નાના અને કાચા હીરાની ખરીદી મંદ પડતા ભાવમાં 4-5 ટકાનો ઘટાડો
નાના કદના રફ હીરાની કિંમતમાં પાછલા એક પખવાડિયા દરમિયાન ચાર ટકાથી પાંચ ટકાનો ઘટાડો નોંધાયો છે. રફ હીરાના અગ્રણી ખરીદદારો પૈકી એક ભારત તેની રફ હીરાની ખરીદીમાં કાપ મૂકી રહ્યા છે. હીરાના વેપારમાં અત્યારના ટ્રેન્ડનો હેતુ ઇન્વેન્ટરી ઊભી ન થાય તે જોવાનો છે. માંગ ઊભી થાય ત્યારે રફ હીરાની ખરીદી કરવાની નીતિ છે.
આ વ્યાપાર માટે બેન્કધિરાણ મેળવવું અગત્યનો પ્રશ્ન બની ગયો છે ત્યારે તે હીરા ઉદ્યોગની નફાકારકતામાં વધારો કરવામાં પણ મદદ કરે છે. જેમ એન્ડ જ્વેલરી એક્સ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલના માજી ચેરમેન પ્રવીણ શંકર પંડ્યાએ જણાવ્યું હતું કે, પાછલા કેટલાક મહિનાઓથી મહત્ત્વના ગ્રાહક ચીને તેની રફ હીરાની ખરીદી ધીમી કરી દેતાં બજાર ધીમેધીમે આગળ વધી રહ્યું છે.

દૂર પૂર્વના દેશો તરફથી આવતી માંગ પણ ધીમી છે. હીરાના વેપારીઓ હાલમાં સ્ટોકિંગ પણ નથી કરતા કેમ કે નીરવ મોદી કૌભાંડ બાદ બેન્ક ધિરાણ મેળવવું પણ મુશ્કેલ બન્યું છે.
હીરાના અગ્રણી નિકાસકાર વિપુલ શાહે જણાવ્યું હતું કે, સુરતમાં મેન્યુફેક્ચરિંગ એકમો નાની કેટેગરીના હીરાના ઉત્પાદનની કામગીરીમાં ૨૦-૨૫ ટકાનો ઘટાડો કરી રહ્યા છે કેમ કે હીરાના વેપારીઓ હાલની પરિસ્થિતિમાં ઇન્વેન્ટરી ઊભી કરવા માંગતા નથી.
સૂત્રોએ જણાવ્યું હતું કે, માર્કેટમાં જે લોકો નાના હીરામાં ડીલ કરે છે તેમાં ઘણી બધી ગૂંચવણ છે. ડી બીયર્સે લાઇટબોક્સ નામે લેબોરેટરીમાં તૈયાર કરવામાં આવેલાં હીરાનાં આભૂષણો લોંચ કર્યા બાદ બજારમાં ઘણી ગૂંચવણ ઊભી થઈ છે. તમામ લોકો હાલમાં ‘થોભો અને રાહ જુઓ’ની નીતિ અપનાવી રહ્યા છે તથા નાના હીરાની ખરીદી કરતા નથી. રફ હીરાની કિંમત પર તેની અસર થઈ શકે.
ઉલ્લેખનીય છે કે પાછલા મે મહિનામાં ડી બીયર્સે લાઇટબોક્સ જ્વેલરી નામની નવી કંપની લોંચ કરવાની જાહેરાત કરી હતી જે આગામી સપ્ટેમ્બરમાં લાઇટબોક્સ નામ હેઠળ લેબોરેટરીમાં વિકસાવવામાં આવેલાં હીરાનાં આભૂષણોનું માર્કેટિંગ શરૂ કરશે, તે ગ્રાહકોને ઉચ્ચ ગુણવત્તાની સાથે સાથે હાલમાં અસ્તિત્વ ધરાવતા લેબ હીરાની સરખામણીએ નીચી કિંમત પર ફેશન જ્વેલરી ડિઝાઇન ઓફર કરી રહી છે.
હીરા ઉદ્યોગ માટે બેન્ક ફાઇનાન્સ એક મોટા પ્રશ્ન તરીકે યથાવત્ જળવાઈ રહ્યો છે જેથી થોડા સમય પૂરતું ઉત્પાદન પણ ઘટાડવામાં આવી રહ્યું છે. નીરવ મોદી-પીએનબી કૌભાંડ ગયા ફેબ્રુઆરીમાં સપાટી પર આવ્યું હતું તે પછી બેન્કોએ હીરાના વેપાર માટેના ધિરાણમાં કાપ મૂકવાની શરૂઆત કરી જ દીધી છે.
બેન્કોએ લોનના વિતરણ માટે વધારે ઊંચા સુરક્ષા કવચની માંગણી શરૂ કરી છે જે ઘણીવાર લોનની રકમના 120 ટકાથી લઈને 150 ટકા જેવી હોય છે. કૌભાંડ પ્રકાશમાં આવ્યું તે અગાઉ બેન્કો આ વ્યાપાર પાસેથી વિતરીત લોનના 40 ટકાથી લઈને 60 ટકા સુધીની ગેરેન્ટીની માંગણી કરતી હતી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


