યોને આવી પડેલી મુશ્કેલીનો હિંમતથી સામનો કરવા અને લગ્નની નાણાકીય જરૂરિયાત માટે બીજો વિકલ્પ શોધી પ્રસંગને સુખરૂપ પાર પાડવા અનુરોધ કરી સમજાવવામાં આવ્યા હતા.

આમ, અભયમના ધીરજપૂર્વકની કામગીરીથી એક મહિલાનો જીવ બચાવી શકાયો હતો. અભયમ સેવાનો મૂળ હેતુ આ રીતે મહિ‌લાઓને જીવન ટૂંકાવવાનું અંતિમવાદી પગલું ભરતા રોકવાનો છે. ભૂતકાળમાં પણ સંખ્યાબંધ મહિ‌લાઓને આ હેલ્પલાઈન થકી જ નવજીવન મળ્યું છે.

May 25, 2018
cmaprentice.jpg
2min11430

રાજ્ય સરકારની એક અભિનવ પહેલ: યુવાઓને પગભર બનાવવા માટે
‘મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના’

એપ્રેન્ટીસ પાસેથી કોઇ પણ પ્રકારની તાલીમી ફી લેવામાં આવતી નથી.
તા.૧૯ અને ૨૮મીના રોજ મજુરાગેટ આઈ.ટી.આઈ. ખાતે એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાશેઃ

ગુજરાતનો આજનો યુવાન ગુજરાતનું ભવિષ્ય છે. ગુજરાત એ તકોની ધરતી- લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી છે. રાજ્યના યુવાનો-યુવતીઓને રોજગારીની પૂરતી તકો મળે એ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
રાજ્ય સરકારે યુવાઓને પગભર બનાવવા માટે ‘મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના’ અન્વયે એક અભિનવ પહેલ કરી છે. જે યુવાનો અને યુવતીઓ એપ્રેન્ટીસ કાયદા હેઠળ આવરી લીધેલ કારખાના, હોટલો, હોસ્પિટલો, ટ્રાન્સપોર્ટ, બેન્કો, ખાણ ઉદ્યોગ, આઈ.ટી. ઉદ્યોગ, ફાઈનાન્સિયલ સર્વિસીસ વગેરે જેવા વ્યાપક રોજગારી આપતા એકમોમાં એપ્રેન્ટીસ તરીકે જોડાશે. તેમને જે તે કંપનીના વળતર ઉપરાંત ગુજરાત સરકાર તરફથી મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના અંતર્ગત એક વર્ષ સુધી પ્રોત્સાહક રકમની સહાય આપવામાં આવશે. આ યોજના હેઠળ, સ્નાતક યુવાઓને માસિક રૂ. ૩૦૦૦, ડિપ્લોમાં ધારકને માસિક રૂ. ૨૦૦૦ અને અન્યોને માસિક રૂ. ૧૫૦૦ આપવામાં આવશે. જેના માટે બજેટમાં રૂ.૨૭૨ કરોડની માતબર જોગવાઈ કરવામાં આવી છે.
ગુજરાત સરકારની આ સહાય ઉપરાંત જે એકમોને એપ્રેન્ટીસ એકટ અન્વયે ભારત સરકાર તરફથી માસિક રૂ. ૧૫૦૦ની સહાય આપવામાં આવે છે તે પણ મળવાપાત્ર થશે.
સુરત જિલ્લામાં આગામી તા.૧૯/૫/૨૦૧૮ અને તા.૨૮/૫/૨૦૧૮ના રોજ આઈ.ટી.આઈ. કેમ્પસ, મજુરાગેટ ખાતે સવારે ૧૦.૩૦ થી સાંજે ૫.૩૦ વાગ્યા દરમિયાન એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધો.૭,૮,૯ પાસ અને ૧૦,૧૧,૧૨ પાસ/નાપાસ, આઈ.ટી.આઈ. તમામ ટ્રેડ, બી.એ., બી.કોમ. વગેરેના ઉમેદવારો પોતાના પ્રમાણપત્રો સાથે ભાગ લઈ શકશે. ભરતી મેળામાં નામાંકિત કંપનીઓ ભાગ લેનાર છે.
એપ્રેન્ટીસશીપ તાલીમમાં જોડાવા માટે www.apprenticeship.gov.in પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત માટે ઈ-મેઈલ એકાઉન્ટ જરૂરી છે. આ સિવાય રાજ્યની વિવિધ આઇ.ટી.આઇ. ખાતે ઓફ-લાઇન રજિસ્ટ્રેશન કરવાની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે એપ્રેન્ટીસ પાસેથી કોઇ પણ પ્રકારની તાલીમી ફી લેવામાં આવતી નથી..
તાલીમનો નિયત સમયગાળો પૂર્ણ થયા બાદ વ્યાવસાયિક તાલીમ માટેની રાષ્ટ્રીય કાઉન્સીલ તરફથી વર્ષમાં બે વાર એપ્રિલ અને ઓકટોબરમાં અખિલ ભારતીય વ્યવસાય કસોટી યોજવામાં આવે છે. સફળ થયેલા એપ્રેન્ટીસોને જે તે વ્યવસાયનું રાષ્ટ્રીય પ્રમાણપત્ર આપવામાં આવે છે. આ પ્રમાણપત્ર ભારત સરકારના સાહસો જેવા કે રેલ્વે, ઓ.એન.જી.સી. વગેરેમાં કાયમી સેવા માટે પણ માન્ય છે. કોઈ પણ ઉમેદવારો કે જે એપ્રેન્ટીસ તરીકે જોડાવા ઇચ્છતા હોય, તેઓએ નજીકની આઇ.ટી.આઇ. અથવા જિલ્લા રોજગાર કચેરીનો સંપર્ક કરી જરૂરી માર્ગદર્શન મેળવી શકે છે.
વધુ માહિતી માટે કોલ સેન્ટરનો ટોલ ફ્રી નં. ૧૮૦૦-૨૫૮-૫૫૮૮ પર પણ સંપર્ક કરી શકાય છે. તેમજ www.employment.gujarat.gov.in અને www.apprenticeship.gov.in આ બંને વેબસાઇટ પર ઓનલાઈન જાણકારી મેળવી શકાય છે.

