અમદાવાદમાં 142મી રથયાત્રા : માનવ મહેરામણ ઉમટ્યો, ભગવાન નગરચર્યાએ નીકળ્યા
જગતના નાથ એવા ભગવાન જગન્નાથ વર્ષમાં માત્ર એકવાર નગરચર્યાએ નીકળે છે અને આ વિશિષ્ટ પર્વ એટલે રથયાત્રા. આજે એટલે કે અષાઢી બીજનાં દિવસે અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથજી મંદિરની 142મી પૌરાણિક-પારંપરિક રથયાત્રા ભવ્યાતિભવ્ય રીતે નીકળી રહી છે.
ભગવાન જગન્નાથજી ગુરુવારે અત્યંત શુભ એવા ‘ગુરુપુષ્ય’ યોગમાં ભક્તોનાં ખબર-અંતર પૂછવા માટે નગરચર્યાએ રજવાડી શણગાર સજીને નીકળ્યા છે.
સવાર સવારમાં જ મંગળા આરતી દરમિયાન વરૂણદેવ પણ રાજી થયા હતા અને ભગવાનની રથયાત્રા પૂર્વે અમીછાંટણાથી ભક્તો ખુશખુશાલ થઈ ગયા હતા. રથાયાત્રા અગાઉ મેઘરાજાની હાજરીથી મનમોહક વાતાવરણ જોવા મળ્યું છે.
ભગવાન જગન્નાથ નંદિઘોષ રથમાં આરૂઢ છે જ્યારે બહેન સુભદ્રા કલ્પધ્વજ રથમાં વિદ્યમાન છે અને ભાઈ બલભદ્ર તાલધ્વજ રથમાં બિરાજમાન થયા છે. ભગવાનને નયનભરીને નિરખવા માટે ભક્તો તલપાપડ થઈ રહ્યા છે અને મંદિરની બહાર પણ વિશાળ જનમેદની ઉપસ્થિત છે. ભગવાનની રથયાત્રા જમાલપુરના નિજમંદિર બહાર પહોંચી છે અને ઠેર ઠેર ‘જય રણછોડ માખણચોર’ના નાદ ગૂંજી રહ્યા છે.
૧૪૨મી રથયાત્રાનો પ્રારંભ સવારે ૭.૦૦ વાગ્યે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે સોનાની સાવરણીથી માર્ગ સ્વચ્છ કરીને ‘પહિંદ વિધિ’ કરાવીને રથ ખેંચીને કરાવ્યો હતો.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now