Blog - Page 68 of 694 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
October 2, 2024
supreme.jpg
1min348

બુલડોઝર કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે આકરી ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે લોકોની સુરક્ષા સૌથી પહેલા છે અને રસ્તા પર કોઇ પણ ધાર્મિક બાંધકામ હોય તો તેને હટાવવું જરૂરી છે. ગુનાઇત કેસોમાં સામેલ લોકોની સંપત્તિ પર બુલડોઝર ફેરવી દેવા સામે અનેક અરજીઓ સુપ્રીમમાં થઇ હતી જેની સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કોર્ટે કરી હતી. સાથે જ કહ્યું હતું કે અવરોધક ધાર્મિક સ્થળો કે અન્ય કોઇ પણ બાંધકામને હટાવવાને લઇને અમે સમગ્ર દેશ માટે ચોક્કસ ગાઇડલાઇન જાહેર કરી શકીએ છીએ.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે લોકોની સુરક્ષા મહત્વની છે, જો રોડ, જળ કે રેલવે માર્ગ વચ્ચે ક્યાંય પણ ધાર્મિક બાંધકામ આવતુ હોય અને તે અવરોધ ઉભા કરે તેમ હોય તો તેને હટાવવું જરૂરી છે. મંદિર હોય કે મસ્જિદ કે પછી દરગાહ જનતાની સુરક્ષામાં અવરોધક હોય તો તેને હટાવવું જ પડે. ભારત એક સેક્યુલર (બિનસાંપ્રદાયિક) દેશ છે અને બુલડોઝર એક્શન પર અમારો આદેશ તમામ નાગરિકોંને લાગુ પડશે પછી તે કોઇ પણ ધર્મના કેમ ના હોય.

સુપ્રીમના ન્યાયાધીશ બીઆર ગવઇ અને ન્યાયાધીશ કેવી વિશ્વનાથનની બેંચે કહ્યું હતું કે આપણે એક સેક્યુલર દેશ છીએ, તેથી અમારો આદેશ તમામ માટે સમાન રીતે લાગુ પડશે. મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા કે દરગાહ જો રોડ વચ્ચે ઉભા કરાયા હોય અને જનતા માટે અડચણરૂપ હોય તો તેને દૂર કરવા જ પડે. ગેરકાયદે બાંધકામો માટે એક કાયદો હોવો જોઇએ અને તે કોઇ ધર્મ પર નિર્ભર ના હોવો જોઇએ. સુપ્રીમ કોર્ટે ૧૭મી સપ્ટેમ્બરે કહ્યું હતું કે અમારી મંજૂરી વગર દેશમાં એક પણ સ્થળ પર બુલડોઝર ફેરવવામાં નહીં આવે.

બુલડોઝર એક્શન સામે અનેક અરજીઓ થઇ છે અગાઉ સુપ્રીમે બુલડોઝર ન્યાય પર રોક લગાવી હતી, સુપ્રીમના આ આદેશને લઇને મંગળવારે કેન્દ્ર સરકાર તરફથી હાજર સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું હતું કે કોર્ટના આદેશની અજાણતા કોઇ ચોક્કસ સમાજ પર અસર થઇ શકે છે. જેનાથી એક ચર્ચાને વેગ મળશે. જે બાદ સુપ્રીમે કહ્યું હતું કે આપણે એક સેક્યુલર દેશ છીએ, અમારો આદેશ તમામ ધર્મ કે સમાજના લોકો માટે સમાન રીતે લાગુ પડશે. અમે સ્પષ્ટતા કરી હતી કે કોઇ પણ જાહેર સ્થળે અવરોધ ઉભા કરતા ધાર્મિક સ્થળોને હટાવવા સામે અમે કોઇ જ આદેશ નથી આપ્યો. રોડ વચ્ચે કોઇ પણ ધાર્મિક સ્થળ હોય તો તે લોકો માટે અવરોધ ઉભો કરનારા ના હોવા જોઇએ. અમે આવા અવરોધક બાંધકામોને હટાવવા માટે એક ચોક્કસ ગાઇડલાઇન જાહેર કરી શકીએ છીએ. સુપ્રીમ કોર્ટે આ સાથે જ બુલડોઝર એક્શન પર જે વચગાળાની રોક લગાવી હતી તેને યથાવત રાખીને ચુકાદાને અનામત રાખ્યો હતો.

