રણબીર કપૂર તથા આલિયા ભટ્ટના લગ્નની ચર્ચા અવાર-નવાર થતી હોય છે ત્યારે આ બંને પ્રેમી પંખીડા એપ્રિલમાં સગાઈ કરવાના છે અને ડિસેમ્બરમાં લગ્ન કરશે, એવી માહિતી મળી રહી હતી. જોકે, ફિલ્મી કાનાફૂસી દ્વારા મળી રહેલી માહિતી અનુસાર આ કપલ ડિસેમ્બરમાં નહીં, પરંતુ આ જ એપ્રિલમાં લગ્નબંધને બંધાશે પરિવારે તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.
લગ્ન સ્થળ પણ નક્કી કરી દેવામાં આવ્યું છે. રણબીર તથા આલિયા લૅવિશ હોટલમાં લગ્ન નથી કરવાના, પરંતુ કપૂર પરિવારના પૈતૃક ઘરમાં લગ્ન કરવાના છે. ચેમ્બુર સ્થિત આવેલા RK (રાજ કપૂર) હાઉસમાં તેઓ ફેરા ફરશે. રણબીર કપૂરે જ આ ઘરમાં લગ્ન કરવાનું નક્કી કર્યું છે. ઉલ્લેખનીય છે કે રણબીરના પેરેન્ટ્સ રિશી કપૂર તથા નીતુ સિંહે 1980માં 20 જાન્યુઆરીના રોજ આ ઘરમાં લગ્ન કર્યા હતા.
કપૂર તથા ભટ્ટ પરિવારે લગ્નમાં 450 મહેમાનોને આમંત્રણ આપવાનું નક્કી કર્યું છે. આ લગ્નમાં બોલિવૂડની અનેક જાણીતી હસ્તીઓ સામેલ રહેશે તેમ માનવામાં આવી રહ્યું છે.
કપૂર પરિવાર એપ્રિલ એન્ડમાં લગ્ન કરવા માગતો હતો, પરંતુ ભટ્ટ પરિવારે મિડ એપ્રિલમાં લગ્ન કરવાનું નક્કી કર્યું છે. આલિયા ભટ્ટના નાના નરેન્દ્ર નાથ રાઝદાનની તબિયત નરમ-ગરમ રહેતી હોવાથી પરિવાર જેમ બને તેમ જલ્દી લગ્ન લેવાય તેમ ઈચ્છે છે.
રણબીર અને આલિયા 4 વર્ષથી વધુ સમયથી રિલેશનશિપમાં છે. બંને એકબીજાના પરિવારની સાથે સારું બોન્ડિંગ શૅર કરે છે. રણબીરની માતા નીતુ સિંહ અને બહેન રિદ્ધિમા કપૂર સાહનીને આલિયા ઘણી પસંદ છે તો રણબીર પણ અવારનવાર આલિયાના પરિવાર સાથે જોવા મળતો હોય છે.