May 24, 2018
D-1.jpg
1min14020
65મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં મનીષ સૈનીની ‘ઢ’ સર્વશ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ બની છે. જેમાં એનઆઈડીના ભૂતપૂર્વ વિદ્યાર્થી મનીષ સૈનીનું દિગ્દર્શન છે. મૂળ હરિયાણા અને હાલ અમદાવાદના પાલડીમાં રહેતા મનીષ સૈની એનઆઈડીના સ્ટુડન્ટ રહી ચૂક્યા છે. આ ફિલ્મનું બજેટ બે કરોડ જેટલું હતું. અભ્યાસ દરમિયાન જ તેમણે આ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું હતું. આ ફિલ્મ માટે જ્યારે નસીરુદ્દીન સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે ફિલ્મ માટે સારી સ્ટોરી હોવાનું કહ્યું હતું, ત્યાર બાદ તેમણે ફિલ્મમાં કામ કરવા સંમતિ આપી હતી. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં પ્રાદેશિક ફિલ્મોની શ્રેણીમાં ગુજરાતી ફિલ્મ ‘ઢ’ને એવોર્ડ આપવામાં આવ્યો હતો.
ફિલ્મમાં સ્કૂલના ત્રણ વિદ્યાર્થીઓ પર આધારિત છે. જોકે ફિલ્મ હજી થિયેટરમાં રિલીઝ થવાની બાકી છે. આ ફિલ્મ ભવન્સ કોલેજમાં ઊભા કરાયેલા સેટ પર ત્રણ સતત 12 – 12 કલાક કામ કરીને તૈયાર કરવામાં આવી હતી,  આ ફિલ્મમાં નસિરુદ્દીન શાહ એક જાદુગરની ભૂમિકામાં છે. આ પહેલાં 2017માં ‘રોંગ સાઇડ રાજુ’ને પણ બેસ્ટ ગુજરાતી ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો હતો.
આ સિવાય હિન્દી ફિલ્મ ‘ન્યૂટન’માં ઉમદા અભિનય બદલ પંકજ ત્રિપાઠીને સ્પેશિયલ એવોર્ડ આપવામાં આવ્યો છે. જ્યારે ‘ન્યૂટન’ને સર્વશ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. ઉપરાંત દિવંગત અભિનેત્રી શ્રીદેવીને ‘મોમ’ માટે સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ આપવામાં આવ્યો છે. તો ‘બાહુબલી’ ફિલ્મને સર્વશ્રેષ્ઠ મનોરંજક ફિલ્મ, બેસ્ટ એક્શન ડિરેક્શન અને બેસ્ટ સ્પેશિયલ ઇફેક્ટ્સ મૂવીનો એવોર્ડ મળ્યો છે.
બેસ્ટ કોરિયોગ્રાફીનો એવોર્ડ ‘ટોઇલેટ – એક પ્રેમ કથા’ને આપવામાં આવ્યો છે. આ ફિલ્મમાં ગણેશ આચાર્યે કોરિયોગ્રાફી કરી છે. ‘ગાઝી’ને બેસ્ટ તેલુગુ ફિલ્મ જાહેર કરવામાં આવી છે.
May 24, 2018
finance-management-2.jpg
1min13290