October 2, 2024
thailand-bus.png
1min290

આગળનું ટાયર ફાટતાં બસ બેકાબૂ બની લોખંડની આડશ સાથે અથડાઈ તેથી આગ ભભૂકી ઉઠી

પાટનગર બેંગકોકનાં પરાં ઉત્થાઇ થાનીથી દેશનાં પ્રાચીન યુગનાં પાટનગર અયુત્થીયા સહેલ માટે જતા વિદ્યાર્થીઓની બસનું આગળનું ટાયર પાટનગર થોડે દૂર જતાં જ ફાટી ગયું. પરિણામે વાટ ખાઓ સ્કૂલની બસ, લોખંડની આડશ સાથે અથડાતાં બસ સળગી ઉઠી, બસમાં રહેલા ૪૪ વિદ્યાર્થીઓ પૈકી ૨૫ વિદ્યાર્થીઓનાં કરૂણ મૃત્યુ થયાં. આ અતિકરૂણ દુર્ઘટનાથી દેશમાં હાહાકાર મચી ગયો, સરકારે એક દિવસનો શોક પણ જાહેર કર્યો છે.
આ દુર્ઘટના પછી થાઈલેન્ડના વાહન વ્યવહાર વિભાગના મંત્રી સૂરિયા (સૂર્ય) જુંગ રૃંગ રૂએન્ગકીન દુર્ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બચી ગયેલા વિદ્યાર્થીઓની સારવાર માટે વ્યવસ્થા કરવા આદેશ આપ્યો હતો. આંતરિક બાબતોના મંત્રી અનુતિન ચર્ણ બિરાકુલે કહ્યું હુતં કે હજી સુધી અધિકારીઓ મૃત્યુ આંક નક્કી કરી શક્યા નથી. કારણ કે દુર્ઘટના અંગે હજી તપાસ પૂરી થઇ નથી. પરંતુ બચી ગયેલાઓની સંખ્યા ઉપરથી કહી શકાય તેમ છે કે ઓછામાં ઓછા ૨૫ વિદ્યાર્થીઓનાં નિધન થયાં હશે. બસ હજી એટલી ગરમ છે કે તેમાં જઇ વધુ શોધખોળ કરવી તત્કાળ તો શક્ય નથી. સંભવ છે કે હજી પણ કેટલાક મૃતદેહો બસની અંદર હોઈ શકે.

આ દુર્ઘટનાનો વિડીયો દર્શાવે છે કે સમગ્ર બસ આગની ઝપટમાં આવી ગઇ હતી. તેમાંથી કાળા ધૂમાડા બહાર નીકળતા દેખાતાહતા. જો કે આ દુર્ઘટના તો રોડના છેડા ઉપર બની હતી. તેથી બસ તો રોડની એકબાજુએ પડી છે. પરંતુ હજુ સુધી વિદ્યાર્થીઓનાં નામ, વય કે અન્ય માહિતી મળી શકી નથી.

આ દુર્ઘટના પછી બચાવ કર્મીઓ તુર્ત જ તે સ્થળે પહોંચી ગયા હતા. તેઓએ સ્પષ્ટ મંતવ્ય આપ્યું હતું કે બસનું આગમન એક ટાયર ફાટી જતાં બસ બેકાબુ બની ગઇ હશે. અને રોડની બાજુએ રહેલી લોખંડના બારની આડશ સાથે અથડાતાં તણખા પણ ઉડયા હશે. તેથી ડીઝલ કે પેટ્રોલ આગ પકડતાં બસ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઇ હશે.

