
ગુજરાત સરકારના સેન્ટર ઓફ એન્ટરપ્રેન્યોરશિપ ડેવલોપમેન્ટના સહયોગથી શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી જમનાબા વિદ્યાર્થી ભવન ખાતે ઉદ્યોગ સાહસિકતા જાગૃતિ કાર્યક્રમનું આયોજન થયું હતું. વેપાર વ્યવસાય ઉત્પાદન કે નાનકડો ગૃહ ઉદ્યોગ હાલ કાર્યરત હોય કે નવો શરૂ કરવાની ઈચ્છા હોય તેવા ઉદ્યોગ સાહસિક મિત્રો માટે ઉદ્યોગ સાહસિકતા જાગૃતિ કાર્યક્રમનો આયોજન થયું હતું.
૧૦૦૦ થી વધુ યુવા ભાઈ-બહેનો ઉત્સાહભેર નવી જાણકારી માટે કેશુભાઈ પટેલ ઓડીટોરીયમ જમનાબા વિધાર્થી ભવન ખાતે એકત્ર થયા હતા. ચેમ્બર ઓફ કોમર્સના વાઈસ પ્રેસિડેન્ટ રવિરાજ દેસાઈએ જણાવ્યું હતું કે, ધંધા વેપારના વિકાસ માટે વિપુલ તકો છે. તેને ઓળખી ટેકનીકલ જ્ઞાન મેળવી જો સાહસ કરવામાં આવે તો સફળતા ઝડપથી મળે છે. આ પ્રસંગે એપલ લાઈફ સ્ટાઈલ ઇન્ડસ્ટ્રીઝના દીપકભાઈ શેટાએ સુરતના કાપડ ઉદ્યોગમાં ધંધા વેપાર વિકાસની લોકોને જાણકારી આપી હતી. સુરતમાં બ્રાન્ડીંગ અને નવા ક્રિએશનની ખૂબ જરૂર છે. કોઈપણ નાના-મોટા વેપાર કે ઉદ્યોગ માટે માર્ગદર્શન આપવામાં શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ શરૂ કરેલા પ્રયાસ નેબિરદાવ્યો હતો. ધંધા વ્યવસાય ની જાણકારી સફળતાનો મોટો આધાર છે.
આગામી 24મી ઓગસ્ટ થી એન્ટરપ્રેન્યોરશિપ ડેવલોપમેન્ટ પ્રોગ્રામના વર્ગો શરૂ થનાર છે. જે ગુજરાત સરકારના CED તરફથી શરૂ થનાર વર્ગો અંગે નોંધણી શરૂ છે. આ પ્રસંગે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતના પ્રમુખ કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું હતું કે, જમનાબા વિદ્યાર્થી ભવન અભ્યાસ અને નોકરી માટે વિદ્યાર્થીઓની પરીક્ષાની તૈયારી માટે સુવિધા પૂરી પાડે છે. તે ઉપરાંત નવા ધંધા વેપાર માટે યુવાનોને માર્ગદર્શન અને તાલીમ પૂરી પાડવાનો પણ પ્રયાસ શરૂ કર્યો છે. ટૂંક સમયમાં પાટીદાર નોલેજ સેન્ટર પણ શરૂ કરવા વિચારણા છે.
સેન્ટર ઓફ એન્ટરપ્રિન્યોરશીપ ડેવલપમેન્ટના રિજ્યોનલ હેડ અવનીષભાઈ હિરપરા તથા અંબુજા ફાઉન્ડેશનના ટી. એન. સંદીપે સરકારશ્રી તરફથી યોજાતા વિવિધ કાર્યક્રમો વર્ગો અને કૌશલ્ય તાલીમ અંગે માહિતી આપી હતી. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત નોકરી શોધવા ક્ષમતા આપવા ઉપરાંત નોકરીના સર્જક બનવા તાલીમ અંગે માર્ગદર્શન આપવાનું કામ કરશે તે માટે યુવાનોની ટીમ કાર્યરત બની છે. સ્વાગત પ્રવચનમાં સંસ્થાના ટ્રસ્ટી ભવનભાઈ નવાપરાએ જણાવ્યું હતું કે, યુવા ભાઈ-બહેનો પોતાના ગૃહ ઉદ્યોગ કે વેપાર ધંધાના વિકાસ માટે પ્રગતિ કરે તે માટે તાલીમ વર્ગો યોજવામાં આવનાર છે. કિરણભાઈ ઠુંમર, ડો. હરેશભાઈ બલર, સી.એ કૌશિક ભાલાળા, જુગલભાઈ હિરપરાએ વિનુભાઈ બગદાણા અને સભ્યોએ સ્વાગત કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. અજય દેસાઈએ કર્યું હતું.