ફ્રીલાન્સર્સ, સ્વરોજગારી ધરાવતા પ્રોફેશનલ્સ અને ઉદ્યોગસાહસિકો જાણે છે કે, આવક અનિયમિત હોય ત્યારે નાણાંનું મેનેજમેન્ટ મુશ્કેલ હોય છે. કારણ કે વ્યક્તિએ ખર્ચ નિયમિત રીતે કરવો પડે છે, પણ એ ખર્ચ માટે આવક નિશ્ચિત હોતી નથી. ઓપ્ટિમા મની મેનેજર્સના સીઇઓ પંકજ મઠપાલ જણાવે છે કે, અનિયમિત આવક ધરાવતા લોકોને ખર્ચનો અંદાજ હોય છે, આવકનો નહીં. એટલે જ તેમના માટે નાણાકીય આયોજન મુશ્કેલ બને છે.” જોકે, સમજણપૂર્વકના આયોજન સાથે આ પડકારનો સામનો કરી શકાય.

ઇમરજન્સી માટે સૌથી પહેલાં વ્યવસ્થા

વ્યક્તિએ ઇમરજન્સી ખર્ચ માટે સૌથી પહેલાં વ્યવસ્થા કરવી જરૂરી છે. એક વર્ષના ખર્ચ જેટલાં નાણાંની FD કરો અથવા લિક્વિડ ફંડમાં મૂકો. એક્સેલન્ટ એડ્વાઇઝર્સના ડિરેક્ટર પુનિત ઓબેરોયના જણાવ્યા અનુસાર સ્વરોજગાર કરતી વ્યક્તિએ એક વર્ષની આવક જેટલું કન્ટિન્જન્સી ફંડ બનાવવું જોઈએ. તેમાં વર્ષનો ઘરખર્ચ અને બિઝનેસના ફિક્સ્ડ ખર્ચ જેટલી રકમ રાખવી જોઈએ.

ઇમરજન્સી ફંડ ન હોય તો નાણાંની જરૂર પડે ત્યારે વ્યક્તિ એસેટ્સનું વેચાણ કરે છે. તેને લીધે મહત્ત્વના લક્ષ્યાંક માટેની ગણતરી ખોરવાઈ જાય છે. દર મહિને થતી આવકનું લક્ષ્યાંક આધારિત એસેટ એલોકેશન સ્ટ્રેટેજી પ્રમાણે રોકાણ કરવું જોઈએ. અન્ય રોકાણકારોની જેમ સ્વરોજગારમાં સક્રિય પ્રોફેશનલ્સે લાંબા ગાળાના લક્ષ્ય સિદ્ધ કરવા ઇક્વિટીનો ઉપયોગ કરવો જોઈએ. તાત્કાલિક જરૂરિયાત માટે લિક્વિડ અને ડેટ ફંડ્સ સારો વિકલ્પ છે. ઉપરાંત, રહેઠાણની ખરીદી જેવા મધ્યમ ગાળાના લક્ષ્ય માટે તેમાં નાણાં રોકી શકાય.