October 1, 2024
govinda.png
1min277


અભિનેતા ગોવિંદાને તેમની જ બંદૂકની પગમાં ગોળી વાગી હતી. આ ઘટના સવારે પોણા પાંચ વાગ્યાની છે. સવારે ક્યાંક જવા માટે નીકળતા હતા, ત્યારે બંદૂક સાફ કરતી વખતે મિસ ફાયર થયું હતું. હાલ તેઓ CRITI કેયર હોસ્પિટલમાં દાખલ છે. પ્રાપ્ત અહેવાલો પ્રમાણે, તાત્કાલિક ઓપરેશન કરીને આ ગોળી બહાર કાઢી લેવાઈ છે. હાલ ગોવિંદા સ્વસ્થ છે.

માહિતી અનુસાર જે સમયે આ ઘટના બની હતી ત્યારે ગોવિંદા ઘરે એકલા હતા. તે બહાર જવાની તૈયારી કરી રહ્યા હતા અને પોતાની લાયસન્સવાળી બંદૂકને સાફ કરી રહ્યા છે. ત્યારે અચાનક મિસ ફાયર થતાં તેમના ઘૂંટણમાં ગોળી વાગી ગઇ હતી. કહેવામાં આવી રહ્યું છે કે ગોવિંદાએ પોતાની પડોશમાં રહેતા પોતાના સંબંધીને કોલ કર્યો અને તેમણે ઘટનાસ્થળે પહોંચી ગોવિંદામાં હોસ્પિટલ પહોંચાડ્યા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર ફાયરિંગ બાદ તે ઘટનાસ્થળે પહોંચી હતી અને તેમણે ગોવિંદાની બંદૂકને પોતાના કબજામાં લીધી હતી. કેસની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. અભિનેતાની બંદૂકમાંથી મિસફાયર થયું છે અને ગોળી તેમના ઘૂંટણમાં વાગી છે. ગોવિંદા પાસે લાયસન્સવાળી બંદૂક છે. તો બીજી તરફ તેમના પરિવાર અને ટીમે કોઇ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

માહિતી અનુસાર અભિનેતા અને શિવ સેના નેતા ગોવિંદા કોલકત્તા જવાની તૈયારી કરી રહ્યા હતા. ત્યારે પોતાની બંદૂકને કવરમાં મૂકી રહ્યા હતા, ત્યારે તેમના હાથમાંથી બંદૂક પડી અને મિસ ફાયર થયું હતું, જેના લીધે તેમના પગમાં ગોળી વાગી હતી. ડોક્ટરોએ ગોળી નિકાળી દીધી છે અને તેમની તબિયત સ્વસ્થ છે. આ જાણકારી તેમના મેનેજર શશિ સિન્હાએ એએનઆઇને આપી હતી.

September 30, 2024
cbse.jpg
1min303

CBSE દ્વારા ગાઇડલાઇન જાહેર કરીને આગામી 2025માં ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષામાં ચોરીના બનાવો ન બને તેની સાવચેતી માટે CCTV કેમેરા ફરજિયાતનો નિર્ણય કરાયો છે. આમ જે શાળામાં CCTV કેમેરા નહીં હોય ત્યાં પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવશે નહીં.

CBSE બોર્ડે દાવો કર્યો છે, 2025માં આશરે 44 લાખ જેટલા વિદ્યાર્થીઓ ધોરણ 10-12ની પરીક્ષા આપવાના છે, ત્યારે પરીક્ષામાં કોઈ પ્રકારે ચોરીના બનાવ ન બને તે માટે સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે. જેમાં શૈક્ષણિક સંસ્થાઓને હાઇ રિઝોલ્યુએશન કેમેરા લગાવવાની સૂચના આપવામાં આવી છે. જો કે, બોર્ડની પરીક્ષા માટે રજીસ્ટ્રેશન શરુ કરવામાં આવ્યા છે, જે આગામી 16 ઑક્ટોબર સુધી ચાલશે.

