
CiA Live ન્યુઝ વેબ
સુરત કે દક્ષિણ ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર રાજ્યમાં પહેલી હરોળમાં સ્થાન પામતી સુરતની વરાછા કો.ઓ. બેંકના બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેન તરીકે હીરા ઉદ્યોગના આગેવાન અને ઇન્ડીયન ડાયમંડ ઇન્સ્ટીટ્યુટના ચેરમેન દિનેશ નાવડીયાની વરણી કરવાનો ઠરાવ કરીને વરાછા બેંક મેનેજમેન્ટ દ્વારા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને મંજૂરી અર્થે મોકલી આપવામાં આવ્યો હતો. જેના પ્રતિસાદમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરફથી દિનેશ નાવડીયાની વરણીને મંજૂરી આપવામાં આવી છે. બેંકના ચેરમેન નરેન્દ્રભાઇ કુકડીયા તેમજ અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં દિનેશ નાવડીયાએ બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેન તરીકેનો ચાર્જ અખત્યાર કર્યો હતો.
આ પ્રસંગે દિનેશ નાવડીયાએ મિડીયા કર્મીઓને સંબોધતા જણાવ્યું હતું કે વરાછા કો-ઓપરેટિવ બેંકના બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેન તરીકે મારી વરણીને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મંજૂરી મળતાં હું બેંકના તમામ સભાસદો, થાપણદારો, ગ્રાહકો, શેરહોલ્ડરો અને બોર્ડના તમામ સભ્યોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. મારા પર મૂકવામાં આવેલા વિશ્વાસને હું એક મોટી જવાબદારી તરીકે સ્વીકારું છું.
વરાછા કો-ઓપરેટિવ બેંકે છેલ્લા ઘણા વર્ષોથી પારદર્શિતા, વિશ્વસનીયતા અને ગ્રાહકકેન્દ્રિત સેવાઓના આધારે ગુજરાતની અગ્રણી સહકારી બેંકોમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. આ પ્રતિષ્ઠાને વધુ મજબૂત બનાવવાનો અમારો સંકલ્પ રહેશે.
આગામી સમયમાં બેંકના વહીવટમાં સુશાસન (Good Governance), પારદર્શિતા, નિયમનકારી માળખાનું સંપૂર્ણ પાલન, જોખમ વ્યવસ્થાપન (Risk Management) અને આધુનિક બેંકિંગ સેવાઓના વિસ્તરણ પર વિશેષ ભાર મૂકવામાં આવશે. ડિજિટલ બેંકિંગને વધુ સશક્ત બનાવવાની સાથે ગ્રાહકોને ઝડપી, સુરક્ષિત અને ગુણવત્તાસભર સેવાઓ ઉપલબ્ધ કરાવવાનું અમારી પ્રાથમિકતા રહેશે.
સહકારી ક્ષેત્રની મૂળ ભાવના અનુસાર નાના વેપારીઓ, ઉદ્યોગસાહસિકો, મહિલાઓ, યુવાનો, વ્યાવસાયિકો તથા સામાન્ય ગ્રાહકોની
નાણાકીય જરૂરિયાતોને વધુ અસરકારક રીતે પૂરી કરી શકાય તે માટે નવા આયામો પર કામ કરવામાં આવશે. બેંકના મજબૂત નાણાકીય પાયા, થાપણદારોના હિતોની સુરક્ષા અને સતત વિકાસ માટે બોર્ડ ઓફ મેનેજમેન્ટ, કર્મચારીગણ અને તમામ હિતધારકો સાથે ટીમભાવનાથી કાર્ય કરવામાં આવશે.
વરાછા કો-ઓપરેટિવ બેંકને વધુ આધુનિક, વધુ મજબૂત, વધુ વિશ્વસનીય અને ગ્રાહકોની પ્રથમ પસંદગી બને તેવી સંસ્થા તરીકે આગળ લઈ જવાનો અમારો સ્પષ્ટ રોડમેપ રહેશે. બેંકના વિકાસની સાથે સમાજ અને અર્થતંત્રના વિકાસમાં પણ વધુ સકારાત્મક યોગદાન આપી શકાય તે દિશામાં સતત પ્રયત્ન કરવામાં આવશે.
મને વિશ્વાસ છે કે બેંકના કર્મચારીઓ, ગ્રાહકો, સભાસદો અને તમામ શુભેચ્છકોના સહયોગથી આપણે વિકાસના નવા સીમાચિહ્નો સ્થાપિત કરી શકીશું.
