Gujarat Assembly Archives - CIA Live

July 28, 2026
gujarat_vidhansabha.jpg
1min7

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રને લઈ એક ચોંકાવનારી વિગત સામે આવી છે. બજેટ સત્ર દરમિયાન ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીઓ સહિત દર ચારમાંથી એક ધારાસભ્યએ એક પણ ચર્ચામાં ભાગ લીધો નહોતો. ફેબ્રુઆરી-માર્ચમાં યોજાયેલા બજેટ સત્ર અંગે ગુજરાત વિધાનસભા સચિવાલયના રિપોર્ટના વિશ્લેષણ મુજબ, 182માંથી 45 ધારાસભ્યોએ પ્રશ્નોત્તરી કાળ સિવાયની કોઈ પણ ચર્ચામાં ભાગ લીધો નહોતો. રાજ્યના બજટે, સરકારી વિધેયકો, દરખાસ્તો, મુતલવી રાખેલી દરખાસ્તો અને અહેવાલ સહિતની મહત્વપૂર્ણ બંધારણીય બાબતોમાં કોઈ ચર્ચામાં જોડાયા નહોતા.

ચર્ચામાં ભાગ ન લેનારા ધારાસભ્યોની યાદીમાં રાજ્યકક્ષાના પ્રધાનો ત્રિકમ છાંગા, કાંતિલાલ અમૃતિયા, પી. સી. બરંડા, દર્શના વાઘેલા, રિવાબા જાડેજા, કૌશિક વેકરિયા, પરષોત્તમ સોલંકી, કમલેશ પટેલ અને રમેશ કટારાનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે પ્રધાનો વહીવટી જવાબદારીઓમાં વ્યસ્ત હોય છે અને પોતાના ખાતાને લગતી બાબતોમાં જ મર્યાદિત જવાબ આપતા હોય છે, પરંતુ ગૃહના ચોથા ભાગના સભ્યોની નિષ્ક્રિયતા વિધાસભાની ચર્ચાઓની ભાગીદારી સામે મોટા સવાલો ઊભા કરે છે.

રિપોર્ટ અનુસાર, આ સત્ર દરમિયાન વિવિધ કામગીરીમાં કુલ 493 વખત સભ્યોએ ભાગ લીધો હતો. જેમાં બજેટ પરની ચર્ચામાં સૌથી વધુ 223 વખત રજૂઆતો થઈ હતી, જે દર્શાવે છે કે રાજ્યનું વાર્ષિક નાણાકીય નિવેદન ચર્ચાનો મુખ્ય વિષય રહ્યું હતું. આ ઉપરાંત, અન્ય વિષયો પર 144 વખત, સરકારી વિધેયકો પર 65, રાજ્યપાલના પ્રવચન પરના આભાર પ્રસ્તાવ પર 28, ખાનગી સભ્યોના પ્રસ્તાવ પર 18, ખાનગી સભ્યોના બિલ પર 8 અને સરકારી પ્રસ્તાવ પર 7 વખત સભ્યોએ રજૂઆતો કરી હતી.

આંકડાઓ પરથી એ પણ સ્પષ્ટ થાય છે કે વિધાનસભાની કામગીરીમાં ભાગીદારી અમુક જ સભ્યો પૂરતી મર્યાદિત રહી હતી. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ ગૃહનું સંચાલન કરવાની તેમની જવાબદારીના ભાગરૂપે સૌથી વધુ 47 વખત ભાગ લીધો હતો, જ્યારે ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીએ 10 વખત ભાગ લીધો હતો. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સમગ્ર સત્ર દરમિયાન 5 વખત અને નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ 7 વખત ચર્ચામાં ભાગ લીધો હતો.

સત્તાધારી પક્ષમાંથી પ્રધાન ઋષિકેશ પટેલ અને અર્જુન મોઢવાડિયા 15-15 વખત ચર્ચામાં ભાગ લઈને સૌથી વધુ સક્રિય રહ્યા હતા. સામે વિપક્ષમાં, કૉંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે પણ 15 વખત રજૂઆતો કરી હતી, જ્યારે AAP ના ધારાસભ્યો ગોપાલ ઇટાલિયા અને ઉમેશ મકવાણા 14-14 વખત ચર્ચામાં જોડાયા હતા.

અન્ય સભ્યોમાં અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ 13 વખત, ચૈતર વસાવાએ 12, રમણલાલ વોરાએ 11, મંત્રી જીતુ વાઘાણીએ 10 અને ગુજરાત કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ 8 વખત પોતાના વિચારો રજૂ કર્યા હતા.

રાષ્ટ્રીય રાજકીય નિષ્ણાતોના મતે, પોતાના વિસ્તારના કામો અને સમિતિઓની જવાબદારીઓ ઉપરાંત ગૃહની ચર્ચાઓમાં ભાગ લેવો એ પણ ધારાસભ્યની કામગીરીનું એક મહત્વનું માપદંડ છે.

સૂત્રોએ જણાવ્યું કે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રજાને સ્પર્શતા કાયદાઓ અને નીતિઓ પર ચર્ચા કરવા માટે જ ગૃહમાં જાય છે. જ્યારે આટલી મોટી સંખ્યામાં પ્રતિનિધિઓ મૌન રહે, ત્યારે લોકશાહીમાં તેમની જવાબદારી અને પારદર્શિતા પર અસર પડે છે.