બોર્ડે જણાવ્યું હતું કે, ધોરણ 10-12ની પરીક્ષામાં ચોરીના બનાવની કોઈ સ્થિતિ ઊભી થાય તો, તેની સમીક્ષા કરવા માટે પરિણામ જાહેર થયાના બે મહિના માટે તમામ પરીક્ષા કેન્દ્રના રેકોર્ડિંગનો સંગ્રહ કરાશે. જેનું એક્સેસ માત્ર અધિકૃત કર્મચારી પાસે રહેશે.

September 30, 2024
one-nation.png
1min309

સમગ્ર દેશમાં એક સાથે ચૂંટણી કરાવવા ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ના અમલ માટે કેન્દ્ર સરકાર ત્રણ બિલ લાવશે, જેમાંથી બે બિલ બંધારણમાં સુધારા માટેના હશે. બંધારણમાં સુધારાના બે સૂચિત બિલોમાંથી એક માટે કેન્દ્ર સરકારને ૫૦ ટકા રાજ્યોની મંજૂરીની જરૂર પડશે. આ બિલ લોકસભા અને વિધાનસભા સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના સંદર્ભનું છે.

‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ યોજનામાં આગળ વધતા કેન્દ્ર સરકારે આ મહિનાની શરૂઆતમાં લોકસભા, વિધાનસભાઓ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ એક સાથે કરાવવા માટે બનાવેલી ઉચ્ચ સ્તરીય સમિતિની ભલામણોનો અહેવાલ સ્વીકારી લીધો હતો. સમગ્ર દેશમાં વસતી ગણતરીની કાર્યવાહી પૂરી થયા પછી સરકાર તેની યોજનામાં આગળ વધશે.

સૂચિત પહેલા બંધારણીય સુધારા બિલમાં લોકસભા અને રાજ્યની વિધાનસભા ચૂંટણીઓ એક સાથે કરાવવા માટે જોગવાઈઓ કરવામાં આવશે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અધ્યક્ષપદે રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિની ભલામણોને ટાંકીને સૂત્રોએ જણાવ્યું હતું કે, સૂચિત બિલમાં ‘નિશ્ચિત તારીખ’ સંબંધિત પેટા કલમ (૧)ના ઉમેરા મારફત આર્ટિકલ ૮૨-એમાં સુધારો કરાશે. સરકાર લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓ એક સાથે કરાવવા માટે આર્ટિકલ ૮૨-એમાં પેટા-નિયમ (૨) ઉમેરવાનો પણ પ્રયાસ કરશે.

આ સાથે કેન્દ્ર સરકાર આર્ટિકલ ૮૩(૨)માં સુધારાની દરખાસ્ત કરશે અને તેમાં પેટા કલમ (૩) અને (૪) સંબંધિત કલમનો ઉમેરો કરાવશે, જે લોકસભાના સમયગાળા અને વિસર્જન સંબંધિત છે. તેમાં વિધાનસભાઓના વિસર્જન અંગે પણ જોગવાઈ છે અને આર્ટિકલ ૩૨૭માં સુધારો કરીને ‘એકસાથે ચૂંટણી’ ટર્મ ઉમેરવામાં આવશે. આ બિલમાં સુધારાને ૫૦ ટકા રાજ્યોની મંજૂરીની જરૂર પડતી નથી તેમ ઉચ્ચ સ્તરીય સમિતિની ભલામણોમાં જણાવાયું છે.

બંધારણીય સુધારાના બીજા સુચિત બિલને ૫૦ ટકા રાજ્ય વિધાનસભાની મંજૂરીની જરૂર પડશે, કારણ કે તે રાજ્ય સંબંધિત મામલાનો ઉકેલ લાવશે. તે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે રાજ્ય ચૂંટણી પંચની ભલામણથી કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી તૈયાર કરવા સંબંધિત બંધારણીય જોગવાઈઓમાં સુધારો કરવાનો પ્રસ્તાવ રાખશે.

