ઉજ્જૈનમાં 856 કરોડ રૂપિયાનાં ખર્ચે તૈયાર થયેલા જ્યોતિર્લિંગ મહાકાલેશ્વર મંદિરનાં નવા પરિસર મહાકાલ લોક કોરિડોર વિકાસ પરિયોજનાનાં પ્રથમ અને ભવ્ય ચરણનું આજે 10-12-22 વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મહાકાલ લોકનાં નિર્માણથી મંદિરનું કુલ ક્ષેત્રફળ અત્યારનાં 2.82 હેક્ટરથી વધીને 20 હેક્ટર કરતાં પણ વધી ગયું છે. વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે રક્ષાસૂત્રથી બનાવાયેલા 1પ ફૂટ ઉંચા શિવલિંગની પ્રતિકૃતિનું મોદીએ રિમોટથી અનાવરણ કર્યુ ત્યારે આધ્યાત્મનું નવું આંગણું સૌ કોઈ શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું થઈ ગયું હતું.
મહાકાલ લોકનાં લોકાર્પણ પ્રસંગની ગુંજ આજે દુનિયામાં પણ સંભળાઈ હતી. ભાજપે અમેરિકા, જર્મની, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, બ્રિટન, યુએઈ, કેનેડા, હોલેન્ડ, કુવૈત સહિત 40 દેશોનાં પ્રવાસી ભારતીયો આ પ્રસંગનું જીવંત પ્રસારણ નિહાળી શકે તેની વ્યવસ્થા કરાવવામાં આવી હતી.
મહાકાલ લોક પરિયોજનાનાં પ્રથમ તબક્કામાં તીર્થયાત્રીઓને વિશ્વસ્તરીય આધુનિક સુવિધાઓ પ્રદાન કરીને મંદિરની મુલાકાતને અધિક સમૃદ્ધ અને સગવડતાભરી બનાવશે. આજે કોરિડોરનું લોકાર્પણ કરતાં પહેલા પ્રધાનમંત્રી મોદીએ મહાકાલ
ભગવાન શિવની પૂજાઅર્ચના કરી હતી. મોદી આશરે 6 વાગ્યે મંદિરનાં ગર્ભગૃહમાં ગયા હતાં અને પરંપરાગત ધોતી-કુર્તાનાં પરિધાનમાં હતાં. મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ ત્યારે તેમની સંગાથે હતાં. નંદી પાસે બેસીને મોદીએ મહાદેવની પૂજા આરતી કરી હતી.