Labgrown Surat Archives - CIA Live

September 8, 2026
FSTL8172.JPG-1280x853.jpeg
1min12
  • સુરતના હીરા ઉદ્યોગ પર પ્રભુત્વ ધરાવતા કુત્રિમ હીરાના ઉત્પાદકો, વેપારીઓ અને દલાલોની ઉપસ્થિતિમાં
  • મંદીનો માહોલ નથી છતાં પોલિશ્ડ લેબગ્રોનના ભાવ વધતા નથી, બીજી તરફ લેબગ્રોન રફ ડાયમંડના ભાવ સતત વધી રહ્યા છે

તા.7, આજે સોમવારે સાંજે કતારગામ, આંબાતલાવડી સ્થિત પાટીદાર વાડી ખાતે યોજાયેલા લેબગ્રોન ડાયમંડ એસોસીએશનના છઠ્ઠા સ્નેહ મિલન સમારોહમાં સુરતમાં લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગની ઇકો સિસ્ટમ સાથે સંકળાયેલા મોટા ભાગના ઉત્પાદકો, કટ એન્ડ પોલિશ્ડ કરતા કારખાનેદારો, વેપારીઓ અને દલાલોની ઉપસ્થિતિ વચ્ચે પોલિશ્ડ (તૈયાર) લેબગ્રોન ડાયમંડના ભાવમાં 20 ટકાનો વધારો કરવાનો સામૂહિક અને સર્વસંમત નિર્ણય લેવામાં આવ્યો છે. આવતીકાલ તા.8મી સપ્ટેમ્બરથી અમલમાં આવે એ રીતે પોલિશ્ડ લેબગ્રોન ખરીદનારા વેપારીઓ, ઝવેરાત ઉત્પાદકોને પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડના ભાવ વધારા અંગે વિધિવત રીતે જાણ કરવામાં આવશે.

લેબગ્રોન ડાયમંડ એસોસીએશનના સ્નેહ મિલન કમ જાહેર મિટીંગમાં લેવાયેલા નિર્ણયની માહિતી આપતા એસોસીએશનના પ્રમુખ બાબુભાઇ વાગાણી, ઉપપ્રમુખ હરેશ નારોલા સહિતના આગેવાનોએ જણાવ્યું હતું કે એક તરફ રફ લેબગ્રોન ડાયમંડના ભાવ સતત વધી રહ્યા છે અને ચીનથી આયાત થતાં રફ ડાયમંડમાં તો છાશવારે વધારો થાય છે. બીજી તરફ પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડના ભાવ વધતા નથી. આગેવાનોએ ત્યાં સુધી કહ્યું કે એવું પણ નથી કે બજારમાં લેબગ્રોનની ડિમાંડ નથી કે મંદીનો માહોલ છે. કોઇપણ પ્રકારની પ્રતિકૂળ સ્થિતિ ન હોવા છતાં પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડના ભાવ વધતા નથી, તેની પાછળ રહેલા કારણોની આ મિટીંગમાં ચર્ચા કરવામાં આવી હતી અને સર્વાનુમતે એવો સામૂહિક નિર્ણય લેવામાં આવ્યો છે કે પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડના ભાવમાં 20 ટકા સુધીનો વધારો કરવો. જે તે કેરેટ, ક્લેરિટી, પ્યોરિટી, કલર વગેરે જોઇને પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડના ભાવમાં સરવાળે 20 ટકાનો વધારો કરવો.

લેબગ્રોન ડાયમંડ સાથે સંકળાયેલા તમામ લોકોને સંગઠન દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયની તાકીદે જાણ કરવી. લેબગ્રોન ડાયમંડ એસોસીએશને હીરાની દલાલી કરતા વ્યવસાયિકોને પણ અપીલ કરી હતી કે જ્યારે પણ તેઓ ગ્રાહકને પોલિશ્ડ લેબગ્રોન બતાવવા જ્યાર ત્યારે ભાવમાં કોઇપણ પ્રકારની બાંધછોડ કરવી નહીં અને બજારભાવ કરતા 20 ટકા ભાવ વધારીને જ કિંમત કહેવી.

અન્ય મહત્વના નિર્ણય અંગે લેબગ્રોન ડાયમંડ એસોસીએશનના પ્રમુખ બાબુભાઇ વાઘાણી અને હરેશ નારોલાએ જણાવ્યું કે હાલમાં જે 7 ટકા વટાવનો ધારો ચાલી આવે છે તે પણ વેચનારાઓ માટે નુકસાની સમાન છે. 7 ટકા વટાવને બદલે હવેથી માત્ર 4 ટકા વટાવ કાપવાનો ધારો તાત્કાલિક અસરથી અમલી બનાવવા માટે મિટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો છે.

લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા અનેક આગેવાનો સર્વ બાબુભાઇ વાઘાણી, પ્રમુખ, લેબગ્રોન ડાયમંડ એસોસીએશન, હરેશ નારોલા, ઉપપ્રમુખ લેબગ્રોન ડાયમંડ એસોસીએશન, જયેશ લાઠીયા, અજય દરેડ, પિયુષ સુદાણી, મુકેશભાઇ પટેલ (ગ્રીન લેબ), કેશુભાઇ ગોટી, ચિરાગ શાહ સહિતના આગેવાનોએ વર્તમાન પરિસ્થિતિમાં લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગને ટકાવી રાખવા સંતુલન જાળવી રાખવા માટે શું કરવું એ અંગે જુદા જુદા વિષયો પર ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.