September 30, 2024
Navratri_9swaroop.jpg
1min363

નવરાત્રિના 9 દિવસોમાં માંના 9 સ્વરૂપોની પૂજા-અર્ચના કરવામાં આવે છે. માતાજીને પ્રસન્ન કરવા માટે ભક્તો વ્રત પણ રાખે છે. ધાર્મિક માન્યતાઓના અનુસાર, નવરાત્રિ દરમિયાન વિધિ-વિધાનથી માં દુર્ગાની પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે. આસો મહિનાના શુક્લ પક્ષની એકમ તિથિથી શારદીય નવરાત્રિ શરૂ થઈ જાય છે. હિન્દુ ધર્મમાં નવરાત્રિનું ખુબ વધારે મહત્વ હોય છે. હિન્દુ પંચાગ અનુસાર, શારદીય નવરાત્રિનો પર્વ 3 ઓક્ટોબર 2024, ગુરૂવારથી શરૂ થાય છે. શારદીય નવરાત્રિનો પર્વ 11 ઓક્ટોબર 2024ના રોજ સમાપ્ત થશે.

નવરાત્રિના પહેલા નોરતાથી કલશ સ્થાપનાનું મહાત્મ્ય છે. તેનાથી માતાજી પ્રસન્ન થાય છે. કલશમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ અને માતૃગણનો નિવાસ માનવામાં આવે છે. તેની સ્થાપનાથી જાતકને શુભ પરિણામ મળે છે.

જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર, આ વખતે કલશ સ્થાપનાનો સમય સવારે 6:15 વાગ્યાથી 7:22 વાગ્યા સુધી રહેશે. તેના સિવાય કલશ સ્થાપના અભિજીત મુહૂર્તમાં પણ કરી શકાય છે. અભિજીત મુહૂર્ત સવારે 11:46 મિનિટથી બપોરે 12:33 મિનિટ સુધી રહેશે. એટલે 47 મિનિટનો સમય મળશે.

જ્યોતિષાચાર્યના અનુસાર, નવરાત્રિ સંસ્કૃત શબ્દ છે. તેનો અર્થ નવ રાત થાય છે. આ નવ દિવસોમાં ઉપવાસ રાખીને દુર્ગા દેવીની પૂજા કરવામાં આવે છે. દુર્ગા સપ્તસતીના પાઠ, દુર્ગા સ્ત્રત્તેત અને દુર્ગા ચાલીસાની સાથે રામ ચરિતમાનસના પણ પાઠ કરવામાં આવે છે. ભક્તિભાવથી આરાધના કરવાથી દુર્ગા માં પ્રસન્ન થાય છે. તેમણે જણાવ્યું કે, આ વખતે માતાજી પાલખીમાં આવી રહ્યા છે. નવરાત્રીની શરૂઆત ગુરુવાર અને શુક્રવારથી થાય છે, તો માનવામાં આવે છે કે માતા પાલખીમાં આવી રહ્યા છે.

September 30, 2024
narmada-dam-overflow.jpg
1min240

ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમની (Narmada Dam) જળ સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી પાણીની આવકના પગલે નર્મદા ડેમની જળ સપાટીમાં 24 કલાકમાં બે સેમીનો વધારો થયો છે. હાલ નર્મદા ડેમની જળ સપાટી 138.46 મીટરે પહોંચી છે. ઉપરવાસમાંથી 1,44540 ક્યુસેક પાણીની આવક થઈ છે. નર્મદા નદીમાં કુલ 80836 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે. નર્મદા ભરૂચ અને વડોદરાના ગામોને કરાયા એલર્ટ કરવામાં આવ્યા છે. સરદાર સરોવર સંપૂર્ણ ભરાવાથી ખૂબ જ નજીક છે.

