ગોડસેના મામલામાં ભાજપ ભીંસમાં ત્રણ નેતાઓ પાસે માગ્યા ખુલાસા
ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસેને લગતા નિવેદનોને લઇને ભારતીય જનતા પક્ષ (ભાજપ) મુશ્કેલીમાં સપડાયો છે અને તેને પોતાના ત્રણ નેતા પાસે ખુલાસો માગવાની ફરજ પડી હતી.
દરમિયાન, કૉંગ્રેસે આ પ્રકરણમાં આક્રમક વલણ અપનાવ્યું છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આ કિસ્સામાંની ચુપકીદી અંગે સવાલ ઉઠાવ્યો હતો.
ભોપાળમાંથી ચૂંટણી લડી રહેલા ભાજપનાં ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરે ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસેને દેશભક્ત ગણાવતું નિવેદન કર્યું હતું, પરંતુ બાદમાં પક્ષના મોવડીમંડળ દ્વારા તેમના પર દબાણ લવાતા તેમણે પોતાનું આ નિવેદન પાછું ખેંચ્યું હતું અને માફી માગી હતી.
ભાજપના પ્રમુખ અમિત શાહે જણાવ્યું હતું કે અમારા પક્ષે ત્રણ નેતા – કેન્દ્રીય પ્રધાન અનંતકુમાર હેગડે, પ્રજ્ઞાસિંહ ઠાકુર અને કર્ણાટકના સાંસદ નલિનકુમાર કટીલના વિવાદાસ્પદ નિવેદનની ગંભીર નોંધ લઇને તેઓને દસ દિવસમાં ખુલાસો કરવાનો આદેશ આપ્યો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જણાવ્યું હતું કે હું ગોડસે અંગે વાંધાજનક નિવેદન કરનારા પ્રજ્ઞાસિંહ ઠાકુરને દિલથી માફ કરી નહિ શકું.
દરમિયાન, કૉંગ્રેસે આ મુદ્દે આક્રમક વલણ અપનાવતા જણાવ્યું હતું કે સાધ્વી પ્રજ્ઞાસિંહ ગોડસેને દેશભક્ત ગણાવતા હોય અને અમિત શાહના રોડશો વખતે ઇશ્ર્વરચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમા તોડી પાડીને હિંસા ફેલાવાતી હોય એવા સંજોગમાં અમારા માટે દેશ માટે પ્રાર્થના કરવા સિવાય કંઇ બાકી નથી રહેતું.
ભાજપના સાંસદ નલિનકુમાર કટીલે જણાવ્યું હતું કે ગોડસેએ એકની હત્યા કરી હતી, કસાબે ૭૨ને માર્યા હતા અને રાજીવ ગાંધીએ ૧૭,૦૦૦ને માર્યા હતા. તમે (જનતા) જ નિર્ણય લો કે કોણ વધુ ક્રૂર ગણાય.
દેશમાં ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીના પ્રચારનો શુક્રવારે અંત આવ્યો હતો. દેશમાં રવિવારે લોકસભાની ૫૯ બેઠક માટે મતદાન થવાનું છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
