તહેવારોની જાહેર ઉજવણી નહીં થાય : ગણેશોત્સવ, તાજિયા નહીં ઉજવી શકાય
કોરોના સંક્રમણના વ્યાપને અટકાવવા માટે રાજ્યમાં ગણેશ મહોત્સવ સહિત ઓગસ્ટ માસમાં આવતા હિન્દુ અને મુસ્લિમોના તમામ તહેવારોની ઉજવણી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમ આજે વડોદરાના નજીક કંડારી ખાતે 71માં વન મહોત્સવ કાર્યક્રમમાં આવેલા રાજ્યના ગૃહમંત્રી પ્રદિપાસિંહ જાડેજાએ જણાવ્યું હતું. આ અંગે ટૂંક સમયમાં રાજ્ય સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવશે તેમ વધુમાં ઉમેર્યું હતું.
ગૃહમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણના વ્યાપને અટકાવવા માટે એક માત્ર માર્ગ સોશિયલ ડિસ્ટન્સિંગ છે. સમગ્ર ગુજરાતના ગણેશ મંડળો, પદયાત્રા મંડળો, મુસ્લિમ સંગઠનો દ્વારા કોરોનાની મહામારીમાં આગામી દિવસોમાં આવી રહેલા ગણેશ મહોત્સવ, તાજિયા સહિત ઓગસ્ટ માસના તમામ નાના-મોટા તહેવારો ઉજવવામાં ન આવે તેવી સરકારને રજૂઆતો કરવામાં આવી હતી. આ સાથે રાજ્ય સરકારને પણ લાગ્યું કે, તહેવારોમાં લોકો ભેગા થશે તો કોરોના સંક્રમણ વધશે. જેથી ગણેશોત્સવ સહિત ઓગસ્ટ માસમાં આવતા હિન્દુ-મુસ્લિમ તહેવારોની ઉજવણી ઉપર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જે મંડળો, પરિવારને ગણપતિ બેસાડવા હોય તેઓ પોતાના ઘરમાં બેસાડે અને તેનું વિસર્જન પણ પોતાના ઘરમાં કરે. કોઇ પણ પ્રકારની શોભાયાત્રા કાઢી શકાશે નહીં. તેજ રીતે તાજિયાના પણ જુલૂસ કાઢી શકાશે નહીં. આ ઉપરાંત તરણેરનો મેળો, રામાપીરનો મેળો જેવા કોઇપણ જાહેર તહેવારો સામૂહિક રીતે ઉજવી શકાશે નહીં. જે અંગેનું જાહેરનામું આગામી ટૂંક દિવસમાં પ્રસિદ્ધ કરવામાં આવશે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ભાદરવી પૂનમ અંબાજીના મેળા સંદર્ભે પણ પગપાળા સંઘો તરફથી પદયાત્રા નહીં યોજવા માટે રજૂઆતો મળી છે જેને ધ્યાનમાં રાખી કોરોના કાળમાં પગપાળા સંઘ નહીં કાઢવા અને સેવા કેન્દ્રો ન ખોલવા સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