ઉપરવાસમાંથી 1,44540 ક્યુસેક પાણીની આવક થઈ છે. જેના પગલે નર્મદા ડેમના 10 દરવાજા 1.35 મીટર ખોલવામાં આવ્યા છે જેના કારણે 42 કાંઠા વિસ્તારમાં આવતા ગામોને એલર્ટ કરાયા છે. નર્મદા ડેમમાં 98 ટકા નર્મદા ડેમ ભરાયો છે. તેમજ 138.44 મીટરે નર્મદા ડેમની સપાટી પહોંચી છે. નર્મદા ડેમની મહત્તમ જળસપાટી 138.68 મીટર છે.આ ડેમ સંપૂર્ણ ભરાવાથી માત્ર 24 સેન્ટીમીટર દૂર છે.

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં બે વર્ષ ચાલે એટલો પાણીનો જથ્થો ભરાઈ ચુક્યો છે. હાલ સરદાર સરોવર 100 ટકા ભરાવાથી માત્ર બે ટકા બાકી છે. તેમજ ઉપરવાસમાંથી હજુ પણ પાણીની આવક થવાની શક્યતાના પગલે નર્મદા ડેમ પણ નજીકના દિવસોમાં ઓવરફ્લો થવાની પૂરી શક્યતા છે. નર્મદા ડેમમાં રાજ્યના 173 શહેર અને 9490 ગામના અંદાજે 2.90 કરોડ લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. આ ઉપરાંત રાજ્યના 18.45 લાખ હેકટરમાં સિંચાઈ માટે પણ પાણી પૂરું પાડવામાં આવે છે.

September 28, 2024
call-center.jpg
1min321
  • એફબીઆઇએ આપેલા રિપોર્ટના આધારે સમગ્ર દેશમાં સીબીઆઇની દરોડાની કાર્યવાહી કરવામાં આવી
  • ૩૦ વધુ શંકાસ્પદ યુવકોની અટકાયત કરીને કોમ્પ્યુટર , લેપટોપ, મોબાઇલ ફોન, ડાયરી સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો

અમેરિકાના નાગરિકોને ભારતમાંથી કોલ કરીને છેતરપિંડી કરવાના મામલે ફેડરેશન બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (એફબીઆઇ) દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યો હતો. જે અનુંસધાનમાં સીબીઆઇએ દેશમાં એક સાથે 350 જેટલા સ્થળો પર દરોડાની કાર્યવાહી કરી હતી. જે અનુસંધાનમાં અમદાવાદમાં 20 જેટલા કોલ સેન્ટર દરોડા પાડીને 30 જેટલા વ્યક્તિઓની અટકાયત કરીને પુછપરછ શરૂ કરવામાં આવી છે.

સીબીઆઈના દેશભરમાં દરોડા

દેશના હૈદરાબાદ, મુંબઇ, કોલકત્તા, દિલ્હી, બેંગાલુરૂ અને અમદાવાદ સહિતના શહેરોમાં ચાલતા કોલ સેન્ટરથી અમેરિકામાં કોલ કરીને નાગરિકો પાસેથી મોટા પ્રમાણમાં છેતરપિંડી કરવામાં આવતી હોવાના કિસ્સા અંગે એફબીઆઇએ ભારત સરકારને રિપોર્ટ સોંપ્યો હતો. જેમાં એફબીઆઇએ ટેકનીકલ એનાલીસીસના આધારે કેટલાંક લોકેશન અને વિગતો આપી ગતી. જેના આધારે સીબીઆઇની ટીમ દ્વારા છેલ્લાં એક મહિના દરમિયાન ટેકનોલોજીના ઉપયોગથી સમગ્ર દેશમાં 350 જેટલા ગેરકાયદેસર કોલ સેન્ટરના લોકેશન મેળવ્યા હતા.

