
મોહન ભાગવતે કહ્યું, દુનિયામાં વિવિધતા, સંઘર્ષ અને અલગ-અલગ પરિસ્થિતિઓ હોવા છતાં મૂળભૂત રીતે બધું જ કૃષ્ણ છે. ભગવદ્ ગીતાના ઉપદેશોનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે જીવનથી ભાગવું ન જોઈએ, પરંતુ પોતાના કર્તવ્ય પર અડગ રહીને તેને પૂરું કરવું જોઈએ અને દરેક બાબતમાં દિવ્યતાને ઓળખવી જોઈએ.
મોહન ભાગવતે જણાવ્યું કે ભગવદ્ ગીતાનો મૂળ ઉપદેશ એ જ છે કે જીવનથી ભાગવાને બદલે તેનો સામનો કરવો જોઈએ. વ્યક્તિએ પોતાના કર્તવ્ય પર મક્કમતાથી ટકી રહેવું જોઈએ અને તેને પરિપૂર્ણ કરવું જોઈએ. જો આ સંદેશ દરેક વ્યક્તિના હૃદય સુધી પહોંચી જાય, તો વિશ્વ ખરેખર એક વધુ સારી જગ્યા બની શકે છે. ત્યારે આ દુનિયા માત્ર ભૌતિક સીમાઓ સુધી સીમિત નહીં રહે, પરંતુ તમામ મનુષ્યો માટે સ્વર્ગ જેવી સુંદર જગ્યામાં ફેરવાઈ જશે.
ભાગવતે પોતાની વાત સમજાવવા માટે એક કોર્પોરેટ કંપનીનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું કે કંપનીના ડિરેક્ટર્સ અને સીઈઓયોજના તૈયાર કરે છે અને મોટી સંખ્યામાં લોકો ભેગા મળીને તે યોજનાને પૂર્ણ કરવા માટે કામ કરે છે. તેમાંથી કેટલાક લોકોને આખી યોજનાની માહિતી હોય છે, જ્યારે કેટલાક લોકો તેના વિશે સંપૂર્ણ જાણતા નથી; છતાં પણ દરેક વ્યક્તિ એક સમાન અંતિમ લક્ષ્ય માટે યોગદાન આપે છે. જ્યારે દરેક વ્યક્તિ સમજી જાય છે કે તેઓ એક સહિયારા લક્ષ્ય માટે કામ કરી રહ્યા છે, ત્યારે પ્રગતિ ખૂબ ઝડપી બને છે.
સંઘ પ્રમુખે જણાવ્યું કે આપણે બધા સામૂહિક રીતે ઈશ્વરની સેવામાં જોડાયેલા છીએ તે ભાવ સાથે તેઓ ઉપસ્થિત લોકોને અભિનંદન આપે છે. તેમણે કહ્યું કે ભક્તિ સેન્ટર આવતા લોકોને આ પવિત્ર સ્થળે વારંવાર આવવાનો મોકો મળે છે, જેના કારણે કૃષ્ણ ચેતના સાથે તેમનો સતત જોડાણ જળવાઈ રહે છે.
મોહન ભાગવતે નોંધ્યું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થવાનો પણ આ અવસર છે. RSS પણ સમાજને આવી ઉચ્ચ ચેતના માટે તૈયાર કરવાનો અને આ ચેતનાને સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરે છે.
ભાગવતની ન્યૂ યોર્ક મુલાકાતનો સૌથી મોટો કાર્યક્રમ આજે યોજાશે. તેઓ મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં ‘યુનિવર્સલ વનનેસ સેલિબ્રેશન’ને સંબોધિત કરશે. આ કાર્યક્રમનું આયોજન અમેરિકન સંસ્થા એહેડ ફોરમ દ્વારા કરવામાં આવ્યું છે. કાર્યક્રમની થીમ ‘વસુધૈવ કુટુંબકમ’ રાખવામાં આવી છે. આયોજકોના જણાવ્યા અનુસાર, આમાં 200થી વધુ હિન્દુ સંગઠનો ભાગ લઈ રહ્યા છે.