વ્યક્તિગત અને બિઝનેસ ખર્ચ અલગ રાખવા જોઈએ. TBNG કેપિટલના સ્થાપક અને સીઇઓ તરુણ બિરાનીએ જણાવ્યું હતું કે, “તમે પોતાની જાતને વેતન ચૂકવતા થઈ જશો ત્યારે તમે તેને અન્ય બિઝનેસ ખર્ચની જેમ ગણશો.

વ્યક્તિગત અને બિઝનેસ ખર્ચ અલગ રાખવાથી ફાઇનાન્શિયલ પ્લાન માટે સ્પષ્ટ ચિત્રનો ખ્યાલ આવશે. બિરાની SIPને બદલે તબક્કાવાર રોકાણની ભલામણ કરે છે. Oyepaisa.comના સ્થાપક ઉદય ધૂતના જણાવ્યા અનુસાર વ્યક્તિએ લઘુતમ રોકાણ કે બચતના કમિટમેન્ટની આદત રાખવી જોઈએ. ઉચ્ચક રકમનું રોકાણ લિક્વિડ ફંડ્સમાં કરવું હિતાવહ છે. ચોક્કસ લક્ષ્ય માટે આ પ્રકારના રોકાણની ટેવ રાખો.

નાણાકીય આયોજનને વળગી રહો

વ્યક્તિ નક્કી કરેલી યોજનાને વળગી ન રહે તો અસરકારક નાણાકીય આયોજન માટે ફાળવેલો સમય અને ઊર્જા નિરર્થક નીવડે છે. મઠપાલના જણાવ્યા અનુસાર “લોકો કમાય ત્યારે વધુ ખર્ચ કરે છે અને મુશ્કેલીના સમય માટે ખાસ બચત કરતા નથી. તેઓ પર્સનલ લોન કે ક્રેડિટ કાર્ડ દ્વારા ઊંચા વ્યાજે લોન લે છે.

આવી વ્યક્તિએ લાંબા ગાલાના નાણાકીય આયોજન સાથે વારંવાર સમાધાન કરવું પડે છે. એ વાત યાદ રાખો કે, અંકુશ વગરના ખર્ચા વ્યક્તિને જીવનના લાંબા ગાળાના આર્થિક લક્ષ્યમાંથી વિચલિત કરે છે.

બિરાનીના જણાવ્યા અનુસાર ઘણા લોકો રોકાણને ટૂંકા ગાળાની તકવાદી નજરથી જુએ છે. રોકાણમાં સાતત્યનો અભાવ તેના લાંબા ગાળાના લાભમાં સતત નુકસાન કરાવે છે.વ્યક્તિ લાંબા ગાળા માટે નાનું સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ કરે તો પણ તેના ભંડોળમાં નોંધપાત્ર વધારો થાય છે.

આવક વધારતા વિકલ્પો

અનિયમિત આવક ધરાવતી વ્યક્તિએ સતત આવક રળી આપતા વિકલ્પો પર ધ્યાન આપવું જોઇએ. ટૂંકા ગાળામાં વ્યક્તિની આવક પૂરતી ન હોય ત્યારે ઇમરજન્સી ભંડોળ તેને ટકાવી રાખવામાં મદદ કરે છે. જ્યારે આવકના અન્ય સ્રોત તેને સ્થિરતા આપે છે. મઠપાલના જણાવ્યા અનુસાર આવક રળી આપતી એસેટ્સ ઊભી કરો. જેમકે, વ્યાજની આવક, ડિવિડન્ડ આવક કે ભાડાની આવક આપતી રિયલ એસ્ટેટમાં રોકાણ કરો.

