
ભારત-ન્યૂઝીલૅન્ડે આજે 27/04/26 નવી દિલ્હીમાં ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર હસ્તાક્ષર કરીને દ્વિપક્ષીય વેપાર સંબંધોમાં નવા યુગની શરૂઆત કરી છે. આ ડીલથી બંને દેશોમાં વેપાર, રોકાણ અને રોજગારમાં વધારો થશે. વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ અને ન્યૂઝીલૅન્ડના તેમના સમકક્ષ ટૉડ મૈક્લેની ઉપસ્થિતિમાં આ સમજૂતીને સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે. હવે ભારતીય કંપનીઓ ટેક્સ વગર ન્યૂઝીલૅન્ડમાં સામાન મોકલી શકશે. આ ઉપરાંત આગામી 15 વર્ષમાં ભારતમાં 20 અબજ ડૉલરનું રોકાણ આવશે.
FTAની સૌથી મહત્ત્વની વાત એ છે કે, બંને દેશોએ મુક્ત વેપાર કરારને અંતિમરૂપ આપવા માટે 16 માર્ચ-2025થી વાતચીત શરૂ કરી દીધી હતી, જેમાં માત્ર 9 મહિનાના અંતે આ ડીલને ફાઇનલ કરી દેવાઈ છે. આ સમજૂતી લાગુ થયા બાદ ભારત અને ન્યૂઝીલૅન્ડના નિકાસકારો ટેક્સ વગર એકબીજાના દેશમાં નિકાસ કરી શકશે.
ન્યૂઝીલૅન્ડમાં ભારતીય ઉત્પાદનો પર 10 ટકા ટેક્સ હતો
સમજૂતી પહેલા ન્યૂઝીલૅન્ડે ભારતમાંથી નિકાસ થતાં 450 ઉત્પાદનો પર 10 ટકા ટેક્સ લગાવ્યો હતો. હવે નવી સમજૂતી થયા બાદ આ ટેક્સ સંપૂર્ણ બંધ કરી દેવાયો છે. આનાથી ભારતીય કાપડ અને તૈયાર વસ્ત્રો, ચામડા ઉદ્યોગ, ટોપીઓ, ચીની માટીના વાસણો (સિરેમિક્સ), ગાદલા, વાહનો તથા તેના સ્પેરપાર્ટ્સની નિકાસમાં વધારો થશે. આ ઉપરાંત ભારતે પણ ન્યૂઝલૅન્ડથી આવતા 95 ટકા ઉત્પાદનો પર ટેક્સમાં રાહત અથવા ઘટાડી દીધો છે.
મુક્ત વેપાર સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરતી વખતે ન્યૂઝીલૅન્ડે આગામી 15 વર્ષમાં ભારતમાં 20 અબજ ડૉલરનું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ રોકાણ યુરોપિયન ફ્રી ટ્રેડ ઍસોસિએશન (EFTA) દ્વારા ભારત સાથે કરવામાં આવેલા કરારમાં પ્રસ્તાવિત 100 અબજ ડૉલરના રોકાણ માળખા જેવું જ છે.
ભારતે મુક્ત વેપાર કરાર કરતી વખતે ખેડૂતો અને એગ્રીકલ્ચર ઉદ્યોગના હિતને પણ ધ્યાને રાખ્યું છે. FTAમાંથી દૂધ, ક્રીમ, મઠ્ઠો, દહીં અને પનીર જેવા ઉત્પાદનોને બહાર રખાયા છે. આ ઉપરાંત કૃષિ ઉત્પાદનોની નિકાસ પર પણ રાહત આપી નથી. સમજૂતીથી સર્વિસ સેક્ટરથી લઈને એગ્રીકલ્ચર સહિત અનેક ક્ષેત્રોમાં સહયોગ વધવાની પણ આશા વ્યક્ત કરાઈ છે.
FTAની કેટલીક મહત્ત્વની વાતો
વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર: ન્યૂઝીલૅન્ડે વૈશ્વિક સ્તરે પ્રથમ વખત કોઈ દેશ સાથે વિદ્યાર્થીઓની અવરજવર અને અભ્યાસ પછીના વર્ક વિઝા (પોસ્ટ-સ્ટડી વર્ક વિઝા) અંગેના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. હવે ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે અઠવાડિયામાં 20 કલાક સુધી કામ કરી શકશે અને તેમને લંબાવવામાં આવેલા પોસ્ટ-સ્ટડી વર્ક વિઝાનો લાભ પણ મળશે.
કુશળ વ્યાવસાયિકો માટે તક : ઊંચા પગારવાળી નોકરી ઇચ્છતા કૌશલ્ય ધરાવતા ભારતીય વ્યાવસાયિકો માટે 5000 કામચલાઉ રોજગાર વિઝાનો વિશેષ કોટા નક્કી કરવામાં આવ્યો છે. આ વિઝા દ્વારા વ્યાવસાયિકો ત્રણ વર્ષ સુધી ન્યૂઝીલૅન્ડમાં રહીને નોકરી કરી શકશે.
વર્કિંગ હોલિડે પ્રોગ્રામ : આ સમજૂતી હેઠળ એક વિશેષ ‘વર્કિંગ હોલિડે વિઝા’ કાર્યક્રમ પણ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં દર વર્ષે 1000 ભારતીય યુવાનો 12 મહિના માટે ન્યૂઝીલૅન્ડમાં મલ્ટિપલ એન્ટ્રી કરી શકશે.