અમદાવાદમાં શંકાસ્પદ 30 વ્યક્તિની અટકાયત

અમદાવાદમાં 20થી વધુ કોલ સેન્ટર સક્રિય હોવાની બાતમીને આધારે વસ્ત્રાલ, ઓઢવ પાસેના રીંગ રોડ, થલતેજ, ગોતા, બોપલ સહિતના વિસ્તારોમાં દરોડાની કાર્યવાહી કરી હતી. જેમાં 30 વધુ શંકાસ્પદ યુવકોની અટકાયત કરીને કોમ્પ્યુટર , લેપટોપ, મોબાઇલ ફોન, ડાયરી સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જે અંગે તપાસ કરવા માટે સીબીઆઇના ગુજરાત એકમની વિશેષ ટીમને સક્રિય કરવામાં આવી છે.

September 27, 2024
SGCCI.jpg
1min299

છેલ્લા ઘણાં સમયથી મંદીનો સામનો કરવા સાથે અનેક પ્રશ્નો-સમસ્યાઓ વચ્ચે અટવાયેલા સુરત સહિત દક્ષિણ ગુજરાતના કાપડ ઉદ્યોગમાં નક્કર પગલાં ભરી શકાય તે માટે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ટેક્ષટાઇલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. ટેક્ષટાઇલ ટાસ્ક ફોર્સમાં શહેરના કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા જુદાજુદા સ્ટેક હોલ્ડર્સ, વેલ્યુ ચેઇન યુનિટ્સના આગેવાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ચેમ્બર પ્રેસિડેન્ટ વિજય મેવાવાલાએ વધુ માહિતી આપતા જણાવ્યું કે હાલમાં દક્ષિણ ગુજરાતના કાપડ ઉદ્યોગના પ્રશ્નો, સમસ્યાઓ, પ્રોજેક્ટ તેમજ અન્ય ડેવલપમેન્ટ મોટા પાયે થઇ રહ્યા છે. કાપડ ઉદ્યોગ માટે ચેમ્બર ઓફ કોમર્સના નેજા હેઠળ એક્સપર્ટસ સતત મોનીટરીંગ કરે તે માટે ટેક્ષટાઇલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. જેનું કામ કાપડ ઉદ્યોગના લગતા કોઇપણ ઇશ્યુ પરત્વે ચેમ્બર ઓફ કોમર્સ વતી પરામર્શ કરવાનું રહેશે. ટેક્ષટાઇલ ટાસ્ક ફોર્સના પહેલા ચેરમેને તરીકે આશિષ ગુજરાતીની નિયુક્તિ કરવામાં આવી હોવાનું વિજય મેવાવાલાએ જણાવ્યું હતું.  વધુમાં ચેમ્બર ઓફ કોમર્સની ટેક્ષ્ટાઇલ ટાસ્ક ફોર્સમાં એડવાઇઝર તરીકે ભારતના ટેક્ષ્ટાઇલ મંત્રાલયના પૂર્વ એડિશનલ ટેક્ષ્ટાઇલ કમિશનર એસ.પી. વર્માની નિમણૂંક કરવામાં આવી છે.

મ્બરની ટેક્ષ્ટાઇલ ટાસ્ક ફોર્સ, સુરતમાં ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ હેતુ તેમજ સમગ્ર ટેક્ષ્ટાઇલ ઉદ્યોગના સ્કીલ ડેવલપમેન્ટ માટે પણ ચેમ્બરની આ ટેક્ષ્ટાઇલ ટાસ્ક ફોર્સ મહત્વની ભૂમિકા ભજવશે. આ ઉપરાંત ટેક્ષ્ટાઇલ ટાસ્ક ફોર્સ અંતર્ગત સુરતમાં કોમન ફેસિલિટી સેન્ટરના લાંબા ગાળાના આયોજન માટે પ્લાનિંગ કરાશે. સાથે જ રાષ્ટ્રીય તથા આંતર રાષ્ટ્રીય કક્ષાએ ઇન્ડસ્ટ્રીયલ સ્ટડી ટુરનું પણ આયોજન કરવામાં આવશે.

