હાર્દિકનું ઉપવાસનું ‘બ્રહ્માસ્ત્ર’ ફેઇલ, ‘અટલ’ સરકારની મોરલ વિક્ટરી
cialive@yahoo.com
પાસ નેતા હાર્દિક પટેલની માગણીઓ પરત્વે છેલ્લા 14 દિવસથી ચાલી આવેલા શ્રેણીબદ્ધ ઘટનાક્રમો બાદ છેવટે રાજ્ય સરકાર તેના સ્ટેન્ડ પર અટલ રહી હતી અને આમરણાંત ઉપવાસ જેવા આત્યાંતિક અને અંતિમ શસ્ત્ર ઉગામ્યા પછી પણ હાર્દિક પટેલ એન્ડ કંપનીના ફાળે કશું જ આવ્યું નહીં. કોઇએ પારણા કરાવ્યા નહીં અને પોતાની મરજીથી હોસ્પિટલ ભેગા થવું પડ્યું છે. ગુજરાત સરકારની આ મોરલ વિક્ટરી છે. રાજ્ય સરકારનું સ્ટેન્ડ પહેલેથી જ એવું રહ્યું હાર્દિક પટેલને સહેજ પણ ભાવ આપવો નહીં અને છેલ્લે સુધી હાર્દિક પટેલને સરકારે ભાવ આપ્યો જ નહીં.
અગાઉ મહારાષ્ટ્રમાં અણ્ણા હજારેએ આમરણાંત ઉપવાસ કરીને અનેક વખત રાજ્ય સરકારને ઝુકાવી હતી પરંતુ, ગુજરાતમાં હાર્દિક પટેલનું આમરણાંત ઉપવાસનું મોડ્યુલ કહો કે બ્રહ્માસ્ત્ર નિષ્ફળ નિવડ્યું છે. કોઇપણ અહિંસક લડતમાં આરણાંત ઉપવાસને અંતિમ શસ્ત્ર માનવામાં આવે છે પરંતુ, હાર્દિક પટેલ માટે આ શસ્ત્ર ફળદાયી નિવડ્યું નથી. બબ્બે વખત જળત્યાગ કર્યા પછી પણ હાર્દિક પટેલની ચીમકીને સરકારે રાબેતા મુજબ સિરીયસલી લીધી નહીં. છેલ્લે 24 કલાકનું અલ્ટીમેટમ આપવું પડ્યું. અલ્ટીમેટમ આપ્યા પછી પણ રાજ્ય સરકાર પોતાના સ્ટેન્ડ પર અફર રહી હતી. છેલ્લે ખોડલ ટ્રસ્ટના નરેશ પટેલને મળવાની ઔપચારિકતાઓ પછી હાર્દિક પટેલને હોસ્પિટલ ભેગો કરવો પડ્યો. રાજ્ય સરકારે આમાં પણ કોઇ જબરદસ્તી કરી નહીં. ઉલ્ટાનું પોલીસ અધિકારીએ હાર્દિક પટેલને હોસ્પિટલ દાખલ કરવા માટે પહેલા સામેથી લેખિત સંમતિ અને મરજી પત્ર માંગ્યો. રાજ્ય સરકાર માટે આ મોરલ વિક્ટરી એટલા માટે છે કે જો અહીં રાજ્ય સરકાર ઝુકી ગઇ હોત તો સામી ચૂંટણીએ ગુજરાતમાં ભાજપા માટે આકરાં ચઢાણો ચઢવાનો વારો આવ્યો હોત. હાર્દિક પટેલ એન્ડ કંપનીને જો આવો નૈતિક વિજય મળ્યો હોત તો પાટીદાર આંદોલનની સિકલ આજથી જ બદલાઇ જવા પામી હોત.
ઉપવાસના ૧૪મા દિવસે પણ, પોતાની તબિયત લથડી રહી હોવા છતાં સરકારના પેટનું પાણી જરાસરખું પણ હલ્યું નહીં એટલે હાર્દિક પટેલ કોઈ વિરોધ વગર હૉસ્પિટલમાં ઍડ્મિટ થઈ જવું પડ્યું હતું.

હાર્દિક પટેલની આડકતરી પીછેહઠ
સાથીઓ હૉસ્પિટલમાં લઈ ગયા એનો વિરોધ ન કર્યો : ઉપવાસના ૧૪મા દિવસે શ્વાસ લેવામાં તકલીફ અને અર્ધબેહોશી જેવી હાલત પાટીદારોને અનામત મળે, ખેડૂતોનાં દેવાં માફ થાય અને અલ્પેશ કથીરિયાને મુક્ત કરવાની માગણી સાથે ૧૪ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલા પાટીદાર નેતા હાર્દિક પટેલની તબિયત તા.7મી સપ્ટેમ્બરએ બપોરે લથડતાં તેના સાથીદારો તેને સોલા સિવિલ હૉસ્પિટલમાં લઈ ગયા હતા અને એનો વિરોધ પણ હાર્દિક પટેલે કર્યો નહોતો. આમ તબિયત ખરાબ થતાં તેમ જ સરકાર તરફથી કોઈ હિલચાલ ન થતાં હાર્દિક પટેલે આમરણ ઉપવાસમાં આડકતરી પીછેહઠ કરી હોવાનો સૂર ઊઠ્યો હતો. સોલા હૉસ્પિટલ સરકારી હોવાથી મોડી રાતે તેને પાટીદાર નેતાઓ વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલી સ્વામીનારાયણ ગુરુકુળ વિશ્વ પ્રતિષ્ઠાનમ (SGVP) હૉસ્પિટલમાં લઈ ગયા હતા. એવું માનવામાં આવે છે કે તેને બૅન્ગલોરની જિંદલ હૉસ્પિટલમાં લઈ જવામાં આવશે.
સામાજિક લડાઇ રાજકીયમાં પરિવર્તીત થઇ હોવાથી પરિણામ મળતા નથી
હાર્દિક પટેલે જ્યારે પાટીદાર અનામત આંદોલન શરૂ કર્યુ હતું ત્યારે તેની લડાઇ સામાજિક હતી. સમાજના ઉત્થાન માટે શરૂ થયેલી લડાઇ તબક્કાવાર રાજકીય મોડ પર આવી ગઇ. પોલિટીકલ નેતાઓને મળવાનું શરુ કર્યું, કોંગ્રેસને ખુલ્લો ટેકો આપ્યો. પરીણામે બૌદ્ધિક વર્ગમાં આવતા પાટીદારોએ રાજકીય આંદોલનને સહકાર આપવાનું બંધ કરી દીધું, છેલ્લે નોબત એ આવી કે આમરણાંત ઉપવાસ જેવું કારગત શસ્ત્ર ઉગામ્યા પછી પણ હાર્દીક પટેલે જ પીછેહઠ કરવી પડી છે. હવે રાજ્ય સરકાર સંભવ છે કે પાટીદારો માટે પોતાની રીતે પેકેજ જાહેર કરી શકે પણ હાર્દિક પટેલ એન્ડ કંપનીની માગણીઓ પરત્વે હરગીઝ ઝુકશે નહીં એમ જણાય રહ્યું છે.
Google Play store

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


