મુદ્રા લોન યોજના બેશક સારી, પણ લોકોએ લોન લઈને બેંકોનું કરી નાંખ્યું છે
ICRAના અંદાજ પ્રમાણે મુદ્રા યોજના હેઠળની લોનની NPA 10-15 ટકાની રેન્જમાં છે, જે માર્ચ 2018માં સરકારે જાહેર કરેલા 5.39 ટકાના આંકડા કરતાં ઘણી વધારે છે
નરેન્દ્ર મોદીએ 2015માં યુવાનોને સ્વરોજગારી માટે સરળતાથી ધિરાણ મળે તે હેતુથી શરૂ કરેલી મુદ્રા લોન યોજના બેશક સારામાં સારી યોજના છે, શુદ્ધ હેતુથી મોદી સરકારે શરૂ કરેલી આ યોજના આજે બેંકોની એન.પી.એ વધારી રહી છે. આજે એ હાલત છે કે લોકોએ મુદ્રા લોન યોજના હેઠળ રૂ.10-10 લાખનું ધિરાણ લઇને તેની પરત ચૂકવણીમાંથી હાથ ઉંચા કરી દીધા છે. બેેંકો મુદ્રા યોજનામાં રિકવરી માટે મોટું અભિયાન ચલાવવું પડે તેવી સ્થિતિ છે. મોટા ભાગના લોનધારકોએ બેંકોનું કરી નાંખવાના ઇરાદે જ મુદ્રા યોજનામાં લોન લઇ લીધી હોવાનું જણાય આવે છે.
મુદ્રા લોનની રકમ નાની હોય છે. તેની ફાળવણી SME કેટેગરી હેઠળ વ્યક્તિ કે એન્ટિટીને કરવામાં આવે છે. લોનનો હેતુ કાર્યકારી મૂડીની સ્થિતિ સુધારવાનો તેમજ બેન્કિંગનો ઓછો વ્યાપ ધરાવતા SMEને ઔપચારિક ક્રેડિટ સ્ટ્રક્ચર હેઠળ લાવવાનો છે.

આ લોન અનસિક્યોર્ડ અને ઓછી રકમની હોય છે અને તેઓ મહદ્ અંશે પહેલી વખત લોન લેતા હોય છે. તેમની કોઈ ક્રેડિટ હિસ્ટરી હોતી નથી. રેટિંગ એજન્સીઝના જણાવ્યા અનુસાર મુદ્દા યોજના માટે અપાયેલી લોનના મુદ્દે ખાનગી બેન્કોની તુલનામાં PSU બેન્કોમાં NPAનું પ્રમાણ વધુ છે. કારણ કે PSU બેન્કોએ અગ્રિમતા ધરાવતાં સેક્ટર્સને ધિરાણના લક્ષ્યાંક પૂરા કરવા આ કેટેગરીમાં વધુ લોન આપવી પડે છે.
બેન્કર્સ અને રેટિંગ એજન્સીઝના જણાવ્યા અનુસાર પ્રધાન મંત્રી મુદ્રા યોજના હેઠળ અપાયેલી લોનનું NPAમાં રૂપાંતર થઈ રહ્યું છે. તેને લીધે આ સેગમેન્ટમાં એક્સ્પોઝર અંગે બેન્કોની ચિંતા વધી છે. રેટિંગ એજન્સીઝ ઇન્ડિયા રેટિંગ્સ અને ICRAના અંદાજ પ્રમાણે મુદ્રા યોજના હેઠળની લોનની NPA 10-15 ટકાની રેન્જમાં છે, જે માર્ચ 2018માં સરકારે જાહેર કરેલા 5.39 ટકાના આંકડા કરતાં ઘણી વધારે છે.
ઇન્ડિયા રેટિંગ્સના ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશન્સના ડિરેક્ટર અને વડા પ્રકાશ અગરવાલે જણાવ્યું હતું કે, “લગભગ તમામ લોનમાં NPA ઊંચા છે, પણ ખાનગી બેન્કો આ પ્રકારના ધિરાણમાં વધુ સાવચેત રહી છે.”
RBIની 90 દિવસની લોન રિસ્ટ્રક્ચરિંગ જોગવાઈ ₹25 કરોડથી ઓછી રકમની લોનનું NPA તરીકે વર્ગીકરણ નહીં કરવાની છૂટ આપે છે. જોકે, માર્ચ 2020માં આ જોગવાઈ પૂરી થશે ત્યારે બેન્કોની NPAમાં ઉછાળો નોંધાશે. બેન્કોની ₹10 લાખથી ઓછી રકમની SME લોનને મુદ્રા સ્કીમ હેઠળ ઋણની રકમના આધારે ‘શિશુ’, ‘કિશોર’ અને ‘તરુણ’ નામની ત્રણ કેટેગરીમાં રિફાઇનાન્સ કરી શકાય.
SBIના એક સિનિયર બેન્કરે જણાવ્યું હતું કે, “આવી લોન જોખમી હોવાના કારણે તેમની એસેટની ગુણવત્તામાં ઘટાડો થઈ રહ્યો છે. નવા લોનધારકોને અપાતું 70 ટકાથી વધુ ધિરાણ PSU બેન્કો દ્વારા કરવામાં આવે છે. જેમાં મોટો હિસ્સો મુદ્રા પોર્ટફોલિયોનો હોય છે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “આવી લોન ઉત્પાદન નહીં, વપરાશના હેતુથી લેવાય છે અને એટલે તે જોખમી હોય છે. જોકે, PSU બેન્કોએ આવી લોન માટે વધુ સારી રિકવરી પ્રક્રિયા વિકસાવવી જરૂરી છે.”
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ 2015માં મુદ્રા સ્કીમ લોન્ચ કરી ત્યારથી આ યોજના હેઠળ ₹6 લાખ કરોડની લોન આપવામાં આવી છે. MSMEના કુલ બાકી ઋણમાં તેનો હિસ્સો લગભગ 10 ટકા છે. સરકાર 2017-’18માં મંજૂરી કરાયેલી ₹2.5 લાખ કરોડની લોન સામે 2018-’19માં ₹3 લાખ કરોડના ધિરાણનો લક્ષ્ય હાંસલ કરવા માંગે છે. તાજેતરના આંકડા મુજબ બેન્કોએ ચાલુ નાણાકીય વર્ષમાં ફેબ્રુઆરી સુધી ₹2.2 લાખ કરોડની લોન ફાળવી છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


