ઝાંખા પ્રકાશની સમસ્યાને કારણે સપ્તાહમાં બીજી વખત ફ્લાઇટ લેન્ડિંગમાં સમસ્યા નડી, સવારે 6 વાગ્યે વિઝિબિલિટી 4 કિ.મી. હતી જે 6.20 કલાકે ઘટીને ફક્ત 100 મીટર થઇ ગઇ હતી
વાદળછાયા વાતાવરણને કારણે સપ્તાહમાં બીજી વખત આજે ગુરુવારે, તા.7મી એપ્રિલ 2022ની સવારે એવું બન્યું છે કે સુરત એરપોર્ટ પર આવી રહેલી ત્રણ ફ્લાઇટ્સને મુંબઇ એરપોર્ટ પર ડાઇવર્ટ કરવાની ફરજ પડી હતી. ખરાબ હવામાન, વિઝિબિલીટીના ઇશ્યુઝ હોય ત્યારે ફ્લાઇટ લેન્ડીંગ માટે જરૂરી ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ સુરત એરપોર્ટ પર વિકસાવવામાં આવી નથી તેને કારણે સુરત એરપોર્ટ પર ઝાંખા પ્રકાશમાં ફ્લાઇટ લેન્ડીંગમાં ઇશ્યુઝ આવી રહ્યા હોવાનું પ્રાથમિક તારણ પરથી જાણી શકાય છે.
પૂનાથી સુરત આવેલી ફ્લાઇટ લેન્ડ કરી શકી નહીં એ પછી ઉપરાછાપરી દિલ્હીથી આવેલી એર ઇન્ડિયા અને ઇન્ડીગોની ફ્લાઇટ પણ ડાઇવર્ટ કરવી પડી
સુરત એરપોર્ટ ઓથોરિટીએ જાહેર કરેલી માહિતી મુજબ આજે સવારે સુરતના વાતાવરણમાં વિઝિબિલીટી ડ્રોપ થઇ જવાની સમસ્યા સર્જાઇ હતી. સુરત એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા મુજબ સવારે 6 વાગ્યે વિઝિબિલીટી 4 કિ.મી.ની હતી જે 6.20 કલાકે ડ્રોપ થઇને ફક્ત 100 મીટરની થઇ ગઇ હતી. વિઝિબિલીટી એકાએક ડ્રોપ થઇ જતા સુરત એરપોર્ટ પર આવી રહેલી ફ્લાઇટ્સના લેન્ડિંગમાં સમસ્યા નડી હતી.
સુરત એરપોર્ટ પર ઝાંખા પ્રકાશ, ખરાબ હવામાન વચ્ચે ફ્લાઇટ લેન્ડ કરવા માટે જરૂરી ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ નહીં હોવાના કારણે આજે ઉપરાછાપરી ત્રણ ફ્લાઇટ, જેમાં પૂનાથી સુરત આવેલી ફ્લાઇટ મુંબઇ એરપોર્ટ પર ડાઇવર્ટ કરવામાં આવી હતી. એ પછી એર ઇન્ડિયાની દિલ્હીથી સુરત આવેલી ફ્લાઇટને પણ મુંબઇ અને ઉપરાછાપરી ત્રીજી ફ્લાઇટ કે જે ઇન્ડીગોની દિલ્હીથી સુરત આવી રહી હતી તેને પણ મુંબઇ એરપોર્ટ પર ડાઇવર્ટ કરવાની ફરજ પડી હતી.
સુરત એરપોર્ટ પર વિઝિબિલિટી ઇશ્યુ હોવાની જાણ થતાં હૈદરાબાદથી સુરત આવી રહેલી ફ્લાઇટને પણ ત્યાંથી ટેકઓફ ડિલે કરવામાં આવ્યું હતું.