સુરત ફ્લડ રિલીફ સ્કીમ: ચેમ્બરની રજૂઆતના પગલે કલેક્ટર કચેરી ખાતે બેંકર્સ સાથે યોજાઈ ઉચ્ચ સ્તરીય બેઠક
પૂર અસરગ્રસ્ત વેપારીઓને રૂ. 30 લાખ સુધીની લોન પર 3 વર્ષ માટે 7 ટકા વ્યાજ સબસિડી અપાશે; નુકસાનીના ફોટો/વીડિયો ન હોય તો ચેમ્બર કે જે-તે એસોસિયેશનનું સર્ટિફિકેટ માન્ય પુરાવો ગણાશે
અરજી પ્રક્રિયા, લોન ટેન્યોર અને વ્યાજ સબસિડી અંગે સ્પષ્ટતા આપતા DIC-GM અને કલેક્ટર કચેરીના અધિકારીઓ
બેંકમાંથી સેન્ક્શન લેટર મેળવી DIC કચેરી ખાતે જમા કરાવવાનો રહેશે; ઇન્સ્યોરન્સ ક્લેઇમ સાથે લોનને લિંક કરાશે નહીં
સુરત, 30 જુલાઈ 2026: દક્ષિણ ગુજરાતના પૂર અસરગ્રસ્ત વેપારીઓને આર્થિક સહાય પૂરી પાડવા માટે જાહેર કરાયેલી ‘સુરત ફ્લડ રિલીફ સ્કીમ’ અંતર્ગત લોન અને વ્યાજ સબસિડીની પ્રક્રિયા ઝડપી અને સરળ બનાવવાના હેતુથી કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર (DIC)ના જનરલ મેનેજરની અધ્યક્ષતામાં આજે એક મહત્વપૂર્ણ ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કરવામાં આવેલી ત્વરિત રજૂઆતના પગલે આયોજિત આ બેઠકમાં દક્ષિણ ગુજરાતની તમામ બેંકોના હેડ, અગ્રણી બેંકર્સ, કલેક્ટર કચેરીના અધિકારીઓ તેમજ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી અશોક જીરાવાલા અને પૂર્વ પ્રમુખ શ્રી આશિષ ગુજરાતી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં બેંકો સુધી સ્કીમની સ્પષ્ટ ગાઇડલાઇન પહોંચાડવા અને વેપારીઓને પડતી મુશ્કેલીઓ નિવારવા માટે નીચે મુજબના મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે:
- અરજી પ્રક્રિયા અને સેન્ક્શન લેટર: સ્કીમ હેઠળ લાભ મેળવવા ઇચ્છુક વેપારીએ જે-તે બેંકમાં લોન માટે અરજી કરી ‘સેન્ક્શન લેટર’ (મંજૂરી પત્ર) મેળવવાનો રહેશે. આ સેન્ક્શન લેટર DICની કચેરી ખાતે જમા કરાવ્યા બાદ તેના આધારે લોન મંજૂર કરવામાં આવશે. લોન/સબસિડી માટે આખરી સત્તા ડીઆઈસીની રહેશે.
- લોનની રકમ, મુદત અને 7% વ્યાજ સબસિડી: સરકારી ઠરાવ (જીઆર) મુજબ પૂર અસરગ્રસ્ત વેપારીઓને રૂ. 30 લાખ સુધીની લોન પર વર્ષે 7 ટકા વ્યાજ સબસિડી 3 વર્ષ માટે મળવાપાત્ર રહેશે. જો કોઈ વેપારીને રૂ. 30 લાખથી વધુ રકમની લોન સેન્ક્શન થાય કે લોનની મુદત 3 વર્ષથી વધુ હોય, તો પણ વ્યાજ સબસિડીની રકમ રૂ. 30 લાખની મર્યાદામાં વાર્ષિક 7 ટકા લેખે મહત્તમ 3 વર્ષ સુધી જ મર્યાદિત રહેશે.
- નુકસાનીના પુરાવા અંગે મોટી છૂટછાટ: જો કોઈ વેપારી પાસે પૂરના કારણે થયેલા નુકસાનના ફોટોગ્રાફ્સ કે વીડિયોગ્રાફીના પુરાવા ઉપલબ્ધ ન હોય, તો તેવા કિસ્સામાં ચેમ્બર ઓફ કોમર્સ (SGCCI) અથવા જે-તે સર્વિસ સોસાયટી/કો-ઓપરેટિવ સોસાયટી/વેપારી એસોસિયેશનનું સર્ટિફિકેટ વેલિડ પ્રૂફ તરીકે માન્ય ગણવામાં આવશે.
- કોલેટરલ સિક્યોરિટી અને અન્ય જોગવાઈઓ: લોન મંજૂર કરતી વખતે જો કોલેટરલ કે મોર્ગેજ મૂલ્યમાં આંશિક ઘટાડો જણાતો હોય, તો પણ વેપારીઓની લોન અરજીઓ પ્રત્યે સહાનુભૂતિપૂર્વક વિચારણા કરી લોન મંજૂર કરવા બેંકોને સૂચન થયું છે. વધુમાં, આ સ્કીમને વેપારીના ઇન્સ્યોરન્સ ક્લેઇમ સાથે લિંક કરવામાં આવશે નહીં.
- જરૂરી દસ્તાવેજો: લોન અરજી સાથે વેપારીઓએ એપ્રિલ, મે, જૂન મહિનાના GSTR-3Bની નકલ રજૂ કરવાની રહેશે.
મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા અમદાવાદ સ્થિત બેંકોની રિજિયોનલ ઓફિસોને આ અંગે તાકીદે પરિપત્ર જારી કરવામાં આવશે, જેથી સુરતની તમામ બેંક શાખાઓ સુધી ગાઇડલાઇન સત્વરે પહોંચે અને વેપારીઓને રાહત લોનનો લાભ ઝડપથી મળી શકે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now