September 27, 2024
gujarati-investors.png
1min357

દેશભરના ટ્રેડરોને રૂ.૭૫,૦૦૦ કરોડની નુકશાની

What is Futures and Option (F&O) Contract in Trading?

ભારતમાં શેર બજારોમાં વાયદાના વેપાર એટલે કે ફયુચર્સ એન્ડ ઓપ્શન્સ (એફ એન્ડ ઓ)ના કેસીનોમાં રમનારા ટ્રેડરો ખુવાર થઈ રહ્યા હોવાના અને દેશભરમાં ટ્રેડરોએ કુલ રૂ.૭૫,૦૦૦ કરોડની નુકશાની વેઠી હોવાના સેબીના તાજેતરના રિપોર્ટમાં વધુ ચોંકાવનારા આંકડા બહાર આવ્યા છે. આ કુલ નુકશાનીમાંથી ગુજરાતના જ ૧૦.૧ લાખ ટ્રેડરોએ રૂ.૮૮૮૮ કરોડની જંગી નુકશાની નાણા વર્ષ ૨૦૨૩-૨૪માં કરી છે.

સેબીના ઈક્વિટી ડેરિવેટીવ્ઝ સેગ્મન્ટ (નાણા વર્ષ ૨૦૨૨થી નાણા વર્ષ ૨૦૨૪)માં નફા-નુકશાનીના આકલન પરના રિપોર્ટના આંકડા વધુ દર્શાવે છે કે, નાણા વર્ષ ૨૦૨૩-૨૪માં ભારતભરના ૮૬.૨૬ લાખ ટ્રેડરોએ એફ એન્ડ ઓ ટ્રેડીંગમાં રૂ.૭૫,૦૦૦ કરોડની ખોટ કરી છે.
વર્ષ ૨૦૨૩-૨૪માં એફ એન્ડ ઓ ટ્રેડરોમાંથી અડધાથી વધુ તો ચાર રાજયો મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના રહ્યા છે. જેમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં ૧૮.૮ લાખ ટ્રેડરો (૨૧.૭ ટકા), ગુજરાતમાં ૧૦.૧ લાખ ટ્રેડરો (૧૧.૬ ટકા), ઉત્તર પ્રદેશમાં ૯.૩ લાખ ટ્રેડરો (૧૦.૭ ટકા) અને રાજસ્થાનમાં ૫.૪ લાખ ટ્રેડરો (૬.૨ ટકા) ઈક્વિટી ડેરિવેટીવ્ઝમાં છે.

ગુજરાતમાં એફ એન્ડ ઓ ટ્રેડરોએ વ્યક્તિ દીઠ સરેરાશ રૂ.૮૮,૦૦૦ નુકશાની કરી છે. જ્યારે મહારાષ્ટ્રમાં રૂ.૭૪,૦૦૦, ઉત્તર પ્રદેશમાં રૂ.૭૩,૦૦૦ અને રાજસ્થાનમાં રૂ.૮૩,૦૦૦ની સરેરાશ વ્યક્તિદીઠ નુકશાની થઈ છે.

સેબીના રિપોર્ટ મુજબ મહારાષ્ટ્રના ટ્રેડરોએ રૂ.૧૩,૯૧૨ કરોડ ગુમાવ્યા છે. જ્યારે ઉત્તર પ્રદેશના ટ્રેડરોએ રૂ.૬૭૮૯ કરોડની નુકશાની કરી છે. દેશભરના મળીને ૧.૮૧ કરોડ ટ્રેડરોએ કુલ મળીને એફ એન્ડ ઓ સેગ્મેન્ટમાં વર્ષ ૨૦૨૨-૨૪ દરમિયાન રૂ.૧.૮૧ લાખ કરોડની નુકશાની કરી છે.