ઇન્શ્યોરન્સને અગ્રિમતા આપો

વ્યક્તિ માટે પૂરતો જીવન વીમો અને હેલ્થ ઇન્શ્યોરન્સ રાખવો ફરજિયાત છે. કારણ કે સ્વરોજગાર કરતી વ્યક્તિ પાસે અન્ય કર્મચારીઓની જેમ કંપની તરફથી ગ્રૂપ હેલ્થ અને લાઇફ ઇન્શ્યોરન્સ હોતો નથી. મહાનગરમાં જીવનસાથી અને બે બાળક સાથે રહેતી વ્યક્તિ માટે ઓછામાં ઓછું ₹5 લાખનું વીમાકવચ જરૂરી છે. દર પાંચ વર્ષે વીમાની રકમની સમીક્ષા કરી તેમાં વધારો કરવો હિતાવહ છે. જીવન વીમો વ્યક્તિની વાર્ષિક આવક કરતાં ઓછામાં ઓછો 10 ગણો હોવો જોઇએ.

May 24, 2018
Child-Labour.jpg
1min15610

ભારતમાં બાળમંજુરી કરતા તથા શોષણનો ભોગ બનતા બાળકોને તેમના હક્કો અપાવવા તથા આરોગ્‍ય, શિક્ષણ તેમજ બાળપણનો આનંદ મેળવી શકે તે માટે કાર્યરત નોનપ્રોફિટ ‘‘ચાઇલ્‍ડ કનિદૈ લાકિઅ રાઇટસ એન્‍ડ યુ અમેરિકા (CRY)”ના ઉપક્રમે પ મે ૨૦૧૮ના રોજ બીજો વાર્ષિક ફંડ રેઇઝર ગાલા પ્રોગ્રામ યોજાઇ ગયો.

 

પ્રોગ્રામ અંતર્ગત છેલ્લા ૧૫ વર્ષ દરમિયાન CRY દ્વારા ભારતના ૩૬૭૬ ગ્રામ્‍ય વિસ્‍તારોના ૭ લાખ જેટલા બાળકો માટે આરોગ્‍ય, શિક્ષણ,પોષણ, તથા હક્કો માટે કરાયેલી પ્રવૃતિઓનો સ્‍લાઇડ શો દર્શાવાયો હતો. બાદમાં સાંજે બોલીવુડ ડાન્‍સ સહિત વિવિધ મનોરંજન પ્રોગ્રામ યોજાયા હતા. ગાલા ફંડ રેઇઝીંગ પ્રોગ્રામ અંતર્ગત નક્કી કરાયેલા ૫૦ હજાર ડોલરનું ફંડ ભેગુ કરવાના લક્ષ્યાંક કરતાં વધુ રકમ ભેગી થઇ હોવાનું જાણવા મળે છે.

 

સાન જોસ, કેલિફોર્નિયામાં ક્રાઉન પ્‍લાઝા  ખાતે યોજાયેલા આ પ્રોગ્રામમાં સેલિબ્રીટી ગેસ્‍ટ તરીકે બોલીવુડ એકટર અભય દેઓલએ હાજરી આપી હતી. ઉપરાંત CRY અમેરિકા પ્રેસિડન્‍ટ  શેફાલી સુંદરલાલ તથા ડો.શંભુનાથ, ડો. રોલી સિંઘ, સહિત ૧૦૦ જેટલા આમંત્રિતો હાજર રહ્યા હતા.

May 24, 2018
womanpilot.jpg
1min19090

ફ્લાઇંગ-ઑફિસર અવનિ ચતુર્વેદી ફાઇટર પ્લેન ઉડાડનાર પહેલી મહિલા પાઇલટ બન્યા છે.

