SGCCI Shravan Business Mela Archives - CIA Live

July 24, 2026
01.JPG-1280x853.jpeg
2min10

  • ભાજપ મહિલા મોરચાનાં પ્રદેશ અધ્યક્ષ અંજુબેન વેકરિયાના હસ્તે મેળો ખુલ્લો મુકાયો; ગૃહ ઉદ્યોગ કરતી મહિલાઓ માટે વેપારના નવા દ્વાર ખુલશે
  • સુરત નારી સશક્તિકરણનું કેન્દ્ર; મહિલાઓના હુન્નરને માર્કેટિંગ પ્લેટફોર્મ આપવા ચેમ્બર સતત પ્રયત્નશીલ: અશોક જીરાવાલા
  • મહિલાઓ આર્થિક રીતે સક્ષમ બને તે માટે સરકારના તાલીમ કાર્યક્રમો અને વર્કશોપનો લાભ લેવા અંજુબેન વેકરિયાનું આહ્વાન
  • કોરોના કાળથી શરૂ થયેલી ચેમ્બરની આ પહેલથી સ્થાનિક મહિલા સાહસિકોને મોટું પ્રોત્સાહન મળ્યું: દિનેશ નાવડિયા
  • રાખી, ડિઝાઇનર સાડીઓ, ઇમિટેશન જ્વેલરી, હસ્તકલા અને હોમ ડેકોર સહિતની પ્રોડક્ટ્સનું એક જ જગ્યાએ ભવ્ય પ્રદર્શન આજે પણ ચાલુ રહેશે

શ્રાવણ માસ દરમિયાન આવતા પવિત્ર તહેવારોની ઉજવણીને ધ્યાનમાં રાખીને વેપાર અને મહિલા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન આપવાના હેતુથી ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા તા. 24 અને 25 જુલાઈ 2026ના રોજ મોટા વરાછા, સુદામા ચોક સ્થિત SMC કોમ્યુનિટી હોલ ખાતે દ્વિ-દિવસીય ‘શ્રાવણ બિઝનેસ મેળા 2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સવારે 10:00થી સાંજે 07:00 કલાક દરમિયાન યોજાયેલા આ બિઝનેસ મેળાનો ભાજપ મહિલા મોરચા ગુજરાતનાં અધ્યક્ષ શ્રીમતી અંજુબેન વેકરિયાના વરદ્‌ હસ્તે આજે ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ગૃહ ઉદ્યોગ કરતી બહેનોને વ્યાપારી પ્લેટફોર્મ: ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, “શ્રાવણનો પવિત્ર મહિનો સમૃદ્ધિ અને નવી શરૂઆતનો સંદેશ આપે છે. સુરત હંમેશાં નારી સશક્તિકરણનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. ટેક્સટાઇલ અને અન્ય ક્ષેત્રોમાં લાખો મહિલાઓ રોજગારી મેળવે છે. જે બહેનો ઘરે બેસીને નાના ગૃહ ઉદ્યોગો ચલાવે છે, તેમના હુન્નરને યોગ્ય માર્કેટિંગ અને ગ્રાહકોનું પ્લેટફોર્મ મળી રહે તે માટે ચેમ્બર આ મેળાનું આયોજન કરે છે. આ મેળો માત્ર વેપારનું માધ્યમ નથી પણ લઘુ ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ અને મહિલા સાહસિકોને નવા બજારો સાથે જોડતો સેતુ છે.”

મહિલાઓ દરેક સ્થિતિમાં આત્મનિર્ભર બનવા સક્ષમ: અંજુબેન વેકરિયા મુખ્ય અતિથિ શ્રીમતી અંજુબેન વેકરિયાએ બહેનોને આત્મનિર્ભર બનવા પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, મહિલાઓ ઘરની સાથે વેપાર પણ શ્રેષ્ઠ રીતે સાચવી શકે છે. બહેનો આર્થિક રીતે પગભર બને તે માટે રિઝર્વ બેંક પ્રેરિત કલાભારતી જેવા સરકારી તાલીમ કાર્યક્રમો અને વર્કશોપનો મહત્તમ લાભ લેવો જોઈએ. જ્યારે ચેમ્બરના પૂર્વ પ્રમુખ શ્રી દિનેશ નાવડિયાએ યાદ અપાવ્યું હતું કે, કોરોના કાળમાં મહિલાઓને રોજગારી આપવા શરૂ કરાયેલી ચેમ્બરની આ પરંપરા આજે બહેનો માટે વેપારના નવા દ્વાર ખોલી રહી છે.

એક જ છત નીચેથી તહેવારલક્ષી ખરીદી: ચેમ્બરના શ્રાવણ બિઝનેસ મેળાનાં ચેરપર્સન શ્રીમતી રૂપલ શાહે વિગતો આપતા જણાવ્યું કે, આ મેળામાં ફેન્સી રાખડીઓ, રાખી કાર્ડ્સ, ડિઝાઇનર ડ્રેસ મટીરિયલ્સ, ઇમિટેશન જ્વેલરી, હોમ કેર પ્રોડક્ટ્સ, હેન્ડિક્રાફ્ટ, હોમ ડેકોરેશન, ફેન્સી બ્લાઉઝ, સાડીઓ, બેડશીટ્સ, કુર્તી-કોટી અને વાનગીઓ સહિતની તમામ તહેવારલક્ષી વસ્તુઓ ઉપલબ્ધ કરાઈ છે.

ઉદ્‌ઘાટન સમારોહનું સફળ સંચાલન માનદ્ ખજાનચી શ્રી અતુલ પટેલે કર્યું હતું અને ઓલ એક્ઝિબિશન ચેરમેન શ્રી મનીષ કાપડિયાએ આભારવિધિ કરી હતી. આ પ્રસંગે લેડીઝ વિંગનાં ચેરપર્સન શ્રીમતી અલ્પાબેન મદ્રાસી, સ્થાનિક કોર્પોરેટરો સર્વશ્રી મનુભાઈ બલર, શ્રીમતી મનીષાબેન ખેર, શ્રીમતી ચંદ્રિકાબેન આસોદરિયા, શ્રી જૈનેશકુમાર જાદવ, શ્રીમતી જયશ્રીબેન ઓવારા, શ્રીમતી નયનાબેન ડોબરિયા સહિત સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.