Nepal Jal Pralay Archives - CIA Live

August 29, 2026
image-30.png
1min4

નેપાળમાં અચાનક આવેલી ભયાનક પૂરની હોનારતે હાહાકાર મચાવી દીધો. આ કુદરતી હોનારતમાં અત્યાર સુધીમાં 626 લોકોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે આશરે 2,500થી વધુ લોકો હજુ ગુમ હોવાના અહેવાલ છે. પૂરના તીવ્ર પ્રવાહ અને કાદવ-કીચડ અને કાટમાળના કારણે કૌશિકી અને ભોટેકોશી નદી કિનારાની અસંખ્ય વસાહતો, રસ્તાઓ, પુલ અને હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ જમીનદોસ્ત થઈ ગયા છે.

આ દુર્ઘટનામાં મોટા પ્રમાણમાં ભારતીય નાગરિકો પણ ફસાયેલા છે. ભારતના વિદેશ મંત્રાલયની અપડેટ મુજબ, 320 ભારતીયો અને ભારતીય મૂળના 100 લોકો સાથે હજુ સુધી કોઈ સંપર્ક થઈ શક્યો નથી. જેમાં 100 જેટલા ભારતીયો ત્રિશૂલી હાઇડ્રોપાવર પ્રોજેક્ટ સાઇટ પર અટવાયેલા હોવાની આશંકા છે. જોકે, રાહતની વાત એ છે કે તિબેટમાં આશરે 400 ભારતીયો સુરક્ષિત છે અને તેમની સાથે સંપર્ક થઈ ચૂક્યો છે.

પ્રાથમિક તપાસ મુજબ, આ ભયાનક આફતની શરૂઆત ઊંચા પર્વતીય વિસ્તારમાં ગ્લેશિયર તૂટવાથી થઈ હતી. ગ્લેશિયરનો મોટો હિસ્સો બરફ અને પથ્થરો સાથે લેંડે નદીમાં ખાબક્યો હતો. આ કુદરતી અવરોધ અચાનક તૂટતાં ભોટેકોશી અને ત્રિશૂલી નદીઓમાં વિનાશક પૂરની લહેર આવી હતી.

પહેલી તબાહી બાદ હવે નદીના ઉપરી હિસ્સામાં કાટમાળ જમા થવાને કારણે સર્જાયેલું કૃત્રિમ સરોવરે નવી ચિંતા ઉપજાવી છે. સેટેલાઇટ તસવીરો મુજબ, આ ડેમ જેવા બનેલા સરોવરમાં આશરે 20 લાખ ક્યુબિક મીટર પાણી એકઠું થઈ ગયું છે અને આગામી દિવસોમાં વધુ પાણી ઉમેરાવાની ભીતિ છે. જો આ કુદરતી દીવાલ તૂટશે તો નીચાણવાળા વિસ્તારોમાં ફરી એકવાર અચાનક જળપ્રલય આવી શકે છે.

પૂરના કારણે 36થી વધુ પુલો વહી જતાં 90 હજારથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે અને અનેક ગામડાઓનો સંપર્ક સંપૂર્ણપણે કપાઈ ગયો છે. રસ્તાઓ ફરી ચાલુ કરવા નેપાળે ભારત અને ચીન પાસે 42 બેલી બ્રિજ બનાવવા માટે મદદ માંગી છે. હાલ નેપાળી સેનાના 2,300થી વધુ જવાનો સહિત 7,451 સુરક્ષાકર્મીઓ રાહત અને બચાવ કાર્યમાં ખડેપગે તૈનાત છે.