ફ્લાઇંગ-ઑફિસર અવનિ ચતુર્વેદીએ એ ગુજરાતના જામનગર ઍરબેઝથી ૩૦ મિનિટ માટે રશિયન બનાવટનું મિગ-૨૧ બિસન પ્લેન ઉડાડીને ઇતિહાસ રચી દીધો હતો. તે ફાઇટર પ્લેન ઉડાડનાર પહેલી મહિલા પાઇલટ બની છે. ઇન્ડિયન ઍરફોર્સના કાફલામાં સૌથી જૂનું મિગ-૨૧ બિસન ઉડાડવું ઘણું અઘરું કાર્ય મનાય છે. મધ્ય પ્રદેશમાં જન્મેલી અવનિ આગામી છ મહિનામાં ફાઇટર પ્લેનની જટિલતાઓનો અભ્યાસ કરીને એનો યુદ્ધમાં કઈ રીતે ઉપયોગ કરી શકાય એની તાલીમ મેળવશે.

 

May 24, 2018
modivirat.jpg
1min12370
કેન્દ્રીય મંત્રી અને ઓલિમ્પિક્સ સિલ્વર મેડલિસ્ટ રાજ્યવર્ધન સિંહ રાઠોડે ટ્વિટર પર એક ફિટનેસ ચેલેન્જ આપવાની શરુઆત કરી હતી. રાઠોડે તેમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને નોમિનેટ કર્યો હતો. કોહલીએ આ ચેલેન્જનો સ્વીકાર કર્યો અને અન્ય ત્રણ લોકોને ટેગ કર્યા છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સામેલ છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ચેલેન્જનો સ્વીકાર કર્યો છે.
વિરાટ કોહલી, જેની આ સમયે વિશ્વના શ્રેષ્ઠ ફિટ ખેલાડીઓ થાય છે, તેણે વિડીયોની શરૂઆતમાં જણાવ્યું કે, મિસ્ટર રાઠોડની ચેલેન્જનો સ્વીકાર કરૂં છે. કોહલીએ આ દરમિયાન ૨૦ સ્પાઇડર પ્લેન્ક કર્યા. કોહલીએ ત્યારબાદ કહ્યું કે, હું હવે મારી પત્ની અનુષ્કા શર્મા, અમારા વડા પ્રધાન નરેન્દ્ર મોદી જી અને મહેન્દ્ર સિંહ ધોનીને આ ચેલેન્જ આપું છું.
https://www.youtube.com/watch?v=vm7nvQXoYO0
વિરાટ કોહલીએ અનુષ્કા શર્મા, ધોની અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ ચેલેન્જ આપી હતી. નરેન્દ્ર મોદીએ આ ચેલેન્જનો સ્વીકાર કરતાં ટ્વિટ કરીને લખ્યું કે, વિરાટ કોહલી તમારા ચેલેન્જનો સ્વીકાર કરૂ છું. હું ફિટનેસ ચેલેન્જનો વીડિયો ટુંક સમયમાં શેર કરીશ. જો કે અનુષ્કા શર્મા અને એમએસ ધોનીએ હજી આ વીડિયો વિષે કોઈ જવાબ નથી આપ્યો. ઉલ્લેખનીય છે કે રાજ્યવર્ધન સિંહ રાઠોરે પોતાનો વીડિયો શેર કરીને ઋતિક રોશન, સાઈના નહેવાલ અને વિરાટ કોહલીને ટેગ કર્યા હતા.
રાજ્યવર્ધન સિંહ રાઠોરે મંગળવારે પુશ અપ્સ કરી રહેલા પોતાનો એક વિડિઓ ટ્વિટ કર્યો હતો. તેમણે આ વિડિયોમાં લોકોએ તેમના ‘ફિટનેસ મંત્ર’નો એક વિડિયો શૂટ કરી વિડિયોને શેર કરવા માટે વિનંતી કરી હતી. તેમાં સ્ટાર ભારતીય ક્રિકેટર ઉપરાંત, માહિતી અને પ્રસારણ મંત્રી બોલીવૂડ એક્ટર ઋૃતિક રોશન અને બેડમિંટન પ્લેયર સાઇના નેહવાલને પણ તેમણે ટેગ કર્યાં હતા.